રામાયણ, મહાભારત અને યુદ્ધ શાસ્ત્રો

'રામાયણમાં યુદ્ધ શરૂ થયું અને અનેકવિધ શસ્ત્રોનો ઉપયોગ શરૂ થયો. નાનપણમાં બાણની આગળના વિવિધ આકારો અને અલગ અલગ રંગ, આગળ ફરતી ચકરડીઓ અને ફુવારા વગેરે જોવાની મજા આવતી. આજે થયું કે રામાયણમાં આ શસ્ત્રોની કઈ વિગતો છે, અને કેટલા પ્રકારના શસ્ત્રો હતા એ શોધીએ. એટલે વાલ્મિકી રામાયણ અને જરૂર પડશે ત્યાં રામચરિતમાનસનો આધાર લઈ આ શસ્ત્રોની વાત મૂકું. યુદ્ધરત લોકોના તેમની યુદ્ધ કુશળતા અને આયુધોની શક્તિ મુજબ અનેકવિધ પ્રકારો હતાં. પ્રભુ શ્રી રામ ‘અતિમહારથી’ હતા. ઉપરાંત લક્ષ્મણ, મેઘનાદ વગેરે અતિમહારથી હતા. કુંભકર્ણ, સુગ્રીવ, વાલી, અંગદ વગેરે મહારથી હતાં એમ સમજાય છે. શ્રી રામને વિશ્વામિત્ર ઋષિ અને અગસ્ત્ય ઋષિએ આપેલા અનેક શસ્ત્રોની વાત રામાયણ ધારાવાહિકમાં સરસ રીતે દેખાડાઈ છે.

આ શસ્ત્રોની અને યુદ્ધોની વાત મૂકી રહ્યો છું ત્યારે એ પહેલા એક વાત મૂકવાની ઈચ્છા છે.. Ignited Minds નામના પુસ્તકમાં પ્રકરણ ૫ માં ડૉ. અબ્દુલ કલામ લખે છે, '

'In India, the core culture goes beyond time. It precedes the arrival of Islam; it precedes the arrival of Christianity. The early Christians, like the Syrian Christians of Kerala, have retained their Indianness with admirable determination. Are they less Christian because their married women wear the mangalsutra or their menfolk wear the dhoti in the Kerala style? Kerala’s Chief Minister, A.K. Antony, is not a heretic because he and his people are part of Kerala’s culture. Being a Christian does not make him an alien. On the contrary, it gives an added dimension to his Indianness. A.R. Rahman may be a Muslim but his voice echoes in the soul of all Indians, of whatever faith, when he sings Vande Mataram.'

એટલે જ્યારે હું આ શસ્ત્રો કે એમના વર્ણન વિશેની વાત કરું ત્યારે હું પણ ભારતના એ ઉજ્જવળ સમયની વાત મૂકી રહ્યો છું જ્યારે બાણ કહેવાતા એ શસ્ત્રો આજના મિસાઈલ હોઈ શકે. હું કોઈ ખાતરી કે દાવો કરી શકવા સમર્થ નથી, પણ વર્ણંનોથી એવું સમજાય છે. વાલ્મિકી રામાયણ આજના કોઈપણ મિસાઈલ કે શસ્ત્રો શોધાયાની સદીઓ પહેલા રચાયેલું છે, શબ્દપરંપરાની મહાન ભારતીય સંસ્કૃતિએ એને પેઢી દર પેઢી વહેતું રાખ્યું છે. આ શસ્ત્રોના વર્ણન વાંચીને આશ્ચર્ય થાય છે. ચાણક્ય જ્યારે ગણરાજ્યોને એકઠાં કરી એલેક્ઝાન્ડર સામે લડવાની વાત કહે છે ત્યારે એ બધાં પોતપોતાના જનપદ સાચવીને બેસવા પૂરતાં જ જવાબદાર છે, ત્યારે સંયુક્ત રાજયનો એમનો વિચાર બધાં હસી નાંખે છે. એ સમયે એક રાષ્ટ્રની વિભાવના વિચારનાર ચાણક્ય પણ એટલા જ ભારતીય છે જેટલા એલેક્ઝાન્ડરને મદદ કરનાર આંભીકુમાર (326 B. C), કારણ કે એ પણ આ જ ધરતીનો પુત્ર હતો. કેટલાકને કદાચ શસ્ત્રોની વાત અને વિગતોમાં ઉતરવાના આવા પ્રયત્ન પર હસવું પણ આવે, પરંતુ આ વર્ણન અને એના પહેલાના સમયમાં વપરાશ વિશે આધારવિહીન પ્રશ્ન કરનાર પણ ભારતીય જ છે એ સમજીને વિવાદની અપેક્ષા વગર જે લખાયેલું અને સચવાયેલું છે એના જ આધારે વાત મૂકું છું.

વાલ્મિકી રામાયણના બાલકાંડના ૨૭મા સર્ગમાં વિશ્વામિત્ર ઋષિ રામથી પ્રસન્ન થઈ તેમને અનેક શસ્ત્રો આપે છે. મહદંશે એમાં વિવિધ પ્રકારના બાણ છે.

तानि दिव्यानि भद्रं ते ददाम्यस्त्राणि सर्वशः|
दण्डचक्रं महद्दिव्यं तव दास्यामि राघव||१-२७-४||
धर्मचक्रं ततो वीर कालचक्रं तथैव च|
विष्णुचक्रं तथात्युग्रमैन्द्रं चक्रं तथैव च||१-२७-५||
वज्रमस्त्रं नरश्रेष्ठ शैवं शूलवरं तथा|
अस्त्रं ब्रह्मशिरश्चैव ऐषीकमपि राघव||१-२७-६||

આ શ્લોકમાં એ રામને દંડચક્ર, ધર્મચક્ર, કાલચક્ર, વિષ્ણુચક્ર તથા ધારદાર ઇન્દ્રાસ્ત્ર, વજ્રાસ્ત્ર, મહાદેવાસ્ત્ર, બ્રહ્મશિર અને ઇશિક (ઘાસના તણખલારૂપી બાણ) આપે છે.

ददामि ते महाबाहो ब्राह्ममस्त्रमनुत्तमम्|
गदे द्वे चैव काकुत्स्थ मोदकी शिखरी शुभे||१-२७-७||

પછી તેઓ રામને બધા શસ્ત્રોમાં અમોઘ એવું બ્રહ્માસ્ત્ર આપે છે. સાથે મોદકી (મારક) અને શિખરી (બચાવનાર શિખર) નામની બે ગદાઓ આપે છે. અત્યંત ઉગ્ર એવા ધર્મપાશ અને કાળપાશ અને વરુણપાશ શસ્ત્રો પણ આપે છે. સાથે શુષ્ક (સૂકવી દેનાર) અને આર્દ્રા (ભીંજવી દેનાર) નામક બે વજ્ર પણ આપે છે. પૈનાકાસ્ત્ર, નારાયણાસ્ત્ર અને શિખર નામનું અગ્નેયાસ્ત્ર પણ આપે છે. પ્રથમ નામનું વાયવ્યાસ્ત્ર, હયશીરાસ્ત્ર (ઘોડાના મુખ રૂપી) અને કૌંચાસ્ત્ર (લડાયક), કંકાળ નામનું ભયંકર મૂસળ અને કાપાલ અને કિંકિણ આપે છે. વિદ્યાધરાસ્ત્ર, નંદન નામની ઉત્તમ તલવાર પણ તેઓ રામને આપે છે. ઉપરાંત ગંધર્વોના અસ્ત્રો એવા મોહન (આશ્ચર્યમાં નાખી દેનાર), પ્રસ્વાપણ (ઉંઘ આપનાર), પ્રસમન (ગુસ્સો ઘટાડનાર), વર્ષણ (વર્ષા આપનાર), શોષણ (શોષી લેનાર), સંતાપન (દુ:ખ આપનાર), વિલાપન (રુદન આપનાર), મોહનાસ્ત્ર (શારિરીક અને માનસિક કાબૂ લઈ લેનાર) અને માનવાસ્ત્ર (દયા આપનાર), કામદેવનું મદનાસ્ત્ર, પૈશાચાસ્ત્ર (ઘાતકી અસ્ત્ર), તામસ અને મહાબલી સૌમન, સંવર્ત, દૂધર્ષ, મૌશલ, સત્યાસ્ત્ર અને પરમાસ્ત્ર પણ તેઓ રામને આપે છે. સાથે તેજપ્રભ નામનું અસ્ર જેનાથી શત્રુનું તેજ હણાઈ જાય છે તે, ચંદ્રનું શિશિર (ઠંડક વરસાવનાર) અને ત્વાષ્ટમસ્ત્ર, અતિદારુણ શીતેષુ અસ્ત્ર અને મનુનું માનવ નામનું અસ્ત્ર આપે છે. પછી વિશ્વામિત્ર પૂર્વાભિમુખ થઈ શ્રી રામને આ બધા બાણ માટેના મંત્રો આપ્યા જે બધા એકસાથે દેવતાઓને પણ દુર્લભ છે. શ્રી રામચંદ્રજીએ એ બધા બાણ અને શસ્ત્રોને કહ્યું કે જ્યારે હું ત્મારું સ્મરણ કરું ત્યારે તમે આવી તમારું નિર્ધારિત કામ કરી જજો. અને અંતે શ્રીરામે વિશ્વામિત્રને પ્રણામ કર્યા.

અરણ્યકાંડના ૧૨માં સર્ગમાં ઋષિ અગસ્ત્ય વિશ્વકર્માએ બનાવેલું શ્રી વિષ્ણુનું સુવર્ણ અને હીરે મઢેલું ધનુષ જે તેમને ઇન્દ્રે આપેલું હતું એ રામને આપ્યું. સાથે કદી બાણ પૂરા ન થાય એવા બે ભાથા (અક્ષય તૃણીર) તથા હીરાની બનેલી તલવાર શ્રીરામને આપ્યાં. અર્જુનને વનવાસ દરમ્યાન વરુણદેવે પણ અક્ષયતૃણીર આપ્યું હતું. ઋષિ દધિચિના હાડકામાંથી બ્રહ્માજીના આદેશથી વિશ્વકર્માએ અનેક શસ્ત્રો બનાવ્યા હતા, ઇન્દ્ર માટે વજ્ર જે તેમના કરોડરજ્જુમાંથી બનેલું, ત્રણેય દેવતાઓ માટે ધનુષ્ય પિનાક, સારંગ અને ગાંડીવ, પિનાક શિવ માટે, સારંગ વિષ્ણુ માટે અને ગાંડીવ બ્રહ્માજી માટે બનાવેલું જે મહાભારતમાં અર્જુનને મળ્યું હતું.. દશરથના દરબારમાં સીતા સ્વયંવર દરમ્યાન રામે જે ધનુષભંગ કર્યો એ પિનાક હતું અને ઋષિ અગસ્ત્યએ શ્રી રામને જે આપ્યું એ સારંગ હતું. આ બાબતે અનેક વૈવિધ્યપૂર્ણ વાર્તાઓ મળે છે, જેમાંથી એક એવી પણ છે કે એક વિશેષ પ્રકારના પવિત્ર વાંસમાંથી પિનાક, સારંગ અને ગાંડીવ બન્યા હતાં અને કૃષ્ણની વાંસળી પણ એમાંથી જ બની હતી.

એક સરસ મજાનું પુસ્તક છે, Ramayan Retold With Scientific Evidences By Saroj Bala. એમાં રામાયણને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજાવવાનો સુંદર પ્રયત્ન થયો છે. અને એમાં આ શસ્ત્રો વિશે પણ વૈજ્ઞાનિક તર્ક સાથે સમજણ મૂકી છે.

તો આપણે રામાયણના શસ્ત્રોની વાત કરીએ.. લંકામાં યુદ્ધ વખતે જમીન પર ઉભીને લડતા શ્રી રામ અને રથારૂઢ રાવણ વચ્ચેના યુદ્ધને જોઈ ઋષિમુનિઓ, દેવતાઓ, ગંધર્વ અને કિન્નરોએ ઇન્દ્રને પ્રાર્થના કરી કે આ યુદ્ધ સમાન નથી, શ્રી રામને તમારો રથ પહોંચાડો. એથી ઇન્દ્રે તરત પોતાના સારથી મતાલીને શ્રી રામ પાસે જવા કહ્યું. મતાલી તરત સ્વર્ગલોકમાંથી રથ લઈ યુદ્ધભૂમિમાં શ્રીરામ પાસે પહોંચ્યો એમ યુદ્ધકાંડમાં કહેવાયું છે.

બ્રહ્માસ્ત્ર –

વાલ્મિકી રામાયણના યુદ્ધકાંડના સર્ગ ૧૦૮માં લખાયું છે..

अथ सस्मारयामास मातली राघवं तदा|
अजानन्निव किं वीर त्वमेनमनुवर्तसे||६-१०८-१||

પછી ઇન્દ્રના સારથી મતાલીએ રાઘવને યાદ અપાવતા કહ્યું. ”હે વીર, તમે આમ અજાણ્યાની જેમ આની સાથે યુદ્ધ કેમ કરી રહ્યાં છો?

પછી વીસ શ્લોકોમાં આ બાણનું અને એની વિઘાતક અસરોનું તથા તેના શ્રી રામ દ્વારા રાવણ પર પ્રહારનું વર્ણન છે.

મતાલી કહે, હે પ્રભુ, તમે આની ઉપર બ્રહ્માસ્ત્ર છોડો, દેવતાઓએ આના વધનો જે સમય કહ્યો હતો એ આજે જ છે. જ્યારે મતાલીએ શ્રીરામચંદ્રજીને આમ યાદ કરાવ્યું ત્યારે તેમણે એક ચમકતું બાણ કાઢ્યું, જેમાંથી સાંપના ફૂંકાર જેવો ધ્વનિ નીકળી રહ્યો હતો. આ બાણ પૂર્વકાળમાં ભગવાન અગસ્ત્યએ વીર્યવાન શ્રીરામચંદ્રજીને આપ્યું હતું, જે અગસ્ત્યજીને બ્રહ્મા પાસેથી મળ્યું હતું અને એ કદી નિષ્ફળ ન જનારું અમોઘ શસ્ત્ર હતું. એ બાણના પીછાંમાં પવન, એની અણીમાં અગ્નિ અને સૂર્ય હતાં, એનું શરીર આકાશમય અર્થાત પોલું હતું પણ એનું વજન મેરુ અને મંદરાચળ જેટલું હતું. સ્વર્ણ વડે જેની શક્તિશાળી દાંડી આભૂષિત હતી એવું એ સૂર્ય સમાન ચમકદાર હતું અને એને બધા ભૂતોના અંશ વડે બનાવવામાં આવ્યું હતું. એ ધૂમાડા સાથે કાલાગ્નિથી સતત પ્રજ્વલિત અને સર્પની જેમ પ્રદિપ્ત હતું. શત્રુઓના હાથીઓ અને ઘોડાઓના સમૂહોનો નાશ કરનારું એ ખૂબ ઝડપથી અસર કરનારું હતું. શત્રુઓના નગરોના દરવાજા, પરિઘ અને પર્વતો સુધી એ તોડફોડ કરનારું હતું, એમાં અનેક અસુરોના રક્ત અને ચરબી ભરેલા હતાં અને એ ખૂબ ભયંકર હતું. એ વજ્રની જેમ દૃઢ અને કપટયુદ્ધોમાં પણ સફળતાપૂર્વક કામમાં આવનાર, બધાને ખૂબ ભયભીત કરનાર મહાભયાનક અને સાપની જેમ ફૂંફકાર છોડતું હતું. એ ગિદ્ધ, ગરુડ, બગલા, શિયાળ અને રાક્ષસોને ખોરાક આપનારું હતું, એ યમરૂપી બાણ ખૂબ ભયંકર હતું. એ વાનરોને પ્રસન્ન કરનારું અને રાક્ષસોનો નાશ કરનારું હતું. ગરુડજીની સુંદર પાંખો એમાં લાગેલી હતી. એ સમસ્ત લોકના બાણોમાં શ્રેષ્ઠ અને ઇક્ષ્વાકુ કુળના ભયને નાશ કરનાર અને શત્રુની કીર્તિનો નાશ કરનાર તથા તેને ચલાવનારને હર્ષ આપનાર હતું.

મહાબલી શ્રી રામચંદ્રજીએ એ બાણને વેદવિધિ મુજબ અભિમંત્રિત કરી ધનુષ પર ચડાવ્યું. બાણોમાં ઉત્તમ એવા એને ધનુષ પર ચડાવતાં જ સમસ્ત પ્રાણીઓ ભયભીત થઈ ગયા અને પૃથ્વી કાંપવા લાગી. અત્યંત ગુસ્સે થઈ શ્રીરામચંદ્રજીએ રાવણના વધ માટે પ્રત્યંચા તાણી ભયાનક વેગથી સમસ્ત મર્મસ્થળોને ભેદનાર એ બાણને છોડ્યું. ઇન્દ્રના હાથે છોડાયેલા વજ્રની જેમ તોડી ન શકાય એવું અને યમરાજની જેમ જેને રોકી ન શકાય એવું એ બાણ જઈને રાવણની છાતીમાં વાગ્યું. મહાવેગથિ છૂટેલા અને શરીરનો નાશ કરનારા એ બાણે દુરાત્મા રાવણનું હ્રદય ચીરી નાંખ્યું. પ્રાણઘાતક અને લોહીથી લથપથ એવું એ બાણ રાવણનો વધ કરી પૃથ્વીમાં ઘૂસી ગયું. પછી રુધિરથી રંગાવાને લિધે શોભાયમાન એ બાણ રાવણને મારી વિનમ્રતાથી રામની તરકશમાં ફરી ગોઠવાઈ ગયું.

ગંધર્વાસ્ત્ર

આ હથિયાર એના ધારકને અતિશય ઝડપથી દોડવા અથવા રથ પર મુસાફરી કરવાની શક્તિ આપે છે અથવા શત્રુને એવું લાગે કે એ અતિઝડપી ગતિમાં છે, એનો ધારક એક સાથે વિવિધ સ્થળોએ હાજર છે એવું એ ગતિને લીધે લાગે છે. શક્ય છે કે ધારક અથવા તેનો રથ અતિશય વધારે ગતિમાં ફેરવાય છે, ધારક અદ્રશ્ય છે તેવી છાપ આ શસ્ત્ર આપે છે તેથી શત્રુ ધારી શકે છે કે આ શસ્ત્રનો ધારક એક સાથે અનેક જગ્યાઓએ દેખાઈ તેના પર હુમલા કરી રહ્યો છે. આ ઝડપ માનવો માટે શક્ય ન હોઈ શકે અથવા એથી થનાર ઘર્ષણને નિવારવા પણ કોઈ ઉપાય હોય. વાલ્મિકી રામાયણ દર્શાવે છે કે મેઘનાદના મૃત્યુ પછી રાવણે રામની સેના પર એક સાથે હજારો રથ, હજારો ઘોડેસવારો, હજારો હાથીઓનાં ધાડાં સાથે શક્તિશાળી હુમલો કર્યો, લાખો સૈનિકો એક સાથે ઇન્દ્રજીતનનો બદલો લેવા બહાર આવ્યા. એ સમયે પ્રભુ શ્રી રામે ગંધર્વાસ્ત્રનો પ્રયોગ કર્યો હતો. ગંધર્વાસ્ત્રમાં એક સાથે અનેક બાણનો સમૂહ ઉપરના મંત્રમાં લખ્યા મુજબ સમજાય છે. એને અભિમંત્રિત કરતા રામને એક પ્રહરનો સમય લાગ્યો હતો (લગભગ ત્રણ કલાક), અને એના પ્રયોગથી રામે રાવણના રથો, ઘોડેસવારો, હાથીઓ અને સૈનિકો પર એકસાથે હુમલો કર્યો હોય એમ બધાંને લાગ્યું અને રામે એ બધાનો નાશ કર્યો હતો. ચક્રવ્યૂહને તોડવા દરમ્યાન તેને ઘેરીને ઉભેલા અનેક યોદ્ધાઓનો મુકાબલો કરવા અભિમન્યુએ પણ ગાંધર્વાસ્ત્રનો પ્રયોગ કર્યો હતો.

નારાયણાસ્ત્ર

આ એવું શસ્ત્ર હતું જેના સંધાન કરવાથી ફરતું મહાકાય ચક્ર દસહજાર તીરોમાં વહેંચાઈ જતું; એ ભગવાન વિષ્ણુનું શસ્ત્ર હતું અને કોઈ પણ તેને રોકી શકે એ શક્ય નહોતું. એને રોકવાનો મંત્ર ફક્ત રામ અને કૃષ્ણ પાસે હતો એમ કહેવાય છે, કારણ કે એ વિષ્ણુના અવતાર હતાં.

પશુપતાસ્ત્ર

બ્રહ્માસ્ત્ર પછી સૌથી વધુ ઘાતક એવું પશુપતાસ્ત્ર શિવ અને કાલી ધારણ કરતાં એમ કહેવાય છે. એ ધનુષ, આંખો અથવા મનથી પણ છોડી શકાતું. અર્જુન અને ઇન્દ્રજીત પાસે એ હતું. ઇન્દ્રજીતે એ લક્ષ્મણ પર છોડ્યું હતું પન લક્ષ્મણને એ અસર કરી શક્યું નહીં કારણ કે એ શેષનાગનો અવતાર હતાં.

માનવાસ્ત્ર

મનુનું આ શસ્ત્ર રામ દ્વારા મારીચને મારવા માટે ઉપયોગમાં લેવાયું હતું. આ શસ્ત્ર શત્રુને અનેક યોજનો સુધી દૂર ફેંકી દેતું અને એનો પ્રહાર ખૂબ ઘાતક ગણાતો.

નાગપાશ

નાગલોકનું આ શસ્ત્ર શત્રુને હજારો નાગના વલયો વડે બાંધી દેવા માટે ઉપયોગમાં લેવાતું. મેઘનાદે શ્રી રામ અને લક્ષ્મણ બંનેને બાંધી દેવા માટે આ પાશનો ઉપયોગ કરેલો અને એ બંને બંધાઈ ગયેલા. પછી હનુમાનની મદદથી ગરુડે એ પાશમાંથી બંનેને મુક્ત કરેલા. એનો તર્ક એવો છે કે ઇશ્વરના અવતારને પણ અધર્મ સામેના યુદ્ધમાં પશુઓ (વાનરો, રીંછ) પક્ષીઓ (ગરુડ) અને રાક્ષસો (વિભિષણ) ની મદદ લેવી પડે છે કારણ કે ધર્મ પક્ષે કોઈ ભેદભાવ નથી.

ચંદ્રહાસ

શિવની ઘોર તપશ્ચર્યા કરી રાવણે આ ખડગ મેળવ્યું હતું, રાવણે શિવને પ્રાર્થના કરી કે કોઈ પણ દેવ, ગંધર્વ, દાનવ, રાક્ષસ, ગુહ્યક, નાગ અને અન્ય લોકોના કોઈ પણ નિવાસીઓ મને પસંદ કરતાં નથી, અને હું માનવોને આમાં ગણતો નથી કારણ કે એમની કોઈ ક્ષમતા નથી. મને બ્રહ્માજીએ આ બધાં કરતા લાંબુ આયુષ્ય આપ્યું છે, તમે મને તમારું શસ્ત્ર આપો. શિવે ચંદ્રહાસ રાવણને આપ્યું અને સાથે સૂચના પણ આપી કે જો એ એનો અધર્મ આચરવા ઉપયોગ કરશે તો એ જતું રહેશે. વાલ્મિકી રામાયણમાં ચંદ્રહાસનો કોઈ ઉલ્લેખ નથી. પણ તુલસીકૃત રામાયણમાં સીતા સાથે સંવાદ વખતે રાવણ ચંદ્રહાસનો ઉલ્લેખ કરે છે. (રામચરિતમાનસ સુંદરકાંડ દોહા ૧૦)

चंद्रहास हरु मम परितापं। रघुपति बिरह अनल संजातं।।
सीतल निसित बहसि बर धारा। कह सीता हरु मम दुख भारा।।

રાવણના આ શસ્ત્ર વિશે અનેક વાતો જોવા મળે છે. રાવણે જટાયુ સાથેના ઘોર યુદ્ધમાં બીજા કોઈ શસ્ત્રની એના પર અસર ન થતી હોવાને લીધે ચંદ્રહાસનો ઉપયોગ કરેલો એમ કહેવાય છે પણ મને કોઈ ચોપાઈમાં એ ન મળ્યું. રામ સાથે પ્રથમ દિવસના યુદ્ધમાં ચંદ્રહાસ નાશ પામે છે કારણ કે એ ધર્મ સામેના યુદ્ધમાં વપરાય છે એમ રામચરિતમાનસ કહે છે.

લક્ષ્મણ યુદ્ધમાં અનેક શસ્ત્રો વાપરે છે, એનું મુખ્ય યુદ્ધ મેઘનાદ સાથે થાય છે. એ વરુણાસ્ત્ર વાપરે છે જે મેઘનાદ નિષ્ફળ કરી દે છે, પછી એ મેઘનાદના અગ્નેયાસ્ત્રને નિષ્ફળ કરવા સૂર્યાસ્ત્ર વાપરે છે. મેઘનાદ શક્તિ નામની બરછી અભિમંત્રિત કરી વાપરે છે જેથી લક્ષ્મણ મૂર્છિત થઈ જાય છે અને હનુમાન સંજીવની લાવી તેમને હોશમાં લાવે છે. અંતે લક્ષ્મણ ઇન્દ્રાસ્ત્ર વડે મેઘનાદને મારે છે.

મહાભારતમાં રામાયણ કરતા અનેક વધુ શસ્ત્રોનો ઉપયોગ થયેલો, કારણ કે એમાં અનેક યુદ્ધો થયેલા, અતિરથિઓ અને મહારથીઓ અનેક હતાં તથા કૃષ્ણ સહિત અનેક યોદ્ધાઓએ વિવિધ દેવ, ગંધર્વો અને ઋષિઓ પાસેથી ઘણાં શસ્ત્રો પ્રાપ્ત કરેલા. જેમાં સુદર્શન ચક્ર, સૂર્યાસ્ત્ર, ત્વષ્ટારસ્ત્ર, પર્વતાસ્ત્ર, પાર્શ્વપતાસ્ત્ર, બ્રહ્મશીરા અસ્ત્ર, ઇન્દ્રાસ્ત્ર, ત્રિશૂલ, ભાર્ગવાસ્ત્ર, વૈષ્ણવાસ્ત્ર, બ્રહ્માનો ભાલો, મયાસુરનું શસ્ત્ર, ગરુડાસ્ત્ર વગેરે મુખ્ય હતા.

પ્રાચીન લોકો માનતા કે વિશેષ મંત્રના પ્રભાવથી શસ્ત્રોનો ઉપયોગ કરી શકાતો. જુદા જુદા શસ્ત્રોનો પોતાનો વિશેષ અનન્ય મંત્ર હતો. અને જો એ શસ્ત્ર તેના ચોક્કસ મંત્ર અને એની વિશિષ્ટ પદ્ધતિ મુજબ અનુસંધાન ન કરાય તો એ શસ્ત્ર સક્રિય ન થતું. ખૂબ ઓછા લોકો વિશેષ અભ્યાસ અને પ્રયત્ન પછી જ એ મંત્રો પ્રાપ્ત કરી શક્તા અને શસ્ત્રના સંધાનની વિદ્યા જાણતા. એકવાર અભિમંત્રિત કર્યા પછી શસ્ત્ર અનુસંધાનમાં લેવું જ પડતું, કારણ કે એકવાર છોડાયા પછી, મોટાભાગના શસ્ત્રોને ફક્ત એમના વિશેષ વિરોધી શસ્ત્રો દ્વારા જ રોકી શકાતા, અન્યથા એ શસ્ત્રોને અટકાવવા શક્ય નહોતું. તે મહાન વિનાશના શસ્ત્રો હતા. કેટલા વિશેષ શસ્ત્રો ફક્ત મનની શક્તિ વડે પણ છોડી શકાતા.

મહાભારતમાં આવા શસ્ત્રોના ઉપયોગ અને યુદ્ધો વિશે તો ખૂબ લાંબી પોસ્ટ થઈ શકે, મહાભારતમાંથી એવા શ્લોક ભેગા કરવા એ પણ એક મોટો પ્રોજેક્ટ છે, રામાયણમાં ઓછા યુદ્ધ થયા હોવાથી એ સરળ છે.

જય શ્રી રામ 🚩

#Ramayan

0 Comments

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મળે છે. બેક કિલોમીટર થાય. 👉પોખરણ કિલ્લો અને સંત બાલીનાથનો ધૂણો. 👉પાંચ પીપળી ધામ જ્યાં.. મક્કા થી આવેલા પીરો એ રામદેવજી ની પરીક્ષા લીધી હતી..અને પીર કેવાયા. 12 કિમી થાય. 👉ભૈરવ ગુફા .. પોખરણ પાસે આવેલ છે.

Follow Me On Instagram