Saturday, July 27, 2019

સુપર થર્ટી અને ચંદ્રયાન

‘કૈસા બૈઠા હૈ છુપ કે પત્તોં મેં, બાગબાં કો સતા રહા હૈ ચાંદ...’

ઋતિક રોશનની નવી ફિલ્મ ‘સુપર થર્ટી’નો વકરો અગિયારમા દિવસે સો કરોડને પાર કરી ગયો હોવા છતાં અત્યારના બિઝનેસનો સ્કેલ એવો ભારે થઈ ચૂક્યો છે કે ‘માત્ર ૧૦૦ કરોડ રૂપિયા?’ એ સવાલ પણ થઈ શકે! ઋતિકે બિહારના ગ્રેટ મેથેમેટિક્સ ટીચર આનંદ કુમારના પ્રેરણાદાયી જીવન પર આધારિત આ ફિલ્મમાં કોઇપણ તબક્કે ગ્લેમરનો સહારો લીધો નથી. આખી ફિલ્મમાં ગરીબ વિદ્યાર્થીઓને એન્જીનિયરીંગની અઘરી પ્રવેશ પરીક્ષા પાસ કરવા માટેના મફત ટ્યુશન ક્લાસ ચલાવતા શિક્ષક તરીકે સામાન્ય કપડાં પહેર્યાં છે અને પોતાનો મેકઅપ ઘઉંવર્ણો રાખ્યો છે. સુપર ટીચર પર ક્યાંય સુપર સ્ટાર હાવી ન થઈ જાય તેનું ધ્યાન દિગ્દર્શક વિકાસ બહલે રાખ્યું છે. આનંદ કુમાર જેવા એક બ્રિલિયન્ટ ટીચરના હાથ નીચે ભણીગણીને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક પણ બની શકે, એ મુદ્દાવાળી ‘સુપર ૩૦’ને સહાયક થાય એવી એક વાસ્તવિક ઘટના ફિલ્મની રજૂઆતના બીજા સપ્તાહે બની... ભારતે અવકાશમાં ચંદ્રયાન મોકલ્યું!

એટલું જ નહીં, ચંદ્ર પર માનવીએ પ્રથમવાર પગ મૂક્યો તે દિવસને, જુલાઇની ૨૦મી તારીખે, ૫૦ વરસ થયાં હોવાથી પણ મીડિયામાં વૈજ્ઞાનિક ચર્ચાઓનો માહૌલ હતો. ચંદ્રમા વિશે આપણું યાન ત્યાંની જે માહિતીઓ લાવશે તેનો ઉપયોગ ભવિષ્યની અવકાશી સંભાવનાઓને વિકસાવવામાં મદદરૂપ થશે. પણ એ ભૌતિક લાભ સામે કવિઓની રચનાઓમાં ઓટ આવવાની શક્યતા વધી જવાની. કારણ કે ચંદ્રનું આપણી સંસ્કૃતિમાં આગવું સ્થાન છે. આપણે ત્યાં ‘કરવા ચોથ’ હોય કે ‘ઇદ’ ચાંદ જોયા વગર ક્યાં થાય છે? એટલે ગુલઝાર જેવા સર્જક માટે તો જાણે કે મોટું હથિયાર છીનવાઇ જવાનું.

ગુલઝારે ‘ચાંદ’ વિશેની કેટલી બધી કવિતાઓ લખી છે! તેમની ફિલ્મ ‘આંધી’ના એક ગીતમાં હીરો (સંજીવકુમાર) નાયિકા (સુચિત્રા સેન)ને સંબોધીને ગાય છે, “તુમ જો કહ દો તો આજ કી રાત ચાંદ ડૂબેગા નહીં, રાત કો રોક લો...” જાણે લાખો માઇલ દૂર રહેલો ચાંદો હીરોઇનનું કહ્યું માનવાનો હોય! (જો કે ફિલ્મની વાર્તાના સિચ્યુએશનની દ્દષ્ટિએ એ એક ખુબસૂરત કલ્પના હતી. નાયિકા ચૂંટણીની ઉમેદવાર છે અને રાજકીય મજબુરીઓને લીધે માત્ર રાત્રે મળી શકાતું હોઇ એ મુલાકાત વધુ લાંબી ચલાવવી એ હીરોઇનના હાથમાં હતું. પણ એ કહેવાનો અંદાજ કેટલો કવિત્વભર્યો!)

ગુલઝાર ચાંદને ક્યારેક ભીખ માંગવાનો ‘વાડકો’ પણ કહી ચૂક્યા છે. યાદ છે ને? તેમની પ્રથમ ફિલ્મ ‘મેરે અપને’માં નહીં લઈ શકાયેલું પણ લતાજીના રણકારવાળું આ ગીત, “રોજ અકેલી આયે, રોજ અકેલી જાયે, ચાંદ કટોરા લિયે ભિખારન રાત...” ગુલઝાર તેમની પ્રાઇવેટ કવિતાઓમાં પણ ચાંદને કેવી ફિલ્ડિંગ ભરાવે છે એના બે જ દાખલા બસ થઈ પડશે. એકમાં એ લખે છે, ‘બેસબબ (વગર કારણે) મુસ્કુરા રહા હૈ ચાંદ, કોઇ સાઝિશ છુપા રહા હૈ ચાંદ...’ એ જ રચનામાં આગળ એક તબક્કે એ એમ પણ કહે છે, ‘કૈસા બૈઠા હૈ છુપ કે પત્તોં મેં, બાગબાં કો સતા રહા હૈ ચાંદ...’

તો બીજી કવિતામાં પેલી ભિખારણ રાતને એ માલામાલ કરી બતાવે છે. તેમના બિનફિલ્મી કાવ્યસંગ્રહની એક કૃતિ ‘રાત, ચાંદ ઔર મૈં’માં ગુલઝાર લખે છે, ‘સિતારે ચાંદ કી કશ્તી મેં રાત લાતી હૈ, સહર (સવાર) આને સે પહલે બિક ભી જાતે હૈં’! ગુલઝાર જો કે ઑફબીટ રચનાઓના કવિ છે. પણ પરંપરાગત રીતે કવિઓની કલ્પનામાં ચંદ્ર એ રૂપનો પર્યાય ગણાયો છે અને ફિલ્મી શાયરો પણ મહદ અંશે એને અનુસર્યા છે.

જેમ કે ‘ચૌદહવીં કા ચાંદ હો યા આફતાબ (સૂર્ય) હો, જો ભી હો તુમ ખુદા કી કસમ લાજવાબ હો...’ એમ શકીલ બદાયૂનિ કહે છે. જ્યારે એસ એચ બિહારી ‘કશ્મીર કી કલી’માં શર્મિલા ટાગોરના સૌંદર્યનાં આવાં વખાણ કરે છે, ‘યે ચાંદ સા રોશન ચેહરા ઝુલ્ફોં કા રંગ સુનહરા, યે ઝીલ સી ગહરી આંખેં કોઇ રાઝ હૈ ઇનમેં ગહરા તારીફ કરું ક્યા ઉસકી જિસને તુમ્હેં બનાયા...’ (જો કે આવી તારીફ લખી હોવા છતાં આખા પિક્ચરમાં હીરોઇનના વાળ સુનહરા એટલે કે સોનેરી નહીં પણ કાળા જ હતા!) એ જ શાયર શમશુલ હુદા બિહારી ‘શર્ત’માં પ્રેમના અમરત્વનું આ યુગલ ગાન આપે છે, ‘ન યે ચાંદ હોગા ન તારે રહેંગે મગર હમ હમેશા તુમ્હારે રહેંગે...’

તો આનંદ બક્ષીએ માલાસિન્હાની ખુબસૂરતી માટે બે વાર ચાંદને યાદ કર્યો છે. તેમણે માલાજી માટે ‘હિમાલય કી ગોદ મેં’ ફિલ્મમાં મુકેશના કંઠે આપ્યું આ ગીત, ‘ચાંદ સી મેહબૂબા હો મેરી કબ ઐસા મૈંને સોચા થા, હાં તુમ બિલકુલ વૈસી હો જૈસા મૈંને સોચા થા...’ (આમાં ‘મેહબુબા’ શબ્દને મેહબુ અને પછી ‘બા’ ગવાય છે, તેને લીધે ‘બા હો મેરી કબ’ એમ પણ સાંભળી શકાય છે!) જ્યારે બક્ષીબાબુએ એજ હીરોઇન માલાસિન્હાના રૂપ માટે ‘ફુલ બને અંગારે’માં આપી આ અમર પંક્તિઓ, ‘ચાંદ આહેં ભરેગા, ફુલ દિલ થામ લેંગે, હુસ્ન કી બાત ચલી તો સબ તેરા નામ લેંગે...’. જ્યારે ‘પડોસન’માં રાજેન્દ્ર ક્રિશ્નએ હીરોઇનને આવી રીતે વર્ણવી હતી, ‘મેરે સામને વાલી ખિડકી મેં, ઇક ચાંદ કા ટુકડા રહતા હૈ...’ (ચંદ્ર પરથી અવકાશયાત્રીઓ પથ્થરના ટુકડા પણ લાવ્યા છે એ જોઇએ તો બ્યુટી ક્વીન સાઇરાબાનુને કેવો અન્યાય થાય!) એવું જ શૄગાર રસનું એક ચાંદ-ગીત ‘બરખા’માં હતું.

તેમાં સુહાગરાતે હીરો ગાય છે, ‘એક રાત મેં દો દો ચાંદ ખીલે, ઇક ઘૂંઘટ મેં ઇક બદલી મેં...’ (અહીં ‘બદલી’ એટલે નાની વાદળી સમજવાની છે... ‘બદલી વર્કર’વાળી બદલી નહીં!) ઘૂંઘટ ઓઢેલી નાયિકાને ચંદ્રની ઉપમા આપીને ‘ખુબસૂરત’માં ઉર્મિલા માતોંડકર અને સંજયદત્તનો દાંડિયા રાસ આપણા ગુજરાતી લેખક, દિગ્દર્શક અને કવિ સંજય છેલે લખેલા આ ગીતમાં હતો, ‘ઘૂંઘટ મેં ચાંદ હોગા, આંચલ મેં ચાંદની, ચુપકે સે દેખેગી, સાજન કો સજની...’. સંજુબાબાની એક ઓર ફિલ્મ ‘મુન્નાભાઇ એમબીબીએસ’માં અબ્બાસ ટાયરવાલાએ દૂર બેઠેલાં પ્રાકૃતિક તત્ત્વોની માનવી સાથેની સગાઇઓ આમ યાદ કરાવી હતી, ‘ચંદામામા સો ગયે, સૂરજ ચાચુ જાગે, દેખો પકડો યારોં ઘડી કે કાંટે ભાગે....’ ટૂંકમાં, ટપોરી ભાષામાં ‘સૂરજ ચાચુ’ છે અને ‘ચંદા મામુ’!

ચાંદામામાની લાગવગ પણ ‘ફના’ના આમીર ખાન જેવા પ્રેમીઓ ઇચ્છે અને ગાય પ્રસુન જોશીના આ શબ્દો, ‘ચાંદ સિફારીશ જો કરતા હમારી, દેતા વો તુમકો બતા...’ એવો જ સજીવારોપણ અલંકાર ‘હમ દિલ દે ચૂકે સનમ’માં શાયર મેહબૂબે પ્રયોજ્યો હતો જ્યારે તેમણે ચંદ્રમાને આ રીતે શરમાળ કહ્યો, ‘ચાંદ છુપા બાદલ મેં, શરમા કે મેરી જાના...’ તો એક તરફી પ્રેમને વર્ણવવા માટે ચંદા-ચકોરીનું દ્દષ્ટાંત ઇન્દીવરે ‘લાલ બંગલા’માં મુકેશજીના સ્વરના આ ગીતમાં આપ્યું હતું, ‘ચાંદ કો ક્યા માલૂમ ચાહતા હૈ ઉસે કોઇ ચકોર, વો બેચારા દૂર સે દેખે કરે ન કોઇ શોર...’

જ્યારે ‘દિલ એક મંદિર’માં ચાંદને શૈલેન્દ્ર કેવી વિનંતિ કરે છે, ‘રૂક જા રાત ઠહર જા રે ચંદા, બિતે ના મિલન કી બેલા, આજ ચાંદની કી નગરી મેં અરમાનોં કા મેલા...’ એ જ પ્રમાણે શૈલેન્દ્રના સાથીદાર હસરત જયપુરી પણ ‘લવ મેરેજ’માં મુનને વિનવે છે, ‘ધીરે ધીરે ચલ ચાંદ ગગન મેં, કહીં ઢલ ના જાયે રાત ટૂટ ન જાયે સપને...’ જો કે સપનું જોવું તો ‘યસ બોસ’ના શાહરૂખ જેવું કેમ નહીં?

એ અભિજિતના અવાજમાં ગાય છે, ‘ચાંદ તારે તોડ લાઉં...’! પણ એ પછીની જાવેદ અખ્તરે લખેલી પંક્તિને એમ કહી શકાય કે શાહરૂખે વાસ્તવિકતામાં બદલી બતાવી છે, ‘સારી દુનિયા પે મૈં છાઉં, બસ ઇતના સા ખ્વાબ હૈ...’ કેમ કે તે આ સપ્તાહે રજૂ થયેલા હોલીવુડના ચિત્ર ‘લાયન કિંગ’ની હિન્દી આવૃત્તિમાં તેના પુત્ર આર્યન સાથે છે. ડિઝની જેવી વિશ્વની ટોચની ફિલ્મ કંપનીમાં પોતે અને દીકરો આર્યન (સિમ્બા તરીકે) એ એનિમેશન ફિલ્મ માટે ડબીંગ કરે, એ દુનિયા પર છવાવાથી કે ચાંદ-તારા તોડી લાવવાથી ક્યાં કમ સિધ્ધિ છે?

અને છેલ્લે, શાહરૂખનું ‘કભી ખુશી કભી ગમ’નું પેલું ચાંદ-ગીત ‘સૂરજ હુઆ મધ્ધમ, ચાંદ પીઘલને લગા, આસમાં યે હાયે ક્યૂં પીઘલને લગા, મૈં ઠહરા રહા જમીં ચલને લગી...’ યાદ કરીએ. એ મીઠડું ગાયન જ્યારે સાંભળીએ ત્યારે ગમી જાય એવા સરસ તેના શબ્દો છે. તો કહો, તેના કવિ કોણ છે, ગુલઝાર, જાવેદ અખ્તર, સમીર કે અન્ય કોઇ? ઇન્ટરનેટ કે ગૂગલમાં તપાસ્યા વિના કહી શકો તો ચાંદો તો ઠીક, સિતારા પણ તમારા!

તિખારો!
ચંદ્ર પર નીલ આર્મસ્ટ્રોંગે સૌ પ્રથમ પગ મૂક્યો હતો એ ઘટનાના દિવસોમાં આપણા શ્રેષ્ઠતમ ગુજરાતી કવિઓ પૈકીના એક હરીશ મીનાશ્રુએ પોતાના એક લેખમાં આવી બેમિસાલ ઉપમા આપી હતી, “નીલ આર્મસ્ટ્રોંગના પગલા જેવી એકલતા...”!

સાભાર

લેખન :-
સલિલ દલાલ

Wednesday, July 17, 2019

પ્લાસ્ટિક બોટલ સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે...

આજની ફાસ્ટ લાઈફ અને મુસાફરીમાં લોકો પાણી સાથે રાખવાની ઝંઝટથી મુક્તિ મેળવવા માટે અને ધાતુના ડબ્બાના વજનથી મુક્તિ મેળવવા માટે બહાર જઈને પાણીની બોટલ કે પ્લાસ્ટિકના ડબ્બા ખરીદી લેતા હોય છે. પણ આમાંથી કેટલીક પ્લાસ્ટિક બોટલ કે ડબ્બા એટલા ખતરનાક હોય છે કે સમાન્ય તડકામાં પણ તેમાં રહેલું પાણી કે ખોરાક સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ જાય છે. જેનાથી ફૂડ પોઈઝનિંગ જેવી સમસ્યા પણ થઈ શકે છે. આના માટે તમારે બોટલ પર બનાવેલા નિશાન કે લેબલને ઓળખવાની જરુર છે.

2/8પ્લાસ્ટિકની બોટલ અને ડબ્બા
તેનું એક કારણ એ પણ હોય છે કે, તેના નુકસાનથી બચવા માટેનો એક શ્રેષ્ટ માર્ગ એ છે કે તેનો ઉપયોગ બંધ કરી દો પણ તે શક્ય નથી. પણ આ પ્રકારની પ્લાસ્ટિકની બોટલમાં રાખેલા સામાનના પ્રયોગ વિશે તેનું લેબલિંગ કરવામાં આવ્યું હોય છે, જાણી લો તેનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ.

3/8લેબલિંગનો અર્થ
મોટાભાગના લોકો પ્લાસ્ટિકની બોટલ કે ડબ્બા પર લગાવેલા લેબલને વાંચવાની તસદી નથી લેતા અને કંપની જોઈને આંધળો વિશ્વાસ કરી લે છે. જેમ કે પ્લાસ્ટિકની બોટલ પર લખવામાં આવેલા નંબર-1 અને PET ગંભીર નિશાની છે પણ બહુ ઓછા લોકોને તેનું નોલેજ હશે અને તેઓ પાણીની બોટલ ખોલીને સીધું પાણી પીવાનું શરુ કરી દેતા હશે.

4/8નંબર 1ની સાથે PET લખ્યું હોય તેનો અર્થ


આવી પ્લાસ્ટિકની બોટલ જ્યારે ઓક્સિજનના સંપર્કમાં આવે અથવા ગરમ વાતાવરણ (તડકામાં) આવે તો રાસાયણિક પ્રક્રિયા થવાથી ટોક્સિન બને છે. આ ટોક્સિક ઘણી રીતે તમારા શરીરને નુકાસન પહોંચાડે છે. પણ તેના તાત્કાલિક પ્રભાવમાં તમને ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે, જ્યારે લાંબા સમયના ઉપયોગથી કેન્સર પણ થઈ શકે છે.


5/83, 6 અને 7 લખ્યું હોવાનો ખતરો
જે બોટલ પર 3, 6 કે 7 લખ્યું હોય તેવી બોટલ્સ કે કન્ટેનરમાં ખાવા પીવાનો સામાન રાખવો બીલકુલ સુરક્ષિત નથી. ઘણાં લાંબા સમય સુધી તેનો ઉપયોગ તમને બીમાર કરી શકે છે. આ બીમારી પણ શોર્ટ ટર્મની નથી હોતી અને જીવનભર તમારે તેને ભોગવવી પડે છે.

6/82, 4 અને 5 લખેલું લેબલ
પોલિથિલીન (2 અને 4 લેબલ) અને પોલીપ્રોપેઈન (5 અને પીપી લેબલ)થી બનેલી બોટલ્સ તમારા માટે સુરક્ષિત છે. તમારા સામાનને સ્ટોર કરવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. માટે જ્યારે પણ ખાવા-પીવાની વસ્તુ ખરીદો ત્યારે તેના પ્લાસ્ટિકનું લેબલિંગ આમાંથી કોઈ એક નંબરનું છે કે નહીં તે જરુર ચકાસવું જોઈએ.

7/8સાવધાની જરુરી
કેટલાક લોકો સેફ્ટીવાળી પાણીની બોટલને ધોયા કે સાફ કર્યા વગર વારંવાર તેનો ઉપોયગ કરે છે જેના કારણે વારંવાર અલગ-અલગ હાથના સ્પર્શના કારણે બોટલ પર ખતરનાક બેક્ટેરિયા એકઠા થઈ જાય છે. રિસર્ચ કહે છે કે આ બોટલ એટલી ગંદી થઈ જાય છે કે ટોઈલેટ શીટ પર પોતાનો હાથ સ્પર્શ કર્યા પછી સીધું જમવા બેસી જવું.

8/8આટલું ધ્યાન રાખો
આ પ્રકારની તકલીફથી બચવા માટે બોટલને હુફાળા પાણી અને સાબુનો ઉપયોગ કરીને સાફ કરો. આવી બોટલની સફાઈ દરમિયાન તેની કેપ અને બોટલના મોઢાની પણ સારી રીતે સફાઈ કરો નહીં તો સફાઈ પછી પણ ગંભીર બીમારી થઈ શકે છે. આ સાથે બોટલને મોઢેમાંડીને પાણી પીવાની આદત હોય તો તેની સફાઈનું વધુ ધ્યાન રાખવું જોઈએ અને બોટલ શેર કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ.

સાભાર :-iamgujarat.com

Sunday, July 7, 2019

ખારાઇ ઊંટ


દુનિયાના એકમાત્ર તરી શકતા ઊંટની પ્રજાતિ નામશેષ થઈ રહી છે. ઊંટની આ જાતિના હાલ 3500 ઊંટ બચ્યા છે. તેમને બચાવવા હોય તો કચ્છના રણના ટાપુ પર તેમને જવાદેવા અને પાણીમાં તરતા રહે તે માટે મંજૂરી આપવી જોઈએ. તો જ તે બચી શકે તેમ છે. ખારાઈનો અર્થ ગુજરાતમાં મીઠું થાય છે. 3 કિલોમીટર દરિયામાં તરી શકે છે. તેઓ ખારા પાણીમાં થતાં ચેરના વૃક્ષોના પાન કે વનસ્પતિને ખાઈને જીવે છે. રબારી અને જાટ લોકો પાળે છે. દરિયાનું પાણી પીને જીવિત રહી શકે છે. 2012માં 4000 ઊંટ હતા. દરિયાઈ વૃક્ષ ચેર કે ચેરીયાનો ઘટાડો થવાથી ઊંટને ખોરાક મળતો નથી. ઊંટનુ દૂધ ડાયાબિટીસ મટાડી શકે છે.

ગુજરાતમાં પ્રાણીઓની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા નથી.ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા આ ઊંટને પાણીમાં તરવાની મંજુરી અપાઇ નથી. આથી આ પ્રકારની જાતિ નામશેષ થઇ રહી હોવાનો દાવો કેન્દ્રિય પ્રધાન મેનકા ગાંધીએ કર્યો છે. તેમના મતે ખરા 3500 ઊંટ બચ્યા છે. રણ અને પાણીના વહાણ એવા ઊંટની મોટા પાયે દાણચોરી થાય છે કાંતો કતલ કરવામાં આવે છે. ઊંટનું માંસ ખાવા લાયક નથી છતાં તેની હત્યા કરવામાં આવી રહી છે. રોજના 50 ઊંટ પાકિસ્તાન લઈ જવાતા હોવાનો સનસનીખેજ ઘટસ્ફોટ મેનકા ગાંધીએ કર્યો હતો. BSF ઊંટોને 16 વર્ષ વાપરીને હરાજી કરે છે.


ખારાઈ ઊંટએ દરિયાનું જહાજ છે. કારણ કે તે પાણીમાં તરીને કચ્છની કોરી ક્રિક કે એવી બીજી ખાડીઓ પાર કરીને પાકિસ્તાનમાં ઘુસી શકે છે. ગુજરાતની કચ્છ સરહદ ખાડીઓ તેમજ ટેકરાઓથી ભરેલી છે. દરેક સરહદોમાં અવર-જવર કરવા માટે તેના રસ્તાને અનુરૂપ સાધનોની જરૂર હોય છે. પૂર્વમાં બોટ, કાશ્મીરમાં ઘોડા તો રાજસ્થાનમાં ઊંટને વાહન તરીકે લશ્કરને જરૂર પડે છે. રાજસ્થાન તેમજ ગુજરાતની મળીને 1040 કિ.મી.ની સરહદ પર બીએસએફ ઊંટ પર બેસીને ભારતમાં ઘુસણખોરી અટકાવવા કે હુમલા સામે ચોકી કરે છે. સરહદથી શસ્ત્રો તેમજ ડ્રગ્સ ઘૂસાડવાનો પ્રયાસ બંને બાજુએથી કરવામાં આવે છે. બીએસએફ કે કોઈ સરકારી એજન્સી ઊંટનો ઉછેર નથી કરતી. ગામડામાં ભરાતા પશુમેળામાંથી ઊંટ ખરીદી લે છે. 21 દિવસ સુધી તેને અલગ રખાય છે. પછી તેને રોગમુક્ત રાખવા રસી આપવામાં આવે છે. ત્યારબાદ તેમને જોધપુર ટ્રેનીંગ કેમ્પમાં મોકલવામાં આવે છે. માઇલો સુધીની મુસાફરી કરાવે છે. ઊંટ રેતી પર તેમજ ઘાસ પર ઝડપથી દોડી શકે છે. તેમનામાં સૂંઘવાની શક્તિની સાથે દિશા પારખવાની અદભુત આવડત છે. તે ડસ્ટ સ્ટોર્મ (રેતીના તોફાન) દરમ્યાન પણ દિશા શોધી શકે છે તેમજ નાઇટ પેટ્રોલીંગ પણ કરી શકે છે.

બીએસએફ તેમજ દેશની સુરક્ષા માટે ઊંટ મહત્ત્વનું બની ગયું છે. ઊંટનો ઉપયોગ માત્ર પેટ્રોલીંગ માટે નથી થતો પણ મેલ, ગેસ, સિલીન્ડર, મેડીસીન વગેરેનો પૂરવઠો સપ્લાય કરવા માટે પણ થાય છે. સરહદ પરના લશ્કરી કેમ્પોમાં તે ખોરાક પહોંચાડે છે. રણમાં વાહન ના જઈ શકે ત્યાં ઊંટ જઇ શકે છે. વાહનો ફસાઈ જાય તો તેને રેતીમાંથી બહાર કાઢવા માટે પણ ઊંટનો ઉપયોગ થાય છે. કચ્છ અને સિંધ વચ્ચેની 700 કિ.મી. વિસ્તારની સરહદ પર ગુનાખોરીની પ્રવૃત્તિ મોટા પાયે ચાલે છે.  છેલ્લા 10 વર્ષથી ઊંટની મોટાપાયે દાણચોરી થાય છે.  ઘણાં ઓછા ઊંટ વેચાવા માટે આવે છે. જે હોય છે તે બહુ મોંઘી બની રહ્યા છે. પુરૃષ ઊંટની સંખ્યા ઘટી રહી છે. બીએસએફને 1276 ઊંટની જરૃર છે જ્યારે તેમની પાસે માત્ર 531 ઊંટો છે. રાજસ્થાનની સરકારે ઊંટને તેમની સરહદની બહાર લઇ જવા પર પ્રતિબંધ લાદ્યો છે. તેમ છતાં 16 ઊંટો ભરેલી ટ્રકની રોજ દાણચોરી થાય છે. એક ઊંટની કિંમત 1 લાખ છે. ગરીબ ખેડૂતો તે ખરીદી ન શકે છતાં ખેડૂતોના નામે ખરીદી થઈ રહી છે. તે બધા ઊંટ શું સરહદ પાર પાકિસ્તાનમાં જઈ રહ્યાં છે ? સેંકડો ઊંટોને બાંગ્લાદેશ મોકલવામાં આવે છે. ઊંટોની હત્યા કરી દેવામાં આવી રહી છે. દેશમાં 10 લાખ ઊંટ હજા હવે 40 હજાર રહ્યા છે. ઇન્ટરનેશનલ એજન્સીઓએ જાહેર કર્યું છે કે ભારતના ઊંટ હવે લુપ્ત થતી જાતિઓમાં આવી જશે.


ઊંટની વ્યૂહાત્મક રીતે હત્યા કરવામાં આવે છે. જેથી સરહદ પરથી દુશ્મનો અને દાણચોરોની ઘૂસણખોરી સરળતાથી થઈ શકે. ભારત પાક વચ્ચે યુદ્ધ થાય તો પાણીમાં તરતાં ઊંટ ન રહે. બીએસએફ તેની સેનામાં 5 વર્ષમાં ઊંટ લાવી નહીં શકે. ભારતના બીએસએફને નબળી પાડવાની આ એક વ્યૂહાત્મક ચાલ છે.  

9 એપ્રિલ 1965માં પાકિસ્તાને કચ્છની સરદાર પોસ્ટ, છાર બેટ અને બેરીયા બેટ પર હુમલો કર્યો હતો. ગુજરાત ઊંઘતું હતું. યુદ્ધ માટે સરહદ તૈયાર ન હતી. હવે, પાકિસ્તાન રણની દિશામાંથી હુમલો કરે તો રણના વાહન ઊંટની અછતથી જોખમ ઊભું થઇ શકે છે.

ઊંટનું દૂધ મેડિસીનલ પ્રોડક્ટ છે. દુબઇથી રૂ. 500નું એક લિટર દૂધ બ્લેકમાં મંગાવાય છે ત્યારે ગુજરાતમાં ઊંટના દૂધનો ઉદ્યોગ તરીકે વિકાસ થઇ શકે તેમ છે. હાલ અમૂલ ડેરી દ્વારા આ દૂધની ચોકલેટ બનાવાય છે. 200 મિલિ ઊંટનું દૂધ રોજ પીવાથી ડાયાબિટીસના દર્દીએ ઇન્સ્યુલીનનું ઇન્જેક્શન લેવું પડતું નથી. કચ્છ ડેરી દ્વારા ઊંટનુ દૂધ પાઉચ પેકમાં મળતું થયું છે. ગુજરાતમાં 33000 ઊંટ છે. કચ્છમાં કુલ 1200 ઊંટ છે.

દેશમાં 2008માં ઊંટોની સંખ્યા 10 લાખ હતી, 2012માં 4 લાખ અને હાલ 2015માં 1 લાખ ઊંટ હતા. પ્રતિ લીટર ઈંસુલીનનું પ્રમાણ 52 યુનિટ છે. આ પ્રમાણે એક ડાયાબિટીસના દર્દીને જરૂરી ઈંસુલીનનું પ્રમાણ 60 ટકા છે. ઓટિજમથી પીડીત બાળકો ઉપર ઊંટડીનાં દૂધના સેવનની સારી અસર થાય છે. સદીઓથી આ પશુપાલકોના સહાયક રહ્યાં છે. પહેલા જ્યારે ભરવાડ ઊંટોને દૂર-દૂર ચરાવા લઈ જતા ત્યારે તે માત્ર ઊંટડીનું દૂધ પીને જ જીવતા હતા.

સાભાર : વનવગડો ગ્રુપ

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...