Thursday, December 24, 2020

શ્રીમદ ભગવદ્ ગીતા




માગશર સુદ એકાદશી - ગીતા જયંતિ

**''શ્રીમદ ભગવદ્ ગીતા''ની વિશિષ્ટતાઓ**

''શ્રીમદ્ ભગવદ્ ગીતા'' - આપણા આ સમગ્ર વિશ્વમાં એકમાત્ર ધર્મગ્રંથ (પુસ્તક) છે જેની છેલ્લાં 5200 વર્ષથી જન્મજયંતી ભારતભરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે.

ભાગ્યે જ કોઈ ભારતીય હશે કે જેણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું નામ ન સાંભળ્યું હોય!! ગીતા જ્ઞાાન એ ગાગરમાં સાગર છે. જ્ઞાનનો આખેઆખો રસપ્રચુર મધપૂડો છે. માનવીના જીવનનું એકપણ ક્ષેત્ર એવું નથી કે જેમાં ગીતા જ્ઞાાન ઉપયોગી ન બનતું હોય!! ગીતાની એટલી બધી વિશિષ્ટતાઓ છે કે જેનું વર્ણન કરવા બેસીએ તો પાર ન આવે. એમાંની ખાસ ખાસ કેટલીક વિશિષ્ટ વાતો આજે રજૂ કરવાનો ઉપક્રમ છે. આવો આ ખાસિયતો જાણીએ.

(૧) ''શ્રીમદ્ ભગવદ્ ગીતા'' - એટલે શ્રી ભગવાને ગાયેલું ગીત.

(૨) મહાભારતના કુલ ૧૮ (અઢાર) પર્વ છે. જેમાં છઠ્ઠો પર્વ ભીષ્મપર્વ છે. ભીષ્મપર્વના અધ્યાય નંબર ૨૫ થી ૪૨ના કુલ ૮ અધ્યાય એટલે જ ગીતા.

(૩) સૌપ્રથમ શ્રી વિષ્ણુ ભગવાન થયા. તેમની નાભિમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માના માનસ પુત્ર શ્રી વશિષ્ઠ ઋષિ થયા, તેમના શક્તિ,
શક્તિના પારાશર, પારાશર અને મત્સ્યગંધાના મિલનથી થયા વેદવ્યાસ - જેમનું સાચું નામ શ્રીકૃષ્ણ બાદરાયણ (દ્વૈપાયન) વ્યાસ - જે ૧૮મા છેલ્લા વેદવ્યાસ હતા તેમણે ગીતાને છંદબદ્ધ શ્લોકોમાં રૃપાંતર કરી ગીતા લખી. વેદવ્યાસને વંદન.

(૪) ગીતા માત્ર ૪ (ચાર) વ્યક્તિ વચ્ચેનો સંવાદ છે. ધૃતરાષ્ટ્ર, સંજય, અર્જુન અને શ્રીકૃષ્ણ ભગવાન. સંજય ધૃતરાષ્ટ્રના સારથિ હતા જે વિદ્વાન ગવલ્ગણ નામના સારથિના પુત્ર હતા. શ્રીકૃષ્ણ અર્જુનના સારથિ હતા. સંજયને વેદવ્યાસે દિવ્યદૃષ્ટિ આપી હતી તો વિરાટરૃપનાં દર્શન કરવા શ્રીકૃષ્ણ અર્જુનને દિવ્યદૃષ્ટિ આપે છે. બન્ને બાજુ સારથિ - બન્ને બાજુ દિવ્યદૃષ્ટિ. કેવો યોગાનુયોગ.

(૫) ગીતામાં કુલ ૭૦૦ (સાતસો) શ્લોક છે જે પૈકી
574 શ્લોક શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા છે,
84 શ્લોક અર્જુન બોલ્યા છે,

41 શ્લોક : સંજય અને માત્ર ૧ (એક) શ્લોક
ધૃતરાષ્ટ્ર બોલ્યા છે.

(૬) ગીતાના ૧૮ અધ્યાય છે, ૭૦૦ શ્લોકો છે, ૯૪૧૧ શબ્દો છે, ૨૪૪૪૭ અક્ષરો છે. શ્રીકૃષ્ણ ઉવાચ - ૨૮ વખત, અર્જુન ઉવાચ - ૨૧ વખત, ધૃતરાષ્ટ્ર ઉવાચ ૦૧ એમ કુલ મળી - ૫૯ વખત ઉવાચ આવે છે. સંજય ઉવાચ - ૯ વખત આવે છે.

(૭) ઈ.સ. પૂર્વે ૩૧૦૨ વર્ષ પહેલાં શ્રીકૃષ્ણે ગીતા અર્જુનને કહી તે યુદ્ધ કરવા, યુદ્ધના મેદાનમાં કહી અને એ ઉપદેશ જ હિન્દુ ધર્મનો મહાન ધર્મગ્રંથ
બની ગયો એ બાબત સમગ્ર વિશ્વના બધા ધર્મગ્રંથોમાં માત્ર અને માત્ર એક જ કિસ્સો છે.

(૮) આખી ભગવદ્ ગીતામાં ''હિંદુ'' શબ્દ એક પણ વખત આવતો નથી - તે હિંદુ ધર્મનો ધર્મગ્રંથ હોવા છતાં પણ. એ જ સાબિત કરે છે કે ગીતા વૈશ્વિક ધર્મગ્રંથ છે.

(૯) શ્રીમદ્ ભગવદ્ ગીતા - એ એવો એક ધર્મગ્રંથ છે જેનો અનુવાદ ભાષાંતર વિશ્વની તમામે તમામ ભાષાઓમાં થયું છે.

(૧૦) શ્રી હેમચંદ્ર નરસિંહ લિખિત શ્રી ગીતાતત્ત્વ દર્શનમાં ગીતાના કુલ ૨૩૩ પ્રકાર છે, જેમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા મુખ્ય છે. અનુગીતા, અવધૂત ગીતા,
અષ્ટાવક્ર ગીતા, પાંડવગીતા, સપ્તશ્લોકી ગીતા જેવા ૨૩૩ ગીતા પ્રકાર છે.

(૧૧) ભક્તિના કુલ ૯ (નવ) પ્રકાર છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. આ નવેનવ પ્રકારની ભક્તિનું વર્ણન, વ્યાખ્યા શ્રીમદ્ ભગવદ્ ગીતામાં છે.

(૧૨) ગીતાના દરેક અધ્યાયના અંતે અધ્યાય પૂરા થયાની નોંધ માટે જે પંક્તિ આવે છે તેને પુષ્પિકા કહે છે જે મુજબ ગીતા બ્રહ્મવિદ્યા છે, યોગનું શાસ્ત્ર છે, આવી અઢાર પુષ્પિકાના કુલ શબ્દો ૨૩૪ છે
અને તેના કુલ અક્ષરો ૮૯૦ છે.

(૧૩) શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્રદ્ધાનો, ભક્તિનો, ધર્મનો અને સત્યનો એવો આધારસ્તંભ છે કે
આપણા દેશની તમામ અદાલતોમાં પણ તેના ઉપર હાથ મૂકી સોગંદ લે પછી સત્ય જ બહાર આવશે તેટલી અધિકૃતિ મળેલી છે, આવું વિશ્વમાં બીજે ક્યાંય નથી!!

(૧૪) ગીતા યોગશાસ્ત્રવિદ્યા છે. ગીતામાં કુલ ૧૮ અધ્યાયના ૧૮ યોગ તો છે જ જે તેના શીર્ષકમાં આવે છે જેમકે ભક્તિયોગ, કર્મયોગ સાંખ્ય યોગ. આ ઉપરાંત અભ્યાસયોગ, ધ્યાનયોગ બ્રહ્મયોગ જેવા કુલ ૩૦ (ત્રીસ) યોગો ગીતામાં છે.

(૧૫) ગીતાના પહેલા અધ્યાયના પહેલા શ્લોકનો પહેલો શબ્દ ધર્મક્ષેત્ર છે, જ્યારે છેલ્લા અધ્યાયના છેલ્લા શ્લોકનો છેલ્લો શબ્દ 'મમ' છે. અર્થાત્ મારું ધર્મક્ષેત્ર કયું? તો ૧ થી ૭૦૦ શ્લોક વચ્ચે જે આવે છે. વેદવ્યાસનો શબ્દસુમેળ કેવો અદ્ભુત છે!!

(૧૬) સમગ્ર ગીતાનો સાર શું છે? ગીતા શબ્દને ઉલટાવીને વાંચો. તાગી. જે આસક્તિનો ત્યાગ કરે છે તે જ પ્રભુને પામી શકે છે. મહાત્મા ગાંધીજીએ એટલે જ ગીતા વિશે જે પુસ્તક લખ્યું છે તેનું ચોટડૂક શીર્ષક 'અનાસક્તિ યોગ' આપ્યું છે.
ઉપનિષદમાં પણ કહ્યું છે : ત્યેન ત્યક્તેન ભુંજિથા - ત્યાગીને ભોગવો.

(૧૭) ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ - ચાર વેદો છે પણ ગીતાને પાંચનો વેદ કહેવાય છે.

(૧૮) મહાભારતના પર્વ ૧૮ છે, ગીતાના અધ્યાય ૧૮ છે. સરવાળો ૯ થાય છે. ૯ એ પૂર્ણાંક છે. 'શ્રીમદ્ ભગવદ્ ગીતા'ના કુલ અક્ષરો પણ ૯ થાય છે.
ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણનાં કુલ ૧૦૮ નામ છે, કુલ ૧૦૮ સુવાક્યો છે, ગીતાને સંસ્કૃતમાં શ્લોકબદ્ધ કરનાર 'શ્રીકૃષ્ણ દ્વૈપાયન વ્યાસ'નું નામ પણ ૯ અક્ષરનું છે, ગીતામાં 'યોગ' શબ્દ ૯૯ વખત આવે છે, ગીતામાં કુલ ૮૦૧ વિષયોનું વર્ણન છે, યોગ માટે ૫૪ શ્લોકો છે, ગીતામાં ભગવાન પોતાની વિભૂતિઓનું વર્ણન કરે છે જેમકે વૃક્ષોમાં હું પીપળો છું, નદીઓમાં હું ગંગા છું - તો ગીતામાં આવી કુલ મળી ૨૩૪ વિભૂતિઓનું વર્ણન છે. ગીતામાં કુલ ૯૦
(નેવું) વ્યક્તિઓનાં નામોનો ઉલ્લેખ છે.

જેમકેઃ નારદ, પ્રહલાદ, ભૃગુ, રામ વગેરે. આ
તમામનો સરવાળો ૯ થાય છે એટલું જ નહિ ગીતાનાં કુલ ૧૮ નામ છે જેનો સરવાળો પણ ૯ થાય છે. ૯નું અદભુત સંકલન અહીં જોવા મળે છે.

(૧૯) ગીતાના ૭૦૦ શ્લોકો છે જેમાં વર્ણવાર ગણતરી કરતાં સૌથી વધુ ૧૦૩ શ્લોકો 'ય' - અક્ષર ઉપરથી શરૃ થાય છે જ્યારે બીજા નંબરે 'અ' - ઉપર ૯૭ શ્લોકો છે.

(૨૦) શ્રીમદ્ ભગવદ્ ગીતામાં આત્મા શબ્દ ૧૩૬ વખત, જ્ઞાન શબ્દ ૧૦૮ વખત, યોગ શબ્દ ૯૯ વખત, બુદ્ધિ અને મન ૩૭ વખત બ્રહ્મ - ૩૫ વખત, શાસ્ત્ર શબ્દ - ૪ વખત, મોક્ષ શબ્દ - ૭ વખત અને ઈશ્વર-પરમેશ્વર શબ્દ - ૬ વખત આવે છે. ધર્મ શબ્દ ૨૯ વખત આવે છે.

(૨૧) સમગ્ર ગીતાસાર અધ્યાય ૨ માં આવી જતો હોવાથી અધ્યાય ૨ ને ''એકાધ્યાયી ગીતા'' કહેવામાં આવે છે.

(૨૨) અધ્યાય નં. ૮ શ્લોક નં. ૯, ૮/૧૩, ૯/૩૪, ૧૧/૩૬, ૧૩/૧૩, ૧૫/૧ અને ૧૫/૧૫ = આ ૭
શ્લોકને 'સપ્તશ્લોકી ગીતા' કહે છે.

(૨૩) શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠમાં મંત્ર, ઋષિ, બીજ, છંદ, દેવતા અને કીલક આ ૬ મંત્રધર્મનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ફળ માટે ગીતામાહાત્મ્યનો પણ ખાસ મહિમા છે.

(૨૪) ગીતાના ૧ થી ૬ અધ્યાયમાં કર્મ, ૭ થી ૧૨ અધ્યાયમાં ભક્તિ અને ૧૩ થી ૧૮ અધ્યાયમાં જ્ઞાનનો વિશેષ મહિમા છે.

(૨૫) કોઈપણ ધર્મના સિદ્ધાંતોને વેદ- ઉપનિષદ-ભગવદ્ ગીતા આ ત્રણનો આધાર લઈ શાસ્ત્રોક્ત રીતે સાબિત કરવામાં આવે છે તેને પ્રસ્થાનત્રયી કહે છે જેમાં ગીતાનું સ્થાન મોખરે આવે છે. ધર્મની એકપણ ગૂંચવણ એવી નથી કે જેનો ઉકેલ ભગવદ્ ગીતામાં ના હોય!!

(૨૬) ગીતાના ૭૦૦ શ્લોકો પૈકી ૬૪૫ શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે. બાકીના ૫૫ શ્લોકો ત્રિષ્ટુપ, બૃહતી, જગતી, ઈન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા વગેરે અલગ અલગ છંદોમાં આવે છે.

(૨૭) ગીતાએ આપણને એના પોતીકા સુંદર શબ્દો આપ્યા છે. લગભગ આવા શબ્દોની સંખ્યા ૧૦૦ થવા જાય છે જે પૈકી ઉદાહરણ તરીકે ૧૦ શબ્દો અત્રે પ્રસ્તુત છે.
અનુમંતા, કાર્પણ્યદોષ, યોગક્ષેમ, પર્જન્ય, આતતાયી, ગુણાતીત, લોકસંગ્રહ, ઉપદૃષ્ટા, છિન્નસંશય, સ્થિતપ્રજ્ઞા

(૨૮) સમગ્ર વિશ્વમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા - એ એકમાત્ર એવો ધર્મગ્રંથ છે જેની ભક્તો વિધિસર પૂજા કરે છે.

(૨૯) ગીતામાં કુલ ૪૫ શ્લોકો તો એવા છે કે જેની પંક્તિઓ એક સરખી હોય, શ્લોક બીજી વખત આવ્યો હોય કે શ્લોકના ચરણની પુનરૃક્તિ-પુનરાવર્તન થયું હોય. જેનાં કેટલાંક ઉદાહરણો અત્રે આપેલ છે :

♥ અધ્યાય/શ્લોક ♥
૩/૩૫
૬/૧૫
૯/૩૪
૧૮/૪૭
૬/૨૮
૧૮/૬૫

(૩૦) એકલી ગુજરાતી ભાષામાં જ શ્રીમદ્ભ ભગવદ્ ગીતા વિષે અલગ અલગ સમજૂતી આપતાં, ટીકા- ટીપ્પણી કરતાં ૨૫૦ પુસ્તકો હાલ ઉપલબ્ધ છે જે દર્શાવે છે કે આ ગ્રંથ કેટલો મહાન છે, આવાં ખૂબજ લોકપ્રિય પુસ્તકોના ઉદાહરણરૂપ ૧૦ લેખકો અત્રે પ્રસ્તુત છે

[૧] મહાત્મા ગાંધીજી - અનાસક્તિ યોગ
[૨] વિનોબા ભાવે - ગીતા પ્રવચનો
[૩] પાંડુરંગ દાદા- ગીતામૃતમ્
[૪] એસી ભક્તિ વેદાંત - ગીતા તેના મૂળરૃપે
[૫] કિશોર મશરૃવાળા - ગીતા મંથન
[૬] પં. સાતવલેકરજી - ગીતાદર્શન
[૭] ગુણવંત શાહ - શ્રીકૃષ્ણનું જીવન સંગીત
[૮] શ્રી અરવિંદ - ગીતાનિબંધો
[૯] રવિશંકર મહારાજ - ગીતાબોધવાણી
[૧૦] કાકા કાલેલકર - ગીતાધર્મ

(૩૧) આજે શ્રીમદ્ ભગવદ્ ગીતા-ને કુલ ૫૧૧૮
વર્ષ થયા છતાં ગીતામાં દર્શાવેલા ધર્મસિદ્ધાંતોનું
- મતનું કોઈએ પણ કોઈ ખંડન કર્યું નથી તે જ
દર્શાવે છે કે ગીતા સર્વમાન્ય ગ્રંથ છે.

(૩૨) ગીતાનું મૂળ બીજ બીજા અધ્યાયનો અગિયારમો શ્લોક છે. આ શ્લોકથી જ ભગવદ્ ગીતાની શરૃઆત થાય છે. ગીતાની પૂર્ણાહૂતિ અઢારમા અધ્યાયના ત્રેસઠમા શ્લોકમાં 'ઈતિ'થી થાય છે - જે સમાપ્તિસૂચક શબ્દ છે. માગશર સુદ - અગિયારસના રોજ શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને ગીતા કહેવામાં આવી.

(૩૩) ગીતાનો સૌથી શ્રેષ્ઠ મંત્ર તજજ્ઞોની દૃષ્ટિએ અઢારમા અધ્યાયનો છાસઠમો શ્લોક છે જેમાં શ્રીકૃષ્ણ સ્વયં પોતાના મુખેથી જણાવે છે કે હું તને સર્વ પાપોથી છોડાવીશ તેમાં તું સહેજ પણ શોક ન કર. ગીતાનો સાર પણ આ જ શ્લોકમાં છે. અર્થાત્ વિશ્વાસ એ જ વિશ્વનો શ્વાસ છે.

(૩૪) ગીતાના બધા શ્લોકો મંત્ર છે, શ્રેષ્ઠ છે પરંતુ ગીતાભક્તોની દૃષ્ટિએ, આલોચકોની દૃષ્ટિએ, વિદ્વાનોની દૃષ્ટિએ સમગ્ર ૭૦૦ શ્લોકોમાંથી ટોપ ટેન ૧૦ શ્લોકો નીચે પ્રમાણે છે. પ્રથમ આંક અધ્યાય દર્શાવે છે, બીજો આંક શ્લોક નંબર દર્શાવે છે. (દરેક શ્લોક શ્રેષ્ઠ હોઈ મુમુક્ષુઓની પસંદગી અલગ અલગ હોઈ શકે)

૨/૨૩, ૩/૩૫, ૪/૭, ૨/૪૭, ૬/૩૦, ૯/૨૬, ૧૫/૫,
૧૭/૨૦, ૧૮/૬૬, ૧૮/૭૮

(૩૫) ગીતાના અઢારમા અધ્યાયનો છેલ્લો શ્લોક એટલો મર્મસભર, ગીતસભર છે કે ન પૂછો વાત!! આ શ્લોકમાં '૨' અક્ષર કુલ ૧૩ વખત આવે છે, ય અક્ષર ૪ વખત આવે છે, ત્ર અક્ષર ૩ વખત આવે છે, ધ અક્ષર ૩ વખત આવે છે છતાં છંદ જળવાય છે અને એટલું મધુર સંગીત સહજ ઉત્પન્ન થાય છે કે વારંવાર આ શ્લોક બસ ગાયા જ કરીએ. તમે પણ પ્રયત્ન કરી જુઓ - વારંવાર ગાવા લલચાશો. આવા વારંવાર ગમી જાય, ગાવા માટે ઉત્સુકતા રહે તેવા ઉદાહરણરૃપ પાંચ શ્લોકો નીચે મુજબ છે.એકવાર તો ગાઈ જુઓ!
૪/૭, ૬/૩૦, ૯/૨૨, ૧૫/૧૪, ૧૮/૭૮

(૩૬) ગીતામાં ગણિતનો પણ અદભુત પ્રયોગ શ્રી વેદવ્યાસે કર્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગીતામાં ૧ થી ૧૦૦૦ સંખ્યાનો પ્રયોગ વારંવાર સંખ્યાવાચક શબ્દોથી થયો છે. માન્યામાં નથી આવતું ને? ગીતામાં કુલ ૧૬૫ વખત આવાં સંખ્યાવાચક રૂપકો આવે છે પણ સ્થળસંકોચના કારણે ઉદાહરણરૂપ વિગત અત્રે પ્રસ્તુત છે :

૧. એકાક્ષરમ (ઁ)
૨. દ્વિવિદ્યા નિષ્ઠા (બે નિષ્ઠા)
૩. ત્રિભિઃ ગુણમયૈઃ (ત્રણ ગુણ)
૪. ચાતુર્વર્ણ્યમ્ (ચાર વર્ણ)
૫. પાંડવા (પાંચ પાંડવ)
૬. મનઃ ષષ્ઠાનિ (છ ઇન્દ્રિય)
૭. સપ્ત મહર્ષય (સપ્તર્ષિ)
૮. પ્રકૃતિ અષ્ટધા (આઠ પ્રકૃતિ)
૯. નવ દ્વારે (નવ દ્વાર)
૧૦ ઈન્દ્રયાણિ દશૈકં (૧૦ ઈન્દ્રિય)
૧૧. રૃદ્રાણામ (૧૧ રૃદ્ર)
૧૨. આદિત્યાન્ (૧૨ આદિત્ય)
૧૩. દૈવી સંપદ્મ (૨૬ ગુણો)
૧૪. નક્ષત્રાણામ્ (૨૭ નક્ષત્રો)
૧૫. એતત્ ક્ષેત્રમ્ (શરીરના ૩૧ ગુણ)
૧૬. મરુતામ્ (૪૯ મરૃતો)
૧૭. અક્ષરાણામ્ (૫૨ અક્ષર)
૧૮. કુરૃન્ (૧૦૦ કૌરવો)
૧૯. સહસ્ત્રબાહો (૧૦૦૦ હાથવાળા)

(૩૭) ઘણા એવી શંકા કરે છે કે યુદ્ધના મેદાનમાં આટલી લાંબી ૭૦૦ શ્લોકોવાળી ગીતા માટે કેટલો બધો સમય લાગ્યો હશે પણ આ શંકાનું પણ નિવારણ છે. ગીતાનો ૧ શ્લોક શાંતિથી, નીરાતથી ગાવામાં આવે તો માત્ર અને માત્ર ૧૦(દસ) સેકન્ડ જ થાય છે. આ હિસાબે જો ૭૦૦ શ્લોક ગાઇએ તો ૭૦૦૦ સેકન્ડ થાય. ૧ કલાકની ૩૬૦૦ સેકન્ડ થાય એ મુજબ આખી ગીતા વાંચતા માત્ર બે કલાક જ થાય છે. આ તો પદ્યની વાત થાય છે. જ્યારે યુદ્ધના મેદાનમાં તો શ્રીકૃષ્ણ- અર્જુનનો સંવાદ ગદ્યમાં થયો હતો જેથી આવી સમય મર્યાદાની શંકા અસ્થાને છે.

(૩૮) ગીતા એ માનવજીવનનું રહસ્ય છે. રાગ અને ત્યાગ વચ્ચે ઝૂલતા માનવીની કથા છે. ભક્ત અને ભગવાન વચ્ચેનો મધુર સંવાદ છે, તો કર્મ - અકર્મનો વિવાદ પણ છે. ગાદી માટેનો વિખવાદ છે,ફરજથી પલાયનવાદ છે તો અંતે સૌના માટેનો આશીર્વાદરૃપ ધન્યવાદ પણ છે.

(૩૯) ગીતા વિશે એક અદ્ભુત 'પ્રયોગ' - પણ
પ્રચલિત છે. જ્યારે તમે ખૂબજ મુશ્કેલીમાં હોવ, કોઈપણ રસ્તો સૂઝતો જ ના હોય, ચારે તરફથી નિરાશા જ મળી હોય ત્યારે ગીતા માતાના શરણે જાવ. ગીતા હાથમાં લો. શ્રદ્ધાપૂર્વક ૧૧ વખત શ્રીકૃષ્ણ ભગવાનનો મંત્ર બોલો. શ્રીકૃષ્ણઃ શરણં મમ - હવે ગીતા ખોલો. પેન્સિલ-પેનની અણી કોઈપણ શ્લોક ઉપર મૂકો. ત્યાં જે શબ્દ કે શ્લોક છે તેનો જે અર્થ થાય છે તે જ તમારા પ્રશ્નનો ઉપાય- જવાબ છે. મોટાભાગના અનુભવો સફળ જ થયા છે. સુખને એક અવસર તો આપો!!

મહાત્મા ગાંધીજી ખુદ કહેતા ''મુશ્કેલીમાં હું ગીતામાતાના શરણે જઉં છું.'

♥ જય શ્રીકૃષ્ણ 🚩

Wednesday, December 23, 2020

જીવનના અમુક વર્ષો વટાવ્યા પછી... જીવન અમુક બદલાવજરૂરી છે....

હું જીવનમાં અમુક પડાવ પછી નીચેની બાબતોમાં બદલાવ આવ્યો હોય તેવું લાગે... ખરેખર જો આવો બદલાવ આવે તો બહુ સારું જીવન જીવાશે.

વ્યક્તિનો પૈસો, પાવર અને પોઝિશન થી હવે અંજાતો નથી. વ્યક્તિના વિચાર, વાણી અને વર્તનથી ખેંચાતો થયો છું.

ખુદના માટે સમય કાઢું છું. સ્વીકારી લીધું છે કે દુનિયા મારા ખભા પર ટકી નથી. મારા વગર કંઈ અટકી પડવાનું નથી. મારા પરિવાર સાથે ખુદને પણ પ્રેમ કરવા લાગ્યો છું.

ભંગાર વીણવા નીકળતા લોકોને પસ્તી કે ખાલી તેલનો ડબ્બો એમજ આપી દઉં છું, પચીસ પચાસ રૂપિયા જતા કરું ત્યારે એના ચેહરા પર લાખો મળી ગયાનો આનંદ જોઈ ખુશ થાઉં છું.

રોડ પર પાથરણું પાથરી વેપાર કરતા વ્યક્તિ પાસેથી ક્યારેક નકામી વસ્તુ પણ ખરીદી લઉં છું. એમનો વેપાર કરવાનો ઉત્સાહ વધતો જોઈ આનંદ થાય છે.

વડીલો અને બાળકોની એકની એક વાત કેટલીયે વાર સાંભળી લઉં છું. કહેવાનું બંધ કરી દીધું છે કે તેઓ એ વાત ઘણી વાર કહી ચુક્યા છે.

ખ્યાલ હોય કે વ્યક્તિ ખોટો છે તો એકાદ વાર સમજાવું પણ વારંવાર એની ભૂલ સુધારવાનું બંધ કરી દીધું છે. દરેકને ખોટું ન કરતા અટકાવવાનો ઠેકો નથી લીધો. ખોટા વ્યક્તિ સાથે દલીલો કરવા કરતા માનસિક સ્વસ્થ રહેવું પસંદ છે.

સારા કામ કે વિચારોની મુક્તપણે પ્રશંસા કરું છું. આ ટેવ સકારાત્મક છે. વખાણ્યા બાદ મને પણ આનંદ મળે છે.

બ્રાન્ડેડ કપડાં, મોબાઈલ,ગાડી કે બીજી કોઈ બ્રાન્ડેડ વસ્તુ થકી વ્યક્તિત્વ આંકવાનું મૂકી દીધું છે. વ્યક્તિત્વ વિચારોથી નિખરે છે બ્રાન્ડેડ વસ્તુઓ થી નહી એ સમજાય ગયું છે.

હું એવા લોકોથી અંતર જાળવું છું જેઓ પોતાની કુટેવો મારા પર થોપવાના પ્રયત્નો કરે છે. એને સુધારવાનો પ્રયત્ન હવે નથી કરતો કારણકે ઘણાં એ કરી ચૂક્યા હોય છે.

જીંદગીની દોડમાં પાછળ રાખી દેવા જ્યારે કોઈ મેલી રાજરમત રમે છે ત્યારે હું શાંત રહી તેને રસ્તો આપી દઉં છું. આખરે, ના તો હું જિંદગીની હરીફાઈમાં છું, ના તો મારો કોઈ હરીફ છે. હરિફાઈ ખુદ સાથે ખુદને કંડારવાની છે.

લાગણીઓની અભિવ્યક્તિ કરતા ક્યારેય શરમાવું નહી એ શીખી લીધું છે. એ લાગણીઓને દાબી રાખી મારી નાખવા કરતાં અભિવ્યક્તિ સરળ છે.

હુસાતુસી માં સંબંધો તોડવા કરતાં થોડો સમય આપતા શીખી ગયો છું. મોટેભાગે સમય સાથે સબંધોમાં પડેલી તિરાડ પૂરાઈ જતી જોઈ છે.

હું એજ કરું છું જેનાથી મને આનંદ આવે. લોકો શું વિચારશે કે કહેશે તેની ચિંતા લોકો ઉપર છોડી દીધી છે. ચાર લોકોને ખુશ રાખવા મારું મન મારવાનું છોડી દીધું છે.

પોતાના પર હજારો રૂપિયા વાપરવા કરતાં કોઈ જરૂરિયાતમંદ ના હાથમાં પાંચસો હજાર આપવાનો આનંદ માણી લેતાં શીખ્યો છું.

કટ્ટરતા કરતાં તર્કસંગતતા ગમવા લાગી છે. ખોટા પાસે સાચું સાબિત કરવા કરતાં મૌન રહેવાનું પસંદ કરવા લાગ્યો છું. બોલવા કરતાં વાંચવા લાગ્યો છું.
ખુદ ને પ્રેમ કરવા લાગ્યો છું.

Copied from
WhatsApp University...

Sunday, December 20, 2020

આધુનિક પ્રગતિ

આધુનિક પ્રગતિ આપણને વધારે મૂરખ બનાવે છે...
🦉🦉🦉🦉🦉🦉🦉🦉🦉




🤔 ટોયલેટ ધોવા માટે અલગ હારપિક..

🤔 વળી,બાથરૂમ ધોવાનું અલગ..

🤔 ટોયલેટની દુર્ગંધ દૂર કરવા માટે ખુશ્બુ ફેલાવનારી ટિકડી પણ ટીંગાડવી જરૂરી..

🤔 કપડાં હાથથી ધૂઓ તો અલગ વોશિંગપાવડર અને મશીનમાં ધૂઓ તો ખાસ પ્રકારનો પાવડર (નહિતર તો વોશિંગમશીન બેકાર)

🤔 અને હાં કોલરનો મેલ કાઢવા માટે વ્હેનીશ તો ઘરમાં હશે જ..

🤔 હાથ ધોવા માટે નહાવાનો સાબુ ના ચાલે.. લિકવિડ જ યુઝ કરો,

😜 સાબુથી તો કિટાણું ટ્રાન્સફર થાય છે..(આ તો એવી વાત છે કે કીડા મારનારી દવામાં જ કીડા પડી ગયા)

🤔 વાળ ધોવા શેમ્પુ જ પર્યાપ્ત નથી..કંડીશનર પણ જરૂરી છે..

🤔 પછી, બોડી લોશન,ફેસવોશ,ડિયો હેર જેલ, સનસ્ક્રીન ક્રીમ,સ્ક્રબ,ચામડીને ગોરી કરનારી ક્રીમ તો ખાસ ભૂલતા નહિ હો..

🤔 અને હાં (દૂધ જે પોતે જ શક્તિવર્ધક છે)એ જ દૂધની શક્તિ વધારવા હોર્લિક ભેળવવાનું ભૂલતા નહિ..

🤔 મુન્નાનું હોર્લિક અલગ, મુન્નાની મા નું હોર્લિક અલગ, મુન્નાના બાપા નું હોર્લિક ડિફરન્ટ..

🤔 શ્વાસમાં જો દુર્ગંધ આવે તો મીઠાંના કોગળા નહિ ચાલે,, મેડિકલ ના માઉથવોશ થી કોગળા જરૂરી છે...
😜😜😜

તો શ્રીમાનજી જરાક વિચારો !

🤓 10-15 વરહ પેલા જે ઘરનો ખર્ચો મહિને 5000 ₹ હતો..આજ એવા ઘરમાં ખર્ચો 25000 ₹ને પાર પહોંચી ગયો છે...આમાં બધો દોષ મોંઘવારીનો નથી.. અમુક આપણી બદલતી વિચારધારા અને રાતદિવસ T.V. ઉપર આવતી જાહેરાતો નું પરિણામ છે..

હજી વિચારો..
🧐 અને બની શકે ત્યાં સુધી સીમિત સાધનોની સાથે સરળ અને સ્વદેશી જીવનશૈલી અપનાવો...

👳🏽‍♀️👳🏽‍♀️
લાંબા વાહે ટૂંકો જાય,,
મરે નહિ પણ માંદો થાય..

Friday, December 18, 2020

બાળકોની દુનિયા - હસમુખ જોશી.

એક સાંજે હું અને જય નદીની ભેખડોમાં ફરવા નીકળ્યાં..
જય મારી ભત્રીજીનો અગિયાર વરસનો પુત્ર છે અને કોરોનાકાળે આપેલી નવરાશને કારણે તેનો વધારે સમય અહીં ગામડામાં મામાને ત્યાં જ પસાર થાય છે..
નદીનાં પાણી ડહોળતાં અમે ચાલતાં હતાં, હિમાલયની અવનવી વાતો ચાલતી હતી. તેણે પ્રશ્ન કર્યો, `હિમાલયમાં ટ્રૅકિંગ કેમ કરાય ?´
મેં કહ્યું, `અત્યારે આપણે ચાલી રહ્યાં છીએ એજ રીતે, ટ્રૅકિંગ એટલે વગડાની કેડીએ ચાલવાનું અને નાની મોટી ટેકરીઓ ચડવાની અને આસપાસનું અવલોકન કરવાનું, તે દિવસે ગિરનાર ચડ્યાં હતાં તેને પણ ટ્રૅકિંગ કહેવાય´
`પણ તમારા ફોટાઓમાં તો પાછળ મોટા થેલા હોય, બૂટ હોય, આપણે તો ચંપલ પહેર્યાં છે..?´

આ એક ખરી જિજ્ઞાસા હતી, રોજ રોજ ઊઠતાં સેંકડો સવાલોમાંનો એક સવાલ હતો.
ટ્રેકિંગનું ક્ષેત્ર તો ઘણું વિશાળ છે, ત્યાં શીખવાનું ક્યારેય પૂરું થતું નથી પણ તેમાં શીખવા કરતાં પણ અનુભવવાનું વધુ હોય છે.

પછી વાતો ટ્રૅકિંગ વિશે જ ચાલી. મેં તેને નદીમાં આવેલી એક ઊંચી, સીધ્ધી પણ સલામત ભેખડ પર ચડવાનું કહ્યું, એ નાનકડું ચડાણ પાર કરતાં તેનાં ઉત્સાહનો પાર ન હતો.. એક ઝાડ ઊપર ચડાવ્યો ત્યારે તો જાણે જગ જીત્યાનો આનંદ તેનામાં છલકાતો હતો..! આ બન્ને પરાક્રમ તેણે સહેલાઈથી પાર પાડ્યાં કેમ કે, તેને ભલે જાણ ન હોય પણ મારી સાથે ટેકરીઓમાં રખડતાં, નદીઓમાં તરતાં, વગડાની કેડીઓ પર ભટકતાં કે સાયકલ લઈને મારી સાયકલ સવારીમાં સાથ આપતાં તે ટ્રેકિંગનાં પાઠ આપોઆપ શીખતો હોય છે..! કુદરતની ગોદમાં રખડતાં હવે અનેક વૃક્ષોને તે હવે ઓળખી શકે છે. વગડાનાં પંખીઓ તેના માટે કુતૂહલનો વિષય બન્યાં છે.. અમે ફરીએ ત્યારે દૂરબીન તેની પાસે જ હોય.. પરત આવીને જે જોયું જાણ્યું તે વિશે એક ટૂંકો નિબંધ લખી કાઢવાનું હવે તેને ફાવી ગયું છે.. અને જોયેલા પંખીનો પરિચય તો મેં સ્થળ પર જ આપ્યો હોય છતાં ઘેર આવી ફિલ્ડબુકમાંથી તેને શોધી કાઢીને નોંધ ટપકવાનો નિયમ તો ખરો જ..

એ જ રીતે હું જ્યારે ભાવનગર જાઉં અને અજયનાં ઘેર પહોંચું કે તુરત જ નાનકડી તનિષા તેણે દોરેલા ચિત્રોનો ઢગલો કરે.. તે જોઈને મારે માર્ક આપવાનાં હોય છે..! પછી સામે બેસીને મારી પાસે પોતાનો સ્કેચ દોરાવે. ખુદ હવે તો ચિત્રકામ લગભગ ભૂલી ગયો છું છતાં ઠીક ઠીક દોરી કાઢું ખરો..! સાંજનો સમય તો પ્રકૃતિને જ અર્પણ.. ઘર નજીકમાં જ શહેરનું `જંગલ´ વિક્ટોરિયા પાર્ક અને થોડે આગળ જતાં જ શહેરનું આરોગ્યધામ બોરતળાવ આવેલા છે એટલે એ બાજુ જ જવાનું હોય.. ક્યારેક યુનિવર્સિટી કેમ્પ્સ્ વિસ્તારમાં આવેલ ઝાડી અને ટેકરી જોવા જવાનું... તનિષા આ બધા સ્થાનોએ તેના પપ્પા સાથે નિયમિત આવતી હોવાથી મારા કરતા વધારે જાણકાર એટલે અહીં તો એ શિક્ષક અને હું વિદ્યાર્થી..! બોરડી બતાવીને મને કહે કે, આમાં બોર આવે એ ખાઈ શકાય..!

આડી અવળી કેડીઓ પર અમે ચાલતાં હોઈએ ત્યારે તેની જિજ્ઞાસા મને આનંદ પમાડતી રહે.. તેને પ્રાકૃતિક સ્થાનોનો પરિચય કરાવવા વિવિધ સ્થળે ફેરવવાની સૂચના તો અજયને લાંબા સમયથી આપી રાખી છે અને અજય પણ તેને અલગ અલગ સ્થાનોએ ફેરવતો હોય છે.. પ્રકૃતિની વિવિધતા ગામડામાં હોય એવી શહેરમાં તો ક્યાંથી મળે..? છતાં મને લાગે છે કે ભાવનગર શહેર થોડું નસીબદાર છે.. તેની અંદર અને આસપાસ એવું ઘણું ઘણું જળવાયું છે કે જે બીજા શહેરો પાસે નથી.. અહીં એક બાજુ થોડે દૂર જ સમુદ્ર આવેલો છે તો બીજી બાજુ બહાર નીકળતાં જ રમણીય ટેકરીઓનો સમુદ્ર આપણી રાહ જોતો હોય...

હવે મૂળ વાત..
શરૂઆતનાં હિમાલય નિવાસ દરમિયાન બાળકો સાથે લગભગ કાયમનો પનારો પડતો. નાના મોટા ટ્રૅકિંગ અભિયાનમાં બાળકોનો સંગાથ અનેકવાર રહેતો.. એ બધા અનુભવો ઉપરથી એક તારણ કાઢ્યું કે, વાલીઓ જ્યારે બાળકોને અહીં ટ્રૅકિંગ માટે મોકલે છે ત્યારે તેની સગવડ માટે અનેક બાબતની કાળજી રાખે છે, સારો બેકપેક, સરસ કિંમતી બૂટ, ઠંડી, તાપ કે વરસાદ સામે રક્ષણ માટે કપડાં, નાસ્તો અને દવાઓ પણ એટલી જ બંધાવે. આ બધું જરૂરી છે એ સ્વીકાર્ય, પણ એક મુખ્ય મુદ્દો તો મોટાભાગે ભુલાઈ જ જાય છે..!

નિયમિત ચાલવાનો મહાવરો એ ટ્રેકિંગની પહેલી શરત છે...
ટ્રેકિંગમાં સારા રસ્તે ભાગ્યે જ ચાલવાનું થતું હોય છે, લગભગ ઊબડખાબડ મારગે ચડાઈ અને ઊતરાઈ જ કરવાની હોય, નદીઓનાં જળ ડહોળવાનાં હોય, ખાડાટેકરાં વટાવવાનાં હોય, ખડકો અને પથરાઓ વચ્ચેથી પસાર થતી કેડીએ ચાલવાનું હોય છે. આવા સંજોગોમાં શરીરનું સમતોલન જાળવવા માટે પગ એવા મારગે ચાલવા માટે કેળવાયેલા હોય એ અનિવાર્ય છે. જો આવી પ્રેકટીશ નહી હોય તો બાળકો જ નહી મોટેરાઓ પણ થોડીવારમાં થાકી જાય, એટલું જ નહી પણ બીજા દિવસે તો પગ લગભગ ચારે બાજુ દુખતાં હોય એવું બને..

કારણ કે...
આપણે ભલે રોજ ચાલતા હોઈએ, પણ એ પ્રવૃતિ સારા અને સપાટ રસ્તે થતી હોય તો પગનાં અમુક સ્નાયુએ કંઈ કરવાનું રહેતું નથી. એટલે તેમને જોઈતો વ્યાયામ મળતો નથી.. આની સામે ચડઊતર કરતાં કે ખાડાંટેકરાં વટાવીને ચાલતા હોઈએ ત્યારે દરેક સ્નાયુને કામગીરી મળી રહે છે. તેને આડીઅવળી રીતે વળવાનો કે ખેંચાણનો મહાવરો પણ ચાલું રહે છે.. પછી શરીર તેને અનુકૂળ બનીને એવા મારગે સમતોલન મેળવવાનું શીખી લે છે... જેમ સાયકલ શીખતા હોઈએ ત્યારે થોડા દિવસ ગબડી પડવાનું જોખમ રહે પણ એકવાર આવડી જાય પછી તો હાથ છૂટા રાખીને પણ ચલાવી શકાય એવું જ કંઈક અહીં બને છે..!

જો તમારા બાળકો નિયમિત રીતે આવી પગદંડીએ ચાલતાં હોય તો ટ્રેકિંગનો આનંદ વધારે ઉત્કટતાથી માણી શકે એ વાતમાં શક નથી.. નહિતર ચાર પાંચ દિવસનો પ્રવાસ તેને થકવી નાખે એવું પણ બને.. જો કે બાળકો માટેનાં ટ્રેકનું આયોજન કરનારા આયોજકો આ જાણતા હોય છે.. એટલે જ બાળકોના ટ્રેકિંગમાં ટ્રેક કરતા પણ ઇતર પ્રવૃતિને વધારે મહત્ત્વ આપવામાં આવે છે..

જાણું છું કે શહેરોમાં કેડીઓ કે નદીનાં કિનારા જેવા સ્થાનો શોધવા મુશ્કેલ છે પણ સંતાનોનાં ઉત્કૃષ્ટ જીવન માટે થોડે દૂર જવું પડે તો એમાં નુકશાન નહી જ હોય.. કેમ કે અહીં જે શીખવા મળશે એ જીવનનાં અનેક પ્રસંગે ઉપયોગી થશે..

અઠવાડિયે કે પંદર દિવસે એકાદ દિવસ પરિવાર સાથે પ્રકૃતિ વચ્ચે નીકળી પડવાનો નિયમ રાખો. સીધો રસ્તો છોડીને કેડી પકડીને ચાલો, નદીનાં પથરાઓ વચ્ચે ચાલો.. બાળકોને તરવાનું અવશ્ય શીખવો, નાની મોટી ટેકરીઓ ચડો અને ઊતરો, બાળકોની વધારે પડતી ફિકર કરવાને બદલે તેમની રીતે ચાલવા દો.. ઝાડ ઉપર ચડીને ગેલ કરે તો કરવા દો, બસ તેની સલામતી માટે નજર રાખો, ટોકો નહી. બાળક ખડતલ બનવું જોઈએ શોભાનું પૂતળું નહી.. નિયમિત ચાલવા, દોડવા ઉપરાંત સાયકલ ચલાવવાનો નિયમ હશે તો એ ખૂબ જ ફાયદો કરશે.. યોગાસનો ચમત્કારી પરિણામ લાવી શકે છે એ તો બધા જાણે જ છે. કેટલાક સરળ આસનો તો શીખી લેવા જ જોઈએ.. કદાચ ગબડી પડે કે લસરી પડે તો ગુસ્સો નથી કરવાનો. જો બાળકો સાથે પ્રેમથી નીપટતાં હશો તો તેઓને માટે આ બધા આનંદમય અનુભવો હશે..

આ થઈ શારીરિક સજ્જતાની વાત..
બીજી અગત્યની જરૂર હશે માનસિક સજ્જતાની..!
એ વિશે થોડું તો અહીં લખી જ દીધું છે એ તમે જોઈ શકશો..
એ માટે પ્રાકૃતિક પરિબળો પ્રત્યે રસ કેળવવાની જરૂર પડશે. હવે આગળ એ વિશે જોઈશું..
બાળકોને અનુલક્ષીને ભલે લખ્યું પણ મોટેરાંને પણ કહેવું છે કે, આ શિયાળો વ્યર્થ ન જવો જોઈએ..!
-હસમુખ જોષી.

Saturday, December 12, 2020

શુદ્ધ મધ

#મધ
મળીયે દર્શન ભાલાળાને

*કોરોનાથી બચવું હોય તો શુદ્ધ મધ સાથે ઓસડિયાંનું સેવન ચાલું કરી દો!: મધ સાથે તજ, મરી, સૂંઠ, અજમો, હળદર જેવા ઔષધ ઉત્તમ પરિણામ આપે છે!*
*દર્શન ભાલારા મસ્ત મજાની નોકરી છોડી ને મધ ઉત્પાદન શા માટે કરે છે?: દેશનું સર્વોત્તમ મધ બનાવે છે સૌરાષ્ટ્રનો આ યુવાન*
*ડાબર, ઝંડુ, પતંજલિ જેવી કંપનીઓના મધનું સેવન કરતા હોવ તો આ લેખ એક વખત અવશ્ય વાંચી લેજો...*
*ઇમ્યુનિટી માટે આપણી પાસે અગણિત ઔષધો છે, શરત એ કે તે શુદ્ધ હોવા જોઈએ!: દર્શન ભાલારાનું મધ શુદ્ધતાનાં તમામ માપદંડો પર ખરું ઉતરે છે*
*-કિન્નર આચાર્ય, લેખક-પત્રકાર*
કોરોના કાળમાં ઇમ્યુનિટી માટે અનેક ઔષધો ઉપલબ્ધ છે. પણ, મને કોઈ અક્સિર ઔષધ વિશે પૂછે તો હું કહું કે, મધમાં થોડી હળદર, અજમો, સૂંઠ, તજ, મરી વગેરે નાંખી ને રોજ બે વખત ચાટી જવું. મધમાં અદભુત ગુણ છે, શરીરનું ઓક્સિજન લેવલ વધારવામાં એનો જોટો જડવો મુશ્કેલ છે. અને એ મધ અત્યંત શુદ્ધ, કેમિકલ વગરનું, અનપ્રોસેસ્ડ હોય તે જરૂરી છે. બેશક, એ કોરોનાનો ઈલાજ હરગીઝ નથી. પરંતુ એ તમારા શરીરને કોરોના કે બીજા કોઈપણ વાઇરસ સામે લડવા પૂર્ણત: સજ્જ બનાવે છે. રાજકોટનાં દર્શન ભાલારા આવું જ શ્રેષ્ઠત્તમ કક્ષાનું મધ ઉત્પાદન કરે છે. આનંદની વાત એ છે કે, હવે તેઓ નિષ્ઠાવાન વેદિક ખેતીનાં મશાલચી એવાં કર્મઠ નિતુબેન પટેલની સાથે જોડાયા છે.
દર્શન ભાલારા (મોબાઈલ: 9662166770) નામના આ યુવાન પાસે નિતનવા મધનો ભંડાર છે, મધ ઉત્પાદનમાં તેઓ એકે હજારા જેવા છે. જો કે, મધ ઉત્પાદક કહેવા કરતા તેમને મધપ્રેમી કે સ્વાસ્થ્યપ્રેમી કે કહેવા વધુ યોગ્ય ગણાય. MBAની ડિગ્રી મેળવ્યા પછી તેમની પાસે 40 હજારના પગારની સરસ નોકરી હતી. ઘેર નેવું વીઘાની પાણીદાર અને ઉપજાઉ જમીન. 2014માં વડા પ્રધાન મોદીએ પોતાના એક વક્તવ્યમાં કૃષિ ક્ષેત્રે વેલ્યુ એડિશન પર થોડી વાતો કરી. દર્શનભાઈએ નોકરી છોડી દીધી અને નક્કી કર્યું કે, સમાજનું સ્વાસ્થ્ય સુધરે એવો વ્યવસાય કરવો છે. પોતાના વિસ્તારમાં તેમણે અજમાના ખેતરમાં મધની પેટી મૂકી. ત્યારથી એમણે પાછું વળીને જોયું નથી. અત્યારે તેઓ લગભગ બે હજાર પેટી દ્વારા દેશભરમાંથી મધ મેળવે છે. વરિયાળીનું મધ હળવદ પંથકમાંથી મેળવે, અજમાનું સૌરાષ્ટ્રમાંથી, લીચી, સિસમ અને બેરીનું ઉત્તરાંચલ તથા ઉત્તર પ્રદેશમાંથી મેળવે છે. કાશ્મીરમાંથી હમણાં તેમણે 'અકાસિયા' મધ પણ મેળવ્યું. અકાસિયાનાં ફૂલ ચૂસી ને મધમાખી આ મધ એકઠું કરે છે. જગતનાં સર્વોત્તમ પાંચ મધમાં પણ આ અકાસિયા મધનું નામ સામેલ છે. દેખાવે એ એકદમ પાણી જેવું હોય છે, સ્વાદ અને ગુણમાં તેનો જવાબ નથી. તમને જાણી ને નવાઈ લાગશે કે, નરેન્દ્ર મોદી જ્યારે જાપાન અને અમેરિકાનાં પ્રવાસે ગયા હતા ત્યારે જાપાનનાં વડા પ્રધાન શિંજો આબે માટે અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે હિમાલયનું અકાસિયા મધ જ લઈ ગયા હતા!
ઘણાંને સવાલ થાય કે, બજારમાં પાંચસો પ્રકારના બ્રાન્ડેડ મધ ઉપલબ્ધ છે ત્યારે દર્શન ભાલારાનું મધ શું અલગ છે? વિશિષ્ટ છે? હા. એ એકદમ સ્પેશિયલ છે. તેમના મધમાં ભેજ-મોઇશ્ચરનું પ્રમાણ આંતરરાષ્ટ્રીય માપદંડથી એક ટકો પણ વધુ નથી. તેનું કારણ એ છે કે, મધ પૂર્ણતઃ પાકે પછી જ તેઓ તેને પૂડામાંથી નિતારે છે. અચ્છા, પૂર્ણરૂપે પાકેલું મધ એટલે શું? મધમાખી જ્યારે મધ બનાવવાની પ્રક્રિયા પુરી કરી લે ત્યારે એ પૂડાને વેક્સ વડે સિલ કરી દે. આ ઘટના બને એટલે સમજવાનું કે મધ સંપૂર્ણપણે પાકી ગયું. એ પછી મેળવેલું મધ જ સાચું ગણાય. પણ આ પ્રક્રિયા દ્વારા મધનું વજન ખૂબ ઘટી જાય. કાચું મધ ઉતારી લો તો ઉત્પાદન અનેકગણું વધી જાય, નફો વધે. પણ એ મધ સાવ ઓછું ગુણકારી હોય. પ્યોર મધ જોઈતું હોય તો તેની પડતર કિંમત જ ખૂબ ઊંચી જાય. આપણે ત્યાં હૉલસેલમાં મધની મહત્તમ કિંમત 150 રૂપિયા કિલોની છે! મહાકાય કંપનીઓ આ જ ભાવે ઉત્પાદકો પાસેથી મધ મેળવે છે અને પોતાની બ્રાન્ડના લેબલ મારી બજારમાં વેંચે છે. કેટલીક અત્યંત જાણીતી કંપનીઓ તેમાં ફ્રુટ સીરપ અને કોર્ન સીરપ તથા પેસ્ટીસાઈડ્સ પણ ભેળવે છે. આ મધ ડેરીના દૂધ જેવું હોય. ઘેટાં-બકરાં, જર્સી ગાય, ભેંસ... બધાનું મિક્સ થાય તેમ મધ પણ બધું એકઠું થાય. તેમાં બાવળનું પણ હોય અને રાઈનું પણ હોય. એના મૂળ-કુળનો ખ્યાલ ખુદ કંપનીને પણ ન હોય. ભાલારાનું મધ 100% પાકેલું છે અને એ ખરા અર્થમાં Raw છે, તેના પર કોઈ જ કેમિકલ પ્રોસેસ થતી નથી. એટલે જ એ થોડું મોંઘુ છે.
બજારમાં ઉપલબ્ધ બ્રાન્ડમાંથી 99.9% મધ કાચું અને પ્રોસેસ્ડ હોય એ લખી રાખજો. બીજી મહત્વની વાત: દેશી પેટીમાં મધ ઉછેર થાય ત્યારે કદાચ શુદ્ધત્તમ સ્વરૂપે મધ મેળવીએ તો પણ તેમાં લાર્વા, ઈંડા અને અશુદ્ધિઓ આવી જ જાય. દર્શન ભાલારા ન્યુઝીલેન્ડ પદ્ધતિની પેટીઓ જ ઝાઝા ભાગે ઉપયોગ કરે છે, તેમાં મધમાખીની મધ એકત્રિત કરવા માટેના અને ઈંડા મુકવાના ખાનાં જ નોખાં હોય! અશુદ્ધિ કે ઈંડાની ભેળસેળ થઈ જવાનો સવાલ જ ન હોય. આ પદ્ધતિ તેમના મધને ભારતની બજારોમાં ઉપલબ્ધ મધ કરતા ક્યાંય અલગ અને ગુણકારી તથા શુદ્ધત્તમ બનાવે છે.
દર્શન ભાલારાને શુદ્ધ મધ પીરસવાનું ઘેલું લાગ્યું છે. એમનું ઉત્પાદન તોતિંગ નથી પણ નિષ્ઠા અને પ્રામાણિકતા પહાડ જેવી છે. મધનું પેકીંગ કાચની બોટલમાં જ થવું જોઈએ એવું તેઓ વાજબી રીતે જ માને. એટલે જ છેક મલેશિયાથી વિશિષ્ટ બોટલ મંગાવે, બોક્સની અંદર થર્મોકોલ ગોઠવીને પછી જ એ મધ સપ્લાય કરે. પોતાની જ એક બ્રાન્ડ. નામ: મધુધારા. કોઈ ડિસ્ટ્રિબ્યુટર નહીં, કોઈ સ્ટોકિસ્ટ નહીં. પોતે જાતે જ ઓર્ડર પર કુરિયર કે ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલી આપે! અને એક વખત એમનું મધ ચાખ્યું હોય એ વ્યક્તિ બીજું મધ ક્યારેય અજમાવે નહીં.
મધની જેમ તેમનું ગીર ગાયનું ઘી પણ સર્વોત્તમ. તેમની પાસે સારી સંખ્યામાં ગીર ગાય છે. આ ગાયોને ખોરાકમાં લીલું ઘાસ અને ટોપરાંનો ખોળ જ આપે. દૂધ માત્ર પિત્તળના વાસણમાં દોહવાનું, દહીં મેળવવા માટે માત્ર માટીનાં વાસણો. વલોવવા માટે લાકડાંના વલોણાનો જ ઉપયોગ. માખણ બને એટલે એ પાત્રના મુખને કપડાંથી બાંધી ને તેમની વાડીની ફરતે આવેલા લીમડા નીચે રાત્રે મુકવાના. છેવટે માટીના વાસણમાં જ દેશી ચૂલા પર ઘી બનાવવાનું. આ અસલી આયુર્વેદિક પદ્ધતિ છે. રોજ લગભગ એકસો લિટર છાસ થાય પણ કદી એનું વેંચાણ ન કરે, ગામમાંથી જેમને જોઈતી હોય એ નિઃશુલ્ક જ લઈ જાય. ઘીનો વ્યવસાય એમણે શરૂ કર્યો ત્યારે એમના દાદીમાએ વચન લીધું હતું કે, એ ક્યારેય છાસના પૈસા નહીં લે! આજે પણ એ વચન તેઓ ખુશીથી નિભાવે છે.
આજે ખેડૂતના જુવાન દિકરાને ખેતી નથી કરવી, ખેડૂતોને લોનમાફી અને સરકારી સહાયમાં બહુ રસ ઉપડ્યો છે. રોદણાં રોવા છે પણ ખેતીમાં વેલ્યુ એડિશન નથી કરવું. મગફળી અને કપાસ સિવાય પણ જગતમાં બીજું ઘણું છે એવું વિચારવું નથી. આવાં અનેક લોકો માટે દર્શન ભાલારા એક આદર્શ ઉદાહરણ છે. પ્રામાણિકતાથી ખેતી-ગોપાલન થાય, વેલ્યુ એડિશન વિશે વિચારવામાં આવે તો ઊચ્ચ વર્ગનો જાગૃત ગ્રાહક ભારેખમ ગજવું લઈ ને તમારી પ્રોડક્ટ ખરીદવા લાઈનમાં ઉભો છે.
*દર્શન ભાલારાનું મધુધારા મધ એમેઝોન, ફ્લિપકાર્ટ અને www.madhudhara.com પર ઉપલબ્ધ છે*

Monday, December 7, 2020

લગ્ન વ્યવસ્થા :: આજ કલ ઔર આજ

*આજથી ૫૦ વરસ પહેલાના લગ્નના જમણવારનો અહેવાલ :-*
====●●●●====●●●●====●●●●=
*"ગામડાનો વરો"*
અગાઉના વરા...
દાળવાટકી, પિત્તળની ડોલ ને કમંડળ ને ચમચા ને છરીયુ ને પુરી દબાવવાના મશીન ને છીણી ને એવુ બધુ વહેવારવાળાને ત્યાં ગોતવા નિકળી જાય એ કટંબમાં લગન પરસંગ એટલે કે વરો છે એમ સમજી લેવાતુ. કેટરીંગ તો હતુ જ નહી પણ મંડપવાળા ય શહેરમાં જ હતા. એટલે માડવા કારવવા તાપડા-તાલપત્રી ને મોદ માગી લવાતા. અને ઠામ-વાસણ કુસણ પણ પાડોશમાંથી કે પીપ હોય ત્યાંથી બેક દિ- ઘડી સાપડી લઇ લેતા.

વર કે કન્યાના બાપા તો લગનને છો મહીનાની વાર હોય ત્યાં જ નમ્ર બની ગયા હોય.
સારાની સારાઇનો લાભ અને સેવા નહીતર બરાબર મળે નહી. વાંકુ તો કોઇ હારે મુદ્દળ નહી પાડવાનું.
ચપટી બુધાલાલ તમાકુથી માંડીને રકાબી ચા સુધીનો બધોય વહેવાર હારી રીતે હાચવવાનો.
જો કે તો ય પરિવારમાં કોકે તો ટાણે જ લબડાવાનું નક્કી કર્યુ હોય તે ઇ તો "ઉહુઉઉઉક.... મારે નથી આવવુ,
ધીરાની લગ્નમા માં મોહનો ટાણે જ વાડીએ વયો ગ્યો'તો ઇ મને હજી હાંભરે છે.." કરીને રીહાય.
એને વળી માંડ માંડ વડીલો મનાવે અને બીજે દિ ડાયરો હોય, ઘરધણી એની તૈયારી કરે.
બીજી કોર ગામનો કોઇ વાળંદભાઇ હાથમાં નોતરાનો ખરડો લઇ, સાયકલ પર સવાર થઇ નિકળી ગયો હોઇ.
તે ઇ કોકની ખડકી ખખડાવે, કોકનો ઝાંપો-ઝાંપલી હડસેલે, કોકના કમાડની સાંકળ પછાડે તો કોકનો ડેલો ધબધબાવી ને પછી હાદ પાડે- ઉંચા અવાજે- અદાલતનો પેલો નામ પોકારિયો હોય એમ વિશિષ્ટ લહેકામાં બોલે; " એએએએએ પોપટભાઈ સોમાભાઈ પટેલ ને ત્યાં રાતે ડાયરામાં, કાલસવારે માંડવે, કાલરાતે એક જણને અને પરમદિ' બપોરે હાગમટે જમવાનું નોતરૂ છેએએએએએ.."
આહાહા...હા, આટલુ હાંભળીને તો મનમાં મધ રેડાતું.

એ જતા રહે પણ આ બાજુ જેને જમવા જવાનું છે એના માનસપટ ઉપર એક આખુ ચિત્ર ખડુ થઇ જતુ.
કોકનો વંડો કે શેરી માળી હોય, પવન ના લાગે એવા ખુણામાં બે ઉંડી મોટી ચૂલ હોય,

કીચન સમકક્ષ એ વિભાગમાં કાચુ કરિયાણુ, બટેટા, શાકભાજી પડ્યા હોય, મગ બાફણા જગતા હોય ને મોટા તપેલાઓમાં રસોઇ રંધાતી હોય,
આગલે દિ' રાતે બનાવેલી લાડવા વળાતા હોય,મીઠાઈઓ કપાતી હોય,

મીંદડી આંબી નો જાય એવી જગ્યાએ મોહનથાળ ચોકીમાં ઢાળેલો પડ્યો હોય,

બાળકની રમકડાની મોટરના પૈડા હોય એવી સાઇઝમાં કોક મરચાને કાતરથી કાપતો હોય,
તો કોક કોબીને ઇસ્ટીલના ઉંધા ગલાસથી કાપતો હોય, સંભારા માટે સમારતા હોય,

કોક બડબો ભરી હોય એવા થાળી-વાટકા-ગલાસને ગાભો મારતા હોય,
કોક કોક ડાંડ કીસમના હોય ઇ ગાડાની ઉંધે જઇ ફડાકા મારતા હોય,
સાજે જાનના રાતવાસા માટે ઘરદીઠ એક ખાટલોને એક રૂનુ ગાદલુ ઉઘરાવવાના છોકરાઓ થનગનતા થનગનતા નીકળી પડે,

લાલ રમચીની ખાટલાના પાયા પર ટૂકા નામ લખાયને સરસ ગાદલા પર પણ ઘરધણીના નામનો લાલ સિક્કો મારી દે..

કેટલાકે તો જાનના છોકરા પેસાબ કરીને ગાદલા બગાડતા ય હોય તેથી કેટલાકે તો જાન માટે એક ગાદલુ અલગ જ ફાળવેલ પણ હોય,

આ બધા જ ખાટલા જાનને ઉતારે લાઈનસર પથરાઈ ગયા હોય,બાઇઓની પથારીઓ ઘરમા કે ઓસરીઓમા હોય,

પણ કેટલાક અવરચંડાજાનૈયા સહુના પહેલા પહોચી જાયને સારા સારા ખાટલાને બોટી લેતા...
બબ્બે ગાદલા ય પાથરી દેતા...
કેટલાક ખાટલા ગાદલા વગરના થયી જતા તે ઘરધણી ઘરના ગાદલેથી પુરા પાડે.

સાજ હોય, અંધારૂ થઇ ગયુ હોય અને પછી પીળા બલ્બ, બસ્સો બસ્સો વોટના ચાલુ થાય.
જમવા માટેનો સાદ પડાઇ ગયો હોય એટલે નોતરના માણસો જે થોડે દુર બેઠા હોય,
એ આવવા લાગે.
દાળ શાકના ડાઘવાળા પાતિયા (આસન પટ્ટા) પાથર્યા હોય પણ આજ એની કોઈને પરવા ના હોય.
આમ તો ભોજન માટેનુ મેનુ ફીક્સ જ રહેતુ... *"રાણી બાદશાહ એક્કો અને લૈલા મજનુનું શાક"* અર્થાત મોહનથાળ અને રીંગણા બટેટાનું શાક.
વધુમા સંભારો, ફરફર અને આખરમાં દાળભાત...
બસ આટલુ જ, વરસો સુધી ચાલેલા આ મેનુનો શોધક કોણ હશે ?
અને એને એમે ય નહી થયુ હોય કે આ ડોહુ શાક... ખાવુ હેની હારે ?
તો ય જો કે લોકો તો ખાતા જ. અરે... ખાતા નો ધરાતા!!
ઈ ગમે એમ કરી, ભાત ભેળવીને ય પણ શાક તો હોશેહોશે લેતા અને વળી ખાતા ય ખરા.
અને ખાય કેમ નહી અલ્યા ??? એકનું નોતરૂ હોય તો પાંચ,
ગણેહનું નોતરૂ હોય તો શ્રીફળ તથા રોકડા દહ રૂપિયા અને હાગમટે હોય તો પુરા પચ્ચીસ રૂપિયાનો પહ ભરાવ્યો હોય હો,
એ તો વસુલ કર્યે જ છુટકો.
આમ તો પહ લખાવતા પહેલા પટારો ફંફોસી, એમા ક્યાક હાચવીને મુકેલી, પોતાને ત્યાં ગયેલા પ્રસંગની નોટ ગોતી લેવાતી.
જમીનનો દસ્તાવેજ હોય એવી એની જાળવણી થયેલી હોય કારણ કે કોણે કેટલો પહ ભરાવેલો એની નોંધ એમા પડેલી હોય
અને એના આધારે જ અગિયાર લખાવવા કે એકવીહ.. એ નકકી થતુ.

જાન આવતી હોય તે દિ' મેનુમાં થોડો સુધારો જોવા મળે. મોહનથાળની જગ્યાએ લિંબુડીયા રંગનો ટોપરાપાક હોય,
ભજીયા કે કડી,કટોસણથી ખમણ કે જલેબી મંગાવ્યા હોય
અને આગલે દિ' રેશનના ચોખા દાળભાત માટે વાપર્યા હોય
તે આજ બાસમતિનું આંધણ મુક્યુ હોય.
વરવિવામાં એટલી સ્પર્ધા ન થતી જેટલી જાન આવી હોય તે દિ પીરસવામાં થતી.
જુવાનિયાવ જાનડીયુને ભાવભેર જમાડવા ઓછા ઓછા- ભીના ભીના- અડધા અડધા થઇ જતા.
પંગત પડી ગઇ હોય, લાડવાવાળો આગળ પછી ઢેફલા પછી ભજીયા પછી શાક પછી સંભારો પછી ચટણી પછી દાળ એમ એના આરક્ષિત ક્રમમાં હારથિયા પિરહવા લાગે,
લેવુ હોય ઇ એમને એમ બેહે એટલે એની થાળીમાં વસ્તુ મુકાય અને આડો હાથ દેય એને ઠેકી જવાનો ધારો હતો.
મોહનથાળના બે ,ભજીયા બે દાણા, ખમણ ચપટીક,એક ચમચો શાક,વાડકીમા દાળ...

આટલી માત્રામાં જ પીરસવુ જેથી બગાડ ના થાય એવો નિયમ પણ અમલમાં રહેતો જ.

આ પ્રમાણે પીરસવાવાળા લાંબી લાઇન પુરી કરે ત્યા કમરના મણકા ફાટવા લાગ્યા હોય,
ઉત્સાહ નામની ય કોઇ ચીજ હોય છે હો ભાઇ!!!
જાડેરી જાન હોય તો પાંચ છ લાઇન અવળા હવળા મોઢે જમવા બેઠી હોય.
પીરસનાર છેલ્લી લાઇનના છેલ્લા જણ સુધી પહોંચે ત્યાં સુધીમાં પહેલી લાઇનની બધી થાળીઓ સફાચટ થઇ ગઇ હોય એટલે પીરસવાવાળા ભરશિયાળે પરસેવે રેબઝેબ થઇ ગયા હોય,
તો ય ડોલુ, ચમચા, કમંડળ બદલીને પાછા નિકળે.
આમ ત્રણવાર પીરસાય, ત્રીજીવાર તો હડેડાટ-હોપટ નિકળી જવાનો આદેશ હોય.
અને પછી દાળભાત... સારૂ ઘર હોય એને ત્યાંય કોઈ મહેમાન હોય ત્યારે જ દાળભાત બનતા,

એટલે એની ય આતુરતા જબ્બરી રહેતી.

કેટલાક તો લીંબુ ખીસ્સામાં નાખીને લાવ્યા હોય તે ઇ નીચોવીને ખાવાનો આનંદ કોઇ વિશેષ પ્રકારનો રહેતો.
ગળામણનો ઇ જમાનો, તે વેવાઇ ફાચરા દેવા નિકળે. પરાણે-તાણ કરી કરીને મોઢામાં મોહનથાળના કે ટોપરાપાકના ઢેફલા ઠુસે.
તો વળી, સામા પક્ષે ય ક્યારેક હરખના ગળકા આવે અને પછી સામસામે પરબારા મોંમા ફાચરા દેવાય.
ખાતો હોય એના હાથ તો એઠા હોય જ.. જે તાણ કરવા નિકળ્યા હોય એના આંગળાના ટેરવા પણ કેટલાય હોઠોના જર્મ્સ ચોટેલા હોય જે હરખભેર શેર થાય.
હુઘરાઇની એ પરંપરા હજુ ચાલુ જ છે.

થોડે દુર પાણીનુ પીપડુ સીધુ જ કોકની કુવાની મોટર ચાલુ કરીને ભરી આવેલા હોય.
એમા ગ્લાસ જબોળી હાથ ધોવાય અને એ જ ગલાસથી મોઢે માંડી પાણી પીવાય.
પ્રવેશદ્વારે ચાંદલો લખવાવાળા પાસે જો મુખવાસ હોય તો મુઠોભરે,
કોઈ તો રૂમાલમાં ય બાંધે અને ખાધા જેવી મજા નહી..
સુતા જેવુ સખ નહી એમ કરી બધા વરે પડે.
અને આજે:-
રાજા રજવાડા જેવી ભાતના મંડપો ઉભા કર્યા
હોય,
નકલી ફુલોનાને ક્યાક સાચા ફુલોનુ શુસોભન કર્યા હોય,
ઢોલ તો હોય પણ શિષ્ટાચાર પુરતો બાકી ડી,જી.ચાલે ધમધોકાર
અગાઉના જમાના જે છોકરીઓ વરાના રસોડે
પુરીઓ વણતી હતીતે અને જે છોકરા પંગતોને
પીરસતા હતા તે રંગબેરંગી,ઢંગઢળા વાળા કે વગરના કપડા પહેરી બેફામ નાચતા હોય છે.

વરસો બાદ વરો આજે ઘણોખરો પ્રસંગ બન્યો છે.
સાચા અર્થમાં બત્રીસ જાતના ભોજન પીરસાય છે.
સદ્ધર થયેલો સમાજ દિલખોલીને પૈસા વાપરે છે.
અને એમા ખોટુ ય શું છે ?
જમાનો ખરેખર જીવવા જેવો આવ્યો છે ને લોકો મનખ્યો માણી લેવાના મુડમાં છે.
છતાં પણ કોણ જાણે કેમ... જુના જમાનાના લગ્નો ભુલાતા નથી.... નવી પેઢીએ એ મજા ચોક્કસ ગુમાવી છે તેમાં કોઈ બેમત નથી...

ચોખવટ : આખા લેખને જાણીજોઇને તળપદા શબ્દોમાં લખવામાં આવ્યો છે.
જય કાઠિયાવાડ...🙏
=======●●●●●●========●●●●
=========●●●●●●●●=========

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...