Wednesday, August 29, 2018

જન્માષ્ટમી પર્વ

ગુજરાતી પ્રજા ઉત્સવપ્રિય તરીકે ખ્યાતિ પામી છે. એ વર્ષના પ્રત્યેક તહેવારો દરમિયાન સિદ્ધ થયા વગર રહેતું નથી. પતંગ ચગાવવાનો ઉત્સવ હોય કે દિપાવલીની રોશની. એની વચ્ચે સેન્ડવિચની જેમ ઠસો ઠસ આવતા વિવિધ તહેવારો પણ ચોક્કસપણે રંગેચંગે મનાવાય જ છે. અને તેમાંય ખાસ સૌરાષ્ટ્ર સાથે આત્મીય સંબંધ છે, એ છે જન્માષ્ટમી.

ઊજવણીનો ઇતિહાસ

દુર્જન-સંહાર, સજ્જન-રક્ષણ, અધર્મ-નાશ અને ધર્મની સ્થાપના માટે શ્રીકૃષ્ણ પ્રત્યેક યુગમાં (કલ્પમાં) અવતાર લે છે. પુષ્ટિમાર્ગની માન્યતા પ્રમાણે સારસ્વત-કલ્પમાં શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. સર્વસામાન્ય મત પ્રમાણે ઈ.સ. પૂર્વે 5000ના સમયગાળામાં શ્રાવણ વદ અષ્ટમીએ શ્રી કૃષ્ણે જન્મ ધારણ કર્યો હતો, તેથી કહી શકાય કે, સંભવત: સાત હજાર વર્ષ પહેલાં, શ્રાવણ-વદ આઠમથી 'જન્માષ્ટમી'ની ઉજવણીની શરૂઆત થઈ હતી.

શ્રાવણ વદ અષ્ટમીની રાત્રે બાર વાગે, દેવકીના આઠમા પુત્ર રૂપે મામા કંસના કારાગારમાં શ્રીકૃષ્ણનો જન્મ થવાનો હતો. શ્રીકૃષ્ણનો જન્મ નિર્વિધ્ને થાય, એવી પ્રાર્થના અને પ્રતિક્ષા સાથે, એ જન્મને વધાવવા માટે આનંદોલ્લાસપૂર્વક દિવસભર ઉપવાસ કરવામાં આવે છે અને મધ્યરાત્રિએ જન્મ-પ્રાગટ્ય થયા પછી અથવા બીજા દિવસે નવમીએ પારણાં કરીને ઉપવાસ છોડવામાં આવે છે.

જન્માષ્ટમીના દિવસે ઉપવાસ હોવા છતાં ‘પંચાજીરી’નો પ્રસાદ શા માટે અપાય છે?

- ‘પંચાજીરી’ (કે ‘પંજરી’) એટલે (1) સૂંઠ, (2) અજમો, (3) વરિયાળી, (4) ધાણા અને (5) જીરું એ પાંચ પદાર્થોના ભૂકામાં ખાંડ ભેળવીને કરાતું મિશ્રણ. આ પાંચેય પદાર્થો ‘ફરાળી’ ગણાય છે અને સાથે-સાથે તે પાચક અને આરોગ્યવર્ધક ગણાય છે. તેથી ઉપવાસ હોવા છતાં એનો પ્રસાદ તરીકે ઉપભોગ થાય છે.

જન્માષ્ટમીના દિવસે ‘દહીં-હાંડી’ ફોડવાનું માહાત્મ્ય શું છે?

- બાળકૃષ્ણ તો ભારે નટખટ, તે તો બાળકો-ગોવાળિયાંઓ માટે મસ્તીખોર માખણચોર ગોઠિયા છે. બાળકૃષ્ણને ઊંચે છીંકામાં મૂકેલ મટકીમાં રાખેલ દહીં-માખણ, મટકી ફોડીને કે ઊંચે ચઢીને પણ ચોરીછૂપીથી ખાવાની મજા પડતી. તે કોઈની આવી મટકી ફોડી નાખે તો પણ સૌ એના પર હેત વરસાવે. દહીં-માખણ તે એકલા ન ખાતા પણ સૌ ગોપ બાળકોને, વાંદરાઓને વહેંચી દેતા. દૂધ-દહીં-માખણનો સંગ્રહ ન કરાય. તેનું તો સૌને વિતરણ કરાય . ખાવુંને ખવડાવવું માખણચોરીની લીલા પાછળનું બાળકૃષ્ણનું આવું તત્વજ્ઞાન છે. આવી મીઠાસ હોય ત્યાં નંદ-યશોદાનું ગોકુળિયું સર્જાય. બાળકૃષ્ણની આવી લીલાને અનુસરી આજે પણ જન્માષ્ટમીના દિવસે ઊંચે બાંધેલ દહીં-હાંડી ફોડાય છે.


સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી એટલે આપણી ભાષામાં સાતમ આઠમ, ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો તહેવાર. સ્વભાવે રંગીલા અને કર્મે યુગપુરુષ એવા શ્રી કૃષ્ણના જન્મદિવસની સૌથી વધારે રંગીન ઉજવણી જ્યાં થાય છે એ સૌરાષ્ટ્ર. ધાર્મિક મહાત્મય ધરાવતા દ્વારકા સહિત સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર ઉજવણી ચરમસીમાએ હોય છે. ગામેગામ થતા સુશોભનોથી માંડીને લોકમેળા અને અષ્ટમીની રથયાત્રા પછી ‘નંદ ઘેર આનંદ ભયો’ ના નાદ સાથે જન્મદિનની આખરી ક્ષણોનો માહોલ જીવનનું એક અવિસ્મરણીય સંભારણું બની રહે છે. એન.આર.આઈ ગુજરાતીઓ વેબસાઈટ કે ટી.વી.ની સ્ક્રીન પર, જન્મભૂમિનું સ્મરણ કરતાં આનંદ કરે છે તો દેશના જ અલગ અલગ રાજ્યોમાં ધંધાર્થે જઈ વસેલા આપણા ગુજરાતીઓનું મન પણ સૌરાષ્ટ્રના પોતીકા આ તહેવારની ઉજવણીના સમાચાર વાંચવા કે જોવા ચોક્કસ લલચાય છે. શ્રી કૃષ્ણ જન્મોત્સવ દરમ્યાન રચાતા માહોલ તરફ એક નજર કરીએ તો સુશોભનો, રાસ, તથા મેળાઓ સૌથી વધારે ધ્યાનાકર્ષક હોય છે. સૌરાષ્ટ્રનું કોઈ એવું ગામ, નગર કે શહેર નહિ હોય જ્યાં જન્માષ્ટમીની ઉજવણી નહીં થતી હોય. પોતપોતાની આગવી પરંપરા અનુસાર રાંધણછઠ્ઠથી આઠમ સુધી ઉલ્લાસ, ઉલ્લાસ અને માત્ર ઉલ્લાસ જ હોય. ગામડાઓમાં સૌરાષ્ટ્રના મોટા શહેરોની માફક ઉત્સવ સાથે આધુનિકતા હજુય આવી નથી, જો કે સમય સાથે પરિવર્તન જરૂર આવ્યું છે. શુદ્ધ ગામઠી ભાષામાં રચાયેલા, લોકગીતોના સથવારે ગામડાના પટાંગણમાં જન્માષ્ટમીના દિવસે અગાઉ રાસ લેવાતા. ઢોલ, નગારા, ત્રાંસા, મંજિરા જેવા વાદ્યો વડે, ચગડોળની માફક, હુડો, પોપટિયું, પંચિયા, તાલી વગેરે શૈલીમાં જોશભેર રાસ રમતા પુરુષો અને મહિલાઓ નજરે પડતા. હવે એ બધું ઓછું થાય છે. આ તહેવારોને લીધે જોડિયા તાલુકાના લતીપર કે ટંકારાના હડાણા ગામના રાસમંડળો ખૂબ નામ કમાયા છે. આગવા પહેરવેશ અને સુંદર સંગીતથી મઢેલા ગુજરાતીઓના સાંસ્કૃતિક વારસાને ઝળહળાવતા રાસમંડળોની સંખ્યા હવે ઘટી રહી છે, લુપ્તતાને આરે છે. ખેર, આ ઉત્સવની પ્રાચીન રીત થઈ, પણ ગામડાના મેળાઓ હજી અકબંધ રહ્યા છે. શહેર જેટલી આધુનિકતા હજુ મંદ ગતીએ પ્રવેશી રહી છે. કદાચ એટલે હજુ પણ એનું મહાત્મય જળવાયું છે. સૌરાષ્ટ્રના શહેરોમાં જન્માષ્ટમી પાશ્ચાત્ય બની રહી છે. પાશ્ચાત્યપણાની સાથે ટેકનોલોજી આવતા ઉત્સવમાં ચાર ચાંદ લાગી ગયા છે એનો પ્રભાવ રંગીલા રાજકોટ તથા અન્ય શહેરોમાં ગલીનાકે થતા અવનવા ‘ફ્લોટ્સ’માં મનોરંજન સાથે જોવા મળે છે. કૃષ્ણ ભગવાનના જીવનચરિત્રને તાદશ કરતા દ્રશ્યો મનમોહક હોય છે. બાળપણના, કાનુડાથી મહાભારતમાં ગીતાસાર આપતા વિરાટ કૃષ્ણ અનેક વિસ્તારોમાં જોવા મળી જાય. કેટલાક ઠેકાણે તો રૂપિયો કે પાંચ રૂપિયા આપો તો કૃષ્ણ ભગવાન તમને પ્રસાદી આપવા પણ આવે છે ! શાળાઓ તેમજ જાહેરમાં થતા અત્યંત આકર્ષક આવા ‘ફ્લોટસ’ ની સજાવટમાં અનેક લોકોનો સખત પરિશ્રમ સમાયેલો હોય છે. છતાં એમાં થાક નહીં પણ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે ભક્તિનો અફાટ ભક્તિરસ છલકાય છે, સાથોસાથ જ સૌરાષ્ટ્રની સંસ્કૃતિને ઉજાગર કરતી આઠમની શોભાયાત્રા, અમદાવાદની જગન્નાથજીની યાત્રા કરતાં બેશેર ચઢે તેવી હોય છે.
‘મેળા’ સૌરાષ્ટ્રની પરંપરા છે. હાથમાં હાથ પકડીને હૈયે હૈયું દબાય એટલી હકડેઠઠ ભીડમાં પણ ઉજવણીના ઉત્સાહ વચ્ચે અનેક મેળા સૌરાષ્ટ્રવાસીઓ ઉજવે છે. મોટા મેળાઓમાં અત્યારનો રાજકોટ શહેરમાં યોજાતો મેળો ભારતભરમાં સુવિખ્યાત છે. દેશને આઝાદ થયાને જેટલા વર્ષો થયા એટલા જ વર્ષનો ઉંમરલાયક આ મેળો બની ગયો છે. રમકડા અને ખાવાપીવાના અનેક સ્ટોલ તથા એક સાથે ગોળગોળ ઘુમતા 20-25 ફજરફાળકા દિવસે ન દેખાય એટલા રાતે રમણીય ભાસે છે. બાળકો માટે રમકડાં અને મોટેરાંઓ માટે મેળાવળો, આ મેળો ગણાય છે. પૂરા એક અઠવાડિયા સુધી માત્ર એક જ દિવસના ઉત્સવની ઉજવણીના ઉત્સાહ વચ્ચે જનજીવન ફરીથી પાટે ચડતા પણ બીજું પૂરું અઠવાડિયું વહી જાય છે, એવી હોય છે આ મહોત્સવની રંગત.

અને હા આખરે આપણે બધાં ઘણી આતુરતાથી વાટ જોતાં હતાં અને હવે એ દિવસ આવી રહ્યો છે જન્માષ્ટમી. એટલે કે સાતમ આઠમ. અને હા સમય બદલાયો છે વિચારો બદલાયા છે એમ ઊજવણીઓમાં પણ પરિવર્તન આવ્યું છે. આજે લોકો અલગ-અલગ પોતાની રીતે જન્માષ્ટમી મનાવે છે, કોઈ મંદિર સજાવટ અને ભજન-કીર્તન કરીને તો કોઈ જુગાર રમીને.

આજની જન્માષ્ટમીમાં ભગવાનનાં નામ કરતાં જુગાર રમીને વધારે મનાવાય છે, જાણે કે જન્માષ્ટમી એટલે આજની યુવા પેઢી માટે જુગાર રમવાનો તહેવાર બની ગયો છે, જન્માષ્ટમી આવી રહી હોઈ તેનાં અઠવાડિયા પેલાં જુગાર માટેના સ્થળ, સભ્યો અને સુવિધાઓ ની માહિતી એકઠી કરવાં લાગે છે. જન્માષ્ટમી અવતાતો બધું ફાઈનલ થય જાય છે.

આપણે એ ભૂલીજય રહ્યાં છીએ કે જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ દિવસ, અને જો આપણને યાદ હોઈ તો આપણે આવી રીતે ના ઉજવીએ, કારણ કે આપણે આપણો જન્મદિવસ ને પોતાનું નામ લઈને ઉજવીએ છીએ અને તે દિવસે આપણને ગમતુજ કરીએ છીએ, કપડાં થી લઈને જમવાનું, ફરવાનું, કામ કરવાનું વગેરે. તો આતો ભગવાન નો જન્મદિવસ કેમ જુગારમાં પસાર કરી નાખીએ છીએ ?

મેં મહાભારત ની એક વાત સાંભળી છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિર પર ક્રોધિત થાય છે, પિતામા ભીષ્મ, ગુરુ દ્રોણાચાર્ય જેવાં યોધ્ધાઓ, આચાર્યો અને બ્રમ્હાં જેવાં દેવો પણ ધર્મરાજ યુધિષ્ઠિર સાથે વાત કરવામાં માટે વિચાર કરે છે. એવા ધર્મરાજ યુધિષ્ઠિર પર શ્રી કૃષ્ણ ક્રોધિત થાય છે અને કહે છે: યુધિષ્ઠિર તે તારા જીવનમાં મોટામાં મોટી ભૂલ કરી કે તું જુગાર(પાંડવો અને કવરવો વચ્છે રમાય છે તે) રમ્યો તારે આનુ પરિણામ ભોગવવું પડશે, ભગવાન મહાભારતમાં પાંડવો પર ક્યારે પણ ક્રોધિત નથી થયા, પણ પાંડવો જુગાર રમ્યાં ત્યારે થયા, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને જુગાર પસંદ નથી. અને આપડે એના જન્મદિવસેજ જુગાર રમવાનું ચાલુ કરી દીધું. તો ભગવાન શ્રી કૃષ્ણ એના પ્રિય પાંડવો પર ક્રોધિત થયા, તે આપડા પર કેમ ખુશ થાશે જુગાર રમીશું તો?

તો આપણે વિચારવું જોઈએ અને ભગવાન કેવી રીતે ખુશ થાય તેનાં માટે કોશિશ કરવી જોઈએ.

જન્માષ્ટમી – સિક્કા ની બે બાજુ….


સિક્કાની ખરાબ બાજુ

લોકો જન્માષ્ટમી ને , મજાક ગણી, નાચવા-ગાવા ના પ્રોગ્રામો કરવા લાગ્યા છે..જેમાં કૃષ્ણ ભક્તિ તો ક્યાંય દેખાતી જ નથી…..
અરે લોકો…આજના દિવસે ભક્તિ-સત્સંગ કરવાને બદલે-જુગાર રમે છે…..!! જન્માષ્ટમી અને જુગાર….??? ભગવાન ના નામ પર હદ થઇ રહી છે….અને કેટલાક તો સહ-પરિવાર જુગાર રમે છે…અને એને ભક્તિ નો એક પ્રકાર માને છે. આમ તો જન્માષ્ટમી ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ (કે પછી જન્મરાત્રિ ?) છે. આ દિવસને જુગાર સાથે શું લેવા દેવા હોઈ શકે એ સમજાતું નથી. ઘણો પ્રયત્ન કર્યો કોઈ આધારભૂત માહિતી મળી નથી એટલે એવું માની શકાય કે જુગારના શોખીન લોકોને જુગાર રમવા માટે કોઈ બહાનાની તલાશ હશે અને એમાં એમણે જન્માષ્ટમી ઉપર પસંદગી ઉતારી હશે. આખું વરસ સાદા, સીધા, સરળ અને સંતુલિત (Sane)દેખાતા મારા ઘણા બધા મિત્રોનું વર્તન જન્માષ્ટમી આવે એટલે એકાએક બદલાઈ જાય છે. જન્માષ્ટમી પહેલાં ત્રણ-ચાર દિવસ અને ત્યારપછીના ત્રણ-ચાર દિવસ આ બધા જેમને અંગ્રેજીમાં Out of the World એટલે કે દુન્યવી વાતાવરણથી દૂર કહે છે તેવી સ્થિતિમાં પહોંચી જાય છે. એકાએક એમનામાં આખું વરસ સુષુપ્ત અવસ્થામાં પડેલો જુગારી જાગી ઉઠે છે અને ડીજેની ધૂન પર જેમ જાનૈયા નાચતા હોય તે રીતે એનો અંતરાત્મા પત્તાં કે પૂલ જેવી વ્યવસ્થાઓ જોઈને તાનમાં આવી ઝુમી ઉઠે છે. કોઈક ફાર્મ હાઉસ, પંચતારક હોટલ, ક્લબ કે પછી કોઈ મિત્રનું ઘર જેવી વ્યવસ્થા એને ઉપલબ્ધ બને એટલે એ સાતમા આસમાને વિહાર કરવા માંડે છે. સૌરાષ્ટ્રમાં તો શ્રાવણ મહિનો અને શિવભક્તિ જુગાર વગર અધુરી રહે તેવું લાગે એમ ગલીએ ગલીએ, વાડીમાં, ફાર્મ હાઉસમાં કે અન્ય અનુકૂળ જગ્યાએ જુગારની મહેફિલ જામી જાય છે. કાયદેસર રીતે જુગાર રમવો કે રમાડવો એ પ્રતિબંધિત છે. પણ કાયદો અને અનુશાસનના તંત્રવાહકો શુકન ખાતર ક્યાંક ક્યાંક કોઈકને ઝપટમાં લઈ લે બાકી મોટા પાયે આંક આડા કાન થતા હોય એવો અનુભવ છે. આ જુગારની સાથે હવે દારુનું પણ ઘુસી ગયું છે.


સિક્કા ની સારી બાજુ

કૃષ્ણ ભગવાન નું જીવન-પળેપળ એક સંદેશ હતું…..શ્રીજી નો જન્મ જ કારાગૃહમાં થયો અને એ મોટા થયા અને છેક દેહ ત્યાગ કર્યો ત્યાં સુધી, એ સતત વિપરીત પરિસ્થિતિઓ સામે લડતા રહ્યા…..સંઘર્ષ કરતાં રહ્યા….પણ એમના મુખનું હાસ્ય અને એમની લીલાઓ અનન્ત રહી…..એમ મનુષ્ય એ ,જન્માષ્ટમી પર થી શીખવાનું કે ,જીવનની કોઈ પણ પરિસ્થિતિ આવે પણ…..

સ્થિર રહો…..ભલે ને એ સુખ હોય કે દુખ હોય……જીવન નું બીજું નામ જ સંઘર્ષ છે….કર્મ અને કર્તવ્ય બજાવવા મા થી ક્યારેય પાછા ન પડો…..એક શ્રીહરિ નો આશરો દ્રઢ હશે, કર્મ સંપૂર્ણ હશે….તો જીવન સફળ જ છે…..

ગીતામાં કૃષ્ણ એ અર્જુન ને આજ કહ્યું છે…..જીવનમાં ધર્મ માટે , ક્યારેક કઠીન નિર્ણય લેવા પડે તો , લેવા ના જ…..પાછા ન પડવું…….ધર્મ ,જ્ઞાન અને વૈરાગ્ય જ જીવન ના સિદ્ધાંતો છે……


અંતે એટલું જ કહેવું છે કે ભારતમાં અનેક અવતારો થયા છે. પણ બધી દૃષ્ટિએ કૃષ્ણ પૂર્ણ અવતાર છે. તેમના જીવનમાં ક્યાંય પણ આંગળી ઉઠાવવામાં, ન્યૂનતા જેવુ સ્થાન નથી. એક પણ સ્થાન એવુ નથી કે જ્યા ઉણપ અનુભવી શકાય. આધ્યાત્મિક, નૈતિક કે બીજી કોઈ પણ દ્રષ્ટિએ જોઈશુ તો ખબર પડશે કે કૃષ્ણ જેવા સમાજ ઉદ્ધારક બીજા કોઈ જનમ્યા નથી. કૃષ્ણની તુલનામાં ઉભા રહી શકે તેવો રાજનીતિજ્ઞ આ જગતમાં કોઈ પણ જોવા નથી મળતો. એક-એક ધ્યેયને માટે ઘણાં જીવન આ દેશમાં લોકોએ અર્પણ કર્યાં છે. આવા ભારત દેશના રત્નોમાં શોભા આપનારા કૌસ્તુભમણિ અર્થાત શ્રી કૃષ્ણ યશસ્વી, વિજયી યોદ્ધા, ધર્મસામ્રાજ્યના ઉત્પાદક, માનવ વિકાસની પરંપરાના નૈતિક મૂલ્યને સમજાવનારા ઉદ્દગાતા, ધર્મધુરંધર, સત્ય અને નીતિના ઉદ્ગાતા, ભક્તવત્સલ, જ્ઞાનીઓ અને જિજ્ઞાસુઓની જિજ્ઞાસા તૃપ્ત કરનારા સદ્દગુરુ એટલે કે વાસુદેવ શ્રીકૃષ્ણને તેમના જન્મદિનના 
જ્ન્મોત્સવ પર્વે કોટિ કોટિ પ્રમાણ.

Friday, August 17, 2018

વાળ ખરવાના કારણો અને ઉપાયો

અઢાર વર્ષની તરુણી હોય કે ૬૫ વર્ષની વૃદ્ધા, બધાની એક જ ફરિયાદ હોય છે. “મારા વાળ ખરી રહ્યા છે, વાળનો જથ્થો બહુ જ ઓછો થઈ રહ્યો છે.”

હેરફોલ – વાળ ખરવા એ કોઈ સ્વતંત્ર રોગ નથી. વાળ ખરવા એ કોઈક શારીરિક, માનસિક સમસ્યાનું એક લક્ષણ છે. વાળ ખરવાનાં ઘણા કારણો છે. જેમ કે લોહી, કેલ્શિયમ કે ઝીંકની ઓછપ, લો બ્લડપ્રેશર, ખોડો, સોરાયસીસ, ઙઈઘઉ, પ્રેગનન્સી, ઉજાગરા, એસિડીટી, અસમતોલ આહાર અને લાઈફ સ્ટાઈલ, ચિંતા, ઉદ્વેગ વગેરે.

એન્ડ્રોજેનિક એલોપેસિયા – મેલપેટ + બાલ્ડનેસ: પુરુષોમાં માથાના આગળના ભાગના વાળ તથા મધ્યભાગનાં ખરી પડે છે. આસપાસના વાળ જળવાઈ રહે છે. શરીરમાં ટેસ્ટેસ્ટેરોન હોર્મોનનું સંતુલન ખોરવાય જતા આ સમસ્યા થાય છે. પુરુષોમાં આ સમસ્યા વારસાગત પણ હોઈ શકે છે. આવા કેસમાં લીપીડ પ્રોફાઈનો રિપોર્ટ કઢાવવો જરૂરી હોય છે. માથા પરના વાળના જથ્થાને ઓછો કરી નાખતા અનેક પરિબળો કારણોમાં એક મહત્ત્વનું કારણ કોલેસ્ટેરોલ પણ છે.

હાઈકોલેસ્ટેરોલ, કોઈકનું ઓછું હોવું અને કોઈકનું ઘણું વધારે હોવું એ હૃદયરોગને આમંત્રે છે અને આ જ કારણોને લીધે માથામાં અકાળે ટાલ પડી શકે છે. હેરફોલનાં બાહ્ય કારણોમાં મુખ્યત્વે તેલ નહીં નાંખવાની ફેશન તથા જલદ કેમિકલ્સવાળા શેમ્પુઓ અને સ્પ્રે જવાબદાર છે.


દહીંમાં લીંબૂનો રસ મિકક્ષ કરીને પ્રયોગ કરવાથી પણ વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે. દહીંમાં લીંબૂનો રસ મિકક્ષ કરીને પેસ્ટ તૈયાર કરી વાળમાં લગાવવી અને 30 મિનિટ બાદ વાળ ધોઈ નાખવા. આ એક કારગર નુસખો છે જેથી તમારા વાળ ખરવાની સમસ્યા દૂર થઈ જશે અને વાળમાં નવી જાન આવી જશે. સાથે જો તમને ડેંડ્રફની સમસ્યા હશે તો તે પણ જડથી દૂર થઈ જશે.

મધમાં અનેક ઔષધીય ગુણો હોય છે તે તો બધા જાણે છે પરંતુ આપણા વાળ માટે પણ મધ અત્યંત લાભકારક હોય છે. મધને વાળમાં લગાવવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે. સાથે વાળના રોગ પણ દૂર થાય છે અને વાળ સ્વસ્થ રહે છે.

તજ અને મધને મિક્ષ કરી વાળમાં લગાવવાથી વાળ ખરતા બંદ થઈ જશે. મધ ઘણી બિમારીઓમાં કારગર નિવડે છે જેથી મધના ઉપયોગથી ખરતા વાળની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકાય છે.


તાજા આમળાનો રસને વાળ માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે. શુષ્ક આમળાના ચૂરણનું પેસ્ટ બનાવી તેને વાળમાં લગાવવાથી વાળ કાળા અને સિલ્કી થઈ જાય છે અને સફેદ વાળની સમસ્યામાંથી છુટકારો મળે છે. સાથે ચોમાસામાં વાળ શુષ્ક અને રૂક્ષ થવાની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે.


(૧) જે ભાગ પર વાળનો જથ્થો ઓછો લાગતો હોય ત્યાં લીંબુની ચીરી કરી દરરોજ સવાર સાંજ ઘસતા રહેવું. આથી ત્યાં વાળ વધુ થશે.

અડદની દાળ પાણીમાં પલાળી, બારીક વાટી મલમ જેવું બનાવી રાતે સુતી વખતે માથા પર લેપ કરવો. સવારે બરાબર સાફ કરી માથું ખંજવાળી બધે ઘી ઘસી થોડી વાર કુમળા તડકામાં બેસવું. લાંબા સમય સુધી આ પ્રયોગ કરવાથી વાળનો જથ્થો વધે છે. ટાલ પડવાની શરુઆત થઈ હોય તો તે અટકે છે.

(૪) દરરોજ રાતે પાકા કેળાને છુંદી, મસળી તેમાં લીંબુનો રસ નાખી ફરીથી મસળીને મીશ્રણ માથા પર બધે વ્યવસ્થીત લેપ કરી સુઈ જવું. સવારે સાદા પાણીથી માથું ધોઈ નાખવું. ચારેક મહીના સુધી દરરોજ નીયમીત પ્રયોગ કરવો. કેળાંનું પ્રમાણ વાળના જથ્થા મુજબ લેવું, તથા એક આખું મોટું કેળું હોય તો બે લીંબુ અને અડધું કેળું હોય તો એક લીંબુ લેવું.

(૫) મેંદીનાં સુકવેલાં પાનનો બારીક પાઉડર (જે બજારમાં મળે છે) પાણીમાં પલાળી દરરોજ નહાતી વખતે માથામાં સરખી રીતે લેપ કરી થોડી વાર રહીને નાહવું. દરરોજ નીયમીત પ્રયોગ કરતા રહેવાથી વાળનો જથ્થો તથા વાળની લંબાઈ પણ વધે છે.

(૬) આમળાના ચુર્ણને દુધમાં કાલવી જાડી થેપલી કરી રાત્રે સુતી વખતે મગજના ભાગ પર માથા પર બાંધી રાખવામાં આવે તો વાળ વધે છે.

(૭) તાજા ગોમુત્રમાં જાસુંદનાં ફુલ વાટી રાતે સુતી વખતે માથે લેપ કરવાથી અને સવારે ધોઈ નાખવાથી માથામાં વાળનો જથ્થો વધે છે. લાંબા સમય સુધી પ્રયોગ કરવો.

(૮) વડનાં પાન સુકવી તેના પર અળસીનું તેલ ચોપડી બાળીને બનાવેલી રાખને ચારગણા વજનના અળસીના તેલમાં મીશ્ર કરી દરરોજ રાતે સુતી વખતે માથા પર જે ભાગમાં વાળ ઓછા હોય ત્યાં ઘસી માલીશ કરતા રહેવાથી ઘણા દીવસો પછી વાળ વધવા લાગે છે. માથે ટાલ પડી ગઈ હોય તો તે પણ મટે છે.

૧-૧ ચમચી શંખપુષ્પીનું ચુર્ણ દરરોજ સવાર, બપોર, સાંજ નીયમીત લેવાથી કે ૧-૧ કપ શંખપુષ્પીનું શરબત પીવાથી માથાના વાળનો જથ્થો વધે છે અને વાળ સુંદર તથા લાંબા થાય છે.

Wednesday, August 8, 2018

ગુજરાતી ડીશનું મહત્વ


દરરોજ શરીરમાં 40 mg જેટલા dietary fibre ની જરૂર હોય છે..
એટલે
સંભારો રાખ્યો..

રોટલી કે રોટલામા વિટામિન હોય fat soluble હોય છે
એટલે સાથે oily ખોરાક જેમકે શાક, અથાણું આપ્યું..

ભાત માં threlin and lysine નામના amino acid હોતા નથી પણ એ દાળ માં હોય છે
એટલે દાળભાત સાથે રાખ્યા..

(Nutrition ની આટલી માહિતી હતી એ યુગ માં..)

Sunday, August 5, 2018

અભરામ ભગત


આજથી નવ દાયકા પહેલાની આ વાત. સૌરાષ્ટ્રના જેતપુર નજીક આવેલા ખોબા જેવડા ગામ નવાગઢમાં એક ગરીબ મુસ્લિમ પરિવારમાં જન્મેલા બાળકને નામ મળ્યું ઈબ્રાહીમ કરીમ સુમરા. પોલીસખાતામાં મામૂલી નોકરી કરતા પિતાની ટૂંકી આવકમાં પરિવારનું ભરણપોષણ કરવું ય શક્ય ન હતું તો બાળકોને શિક્ષણ ક્યાંથી મળી શકે? માંડ એક ચોપડી સુધીનો અભ્યાસ કરીને ઈબ્રાહીમને શાળા છોડી દેવી પડી. થોડા વર્ષો બાદ કિશોર વયના ઈબ્રાહીમે મિલમજૂરની નોકરી કરવા માંડી. પણ તકદીરને એ ય મંજૂર ન હતું. એક દિવસ અકસ્માતે ઈબ્રાહીમનો પગ મશીનમાં આવી ગયો! તાત્કાલિક તેને જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. પણ ઘાનું ઝેર પગમાં ફેલાઈ ચૂક્યું હતું. પરિણામે આખો પગ કાપી નાખવો પડ્યો.

ગરીબી, નિરક્ષરતા, બેકારી અને ઉપરથી કાયમી પંગુતા... આવી હાલતમાં કોઈ શું કરી શકે? સંજોગોના ખેલ સામે લાચાર થઈ ચૂકેલા ઈબ્રાહીમને તેના કાકા પોતાને ઘેર નજીકના ખીરસરા ગામે લઈ આવ્યા. ત્યારે ખુદ તકદીરને પણ ક્યાં ખબર હતી કે ઈબ્રાહીમના જીવનમાં એ કેવો જબરજસ્ત વળાંક લેવાની છે! એવું તે શું થયું કે જમીન પર ચાલવાને અસમર્થ ઈબ્રાહીમનો સિતારો દેશ દુનિયાના ફલક પર બુલંદ થઈને ચમક્યો!

થયું એવું કે કાકાના ગામમાં દર પૂનમે આખી રાત ભજનનો કાર્યક્રમ થતો. ઈબ્રાહીમ ત્યાં જતો ને મંજીરા વગાડતો. ધીરે ધીરે નિયમિત રીતે સાંભળેલા ભજન તેને કંઠસ્થ થતા ગયા. હવે ક્યારેક ક્યારેક તેને ગાવાનો મોકો પણ મળવા લાગ્યો. મીઠી હલકથી કૃષ્ણ ભજન ગાતા ઈબ્રાહીમના અવાજની ખ્યાતિ ધૂપસળીની સુવાસની માફક આખાયે પંથકમાં પ્રસરી ગઈ. શિવરાત્રિએ ગિરનારની તળેટીમાં યોજાતા ભવનાથના પ્રસિદ્ધ મેળામાં ભજન ગાવા માટે ઈબ્રાહીમને આમંત્રણ આપવામાં આવ્યું. ત્યાં એકત્ર થયેલા હજારો લોકોની ભીડ આ નવોદિત ગાયકને સાંભળીને અભિભૂત થઈ ગઈ! ભવનાથની તળેટીમાંથી વહેતી થયેલી ભજનગંગાની આ સરવાણી ધીરે ધીરે સૌરાષ્ટ્રના નાના મોટા ગામોમાં વહેતી થઈ!

પોતાના અલગારી સ્વભાવને કારણે 'ભગત' તરીકે ઓળખાતા ઈબ્રાહીમના નામનો ઉચ્ચાર ગામઠી બોલીમાં લોકો 'અભરામ' તરીકે કરતા. આ રીતે ઈબ્રાહીમનું નવું નામકરણ થયું 'અભરામ ભગત'. ટૂંક સમયમાં જ ભજન ગાયક તરીકે અભરામ ભગતની કીર્તિ ચારેકોર પ્રસરી ગઈ. જેતપુર નજીકના વડિયા ગામના દરબાર ભગતના ખરા કદરદાન નીકળ્યા! તેમણે આપેલી જમીન પર મકાન બાંધીને ભગતે એક તરફ પત્ની હલીમાબાનુ સાથે પોતાનો સંસાર વસાવ્યો, તો બીજી તરફ કૃષ્ણ ભજનો થકી વૈષ્ણવ સમાજમાં આગવી ઓળખ મેળવી. એટલું જ નહીં, યશવંત ભટ્ટ, મોહનલાલ રૈયાણી, કનુભાઈ બારોટ, દુલા ભગત જેવા એ સમયના ગુજરાતના ખ્યાતનામ ભજન ગાયકોની વચ્ચે લોકચાહનાની દ્રષ્ટિએ
અગ્રીમ સ્થાન મેળવ્યું.

ભજન ઉપરાંત અભરામ ભગત 'આખ્યાન'ની કળામાં પણ માહેર હતા. નરસિંહ મહેતાનું 'કુંવરબાઈનું મામેરું' આખ્યાન તેમના કંઠે સાંભળવું એ અનેરો લ્હાવો ગણાતો. આખ્યાન ઉપરાંત કાવ્યપ્રકારની દ્રષ્ટિએ અલગ અલગ રીતે ગવાતી એવી આરાધ, કટારી, પ્રભાતિયા, રામગરી જેવી ભજનની અનેકવિધ ગાયકીમાં તેમણે મહારત હાંસલ કરી હતી. જોતજોતામાં તેમની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. સૌરાષ્ટ્ર ગુજરાતના નાનામોટા શહેરોમાં તો ઠીક, મુંબઈમાં પણ તેમના શો હાઉસફુલ થવા લાગ્યા. કોલંબિયા અને એચએમવી જેવી નામી રેકોર્ડ કંપનીઓએ બહાર પાડેલી તેમના ગાયેલા ગુજરાતી તેમજ હિંદી ભજનોની એલપી રેકર્ડ વિક્રમજનક સંખ્યામાં ચપોચપ વેચાઈ જવા લાગી! તેમણે હિંદીમાં ગાયેલા સાંઈબાબા ભજનોની શ્રેણી એટલી પ્રખ્યાત થઈ કે લોકો એ જ હોટલમાં જવાનું પસંદ કરતાં કે જયાં તેમના ગાયેલા ભજનોની રેકર્ડ વાગતી હોય!

આપણને જાણીને નવાઈ લાગે કે અભરામ ભગતના અગણિત ચાહકોની યાદીમાં એક નોંધપાત્ર નામ મહાત્મા ગાંધીનું પણ હતું! પૂ. બાપુએ વ્યક્તિગત રીતે તેમને કાગળ લખીને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો! એટલું જ નહીં, 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પોતાની સઘળી આવક પ્રધાનમંત્રી રાહત ફંડમાં દાન આપી દેનાર આ અલગારી ભગતને તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીએ ખાસ આમંત્રણ આપીને દિલ્હી તેડાવ્યા હતા. ત્યાં તેમણે રજૂ કરેલા ભજન સાંભળીને પોતે અભિભૂત થઈ ગયા હતા એવું ખુદ શાસ્ત્રીજીએ તેમને લખેલા પત્રમાં જણાવ્યું હતું!

એક પગે અપંગ એવા અભરામ ભગત પ્રસિદ્ધિના એક પછી એક વણસ્પર્શ્યા શિખર સર કર્યે જતા હતા.દેશવિદેશમાંથી તેમને ભજન ગાવા માટે આમંત્રણ મળી રહ્યા હતા. એ 1973ની સાલ હતી. ભગતને 'અમેરિકન સોસાયટી ફોર ઇસ્ટર્ન આર્ટ્સ', 'સેન્ટર ફોર ઇન્ટરનેશનલ પ્રોગ્રેસ એન્ડ સર્વિસ' જેવી સંસ્થાઓ તેમજ 'ન્યુયોર્ક સ્ટેટ યુનિવર્સીટી' ના શિક્ષણ વિભાગ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું. આખુંયે વર્ષ ચાલેલી આ યાત્રામાં ન્યુયોર્ક, વોશિંગ્ટન, શિકાગો સહિત અમેરિકાના વિવિધ શહેરોમાં યોજાયેલા તેમના કાર્યક્રમોમાં શ્રોતાઓએ ભરચક હાજરી આપી. અમેરિકા ઉપરાંત તેમણે કેનેડા, યુકે તેમજ પૂર્વ આફ્રિકા અને યુરોપના અનેક દેશોનો પ્રવાસ પણ કર્યો. મજાની વાત એ હતી કે અક્ષરજ્ઞાનની દ્રષ્ટિએ તદ્દન અભણ એવા ભગતની આ સઘળી વિદેશયાત્રાઓ દરમિયાન ગુજરાત સરકાર તરફથી એમના દુભાષીયા તરીકે માહિતી ખાતાના અધિકારી શ્રી પી. એલ. સાધુની નિમણૂંક કરાઈ હતી! નસીબની બલિહારી જુઓ! માંડ એક ચોપડી સુધી શાળાએ જઈ શકેલા ભગતે પોતાના પુત્ર માહિરને, એક સમયે જ્યાં રાજવી પરિવારના સંતાનોને જ પ્રવેશ અપાતો એવી રાજકોટની પ્રખ્યાત 'રાજકુમાર કોલેજ' માં ભણવા મૂકેલો!

નાણાંની અવિરત રેલમછેલ વચ્ચે પણ સાદું, સંયમિત જીવન જીવતા અભરામ ભગતે આજના જ દિવસે એટલે કે 27 ફેબ્રુઆરી, 1988ના રોજ કોઈ જાતની બીમારી વિના જ શાંતિથી આ જગતમાંથી વિદાય લીધી. એ સમયે બધા જ અખબારોએ તેમના દેહાવસાનની નોંધ લીધી હતી. "તાનપૂરાનો એક તાર તૂટી ગયો!"- આવી અદભૂત ભાવાંજલિ અખબારો દ્વારા તેમને આપવામાં આવેલી!

અભરામ ભગત આજે સ્થૂળ દેહે ભલે આપણી વચ્ચે ન હોય, પરંતુ તેમણે આપણને વારસામાં આપેલો ભજન સરવાણીનો અણમોલ ખજાનો સદાયે તેમની યાદ જીવંત રાખશે. તેમણે ગાયેલું એક અતિ પ્રાચીન લોકગીત કુંતા અભિમન્યુને બાંધે રાખડી રે લોલ.....

સૌજન્ય
મારા શમણાં, મારા શબ્દો!

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...