Tuesday, March 31, 2020

લોકડાઉનના વૃંદાવનમાં (Part 1) જે.કે.સાંઈ

આપત્તિના સમયે, બીમારીના બિછાને, સ્મશાનમાં જઈએ ત્યારે અને વાસના સંતોષાઈ ગયા પછી- આ ચાર સમયે જે વિચારો આવે છે તે વિચારો કાયમ માટે રહે તો દરેક માનવ "સંત" ની શ્રેણીમાં આવી જાય. હાલ સોસિયલ મીડિયામાં લોકોના વિચારો વાંચી એમ થાય છે કે પૃથ્વી પરનો સૌથી મોટો "દુર્જન" હું જ છું. સ્વર્ગ એ કોઈ લોકેશનનું નામ નથી. જ્યાં એકતા અને ભાઈચારો છે ત્યાં જ સ્વર્ગ છે.

કો'ક કબીરજીને શોધતો શોધતો આવ્યો. કબીરજીનું સરનામું પૂછ્યું. જવાબ મળ્યો- "તે તો કોકના અગ્નિ સંસ્કારમાં લાકડે ગયાં છે." "વારુ, ત્યારે હું ત્યાં જાઉં છું. હું તેમને ઓળખી જાઉં એવી કોઈ એંધાણી આપો." "જેના મસ્તક પર જ્યોત પ્રગટેલી દેખાય એ જ કબીર" પેલો આગંતુક સ્મશાને પહોંચ્યો. સ્મશાનમાં જઈને જોયું તો તમામ ડાઘુઓના મસ્તક પર જ્યોત ઝળહળતી હતી. આમાં કબીર કયો ? ત્યાં એક સમજુ વ્યક્તિ ઊભો હતો. તેણે કહ્યું, "જરા ધીરજ ધરો. બધાને સ્મશાનની બહાર આવવા દો. બહાર આવ્યા બાદ પણ જેના મસ્તક પર જ્યોત પ્રગટેલી દેખાય તે કબીર." અત્યારે બધાં કબીરની શ્રેણીમાં છે. કોરોના પછી જોઈએ કેટલાં કબીર બચે છે ???

નેટની લ્હાયમાં આપણે "નીડ" (ઘર) ને ભૂલી ગયાં હતાં. અમેરીકામાં એક કહેવત છે, 'ઘર એટલે ..પિતાનું સામ્રાજ્ય, બાળકોનું સ્વર્ગ અને માતાની દુનિયા.' આ સામ્રાજ્ય, સ્વર્ગ અને દુનિયાને આપણે વિસરી ચૂક્યા હતાં. જે બાળકને પિતા ન હોય તે અડધો અનાથ કહેવાય અને જે બાળકને માતા ન હોય તે પૂરો અનાથ કહેવાય. મોબાઈલે કેટલાયને અડધા/આખા અનાથ બનાવી દીધાં હતાં. 21 દિવસ પૂરતાય હવે સનાથ બનશે એનો આનંદ છે. અત્યારે NRI ની દશા તો 'ઘરની દાઝી વનમાં ગઈ તો વનમાય આગ લાગી' જેવી થઈ છે.

કોઈ માણસની પીડાને, દુ:ખને તમે એ માણસ જેટલી જ તીવ્રતાથી પીડાનો અનુભવ કરો એ સંત કહેવાય. બાકી અમારે ત્યાં દાન કરવાથી તમને 80G હેઠળ 50% ઈન્કમટેકસમાં રાહત મળશે એમ કહી દાન મેળવી જનારને સંત ન કહેવાય. પાટણના રાજા વિશાળદેવના સમયમાં ભયંકર દુકાળ પડ્યો. સતત ત્રણ વર્ષ સુધી વરસાદનું ટીપુય ન વર્ષ્યુ. લોકો ભૂખે પ્રાણ ગુમાવવા માંડ્યા. તે વખતના એક દ્રામ (તે સમયનું ચલણ) માં માત્ર તેર ચણાના દાણાં મળતા. એટલી મોંઘવારી થઈ ગઈ હતી.

આ સમયે પ્રધાને કચ્છના ભદ્રેશ્વરના શાહ સોદાગર જગડુશાને તેડાવ્યાં. પાટણમાં તેમની અનાજની કેટલીક વખારો હતી. જ્યારે રાજા વિશળદેવે તે અનાજ આપવા જણાવ્યુ ત્યારે જગડુશાએ કીધું, "રાજા, આપની કઈક ભૂલ થાય છે, વખારો મારી છે પણ તેમાં રહેલું અનાજ મારુ નથી. તમારે ખાતરી કરવી હોય તો ત્યાં તામ્રપત્ર લગાવેલ છે તે મંગાવો. ખબર પડી જશે કે, વખારમાં રહેલું અનાજ કોનું છે ?" તામ્રપત્ર પરનું લખાણ વાંચી સૌની આંખો પહોળી થઈ ગઈ.-" આ વખાર જગડુશાની છે. પણ વખારમાનું બધુ અનાજ એનાં ભૂખે મરતાં ગરીબ ભાઈભાંડુઓનું છે. દેશની ભૂખે મારતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણાં પર પણ જગડુશાનો હક્ક નથી." આ 21 દિવસ દેશનાં જગાડુશાઓની પરીક્ષા છે.

આજદિન સુધી આપણે વ્યક્તિગત પાપ-પૂણ્યને સમજ્યા. આજે સામૂહિક પાપ-પૂણ્ય સમજવાનું છે. સામૂહિક પાપનું ફળ આખા સમૂહે ભોગવવું પડશે. કોરોના આપણું સામૂહિક પાપ છે. સ્વચ્છતા, લોકડાઉન વગેરે સામૂહિક પૂણ્ય છે. ઈશ્વર મોત કાંઇ પોતાને માથે લેતો નથી. એમ કોઈનું ભલું કરવાનું હોય ત્યારે પણ તે આપણને નિમિત બનાવે છે. ગરીબના ગુસ્સા અને ભિખારીના ઉપવાસની કોઈ કિમત હોતી નથી. આપણે સૌએ ગરીબને ગુસ્સો કરવાનો મોકો આપવાનો નથી અને ભીખારીને ઉપવાસી રાખવાનો નથી.

જેને ભગવાને બધુ જ આપ્યું છે તેઓ સારાં પુસ્તકોનું વાંચન કરે. સૌ પાસે પુસ્તકો હશે જ. જે પુસ્તક વંચાતું નથી એ પસ્તીનો ઢગલો જ છે. સાચી વાતોના ખુલાસા ન હોય અને કેટલીક વાતોનાં પુરાવા ન હોય. આપણાં જીવનમાં પેઠેલા ઘણાં બધાં અનિષ્ટોનું કારણ "પુસ્તક વાંચનબંધી" છે. ઘરે રહીને એક કામ સારું કરો અને એક કામ બગાડી 'કાકો પરણ્યો ને ફોઈ રાંડી' એવું ન બને એ પણ જોજો. આ જગતમાં ત્રણ દાદા છે. હનુમાનદાદા, ભાથીજીદાદા અને પોલીસદાદા. વર્તમાનકાળમાં પોલીસદાદાનો પૂણ્યપ્રકોપ (બીજાનું ભલું કરવા માટે થતો ગુસ્સો) ચરમસીમાએ છે. તેઓ દંડા વડે કોરોનાનો એન્ટિ ડોઝ આપી રહ્યાં છે. તેમને સહકાર આપીએ.

ડોક્ટર-નર્સને તો સાક્ષાત ઈશ્વર જ ગણજો. આ વર્ષનું નોબલ પ્રાઈઝ, ધ ટાઈમ્સ ઓફ ધ યર, જેટલાં પણ એવોર્ડ છે તે સંયુક્ત રીતે આ લોકોને અર્પણ કરવામાં આવે. શેરી-મહોલ્લે, સોસાયટીના નાકે, જાહેર સ્થળોએ આ સેવાભાવીઓના પોસ્ટરો ફોટા સહિત મૂકી તેમની કામગીરીને બિરદાવવામાં આવે. આજે તો એમ થાય છે કે, મે ભગવાન જોયો નથી પણ જો તે હશે તો ચોક્કસ ડોક્ટર-નર્સ જેવો જ દેખાતો હશે !!!

જે.કે.સાંઈ

સત્તા ભૂખ

અમેરિકન ઓઇલ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા પ્રમાણે અમેરિકામાં ૯૦ લાખ નોકરીઓ સીધી યા આડકતરી રીતે ઓઇલ એન્ડ નેચરલ ગેસ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી છે. અમેરિકાના જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)નો સાત ટકા હિસ્સો ઓઇલ એન્ડ ગેસ ઇન્ડસ્ટ્રીનો છે. આ આખી ઇન્ડસ્ટ્રી હાલમાં સાઉદી અરેબિયા અને રશિયા વચ્ચેના ટકરાવને કારણે મુશ્કેલીમાં આવી પડી હોવાથી અમેરિકા સામે એક મોટો પડકાર ઊભો થયો છે.

વાતને વિગતે સમજીએ. આજની તારીખમાં જગતમાં ઓઇલનું સૌથી વધુ ઉત્પાદન કરનાર નં. ૧ દેશ સાઉદી અરેબિયા નથી, બલ્કે અમેરિકા છે (રોજિંદુ ઉત્પાદન ૧.૮ કરોડ બેરલ). એ પછીના બીજા સ્થાનની હોડમાં સાઉદી અરેબિયા અને રશિયા અનુક્રમે ૧.૨ અને ૧.૧ કરોડ બેરલ પ્રતિદિનના ઉત્પાદન સાથે ખાસ્સા લગોલગ છે.

બાકી એક જમાનામાં સાઉદી અરેબિયાનો તેલ-જગતમાં દબદબો હતો. તેની તેલ સમૃદ્ધિનો જગતમાં જોટો નહોતો. અમેરિકા જેવું અમેરિકા સાઉદી અરેબિયાને હથેળીમાં રાખતું હતું અને સાઉદીની સુરક્ષા ખાતર અમેરિકા કેટલાક દેશો સાથે જરૂરી તેમ જ બિનજરૂરી પંગાઓ પણ લેતું હતું.

પણ અંદરખાને સાઉદીનું અવલંબન લેવાનું અમેરિકાને ગમતું નહોતી. અમેરિકા તેલના મામલે શક્ય તેટલું સ્વાવલંબી બનવા માગતું હતું અને એ દિશામાં તે એટલી ઝડપથી આગળ વધતું રહ્યું કે ૨૦૦૯ પછીના ફક્ત એક જ દાયકામાં અમેરિકાએ પોતાનું તેલ ઉત્પાદન બમણું કરીને તેલ ઉત્પાદનના મામલે નં. ૧નું સ્થાન મેળવી લીધું.

સાઉદીની તોતિંગ કમાણી, જલસા અને એશો-આરામ તેલના ઊંચા ભાવ પર અવલંબિત હતા. પણ અમેરિકા તેલનું ધોધમાર ઉત્પાદન કરીને બજારમાં તેલ ઠાલવી રહ્યું હોવાથી તેલના ભાવો સાઉદીની ઇચ્છા પ્રમાણે ઊંચા જાળવી શકાતા નહોતા. આવામાં, થાકેલા-કંટાળેલા સાઉદીએ ૨૦૧૬ની સાલના અંત ભાગમાં રશિયા સાથે હાથ મિલાવ્યા. સાઉદીને સમજાયું કે તે પોતે અને ઓપેક (ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સ્પોર્ટિંગ કન્ટ્રીઝ - તેલની નિકાસ કરતા દેશોનું સંગઠન) જો રશિયા સાથે હાથ મિલાવે તો બન્ને સાથે મળીને તેલના ઉત્પાદનમાં વધારો-ઘટાડો કરીને જગતમાં તેલના ભાવોની વધ-ઘટ પર મજબૂત પકડ મેળવી શકે. રશિયાને પણ આ જ જોઈતું હતું. એટલે બન્ને ‘દુશ્મનો’એ હાથ મિલાવ્યા (બાકી એ અગાઉ શીત યુદ્ધના જમાનામાં અમેરિકાના દુશ્મન એવા રશિયાને સાઉદી પણ પોતાનું દુશ્મન ગણતું રહેલું).

ટૂંકમાં, અમેરિકન તેલને લીધે સાઉદી-રશિયા નિકટ આવ્યાં. બન્નેએ મળીને નક્કી કર્યું કે ઓપેક પ્લસ (ઓપેકના દેશો વત્તા રશિયા)એ મળીને પોતાના કુલ તેલ ઉત્પાદનમાં રોજના ૧૭ લાખ બેરલનો કાપ મૂકવો, જેથી જગતમાં તેલની રેલમછેલ ન થાય અને ભાવ કાબૂમાં રહે.

સાઉદી-રશિયાનું ગાડું બરાબર ચાલી રહ્યું હતું. એટલામાં કોરોનાએ કાળો વર્તાવ્યો. જગતમાં તેલની ડિમાન્ડ ખાસ્સી ઘટી. આવામાં, ભાવ સાવ ભાંગી ન પડે તે માટે સાઉદીએ એવી દરખાસ્ત મૂકી કે અગાઉના ૧૭ લાખ બેરલ પ્રતિદિન ઉપરાંત વધારાના ૧૫ લાખ બેરલ પ્રતિદિનનો ઉત્પાદન-કાપ મૂકીએ, પણ રશિયાએ સાઉદીની આ દરખાસ્ત ન સ્વીકારી. રશિયા કહે, અમે કાપ નહીં મુકીએ. રશિયાના આ નિર્ણય પર પુટિનનો સિક્કો તો છે જ, પરંતુ આ ખેલમાં રશિયાના પક્ષે મુખ્ય ખેલાડી આઈગોર સેચિન નામનો એક માણસ છે. તે રશિયાની જાયન્ટ સરકારી ઓઈલ કંપની રોસનેફ્ટનો વડો છે. એ માણસ ધગધગતો રાષ્ટ્રવાદી છે. સાઉદીને સહકાર ન આપવાના નિર્ણયમાં તેની ભૂમિકા મુખ્ય છે. પ્રમુખ પુટિન અને તેલ-મહારથી આઈગોર સેચિન મળીને, તેલના ભાવોમાં કડાકો બોલાવીને, અસલમાં અમેરિકાને પાઠ ભણાવવા માગે છે.

ટૂંકમાં, પહેલી નજરે ભલે ઝઘડો સાઉદી-રશિયા વચ્ચેનો લાગતો, પણ અસલમાં આમાં ત્રણ પક્ષો વચ્ચેની ખેંચમતાણી છેઃ અમેરિકા, સાઉદી અને રશિયા. ઉત્પાદનમાં ઘટાડો કરવાના રશિયાના ઇન્કારથી સૌથી મોટો ફટકો અમેરિકાને પડી શકે તેમ છે, કારણ કે જો ક્રૂડ ઓઇલના ભાવ બેરલદીઠ ૫૦ ડોલરથી નીચા જાય તો અમેરિકન ઓઇલ કંપનીઓનું આવી બને તેમ છે.

તમને યાદ હશે કે આપણી વાત ચાલી રહી હતી કોર્પોરેટ ઉધારીની. આજની તારીખમાં જગતમાં કોર્પોરેટ ઉધારીના મામલે સૌથી ટોચના સ્થાને છે અમેરિકન તેલ કંપનીઓ. જો તેલના ભાવ લાંબા સમય સુધી નીચા જ રહ્યા, તો અમેરિકન ઓઇલ કંપનીઓ, જૂની લોનો ભરી શકશે નહીં, પોતાના કોર્પોરેડ બોન્ડ્ઝના ચૂકવણાં કરી શકશે નહીં અને પોતાના સ્ટાફને પણ જાળવી શકશે નહીં. ઉપર નોંધ્યું તેમ, અમેરિકાની ૯૦ લાખ નોકરીઓ ઓઇલ એન્ડ ગેસ ઇન્ડસ્ટ્રી પર આધારિત છે. આમાંની ઘણી નોકરીઓ જોખમમાં મુકાય તો દેશમાં કેવી મુશ્કેલી સર્જાય તે અમેરિકા બરાબર જાણે છે. ટૂંકમાં, તેલના ઘટેલા ભાવોથી અતિ ચિંતિત એવું અમેરિકા હવે સાઉદી અરેબિયા પર દબાણ પણ લાવી રહ્યું છે અને કાકલૂદી પણ કરી રહ્યું છે કે પ્લીઝ, તેલનું ઉત્પાદન વધારશો નહીં (નહીંતર નીચા ભાવોને કારણે અમારું આવી બનશે).

આખી વાતમાં મુખ્ય તકલીફ એ છે કે રશિયા સાથેની વાટાઘાટ તૂટી પડ્યા બાદ સાઉદી અરેબિયાના પ્રિન્સ એમબીએસ-મોહમ્મદ બિન સલમાને ભડકીને એવી જાહેરાત કરી છે કે તે તેલ ઉત્પાદન ઘટાડવાનું તો દૂર રહ્યું, પણ અગાઉ ક્યારેક નહોતું ઠાલવ્યું એટલું તેલ તે હવે પછી બજારોમાં ઠાલવશે; ભાવ ભલે ઘટે, પોતે (સાઉદીએ) ભલે વેઠવું પડે, પણ આડા ચાલનારા રશિયાને તે સીધુંદોર કરી દેશે.

અલબત્ત, તેલના ભાવો ઘટે તો રશિયાને પોતાના તેલના ઓછા ભાવ મળવાથી મુશ્કેલી તો પડશે જ, પણ વધુ મુશ્કેલી અમેરિકાને અને સાઉદીને પડે એવી શક્યતા છે. અમેરિકાની મુખ્ય મુશ્કેલી તોતિંગ-જોખમી-ખતરનાક કોર્પોરેટ ઉધારીની અને બેકારીની છે, જ્યારે સાઉદીની મુશ્કેલી એ છે કે તેનું આખું અર્થતંત્ર ઓઇલની આવક પર નભી રહ્યું છે. આવામાં, જો ભાવ ઘટવાને લીધે સાઉદીની આવક ઘટે તો તેણે શાસકીય ખર્ચ પર કાપ મુકવાની અને સરવાળે પ્રજાની સગવડો ઘટાડવાની નોબત આવી શકે.

બીજી તરફ, રશિયા કદાચ તેલના ભાવઘટાડાને થોડી મુશ્કેલીઓ છતાં પણ થોડા લાંબા સમય સુધી ભાવઘટાડો વેઠી લઈ શકે તેમ છે, કારણ કે રશિયાનું અર્થતંત્ર તેલ-કેન્દ્રી નથી. તે બહુઆયામી છે. એકલી તેલની આવક ઘટવાથી રશિયન અર્થતંત્ર તૂટી પડે તેમ નથી. રશિયા પાસે રિઝર્વ્ડ કેશ અને સોનું પણ ઠીક ઠીક પ્રમાણમાં છે.

તેલના ભાવો ઘટેલા રહે તેનાથી ભારતને તો ઘણો ફાયદો જ છે, પરંતુ આ ફાયદો કાયમી નથી, કારણ કે તેલના ભાવોનું આ યુદ્ધ કાયમી નહીં ચાલે. શક્ય છે કે ટૂંક સમયમાં નિવેડો આવી જાય. પણ આ આખી વાતમાં અમેરિકા-રશિયા-સાઉદી ઉપરાંત મારા-તમારા જેવા સામાન્ય માણસોએ પણ સમજવા જેવો એક નાનકડો પણ મહત્ત્વનો મુદ્દો એ છે કે ઉધારી ઊંચી હોય ત્યારે નાની મુશ્કેલી પણ ઘણી વધારે પીડાદાયી બની રહેતી હોય છે. માટે ઉધારીથી શક્ય તેટલી હદે બચવું. અને સમજવા જેવી બીજી વાત એ છે કે ભલભલા કોરોના-પ્રકોપ છતાં મહાસત્તાઓ વચ્ચે સત્તાની સાંઠમારી અને સોગઠાંબાજી અટકતી નથી. આનું કારણ કદાચ એ છે કે માત્ર મહાસત્તાઓને જ નહીં, સામાન્ય માનવીને પણ ભારે પ્રભાવિત કરતી ભારે શક્તિશાળી ભૂખ છે, સત્તાભૂખ.

Monday, March 30, 2020

હસતાં રહેજો રાજ

29/03/2020

✉️ *લોકડાઉન સ્પેશિયલ પોસ્ટ* ✉️

*હણે તેને હણાય ખરાં?*


*જો આપણે જીવતાં રહેવું હોય તો મચ્છર મારવા ફરજિયાત છે*

‘આજના છાપામાં એક આઘાતજનક સમાચાર છે.’ મેં અખબાર દૂર કરતાં કહ્યું.

‘આઘાતજનક…?’ પત્નીએ પાકું કર્યું.

હા… આઘાતજનક… આમ તો જોકે મોટા ભાગના સમાચારો આઘાતજનક જ હોય છે. પહેલા ક્યારેક એવું વાંચવા મળતું કે સાવકા પિતાએ પોતાની સાવકી પુત્રી સાથે બળજબરી કરી, પરંતુ આજના છાપામાં સમાચાર છે કે સગા પિતાએ સગી પુત્રી સાથે બળજબરી કરી છે.

‘રામ…રામ…રામ… હવે હળાહળ કળિયુગ આવ્યો છે.’ પત્નીએ બળાપો કાઢ્યો.

‘વિધાનસભામાં દરરોજ અખાડા થાય છે. પ્રજાએ પોતાનો પવિત્ર અને કીમતી મત આ લોકોને ઝઘડા કરવા માટે જ આપ્યો હોય એવી દશા છે. નેતાઓ સાવ નિમ્નકક્ષા સુધી નીચે ઊતરીને એકબીજા સાથે બકવાસ કરે છે. પુષ્કળ શોરબકોર બાદ અત્યંત સુવિધાયુક્ત મહેલ જેવા મકાનમાં આરામ કરે છે. આ પ્રજાના સેવક છે?’ મેં બીજો વિષય પકડ્યો.

‘આજે જ મારી બહેનપણીનો વોટ્સએપ આવ્યો છે. વર્ગખંડમાં વિદ્યાર્થીઓ ખૂબ જ તોફાન કરતા હતા. વર્ગશિક્ષકે પ્રવેશીને પૂછ્યું કે આ બધી ધમાલ કેમ આદરી છે? ત્યારે એક વિદ્યાર્થી બોલ્યો કે અમે વિધાનસભા, વિધાનસભા રમીએ છીએ…’ પત્નીએ પ્રસંગોચિત વાત કરી.

‘આ બંને સમાચાર કરતાં પણ વધુ આઘાતના સમાચાર બીજા છે.’

‘આથી પણ વધુ ખરાબ શું હોઈ શકે?’ પત્નીને દુઃખદ આશ્ચર્ય થયું.

‘છે’ મારો એકાક્ષરી જવાબ હતો.

‘શું?’ પત્નીનો એકાક્ષરી સવાલ.

‘અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં આવેલા એક ચર્ચમાં ગન કલ્ચર એટલે કે શસ્ત્રવાદને પ્રોત્સાહન આપતી પ્રાર્થનાસભા યોજાઈ હતી.’

‘પ્રોત્સાહન કે વિરોધ…?’

‘ચર્ચ, મસ્જિદ, ગુરુદ્વારા કે મંદિરમાં શસ્ત્રનો વિરોધ થવો જોઈએ, પરંતુ આ ચર્ચના પાદરીની બુદ્ધિ ઘાસ ચરવા ગઈ હશે એટલે એણે શસ્ત્રને ટેકો આપ્યો. સૌ અનુયાયીઓએ પોતપોતાનાં શસ્ત્રો સાથે લઈને આવવું. જે લોકો પાસે બંદૂક ન હોય તેમણે શસ્ત્રોની દુકાને જઈ સાત સો ડૉલર ભરીને પોતે ભવિષ્યમાં જરૃર ગન ખરીદશે એવી ખાતરી આપવી.’ મેં આખી વાત સમજાવી.

‘પાદરી પાગલ થઈ ગયો લાગે છે.’

‘હાસ્તો… ધર્મગુરુુઓનું કામ તોડવાનું નથી, પરંતુ જોડવાનું છે અને એ માટે શસ્ત્રો નહીં, પરંતુ શાસ્ત્રોનો સહારો લેવો જોઈએ. આ પ્રકારના હિંસાપ્રેમી ધર્મગુરુઓને તો ગન આપીને બોર્ડર ઉપર મોકલી દેવા જોઈએ…’ મેં બળાપો કાઢ્યો.

‘સૈનિકને શસ્ત્રની ફરજિયાત જરૃર પડે બાકી બીજા કોઈને નહીં.’

‘એક સેના એવી હતી જેમાં સૈનિકો પાસે શસ્ત્રો નહોતાં, ટેન્ટ કે મકાન નહોતાં, એમના માટે રસોઈ પણ બનાવવાની નહોતી અને તમને આશ્ચર્ય થશે, પરંતુ સૈનિકો કપડાં પણ પહેરતાં નહોતાં…’

‘તમે સવારના પહોરમાં ગપ્પાં મારવાનું બંધ કરો…’ પત્ની ઊભાં થતાં બોલી. મને થયું કે એમને મારી વાત મહાજૂઠ લાગી છે. એમને મારા ઉપર વિશ્વાસ ન હોય તે સ્વાભાવિક છે, કારણ અમે પરણેલા છીએ, પરંતુ મારી વાત ઉપર પણ વિશ્વાસ ન રહે તો જીવવું કેમ?’

‘તમે બેસો… હું સાબિત કરી દઉં.’ મેં વિનંતી કરી.

‘તમે મને સાવ મૂરખ સમજતા લાગો છો.’ પત્નીએ છણકો કર્યો.

‘એવું નથી. આપ જે છો તે સમજું છું.’

‘જે છો તે એટલે…?’ એક સૂૂર ઊંચો ગયો.

‘જે છો એટલે આમ સમજદાર છો અને હું આપને સમજદાર સમજું છું. આપને મૂરખ બનાવવાની જરૃર જ નથી.’

‘એટલે…?’

‘એટલે આપ ઓલરેડી જે છો તે કેવી રીતે બનાવવા એવું નથી, પરંતુ આપ સમજદાર છો અને મૂરખ બની શકો તેમ નથી એટલે આપને મૂરખ બનાવવાની જરૃર નથી.’ વાવાઝોડું આવ્યું અને કોઈ પણ જાતના નુકસાન વગર પસાર થઈ ગયું. મને પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગની એક વાતનું સ્મરણ થયું. નદીનું પૂર તોતિંગ વૃક્ષોને સમુદ્રમાં ઢસડી જશે, પરંતુ નેતરને નહીં, કારણ પૂર આવે ત્યારે નેતર નમી જાય છે. હું પણ પત્નીની હળવી મજાક કરીને પછી નેતરની માફક નમી ગયો. જે નમી જાય તે જગતને ગમી જાય.

‘શું વિચારો છો?’ પત્નીએ મારી વિચારધારા તોડતાં પૂછ્યું.

‘કશું નહીં… હું નેતર તું નદી, હું ક્ષણ તું સદી…’

‘મને કહો કે એવો રાજા કોણ હતો જે રાજાની સેનાને રોટી, કપડાં અને મકાનની જરૃર નહોતી.’ પત્ની મૂળ વાત પર આવી.

‘હા… એવો રાજા આ પૃથ્વી ઉપર થયો છે અને ભારતમાં જ થયો છે.’

‘તમારી વાતને વળ ચડાવવાની ટેવ છોડો અને જવાબ આપો.’

પત્નીની અધીરાઈ વધતી જતી હતી અને હું વાતમાં મોણ નાખતો જતો હતો. મને થયું કે આજે જો સાચો જવાબ નહીં આપું તો સવાર સાથે દિવસ પણ બગડવાની વકી છે. જે રીતે આ વરસે હોળીની જ્વાળા પૂર્વ દિશામાં ગઈ અને આગાહી કરનારાઓએ કહ્યું કે ક્યાંક દુષ્કાળ તો ક્યાંક અતિવૃષ્ટિ થશે. ટૂંકમાં સપ્રમાણ વરસાદ વરસવાનો નથી. મારા ઘરમાં આભ તો ઘેરાઈ ગયું હતું.

હોળીની જ્વાળા અમારા બંને તરફ વારાફરતી આવતી હતી અને અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિ ન થાય તે જોવાની મારી ફરજ હતી. આપણા નેતાઓ પ્રમાણસર વરસાદ વરસે તો અંદરથી નારાજ થાય છે, કારણ જો દુકાળ પડે તો રાહતકાર્યો કરવામાં નેતાઓને પણ ઘણી રાહત મળી શકે છે. જો હોનારત થાય તો બચાવ કાર્યો કરવામાં નેતાઓનો પણ ઘણો બચાવ થઈ શકે છે. આ મારા દાંપત્યજીવનનો પ્રશ્ન હતો. અહીં દુકાળ કે હોનારતમાંથી કોઈ આવી ચડે તો પરિવારને નુકસાન થાય તેમ હતું.

‘તમે જવાબ આપો છો કે હું ઊભી થઈ જાઉં?’ પત્નીએ ત્રાગું કર્યું.

‘કહું છું… કહુ છું… ભારતમાં એક રાજા એવા થઈ ગયા જેમની પાસે સેના હતી એવી સેના આજ દિવસ સુધી કોઈ રાજા પાસે હતી નહીં અને હશે પણ નહીં. ન ભૂતો ન ભવિષ્યતિ. એ રાજા પણ નાનોસૂનો રાજા નહોતો. એ રાજાએ પરદેશના રાજા ઉપર ચડાઈ કરી હતી અને રોટી, કપડાં અને મકાન વગરની સેના દ્વારા વિજય પણ મેળવ્યો હતો. મેં ઇંતેજારી વધારી દીધી.

‘તમે હવે ચોળીને ચીકણું કરો મા.’ પત્ની કંટાળી ગઈ.

‘તો શું કરું?’

‘ફટાફટ જવાબ આપો કે એ રાજા કોણ હતા?’

‘એ રઘુપતિ રાઘવ રાજા રામ હતા. જેમની પાસે રીંછ અને વાનરની સેના હતી. આ સૈનિકો એવા હતા જે વૃક્ષો અને ગુફાઓમાં રહેતા એટલે ટેન્ટ કે મકાનની જરૃર નહોતી. આ સૈનિકો ફળાહારી હતા એટલે રસોઈનો પ્રશ્ન નહોતો. આ સૈનિકો કપડાં પણ પહેરતા નહોતા. આ એવા સૈનિકો હતા જે પગાર કે પેન્શન પણ લેતા નહોતા. એમને હૈયાતીમાં કે મરણોત્તર કોઈ માન-સન્માનની પણ અપેક્ષા નહોતી. બોલ સાચી વાત છે કે ખોટી વાત છે?’

‘તમારી વાત સાવ સાચી છે.’ પત્નીને મીનો ભણ્યો.

‘હવે મને કહો કે આખા વિશ્વમાં એક પણ રાજા એવો થયો છે જેમની પાસે રાજા રામ જેવી સેના હોય?’

‘ના.’

‘એવા રાજા ભગવાન રામનો રપમી માર્ચે હેપ્પી બર્થ ડે છે. આમ તો ચૈત્ર સુદ નોમ એમનો જન્મ દિવસ છે. આજે પણ લોકો રામરાજ્યના દૃષ્ટાંત આપે છે અને ઉત્તમ રાજ્યવ્યવસ્થા માટે ‘રામરાજ્ય’ શબ્દ પ્રયોજાય છે. કોઈ એમ નથી કહેતું કે આપણે વિકાસ કરીને ‘સિકંદર રાજ્ય’ કે ‘નેપોલિયન રાજ્ય’ સ્થાપીશું. સૌને રામરાજ્યની ઝંખના છે.’ મેં પ્રવચન ઠપકાર્યું.

‘તમારી વાત સાવ સાચી છે.’

‘એટલે વિધાનસભામાં નેતાઓ ટપોરીની અદાથી ઝઘડે અને સગી પુત્રી ઉપર પિતા દુષ્કર્મ કરે તેનાથી પણ વધુ આઘાતજનક સમાચાર તો ધર્મજગતનો માણસ શસ્ત્રોનો મહિમા કરે તે છે. આપણા વડાપ્રધાને જોર્ડનના રાજા સાથે કુલ ૧ર કરાર કર્યા. તેમાં પણ યુવાનોને હિંસાના માર્ગે દોરી જતાં સંગઠનોએ વિરોધ કર્યો છે.’

‘આજે સવારના પહોરમાં સરસ ચર્ચા થઈ ગઈ. હવે મારે કૂકર મૂકવાનો સમય થયો છે. તમે બજાર જાવ તો મચ્છર મારવાનું રેકેટ લઈ આવજો.’

‘એ પણ એક પ્રકારની હિંસા જ થઈ.’ મેં કહ્યું.

‘અમુક હિંસા જરૃરી હોય છે. જો આપણે જીવતાં રહેવું હોય તો મચ્છર મારવા ફરજિયાત છે.’ પત્ની આટલું બોલીને રસોડામાં જતી રહી. ‘અમુક હિંસા જરૃરી હોય છે’ આ વાક્ય મને વારંવાર સંભળાવા લાગ્યું. મને રામનવમીના પવિત્ર દિવસે ગીતાના કૃષ્ણ યાદ આવ્યા. જે હણે એને હણવામાં કોઈ પાપ નથી એ વાક્યનું સ્મરણ થયું અને હું કપડાં બદલીને મચ્છર મારવાનું રેકેટ લેવા રવાના થયો.
------------------------
મારી પોકેટ 📚 લાઈબ્રેરી


હસતાં રહેજો રાજ - અભિયાન
✒લેખક: ડૉ. જગદીશ ત્રિવેદી

Friday, March 27, 2020

જાણવા જેવું

દુનિયાનું સૌથી મોટું પ્રાણી બ્લ્યૂ વ્હેલ છે. તે માછલી નથી પણ સસ્તન પ્રાણી છે. વાર્તાઓ અને ફિલ્મોમાં બતાવ્યા મુજબ તે માનવીને ગળી જઈ શકતી નથી. માનવામાં નહીં આવે પણ બ્લ્યૂ વ્હેલનું ગળું એટલું સાંકડું છે કે એકાદ મધ્યમ કદની શક્કરટેટી કે તરબૂચ માંડ જઈ શકે છે. એટલે જ તે KRILL તરીકે ઓળખાતાં કવચવાળા નાનાં જીવોને આરોગે છે. બ્રેક ફાસ્ટ, લન્ચ અને ડિનર સહિત તે આવાં લગભગ ચાર કરોડ KRILL પેટમાં પધરાવી જાય છે. કુલ કેલેરી- લગભગ પંદર લાખ.

ઊધઈ, ગાય ,શિયાળ, હરણ, કબૂતર, મધમાખી, કૂતરો અને એકવેરિયમની માછલી આ બધાં મોટાભાગે ઉત્તર દિશા તરફ મોં રાખીને જ ઊભા રહે છે. (જો તેમણે ચોક્કસ દિશામાં બાંધેલા કે નજીકમાં ઊંચા વોલ્ટેજના વિધુત તાર ન હોય તો )

સંયુક્ત આરબ અમીરાત, લિબિયા, ઓમાન, કતાર, સાઉદી આરબસ્તાન, કુવૈત, યમન, બહરૈન, મોનાકો, નાઉરૂ, માલ્ટા, બહામાસ, કોમોરો, ટોંગા, કિરીબાઝ, માર્શલ ટાપુઓ, ટુવાળું, માલદીવ અને વિટિકન સિટી આ ઓગણીસ દેશો એક બાબતે સમાન છે. કઈ ??? આ એકેય દેશમાં નદી નથી. નદીની કોઈ સર્વમાન્ય વ્યાખ્યા નથી. દુનિયામાં 1000 કી.મી. લંબાઈ ધરાવતી ફ્ક્ત 182 નદીઓ છે. કોઈપણ દેશમાં સૌથી વધુ નદીઓનો રેકોર્ડ બાંગ્લાદેશના નામે છે- 700 નદીઓ.

વિશ્વમાં બૉલ વડે રમાતી રમતો આશરે વીસ જેટલી છે. દરેક રમતમાં દાડાનું વજન અને માપ અલગ-અલગ છે. જેમ કે બાસ્કેટ બોલનું વજન- 650 ગ્રામ, ફૂટબોલનું- 454 ગ્રામ, વૉલીબૉલનું 280 ગ્રામ, ક્રિકેટ બોલનું 163 ગ્રામ, ટેનિસ દડાનું 58.5 ગ્રામ, ગોલ્ફના દડાનું 45.9 ગ્રામ ,ટેબલ ટેનિસના દડાનું વજન 2.53 ગ્રામ જ્યારે સૌથી વજનદાર દડાભાઈ ટેન-પિંગ-બોલિંગ (પેલી રમત યાર, દડો ગબડાવીને બોટલો પાડી દેવામાં આવે છે એ) નામની રમતના છે- 7258 ગ્રામ. આ દડાભાઈને ટેબલ ટેનિસના દડા સાથે સરખાવો તો 2868 દડા થાય !

એક 65 કિલો વજન ધરાવતાં સામાન્ય માણસની આંખ અને 4.5 કિલો વજન ધરાવતાં એક ગરૂડની આંખ સરખા કદની હોય છે. માણસની આંખ 575 મેગાપીક્સલ અને 120 અંશનો દ્રષ્ટિફલક ધરાવે છે. જ્યારે ગરૂડની આંખો 2300 થી 4600 મેગાપીક્સલની છે, અને દ્રષ્ટિફલક અનબિલિવિબલ 340 અંશનો છે.

પ્રાચીન ભારતના મહાન આયુર્વેદાચાર્ય સુશ્રુતે " સુશ્રુતસંહિતા" નામનો મહાન ગ્રંથ લખ્યો છે. આ વજનદાર ગ્રંથમાં કુલ 1120 પ્રકારની બીમારીઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. મોતિયાના ઓપરેશન અને પ્લાસ્ટિક સર્જરીના ઓપરેશનની સચોટ રીતનું વર્ણન આ ગ્રંથમાં છે.

કૂતરાને તમે થાંભલા, દીવાલ કે ઝાડ પર મૂત્રાભિષેક કરતાં જોયો હશે. જે વિસ્તારમાં અન્ય શ્વાન સાથે હરીફાઈ હોય ત્યાં તેઓ વધુ ઊંચામાં ઊંચો અભિષેક કરે છે. જેટલો ઊંચો ઓટોગ્રાફ એટલો કૂતરો "બળવાન" .

પ્રાણીઓના અભ્યાસુ વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે વાંદરાં અને વાનર વચ્ચે સ્પષ્ટ ભેદ છે. જેને પૂંછડી હોય તે વાંદરાં અને જેને પૂંછડી ન હોય તે વાનર. આપણે "વાનર" છીએ. વાંદરાં નહી.

આપણું મગજ ટી.વી.જોતી વખતે જેટલું એક્ટિવ હોય છે તેના કરતાં સૂતી વખતે વધુ એક્ટિવ હોય છે.

કેનાડા એ ભારતીય શબ્દ છે જેનો અર્થ થાય છે- "મોટું ગામ"

આખી દુનિયાના રાષ્ટ્રધ્વજો ચોરસ અથવા લંબચોરસ છે. એક માત્ર નેપાળ દેશ એવો છે જેનો રાષ્ટ્રધ્વજ ત્રિકોણાકાર છે.

માનવીની બનાવેલી ગર્ભનિરોધક ગોળીની અસર ગોરીલા વાનર પર પણ એટલી જ અસરકારક અને પરિણામદાયક છે.

અવકાશયાત્રીઓ અવકાશમાં કઠોળ ખાવાનું ટાળે છે કેમકે વાછૂટથી સ્પેસસૂટને નુકશાન થવાનો ખતરો હોય છે !!!

દુનિયાનું સૌથી નાનું પક્ષી હમિંગબર્ડ છે. તે પોતાના વજન કરતાં અડધા વજનાનો ખોરાક દરરોજ લે છે. આ પક્ષી જોરદાર તાકાતથી પોતાની પાંખો ફડફડાવે છે. જેનાથી તેના શરીરની પુષ્કળ એનર્જી ખર્ચ થાય છે. જો માણસ હમિંગબર્ડ જેટલી તાકાત વાપરે તો જોતજોતામાં તેના શરીરનું તાપમાન 300 સેલ્સિયસ થી વધુ થઈ જાય.

સંકલન જે.કે.સાંઈ

મરકીનો રોગ (ઇતિહાસનું એક ભયાનક પાનું)























2020માં કોરોના વાઇરસની મહામારીને પગલે ગુજરાતમાં ગાંધીઆશ્રમને મુલાકાતીઓ માટે બંધ કરવો પડ્યો છે પરંતુ 98 વર્ષ અગાઉ 1918માં ગુજરાતમાં ફ્લૂની મહામારી ફેલાઈ ત્યારે પોતાના આશ્રમમાં રહેલા એક સાથીને મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે જીવનમાં કશો રસ રહ્યો નથી.
      ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા તેઓ પછી ચાર વર્ષથી આશ્રમમાં રહેતા હતા ત્યાં ચેપનો ભોગ બન્યા હતા. 48 વર્ષના ગાંધીજીએ 'પોતાના જીવનની આ સૌથી લાંબી પહેલી બીમારી માં' આરામ કર્યો અને માત્ર પ્રવાહી ખોરાક પર જ રહ્યા. ગાંધીજીની તબિયત બગડી હોવાના સમાચાર આવ્યા તે પછી એક સ્થાનિક અખબારે લખ્યું હતું કે : "ગાંધીજીનું જીવન માત્ર તેમનું પોતાનું નથી - તે ભારતનું છે."
    આશ્રમની બહાર ફ્લૂ હાહાકાર મચાવી રહ્યો હતો. જૂન 1918માં મુંબઈ પરત આવેલા જહાજમાં સૈનિકો આવ્યા તેમની સાથે ફ્લૂનો ચેપ પણ આવ્યો હતો.  આરોગ્ય અધિકારી જે. એસ. ટર્નરના જણાવ્યા અનુસાર રોગચાળો "રાતના ચોરની જેમ આવ્યો અને બહુ ઝડપથી ફેલાઇ ગયો." સપ્ટેમ્બરમાં દક્ષિણ ભારતમાં રોગચાળાએ ઉથલો માર્યો અને સમગ્ર દરિયાકાંઠે ફેલાઈ ગયો હતો.

##############################


તેની પહેલા પણ આ રોગ 18ની સદીમાં ભરડો લઈ ચુક્યો હતો.. જેની અસર સૌરાષ્ટ્રમાં થયેલ.. 
વાંચો ઇતિહાસને.....

દરિયાકાંઠાનું દ્વારકા પોરબંદર વચ્ચે આવેલ એક ગામ ભોગતના વયોવૃદ્ધ વડીલ પાસેથી સાંભળેલ મરકી રોગની વાતો..


આ મરકીના રોગે 1855 થી 1918 સુધી સમગ્ર વિશ્વ ની સાથે સાથે ભારતમાં કાળો કેર વર્તાવ્યો હતો. મરકી રોગની અસર આમ તો વર્ષો સુધી રહી હતી પણ ભારતમાં સૌથી વધારે ગંભીર અસર ઇ.સ.1877 થી 1889 અને 1896 થી 1918ના સમય ગાળામાં એટલે કે આ મરકી રોગે બે વખત ભારતને ભયાનક ભરડામાં લીધું હતું.

મરકી રોગ ની ભયાનકતા એટલી હતી કે કુટુંબના કુટુંબ ખાલી થઈ ગયા હતા-કોઈક પરિવારમાં તો લાશને કાંધ આપવા માટે પણ કોઈ જીવિત રહ્યું નહોતું. એ વખતે સૌથી ખરાબ હાલત ગામડામાં થઈ હતી, કોઈ સગવડ કે આરોગ્ય સંસાધનો હતા જ નહિ, નાના નાના ઝૂંપડા જેવા મકાનોમાં લોકો રહેતા હતા, ગામડાની મોટા ભાગની વસ્તી ગામમાં જ રહેતી હતી, ત્યારે વાડી વિસ્તારમાં રહેણાંક નહોતી


ગામમાં અગ્રણી તરીકે મુખી, પાહેંતા ને પટેલ હતા જે રાજના માણસો કહેવાતા હતા,અને ગામના તમામ કરતા-હરતા તેઓ જ હતા.  મરકીમાં મૃત્યુ પામેલાઓના પરિવારજનોને રાજ તરફ થી 4 આના ની મદદ આપવામાં આવતી હતી.

મરકી રોગમાં મૃત્યુ પામેલા માણસના મૃતદેહ ને હાથ થી અડવા થી કે તેની એકદમ નજીક જવાથી આ મરકી રોગ જે તે વ્યક્તિ ને લાગુ પડી જતો...એટલે સૌથી કપરું કામ...


મૃતદેહને ઘરમાંથી બહાર કાઢી ને ગાડાં ઉપર ચડાવી ને સ્મશાને પહોંચાડવાનું કામ સૌથી અઘરૂં હતું એટલે મોટા વાંસના લાકડામાં દોરડાનો ગાળીયો કરીને ઘરની બહાર ખેંચીને કોથળા ઉપર મૃત શરીરને રાખવામાં આવતું,પછી મોટા વાંસના લાકડાનો નીચે ટેકો ભરાવી ને મૃતદેહને ગાડા ઉપર ચડાવવામાં આવતો.  ગાડાને હાંકનાર ને અસર ના થાય એટલે ગાડાના આગળના ભાગે બે લાકડા બાંધી ને આડા કોથળા અને અન્ય પાંણકોરાં નું કાપડ બાંધી દેવામાં આવતા હતા. આમ મૃત્યુ પામેલા માણસ ને સ્મશાને લઈ જવા માટે બળદગાડાં નો ઉપયોગ કરવમાં આવતો હતો,ગામના કોઈક કોઈક નીડર સેવાભાવી લોકો ગાડાં લઈને ને આ મૃતદેહોને સ્મશાને પહોંચાડતા હતા..!


     કહેવાય છે કે એ વખતે માન્યતા એવી બંધાઈ ગઈ હતી કે બધા થી અલગ જંગલ-ઝાડીમાં એકલા રહેતા હોય એને મરકી રોગ ની અસર નહિ થાય એટલે ગામડામાં રહેતા મોટાભાગના લોકો પોતાનો જીવ બચાવવા -સીમ વિસ્તાર અને જંગલ વિસ્તારમાં પલાયન કરી ગયા હતા ત્યાં નાના નાના ઝુંપડા બનાવી ને રહેતા-એ પછી વાડી-સિમ વિસ્તારમાં રહેવાની શરૂઆત થઈ હતી.  જે તે રાજના માણસો ગામમાં આવતા અને ગામના પાહેંતાં અને ગામના મુખી-પટેલો પાસેથી માહિતી મેળવતા અને મૃતદેહોના નિકાલની વ્યવસ્થા અને બચી ગયેલા માણસો ને ચાર આના એટલે કે એક પાવલીની મદદ આપવામાં આવતી હતી એને"ખર્ચી"કહેવામાં આવતી હતી.

અંતે જે અમુક આખા પરિવારના મૃતદેહો જે તે મકાનમાં રહીને ગયા હતા તેને જે તે મકાન ની અંદર જ ઉપરના ભાગે થી લાકડા અને છાંણાં નાખીને અગ્નિદાહ આપી દેવામાં આવ્યા હતા અથવા તો આસપાસમાં જ દાંટીં દેવામાં આવતા. એ વખતે ક્યારેક ઘોડા ગાડી લઈને ડોકટર આવતા-પણ મરકીના રોગો કોઈ ખાસ ઈલાજ થાય એવી દવાઓ નું સંશોધન થયું નહોતું અને જે ડોક્ટરો આવતા તેને રાજના સિપાહી (કરવેરા ઉઘરાવવા વાળા) સમજતા એટલે ડરના માર્યા સારવાર કરાવવા ના જતાં.

અનાજ ની અતિ તંગી સર્જાઈ એટલે લોકો જેમ તેમ કરીને પેટ ભરવા ફાંફા મારતા હતાં. રાજની કોઠીએ થી ગાડાં ભરાઈને થોડું ઘણું અનાજ આવતું પણ એ વખતે લાગવગીયા અને મળતિયાં જ માલ ખાઈ જતાં હતાં.


દ્વારકા વિસ્તારમાં આ મરકી રોગ ની સૌથી ગંભીર હાલત અને સૌથી વધુ મરણ....ભોગાત ગામમાં થયા હતા..આ ભોગાત ગામામાં કાયમી રાજનું થાણું હતું અને બારાડી વિસ્તારના તમામ ગામોના કરવેરા નો કારોબાર અને અન્ય રાજના કામ માટે ભોગાત ગામને એક નાનું મથક બનાવવામાં આવ્યું હતું એટલે ત્યાં જે તે વખતે વસ્તી વધુ હતી..!

ભોગાત ગામની જે તે વખતની વસ્તીને સરખામણી થી હાલની વસ્તી ખરેખર બહુ ઓછી લાગે છે (મરકી ને હિસાબે ) સમય જતાં જતાં ઉંદર અને ખીચકોલી,ચાંચડ અને માંકડમાં આ મરકી રોગ નું સંક્રમણ થવા લાગ્યું..અને આ મરકી રોગે ઇ.સ.1897 ની આસપાસ અલગ પ્રકારના મરકી (પ્લેગ) એ જીવલેણ તાવનું રૂપ લઈ લીધું.  ઉલ્ટીનો એક જ કોગળો થતો અને માણસ નું મોત થઈ જતું એટલે આ રોગ ને કોગળીયો રોગ પણ કહેવામાં આવતો હતો. ઉંદર, ચાંચલ,માંકડ કરડવાથી માણસને જીવલેણ રોગનો ભોગ બનીને ટપોટપ મૃત્યુ પામતા હતા.જેને બાદમાં પ્લેગ રોગ પણ કહેવમાં આવતો હતો.

1905માં દર અઠવાડિયે 35 હજાર માનવ મરણ થતા હતા જે સિલસિલો ઓછો-વધુ લગાતાર 1918 સુધી ચાલતો રહ્યો હતો.  જેની થોડી થોડી અસર ઇ.સ.1960 સુધી જોવા મળતી હતી. મરકીને "બ્લેક ડેથ"અને"કોગળીયો રોગ"પણ કહેવામાં આવતો હતો. મરકીના રોગ ની મહામારીએ ભારતના ભૂંડા હાલ કરી નાખ્યા હતા.


એ વખતે આ મરકીનો રોગ મૂળ ચીનમાંથી જ પ્રગટ્યો હતો અને આખા એશિયા, આફ્રિકા અને યુરોપને પોતાના સકંજામા લઈ લીધા હતા. ચીને પોતાના લગભગ અડધા ભાગની વસતી ગુમાવી હતી. યુરોપે પણ ત્રીજાભાગની વસતી ગુમાવી હતી. મૃતાંકની દ્રષ્ટિએ મરકી ઈતિહાસનો સૌથી ખતરનાક રોગ સાબિત થયો હતો.

       ભારત અને ચીનમાં 1.20 કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા. આ મરકી રોગના મુખ્ય મુદ્દાઓ હાલની કોરોના વાયરસની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને અહીં રાખવામાં આવ્યા છે. જેથી કરીને હાલની આફતની ગંભીરતા સમજી ને જવાબદારી નું પાલન કરી શકીએ.

        90 વર્ષના વડીલ વયોવૃદ્ધ પાસેથી સાંભળેલી સત્ય વાત.. છે..તેઓશ્રીના ભાભા એટલે કે તેના પિતાજીના મોટાભાઈ આ મરકી રોગમાં અવસાન પામેલા એટલે આ મરકી રોગની તમામ વિગત તેમના વડીલો પાસે થી તથ્ય સાથે નજીકથી સાંભળેલી છે.

મરકી રોગનો સમયગાળો નહિવત જ ઓછો-વધારે હોય શકે બાકી વૃદ્ધ વડીલ પાસે થી જે સત્ય સાંભળ્યુ અને જાણ્યું એનું અડધાથી પણ ઓછું અહીં લખ્યું છે એટલે કે જેટલી વાતો સાંભળી ને જાણી એ બધી વાત નો અહીં સમાવેશ થઈ શકે તેમ નથી.

અંતઃ
ક્યાંથી આવ્યો કાળ,બની ને કોરના તું અતિ વિકરાળ।।
ધમરોળા ને પાડી તેં ધાડ,ભરખવાને માં ભારતીના બાળ।।

=====સર્વેને જય દ્વારકાધીશ==

ફેસબુક વોલ પરથી મળેલ માહિતી..

Wednesday, March 25, 2020

માનવ શરીરને લગતા પ્રશ્નો અને જવાબ

🔵'ડાયાલીસીસ' કયા અંગમાં ખામી સર્જવાને કારણે કરાવવું પડે?

✅જવાબ:- મૂત્રપિંડ

🔵પુખ્તવયના વ્યક્તિનું હ્રદય એક મિનિટમાં કેટલી વાર ધબકે છે?

✅જવાબ:- 72

🔵બાળકનું હ્રદય એક મિનિટમાં કેટલી વાર ધબકે છે?

✅જવાબ:- લગભગ 100

🔵રૂધિરને શુદ્ધ કરવાનું કાર્ય કયું અંગ કરે છે?

✅જવાબ:- ફેફસાં

🔵શુદ્ધ રૂધિરનું વહન હ્રદયમાંથી દરેક અંગો સુધી કોણ કરે છે?

✅જવાબ:- ધમની

🔵દરેક અંગોમાંથી અશુદ્ધ રૂધિરનું વહન હ્રદય સુધી કોણ કરે છે?

✅જવાબ:- શિરા

🔵લોહીનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?

✅જવાબ:- સિફગ્મોમેનોમીટર

🔵બેકટેરીયાની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી?

✅જવાબ:-એન્ટીવોન લ્યુવેન હોક

🔵બેકટેરીયા એવું નામ કયા વૈજ્ઞાનિકે આપ્યું હતું?

✅જવાબ:- એરનબર્ગ

🔵બેકટેરીયાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

✅જવાબ:- જીવાણું

🔵'પેનિસિલિન'ની શોધ કયા વૈજ્ઞાનિકે કરી?

✅જવાબ:- એલેકઝાન્ડર ફલેમિંગ

🔵સૌપ્રથમ શોધાયેલી એન્ટીબાયોટીક દવા કઈ છે?

✅જવાબ:- પેનિસિલિન

🔵મેલેરિયા રોગ કયા પ્રજીવના કારણે થાય છે?

✅જવાબ:- પ્લાઝમોડિયમ

🔵અમીબાના કારણે કયો રોગ થાય છે?

✅જવાબ:- એમેબિક મરડો

🔵ફૂગથી થતા રોગો કયાં છે?

✅જવાબ:- દાદર,ખસ,ખરજવું

🔵સ્ત્રીમાં ગૌણજાતીય લક્ષણો માટે કઈ અંત:સ્ત્રાવી ગ્રંથિ જવાબદાર છે?

✅જવાબ:- અંડપિંડ

🔵પુરૂષોમાં જાતીય લક્ષણો માટે કઈ ગ્રંથિ જવાબદાર છે?

✅જવાબ:- શુક્રપિંડ

🔵થાઈરોકિસનની ઉણપ સર્જાતા કયો રોગ થાય છે?

✅જવાબ:- ગોઈટર

🔵થાઈરોકિસનમાં કયું તત્વ આવેલું છે?

✅જવાબ:- આયોડિન

🔵થાઈરોઈડ ગ્રંથિમાંથી કયા અંત:સ્ત્રાવનો સ્ત્રાવ થાય છે?

✅જવાબ:- થાઈરોકિસન

🔵થાઈરોઈડ ગ્રંથિ કયા આવેલી છે?

✅જવાબ:- ગળાના ભાગે

🔵માનવશરીરમાં આવેલી સૌથી નાની ગ્રંથિ કઈ છે?

✅જવાબ:- પિટયુટરી ગ્રંથિ

🔵માનવશરીરમાં આવેલી સૌથી મોટી ગ્રંથિ કઈ છે?

✅જવાબ:- લીવર(યકૃત)

🔵લાળગ્રંથિમાં કયો ઉત્સેચક રહેલો હોય છે?

જવાબ:- એમાયલેઝ

🔵એમાયલેઝ કયા ખોરાકના ઘટકનું પાચન કરે છે?

જવાબ:- સ્ટાર્ચ

🔵ખોરાકને વલોવવાનું કાર્ય કયું અંગ કરે છે?

✅જવાબ:- જઠર

Tuesday, March 24, 2020

ભારતીય કેલેન્ડર મુજબ નવું વર્ષ...

આ દિવસે ભારતમાં કાળ ગણના પ્રારંભ થઈ હતી. જમ્બુદ્વિપ એટલે કે ભારતીય ઉપમહાદ્વિપમાં એમ તો ઘણી સંવત પ્રચલનમાં છે, પણ વર્તમાનમાં વિક્રમ સંવત અને શક સંવત વધુ પ્રખ્યાત છે. ભારતની ગૌરવમયી સભ્યતા અને સંસ્કૃતિમાં સંવત્સરનું વિશેષ મહત્વ છે. હિન્દુઓના પ્રાયઃ તમામ શુભ સંસ્કાર-વિવાહ, મુંડન, નામકરણમાં મંત્રજાપ, અનુષ્ઠાન અને સંકલ્પના સમયે સંવતના નામનો પ્રયોગ થાય છે. આવો જાણીએ આની શરૂઆત કેવી રીતે થઈ. વિક્રમ સંવત ઈસાથી લગભગ પોણા 58 વર્ષ પહેલા ગર્દશિલ્લના પુત્ર સમ્રાટ વિક્રમાદિત્યના પ્રયત્નોથી અસ્તિત્વમાં આવી. બૃહસ્પતિની વ્યાખ્યા કરતા 966 ઈસવીમાં ઉત્પલે લખ્યું કે, શક સામ્રાજ્યને જ્યારે સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યે પરાભૂત કરી ત્યારે નવી સંવત અસ્તિત્વમાં આવી, જેને આજે વિક્રમ સંવત કહે છે. વિદેશી શકોને ઉખાડી ફેંક્યા બાદ ત્યારે પ્રચલિત શક સંવતના સ્થાને વિદેશીઓ અને આક્રાંતાઓ પર વિજય સ્તંભના રૂપે વિક્રમ સંવત સ્થાપિત થઈ. વિક્રમ સંવતમાં સમયની ગણતરી સૂર્ય અને ચંદ્ર સાથે ઘણાં અન્ય ગ્રહોના પણ આધારે બનાવવામાં આવી હતી. સાથે જ આમાં આકાશ ગંગાને પણ સામેલ કરવામાં આવી હતી. ત્યાર બાદ દિવસ, સપ્તાહ, મહિના અને વર્ષમાં વિભાજિત કર્યા. વિભાજનની પૂર્ણ વિધિ વૈજ્ઞાનિક પદ્ધતિ પર આધારિત છે, જે અંગ્રેજી કેલેન્ડર સાથે ઘણું વિકસિત જણાઈ આવે છે.

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...