Saturday, March 27, 2021

મમ્મીનો પત્ર

એક અનનોન નંબર પરથી ફોન આવ્યો. ગભરામણ, ચિંતા અને ડરથી ધ્રુજી રહેલા અવાજમાં તેમણે મને કહ્યું, ‘સર, ઈમરજન્સી છે. બે મિનીટ વાત થશે ?’. સાવ જ અપરિચિત વ્યક્તિના અવાજમાં રહેલી એ વેદના મને બહુ પરિચિત લાગી. મેં કહ્યું, ‘અફકોર્સ.’ તેમણે કહ્યું, ‘હું વડોદરાથી એક મમ્મી બોલું છું. મારો દીકરો અત્યારે જયપુરમાં એન્જિનિયરીંગ ભણે છે. છેલ્લા ઘણા સમયથી એ બીમાર રહે છે. એનું શારીરિક સ્વાસ્થ્ય સારુ નથી રહેતું. અત્યારે અચાનક એનો મેસેજ આવ્યો કે...’

આ સાંભળીને મારું હ્રદય એક ધબકારો ચુકી ગયું. એમણે લીધેલા નાનકડા પોઝમાં મેં મનોમન પ્રાર્થના કરી લીધી કે આ સ્યુસાઈડ નોટ ન હોય તો સારું.

‘અત્યારે અચાનક એનો મેસેજ આવ્યો કે જીવવાની મજા નથી આવતી. મારે આવું જીવન નથી જીવવું.’ જયપુર રહેલા દીકરાએ કરેલો આખો મેસેજ તેમણે મને ફોન પર રડતા રડતા વાચી સંભળાવ્યો. એ મેસેજ નિરાશા અને હતાશાથી છલોછલ હતો. ડાઉટ અને ડિપ્રેશનથી ભરપુર હતો. એક રીતે એ મેસેજ, જિંદગીની લડાઈમાં સંઘર્ષો સામે હથિયાર હેઠા મૂકી દીધાની કબુલાત હતી. જીવનમાંથી સ્વૈચ્છિક રાજીનામું આપી દેવાની એક ગર્ભિત, ગંદી અને ડરામણી બદબૂ આવતી’તી એ મેસેજમાંથી.

એ મેસેજ પૂરો વાચીને તેમણે મને કહ્યું, ‘એ મારાથી સાતસો કિલોમીટર દૂર છે. મને ડર છે કે એ ક્યાંક...’ એમનું વાક્ય અધૂરું રહ્યું. બહુ જ પ્રામાણિકતાથી કહું છું કે બે સેકન્ડ માટે મારી સામે આયેશાનું પુનરાવર્તન થતું હોય એવું લાગ્યું.

આવા સમયે શું કરી શકીએ આપણે ? અચાનક કોઈ હાઈ-રાઈઝ બિલ્ડીંગ, રીવર-ફ્રન્ટ કે દરિયા કિનારે જઈને આપણું બાળક અચાનક મેસેજ કરે કે ‘જીવવાની મજા નથી આવતી’, ત્યારે શું કરી શકીએ આપણે ? અને ખાસ કરીને ત્યારે, જ્યારે આપણું બાળક આપણાથી જોજનો દૂર હોય.

સાચું કહું તો થોડીવાર માટે હું બ્લેન્ક થઈ ગયેલો. મને સમજાતું નહોતું કે મારે તેમને શું કહેવું. મેં એમને કહ્યું કે ‘એને તાત્કાલિક તમારી પાસે બોલાવી લો. અથવા વિથાઉટ એની ડીલે, તમે ત્યાં પહોંચી જાવ. એને એકલો ન રહેવા દો. એના મિત્ર સાથે વાત કરો.’ પણ એ સમયે મારા મોઢામાંથી નીકળેલું એક વાક્ય તેમણે બરાબર પકડી લીધું. મેં કહેલું, ‘તમારી પૂરી ઈમોશનલ એનર્જી ખર્ચીને, તમે પણ એને એક મેસેજ કરો. તમે એક મમ્મી છો. અને મમ્મી તરફનો ભાવનાત્મક લગાવ મૃત્યુના બળ કરતા અનેકગણો વધારે મજબૂત હોય છે.’

એ પછી એમણે એક મેસેજ ડ્રાફ્ટ કર્યો. એ મેસેજ વાચ્યા પછી નેક્સ્ટ અવેલેબલ ફ્લાઈટ પકડી એમનો દીકરો વડોદરા પહોંચી ગયો. એરપોર્ટ પર ઉભેલા મમ્મી-પપ્પાને જોઈને એના ચહેરા પર સ્માઈલ હતું. એ દોડીને એમને વળગી પડ્યો.

એની મમ્મીએ કરેલો એ મેસેજ તમારી સાથે શેર કરું છું, જેથી આ લાઈફ-સેવીંગ મેસેજ મેક્સીમમ મમ્મીઓ અને બાળકો સુધી પહોંચી શકે.

*
પ્રિય દીકરા,
દરેક લાઈન ધ્યાનથી વાચજે અને સમજવાનો પ્રયત્ન કરજે. તું એટલો ઈન્ટેલીજન્ટ અને મેચ્યોર તો છે જ કે આ મેસેજ યોગ્ય રીતે સમજી શકે.

પાનખરમાં ખરી પડતા પાંદડાને જોઈને, કોઈ વૃક્ષ નિરાશ નથી થઈ જતું. ડિપ્રેશનમાં આવ્યા વગર એ જ જગ્યાએ ઉભા રહીને, તે સમય પસાર થવાની પ્રતીક્ષા કરે છે. પોતાનો ખરાબ સમય ચાલે છે એ જાણવા છતાં પણ પૂરી ધીરજ અને શ્રદ્ધાથી વૃક્ષો વસંતની રાહ જુએ છે. કારણકે એમને કુદરત અને ઋતુ પર વિશ્વાસ હોય છે. સમયની ગતિ પર ભરોસો હોય છે. અડિખમ ઉભા રહીને પાનખરનો સામનો કરવાની તેમની હિંમત જ તેમને વસંત સુધી પહોંચાડે છે. સમયનું ચક્ર ફરે છે અને તેઓ ફરી એકવાર લીલાછમ થઈ જાય છે. સુક્કી અને મૃત:પ્રાય થઈ ગયેલી ડાળખીમાં કુંપળો ફૂટે છે, નવા પર્ણો આવે છે, ફૂલો ઉગે છે.

વસંતને લાવવા માટે વૃક્ષો કોઈની સાથે જંગ નથી લડતા. બસ, બદલાઈ રહેલી ઋતુઓ અને મોસમના મિજાજનો સ્વીકાર કરે છે. તેઓ આત્મહત્યા નહીં, સમર્પણ કરે છે.

તો મારા વહાલા દીકરા, તને જ્યારે એવું લાગે કે તારા આત્માનો એક ટુકડો દરરોજ મૃત્યુ પામી રહ્યો છે, ત્યારે વસંતની પ્રતીક્ષા કરજે. એન્ડ બીલીવ મી, નક્કી કોઈ ચમત્કાર થશે. તારી અંદર કશુંક દિવ્ય, નવ્ય અને ભવ્ય અંકુરિત થશે.

તું કહે છે કે જિંદગીમાં આગળ જઈને તું શું કરીશ ? અથવા તો કશું કરી શકીશ કે નહીં ? એ વિશે તને શંકા છે. તો માય ડીયર સન, Even at this age મને અને તારા પપ્પાને પણ એ નથી સમજાયું કે અત્યાર સુધીના જીવનમાં અમે શું કર્યું, શું કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં શું કરશું ? જીવન એ કોઈ કોંક્રીટ રોડ કે એક્સપ્રેસ હાઈ-વે નથી જેમાં વડોદરાથી જયપુર સુધીના કિલોમીટર્સ અને ડાયરેક્શન નિર્ધારિત કરેલા હોય. જીવન આવું જ છે બેટા. અચોક્કસ, અણધાર્યું, અનિયમિત. અહિયાં કશું જ પૂર્વ-નિર્ધારિત નથી હોતું. આવનારી પ્રત્યેક ક્ષણ Unpredictable હોય છે.

મારે તને એટલું જ કહેવું છે કે કુદરતે આપેલી જિંદગી પૂરી કરજે. ટ્રેઈનમાંથી ઉતરી જવાની ઉતાવળ ન કરતો. જીવનના દરેક સ્ટેશન પર ‘ફેરિયાઓ’ અલગ અલગ પરીસ્થિતિઓ ઓફર કરશે. દરેક સંજોગોનો સ્વાદ ચાખી લેજે. મન ભરીને આ મુસાફરી માણી લેજે. કોઈ સ્ટેશન કાયમી નથી. કોઈ સ્વાદ પરમેનન્ટ નથી.

Its okay.. not to feel okay. પણ હતાશા કે ડિપ્રેશનની એ લાગણીને કાયમી સમજી લેવાની ભૂલ ન કરતો. કોઈ સ્ટેશન પર ટ્રેઈન લાંબો સમય રોકાતી નથી, માટે અકાળે જંપ મારીને ઉતરી ન જતો. તારે હજી બહુ લાંબો રસ્તો કાપવાનો છે. જિંદગીની ગાડી ખોટવાઈ જાય, તો એને રીપેર કરવાની હોય. છોડી ન દેવાની હોય.

એક કામ કર. તારી આસપાસ ફૂટપાથ પર રહીને જીવતા બાળકોને ઓબ્ઝર્વ કરજે. ન ઘર, ન પૈસો. કશું જ ન હોવા છતાં, જે આનંદ અને મસ્તીથી તેઓ રમતા હોય છે એને ધ્યાનથી નિહાળજે. કેટલાય ટંક એમને ખાવાનું નથી મળતું, પીવા માટે શુદ્ધ પાણી નથી મળતું. ન પગમાં પહેરવા ચપ્પલ મળે છે, ન પહેરવા માટે કપડા. અને છતાં તેઓ આનંદથી જીવતા હોય છે. એકબીજાની મસ્તી કરતા હોય છે. હસતા હોય છે. ખુશ રહેતા હોય છે. આપણી પાસે બધું જ હોવા છતાં પણ આપણને તેમની ઈર્ષા થાય છે કારણકે ઈશ્વરે જેટલું આપ્યું છે, એટલામાં ખુશ રહેતા તેમને આવડે છે.

તારી જાતને એમની સાથે કમ્પેર કરજે. ઈશ્વરનો આભાર માનવા માટે, તને અસંખ્ય અને અઢળક કારણો જડી આવશે. છેલ્લે એટલું જ કહીશ કે જીવનમાં હંમેશા ઈશ્વર તરફથી મળેલા આશીર્વાદ ગણજે. તકલીફો, ફરિયાદો કે અભાવો ગણવા બેસીશ, તો દરેક ક્ષણે જીવન નકામું લાગશે.

બસ, જીવનને નિહાળવાના તારા ચશ્મા બદલી લે. પછી જો, આખી દુનિયા ચમત્કાર લાગશે.

Love you a lot. Take care. આશા રાખું છું કે હવે જ્યારે આપણે મળીએ ત્યારે તારા ચહેરા પર ઉદાસી નહીં, સ્માઈલ હોય.
*

અત્યારે એ દીકરો એના મમ્મી-પપ્પા સાથે છે. ડિપ્રેશનમાંથી રીકવર થઈ રહ્યો છે. જિંદગીને વહાલ કરવાનું શીખી રહ્યો છે. દરેક બાળક માટે સૌથી મોટા ફિલોસોફર, કાઉન્સેલર કે મનોચિકિત્સક એના ઘરમાં જ રહેલા હોય છે, અને એ હોય છે એના મમ્મી-પપ્પા.

સાભાર :-
-ડૉ. નિમિત્ત ઓઝા

Monday, March 22, 2021

મારા મલકની મીઠી લોક બોલી...

Dev Odedara ના મોબાઇલમાં મીઠી રીંગ રણકી.
જોયું.
અજાણ્યો નંબર હતો એટલે ટેવ મુજબ

હં...

હેલ્લો. ગુડ મોર્નીંગ સર. આઇ એમ સૌમ્યા શાહ ફ્રોમ લાઇફ ઇન્સ્યુરન્સ કંપની. કેન આઇ ટોકીંગ વિથ મિસ્ટર દેવ ઓદેદરા સોરી ઓડેડરા સોરી ઓદેડ્રા ?

તું ઇટલું બધું ય એક હાઇહીં બોલે ગી ઇમાં મણી ઇટલું હમજાણું કે મારૂં નામ તો તું હાવ હાસું બોલી પણ અટક તૈણ વાર બોલી તો ય તૈયણે વાર ખોટી.

ઓહ સોરી સર યુ ડોન્ટ ક્નો ઇંગ્લીશ ?
કેન વી ટોક ઇન હિંદી સર ?

हिंदी हमारी राष्ट्रभाषा है जो हर हिंदुस्तानिको आनी चाहिए परंतु अफ़सोस ज्यादातर हिंदुस्तानी लोग राष्ट्रभाषा को छोड़ के अंग्रेजी भाषा द्वारा अपना प्रभाव जमाने की कोशिश करते रहते है !
तुम भी हिंदुस्तानी ही हो ना ?

जी

અને ગુજરાતી પણ..

હા..

ગુજરાતીને જ કોલ કર્યો
અંગ્રેજી મા ?

Sorry sir

તો હવે
મારુ ઇંગ્લીશેય હાંભરી જ લે

I don't dislike any language but I prefer to use the language that is better known to the speaker and listener.
I am proud to be a Hindustani.
It is my good fortune to be Gujarati.
My vernacular makes me feel very sweet.

હું તાં કાંઉ ડાખર ઘાંટું ભૈણોહ તી મણી વરાં તારા જીવું ઇંગલીશ નો આવડે. નો હમજાણું હોય તો ઇણું મારી લોકબોલી માં
આં થાય
મણિ કોઇ ભાષા હામે વાંધો નેત પણ વાત કરનાર અને હાંભળનાર માટે જી ભાષા વધુ જાણેતી હોય ઇણા ઉપયોગને હું ઇમ્પોર્ટન આપાંહ
મણે
હિંદુસ્તાની હોવાનું ગૌરવ સે
ગુજરાતી હોવા માટે હું મણિ ભાયગશારી માનું હ
મણિ મારી અસ્સલ લોકબોલી તો હાકર થી ને ય મીઠી લાગે.

કોલ કરનાર છોકરી કોલ કરવાનું કારણ જ ભુલી ગઇ.
દેવાના નંબરે સામે લાલ પેનથી રિમાર્ક કર્યું.

"બીજા ગમે એનો આદહો કરાય પણ અહંકારી રાવણની લંકાને બાળીને રાખ કરી નાખનારના ભક્તની આદહો (સળી) ન કરાય.
વગર ગદા એ ધોકાવી નાખે .

🙏જય હળમાન બાપા🙏

મદદ

એક કંપનીમાં બોસ દર ૨૫મી ડિસેંબરના રોજ એનાં ૩૦૦ માણસોના સ્ટાફ પાસેથી એક-એક હજાર ઉઘરાવીને ૩ લાખ જમા કરતો અને એમાં પોતાનાં તરફથી ૩ લાખ ઉમેરીને ૬ લાખની લોટરી ડ્રો કાઢતાે. એમાં જેનું નામ નીકળતું, એને ૬ લાખ બક્ષિસરૂપે મળતાં.
એ કંપનીમાં ઝાડું-પોતા કરવાવાળી બાઇને રૂપિયાની બહું જરૂર હતી, એનાં દિકરાનું ઓપરેશન કરવાનું હતું.
લોટરી એક જુગારની રમત હતી.
એને ન લાગે તો દેખીતી રીતે એને હજારનું નુકસાન થાય એમ હતું, છતાં એણે હજાર રૂપિયાનું જોખમ લીધું હતું. એ ભગવાનને પ્રાર્થના કરતી હતી કે લાેટરી એને જ લાગે.

મેનેજરને એની દયા આવતી હતી. એ પણ ચાહતો હતો કે ઇનામ એને જ લાગે.
એણે યુક્તિ કરીને નામની કાપલી પર પાેતાના નામને બદલે એનું નામ લખીને કાપલી બાેક્ષમાં નાખી દીધી અને મનાેમન પ્રાર્થના કરી કે ઈનામ એનેજ લાગે.
આમ તો 300 માણસમાં પોતાનું એક નામ જતું કરવાથી ઇનામ એને જ લાગે એવી શક્યતા બહું ઓછી હતી. છતાં એમની ધાર્મિક લાગણીએ એમને એવું કરવા પ્રેર્યા.
બધાની કાપલી એકઠી થયાં બાદ લાેટરી ડ્રો નો સમય આવી પહોચ્યો.
બાેસે એક કાપલી કાઢી. કામવાળી અને મેનેજર, બન્નેની ધડકન વધી ગઇ.
કોનું નામ નીકળશે, એની આતુરતાથી રાહ જોઈ રહ્યાં.

એકજ પળમાં બાેસે વિજેતાનું નામ ઘાેષિત કર્યુ અને જાણે ચમત્કાર થયો.
એ નામ કામવાળી બાઇનું હતું. એની આંખમાં હરખના આસું છલકાઇ ગયાં. મેનેજરની આંખાે પણ ભીની થઇ ગઇ.
બોસે કામવાળી બાઇને ઇનામની રકમનું કવર આપ્યું. એણે આંખમાં આસું સાથે કહ્યું કે હવે મારાં દીકરાને કોઈ ભય નથી, હું મારાં દીકરાનું ઓપરેશન કરાવી શકીશ. સાચે હું બહું નસીબદાર છું. મારાં પર ભગવાનની અસીમ કૃપા છે.
મેનેજર અમસ્તા જ લાેટરી બાેક્ષની બાજુમાં જઈને ઉભા રહ્યાં અને કૈાતુક ખાતર એમણે બીજી કાપલી કાઢીને જોઈ તો એની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ. બીજી કાપલીમાં પણ કામવાળી બાઇનું જ નામ હતું.
એમણે ત્રીજી કાપલી કાઢી ને જોઈ તો એ ચકરાઇ ગયા. ત્રીજીમાં પણ એનું જ નામ હતું.
પછી તાે એમણે એક પછી એક તમામ કાપલી જોઈ તો દરેકે દરેકમાં એનું જ નામ લખેલુ હતું.
એમની છાતી ગર્વથી ફૂલાઇ ગઇ.
ઓફિસના બધાં કર્મચારીએ મૂક્ રહીને એને મદદ કરી હતી.
એ લોકો ચાહત તાે લોટરી ડ્રો કર્યા વગર એને હાથમાં રોકડ રકમ આપી મદદ કરી શક્યાં હોત, પણ એમ ન કરતાં એમણે એને પોતાની હકની રકમ મળી હાેય એવી રીતે મદદ કરી.

*હમેશાં યાદ રાખજો*
*જ્યારે પણ કોઈને મદદ કરો ત્યારે એને લાચારીનો એહસાસ ન થાય અને એનાં માનનું હનન ન થાય, એવી રીતે મદદ કરશાે તાે ખરાં અર્થમાં મદદ કરેલી ગણાશે...*
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Monday, March 15, 2021

મોમાઈ મોરા :- મોમાઈ માતાનું મૂળ સ્થાપન

મોમાઈ માતાનું મૂળ સ્થાપન
સ્થળ મોમાઈ-મા મંદિરઃ ‘મોમાઈ મોરા’

કચ્છ જિલ્લાનું રાપર, અંતરિયાળ નગર રણવિસ્તારને અડીને આવલું છે. અને વાગડ વિસ્તાર સાથે આજે પણ એનો અતૂટ નાતો છે. કચ્છ જિલ્લો હોવા છતાં રાપરવાસીઓ મોટી ખરીદી કે સાજેમાંદે પાટણ જવાનું પસંદ કરે છે! ભૂજ તો ખાસ્સું દૂર થાય છે. રાધનપુરવાળો નેશનલ હાઈવે ચિત્રોડથી ખસી જાય છે. ત્યાંથી 35 કિલોમીટરના અંતરે રાપર આવે છે, પણ રસ્તો સાંકડો – સિંગલ પટ્ટી છે.
રાપર તાલુકામાં સફેદ માટીનો જથ્થો છે. અંતરિયાળ વિસ્તારમાં વિકાસનો રસ્તો રાપર બનતો જાય છે. હજી ગામડાંઓમાં અક્ષરજ્ઞાનથી વંચિત હોય તેવી અનુભૂતિ થાય છે! તેમ છતાં રાપર તાલુકામાં ધાર્મિકતાની ધજા અંબર સુધી આંબે છે. આ તાલુકાનું મોમાઈ મોરા સ્થાનક વિશ્વવિખ્યાત છે. અહીં મોમાઈ માતાજીનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે.
કચ્છના રાપર તાલુકામાં મોમાઈ-મોરગઢમાં મહાશક્તિ મોમાઈ માતાજીનાં બે મંદિરો આવેલાં છે – નવું અને જૂનું. થોડા થોડા અંતરે આ બન્ને ભવ્ય મંદિરો આવેલાં છે. જોકે નવા મંદિરે વિકાસ ઘણો થયો હોય એવું લાગે છે અને આજુબાજુ પ્રસાદી અને અન્ય દુકાનો છે. નવા મંદિરમાં ભવ્યતા વધારે છે. ત્યાં પાળિયાનો વિપુલ ભંડાર છે. ચોતરફ કલાત્મક કેસરિયા પાળિયામાં એક અંગ્રેજે ગોળી મારતાં લોહી નીકળ્યું હતું એમ સ્થાનિક લોકો કહે છે. જોકે ગોળી મારી હતી તેની નિશાની આ કેસરિયા પાળિયામાં મોજૂદ છે. આથી મંદિરવાળો વિસ્તાર પણ પ્રાચીનતમ હશે તેવી પ્રતીતિ અચૂક થાય છે. ત્યાંથી થોડે દૂર જતાં મોમાઈ માતાજીનું જૂનું મંદિર આવે છે. ત્યાં બે મુખાકૃતિવાળાં માતાજી છે. ભોજન પ્રસાદની અહીં ઉત્તમ વ્યવસ્થા પણ છે. મોમાઈ મોરા આવતા માના ભક્તો આ બન્ને મંદિરે દર્શન કરવા માટે જાય છે.
મોમાઈ માતાજીની પહેલી સ્થાપના આ સ્થળે થયાનું મનાય છે. કારડિયા રાજપૂતો, જાડેજા રાજપૂતો, વાઢેર, ભરવાડ, રબારી, પટેલ, આહીર અને અન્ય જ્ઞાતિઓના લોકોની મોમાઈ મામાં અપાર શ્રદ્ધા-આસ્થા છે. મોમાઈ મા ઘણાનાં કુળદેવી પણ છે.
મોમાઈ મોરા ગામમાં માતા મોરાગઢ ઉપર કેમ બિરાજ્યાં? ઘણાં વર્ષો પહેલાં સૌરાષ્ટ્રમાં એક સ્થાનમાં ચંદુવંશી જાડેજા કુટુંબો રહેતાં હતાં. આ કુટુંબોને અંદરોઅંદર મતભેદ થયો. એટલે જ તો કૌટુંબિક શાંતિ માટે કેટલાંક ચંદુવંશી જાડેજા કુટુંબોમાંથી સૌરાષ્ટ્ર છોડીને ચાલી નીકળ્યા અને ચાલતાં ચાલતાં કચ્છધરાના નારાયણમાં પહોંચ્યા. ચાલતાં ચાલતાં એમને પાણીની તરસ લાગી, આથી આ કુટુંબો પાણીથી ટળવળવા લાગ્યાં. એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણીની શોધમાં નીકળી આ કુટુંબો પડ્યાં પણ પાણી ન મળ્યું એટલે જાડેજા કુટુંબો પોતાનાં કુળદેવી માને યાદ કરવા લાગ્યાં, પણ અશાંત મને ઘરબાર છોડ્યાં તે વખતે પોતાના કુળદેવીની નિશાની લીધી ન હોવાથી અને તેઓ મનોમન કુળદેવીને યાદ કરવા લાગ્યા કે મા, તું તો જાડેજાની કુળદેવી મોમાઈ, તું અમને મારગ બતાવ.
મોમાઈ જાગતી ને દેવી ડાક વાગતી. છતાંય શાસ્ત્રોમાં કહ્યું છે ને છોરું કછોરું થાય, પણ માવતર કદી કમાવતર ન થાય. તરસથી પીડાતા જાડેજાને માર્ગ બતાવવા મા પધાર્યાં. કરે જે ભાવથી યાદ એની વહારે મા આવતાં. માતાજી જાડેજા કુટુંબની વહારે પધાર્યાં ત્યારે તેમણે કેવું રૂપ દેખાડ્યું. સાંઢણી ઉપર બિરાજીને મા પધાર્યાં. જાડેજાઓએ તેમની વિતક કથા માને સંભળાવી કે અમે ભૂખ્યા છીએ, તરસ પણ જોરદાર લાગી છે, કૃપા કરી અમારી તૃષાને શાંત કરો. અમારી માના જ્વારા અને ભસ્મ સાથે લાવવાનું ભૂલી ગયા છીએ. સાંઢણીસવાર બાઈ બીજું કોઈ નહિ, મોહમાયા માતાજી મોમાઈ પોતે જ હતાં. દુઃખી ભક્તોના અંતરની વેદના સાંભળી ભક્તોની વહારે પધાર્યાં હતાં. અને કહ્યું લો, તમને પાણી આપું છું. તમે મારી પાછળ પાછળ આવજો અને સાંઢણીનાં નિશાને હાલજો. અને ટીંબો આવે એટલે ગામ આવશે, ત્યાં માતાજી તમને ચમત્કાર બતાવશે. એ જગ્યા પર માતાજીની સ્થાપના કરજો તમારો ભાગ્યોદય થશે. તમારું કલ્યાણ થશે. સાંઢણીના નિશાને ચાલતાં ગયા અને મીઠ્ઠા મધ જેવા ઝરણામાંથી તરસ છિપાવી આગળ જાડેજા કુટુંબ આગળ ચાલ્યાં. બીજે દિવસે જાડેજા કુટુંબ મોમાઈ મોરા ગામમાં પહોંચ્યું. એ ટીંબા ઉપર સાંઢણીનાં નિશાન પૂરાં થતાં હતાં. ત્યાં માતાજીની સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થયેલી હતી. તેના નિશાનરૂપે શ્રીફળ, ચૂંદડી, ત્રિશુળ અને સુગંધી જોઈ જાડેજા કુટુંબને આશ્ચર્ય થયું કે રણમાં જે દેવી આવ્યાં હતાં તે મા મોમાઈ મોરા કહેવાય છે. પછી તો જાડેજાઓએ માતાજીની ડેરી બાંધી અને ભક્તિભાવથી માતાજીને પૂજવા લાગ્યા, એમના નામનું સ્મરણ કરવા લાગ્યા. એ ગામનું નામ મહામાયાપુર જે અપભ્રંશ થતા મોમાઈમોરા થઈ ગયું અને કચ્છ મહારાજા પહેલા ખેંગારજીએ મોમાઈ માની ડેરી બંધાવી. પછી તો તેમની એક માનતા સફળ થઈ ગઈ અને વિશાળ મંદિર બંધાવી આપ્યું.

મોમાઈ માતાજીની કીર્તિ હવે તો ચારેય દિશામાં પ્રસરી ગઈ છે.
આદ્યશક્તિ મહામાયા માડી મોહમાયા જેના કુળમાં પૂજાતી હોય તેના કુળમાં ક્યારેય પણ ખોટ ન હોય. આફત પણ ટળી જાય છે. બધી મનોકામના પૂર્ણ થાય છે. જાગતી જ્યોત મા મોમાઈનાં દર્શને રોજના હજારો ભક્તો આવે છે. અને માનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. આપ પણ કચ્છ-વાગડના મહેમાન બનો અને મોમાઈ મોરામાં નવું – જૂનું મોમાઈ માતાજીના મંદિરે દર્શન કરો તો તમારી પણ મનસા પૂર્ણ થાશે...

સૂચન :- પ્રસાદી વ્યવસ્થા, બાથરુમ, જાજરૂ વગેરે જગ્યાએ ચોખ્ખાઈ અને સ્વચ્છતા પર વધારે ધ્યાન દેવાની જરૂર છે...

















Sunday, March 14, 2021

"પંગત" ગામડાની વિસરાયેલી એક પરંપરા

"એલા દાળ આવવા દયો આ ખૂણામા..."
"એ.. હા.. કોને જોતી'તી દાળ..?"
"શાક ફેરવો એલાવ..."
. "અે..ભાઈ.. હરવો રે.. કમંડળમાં થી દાળ સલકાય સે.."
"આ બાજુ લાડવા લાવો એલા.. મેમાન ભૂખ્યા નો રે'વા જોય હોં."
"આટલો.. એક લાડવો તો લેવો જ પડસે તમારે.."
"ના હોં.. હવે જરાકેય નય હાલે..બસ.. બસ.."
"અરે એમ હાલતુ હસે યાર.. ? અડધો લાડવો તો લેવો જ પડે.."
"ના હોં.. સોગનથી હવે નય હાલે..ના.. ના.."
"એલા એ તો ના પાડે.. પકડૉ બે હાથ.. ખવરાય એલા તુ તારે.."
*
આ..હા... હા... શું પંગત જામી હોય..! આવાં વાક્યો લગભગ દરેક પંગતમાં સાંભળવા મળે, મળે ને મળે જ.. પંગતની આ ખરી મોજ હતી.
"પંગત" એટલે સમૂહમાં કતારબંધ જમવા બેસવું. પરંતુ આ જમણવાર શરૂ થાય એ પહેલાંની તૈયારીઓ પણ ગજબની હોતી.
અગાઉના દિવસથી જ મહોલ્લો, વાડી કે એવી કોઈ મોટી જગ્યામાં વ્યવસ્થા કરવામાં આવતી. સીધું-સામાન પહોંચી જાય પછી સાંજથી જ વાડીમાં ચહલપહલ વધી જાય. કારણ - રસોઈ બનાવવાની તૈયારીઓ.
હા. પહેલાં આજની જેમ રસોઈયો આખી મંડળી લઈને ના આવતો. એ એકલો જ એનાં ઓજારો સાથે આવે. બાકીનું કામ કુટુબીજનો અને મહોલ્લાના પડોશીઓ સાથે મળીને કરતા.
રાત પડે એટલે ચૂલા સળગે. લાકડાં જાડાં કે હવાયાં હોય એટલે સૌ પહેલાં તો આખી વાડી ધૂમાડાના ગોટેગોટાથી ભરાઈ જાય. તો પણ આંખો ચોળતાં ચોળતાં અડગ રહીને કામ કરવાનું.
અલગ અલગ ટુકડીઓ પાડીને કામની વહેંચણી થઈ જાય. કોઈ શાકભાજી સુધારે, કોઈ લસણ ફોલે, કોઈ સૂરણ, મરચાં ઠીક કરતું હોય. બાળકો ઉત્સાહમાં વાસણો સાફ કરીને ગોઠવતાં હોય. એક ખૂણામાં ભાભલાઓની સભા જામી હોય. ચા, પાણી અને બીડીઓ ઉપર બીડીઓ ખેંચાતી હોય, સાથે સાથે અગાઉના પ્રસંગોમાં બનેલી સારી-નરસી ઘટનાઓની વાતો થતી હોય. હસીમજાક અને ગમ્મતનો પાર ના આવે.
સૌથી પહેલાં તો મીઠાઈ બનાવવાનું કામ ચાલે. ખાસ કરીને લાડુ જ હોય. લાડુ માટે પહેલાં મુઠીયા બનાવી તેલમાં તળવાં પડે. પછી એને ભાંગવાનાં. આજની જેમ મિક્સર નહોતાં. એટલે યુરિયા ખાતરની થેલીઓ ધોઈને સાફ કરી રાખી હોય. એમાં ભરીને એકજણ મોંઢિયું પકડી રાખે. પછી એ થેલીને પથરા ઉપર રાખીને બે જણા સામસામે ધોવાના ધોકા વડે મંડી પડે. ધબ્બ ધબ્બ ધબ્બ ધબાકાથી વાડી આખી ગાજતી હોય. એમાંય ધીબાકા દેનારાને શૂરાતન માતું ન હોય. આવા સમયે ભૂલથી પણ બે ધોકા સામસામે સહેજ પણ ટકરાઈ જાય તો લાકડાના ધોકામાંથી પણ તણખા ઝરતા.
વાડીમાં રાત્રે નાસ્તા માટે ભજીયાં બનાવવામાં આવે. કડાઈમાં તળાતાં ભજીયાંની સુગંધ ચારેબાજુ ફેલાય એટલે આઘાપાછા થયેલા "કામચોરો" પણ રસોડા પાસે ટોળે વળવા માંડે. જેવો પહેલો ઘાણ ઉતરે એટલે શરૂઆત એ જ લોકો કરે. કામ કરનારા પાછળ રહી જાય. એવા માણસો સૌથી પહેલાં ચાખે, ખાય અને એક બે ખોટ તો કાઢે જ..
"થોડી મેથી ઓછી પડી.."
"ઓમ તો બધુ બરોબર સે પણ અંદરથી થોડા કાચા રયા સે."
"રસોઈયો શીખાઉ લાગે સે એલા.. લોટમાં ખારો વધારે નાંખી દીધો સે.."
આમ છતાં રાત્રે બધા ભેગા મળીને ગોટા ને મરચાં ઝાપટવાની જે મજા પડતી એની તો શી વાત કરવી. અમુક તો રીતસરના હરીફાઇમાં ઉતરે. એમાંને એમાં બે-ત્રણ દિવસનો પૂરવઠો ભેગો કરી લેતા. પછી ભલેને સવારે ડબલાં ઉપર ડબલાં ભરવાં પડે. હા, જાજરૂની વ્યવસ્થા નહોતી ને એટલે ડબલું જ એક હાથવગું હથિયાર હતું.
રાત્રે મોટા ભાગનું કામ પતી જાય. પછી સવારે વળી પાછા વાડીમાં મેળાવડો ભેગો થાય. પીરસવાવાળાની ટુકડીઓ પડે. દાળ, ભાત, શાક, ફુલવડી વગેરે માટે માણસ જોઈને કામ સોંપવામાં આવે. એમાંય લાડુ માટે તો ખાસ માણસોની પસંદગી કરવામાં આવે. ચર્ચા વિમર્શ કરવામાં આવે.
"એમ કરો, લાડવામાં રઘો અને શંભુ એ બે જણાને રાખો. એને ફાવટ સે કાયમની. "
"ના એલા, શંભુ થોડો કાચૉ પડસે. રામ ચાલસે..શંભુને હમણા ઠીક નથી રે'તું પાસું.. "
"હા..એ બરોબર. અ
રામ ને રઘો બે જણા કંપલેટ કરો. બે જણા ફાઈનલ.."
અને આમ લાડુ પીરસનારા પણ નક્કી થઈ જાય. એક ટુકડી રસોડામાંથી બધું ભરી આપવા ખડેપગે હોય. પંગતમાં કોઈને શું જોયે છે, શું ખૂટે છે, એ તપાસવા માટેના પણ સ્પેશ્યાલિસ્ટો હોય. પાંચ-સાત જણા એવા તો પહેલાંથી જ નક્કી હોય. નાનાં છાકરાં પોતાની રીતે પાણીની ડોલો જ ગૉતી લ્યે. એમનું કામ પાણી આપવાનું.
ટુકડીઓ, વાસણો, પાથરણાં બધું જ રેડી થઈ જાય. પછી મહેમાનો આવવાનું ચાલુ થાય.
"એ.. રામ રામ ભીખાભાઈ.. આવો .. આવો.. "
"રામરામ જેરામભાઈ. કેમ સો તમે..?"
"એકદમ મજામાં હોં. તમે બોલો.. કેમ સો.. ? તબિયત પાણી ઠીક સે ને..?"
"તબિયત તો એકદમ ઘોડા જેવી હોં. આ ઉભા જોવો.પસી સુ થાય એ ભગવાન જાણે.."
જેમ જેમ મહેમાનો આવતા જાય તેમ એક-બીજાને હાથ મિલાવીને રામ રામ કરતા જાય અને ખબરઅંતર પૂછતા જાય. પછી જેને જ્યાં ઠીક લાગે ત્યાં લાઈનમાં ગોઠવાતા જાય. લાઈનોની જગ્યા પૂરી ભરાઈ જાય એટલે બહાર સ્ટોપ કરવાવાળા પણ ઉભા હોય. વાડીની જાળી આડી કરીને કે હાથ આડા કરીને બાકીનાને પંગત પૂરી થાય ત્યાં સુધી બહાર સ્ટોપ કરી દેવામાં આવે.
ત્યારબાદ કામ ચાલુ થાય પીરસવાનું. બે ટુકડીઓ પોતપોતાની વસ્તુઓ લઈને બન્ને લાઈનમાં નીકળી પડે. સૌથી પહેલાં લાડુ હોય. પછી શાક, ફુલવડી, દાળ વગેરે હોય. ભાતનો વારો તો છેલ્લે આવે.
લાડુ પીરસનારો હોંશિયાર હોય. જમનારનું મોંઢું જોઈને જ સમજી જાય કે અહીંયા કેટલું ખપશે. અને એ પ્રમાણે એક, બે કે ત્રણ લાડુ થારી માં મૂકતો જાય. પીરસવાની ઝડપ પણ ગજબની હોય.
પંગતમાં ધ્યાન રાખનારા પાછા સૂચનાઓ આપતા જાય-
"એલા બે મેલ બે.. મેલ તુ તારે.. એ તો ખવાય જાહે..આવડા મોટા શરીરમાં બે કાય ના કેવાય એલા."
"આ લાઇન માં ફુલવડી નથી આયવી એલા.. ક્યા ગ્યૉ ફુલવડીવાળો.. ઓય.. એ પકલા.. આયા ફુલવડી લેતો આય.."
"એલા સૉકરા, પાણી ઢૉળાઇ નય હોં.. હાચવી હાચવી ને આલજો.. શાંતિથી.."
"દાળવાળા બેય જણા હારે નૉ રખડૉ એલાવ.. આગળ પાછળ થય જાવ.. એક જણો છેલ્લે આપૉ.."
પંગતનો જમણવાર બરાબરનો જામ્યો હોય. એય ને દાળના સબડકા બોલતા હોય.. લાડવાનું બટકું ને શાકનું પીતું ભેગું કરીને મોંમાં મમળાવતા હોય.. મીઠી વાતોચીતો થતી હોય.. બધા મોજથી જમતા હોય... એ દ્રશ્ય પણ જોવા જેવું હોય હોં...
અડધા ઉપર જમણવાર પતે એટલે ભાત પીરસવાનું ચાલુ થાય. પાછળ ને પાછળ લાડવાની તાસ ફરતી હોય. પ્રેમથી જમાડવાની પરાકાષ્ઠા અહીં જોવા મળે. વડીલો એક પછી એક એમ તમામને લાડુ સીધો મોંમાં જ મૂકતા આવે. કોઈપણ જાતની આનાકાની અહીં ચાલે જ નહીં.
"લ્યો, આઆઆ... કરો તાણ.. ખોલો મોઢુ.."
"એમ હાથ આડા રાયખે નઈ મેળ હોં મેમાન. લેવાનૉ એટલે લેવાનૉ.. ના નો પડાય હોં.."
"એલા આટલી જુવાનીમાં આ નઈ જેવડું લાડવું કાય નૉ કે'વાય ભલાઆદમી.. હાથ સેટા રાખજો તમે.."
"મારાથી તો હવે નઈ ખવાય હોં.... સોગનથી હવે નઈ.. જરીકેય નઈ.."
"ઓ.. હો.. હો.. ગોવીંદભઈ તમે..? એલા મે તો તમને જૉયા જ નોતા.. તમારે તો બે ખાવા જ પડસે.."
આમ છેલ્લા ફેરામાં મહેમાનોને આગ્રહ કરી કરીને લાડુ ખવડાવવામાં આવે. કેટલાકને સાચે જ પેટમાં જગ્યા ન હોય. છતાં ખાવું પડે. પછી અમળાયા કરે. કેટલાકને તો ખાવાની ઈચ્છા હોય જ. પરંતુ અમસ્તી જ ના પાડે. પછી અડધાની જગ્યાએ બે લાડવા ઝાપટી જાય. આગ્રહ કરવાવાળાને ક્યારેક સામેથી પણ ખાવું પડે. ત્યારે બરાબરની જામે.
પંગતમાં વહેલાં મોડા જે કોઈ જમી રહે તે રાહ જોઈને બેસે. અને લગભગ બધા સાથે જ ઊભા થાય. આ પણ પંગતની એક આગવી લાક્ષણિકતા હતી. ફાળિયાનો છેડો, પટકો, કે ખેસના છેડે હાથ મોં લૂછતા લૂછતા સૌ બહાર નીકળે. ત્યાં તો એઠાં વાસણ લેવાઈ જાય, સફાઈ થઈ જાય, અને ફરીથી વ્યવસ્થા થઈ જતાં બીજી પંગત શરૂ થાય.
***
મિત્રો, આવી હતી પંગતની વાસ્તવિકતા. જેમાં ભાઈચારો, સહકાર, આત્મિયતા, પ્રેમ, આનંદ, આદર, સત્કાર, જેવી બાબતો વણાયેલી હતી. એકબીજાની સાથે બેસીને હોંશથી જમવાની જે મોજ હતી એનું વર્ણન જ ન થઈ શકે.
પંગત એટલે મહેમાનનું સન્માન અને આનંદ જાળવવાની પરંપરા. મહેમાન જમી ના રહે ત્યાં સુધી એને કોઈપણ વસ્તુ માટે ઊભા થવું ન પડે. દરેક વસ્તુ એના ભાણાં સુધી આપણે પહોંચાડવાની ભાવના જોડાયેલી હતી. કુટુંબ અને પડોશીઓનો સંપ કેટલો છે એનો ખ્યાલ પંગતમાં આવી જતો.
દરેક પંગતની આગવી વિશેષતા હતી. એનો અલગ માહોલ હતો. એની અલગ મજા હતી. પંગત એટલે મહેમાનોને હાથેથી જમાડીને પોતે જમ્યા જેટલો આનંદ લેવાનો અવસર હતો. પંગતનું જમણ જમનારને પણ પોતીકું લાગતું.
આજના "બુફે" યુગમાં "પંગત" એક ઈતિહાસ બની ગઈ છે. આજે જમણવારમાં જમવાની આઈટમો અનેકગણી વધી ગઈ છે, પરંતુ જમવાનો સંતોષ અને મજા ઘટી ગઈ છે. આવનારા સમયમાં "પંગત" હમેશાં હમેશાં માટે ઈતિહાસના પાનાઓમાં અદ્રશ્ય થઈ જાય તો નવાઈ નહીં.
"બૂફેનો જમાનો આવ્યો, નથી બેસતી હવે પંગત.
સંગતમાં તો હર કોઈ છે, પણ કોને કહવું અંગત..? "
મિત્રો, આપણે નસીબદાર છીએ કે પંગતનો પ્રેમ અને બુફેનું બખડજંતર બન્ને જોઈ-માણી શક્યા છીએ. ચાલો, જમાના પ્રમાણે બધું બરાબર છે. છતાં પંગત એ તો પંગત જ..

સાભાર.... fb પોસ્ટ
https://www.facebook.com/100000521838659/posts/4328235207203831/

🙏🙏🙏🙏

Sunday, March 7, 2021

Truth of Life

સમુદ્ર કિનારે એક બાળક રમતું હતું. એક મોજું આવ્યું ને એનું ચપ્પલ તણાઈ ગયું બાળકે સમુદ્રની રેતી પર લખ્યું સમુદ્ર ચોર છે...
થોડે દુર માછીમારો દરિયો ખેડીને માછલીઓ પકડી લાવ્યા હતા માછીમારોએ સમુદ્રની રેતી પર લખ્યું સમુદ્ર અમારો પાલનહાર છે...
એક મા નો દીકરો સમુદ્રમાં ડૂબીને મરી ગયો એણે રેતી પર લખ્યું સમુદ્ર મારા પૂત્રનો હત્યારો છે...
એક ભાઈને સમુદ્ર કિનારેથી છીપમાં મોતી મળ્યું એણે રેતી પર લખ્યું સમુદ્ર દાનવીર છે...
અને એક મોટું મોજું આવ્યું, જે રેતી પરના આ ચારેય લખાણ ભૂંસીને ચાલ્યું ગયું
આપણા માટે દરેક વ્યક્તિનો અભિપ્રાય અલગ-અલગ હોય છે પણ આપણે સમુદ્રની જેમ કોઈના અભિપ્રાયની ચિંતા કર્યા વગર પોતાની મોજમાં રહેવું અને આપણું કાર્ય કરતા રહેવુ...

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...