આજે આ બંને મહાગ્રંથોમાં ભક્તિ અને ભક્તો વિશે વાત કરવી છે.
માણસે ભક્તિની શરૂઆત ક્યારથી કરી હશે? આદિકાળમાં પ્રકૃતિના સ્વરૂપોથી અભિભૂત થઈને ભક્તિની શરૂઆત થઈ હશે. માણસ પ્રકૃતિને મુગ્ધ બની નિરખતો રહ્યો હશે.. જેમ આપણે આજે પ્રવાસ કરી હિમાલયને કે સમુદ્રને કે વનને જોઈ અભિભૂત થઈ જઈએ છીએ એમ. મેં પ્લેનમાંથી એવરેસ્ટ જોયો ત્યારે મોબાઈલ ખોલી એના ફોટો લેવાનું ભૂલી ગયેલો, કુદરતના મનમોહક સ્વરૂપોથી, પાણીની જીવનપોષક શક્તિઓથી આદિમ માનવોએ એને ઈશ્વર ગણ્યા હશે. કારણ કે ભક્તિ એ ડરનું પરિણામ ન હોઈ શકે. અગ્નિથી બધું બળી જવાને લીધે કે પાણીમાં ડૂબી જવાને લીધે આદિમ પૂર્વજોએ એની ભક્તિ શરૂ કરી ન હોઈ શકે, પરંતુ એના ઉપકારક તત્વોને જોઈને જ એના પ્રત્યેનો પૂજ્યભાવ આવ્યો હોઈ શકે એ તત્વોનું નિયમન કરનાર કોઈ એક પરમશક્તિ છે જેના પરિણામે આ બધો સંચાર થાય છે એમ તેમને લાગ્યું હશે. અને આમ ભ્કતિની શરૂઆત થઈ હશે. આપણા ધર્મના પૃથક્કરણ વખતે કહેવાતા વિચારકો અને ફિલસૂફો એમ કહે છે કે જેનાથી ડર લાગ્યો એને આપણે પૂજવાનું શરૂ કરી દીધું, એ સદંતર ખોટું લાગે છે, એ તત્વોથી અભિભૂત થયા હોઈ શકીએ. ગીતાના વિશ્વરૂપદર્શન અધ્યાયમાં અર્જુન પ્રકૃતિના તત્વોનો સંદર્ભ આપતા પ્રાર્થના કરે છે.
वायुर्यमोऽग्निर्वरुणः शशाङ्कः
प्रजापतिस्त्वं प्रपितामहश्च।
नमो नमस्तेऽस्तु सहस्रकृत्वः
पुनश्च भूयोऽपि नमो नमस्ते॥११-३९॥
અર્થાત તમે જ વાયુ યમ અગ્નિ વરુણ ચંદ્રમાં પ્રજાપતિ અને પ્રપિતામહ (બ્રહ્માનું પણ કારણ) છો. તમને હજારો નમસ્કાર હો, નમસ્કાર હો અને પુન: તમને વારંવાર નમસ્કાર હો.
શ્રી રામ અને શ્રી કૃષ્ણની જીવન પદ્ધતિ, જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ અને તેમનાં ઈશ્વર હોવાની વાતના પ્રતિપાદનમાં ભિન્નતા દેખાય છે. શાળામાં આપણે સોટીમૂળ અને તંતુમૂળ ભણ્યા હતા. શ્રી રામનું જીવન મર્યાદાની ગાથા છે, એક નિશ્ચિત સીમારેખાની બહાર તેઓ ગયા નથી, જીવન જીવવાની મર્યાદાઓ અને આદર્શો તેમણે આચરી બતાવ્યા છે. એમના આદર્શો અને મર્યાદાઓ સોટીમૂળની જેમ એક નિશ્ચિત પથને અનુસરે છે. જ્યારે કૃષ્ણનું જીવન ઘટનાપ્રચૂર છે, મૂળ વાર્તાની સાથે સાથે અનેક ઉપવાર્તાઓ, જાણે તંતુમૂળ. રામભક્ત એ જ હોઈ શકે જે તેમના આદર્શોને જીવનમાં સંપૂર્ણપણે ઉતારી શકે. એમનો ભક્ત હોવા માટે દરેક પગલે પોતાની જાતને એ પૂછવું જોઈશે કે જો આ સ્થાને રામ હોત તો શું કરત? ભયસ્થાન એ જ છે કે રામની ભક્તિ સહેલી નથી, કારણ કે એ મર્યાદાપુરુષોત્તમ હતા, આપણે એનો પ્રયત્ન માત્ર કરીએ તો પણ ખબર પડે કે એ કેટલું મુશ્કેલ છે.
શ્રી રામે કદી સ્વમુખે પોતે ઈશ્વર હોવાનું કહ્યું નથી, પરંતુ તેમના આદર્શ તેમને ઈશ્વર બનાવે છે. રામે જે કહેવું હતું એ પોતાના જીવન દ્વારા કરી બતાવ્યું છે. તો કૃષ્ણએ ગીતામાં અનેક શ્લોકમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પોતે ઈશ્વર હોવાનું સ્વીકાર્યું છે. જગતમાં બીજે ક્યાંય પણ કોઈ પણ ધર્મમાં કોઈ ધર્મધ્વજધારકે પોતે ઈશ્વર હોવાનું કહ્યું નથી, અન્ય ધર્મોમાં ધારકોએ પોતાને ઈશ્વરના સંતાન કે સંદેશાવાહક કહ્યાં છે. દ્વૈત અને અદ્વૈતની થિઅરી મુજબ કૃષ્ણ જો એમ કહે કે ‘હું પણ ઈશ્વર છું.’ તો એ વાત સ્વીકારાઈ ન હોત, કારણ કે ‘પણ’ સરખામણીને જન્મ આપે છે, અને એ રીતે તેઓ ઈશ્વરથી ભિન્ન હોવાની વાત જાતે જ કહી દેત. એ દ્વૈત હોત, પરંતુ કૃષ્ણ અદ્વૈત છે. દરેક વસ્તુનું એક કારણ છે, પણ એ કારણોનું પણ અંતિમ કારણ અદ્વૈત ગણીને તેમણે કહ્યું,
मत्तः परतरं नान्यत्किंचिदस्ति धनंजय।
मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव॥७-७॥
હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ આ જગતમાં સહેજ પણ કોઈ કારણ નથી. જેમ મોતી એક દોરામાં પરોવાયેલા હોય એમ આ આખું જગત મારામાં જ ઓતપ્રોત છે.
बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनम्।
बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम्॥७-१०॥
હે પાર્થ, સંપૂર્ણ પ્રાણીમાત્રનું સનાતન, અનાદી બીજ મને જ જાણ, બુદ્ધિમાનોમાં બુદ્ધિ અને તેજસ્વીઓમાં તેજ હું જ છું.
पिताहमस्य जगतो माता धाता पितामहः।
वेद्यं पवित्रमोंकार ऋक्साम यजुरेव च॥९-१७॥
હું જ આ જગતનો પિતા, માતા, ધારણ કરનાર, અને પિતામહ છું, હું જાણવા યોગ્ય છું, પવિત્ર ઓમકાર, ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું.
अहमात्मा गुडाकेश सर्वभूताशयस्थितः।
अहमादिश्च मध्यं च भूतानामन्त एव च॥१०-२०॥
હે ગુડાકેશ, સમસ્ત પ્રાણિઓના આદી, મધ્ય અને અંત હું જ છું. અને સર્વપ્રાણીઓના અંતર મનમાં આત્મ સ્વરૂપે પણ હું જ સ્થિત છું.
यस्मात्क्षरमतीतोऽहमक्षरादपि चोत्तमः।
अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः॥१५-१८॥
હું ક્ષર થી અતીત છું, અને અક્ષરથી પણ ઉત્તમ છું. એટલે જ લોકમાં અને વેદોમાં હું પુરુષોત્તમના નામથી પ્રસિદ્ધ છું.
ભક્ત તો જ અસ્તિત્વ ધરાવે જો ઈશ્વર પોતે અસ્તિત્વ ધરાવે, મતલબ એમાં ઈશ્વર તત્ત્વ હોય, એ પૂજનીય હોય. ઈશ્વરત્વ એ સાપેક્ષ વસ્તુ નથી. ઈશ્વરત્વ ભયજનક નથી. એ તો આનંદ સ્વરૂપ હોય, દુ:ખભંજક, ભયહરનાર.. અને એવા ઈશ્વરનો ભય ન હોવો ઘટે, સાચો ભક્ત ઈશ્વરને અકારણ પ્રેમ કરતો હોવો જોઈએ, અને આ લખી રહ્યો છું ત્યારે જ સંવાદ આવ્યો, આજના એપિસોડમાં કૃષ્ણએ કેટલી સરસ વાત કહી, જે ક્રોધ કરતા હોય એની પૂજા શા માટે? પૂજા કરવી એ ભક્તનું કર્તવ્ય છે, પણ પૂજા કરાવવી એ ઈશ્વરનું કર્તવ્ય કઈ રીતે હોઈ શકે? ઈશ્વર તો આનંદ સ્વરૂપ હોવા જોઈએ, નિશ્ચલ સ્નેહ સ્વરૂપ. પ્રકૃતિના તત્વોની પૂજા કરવાનું એ કહે છે, ગાયની, વનોની, પર્વતોની અને નદીઓની.. કારણ કે એ પોષક છે. કહેવાય છે કે મનુષ્યજન્મ પહેલાનો જન્મ ગાયનો હોય છે, પ્રાણીઓમાં કૃષ્ણ ફક્ત ગાયનું જ સ્મરણ કરે છે. જો સ્મૃતિઓની સફરે જઈ શક્તા હોઈએ તો જાણીએ કે આપણી મનુષ્ય જન્મ પહેલાની સ્મૃતિઓ ગાયની છે. આપણા ધર્મગ્રંથોમાં સાર્વત્રિક ગાયની મહિમા થઈ છે.
ભક્તિ પ્રકૃતિના તત્વોથી પ્રકૃતિમય પુરુષો સુધી પહોંચી છે. અહીં પુરુષનો અર્થ સ્ત્રીથી ભિન્ન એવો લેવાનો નથી. કારણ કે આપણા તો પુસ્તકોમાં પણ પુરુષ અને પ્રકૃતિના સમન્વયની વાતો કહેવાઈ છે. ભક્તિ એ સાર્વત્રિક સ્વરૂપ છે, એ કોઈ એક સ્થળના કે કાળના બંધનમાં ન સંભવી શકે. હું સવારે પ્રાર્થના કરું, પછી તૈયાર થઈ ઓફિસ જઉં, પછી ત્યાં કામ કરું, ગુસ્સે થાઉં, પછી ઘરે આવું, થાક અને ગુસ્સો ઘરના લોકો પર ઉતારું અને પછી ઈશ્વર સમક્ષ દીવો કરવા જઉં તો એ ભક્તિ કયા પ્રકારની ભક્તિ થઈ. ભક્તિ માણસના સ્વભાવ અને વ્યક્તિત્વમાંથી ઝળકવી જોઈએ. હું મારું લેપટૉપ ખોલતો હોઉં તો પણ ધર્મગ્રંથ ખોલતો હોઉં એવો ભાવ મારા મનમાં આવે, ગાયને રોટલી ખવડાવતી વખતે, તુલસીને પાણી ચડાવતી વખતે જાણે ઈશ્વરને અર્પણ કરતો હોઉં એ ભક્તિ, હું છોડ પર રહેલું ગુલાબનું ફૂલ સ્પર્શથી અનુભવતો હોઉં ત્યારે જાણે પરમાત્માને સ્પર્શતો હોઉં એવું અનુભવું તો એથી વધુ ઉચ્ચતમ ભક્તિ કઈ હોઈ શકે? ભક્તિ એટલે સંપૂર્ણપણે ઈશ્વરમય થવું, ઈશ્વરદત્ત તત્વોને સમર્પિત થઈ જવું. અને એવું કયું તત્ત્વ છે જેમાં ઈશ્વર નથી? એટલે ભક્તિ એક રીતે સંપૂર્ણતાને સમજવાની અને અનુભવવાની પ્રક્રિયા છે. ઓશો આને ‘પ્રેયરફુલનેસ’ કહે છે. પણ આપણને આ બધી થિઅરી લાગે છે, હાસ્યાસ્પદ અને માની ન શકાય એવી. આપણી પ્રગતિ અને વધેલી સમજણે આપણને પોતાને આનંદ અનુભવતા રોકે છે.
એક દિવસ કરી જોઈએ, આવતીકાલે હું પ્રયત્ન કરું કે એક આખા દિવસના કાર્યોને આપણે અહોભાવથી અનુભવી અને પૂર્ણ કરી શકીએ, કરી જોઉં.
એક અજબ ઉદાહરણ યાદ આવ્યું. મને ગમતી વેબશ્રેણી #Westworld નો એક સંવાદ છે, માનવ જેવા લાગતા હ્યુમનોઈડના એક આખા પાર્કના નિર્માતા ફોર્ડ પોતાના સર્જન વિશે કહે છે, "Mozart, Beethoven, and Chopin never died. They simply became music." મતલબ “મોઝાર્ટ, બિથોવન અને ચોપિન કદી મર્યા નથી, એ ફક્ત સંગીત બની ગયા.” સર્જક નાશવંત છે, દ્વૈત છે, પણ જો એ સંગીત બની જાય તો અમર થઈ જાય.
ભક્તિ મારા હિસાબે સર્જકમાંથી સર્જન બનવાની યાત્રા છે.
આ બંને મહાગ્રંથોમાંથી મારા માટે ભક્તિના ચાર પ્રમુખ માપદંડ છે, લક્ષ્મણ, હનુમાન, અર્જુન અને દ્રૌપદી. આમ તો આ ચાર માત્ર માપદંડ નથી, કારણ કે ભક્તિ માત્રનો અર્થ સમર્પણ છે, પ્રેમ છે અને એટલે જો ભક્તોની સૂચી બનાવવા બેસીએ તો પુસ્તક પણ ઓછું પડે, પણ મારે આ ચાર વિશેની જ વાત મૂકવી છે.
આજે વાત લક્ષ્મણજી અને હનુમાનજીની..
રામના ભક્તો તેમને પૂર્ણપણે સમર્પિત છે, શેષનાગનો અવતાર ગણાતા લક્ષ્મણ તો પહેલેથી જ રામની સતત સાથે તેમનો પડછાયો બની તેમની સેવામાં સમર્પિત છે. ઊર્મિલ સાથે તેમનો સંવાદ અદ્રુત છે જે બે દિવસ પહેલા મૂક્યો હતો. ઊર્મિલ તેમને કહે કે લક્ષ્મણની સેવા કરવા એ સાથે વનમાં આવવા માંગે છે ત્યારે લક્ષ્મણ કહે છે કે એ દિવસે ભાઈ ભાભીની સેવા કરશે અને રાત્રે પહેરો ભરશે, એ પોતાની પર્ણકુટીમાં આવવાના જ નથી, અને એટલે ઊર્મિલ તેમની સેવા કરી શકે એવો પ્રશ્ન જ નથી. ચૌદ વરસ જાગ્યા હોવાને લીધે તેમને ગુડાકેશ કહેવાય છે. ત્યાગ ભક્તિને બળ આપે છે. એટલે જ કદાચ આપણે ઈશ્વરને કંઈ ને કંઈ અર્પણ કરીએ છીએ, ત્યાગની ભાવના હોવી જોઈએ એને બદલે આપણી દાન કરવાની અને અહંકાર પોષવાની ભાવના હોય છે. તારું છે અને તને અર્પણ કરું છું એવો ભાવ રાખવા સમજણ જોઈએ.. પોતાના પૂજ્યનો આટલો સતત સાથ તો કૃષ્ણના કોઈ ભક્તને પણ મળ્યો નથી. સીતાનું અપહરણ કરીને રાવણ લઈ જાય ત્યારે સીતા પોતાના આભૂષણ ફેંકે છે જે વાલીને મળે છે, લક્ષ્મણ એમાંથી ફક્ત પગના આભૂષણ ઓળખી શકે છે કારણ કે એણે વંદન કરતી વખતે સીતાના ચરણ માત્ર જોયા છે, પણ એ સિવાય તેમને કદી નજર ઊંચી કરીને જોયા નથી. વનવાસમાં સીતા સહિત કદી કોઈ સ્ત્રીનો ચહેરો નથી જોયો એમ કહેવાયું છે.. સીતાના અપહરણ પછી એના વિયોગમાં દુ:ખી રામને પણ લક્ષ્મણ ખૂબ સ્નેહથી સંભાળે છે. એમની ભક્તિ અને સમર્પણ સ્વાર્થ વિહીન છે, નિશ્ચલ અને સંપૂર્ણ છે. ફક્ત એક જગ્યાએ લક્ષ્મણ ભક્તિમાં સરખામણી કરી બેસે છે.. એની વાત પણ આગળ છે.
રામ અને લક્ષ્મણ સીતાની શોધમાં ઋષિમુખ પર્વત પાસે પહોંચે ત્યારે બળવાન અને રૂપસંપન્ન એ કોણ છે એવું જાણવા સુગ્રીવ હનુમાનજીને મોકલે છે. પર્વતનું નામ પણ કેવું, ઋષિમુખ એટલે ઋષિનું મુખ – એટલે શાસ્ત્રો – એટલે ધર્મ અને શ્રી હનુમાનજી ત્યાં છે. હનુમાનજી તેમનો પરિચય લેવા બ્રાહ્મણ વેશમાં તેમની પાસે આવે છે. હનુમાનજીના પ્રશ્નમાં જ રામના ઈશ્વર હોવાનો સ્પષ્ટ ભાવ છે.
मृदुल मनोहर सुंदर गाता। सहत दुसह बन आतप बाता ॥
की तुम्ह तीनि देव महँ कोऊ। नर नारायन की तुम्ह दोऊ ॥5॥
મનોહર એવા તમારા કોમળ અંગ છે, વનના અસહ્ય તાપ અને વાયુને તમે સહન કરી રહ્યાં છો, તમે બ્રહ્મા વિષ્ણુ મહેશમાંથી કોઈ છો કે તમે નર અને નારાયણ છો?
दोहा :
जग कारन तारन भव भंजन धरनी भार।
की तुम्ह अखिल भुवन पति लीन्ह मनुज अवतार॥1॥
કે તમે જગતના મૂળ કારણ એવા સંપૂર્ણ લોકોના સ્વામી સ્વયં ભગવન છો? જેણે પૃથ્વીના જીવોને ભવસાગર પાર કરાવવા અને પૃથ્વીનો ભાર હરવા મનુષ્ય અવતાર લીધો છે?
આ જ કારણની – દ્વૈતની વાત ઉપર ગીતાજીના શ્લોક ॥७-७॥ માં કહેવાઈ છે. ઈશ્વરની વ્યાખ્યા તો બંનેમાં યથાતથ આલેખાઈ છે જ. રામાયણમાં હનુમાનના મુખે અને મહાભારતમાં કૃષ્ણના મુખે.
તો રામ પણ પોતાનો ગર્ભિત પરિચય તેમને આપે છે, કૌશલ નરેશ દશરથના અમે પુત્રો છીએ, રામ અને લક્ષ્મણ, અમે પિતાનું વચન માની વનમાં આવ્યા છીએ, અમારી સાથે મારી પત્ની સીતા હતી જેને રાક્ષસો હરીને લઈ ગયા છે. હવે હે બ્રાહ્મણ તમે કોણ છો એ કહો.
ત્યારે હનુમાનજી પ્રભુને જાણે છે અને વિચારે છે કે પ્રભુ મને જાણવા છતાં પરિચય માંગી મારી પરીક્ષા કરે છે, તેઓ મૂળ સ્વરૂપમાં આવી ઈશ્વરના ચરણોમાં વંદન કરે છે ત્યારે શિવ પાર્વતીને કહે છે કે શરીર પુલકિત છે, આનંદના સાગરમાં હોવાથી મુખથી વચન નથી નીકળી રહ્યાં અને આંખો સજળ છે. આ જ ‘પ્રેયરફુલનેસ’ છે. હનુમાનજી કહે છે કે પ્રભુ વાનરબુદ્ધિને લીધે આપને ઓળખી ન શકવાથી મેં પરિચય પૂછ્યો, મારા માટે ન્યાયસંગત છે, પણ પ્રભુ થઈને તમે મારો પરિચય કેમ માંગ્યો?
एकु मैं मंद मोहबस कुटिल हृदय अग्यान।
पुनि प्रभु मोहि बिसारेउ दीनबंधु भगवान
પ્રભુ, એક તો હું મંદ છું અને ઉપરથી મોહને આધીન, કુટીલ હ્રદય અને અજ્ઞાન, એટલે શું પ્રભુ તમારે મને ભૂલી જવાનો?
जदपि नाथ बहु अवगुन मोरें। सेवक प्रभुहि परै जनि भोरें॥
नाथ जीव तव मायाँ मोहा। सो निस्तरइ तुम्हारेहिं छोहा॥1॥
મારામાં ઘણાં અવગુણ છે, પણ તેથી તમે મને ભૂલી ન જશો. જીવ તમારી માયાથી મોહિત છે, એ તમારી જ કૃપાથી વિસ્તાર પામે છે.
આમ હનુમાનની અનેક પ્રાર્થનાઓને અંતે રામ તેને કહે છે,
सुनु कपि जियँ मानसि जनि ऊना। तैं मम प्रिय लछिमन ते दूना॥
समदरसी मोहि कह सब कोऊ। सेवक प्रिय अनन्य गति सोऊ॥4॥
હે કપિ, સાંભળ, મન દુ:ખી ન કરીશ, તું મને લક્ષ્મણથી બેગણો વધુ પ્રિય છે. બધા મને સમદર્શી કહે છે, (ન કોઈ પ્રિય ન અપ્રિય) પણ સેવક મને અતિપ્રિય છે કારણ કે મારા સિવાય એનું કોઈ નથી.
અને પછી એ રામ લક્ષ્મણ બંનેને એક એક ખભે બેસાડી સુગ્રીવ પાસે લઈ જાય છે. સુગ્રીવની ફક્ત એક જ ક્વોલિફિકેશન છે, કે હનુમાનજી એની સાથે છે, એક ભક્ત એની સાથે છે. ભક્તિ પ્રત્યક્ષ ન હોય તો પણ લાભદાયક હોય છે. લક્ષ્મણજી વિચારે છે કે પ્રભુએ આ નવા મળેલા ભક્તને તરત મારાથી બેગણો સ્નેહ છે એવું કેમ કહી દીધું? પણ જ્યારે એ બંનેને ખભે બેસાડે છે ત્યારે તેઓ વિચારે છે, કે હું શેષનાગનો અવતાર અને વિષ્ણુનો ભાર હું જ ઝીલી શકું પણ આ ભક્ત તો શેષનાગ અને વિષ્ણુ બંનેનો ભાર ઉઠાવી રહ્યો છે, એના લીધે શ્રી રામને પણ ઋષિમુખનું સાન્નિધ્ય અને એમ સીતા શોધ માટેનો આશાસંચાર થયો છે એટલે એ બે ગણો પ્રિય બરાબર છે.
સીતાની શોધમાં દક્ષિણ દિશામાં જતી ટોળકીમાં હનુમાન છે. રામને એટલો વિશ્વાસ છે કે એ હનુમાનને પોતાની વીંટી આપીને કહે છે, તાત, તું સીતાને મારી આ વીંટી આપજે અને મારો વિરહ કહેજે.. ગૃહસ્થ માણસ પોતાનો વિરહસંદેશ એના મારફત જ મોકલી શકે જે અનાસક્ત હોય. પછી તો ભક્ત અને ભગવાનના અનેક સુંદર સંવાદો અને ભાવ અભિવ્યક્તિ છે. રામાયણનો મને સૌથી વધુ ગમતો ભાગ કાલથી જોવા મળશે એનો અત્યંત આનંદ છે..
કિષ્કિંધાકાંડ એ રામાયણનો ભક્તિસર્ગ છે,
બિલિપત્ર
अहं सर्वस्य प्रभवो मत्तः सर्वं प्रवर्तते।
इति मत्वा भजन्ते मां बुधा भावसमन्विताः॥१०-८॥
હું સંસાર માત્રનું મૂળ કારણ છું. અને મારાથી જ સંસાર પ્રવૃત્ત છે. આમ જાણીને મારામાં શ્રદ્ધા પ્રેમ રાખતા બુદ્ધિમાન ભક્ત મને જ ભજે છે, સર્વ પ્રકારે મારી શરણમાં જ આવે છે.
* * *
Shital Gadhavi શીતલબેને લવ અને કુશના વંશજો વિશે પૂછ્યું છે..
રામના ભાઈ લક્ષ્મણે વસાવેલું શકેર એટલે લક્ષ્મણપુર જેને આજે આપણે લખનૌ તરીકે જાણીએ છીએ. ભરતે તક્ષશીલા નગર વિકસાવેલું જે એના વિશ્વવિદ્યાલયથી જાણીતું બન્યું અને શત્રુઘ્ને મરુવન સાફ કરીને મથુરાની સ્થાપના કરી હતી. રામના પુત્ર લવનું સ્થાપેલું લવપુર લાહૌર તરીકે જાણીતું છે અને થાઈલેન્ડમાં લબપુરી પણ તેમનું જ સ્થાપેલું શહેર મનાય છે.
રામના સમયમાં અયોધ્યા કૌશલ દેશની રાજધાની હતી. રામના પુત્રો પછી એ ઉત્તર કૌશલ અને પૂર્વ કૌશલ એવા બે ભાગમાં વિભાજીત થયું. ઉત્તર કૌશલની રાજધાની હતી શ્રાવસ્તી જે ગૌતમ બુદ્ધના જીવનકાળ સાથે સંકળાય છે. જ્યારે પૂર્વ કૌશલની રાજધાની કુશવતી અત્યારના ગોરખપુર પાસે સ્થિત હતી એમ મનાય છે. બુદ્ધઘોષ નામના બૌદ્ધ સાધુએ નોંધેલુ કહેવાય છે કે ઉત્તર કૌશલમાં બુદ્ધના સમયે લગભગ ૧૮ કરોડની વસ્તી હતી. મહાભારતકાળ સુધીમાં કૌશલ રાજ્ય પાંચ ભાગમાં વહેંચાઈ ગયું. પૂર્વ કૌશલ જે મગધના રાજા જરાસંઘે જીતી લીધેલું એ પછી એને મારીને ભીમે જીતી લીધું અને યુદ્ધને અંતે કૌશલના પાંચેય ભાગ પાંડવોના તાબામાં એકછત્રમાં આવ્યા.
વંશાવલી આમ લખાઈ છે..
શ્રી રામ
કુશ
અતિથી
નિશાદ
નળ
નભાસ
પુંડરિક
ક્ષેમધન્વન
દેવાણિક
અહિન્ગુ
પરિપત્ર
દલ
ઉક્ત
વજ્રનભ
શંખણ
વ્યુશિતાશ્વ
વિશ્વસાહ
હિરણ્યનભ
પુષ્ય
ધ્રુવસંધી
અગ્નિવર્ણ
શીઘ્ર
મારુ
પ્રશ્રુશ્રુતા
સુસંધી
અમર્ષ
વિશ્રુતવંત
બૃહદ્બાળ જેણે મહાભારતના યુદ્ધમાં ભાગ લીધો હતો.
Nikhil Bhatt નિખિલભાઈએ મહાભારત કથામાં સૌથી શ્રેષ્ઠ ધનુર્ધર કોણ કહી શકાય, અર્જુન કે કર્ણ કે પિતામહ ભીષ્મ એ વિશે મારો મત પૂછ્યો છે..
અર્જુને દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય પાસેથી શસ્ત્રવિદ્યા ગ્રહણ કરી હતી. દેવવ્રત ભીષ્મે પરશુરામ પાસેથી તથા કર્ણે દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય પાસેથી શસ્ત્રવિદ્યા શીખી હતી, બ્રહ્માસ્ત્ર માટે તે પરશુરામ પાસે ગયેલા જે ફક્ત બ્રાહ્મણોને જ ધનુર્વિદ્યા શીખવતા (અપવાદ ભીષ્મ અને દ્રુપદ) આપણે ત્યાં દ્રોણને ખૂબ વિચિત્ર રીતે દર્શાવાયા છે. કર્ણના પાલકપિતા અધીરથ ગુરુકુળમાં ધૃતરાષ્ટ્રની સાથે હતા, એટલે કર્ણને પણ ધૃતરાષ્ટ્રની સૂચના મુજબ કૌરવો અને પાંડવો સાથે જ ધનુર્વિદ્યા દ્રોણાચાર્ય પાસેથી જ મળી. જો કે એમણે કર્ણને બ્રહ્માસ્ત્ર શીખવ્યું નહોતું. આમ બધા ધર્નુર્ધરોમાં ભીષ્મ શ્રેષ્ઠ કહી શકાય. જો ભીષ્મ યુદ્ધમાં શિખંડીને હાથે બાણશૈય્યા પર ન મૂકાયા હોત તો કદાચ યુદ્ધનું પરિણામ ભિન્ન હોત. ભીષ્મ પછીના ક્રમે અર્જુન અને કર્ણ સમાન સ્તરે મૂકી શકાય.
Chirag Patel એકલવ્યને દ્રોણે વિદ્યા આપવાની ના પાડી હતી કારણ કે તેમની વફાદારી હસ્તિનાપુર પ્રત્યે હતી અને એકલવ્ય મગધનો હતો જે હસ્તિનાપુરનું શત્રુ રાજ્ય હતું. એકલવ્યને એની જાતિને લીધે નહીં પરંતુ આ કારણે દ્રુણે ના પાડી હતી એવું ક્યાંક વાંચ્યાનું યાદ છે. જો કે એનું પ્રમાણ યાદ નથી. અને એની ધનુર્વિદ્યાનું એક જ ઉદાહરણ મળે છે જે સરખામણી માટે એને સમાન સ્તરે મૂકી આપતું નથી.
Shital Dhandhukia રાવણ ઈચ્છતો હતો કે તેનો પુત્ર મેઘનાદ અમર જન્મે, મહાન યોદ્ધા બને. જ્યોતિષિની સૂચના મુજબ એણે મેઘનાદના જન્મ વખતે નવ ગ્રહોને અનુકૂળ દ્રષ્ટિ રાખવાની સૂચના આપી હતી જેથી મેઘનાદના જન્મ વખતના ગ્રહો અદ્વિતિય હોય અને રાવણનો તેને અમર કરવાનો હેતુ પૂર્ણ થાય. ગ્રહો રાવણથી ડરતા હતા સિવાય કે શનિ, મેઘનાદના જન્મ સમયે શનિએ પોતાની દ્રષ્ટી વક્ર કરી, રાવણને આ વાતની ખબર પડી ત્યારે તે શનિ પર ખૂબ ગુસ્સે થયો. અને તેને પગમાં ગદા મારી શનિને લંગડો બનાવ્યો. રાવણે શનિને પકડી, એનું માથું નીચે રહે અને તેની દ્રષ્ટિ રાવણ પર ન પડે એ રીતે પોતાના સિંહાસન પાસે નીચે સુવડાવી બંદી બનાવીને રાખ્યો. પછી નારદને શનિએ છોડાવવા વિનંતિ કરી એવી વાર્તા છે..
જય શ્રી રામ 🚩
જય શ્રી કૃષ્ણ 🚩
#Ramayan
#Mahabharat
સાભાર
*જીજ્ઞેશ અધ્યારૂ* ની FB વોલ પરથી..