સત્તરમી સદીમાં જાપાનમાં ઓશોન નામનાં એક નામાંકિત વ્યક્તિ થઈ ગયાં. ખૂબ જ ધનવાન, પ્રતિષ્ઠિત, અને ખાનદાની માણસ તરીકે તેમની નામનાં હતી. ઓશોનને માન-સન્માન મળતું હતું એનું એક બીજું કારણ પણ હતું. તેમનું ફેમિલી બસો માણસોનું હતું. બાર ભૈયા અને તેર ચૌકાનાં વિષમ જમાનામાં ઓશોનનું કુટુંબ આદર્શ ઉદાહરણ હતું. નવાઈની વાત તો એ હતી કે કોઈ જાપાનીઝે એમનાં ઘરમાં નાનકડો ઝઘડો થયો હોય એવુંય સાંભળ્યુ ન હતું.
એમનાં પાડોશીઓ પણ ઘરમાં ઝઘડો કરતાં ન હતાં. જો ઘરમાં ઝઘડો થાય તો સમજુ માણસો એમ સમજાવે કે- તમારાં પાડોશમાં બસ્સો માણસનો પરિવાર રહે છે તેને જોઈને તો કોઈ શીખ લો. ઘરમાં પાંચ માણસ સંપીને રહી શકતાં નથી. અરે, એ સમયે તો અતિશયોક્તિથી એમ કહેવાતું કે, ઓશોનના કુટુંબની એકતાનો પ્રભાવ એવો છે કે તેમનાં ફળિયાનાં કૂતરાય અંદરો-અંદર લડતાં ન હતાં !!!
જાપાનનાં રાજાએ ઓશોનના કુટુંબકબીલા વિષે ઘણું સાંભળ્યું હતું. હવે ઓશોન પાકટ થઈ ગયાં હતાં. રાજા પોતે તેમને મળવા તેમનાં ઘરે ગયો. રાજાને તમામ પરિજનોને મળીને આનંદ થયો. રાજાએ ઓશોનને કહ્યું, હે સજ્જન ! મહેરબાની કરીને આ કુટુંબની એકતા અને સંપનું રહસ્ય શું છે તે જણાવો. હું ઈચ્છું છું કે આપ આપના પરિવારનાં એવાં નિયમો તારવો કે જેનું તમે પાલન કરો છો. અમને અને પ્રજાને ઉપયોગી નીવડે એવાં 100 નિયમો લેખિતમાં આપો. જેથી હું તેને છપાવી દેશનાં ખૂણે-ખૂણે પહોંચાડું." ઓશોને કહ્યું, "રાજન, એવાં 100 નિયમો મેં ક્યારનાય અલગ તારવી લીધાં છે. હું આપને અબઘડી જ તે લખી આપું છું."
ઓશોને કાગળ-પેન્સિલ મંગાવ્યાં. તેમણે પોતાની ફેમિલીનાં 100 અદભૂત નિયમો કાગળમાં ટપકાવવા લાગ્યાં. થોડીવાર પછી તેમણે કાગળની ગડી વાળી તે કાગળ રાજાને હાથમાં આપ્યો. રાજા તો ખુશખુશાલ થઈ ગયો. તેણે ઉતાવળથી પેલો કાગળ ખોલ્યો. કાગળમાં લખ્યું હતું- "ઓશોનની ફેમિલીના 100 અદભૂત નિયમો આ પ્રમાણે છે. (1) સહન કરો. (2) સહન કરો.(3) સહન કરો........(100) સહન કરો.
આપણાં કુટુંબકલેશનું સૌથી મોટું કારણ જાણો છો ? આપણે ત્યાં જનરેશન ગેપ કરતાં કોમ્યુનિકેશન ગેપ વધારે છે. ભલું થાજો આ લોકડાઉનનું કે ફરીથી કોમ્યુનિકેશન ગેપ પુરવાનો એક મોકો મળ્યો. ક્યાક કોમ્યુનિકેશન થાય છે તો એ વળી શબ્દો નહી પણ જાણે અણુબોમ્બ જોઈ લો !! કોઈ ડોક્ટરને પૂછજો, કે ઓપરેશન કરતાં પહેલાં તમે ઓજારો કેમ સ્ટરીલાઈઝ કરો છો ? દાક્તરનો જવાબ હશે કે જો ઓજારો જંતુમુક્ત કર્યા હોય તો દર્દીને ચેપ ન લાગે. સ્ટરીલાઈઝ કર્યા વગર ઈન્સ્ટ્રુમેન્ટ વાપરીએ તો પેશન્ટને ચેપ લાગે અને તેનું મૃત્યુ પણ થઈ શકે છે !!! આ શબ્દો પણ છે ને પેલાં ડોક્ટરના ઓજારો જેવા જ છે. બાકીનું તમારાં આઈક્યૂની મદદથી સમજી લેજો. અનિયંત્રિત વાઘ, અનિયંત્રિત હાથી, અનિયંત્રિત આગ, અનિયંત્રિત શસ્ત્રો જેટલો વિનાશ કરે છે એટલો જ વિનાશ અનિયંત્રિત શબ્દો પણ કરે છે.
બહુ જૂની એક વાત છે. પતિ-પત્ની દરરોજ લડતાં. એક દિવસ તેમણે નક્કી કર્યું કે આપણે આમ ટુકડાઓમાં લડવું નથી. હવેથી બંને એક-એક ડાયરી રાખીએ. આપણે એકબીજાની ભૂલો અને ક્ષતિઓ એમાં લખીશું. માર્ચ એન્ડિંગમાં હિસાબ કરીશું. એ દિવસે મનભરીને લડી લેવાનું. સંધિ પર હસ્તાક્ષર થઈ ગયાં. હવે બંને ડાયરીમાં નોંધ રાખવા લાગ્યાં. ત્રણસો ને ચોસઠ દિવસ વીતી ગયાં. વિશ્વયુધ્ધનો દિવસ આવી પહોંચ્યો. હથિયારો (ડાયરી) તૈયાર થઈ ગયાં.
પતિએ લેડીઝ ફર્સ્ટ કહ્યું. પત્નીએ કહ્યું, "હું નાની નાની ભૂલો નહી વાંચું. સીધી મોટી ભૂલો પર જ આવું છું. તો સાંભળો. તા. 15/04 તમે ઘરે મોડાં આવ્યાં. આપણે ફિલ્મ જોવા જવાનું હતું. પ્રોગ્રામ કેન્સલ થયો. તા. 13/06 મેં તમને મોટાભાઈનાં ઘરે કથામાં જવાનું નાં કહી છતાં તમે અમને ત્યાં લઈ ગયાં. તેમણે વર્ષો અગાઉ આપણું અપમાન કર્યું હતું એ તમે ભૂલી ગયાં. તા. 14/11 તમે મારી બર્થ-ડે ભૂલી ગયાં. કોઈ ગિફ્ટ પણ ન આપી." પત્નીએ ડાયરી બંધ કરી. પતિએ ડાયરી ખોલી. પત્નીને હતું જ કે એમણે તો મારી ભૂલો વધારે જ નોંધી હશે. આ માણસ ભૂલો કાઢશે જ ...એના શું જવાબ આપવા તેની મનોમન તૈયારીઓ કરવા લાગી.
હસબન્ડ ડાયરી હાથમાં લઈને બેસી રહ્યો હતો. ઘડિયાળનો કાંટો ચાલી રહ્યો હતો. પત્નીને ખીજ ચઢી. ડાયરી ખૂંચવી લીધી. "તમારે ન વાંચવી હોય તો હું જાતે જ વાંચી લઉં છું. આ પણ તમારી એક ભૂલ જ છે." વાઈફે ડાયરી ઓપન કરી. બધાં પાનાં કોરાકટ. છેલ્લાં પાને લખ્યું હતું. "તારી અનેક ભૂલો થઈ છે. મારે તે દરેક ભૂલો લખવી હતી. મારે તને તારી તમામ ભૂલો બતાવવી હતી પણ જ્યારે તારાં ઉપકારો યાદ આવ્યાં ને તો એ ભૂલો હું ન લખી શક્યો. તેં એક દિવસ મને તાવ આવતો હતો ત્યારે આખી રાત જાગી માથે પાણીનાં પોતા મૂકી આપ્યાં. મારી બા ગામડેથી આવી ત્યારે તું એમને પગે લાગી હતી. સાત દિવસ સતત એમની સેવા કરી. બા કહેતા હતાં કે તું બહુ નસીબદાર છે. મારાથી ઘણી ભૂલો થઈ હશે એ કબૂલું છું પણ એ બધી જ ભૂલો મેં જાણી જોઈને કરી નથી. પ્રિયે તું મારુ સર્વસ્વ છે, આ ઘરનું ઘરેણું તું છે. તું છે તો હું છું." બેમાંથી એક સહનશીલ બને ને તો પરીવાર પેરેડાઈઝ બની જાય.
આપણને મૂલ્યવાન અને મૂલ્યહીનની વ્યાખ્યાઓની ખબર છે પણ અમૂલ્યની વ્યાખ્યા સમજાઈ નથી. કુટુંબ એ અમૂલ્ય છે. કુટુંબ એ નાની દુનિયા છે અને દુનિયા એ મોટું કુટુંબ છે. લોકડાઉનમાં હાર્ટ ઓપન કરો. એક તક છે કે ફેમિલીનાં દરેક સભ્યને એ અહેસાસ કરાવો કે તે તમારાં માટે કેટલાં અગત્યના છે, તમારાં જીવનમાં એમનું કેટલું મહત્વ છે. બાકી આવો સમય ઈચ્છાશો તો પણ પાછો નહી આવે !!!
મેં એક જંગલી પશુને એની પત્ની અને બાળકોને પ્રેમ કરતાં અને કેર લેતાં જોયો છે. એને સપરીવાર વિહરતા જોયો છે. મેં એ પ્રાણીને સહકુટુંબ જમતાં જોયો છે, મેં એ પ્રાણીને બચ્ચાં સાથે ગમ્મત કરતો જોયો છે. એ પ્રાણી એટલે જંગનો રાજા સિંહ-સાવજ !!!
જે.કે.સાંઈ
ભારતમાં સ્ત્રી એ નૈઋત્યના ભેજવાળા પવનો જેવી છે. જે સદા વ્હાલનો વરસાદ લાવે છે. સ્ત્રી એ પુરૂષનું અડધું અંગ છે. કોઈ સમાજસેવકે એમ કહ્યું- પુરૂષ એ સ્ત્રીનું અડધું અંગ છે ? કોઈ માદા પ્રાણીનાં શિંગડા કે દાંત-નખ ગમે તેટલાં ભયંકર કેમ ન હોય, તેનાં સંતાનોને એનો ડર કદી લાગતો નથી. માતાનાં એક અંશ બરાબર હજારો ધર્મગુરૂઓ.
શાસ્ત્રોમાં એક કથા આવે છે. બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું. તેમણે તે સમયે સ્ત્રી બનાવી ન હતી. સ્વર્ગ અને નર્કનું નિર્માણ થઈ ગયું હતું. એકવાર યમરાજા બ્રહ્માજી પાસે આવ્યાં. તેમણે ફરીયાદ કરી કે, "પ્રભુ, આ તે તમારો કેવો ન્યાય ! મને નરકનો અધિપતિ બનાવ્યો. પણ હું તો સાવ બેરોજગાર બની ગયો છું. મારાં નરકમાં કોઈ આવતું જ નથી. ભૂલોકમાં કોઈ પાપ કરતું જ નથી. જ્યારે સ્વર્ગમાં વસ્તીઆંક સતત વધી રહ્યો છે. હે ચતુર્મુખ, મારાં નરકમાં જાહોજહાલી થાય એવું કઈંક કરો." કથાની પરાકાષ્ઠા તો જુઓ. બ્રહ્માજીએ તરત જ એક મોહિની (મોહ પમાડે એવી સ્ત્રી) નું નિર્માણ કર્યું. ટૂંક સમયમાં જ યમરાજા બેરોજગારમાંથી બિલ ગેટ્સ બની ગયાં. તમને થશે કે આમાં તો સ્ત્રીનું અપમાન છે. પરોક્ષ રીતે સ્ત્રીને નરકનું દ્વાર બનાવી દીધી છે.
કદાચ આ કથા કોઈ સ્ત્રીદ્વેષી પુરૂષે જ ઘડી કાઢી હશે. આ કથાને ગંભીરતાથી લેવા જેવી નથી. આપણે સૌ ધનપૂજક ધર્મના ચુસ્ત અનુયાયીઓ છે. કોઈ ઘરે બાળકીનો જન્મ થાય ત્યારે "લક્ષ્મી" આવી કહીએ છીએ. એક જણે પણ હિંમત કરી કહ્યું કે અમારે ત્યાં સરસ્વતી આવ્યાં કે દુર્ગા આવ્યાં ??? ચાલો એ પણ છોડો .... બાબાનો જનમ થાય ત્યારે એમ કહ્યું કે અમારે ત્યાં "કુબેર" આવ્યાં !
પંજાબની એક સ્ત્રી હતી. તે જ્યારે પ્રવચન આપવા ઊભી થતી હતી ત્યારે તે પોતાનો પરિચય આ રીતે આપતી, "હું એ સ્ત્રી છું જેણે પોતાની સગી દીકરીને મારવાનો પ્રયત્ન કર્યો હતો. મારે બે પુત્રીઓ હતી. ફરી મને સારાં દિવસો જઈ રહ્યાં હતાં. થોડાક સમય બાદ મેં ત્રીજી બાળકીને જન્મ આપ્યો. હું નિરાશ થઈ ગઈ. મારાં પતિએ પહેલેથી જ ગંભીર ચેતવણી આપી દીધી હતી કે જો ત્રીજી પણ છોકરી જ આવે તો અહી પાછી ન આવતી. મારુ જીવન અંધકારમય બની ગયું હતું. સાસરી કે પિયરમાથી કોઈ ખબર જોવાય ન આવ્યું. ત્રણ દિવસ પછી ભાઈ આવ્યો. એણે જણાવ્યુ કે જીજાજીને સમજાવ્યા છે. માંડમાંડ એક શરતે તને તેડવા રાજી થયાં છે. તું આ છોકરીનો કોઈ રીતે નિકાલ કરી નાંખ.
ભાઈએ એક બીજી વાત પણ કહી હતી. છોકરીનો નિકાલ એવી રીતે કરજે કે પોલીસનું કોઈ લફરુ ઊભું ન થાય. હું ત્રીજા દિવસે ઘરે આવી. રાત પડી. ડિસેમ્બર મહિનો ચાલતો હતો. ત્યારે પંજાબમાં ખૂબ ઠંડી પડે. ત્રણ દિવસની દીકરીના બધાં કપડાં ઉતાર્યા. આંગણામાં ખાટલો પાથર્યો. દીકરીને એની પર સુવડાવી દીધી. હું ઉંબરા પર જઈને બેસી ગઈ. ભયાનક ઠંડીમાં પુત્રી બેપનાહ રડી. મેં મારુ કાળજું કઠણ રાખ્યું. મને મોડી રાતે ઊંઘ આવી ગઈ. લગભગ સવારે પાંચેક વાગે મારી આંખ ખૂલી. હું ડરતી ડરતી ખાટલાં પાસે ગઈ. દીકરીનું રડવાનું શમી ગયું હતું. તેનું આખું શરીર ભૂરું પડી ગયું હતું. હું તેનાં દેહને અડી. મારાં આશ્ચર્ય વચ્ચે તે હજુ જીવતી હતી. તેનાં શ્વાસ ચાલતાં હતાં.
એ જ વખતે મેં નક્કી કર્યું કે મારી ત્રણ દિવસની દીકરી ડિસેમ્બરની કાતિલ ઠંડીમાં મોત સામે લડી શકતી હોય તો શું હું મારાં પતિ સાથે ન લડી શકું ? હું આ સમાજ સામે ન લડી શકું ?
એક મહિલાની માહિતી વાંચો-
જન્મ - 1961, અનુસૂચિત જાતિ, ગરીબ પરીવાર, ઘરમાં આઠ-નવ માણસોનું કુટુંબ, કમાનાર એક પિતા જ, મહિને ત્રણસો રૂપિયા પગાર, ભણતર સાતમું ધોરણ, 12 વર્ષની ઉમરે પોતાનાથી મો....ટી ઉમરના વ્યક્તિ સાથે લગ્ન, લગ્ન પછી મારઝૂડ, પૂરતું ખાવાનું પણ ન મળે, ગામડે પાછી આવી, ત્રણ બોટલ ઝેરની ગટગટાવી ગઈ, બચી ગઈ, નોકરી શોધી પણ ઓછું ભણેલી હોવાથી ન મળી, મુંબઈ આવી, પ્રતિદિન બે રૂપિયાના પગારે નોકરી ચાલુ કરી. ત્યારે માત્ર સોળ વર્ષની ઉમર. બીજા લગ્ન, ટૂંક સમયમાં પતિનું મૃત્યુ, બે બાળકોની જવાબદારી, એકલી સ્ત્રી.......
આપણે અહી એ સમજવાનું છે કે સ્ત્રી અબળા નથી. આ સ્ત્રી અત્યારે શું કરતી હશે ? કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવતી હશે ? આ જાલીમ સમાજમાં તેનું શું થયું હશે ? ચિંતા ન કરો. પ્રતિદિન બે રૂપિયામાં નોકરી કરનાર આ મહિલા અત્યારે ત્રણ હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતી કમાની ટ્યૂબ કંપનીની માલિક છે. પોતાની અંગત પાંચસો કરોડની પ્રોપર્ટી છે. લેડી ધીરૂભાઈ અંબાણી છે આ બહેન !!! નામ તો સુના હી હોગા- પદ્મશ્રી કલ્પના સરોજ.
એક પુરૂષ એકલો હોટલમાં રૂમ રાખીને રહી શકે છે. આપણે ત્યાં હજુ આવો સમય સ્ત્રી માટે દૂર ઘણો દૂર છે. આપણી માનસિકતા સજ્જડ છે. એટલે જ સૌમ્ય જોષીએ લખ્યું, "એક સજ્જડબંધ પાંજરૂ પહોળું થયું !!!" વિજ્ઞાનની એક બહુ મોટી મર્યાદા છે. તે પદાર્થના ગુણધર્મો બદલી શકે છે પરતું માણસના ગુણધર્મો બદલવાની ત્રેવડ વિકસાવી શક્યું નથી. પુરૂષોને સ્ત્રીઓમાં ઓલ ટાઈમ બ્યૂટી જોઈએ છે. સ્ત્રીને પુરૂષમાં ઓલ ટાઈમ લવ જોઈએ છે. આપણે એવાં ધોબી છીએ કે કાયમ મેલાં કપડાં પહેરીએ છીએ.
ઘણાં ધાર્મિક બરાડા સ્વામીઓ કહે છે કે ભારતના એ સંસ્કાર છે એટલે અહી છૂટાછેડાનું પ્રમાણ ઓછું છે. અહીની સ્ત્રીઓ સમજુ છે. ના, સાચું કારણ એ છે કે ભારતમાં સ્ત્રીઓની આર્થિક સધ્ધરતા ખૂબ ઓછી છે. મોટાભાગની મહિલાઓ પોતાના ઘરમાં આર્થિક રીતે પરાવલંબી છે. એને છૂટવું હોય તો પણ છૂટી શકાતું નથી. જ્યારે વિદેશોમાં 90% સ્ત્રીઓ પોતાના પગ પર ઊભી છે. એટલું સમજાયું છે કે ગરીબની સહનશક્તિ વધુ હોય છે. એમાં સ્ત્રી તો સહનશક્તિનો સજીવ એવરેસ્ટ છે !!!
રાજા ગાદી પરથી ઊભો થાય તો કોઈ દરબારી તે ગાદી પર ન બેસી શકે. કોઈ બોસ ખુરશી પરથી ઊભો થાય તો કોઈ કર્મચારી તેની પર ન બેસી શકે. પણ ભગવાન જો પોતાનાં સિંહાસન પરથી ઊભા થાય તો તેમના સિંહાસન પર એક વ્યક્તિ જરૂર બેસી શકે ! એ છે માતા. કારણ કે ભગવાન અને માતા હોદ્દાની દૃષ્ટિએ સિમિલિયર છે. ઓ ! સ્ત્રી તું કલ આના .......
જે.કે.સાંઈ
એક રાજા હતાં. એમનું નામ રાજા સુખ-ચેન હતું. તેમનાં નગરમાં સહુ સુખ-ચેનથી રહેતાં હતાં. એક દિવસ રાજા નગરમાં ફરવા નીકળ્યો. ફરતાં-ફરતાં નગરની બહાર પહોંચી ગયો. ત્યાં તેણે એક સાધુને જોયા. રાજાને શું સૂઝયું કે એમણે પેલા સાધુને કહ્યું, "હે સન્યાસી ! શું આપ મારા મહેલમાં પધારવાનું પસંદ કરશો ?" રાજાને એમ કે સાધુ વળી ક્યાં મહેલમાં આવશે ! પેલા સાધુએ તો એક ક્ષણના વિલંબ વિના આવવાની હા પાડી દીધી.
રાજા તો સાધુને લઈને મહેલમાં આવ્યો. રાજાએ પોતાનાં રૂમ જેવો જ રૂમ તેમને ઉતારા માટે આપ્યો. પોતાનાં જેટલાં સેવકો હતાં તે બધાને સાધુની સેવામાં મોકલી આપ્યા. સવારે નાસ્તામાં કાજુ-બદામ-મેવા, બપોર અને રાત્રે બત્રીસ ભાતના વ્યંજનોનો જમણવાર. સૂવા માટે મખમલી ગાદી-ગોદડા. ફરવા માટે હાથી-ઘોડા. જે સગવડો રાજા ભોગવતો એ તમામ સગવડો સાધુને મળવા લાગી. આમ ને આમ દસ દિવસ વીતી ગયાં. રાજાને એક વિચાર આવ્યો, "હું જે રાજ-ઠાઠ ભોગવું છું એવા જ રાજ-ઠાઠ આ સાધુ ભોગવે છે તો મને એ સમજાતું નથી કે એને સાધુ શી રીતે કહી શકાય ? મારામાં અને એનામાં શું ફેર રહ્યો ?" રાજા જેવા સેમ ટુ સેમ વિચાર અત્યારનાં ઘણાં લોકોને પણ આવે છે !!!
રાજાએ આ જ વાત સાધુને આવીને કરી, "સાધુજી, તમારું ને મારુ જીવન એકસરખું છે તો આ રાજા-સન્યાસીનો ભેદ કેમ ?" સાધુ એ રાજાને બીજા દિવસે સવારે સાડા ચાર વાગ્યે આવવા કહ્યું. બીજા દિવસે રાજા સમયસર સાધુ પાસે પહોંચી ગયો. સાધુ કહે, "ચાલો, મારી સાથે તમને જવાબ આપું." રાજા અને સાધુ ચાલવા લાગ્યા. સવારના સાત વાગી ગયા પણ સાધુ કઈ બોલતા નથી. રાજા અકળાયો.
રાજા કહે, "હવે તો જવાબ આપો." સાધુ કહે, "જવાબ તો ક્યારનો આપી ચૂક્યો છું. તું સમજ્યો નથી. તું અહીથી મહેલમાં પાછો જઈશ જ્યારે હું પાછો નહી આવું. મારામાં અને તારામાં તફાવત શોધતો હતો ને તો આ તફાવત છે કે હું છોડી શકું છું અને તું પકડી રાખે છે. મને શાંતિ જોઈએ છે અને તારે સુખ જોઈએ છે. મારુ લક્ષ્ય શાંતિ મેળવવાનું છે અને તારું લક્ષ્ય સુખ મેળવવાનું છે. શાંતિનું કોઈ સરનામું હોતું નથી. એ તો તમારી સમજણની ઊંચાઈ કેટલી છે તેની પર નિર્ભર કરે છે."
સાધુએ આગળ વાત કરી. એકવાર ભગવાને માણસ સિવાય તમામ પશુ-પંખીઓને મિટિંગ માટે બોલાવ્યા. સૌને બેઠકનો એજન્ડા જણાવ્યો. "મારી પાસે દુનિયાની સૌથી દુર્લભ ચીજ શાંતિ છે. મારે એને એવી જગ્યાએ સંતાડવી છે કે લાયકાતવાળા મનુષ્ય સિવાય એ કોઈને ન મળે."
પક્ષીઓનાં રાજા ગરૂડે કહ્યું," પ્રભુ, મને આજ્ઞા આપો તો હું એ શાંતિને આકાશમાં એટલે ઊંચે કોઈ ગ્રહ પર મૂકી આવું કે કોઈને ન મળે." ઈશ્વર કહે, "ના, માનવી ભવિષ્યમાં ત્યાં પણ પહોંચી જશે. કોઈ અધૂરી લાયકાત ધરાવતો મનુષ્ય ત્યાં પહોંચી જાય તો ? આઈડિયા કેન્સલ." આ રીતે માછલીએ સાગરના તળીયે અને સાપે પાતાળમાં શાંતિને છૂપાવવાની વાત કરી. પ્રભુને જાણ હતી કે આ તમામ જગ્યાઓએ માનવી પહોંચવાનો છે. એટલે બધાં ઠરાવોનો અસ્વીકાર કર્યો.
આખરે સૌથી સમજુ હાથીએ કહ્યું, "પ્રભુ, માનવી બધે જ પહોંચશે પણ પોતાનાં હદયમાં નહી પહોંચે. તે હંમેશા મગજને મહત્વ આપે છે. તેની જ વાત સાંભળે છે. માનવી ગ્રહો પર, પાતાળમાં, પાણીમાં બધે જશે પણ હદયમાં તો લાયક માણસ જ ડોકિયું કરશે. તો શાંતિને માણસના હદયમાં જ સંતાડો તે યોગ્ય રહેશે." પરમેશ્વરે ગજરાજની વાતને અનુમોદન આપ્યું. "રાજા, તારામાં અને મારામાં આ પણ એક ફરક છે કે મને શાંતિ મળી ગઈ છે અને તને એ મળવાના દૂર દૂર સુધી કોઈ એંધાણ નથી." એમ કહી સાધુ ચાલતાં થયાં.
સદીઓ અગાઉ ઋષિ કપિલે કહ્યું હતું કે આ સંસારમાં કોઈ સુખી નથી. બીજા વિશ્વ યુદ્ધ બાદ મૃત્યુલોકમાં શાંતિની સ્થાપના થાય તે હેતુથી યુનાઈટેડ નેશનનો તારીખ 24 મી ઓક્ટોબર 1945 ના રોજ જન્મ થયો. આ ચાર્ટરમાં એ મતલબની વાત લખી છે કે શાંતિ વગર પ્રગતિ સંભવ નથી.
સૃષ્ટિના ઈતિહાસમાં એ વાત નોંધાયેલી છે કે નિયમોના પાલનથી શાંતિ મળે છે. આપણે બહુ ખાંડ ખાતાં હોઈએ તો જાણી લઈએ કે સૂર્ય, ચંદ્ર, તારાઓ, સ્વયં આ પૃથ્વી સૌ ચોક્કસ નિયમોમાં રહીને ચાલે છે. એટલે જ અબજો વર્ષોથી ટકી રહ્યાં છે. જેણે નિયમો માનવાથી ઈનકાર કર્યો એ ટુકડાઓમાં વિભાજીત થઈ બ્રહ્માંડમા રઝડી રહ્યાં છે.
આપણે ઘણીવાર વ્યસનીઓ પાસેથી એવું સાંભળ્યુ જ હશે- મફતકાકા 65 વર્ષથી તમાકુ ખાય છે તોય તેમને કશું થયું ? અપવાદને નિયમ માની બેસનારા પોતે તો મરે છે આખા પરિવારને પણ મારતાં જાય છે. આદમજાત માટે ત્રણ પ્રકારનાં નિયમો બનાવવામાં આવ્યા છે. (1) શારિરીક નિયમો (2) સામાજિક નિયમો અને (3) પ્રાકૃતિક નિયમો.
ડોક્ટરો જેનાં નામે પ્રતિજ્ઞા લે છે એ હિપોક્રેટ્સ પોતાના મહાન પુસ્તક "હિસ્ટ્રી ઑફ મેડીસીન" માં લખે છે- જે પોતાનાં સ્વાસ્થ્ય માટે ટાઈમ કાઢતાં નથી તેમણે ડોક્ટર માટે સમય કાઢવો પડે છે. લાઈફમાં ટોટલ શાંતિ માટે શરીરને પરસેવા અને પાણીથી નવડાવો. શ્વાસને પ્રાણાયામથી, આત્માને તપથી, સ્મૃતિને મનન-ચિંતનથી નવડાવો. મનને સત્યથી, બુધ્ધિને જ્ઞાનથી, અહંકારને સેવાથી, ભોજનને બનાવતી અને જમતી વખતે સકારાત્મક વિચારોથી, અનુભૂતિને પ્રેમથી અને ધનને દાનથી નવડાવવા જોઈએ.
વાત જ્યારે નિયમોના પાલનની હોય ત્યારે ભાવનાઓ કામ લાગતી નથી. દરેક પ્રકારની શાંતિ પર તેની કિંમતની ટેગ લાગેલી હોય છે. એ કિંમત ચૂકવ્યા સિવાય એ મળે નહી. રોલેક્સ ઘડીયાળના શો રૂમ પર જાઓ. ત્યાં જઈને ગોલ્ડ પ્લેટેડ સાડા છ લાખની વોચ પસંદ કરો. પછી ખિસ્સામાથી રોકડા પાંચ રૂપિયા કાઢી મેનેજરને આપી કહો - આ ઘડિયાળ મને આપી દો. તમે પૈસા સામું ન જોશે. મારી ભાવના જુઓ. તો શું મેનેજર તમને એ મહામૂલી વોચ આપી દેશે ???
I want peace... મને શાંતિ જોઈએ છે. તો અંગ્રેજી વાક્યમાંથી I=હું,અહમ કાઢી નાંખો અને want=કોઈપણ વસ્તુ મેળવવાની ઘેલછા કાઢી નાંખો, શાંતિ આપોઆપ મળી જશે.
જે.કે.સાંઈ
એક સંત અદભૂત વ્યક્તિત્વ ધરાવતાં હતા. એકવાર ચોમાસાનાં બે મહિના વીતી ગયાં પણ મેઘો વરસ્યો નહી. ખેડૂત,પશુ-પ્રાણીઓ વ્યાકુળ થઈ ઉઠ્યા. કો'કે વાત ફેલાવી કે સ્વામી નાચે તો અવશ્ય વરસાદ થાય !!! આંધળી ઘોડી ને પોચા ચણા મીઠા લાગ્યા ને ખાધા ઘણા, ગામને તો શું ? સ્વામી નાચે ને વરસાદ પડે તો ઠીક બાકી મફતનો તમાશો ક્યાં જોવા મળવાનો છે ? ટોળું આવ્યું આશ્રમે ....
"સ્વામી અમે સાંભળ્યુ છે કે તમે નાચો તો વરસાદ પડે ?"
"હા, એમાં શું મોટી વાત છે ! તમે નાચો તોય વરસાદ તો પડે !"
"સ્વામી શું વાત કરો છો ? અમે નાચીએ તોય વરસાદ પડે ?"
ઉઠ રે વહુ વિસામો ખા હું કાંતુ ને તું દળવા જા. સંતે ઉલટાના જે આવ્યાં હતાં તે બધાને નચાવ્યા. પૂરા બે કલાક નાચ્યાં પણ વરસાદ ન પડ્યો. મનખું તો અકળાયું. "સ્વામી, તમે વરસાદ પાડીને બતાવો."
સ્વામીએ તો નાચવાનું ચાલુ કર્યું. એક કલાક-બે કલાક-ત્રણ કલાક નાચે જ રાખ્યું અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો. સૌ મનખું કહે, હે સંત ! આ શું ચમત્કાર છે ? આમાં શું રહસ્ય છે ?"
વાર્તામાં સત્ય ભલે ન હોય પણ તથ્ય અવશ્ય હોય ! સ્વામી કહે, "કાંઈ નહી. એક તો મને પૂરેપૂરી શ્રધ્ધા હોય છે કે હું નાચીશ એટલે વરસાદ પડશે જ. અને બીજો મારો દ્રઢ સંકલ્પ હોય છે કે વરસાદ ન પડે ત્યાં સુધી મારે અવિરત નાચવાનું છે." મનખું એ જવાબ સાંભળી આળોટી આળોટીને નમન કર્યા. લોકડાઉન માટે શ્રધ્ધા અને સંકલ્પ બંને જરૂરી છે.
આ લોકડાઉનમાં એક સંકલ્પ કરવા જેવો છે, મને જે સમય મળ્યો છે તેનો હું સારો ઉપયોગ કરીશ. નવરાશના સમયનો ભોગવટો કરવા સેવા અને સારાં પુસ્તકોનું વાંચન કરવાથી ઉત્તમ અન્ય કોઈ માર્ગ નથી.
પુસ્તકો વાંચવાથી સૌને ત્રણ બાબતો જાણવા મળશે.
(1) આપણાં વિચારો કરતાંય આગળનું વિચારનારા લોકો છે.
(2) આપણાં વિચારો સર્વશ્રેષ્ઠ નથી.
(3) આપણાં વિચારો બદલી શકાય છે.
જ્યોર્જ આર.આર.માર્ટિન નામના વિચારકે કહ્યું હતું કે- પોતાની તેજસ્વીતા અને ધારને અકબંધ રાખવા જેમ તલવારને સરાણીયા પથ્થરની જરૂર હોય છે એમ માણસના મગજને પુસ્તકની જરૂર હોય છે.
અમેરિકાની એક ટ્રેનના કંપાર્ટમેન્ટમાં કેટલાક લોકો બેઠા હતાં. બધાં પોત-પોતાની વાતોમાં મસ્ત હતાં. આ બધામાં એક પ્રૌઢ ધાર્મિક પુસ્તક બાઈબલ વાંચી રહ્યો હતો. એક ટાઈ-કોટ પહેરેલ માણસે કઈક ચીડથી પેલા વાંચનાર સામે જોયું. પેલા વાચકનું ધ્યાન તો પુસ્તકમાં જ હતું. ટાઈ-કોટ પહેરેલ માણસે કહ્યું, "આપ અમેરિકા જેવા ઉચ્ચ વિકસિત દેશમાં રહો છો. એક વૈજ્ઞાનિક અભિગમ ધરાવતાં દેશમાં તમને આમ જાહેરમાં ધાર્મિક પુસ્તક વાંચતાં શરમ નથી આવતી ?" ડબ્બામાં રહેલા સૌને પેલા જેન્ટલમેનની વાત સાચી લાગી.
"મિસ્ટર, તમારે વાંચવું હોય તો વાંચો પણ વિજ્ઞાનનાં પુસ્તકો વાંચો. આ પુસ્તકોમાં શું વાંચવાનું છે ? જુઓ હું વિજ્ઞાનનો અભ્યાસ કરી, આજે એક પ્રખ્યાત કોલેજમાં પ્રોફેસર છું. આજે જમાનો સાયન્સનો છે. આપ જેવા લોકો આ વાત ક્યારે સમજશે ? આપ મહાશયે આ ધાર્મિક પુસ્તકની જગ્યાએ વિજ્ઞાનનો અભ્યાસ કર્યો હોત તો તમે પણ મારી જેમ કદાચ કોઈ કોલેજમાં નોકરી કરી બે પૈસા કમાવવાની સાથે-સાથે સમાજમાં ઈજ્જત પણ મેળવી હોત !
પુસ્તક વાંચનાર સજ્જન કોઈ જ જવાબ આપી રહ્યાં ન હતાં. એ તો નિર્લેપભાવે વાંચન કરી રહ્યાં હતાં. ટ્રેનનું છેલ્લું સ્ટેશન આવી ગયું. આખો ડબ્બો ખાલી થવા લાગ્યો. પેલા સજ્જન પણ સૌની સાથે નીચે ઉતાર્યા. ત્યાં સ્ટેશને ઉભેલા એક પરિચિતે પેલાં પુસ્તક વાચક સજ્જનને જોઈ કહ્યું, " ઓહ ! મિસ્ટર થોમસ આલ્વા એડિસન....યુ મોસ્ટ વેલકમ ઈન અવર સીટી !!!" કોટ-ટાઈવાળા જનાબને તો કાપો તો લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ. તેની સામે હવે અમેરિકાનો સૌથી મોટો સાઈન્ટિસ્ટ, 1093 શોધોની પેટન્ટ જેના નામે નોંધાયેલી હતી તે ઊભો હતો.
થોમસ આલ્વા એડિસને પેલાં ભાઈને એટલું જ કહ્યું, " વિજ્ઞાન આપણને સુવિધા અને ભોગ-વિલાસના સાધનો આપે છે. જ્યારે કોઈપણ ધર્મના ધાર્મિક પુસ્તકો સુખ અને શાંતિ આપે છે. આપણે કેવી રીતે જીવવું જોઈએ તે શીખવે છે. સારાં પુસ્તકો આપણાં નૈતિક અધ:પતનને રોકે છે. વિજ્ઞાનના પુસ્તકોની જરૂર છે એમ સારાં પુસ્તકોની પણ એટલી જ જરૂર છે."
ઘરમાં સારાં પુસ્તકો વસાવજો પણ એક વાત ગાંઠે બાંધી રાખજો. પુસ્તકને સળગાવી દેવા કરતાંય ગંભીર ગુનો છે- તેને વસાવ્યા પછી ન વાંચવું. લોકડાઉનનાં આ સમયમાં પુસ્તકો તમને સારો સાથ આપશે. ચાર્લ્સ વિલિયમ એલિયોટે ચોટદાર વાત કરી છે- "પુસ્તક મિત્રોમાં સૌથી શાંત અને સ્થિર છે. સલાહકારોમાં સૌથી સુલભ અને બુધ્ધિમાન છે અને શિક્ષકોમાં સૌથી ધૈર્યવાન છે." નાઈઝિરીયા દેશમાં એક કહેવત બોલાય છે કે બચકું ભરતાં બાળકને તો ફ્ક્ત એની માં જ ઊંચકે ! પુસ્તક એવી માં છે જે પોતાનાં દીકરાને હંમેશા વ્હાલ કરશે, જીવનનો સાચો મર્મ સમજાવશે અને એક મૂઠ્ઠી ઊંચેરો માણસ બનાવશે.
જે.કે.સાંઈ
ભગવાન ગૌતમ બુધ્ધના જીવન પર આધારિત એક દંતકથા છે. બુધ્ધજી વિહાર કરતાં-કરતાં એક નગર બહાર આવી પહોંચ્યાં. તેઓ ત્યાં જ રોકાઈ ગયાં. નગરજનોને સમાચાર મળતાં સૌ દર્શને આવવા લાગ્યાં. એ નગરનો રાજા પણ આવ્યો. તથાગતને પગે લાગી, તેમની નજીક બેઠો. મહાન માણસો ડિગ્રી વગરના મનોવૈજ્ઞાનિકો હોય છે ! તેઓ સામેવાળાની આંખો જોઈને જ તેમની મનોસ્થિતિને જાણી લેતાં હોય છે. આપણે ત્યાં તેને ચમત્કાર કહેવામાં આવે છે.
ગૌતમ બુધ્ધે રાજાને કહ્યું, "શું દુ:ખ છે ?" રાજા કહે, "પ્રભુ, આમ તો મારુ કૌટુંબિક જીવન સુખી છે. માત્ર એક સમસ્યા છે. મારાં નગરમાં છેલ્લાં કેટલાય સમયથી દુરાચાર વધી ગયો છે. ક્રિમિનલ કેસો વધી ગયાં છે. ચોરી-લૂટફાટ, અનૈતિકતાએ માઝા મૂકી છે. કુટુંબો અને સમાજમાં અશાંતિનો માહોલ છે." રાજાની વાત સાંભળી બુધ્ધ વિચારમાં પડી ગયાં. "રાજન, તમારી સમસ્યાનો મારી પાસે ઉપાય છે. ઉપાય સાવ સરળ છે. આ ઉપાયનો વિશ્વમાં પ્રથમવાર ઉપયોગ થવાનો છે. જો આપ એનો અમલ કરવાનાં હોય તો હું આપને જણાવું." રાજાએ સંમતિ આપી.
ભગવાન બુધ્ધે શાંત સ્વરમાં કહ્યું, "આજ રાતથી જ તારે તારાં રાજયમાં કડક રાત્રિ કરફ્યૂ અમલમાં મૂકવાનો છે. બરાબર એક વર્ષ પછી તું મને રિપોર્ટ કરજે." બુધ્ધ ત્યારબાદ ત્યાંથી ચાલી નીકળ્યાં. વાતને વર્ષ વીતી ગયું. રાજા બુધ્ધ પાસે આવ્યો. તે ખુશ હતો. રાજાએ ગૌતમને જણાવ્યુ કે હવે તેના રાજયમાં સૌ સુખી છે. ક્રાઈમ રેટ 80 % ઘટી ગયો હતો. રાજાને અચરજ એ વાતનું હતું કે રાત્રિ કરફ્યૂ અને ક્રાઈમને શું લેવા-દેવા હતી ?
ભગવાને જણાવ્યુ, "રાત્રે માણસો જ્યારે ભેગા થાય છે ત્યારે તેમની વાતો, વિચારો, આચરણ દિવસ જેવુ હોતું નથી. જ્યારે રાત્રિના અંધકારમાં એમને કોઈ જોતું ન હોય ત્યારે એમની અંદરનો શેતાન બહાર આવે છે. માણસને કોઈ જોતું ન હોય ત્યારે તે જે વર્તન કરે એ એનું સાચું વ્યક્તિત્વ છે. એટલે જ દિવસે જે માણસ આપણને સારો લાગે છે એ જ માણસનું "રાત્રિ ચારિત્ર્ય" અલગ હોય છે. વળી, આવા શેતાનો રાત્રે મંડળી બનાવી બેસે છે. ત્યારે તો સમાજ માટે વધુ જોખમ ઊભું થાય છે. સાવ સરળ વાત છે કે આવા હેવાનોને રાત્રે બહાર નીકળવાનું અને મહેફિલો ભરવાનું બંધ કરાવો એટલે ગુનાખોરી ઘટે જ !સજજનો મોડી રાત સુધી ઘરની બહાર જોવાં મળતાં નથી." આ દુનિયાનું સૌપ્રથમ "નાઈટ લોકડાઉન" હતું.
બાવળના જંગલમાં જાઓ ને કાંટો ન વાગે એવું ન બને, બાગમાં જાઓ અને ફૂલ જોવા ન મળે એવું કદાપિ ન બને અને મહાન માણસોનાં ચરિત્રો સાંભળો ને બે સારી વાતો શીખવા ન મળે એવું પણ કદી ન બને.
સોબતની અસર પડે જ છે. એક ઠીકરું લક્સ સાબુનો સંગ કરે તો ઠીકરુંય સુવાસિત થઈ જાય અને એ જ ઠીકરું મળનો સંગ કરે તો ? આપણે સંગને "બેકગ્રાઉન્ડ" કહીએ છીએ. અમેરીકામાં એક બિલિયોનર ઉધોગપતિ હતા. તેમની સંપત્તિનો અંદાજ લગાવજો.... એમની સવારની ચા સાડા આઠ લાખનાં ટી-સેટમાં આવતી. એમનો સસ્તામાં સસ્તો સૂટ ત્રણ લાખનો હતો. એમના ઘરનાં નોકરોય કાર લઈને નોકરીએ આવતાં. આ ઉધોગપતિના પત્નીનો બર્થ-ડે હતો. તેમને થયું કે પત્નીને ગમતી હોય એવી વસ્તુની સરપ્રાઈઝ ભેટ આપું. વાતવાતમાં એમણે ઘણાં દિવસ પહેલાં જાણી લીધું હતું કે પત્નીને બજારમાં આવેલી બુગાટી સ્પોર્ટ્સ કારનું યલો મોડલ ખૂબ ગમતું હતું. કિમતે સાવ મામૂલી સાડા છ કરોડ જ હતી !
પેલા ધનવાન માણસે જાણે પિત્ઝાનો ઓર્ડર આપતો હોય એમ શો રૂમના મેનેજરને બુગાટી યલો સ્પોર્ટ્સ કારનો ઓર્ડર આપી દીધો. ગાડીની સરપ્રાઈઝ આપવાની હોવાથી બંગલાના ગેરેજમાં જ મૂકી દેવી એવી સૂચના પણ આપી દીધી. મોડી રાતે પાર્ટી પૂરી થઈ એટલે પતિએ પોતાની પત્નીની આંખો બંધ કરી, ગેરેજમાં લઈ ગયો. ગેરેજમાં પેલી ગાડી પરથી કવર હટાવી સરપ્રાઈઝ આપી. પણ અનર્થ થઈ ગયો હતો. ગાડીનું મોડલ બરાબર હતું પણ પત્નીનો પ્રિય કલર યલોની જગ્યાએ ગ્રીન કલર હતો. આખી ખુશી ગમગીનીમાં ફેરવાઈ ગઈ.
ઉધોગપતિએ કાર ડિલરને ફોન લગાવી ખખડાવી નાંખ્યો. હાલ ને હાલ હાજર થવા કહ્યું. થોડીવારમાં મેનેજર ગેરેજમાં હાજર થયો. તેણે સ્પષ્ટતા કરી કે સાહેબ મેં મારી જાતે યલો કલરની કાર મોકલી છે. મને આશ્ચર્ય થાય છે કે પીળા રંગની કાર તમારે ત્યાં આવીને લીલા રંગની કેવી રીતે થઈ ગઈ ? અચાનક મેનેજરના દિમાગમાં ચમકારો થયો. "સર, જો તમારી પરવાનગી હોય તો થોડીવાર માટે ગેરેજની લાઈટ બંધ કરી શકું છું ?" ઉધોગપતિએ હા પાડી. જેવી લાઈટ બંધ કરી કે કાર પીળા રંગની થઈ ગઈ. હવે મેનેજરે સમજાવ્યું, "સર, તમારા ગેરેજની લાઈટ બ્લ્યૂ રંગની છે. બ્લ્યૂ રંગના બેકગ્રાઉન્ડમાં પીળો રંગ લીલો થઈ જાય છે. માફ કરજો, કાર પીળી જ છે પણ બ્લ્યૂ બેકગ્રાઉન્ડ લાઈટ એને ગ્રીન બનાવી દે છે." આ છે બેકગ્રાઉન્ડની અસર !!!
કુટુંબ સાથે રહેવાનો અણમોલ મોકો મળ્યો છે તો ઘરે રહો. કદાચ હનીમૂન પછી પહેલી વખત પત્ની સાથે ચોવીસે કલાક સાથે રહેવા મળ્યું છે. ઘણાં બાળકોને પ્રથમવાર મમ્મી-પપ્પાનો પ્રેમ એક સાથે અનલિમિટેડ માણવા મળ્યો છે. ઘણાં માતા-પિતાઓને વર્ષોથી ખોવાયેલા પોતાના સંતાનો પાછા મળ્યાં છે. લોકડાઉન ડાઘ છે તો દાગ અચ્છે હૈ !!!
જે.કે.સાંઈ
એક નગરમાં ઉગ્રસેન નામનો રાજા રાજ કરતો હતો. નામ પ્રમાણે ગુણ પણ ધરાવતો હતો. તેનામાં ક્રૂરતા ઠાંસી ઠાંસીને ભરેલી હતી. એના વાંકમાં આવનારને જેમ સેલોટેપનાં રોલમાંથી સેલોટેપ ખેંચીએ એમ તે ગુનેગારના શરીર પરથી ચામડી ખેંચાવાતો. જ્વાળામુખી અમાસે ફાટે કે પૂનમે ફાટે, દિવસે ફાટે કે રાત્રે ફાટે, જોરથી ફાટે કે ધીમેથી ફાટે પણ નીકળે તો ધગધગતો લાવા જ .... આ ઉગ્રસેન જ્વાળામુખીનો સમાનાર્થી હતો.
ઉગ્રસેનનાં રૂપમાં બે ખામી હતી. તે એકાક્ષી (એક આંખવાળો) અને એકપગો હતો. રાજાજીએ ફરમાન છોડયું. આખા નગરમાં જાહેરાત કરાવી કે જે ચિત્રકાર મારું સુંદર ચિત્ર દોરી લાવશે એને ઈનામ આપવામાં આવશે અને જે ચિત્રકાર દ્વારા મારું સુંદર ચિત્ર બનાવવામાં નહી આવે તેને .... કોઈને આગળ સમજાવવાની જરૂર ન હતી. સ્ત્રી હોય કે પુરૂષ દરેકને પોતે હોય તે કરતાં વધારે રૂપાળાં થવું/દેખાવું ગમે છે. (વધુ એકવાર વાંચો. ભાવાર્થ સ્પષ્ટ થશે !) જ્યારે હકીકત આ છે- "Beauty is 10 percent appearance and 90 percent attitude."
કોઈ ચિત્રકાર લોકડાઉનમાં બહાર ફરવા નીકળી જીવને જોખમમાં મૂકે એવાં વ્યક્તિ જેવાં મૂર્ખ તો ન હતાં. જાહેરાત થતાં જ કેટલાક ચિત્રકારો ભૂગર્ભમાં ઉતરી ગયાં. કેટલાકે સામૂહિક હિજરત કરી. સામાન્ય માણસ જીવનમાં શિક્ષણ મેળવે છે અને પ્રતિભાશાળી શિક્ષણ મેળવીને જીવનમાં ઉતારે છે. એક ચિત્રકારે પડકાર ઝીલી લીધો. રાજા કહે- "તો ચિત્ર દોરવાનું શરૂ કર." ચિત્રકારે કહ્યું, " મહારાજ ! ધીરજ આનંદની ચાવી છે. અને ઉતાવળ શોકની ચાવી છે. આપ મને પાંચ દિવસની મહેતલ આપો." રાજા ઉગ્રસેને વાત મંજૂર રાખી.
પાંચમાં દિવસે કલાકાર દરબારમાં હાજર થયો. દરબારમાં સન્નાટો. ચિત્રકાર રાજાની પાસે ગયો. ચિત્ર ખોલ્યું. ચિત્ર જોઈને રાજા તો ચિત્રકારને ભેટી પડ્યો. તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો. સુપર્બ, માઈન્ડબ્લોવિંગ, એક્સ્ટ્રા યુનિક, મારવેલસ..... 'સુંદર ચિત્ર' એવું કહેવા માટે શબ્દકોશમાં જેટલાં શબ્દો હતાં તે બધા ઉગ્રસેનને કહેવા હતાં.
ચિત્રમાં શું મોર મૂક્યા હતાં ? દ્રશ્ય જંગલનું હતું. રાજા શિકારે નીકળેલા છે. આગળ એક મૃગ છે. રાજા તેની પાછળ પોઝીશન લઈ એક પગ વાળીને બેઠો છે. હાથમાં ધનુષ્ય લઈ એક આંખ બંધ કરી હરણનું નિશાન લઈ રહ્યો છે. ફેન્ટાસ્ટિક..... રાજા ઉગ્રસેનની બંને ખામીઓને ચિત્રકારે બખૂબી સંતાડી ચિત્રને સુંદર બનાવી દીધું હતું. રાજાએ ચિત્રકારને ઘણું બધુ ધન આપી નવાજયો.
પરિસ્થિતિ ગમે તેવી વિકટ કેમ ન હોય તેના તરફ જોવાનો તમારો દૃષ્ટિકોણ તમારી હાર કે જીત નક્કી કરે છે. 21 દિવસના લોકડાઉનની સફળતાનો મોટો આધાર આ વાત પર જ છે. આ 21 દિવસ એક કહેવત યાદ રાખજો- બેદરકાર ઘેટું વરુનો શિકાર બને છે !!! અંગ્રેજીમાં બે શબ્દો છે જેનો ભેદ સમજવા જેવો છે. Reaction અને Responce. આપણે આપણી વિવેકશક્તિ (શું સારું અને શું ખરાબ એ પારખવાની શક્તિ)નો ઉપયોગ કરીને જે પ્રતિભાવ આપીએ એ Responce કહેવાય. અને સહેજ પણ વિચાર્યા વગર, તરત જ જે આપીએ એને Reaction કહેવાય.
એક અમેરિકન કપલ વિશ્વ પ્રવાસે નિકળ્યું. તેઓ સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં પહોંચ્યા. બંને યુવાન હતા. ત્યાં તેમને "સ્વ-છબી" લેવાનું મન થયું. બે-ચાર આડીઅવળી સેલ્ફી લીધી. આ યુગલે ઉત્સાહમાં આવી લીપ કીસ કરી એક સેલ્ફી લીધી. તરત જ ત્યાંની લોકલ પોલીસે તેમને પકડી જેલ હવાલે કર્યા. સ્થાનિક કોર્ટમાં હાજર કરવામાં આવ્યાં. પોલીસે રજૂઆત કરી કે આ બંને મક્કા જેવા પવિત્ર શહેરમાં લીપ કીસ સેલ્ફી લીધી છે. તેમને સજા કરવામાં આવે .પુરાવા તરીકે મોબાઈલ રજૂ કરવામાં આવ્યો. જજે પુરાવા અને પોલીસનો રેકર્ડ જોઈ કપલને પંદર દિવસની જેલ અને 500 સાઉદી રિયાલ દંડની સજા જાહેર કરવામાં આવી.
યુગલે વિનંતી કરી કે આ અન્યાય છે. તમારે અમને સાંભળી પછી ન્યાય આપવો જોઈએ. જજે તેમને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપી. પેલા વિદેશીએ કહ્યું, "અમે કબૂલ કરીએ છીએ કે અમે સેલ્ફી લીધી. અમે અમેરિકાનાં નિવાસી છીએ. અમે અહી ફરવા માટે આવ્યાં છીએ. અમને તમારાં દેશનાં કાયદા-કાનૂનની જાણ ન હતી. એટલે અમારાથી આ ભૂલ થઈ ગઈ છે. તો અમને માફ કરો અથવા અમારી સજા ઓછી કરો."
જજે બંનેને સાંભળ્યા. તેઓ ફરીથી ચુકાદો લખવા માંડ્યા. યુગલને આશા બંધાઈ. જજે ચુકાદો સંભળાવ્યો, "આપની વાત પર વિચાર કર્યા બાદ આ અદાલત તમને ત્રીસ દિવસની જેલ અને 1000 સાઉદી રિયાલ દંડની સજા ફરમાવે છે." અમેરિકન દંપતિ તો અવાક થઈ ગયાં. જજે સમજાવતાં કહ્યું, " પહેલાં તમને જે સજા કરવામાં આવી હતી તે સેલ્ફીની સજા હતી. તમારી વાત સાંભળ્યા પછી ખબર પડી કે તમે આ દેશનાં કાયદા-નિયમો વિષે અજાણ છો. કોઈપણ દેશમાં તમે કાયમી કે હંગામી રહો છો તો તે દેશનાં કાયદા-નિયમોની જાણ ન હોવી એ બીજો ગુનો છે."
ભારતમાં ઈન્ડિયન પિનલ કોડમાં 26 ચેપ્ટર અને લગભગ 552 સેક્શન છે તમે આમાંથી કોઈનો ભંગ ન કરો તો સુપ્રીમ કોર્ટની સાત સભ્યોની બેચ પણ તમને કોઈ સજા ન કરી શકે !!! નિયમોનું પાલન કરી બચો અને બચાવો.
એક પળને આપણે સાચવી લઈશું તો એ પળ આપણને સાચવી લેશે !!!
જે.કે.સાંઈ
સ્વામી જીગ્નેશ્વરાનંદ લીંબાસીવાળાના આશ્રમની આ વાત છે. તે શિષ્યોને પ્રશ્નો પૂછી તેની પર ચિંતન-મનન કરાવતાં. સીધો ઉપદેશ ન આપતાં. તેમનાં સવાલો સાંભળવામાં અને જવાબ આપવામાં સાવ સરળ લાગતાં હતાં. એક દિવસ ગુરૂજીએ પૂછ્યું ,"વત્સ ! સવાર પડી ક્યારે ગણાય ?" કેટલો ઈઝી પ્રશ્ન છે ને. આમ તો સંસારમાં જે કામ સરળ છે, તે જ સૌથી અઘરાં છે. સવારે ઊઠવું સરળ છે પણ ઉઠી શકાય છે ? સાચું બોલવું કેટલું સરળ છે પણ બોલી શકાય છે ? દરરોજ વીસેક મિનિટ કસરત કરવી જોઈએ. કેટલું સરળ છે. પણ થઈ શકે છે. ડેઈલી પાંચ માણસોની પ્રસંશા કરવી. આમાં જીભને તકલીફ પડવાની છે ? એક પૈસાનો ખર્ચ થવાનો છે ? છતાં થઈ શકે છે ??? પ્રભુ ઈસુએ કહ્યું કે પોતાના પાડોશીને પ્રેમ કરો. જો પાડોશીને પ્રેમ કરવો સરળ હોત તો પ્રભુ આવો ઉપદેશ આપે ખરાં ? જે સરળ લાગે છે એ જ સૌથી કઠિન છે.
શિષ્ય નંબર એક- "બાપજી, કૂકડો બોલે એટલે સવાર પડી ગણાય."
શિષ્ય નંબર બે- "મહારાજ, થોડું થોડું મોંસૂઝણું થાય એટલે સવાર પડી કહી શકાય."
શિષ્ય નંબર ત્રણ - "દૂર ક્ષિતિજમાં સૂર્ય ડોકિયું કરે એટલે સવાર થઈ કહેવાય."
શિષ્ય નંબર ચાર - "દૂરથી માનવ આકૃતિ દેખી શકાય ત્યારે સવાર પડી કહેવાય."
શિષ્ય નંબર પાંચ - "હે વંદનીય, દૂરથી માનવ અને પશુ ઓળખાઈ જાય એટલું અજવાળું થાય એટલે સવાર."
શિષ્ય નંબર છ - "બાપજી, થોડેક દૂરથી માણસ દેખાય અને આપણે તેમાં સ્ત્રી છે કે પુરૂષ તેનો ભેદ કરી શકીએ એટલે સવાર પડ્યું કહેવાય."
સ્વામી જીગ્નેશ્વરાનંદ લીંબાસીવાળાએ પોતાની શ્વેત દાઢી પસવારતાં કહ્યું, "મૂરખો ! તમે તો ભૂગોળ અને વિજ્ઞાન શિખ્યા પરંતુ માનવતા ન શિખ્યા ?? જ્યારે સામે આવનાર દરેક સ્ત્રી મારી માતા છે, બહેન છે, પુત્રી છે અને સામે આવનાર દરેક પુરૂષ મારો ભાઈ છે, પિતા છે કે પુત્ર છે એમ સમજાય ત્યારે સવાર પડ્યું કહેવાય. કોઈનું અણહકનું મારાથી ન લેવાય એ વાત સમજાય ત્યારે સવાર પડ્યું કહેવાય. પોતાનાં પાપોનો પસ્તાવો થાય અને ફરીથી આવું પાપ નહી કરું એમ દિલમાં થાય ત્યારે સવાર પડ્યું કહેવાય. નાત-જાત, ધર્મ-રંગ જોયા વિના હું દરેકનું ભલું કરવા પ્રયત્ન કરીશ એવી ભાવના ઊગે ત્યારે સવાર પડ્યું કહેવાય. મને ભગવાને જે કાર્ય કે વ્યવસાય સોંપ્યો છે તેમાં કદાપિ કામચોરી નહી કરું એમ થાય ત્યારે સવાર પડ્યું કહેવાય. બાકી તો ઘૂવડને સૂર્ય ઊગે તો ય ક્યાં સવાર પડે છે ?"
એક શ્રેષ્ઠ માતા પોતે ઊંધું ચાલીને પણ પોતાના બાળકને સીધું ચાલતાં શીખવે છે અને આપણાં સમાજની અનેક હસ્તીઓ પોતે ઊંધું ચાલીને બીજાને અવળું ચાલતાં જ શીખવે છે. આનું બેમિસાલ ઉદાહરણ ચીન ખાતે નોંધાયેલું છે. ઈ.સ. 1959-1961 દરમ્યાન ચીનના માઓ ઝેદોંગનું શાસન હતું. તેણે ચીનાઓને ત્રણ સૂચનાઓનું કડક પાલન કરવા જણાવ્યુ. (1) ખેતરના પાકને નુકશાન કરનારાં માખી-ઉંદર-મચ્છર અને ચકલીઓનો નાશ કરો. (2) જમીનમાં ખૂબ ઊંડી ખેડ કરો. (3) ખેતરમાં રાસાયણિક ખાતરનો બિલકુલ ઉપયોગ ન કરો.
નતીજા ??? માખી-ઉંદર-મચ્છર તો સમજાય. ચકલીઓના નાશથી ખેતરનાં જીવડા-જીવાત ખાનાર કોઈ રહ્યું નહી. તમામ મોલ નાશ પામ્યો. અત્યંત ઊંડી ખેડ કરવાથી જમીનનની નીચે રહેલ રેતી ઉપર આવી ગઈ. ઉત્પાદન ઘટ્યું. રાસાયણિક ખાતર બંધ કર્યું ઉત્પાદન ઓછું થયું. દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતું ચીન માનવસર્જિત દુષ્કાળનું ભોગ બન્યું. ટોટલ મૃત્યુઆંક- 4.5 કરોડ. તે પૈકી ત્રીસ લાખ લોકોએ તો આત્મહત્યા કરી પ્રાણ ત્યાગ્યા હતા. ક્યારેક તમારી ધ્યાને એક વૈજ્ઞાનિક સંશોધન આવ્યું હશે. ધારી લો કે આજે તા. 30/03/2020 ના રોજ વિશ્વની તમામ મધમાખીઓએ નાશ પામે છે. તો તા. 30/03/2024 સુધીમાં માનવજાત ભૂતકાળ બની જશે !!! મધમાખીના વિનાશના ચાર વર્ષમાં જ "નાશ પામેલ પ્રજાતિ" માં આપણો સમાવેશ થઈ જશે.
લોકડાઉનના સમયમાં આપણી એક ભૂલથી આવનાર સમયમાં લગ્ન પ્રસંગ કરતાં શ્રધ્ધાંજલિના પ્રસંગો વધુ એટેન્ડ કરવા પડશે ! સ્મશાન અને કબ્રસ્તાનમાં "હાઉસફુલ"નો નજારો જોવા મળશે ! તલાટીઓના ચોપડાઓમાં પ્રથમવાર જન્મદર કરતાં મૃત્યુદર વધી જશે ! સમયનો તકાદો છે કે પોત પોતાને ગમે એવું ન કરો, એકબીજાને ગમે એવું કરો. શક્તિ પ્રદર્શન બંધ કરો. સહનશક્તિ પ્રદર્શન ચાલુ કરો. અત્યારે આપણી પરીક્ષા છે. આ પરીક્ષાનું ફોર્મ જાતે ભરવાનું છે. અભ્યાસક્રમ જાતે સિલેક્ટ કરવાનો છે. જાતે ભણવાનું છે. પેપર પોતે જ કાઢવાનું છે. પેપર જાતે તપાસવાનું છે. માર્ક્સ જાતે આપવાના છે. લોકડાઉન પૂરું થાય પછી નક્કી કરજો કે પાસ કે નાપાસ ???
ખેતરની વાડ નબળી હોય તો પાકનું ઉત્પાદન ઘટે છે એવું અમારા ગામનાં ખેડૂતો કહે છે ! એક સમયે રોમન સામ્રાજ્ય પૃથ્વી પરનું સૌથી શક્તિશાળી સામ્રાજ્ય હતું. છતાં તેનો નાશ થયો. તમે એકવાર પહેલવાન બની જાઓ પછી કસરત ન કરો, પૌષ્ટિક આહાર ન લો, વ્યસનો કરો તો શું થાય ? બસ, આજ રોમન સામ્રાજ્યનું થયું. અત્યારે ઘરમાં ભરાઈ રહેવું એ કાયરતા નથી. સમય જોઈને કામ કરવું. સમય ખરાબ ચાલતો હોય ત્યારે તનિષ્કના માલિકે પણ બગસરાના દાગીના પહેરીને ફરવું પડે !!! દુશ્મન મોટી સંખ્યામાં હોય, આપણાથી બળવાન હોય ત્યારે ગેરીલા (છૂપાઈને) યુધ્ધ કરવું જ ડહાપણ ભરેલું છે એવું છત્રપતિ શિવાજીએ કહેલું છે.
એક વાત નોટ કરી હશે, ક્રિકેટની રમતમાં ખેલાડી રન આઉટ થાય ત્યારે વધારે દુ:ખી થાય છે, વધારે ગુસ્સે થાય છે !!! સમજદારકો ઈશારા કાફી હૈ ! રન આઉટ થવું છે ???
જે.કે.સાંઈ