આપણી જમીનમાં કોઈ ઘૂસણખોરી કે ભેલાણ ન જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખીએ છીએ. આપણું કમ્પ્યુટર કે સ્માર્ટફોન કોઈ હેક ન કરી જાય તે માટે ચુસ્ત પહેરેદારી-એન્ટિવાઈરસ-ની તકેદારી આપણે રાખીએ છીએ. આપણું બેન્ક-અકાઉન્ટ કોઈ હેક ન કરી જાય તે માટે આપણે તેમ જ બેન્કો મળીને ભારે ચૌકન્ના રહીએ છીએ.
પણ વાત જ્યારે આખેઆખા માણસની અંદર થતાં ભેલાણ, હેકિંગ, ઘૂસણખોરી અને મેનિપ્યુલેશનની આવે ત્યારે આપણે પૂરતી જાગૃતિ નથી દાખવતા.
ઇઝરાયલી વિચારક યુવલ નોઆ હરારી કહે છેઃ ‘જો તમારી પાસે જબ્બર ડેટા અને જબ્બર કમ્પ્યુટિંગ પાવર હોય તો સામાન્ય માનવી પોતાની જાતને સમજે તેના કરતાં તમે તેને વધુ સારી રીતે સમજી શકો છો અને (પરિણામે) તમે માણસને ચાહો તે રીતે વાપરી શકો છો... તમે ગ્રાહકોને હેક કરી શકો છો.’
ટૂંકમાં, માણસ ટેક્નોલોજીને વિકસાવે છે એ જેટલું સાચું છે તેટલું જ સાચું હવે એ પણ છે કે ટેક્નોલોજી પણ માણસને ઘડે છે.
એનાથી પણ એક સ્ટેપ આગળની હકીકત એ છે કે ટેક્નોલોજી પોતે નવી ટેક્નોલોજીને પણ ઘડે છે.
અને અહીં પેલું ગીત યાદ આવે છેઃ બાબુજી ધીરે ચલના...
જગવિખ્યાત સંવાદ-પ્લેટફોર્મ સ્કાઈપના સહસ્થાપક જાન તાલિને હાલમાં એક મુલાકાતમાં આખી માનવજાતના અસ્તિત્વ સામે ઊભા થઈ રહેલા જે ત્રણ મુખ્ય જોખમો ગણાવ્યાં છે તે આ છેઃ
1) આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (યાંત્રિક વિચારશક્તિ),
૨) સિન્થેટિક બાયોલોજી (જૈવિક કોષો અને અંગોનું કૃત્રિમ રીતે ‘ઉત્પાદન’) તથા
૩) અનનોન અનનોન્સ (જેના વિશે અત્યારે આપણે કદાચ કશું વિચારી શકીએ તેમ નથી એવી અણધારી આફતો).
આ ત્રણમાંથી પણ જાન તાલિનને સૌથી જોખમી લાગે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે? વિચારવાનું કામ પણ યંત્રો કરે, તે છે આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ. તેનાં કેટલાંક જોખમો છે, પરંતુ એમાંથી પણ સૌથી મોટું જોખમ, જાન તાલિનને મતે, એ છે કે નવી યાંત્રિક વિચારશક્તિ વિકસાવવાનું કામ પણ યંત્રને સોંપી દેવામાં આવે ત્યારે મામલો હદ બહાર જઈ શકે.
વાત કઇ હદે વણસી શકે તે વિશેની જાન તાલિનની આ કલ્પના અતિ બિહામણી છે. તે કહે છેઃ ‘એક સાંજે કોઈ લેબોરેટરીમાં સંશોધકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સિસ્ટમને કશુંક કામ સોંપીને જાય અને પછી એવો અકસ્માત સર્જાય કે સવારે દુનિયા હોય જ નહીં (પૃથ્વીનો, માનવ-અસ્તિત્વનો નાશ થઈ ચૂક્યો હોય).’
આ તો એકદમ છેડાની કલ્પના થઈ. માની લઈએ કે મામલો આ હદે નહીં વકરે તો પણ, આ ચેતવણીનો સૂર સમજવા જેવો છે કે ન કેવળ મનુષ્યોને, બલ્કે યંત્રોને પણ ચારિત્ર્ય, નીતિમત્તા અને મૂલ્યો શીખવવા પડશે.
આ કઈ રીતે શક્ય બને?
સવાલ અઘરો છે, પણ જવાબ સરળ છેઃ મૂળમાં જ કામ કરવું પડે. અને મૂળમાં શું છે? મૂળમાં છે કોડરો, જે કોડિંગનું કામ કરે છે, જે કમ્પ્યુટિંગ સિસ્ટમ્સ વિકસાવે છે, જે અલ્ગોરિધમ્સ રચે છે.
તો, વિખ્યાત લેખક યુવલ હરારીનું એક સૂચન એવું છે કે આ જે સૌથી મહત્ત્વનું શિક્ષણ અત્યારે ચાલી રહ્યું છે, કોડરોનું શિક્ષણ, તેમાં નીતિશાસ્ત્રનો, હ્યુમૅનિટીઝનો સમાવેશ કરવો જોઈએ. હરારીના શબ્દોમાં કહીએ તો, ‘કોડરોએ એ સમજવું પડશે કે તેઓ કમ્પ્યુટરનું કોડિંગ નથી કરી રહ્યા, બલ્કે મનુષ્યનું કોડિંગ કરી રહ્યા છે, સમાજનું કોડિંગ કરી રહ્યા છે.’
એન્જિનીયરો ફક્ત એન્જિનને સમજે તે પૂરતું નથી. મામલો કોડરોના કોડિંગનો છે. કોડર જો 'કોરો' હશે તો તે જે ટેક્નોલોજી બનાવશે તે પણ 'કોરી' હશે અને કોરી ટેક્નોલોજી શુભ અને અશુભ વચ્ચે ભેદ નહીં કરે તો બહુ મોટા લોચા પડી શકે. માટે કોડર પોતે સંવેદનશીલ અને વિવેકબુદ્ધિ ધરાવતો હોવો જોઈએ, જેથી તેના દ્વારા રચિત ટેક્નોલોજી ડાહી, શાણી, સમજદાર, ઠરેલ, ન્યાયી અને કરુણાસભર બંને.
બાકી, જો મૂલ્યો, સંસ્કાર, ચારિત્ર્ય અને નીતિમત્તાના મામલે ટેક્નોલોજીના વિદ્યાર્થીઓનું એટલે કે સરવાળે ખુદ ટેક્નોલોજીનું યોગ્ય ઘડતર નહીં કરવામાં આવે તો માનવજાત બહુ મોટી મુશ્કેલીમાં મુકાઈ શકે તેમ છે અને સંભવતઃ ખતમ પણ થઈ શકે તેમ છે.
આ સંભાવના ડરામણી છે, પરંતુ આ મામલે જાણકારી, જાગૃતિ અને સાવધાની વધી રહી છે તે સારી બાબત છે.
સાભાર :- દિપક સોલિયા
https://www.facebook.com/581530137/posts/10158938570715138/