Saturday, October 31, 2020

આવકના દાખલા માટે જરૂરી પુરાવા અને સંપૂર્ણ માહિતી.

*આવકના દાખલા માટે જરૂરી પુરાવા અને સંપૂર્ણ માહિતી. મારું ઓજસ દ્વારા*

*➡️ ૧). અરજદારનો આધાર કાર્ડ*
*➡️ ૨). અરજદારનું રેશનકાર્ડ*
*➡️ ૩). અરજદારનું છેલ્લું લાઈટબીલ/વેરાબિલ (જો ભાડે થી રહેતા હોઈ તો ભાડાકરાર)*
*➡️ ૪). અરજદાર ના રહેણાંક ની આસપાસના 2 પુખ્ત પાડોશીના આધારકાર્ડ (પંચનામું કરવા)*
*➡️ ૫). ૩ રૂ. ની કોર્ટ ફી ટીકીટ*
*➡️ ૬). ૫૦ રૂ. નો સ્ટેમ્પ*
*➡️ ૭). મેયર/સાંસદ/ધારાસભ્ય (કોઈપણ એક) પાસેથી મળતો આવક નો દાખલો.*

દરેક ડોક્યુમેન્ટ ભેગા કરી ઓળખના સૌ પુરાવાની ઝેરોક્ષ કરાવી *નોટરીના સહી-સિક્કા* મરાવવા. તથા ઓરીજીનલ પુરાવા સાથે રાખવા.


*⏺️ આવકના દાખલા માટે આવેદનની પ્રક્રિયા-*

✅ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈ ઓનલાઈન અપોઇનમેન્ટ લેવી.(જો આપના ઝોન કે જિલ્લા માં લાગુ પડે તો.)
✅ અપોઇનમેન્ટ ની રસીદ અને પુરવાઓ લઈ પોતાના વિસ્તારને લગતી મામલતદારશ્રીની કચેરી તથા નાગરિક સુવિધા કેન્દ્ર પરથી આવકના દાખલા માટેનું ફોર્મ (વિનામૂલ્યે) મેળવવું.
✅ ફોર્મ ભર્યા બાદ ૩ રૂ. ની કોર્ટ ફી ટીકીટ ફોર્મ પર આગળના પાને ખાલી જગ્યા જોઈ લગાડવી. અને અન્ય બધા ડોક્યુમેન્ટની ઝેરોક્ષ ફોર્મ સાથે પીન કરવી.
✅ ફોર્મ ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પોતાના વિસ્તારને લગતી મામલતદારશ્રીની કચેરી અથવા નાગરિક સુવિધા કેન્દ્ર પર જઈ તમારા વિસ્તારના તલાટી કમ મંત્રીશ્રી પાસે જઈ બધા ડોક્યુમેન્ટની ચકાસણી કરાવવી,જવાબ આપવો અને સહી સિક્કા કરાવવા. (તલાટીશ્રી ને જરૂર જણાઈ તો પંચનામું કરવા સાક્ષીઓને રૂબરૂ માં બોલાવી શકે)
✅ તલાટીશ્રી ના સહી સિક્કા કરાવ્યા બાદ આવકના દાખલા માટે ફોટો પડાવવાના સ્થળે જવું.
✅ આવકના દાખલા માટેના ફોટો પડાવવાના સ્થળે નજીવી ફી ચૂકવી ફોટો પડાવી રસીદ અચૂક મેળવવી.
✅ રસીદમાં આવકના દાખલા મેળવવાની તારીખ જોઈ જે-તે તારીખે તમારો આવકનો દાખલો મેળવી લેવો.

*ખાસનોંધ-* ગુજરાત સરકારશ્રીના ઠરાવ મુજબ આવકના દાખલાની *સમય-મર્યાદા ૩ વર્ષ (નાણાકીય વર્ષ)ની કરવામાં આવી છે.* આથી યોગ્ય રીતે સાચવી ને રાખવો.

Thursday, October 29, 2020

Think Positive

એક સંત વહેલી સવારે દરિયાકાંઠે ફરવા માટે નિકળ્યા.

સંતે એક પુરૂષને એક સ્ત્રીના ખોળામાં માથું નાખીને સુતેલો જોયો.

બાજુમાં જ એક દારુની ખાલી બોટલ પણ પડી હતી. સંત ખુબ દુ:ખી થયા.

એ વિચારવા લાગ્યા કે આ માણસ પણ કેવો કામાંધ છે.

સવારના પહોરમાં દારુ પી ને સ્ત્રીના ખોળામાં માથુ મુકીને પ્રેમાલાપ કરે છે.

થોડીવારમાં સમુદ્રમાંથી “બચાવો” “બચાવો” ની બુમો સંભળાઇ. સંते જોયુ કે એક માણસ દરિયામાં ડુબી રહ્યો છે.

પણ પોતાને તો તરતા આવડતું નહોતું એટલે એ જોવા સિવાય બીજુ કંઇ જ કરી શકે તેમ નહોતા.

સ્ત્રીના ખોળામાં માથુ મુકીને સુતેલો પેલો પુરૂષ ઉભો થયો અને ડુબતા માણસને બચાવવા એ સમુદ્રમાં કુદી પડ્યો.

થોડીવારમાં તો એ પેલા માણસને બચાવીને સમુદ્રકિનારે લઇ આવ્યો.

સંત વિચારમાં પડી ગયા કે આ માણસને સારો ગણવો કે ખરાબ?

એ પેલા પુરૂષ પાસે ગયા અને પુછ્યુ: ભાઇ તું કોણ છે અને અહીંયા શું કરે છે?

પેલા પુરૂષે જવાબ આપ્યો કે હું એક ખારવો છુ અને માછીમારી નો ધંધો કરુ છુ. આજે ઘણા દિવસો પછી સમુદ્રની સફર કરીને વહેલી સવારે અહીંયા પહોંચ્યો છું.

મારી માં મને લેવા માટે સામે આવી હતી અને સાથે ઘેર બીજુ કોઇ ખાસ વાસણ ન હોવાથી આ દારુની બોટલમાં પાણી ભરીને લાવી 'તી.

ઘણા દિવસની મુસાફરીનો ખુબ થાક હતો અને સવારનું આ સુંદર વાતાવરણ હતું એટલે પાણી પી ને મારી માં ના ખોળામાં માથું રાખીને થાક ઉતારવા અહિંયા જ સુઇ ગયો.

સંતની આંખમાં આંસુ આવી ગયા કે હું પણ કેવો માણસ છું જે કંઇ જોયુ એ બાબતમાં કેવા ખોટા વિચારો કરવા લાગ્યો જ્યારે હકીકત કંઇક જુદી જ હતી!

કોઇપણ ઘટના માત્ર આપણને દેખાય એવી જ ન હોય, એની એક બીજી બાજુ પણ હોય

THINK POSITIVE

કોઈના વિશે કંઈ પણ જજમેન્ટ લેતા પહેલા 100 વાર વીચારવુ.

Thursday, October 15, 2020

ભણેલાં આટલાં અભણ કેમ ?

★અંધશ્રદ્ધાનું અંધારું પેઢી દર પેઢી વીસ્તરતું જાય છે.★

✍️

ઘણીવાર વીચાર આવે છે, એ કયું પરીબળ હશે જે માણસને હોમ-હવન, પુજા-પાઠ, વ્રત-ઉપવાસ જેવાં કર્મકાંડો તરફ દોરી જાય છે ? અશીક્ષીતોનું તો સમજ્યા પણ ડોક્ટરો, વકીલો, પ્રૉફેસરો, એંજીનીયરો, સાહીત્યકારો અરે ! કેટલાક વીજ્ઞાનીઓ સુધ્ધાં કર્મકાંડો કે ગુરુ-બાબાઓમાં અતુટ શ્રદ્ધા રાખે છે.

આ લખનારે ઘરમાં આજપર્યંત સત્યનારાયણની કથા, પુજા કે યજ્ઞો કરાવ્યાં નથી. ઉપવાસો કર્યાં નથી. રામકથા સાંભળી નથી. કાશી-મથુરા કે હરદ્વાર ગયો નથી. છતાં એકંદરે સુખી છું. બીજી તરફ જેઓ એ બધામાં રચ્યાપચ્યાં રહે છે, છતાં તરેહ તરેહનાં દુ:ખોમાં રીબાતાં જોવા મળે છે. એવી સેંકડો ઘટનાઓનો ઝીણવટથી અભ્યાસ કર્યા પછી એવું સમજાય છે કે સુખ-શાંતીનાં મુળીયાં તો ક્યાંક બીજે છે, કર્મકાંડોમાં નથી. પણ જેમને એ માર્ગે પરમ શાંતી મળે છે, તેમનો મેં કદી વીરોધ કર્યો નથી. શક્ય છે ક્યાંક મારું તારણ ખોટું હોય… આપણી જાણ બહારનું કોઈ અકળ કારણ ભાગ ભજવતું હોય. સ્વ. કવી શ્રી રમેશ પારેખની પંક્તીમાં કહું તો- ‘એમ ના કહેવાય કે વરસાદ ના પડ્યો….. કહો કે આપણે ના પલળ્યાં…..!’

ખગોળશાસ્ત્રીઓ બ્રહ્માંડમાં નવા તારા, નક્ષત્રો કે ગ્રહો શોધે છે. સ્વર્ગ-નર્કના ઈલાકા તેમના દુરબીનમાં ક્યાંય દેખાયાં નથી. ધર્મગુરુઓએ પઢાવેલા મોક્ષના પાઠ માણસને એવા કંઠસ્થ થઈ ગયા કે ગાય હતી જ નહીં અને માણસ જીવનભર ખાલી ખુંટાને ઘાસ નીરતો રહ્યો ! એક હાથમાં તપેલી અને બીજા હાથમાં ઘાસ….. દુધનું ટીપુંય મળતું નથી પણ કર્મકાંડો વગર માણસને ચાલતું નથી.

વર્ષો પુર્વેનો એક પ્રસંગ યાદ આવે છે. એકવાર અમીતાભ બચ્ચન અને વીનોદ ખન્નાની ફીલ્મ ‘મુકદ્દરકા સીકંદર’ જોવા અમે ગયાં હતાં. સાથે નાનો બાબો હતો. એ અમીતાભ બચ્ચનને ઓળખતો થયો હતો પણ વીનોદ ખન્નાનો એને ઝાઝો પરીચય ન હતો. એની પ્રશ્નોત્ત્તરી શરુ થઈ. ‘પપ્પા, અમીતાભ બચ્ચન સીકંદર છે તો મુકદ્દર કોણ છે?’ મેં ભોળા ભાવે સાચો જવાબ આપ્યો- ‘બેટા, મુકદ્દર કોઈ માણસ નથી. મુકદ્દર એટલે નસીબ- ભાગ્ય !’ પણ એના મનનું સમાધાન ના થયું. એણે પ્રશ્નોત્ત્તરી ચાલુ રાખી. બીજા પ્રેક્ષકો પણ ડીસ્ટર્બ થતાં હતાં. મને લાગ્યું કે આ અઢી ફુટનો અમીતાભ સૌની ઐસીતૈસી કરી નાખે તે પહેલાં એને ચુપ કરવો જરુરી છે. તેથી મેં વીનોદ ખન્નાને બતાવીને કહ્યું- ‘આનું નામ મુકદ્દર…..!’ એના મનનું સમાધાન થઈ ગયું. પણ બહુ મોટી ઉંમરનો થયો ત્યાં સુધી એ વીનોદ ખન્નાને મુકદ્દર સમજતો રહ્યો હતો.
માણસને પણ ધર્મગુરુઓએ કેટલાક ખોટા જવાબો ગળથુથીમાં ઘુંટાવ્યા છે. દીકરો સમજણો થયા પછી સત્ય સમજી શકે; પણ માણસ ડૉક્ટર, વકીલ કે એન્જીનીયર થાય તો પણ પેલાં ધાર્મીક અસત્યોને ફગાવવા તૈયાર નથી. કર્મકાંડોથી મુકદ્દર નથી બદલી શકાતાં. છતાં તે તરેહ તરેહના કર્મકાંડો કર્યે રાખે છે.

લગ્ન ન થતાં હોય તો લોકો બ્રાહ્મણોને ખેરાત કરે છે. કોઈને બાળક ન થતાં હોય તો ગાયનેકોલૉજીસ્ટને બદલે પામીસ્ટને મળે છે. વરસાદ ન પડે (અથવા અમીતાભ બચ્ચન બીમાર પડે) તો આખો દેશ યજ્ઞો કે પુજાપાઠ કરાવે છે. ધંધો ના ચાલતો હોય તો ગુરુવાર કરે છે. એ યાદ રાખવું પડશે કે વ્રત કરો પણ જીભ પર ઈમાનદારીનું સત ના હોય તો મુશ્કેલી ઉભી થાય. કોઈ યુવાન ઉપવાસમાં એક ટાઈમ અન્નનો ત્યાગ કરે. પણ દીવસમાં ગુટકાની ચોવીસ પડીકી આરોગી જાય ત્યારે સમજવું કે એ અમૃત ત્યજીને ઝેર પીવાની ભુલ કરે છે. (ભુલ પણ કેવી…? અન્નનો અપરીગ્રહ અને વ્યસનનો વ્યાસંગ…!) મળસ્કે ઉઠીને અગીયાર વાર માળા ફેરવો પછી ગલ્લા પર બેસીને બાવીસ ગ્રાહકોને લુંટો તો બચી ન શકાય. આજનો કહેવાતો ધર્મ માણસને અનીતીથી બચાવે એવી ઢાલ બની રહેવાને બદલે પાપને પોષતી દીવાલ બની ગયો છે.

રોજ માળા કરો પણ વ્યવહારમાં કર્મ કાળાં કરો તો બચી ના શકો. કર્મકાંડોથી નહીં, (થઈ શકવાનું હોય તો) સદ્દકર્મોથી જ માણસનું કલ્યાણ થઈ શકે છે. સ્વર્ગ–નર્ક હોય કે ન હોય; પણ માનવતા અને સૌજન્યપુર્ણ વર્તાવ જેવું સ્વર્ગ બીજું એકે નથી. સુખી થવા માટે ધર્મગ્રંથો કરતાંય માણસનાં મન વાંચવાની વીશેષ જરુર છે. યાદ રહે સુખશાંતી મંદીરમાંથી નહી; મનમાંથી પ્રગટે છે. રોજ મળસ્કે ઉઠીને ગીતાના ચાર અધ્યાય વાંચતો માણસ કોકની મીલકત પચાવી પાડવા કાવાદાવા કરે તો કૃષ્ણ રાજી ન થાય બલકે હાલત કૌરવો જેવી થાય. કોઈક માણસ મંદીરે ન જાય પણ ઝુંપડપટ્ટીમાં જઈને ભુખ્યાં બાળકોને અન્ન કે વસ્ત્રો પુરાં પાડતો હોય તો સંભવત: ઈશ્વર એને ખુદ પુછે- ‘બતા તેરી રઝા ક્યા હૈ ?’
તાત્પર્ય એટલું જ – ધર્મ એટલે ઘીનો દીવો, અગરબત્ત્તી કે નારીયેળ નહીં. ધર્મ એટલે ફરજ, પ્રામાણીકતા, માનવતા, ઈમાનદારી અને દુ:ખીઓનાં આંસુ લુછવાની ભાવના.

‘ઈશ્વર સામે જોડાતા બે હાથ કરતાં દુ:ખીઓનાં આંસુ લુછવા આગળ વધતો એક હાથ વધુ ઉપયોગી છે !’ ખરી વાત એટલી જ, કોઈ પણ ધર્મ પાળો પણ માનવધર્મને અગ્રક્રમે રાખો. ધર્મને નામે અધર્મની આરતી ના ઉતારો. પથ્થરની મુર્તી સમક્ષ થાળ ભલે ધરો પણ ઝુંપડપટ્ટીનાં ભુખ્યાં બાળકોને પણ થોડું ભોજન આપો. શીવલીંગ પર દુધ રેડશો તો એ ગટરમાં ચાલ્યું જશે. ભુખ્યાઓનાં જઠરને શંકરનું લીંગ સમજીને એમાંનું અડધું દુધ એ સુકી ગટરમાં ઠાલવો. શંકરના આશીર્વાદ જરુર મળશે. શ્રદ્ધાથી મનને શાંતી મળતી હોય તો બેશક શ્રદ્ધાનું સ્થાન હાથરુમાલ જેવું છે. તે ગજવામાં શોભે-ખભે નહીં. માણસ મૈયતમાં ખભે ટુવાલ નાંખતો હોય છે. બુદ્ધીનું ઉઠમણું થાય ત્યારે તે અંધશ્રદ્ધાનો ટુવાલ ખભે નાખીને ફરે છે. આખું જીવન પાપ કરો પછી પાપ ધોવા ગંગામાં ડુબકી મારો ત્યારે ખીસ્સાનો રુમાલ ટુવાલ બની ખભે આવી પડે છે.

ઝાઝો હોબાળો કર્યા વીના થોડીક વાત ગાંઠે બાંધી લેવા જેવી છે: (1) ભગત-ભુવાથી ભાગ્યના લેખ મટતા નથી. (2) સદ્ કર્મોથી જે કલ્યાણ થઈ શકે તે કર્મકાંડોથી નથી થતું. (3) પુજા– પાઠ કરાવવાથી સંતાનો પરીક્ષામાં પાસ થતાં નથી. ‘ઘરમાં ઉદ્ ભવેલી સમસ્યાનો ઉપાય હરદ્વારમાંથી ન મળે. એ તો ઘરમાં જ ઉકેલવી પડે ! (બચુભાઈ ઉમેરે છે– ‘માથાનો દુ:ખાવો પગના તળીયે બામ ઘસવાથી દુર ન થાય.) આગ પ્રવાહીથી હોલવી શકાય; પણ તે પેટ્રોલ હોય તો ન ચાલે. સંસારની સમસ્યાઓને વીવેકબુદ્ધીના પાણીથી હોલવી શકાય. અંધશ્રદ્ધાનું પેટ્રોલ છાંટશો તો ભડકા મોટા થશે. સગો પીતા દૈવીશક્તી પ્રાપ્ત કરવા માટે પોતાના દીકરાનો બલી ચઢાવે ત્યારે જે ભડકો થાય છે તેની જ્વાલાઓ પેપરના પાને પ્રગટી ઉઠે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એવા ભડકા વીશેષ થાય છે.

એકવીસમી સદીમાં કમ્પ્યુટર, ઈન્ટરનેટ અને ઉપગ્રહોની બોલબાલા ભેગી અંધશ્રદ્ધાઓની બલા પન રેસમાં ઉતરી છે. ચુંટણીમાં પંજો જીતે કે કમળ તેથી ખાસ નુકસાન નથી, પણ જીવન વ્યવહારમાં અંધશ્રદ્ધા બીનહરીફ ચુંટાતી આવી છે તે ઓછા દુ:ખની વાત નથી. ચાલો આપણે સૌ ભેગા મળી એવા પ્રયત્નો કરીએ કે વીવેકબુદ્ધીનો વીજય થાય અને અંધશ્રદ્ધાની ડીપોઝીટ ડુલ થાય.

જરા વીચારો તો ખરા કરોડો માણસોના હજારો ધર્મો અને સેંકડો ભગવાનો… દુ:ખ સૌનાં સરખાં… લોહી સૌનું સરખું… આંસુ અને આઘાતોમાં કોઈ ફેર નહીં… સૌના ભોગવટા, જીવનવટા અને સ્મશાનવટા સરખાં તો ધર્મવટા કે સંપ્રદાયવટા કેમ જુદા…? ઈન્સાન સૌ સરખા તો ભગવાન કેમ જુદા…? અંધશ્રદ્ધાળુઓનું તો સમજ્યા પણ શા માટે એક વકીલ કે ડૉક્ટરની કારમાં સ્ટીયરીંગ આગળના અરીસા પર લીંબુ અને મરચું લટકતાં જોવા મળે છે ? શીક્ષીત લોકો આ એકવીસમી સદીમાંય હજી અંધશ્રદ્ધામાં કેમ અટવાય છે ? સુરેશ દલાલે સાચી ફરીયાદ કરી છે-
‘ભણેલાં આટલાં અભણ કેમ ? – ચાલો વીચારીએ…..

સાભાર હિતેશભાઈ રાઈચુરા
https://m.facebook.com/groups/2142661289084610?view=permalink&id=4020225711328149

Tuesday, October 13, 2020

ખંભાલીડાની ઐતિહાસિક બૌદ્ધ ગુફા

ઐતિહાસિક દ્રષ્ટિએ બૌદ્ધયુગનું પ્રવેશદ્વાર ગણાતું હતું ખંભાલીડા...


ગોંડલ નજીક ભાદર નદીના કાંઠે ખંભાલીડા ગામ પાસે આ ઐતિહાસિક બૌદ્ધ ગુફા આવેલી છે.

સાંતવડા ડુંગરમાં કોતરાયેલી આ ગુફા ૧૮૦૦ વર્ષ જૂની છે. સૌરાષ્ટ્રના પુરાતત્ત્વશાસ્ત્રી પી.પી.પંડયાએ ૧૯૫૮માં આ ગુફા શોધી હતી.

ઇતિહાસ જોઈએ તો ત્રીજી સદીના અંત અને ચોથી સદીની શરુઆતમાં ગિરનાર પર્વત પર વિહાર કરતા બૌધ્ધ સાધુઓ જંગલમાર્ગે ખંભાલીડા પહોંચ્યા હતા. તે સમયે ખંભાલીડા ગીરનું પ્રવેશ સ્થાન ગણાતું હતું. ગીરનું જંગલ પણ ચોટીલા સુધી વિસ્તરેલું હતું. અહીં બૌધ્ધ સાધુઓના લાંબા વિહાર દરમિયાન ગુફાઓનું નિર્માણ કરાયું હતું. તે જોતા અજંટા-ઇલોરાની ગુફાઓ કરતા પણ આ ગુફાઓ જૂની છે. ગુફામાં બોધીસત્વ અવલોકીશ્વર અને પદ્દમપાણીના શિલ્પો કોતરાયેલા છે. કુલ મળીને ૧૭ ગુફા છે અને આખા ગુજરાતની વિશાળ શિલ્પો ધરાવતી એ એકમાત્ર ગુફા છે. 

રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકામાં આવેલા ખંભાલીડા રાજકોટથી 66 કિ.મી. દક્ષિણ અને જેતપુરથી 10 કિ.મી. પૂર્વ દિશામાં આવેલ છે. ખંભાલીડા ગામથી આશરે અડધો કિ.મી. ઉત્તર પૂર્વમાં ચૂનાનાં પથ્થરોનાં ખડકોમાં કંડારાયેલ ગુફાસમૂહ નજીક વહેતાં ઝરણાં, પર્વતમાળા અને વનરાજીથી આચ્છાદિત સ્થળે આવેલ હોઇ તેનો આધ્યાત્મિક હેતુ સાથેનો સંબંધ ફળિભૂત છે. ખંભાલીડાની ગુફાની તેની બાહ્ય દિવાલો પરનાં શિલ્પાંકનને કારણે આગવું મહત્વ ધરાવે છે.

નજીકમાં જ સાંચી ના સ્તુપની યાદ અપાવે તેવું ખંડેર બની ગયેલું સંકુલ આવેલ છે.

Friday, October 9, 2020

સૂવું અને જાગવું... ઊંઘવું અને ઉઠવું.

સૂવું ય જુદું અને ઊંઘવું ય જુદું .
એ જ રીતે ઉઠવું ય જુદું ને જાગવું ય જુદું.

મેં અનેક વાર સાંભળ્યું છે વાંચ્યું છે કે
ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર ક્યારે કોઈ નાઈટ પાર્ટીમાં જતા નથી. નાઈટ શિફ્ટમાં શૂટિંગ કરતા નથી.
સમયસર ઊંઘી જાય છે.
ઘણા વહેલા જાગી જાય છે.
હમણાં જ મેં એક ઇન્ટરવ્યૂ માં એમને એવું બોલતા સાંભળેલ.
ऐसा एक भी दिन नहीं होगा जब मेने सूर्योदय का स्वागत न किया हो.
अगर बादलोके कारण सूर्य न भी दिखे तब भी पंछीओकी आवाज और पेड़ पौधों से सूर्योदयका अंदाज़ आ ही जाता है

પ્રધાન મંત્રીજીને એક વખત એવું કહેતા સાંભળેલા કે ગમે એવી સ્થિતિમાં સુતા પહેલાં દસ મિનિટ પ્રાણાયામ અને સુતા પછી છઠ્ઠી મિનિટે ઘઘસાટ ઊંઘી જાઉં છું
વિના એલાર્મ જાગી જાઉં છું.

ગાંધી બાપુ વિષે પણ એવું જ સાંભળેલું વાંચેલું છે.

વરસીંગપુર ગામે એક હમીર બાપા બારીયા નામે તબલચી હતા જેના વિષે એવું સાંભળેલ છે કે ચાલુ ભજન માં તબલાં વગાડતા વગાડતા ઝોકું ખાઈ લેતા પણ તબલાનો તાલ ન ચુકતા.

ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીની ઊંઘ અતિ ઓછી હતી એવું સાંભળેલું વાંચેલું છે. ક્યારેક તો વૃક્ષને ટેકે ઉભા ઉભા કે બેઠા બેઠા જ નાનકડો વિશ્રામ લઇ લેતા .

રાત્રીના ચાર પ્રહર વિષે એક પ્રચલિત દુહો છે.
પ્રથમ પ્રહરે હર કોઈ જાગે
બીજા પ્રહરે ભોગી .
ત્રીજા પ્રહરે ચોર લૂંટારા
ચોથે સંત ને જોગી.

હું ઉમેરીશ કે
હર પલ જે જાગ્યા કરે ઈ કાં ભવ રોગી કાં વસમા વિજોગી....
નારાયણ સ્વામી એક ભજન ગાતા
હે જેને વ્હાલા થી વિજોગ રે જેને હરિ થી વિજોગ રે
સુખે થી મન કોઈ દી સુવે નહીં...

ખીમાણદભાઈ રામના શબ્દો

Wednesday, October 7, 2020

વનસ્પતિ જ્ઞાન :: મામેજવો (Enicostemma Littorale;)

👉મામેજવો મધુપ્રમેહ(ડાયાબીટીસ)ને કાબુમાં રાખનાર ઉત્તમ ઔષધ છે. એ કફ-પીત્તશામક, ભુખ લગાડનાર, આમપાચક, ઝાડો સાફ લાવનાર, સોજો ઉતારનાર, રક્તની શુદ્ધી કરનાર તથા રક્તપીત્તને મટાડનાર છે.
👉મામેજવાનો આખો છોડ સૂકવી તેનું ચૂર્ણ બનાવી લેવું. અડધી ચમચી જમ્યા પછી આ ચૂર્ણ લેવાથી ડાયાબીટિસ કંટ્રોલમાં રહે છે.
👉મામેજવાનો છોડ જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, મળ સાફ લાવનાર, રક્તની શુદ્ધી કરનાર, આમને પચાવનાર, યકૃતને ઉત્તેજીત કરનાર, રક્તપીત્ત, કફ અને પીત્તનો નાશ કરનાર છે.
👉અડધી ચમચી મામેજવાનું ચુર્ણ અને ત્રણ કાળાં મરીનું ચુર્ણ દીવસમાં ત્રણ વખત લેવાથી તાવમાં ફાયદો થાય છે.
👉મામેજવાનું ચુર્ણ છાસમાં લેવાથી મૅલેરીયા અને અતીસારમાં ફાયદો થાય છે. તે કૃમીનો નાશ કરે છે, અને ડાયાબીટીસને શાંત કરે છે.

મેંદાનો પરિચય ત્થા કેટલીક ભયાનક વિગતો.-- હિતેષ એ. મોઢા




 
મેંદો ઘંઉના (બ્રાન)ઉપલા લાલ ભાગને દુર કરીને બનાવવામાં આવે છે. તેમ ઘણી વાર મેંદો વધારે સફેદ થાય તે માટે અનેક બ્લીચીંગ પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. ઘંઉમાં કોઈ મહત્વનો ભાગ હોય છે, તે છે બ્રાન યાને લાલ સ્તર. આથી જ અગાઉ ઘંઉની રોટલી રોટલા જાડા લોટની બનાવવાંમાં આવતી, અને આ એક આરોગ્યપ્રદ માર્ગ છે/હતો.

ઘંઉનાં મુલાયમ લોટની કોઈ પણ વાનગી આંતરડા માટે હાનિકારક જ છે. ખાસ કરીને, ડ્રાય અને વેટ ટ્રોપિકલ(ઉષ્ણકટિબંધ) + સબટ્રોપિકલ-હ્યુમીડ + આરીડ -સેમી આરીડ વિસ્તારમાં. જ્યાં વાતાવરણ અતિ ઠંડુ હોય ત્યાં ઘંઉનો મુલાયલ લોટ કે ઓર્ગેનિક મેંદો ચાલે છે. ગુજરાતમાં આરીડ સેમી આરીડ, ટ્રોપિકલ વાતાવરણ છે. આરીડ એટલે કચ્છથી ઉતર ગુજરાત સુધીનો વિસ્તાર. સેમી આરીડ સૌરાષ્ટ્રથી મહેસાણા વડૉદરા સુધીનો વિસ્તાર દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, ચોરવાડથી મહુઆ આ બધા ટ્રોપિકલ વિસ્તારો છે. આ બધા વિસ્તાર મેંદા માટે નકામા છે. અલ્પાઈન ફકત કાશ્મિર અને હિમાલય રેંજમાં જોવા મળે છે.
 
રોજીંદા ઉપયોગમાં મેંદો.

A બિસ્કીટ, ખારી, અન્ય બેક આઈટેમ્સ.
B ખારી પૂરીઓ તેમજ અમુક મિષ્ટ વાનગીઓ
C નાન, કુલચાઓ + પીઝા + અમુક પ્રકારનાં નુડલ્સ અને પાસ્તા,
D અમુક પ્રકારનાં થીક શેઈક. આ ઉપરાંત અનેક પ્રકારનાં કો-ફૂડ તરીકે મેંદો વપરાય છે.

કેટલીક વિગતો 

૧ ) ઘઉંનો લોટ કરતાં સસ્તો કેમ ??? લોટની પડતર કરતાં મેંદો ૩૦ થી ૪૦ ટકા મોંઘો હોવો જોઈએ... કુછ તો ગરબડ હૈ. મેંદો બનાવવાંમાં કોઈ પણ પ્રકારનાં નબળા ઘંઉ પણ ચાલે છે. ઘંઉની કઈ જાત છે, તે બાબતે ઈલ્લે ઈલ્લે....

૨ ) મેંદો બનાવવાની પ્રક્રિયાથી ગ્લુટેન પણ આઈસોલેટ્ડ થઈ જાય છે, તે પણ ખતરનાક સાબીત થાય છે. આનાથી થતી બીમારીનું બહુ મોટુ લિસ્ટ છે. આ ન્યુરોલોજીક ડિસફંકશનીગ, સાઈક્યાટ્રીક ડિસઓર્ડર પણ ..... લીવર કિડની અને મેટાબોલીઝમ પર બહુ ખરાબ પ્રભાવ આપે છે. તેમ ઘંઉની ઉપર રહેલ લાલ પળમાં ડાયેટરી ફાઈબર હોય છે. સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનાં ૧૦૦ ગ્રામ ઘંઉમાં ૧૨ થી ૧૪ ગ્રામ આ ફાઈબર હોય છે. + ૧૩ ગ્રામ જેટલુ પ્રોટીન હોય છે. તેમ આર્યન + વિટામીન બી. જે મિલી ગ્રામમાં હોય છે, તે બધા નાશ પામે છે. મેંદોમાં મહતમ કાર્બોહાઈડ્રેટ + ગ્લુટેન આઈસો. હોય છે. 

૩ ) અમુક તમુક સસ્તા ઉત્પાદ માટે ફ્લોર બ્લીચીંગ એજ્ન્ટસનો ઉપયોગ કરવાંમાં આવે છે. જેવાં કે ઓક્ઝેલન, બેંઝોયલ પેરોકસાઈડ, કેલ્સિયમ પેરોકસાઈડ. નાઈટ્રોઝન ડાયોકસાઈડ, ક્લોરીન, ક્લોરીન ડાઓકસાઈડ. એઝોડાયકાર્બોનામાઈડ... આ બધા ખતરનાક કેમિકલ્સ છે. જેનાંથી શું નુકશાન થશે તેની વિગતવાર આગાહી કરવી જ મુશ્કેલ છે. કહીં ભી કુછ ભી હો શકતા હૈ !!! કાયમી લટકતી તલવાર જેવો ઘાટ.

4 ) ઉપરોકત રસાયણ, યુરોપિયન યુનિયન દ્વારા યુરોપના દેશમાં બેન છે.

૫ ) મેંદામાં ડાયેટરી ફાઈબર ન હોવાંથી, કબજીયાત ફરજીયાત છે. મેંદો આવક જાવકની પ્રક્રિયા બગાડી નાખતાં, સમયે ખુલાસો ન થતાં દિન પ્રતિદિન આંતરડાઓ તેમની કાર્ય શક્તિ ગુમાવી દે છે.

૬ ) મેંદામાં નર્યો સ્ટાર્ચ હોવાંથી બ્લડ સ્યુગરનું પ્રમાણ વધી જાય છે. આને પચાવવામાં પેંક્રીઆસને ગધા મજુરી કરવી પડે છે. તેનાં કારણે ડાયાબીટીઝ.......

૭) મેંદો બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે. તેમાંથી બનતી પ્રોડકટ જેવી કે બેક પ્રોડકટમાં પુષ્કળ પ્રમાણમાં ખમીર નાખવામાં આવે છે, આ ઈંડ ખમીર પણ શરીરને ....... અમુક રેસ્તોરાંમાં રોટી પણ મેંદાની બને છે સાથે તેમાં ખમીરની ઠોકાઠોક હોય છે. 

આપ ફૂડ લવર હોવ તો અને વારંવાર રેસ્તોરાંમાં જતાં હોવ તો મેંદોની બનેલ તમામ વાનગીને હળવે હળવે ત્યાગવી. બાળકોને મેંદોની ખાદ્ય વાનગી વિશે બાલ્યાવસ્થાથી સભાન કરવાં. અને ધીમે ધીમે ઘરમાંથી રેડીમેડ મેંદોનો ત્યાગ કરવો, કરાવવો. આજે દરેક ઘરમાં ઘરઘંટી છે, તો ઘરે જ ઘંઉનો કરકરો કે કણી વાળો કે જાડો લોટ બનાવવો વધુ હિતકારી રહેશે. તેમાંથી દરેક બેક આઈટેમ્સ શક્ય છે.

ઈંગ્લીશ ભાષામાં એક કહેવત છે, ફૂડ ઇઝ બેસ્ટ મેડીસીન food is best medicine. તેમ આવું કહી શકાય કે ફૂડ ઈઝ બેસ્ટ પોઈઝન food is best poison. અમૃત કે વિષ એ આપના હાથમાં છે.

અપૂર્ણમ --સંપૂર્ણમ

જય ભારત જય આર્યવર્ત

// અસ્તુ//

પં. ડો. હિતેષ એ. મોઢા
જયોતિષ-વાસ્તુ તજજ્ઞ
ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ
૧૦૧ આરડી ચેમ્બર્સ છાંયા ચોકી
પોરબંદર ફોન. ૯૮૭૯૪૯૯૩૦૭
www.ishanastrovastu.com
www.ishanastrovastu.blogspot.com

Saturday, October 3, 2020

આરોગ્ય જ્ઞાન :- ઘરના રસોડામાં જ દવા

આપના ઘરનું રસોડું જ આપનું આરોગ્ય જાળવી રાખવા સક્ષમ છે

પરંતુ આપણને તેની ખબર પડતી નથી કેમ ખરુને!

શું આપણા બાપદાદા ગોળીઓ ખાઈને જીવતા હતા?

કોઈપણ રોગ સામે રક્ષણ ઘેરબેઠાં મેળવવા આપને આપની જીવનશૈલી બદલવી જ પડશે

ઘરના રસોડામાં રહેલા મસાલાનો જાણીને સમજીને જો આહાર વિહાર માં ઉપયોગ કરવામાં આવે તો કોઈપણ રોગ આપના ઘરની નજીક તો શું ક્યાંય જોવા પણ નહિ મળે

રોજીંદા જીવનમાં શરદી, ઉધરસ કે રોગપ્રતિકારક શક્તિ વધારવાનો સરળ ઉપચાર.

હળદર:
હળદરને નેચરલ એન્ટિબાયોટિક ગણવામાં આવે છે નિયમિત હળદરને નવશેકા દૂધ કે હુંફાળા પાણીમાં નાખીને પીવાથી અનેક રોગોમાં સીધો ફાયદો થાય છે

લીંબુને આદુની ચા:
લીંબુ અને આદુ સૌથી વધુ એન્ટી ઓક્સીડંટ અને ભરપૂર વિટામિન હોય છે નિયમિત એક ગ્લાસ પાણીમાં અડધું લીંબુ નાખીને પીવાથી ગળામાં ઈન્ફેક્શન થતું નથી અને આપની ઈમ્યૂન સિસ્ટમ મજબૂત બને છે

લસણ:
લસણમાં સૌથી વધુ એલિસિન હોય છે જે શરીરમાં રહેલા બેક્ટેરિયલ ઈન્ફેક્શનથી બચાવે છે નિયમિત સેવન કરવાથી શરદી કે વાયરલ ઈન્ફેશનથી બચાવે છે

સિંધવ નમક
સિંધાલૂણ ફકત અડધી ચમચી એક ગ્લાસ નવશેકા પાણીમાં નાખીને નિયમિત કોગળા કરવાથી ગળામાં કફ ને રોકવાનું કામ કરે છે અને ફલું સામે રક્ષણ આપે છે

લવિંગ:
જો સૂકી ઉધરસ થાય છે તો ગળામાં ઝડપથી રાહત મળે તે માટે લવિંગ અને મધ લઈ શકાય છે
લવિંગથી પેટના દુ:ખાવા અને પેટની બીમારી કે ઉલટીને રોકી શકાય છે અને લવિંગને ચાવીને ખાવાથી દાંતના દુ:ખાવા પણ મટી જાય છે

ઈલાયચી:
રોજ ફકત એક ઈલાયચી ખૂબજ ચાવીને ખાવાથી કોલેસ્ટ્રોલને કાબુમાં રાખી શકાય છે

મધ:
મધ કે દેશી ગોળનો ઉપયોગ નિયમિત સેવન કરવાથી ઘણાબધા રોગ પર સીધો કાબુ મેળવી શકાય છે.

સંઘર્ષનો સેલ અને જિંદગીની ઘડિયાળ

હું સતત સંઘર્ષનો સેલ પૂરતો રહું છું,

ને જીંદગીની ઘડિયાળ ચાલ્યા કરે છે..!

- વિશાલ દંતાણી
 


Friday, October 2, 2020

જીવન

 જીવન જીવવા મળ્યા છે દિન ચાર
મોકા મળી જાય બસ એવા બે ચાર
જીવી લેવું છે વન વગડામાં જી ભરી ને
નથી અમે કોઈ ટેક્નોલોજીના લાચાર.



Thursday, October 1, 2020

ચાનો ઇતિહાસ

😀😀 🤣🤣
રામ-રાવણનું યુદ્ધ પૂરું થયા બાદ રામ, લક્ષ્મણ અને જાનકી પાછા ફરતા હતા ત્યાં ડૂસકાં નાં આવાજ સંભળાયા.
રામ ભગવાને પાછું ફરીને જોયું તો કોઈ માણસ દેખાયું નહીં. બધે નજર કરી ત્યાં અવાજ આવ્યો "પ્રભુ આ તરફ, ઉકરડા તરફ જુઓ"
 
રામ ભગવાને જોયું તો સંજીવનીને વાટયા પછી વધેલા કુચાને વાચા ફૂટી.
રામ ભગવાને કહ્યું "શું કામ રોવો છો?"
જવાબ મળ્યો "અમે આપના ભાઈની મૂર્છા ઉડાડી અને અમને જ ફેંકી દીધા, માણસ સ્વાર્થી હોય, પણ પ્રભુ તમેય ?"
રામ ને ખૂબ લાગી આવ્યું અને સંજીવનીના કુચાને આશીર્વાદ આપતા કહ્યું "આવતા જન્મે તમારા નામમાંથી "કુ" નીકળી જશે અને "ચા" બની તમે આખા જગની મૂર્છા ઉડાડસો"
 
અને એ રીતે, ચા એ પ્રભુ એ આપેલ વરદાન છે એમ માનીને સૌએ ચા પીવી.

આ વાત પર ભર ભર ભાઈ તું એક કટિંગ ભર

ધાર્મિક લાગણી દુભાણી હોય તો માફ કરશો..
પણ એક વડીલને ચા પિતા પહેલા ધરતી પર
ચા ના અમી છાંટણા કરતા જોયેલા અને તેમણે
આ વાત કહેલી...

🤣🤣🤣😀😀🤣🤣🤣

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...