ખંભાલીડાની ઐતિહાસિક બૌદ્ધ ગુફા
ઐતિહાસિક દ્રષ્ટિએ બૌદ્ધયુગનું પ્રવેશદ્વાર ગણાતું હતું ખંભાલીડા...
ગોંડલ નજીક ભાદર નદીના કાંઠે ખંભાલીડા ગામ પાસે આ ઐતિહાસિક બૌદ્ધ ગુફા આવેલી છે.
સાંતવડા ડુંગરમાં કોતરાયેલી આ ગુફા ૧૮૦૦ વર્ષ જૂની છે. સૌરાષ્ટ્રના પુરાતત્ત્વશાસ્ત્રી પી.પી.પંડયાએ ૧૯૫૮માં આ ગુફા શોધી હતી.
ઇતિહાસ જોઈએ તો ત્રીજી સદીના અંત અને ચોથી સદીની શરુઆતમાં ગિરનાર પર્વત પર વિહાર કરતા બૌધ્ધ સાધુઓ જંગલમાર્ગે ખંભાલીડા પહોંચ્યા હતા. તે સમયે ખંભાલીડા ગીરનું પ્રવેશ સ્થાન ગણાતું હતું. ગીરનું જંગલ પણ ચોટીલા સુધી વિસ્તરેલું હતું. અહીં બૌધ્ધ સાધુઓના લાંબા વિહાર દરમિયાન ગુફાઓનું નિર્માણ કરાયું હતું. તે જોતા અજંટા-ઇલોરાની ગુફાઓ કરતા પણ આ ગુફાઓ જૂની છે. ગુફામાં બોધીસત્વ અવલોકીશ્વર અને પદ્દમપાણીના શિલ્પો કોતરાયેલા છે. કુલ મળીને ૧૭ ગુફા છે અને આખા ગુજરાતની વિશાળ શિલ્પો ધરાવતી એ એકમાત્ર ગુફા છે.
રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકામાં આવેલા ખંભાલીડા રાજકોટથી 66 કિ.મી. દક્ષિણ અને જેતપુરથી 10 કિ.મી. પૂર્વ દિશામાં આવેલ છે. ખંભાલીડા ગામથી આશરે અડધો કિ.મી. ઉત્તર પૂર્વમાં ચૂનાનાં પથ્થરોનાં ખડકોમાં કંડારાયેલ ગુફાસમૂહ નજીક વહેતાં ઝરણાં, પર્વતમાળા અને વનરાજીથી આચ્છાદિત સ્થળે આવેલ હોઇ તેનો આધ્યાત્મિક હેતુ સાથેનો સંબંધ ફળિભૂત છે. ખંભાલીડાની ગુફાની તેની બાહ્ય દિવાલો પરનાં શિલ્પાંકનને કારણે આગવું મહત્વ ધરાવે છે.
નજીકમાં જ સાંચી ના સ્તુપની યાદ અપાવે તેવું ખંડેર બની ગયેલું સંકુલ આવેલ છે.
0 Comments