Thursday, October 31, 2019

અમર બલિદાની શહીદ રમેશભાઈ જોગલ

૨૬ જુલાઈ ૨૦૧૯ નાં રોજ કારગીલ યુદ્ધ વિજયને વીસ વર્ષ પુરા થવા જઈ રહ્યા છે. ભારતના ૫૨૭ વીરોએ કારગીલના એ ભયાવહ પર્વતો પરથી દુશ્મનને મારી હઠાવવા માટે તેમનો જીવ આપ્યો.

બહુ ઓછા લોકો જાણે છે કે કારગીલના અમર બલીદાનીઓમાંથી ૧૨ જવાનો એ ગુજરાતની ગૌરવવંતી ધરા પર જન્મ લીધો હતો. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આપની સમક્ષ એ ૧૨ ગુજરાતી વીરોની વિરગાથાઓ ટૂંકમાં અત્રે પ્રેષિત કરી રહ્યો છું.

લેખમાળાની શરૂઆત માતા જશીબેન અને પિતા વિક્રમભાઈના બળુકા પુત્ર અમર બલિદાની ૧૪૧ ફિલ્ડ આર્ટીલરી રેજીમેન્ટના ગનર રમેશ જોગલ Kargil Shahid Rameshbhai Trust ની વાતથી કરીએ:

કારગીલ યુદ્ધમાં ટાઈગર હિલ પર ભારતના વિજયને અપ્રતિમ માનવામાં આવે છે. ટાઈગર હિલ પર હુમલાના આર્ટીલરી ફાયર પ્લાનને ‘ફાયનલ બ્લો’ – ‘અંતિમ પ્રહાર’ એવું સૂચક નામ આપવામાં આવેલું. ૩જી જુલાઈ ૧૯૯૯ ના રોજ રાત્રીના સાડા આઠ કલાકે શરૂ થયેલો ‘અંતિમ પ્રહાર’ ૭ જુલાઈ સુધી ચાલ્યો. જેની શરૂઆત આર્ટીલરી ગનર્સે સીધા અને પરોક્ષ બંને તોપમારા વડે કરી. કુલ ૨૦ આર્ટીલરી યુનિટ્સ એટલે કે કુલ ૧૨૭ તોપો અને મોર્ટાર મળીને સમગ્ર ટાઈગર હિલ પર ગોળાઓ વરસાવી રહ્યા હતા. ગનર્સ દર મીનીટે પ્રત્યેક બેટરી દીઠ એક રાઉન્ડ ફાયર કરી રહ્યા હતા. સમગ્ર આકાશ આપણા તોપમારા અને દુશ્મનના ગોળાઓના પ્રકાશ વડે ઝળહળી ઉઠ્યું હતું. બોફોર્સ તોપોના અવિરત કવર ફાયર વચ્ચે ટાઈગર હિલ પર ૨ નાગા રેજીમેન્ટ, ૮ શીખ રેજીમેન્ટ અને ૧૮ ગ્રેનેડીયર્સના દળો એ ત્રણ બાજુથી હુમલો કર્યો.

આ તરફ દુશ્મન પાસે આર્ટીલરી લોકેટીંગ રડાર હતા. ભારતીય તોપોને નિશાન બનાવીને દુશ્મનો પેલેપારથી અચૂક ફાયર કરી રહ્યા હતા. રમેશભાઈની પલટનની તોપો મતીયાનથી ટાઈગર હિલ પર પ્રચંડ તોપમારો કરી રહી હતી.

દુશ્મન ફાયરીંગ રમેશભાઈની પલટનની બોફોર્સને ટાર્ગેટ બનાવી રહ્યું હતું. પરંતુ, ૧૪૧ ફિલ્ડ રેજીમેન્ટના તોપચીઓ કંઈ દુશ્મન શેલીંગથી ડરીને પોતાનું શેલીંગ ધીમું પાડે તેમ નહોતા.

રમેશભાઈએ યુદ્ધ મેદાનેથી બા, જશીબેનને એક પત્ર લખ્યો હતો જે ૬ જુલાઈ ૧૯૯૯ના રોજ અગિયારેક વાગ્યા આસપાસ ટપાલી આપી ગયો. ઉતાવળે બા એ કાગળ ખોલ્યો અને મોટા દીકરા હમીર પાસે વંચાવ્યો.

બસ એ જ સમયે ૬ જુલાઈ ૧૯૯૯ના રોજ ૧૧ કલાકે દુશ્મને ફાયર કરેલો એક તોપગોળો રમેશની બાજુમાં આવીને ફાટ્યો.

સતત બે મહિના સુધી દુશ્મનના અવિરત તોપમારા વચ્ચે પણ મૃત્યુના ક્ષણિક ભય વિના અડીખમ લડતાં રહેલા રમેશના શરીરને વીંધીને તોપગોળાના લાલચોળ સ્પ્લીન્ટર્સ અંદર ધસી ગયા; કેટલાક આરપાર નીકળી ગયા. શરીર નિશ્ચેત થઇ ગયું, અમર પ્રહરી રમેશ જોગલને ઈશ્વરે પોતાની પાસે બોલાવી લીધો.

કારગીલ યુદ્ધ - ગુજરાતના શહીદો પુસ્તકમાંથી...

આયર્ન મેન સરદાર વલ્લભભાઈ પટેલ (સ્ટેચ્યૂ ઓફ યુનિટી)

ફક્ત પૂતળું જોવા જશો નહીં..પણ જવું હોય ત્યારે યાદ રાખજો કે આ એક એવું લોખંડ છે જેને આજ દિન સુધી કાટ લાગ્યો નથી ને આવનારા હજારો વર્ષ સુધી લાગવાનોય નથી..આ કોઈ મારવેલ કોમિક નો કાલ્પનિક આયર્ન મેન નથી પણ ગુજરાત ની ભોમ નો 'ધિ રીયલ આયર્ન મેન' સમ્રાટો નો સમ્રાટ 'સરદાર' છે.




ફક્ત પૂતળું જોવા જશો નહીં…જવું હોય તો સરદારનો ગગનચુંબી સંકલ્પ જોવા જજો…

ફક્ત પૂતળું જોવા જશો નહીં…જવું હોય તો સરદારની અડીખમ તાકાતને જોવા જજો…

સરદારે દેશમાંથી સરકી રહેલી યુનિટીને કેવી રીતે ’સ્ટેચ્યૂ’ કહીને રોકી દીધી હતી એ સમજવા જજો…!!

ફક્ત પૂતળું જોવા જશો નહીં…નક્કામા ઊભા રહેવાને બદલે કર્મવીર કેવી રીતે થઇ શકાય એ જોવા જજો…

પણ જો પૂતળું જ જોવા જાવ તો સિમેન્ટ, સ્ટીલ અને લોખંડની આરપાર સરદારને જોવાનું ભૂલતાં નહીં…!!

હું સવારથી જોઉં છું કે લોકો ટીવી ચેનલો પર ચર્ચાઓ કરી રહ્યા છે કે આ પૂતળામાં કેટલું સિમેન્ટ વપરાયું, કેટલું કોંક્રિટ વપરાયું, કેટલું સ્ટીલ વપરાયું…પણ ભલા માણસ…પૂતળું કયા તત્વોનું બન્યું એની ચર્ચા નહીં, સરદારને સરદાર બનાવનાર તત્વો કયા હતાં એની ચર્ચા થવી જોઇએ.

સરદાર હોવું એટલે શું? સરદાર હોવું એટલે પત્નીનાં મોતનો તાર વાંચ્યા બાદ પણ ફરજ પર તૈનાત રહેવું એ…બે-ત્રણ છીંક આવતા જ રજા માટે બોસ પાસે દોડી જનારને આ વાત નહીં સમજાય.

સરદાર હોવું એટલે જ્યાં સુધી તમે કન્વીન્સ ન થાવ ત્યાં સુધી કોઇની પણ વાતમાં ન આવવું એ…પછી એ વાત કહેનારનું નામ ભલે મોહનદાસ કરમચંદ ગાંધી કેમ ના હોય…

સરદાર હોવું એટલે કન્વીન્સ થઇ જાવ પછી એક જ ઝાટકે બધું છોડીને યા હોમ કરી કૂદી પડવું એ…

સરદાર હોવું એટલે સત્તાનાં રખેવાળ હોવું એ નહીં પણ સરદાર હોવું એટલે રખેવાળોની સત્તા હોવી એ…

સરદાર હોવું એટલે દેશને એક કરવો એવું જ નહીં પણ સરદાર હોવું એટલે ગાંધીની એક જ ઇચ્છા સામે સત્તાને તુચ્છ ગણી લેવી એ…

સરદારની આ ઉત્તુંગ પ્રતિમા રાજપીપળાની સાધુ ટેકરી પર નથી-એ ભારતનાં નકશામાં છે. આપણે એક વાત ભૂલી જઇએ છીએ. અકબર ધ ગ્રેટ, સિકંદર ધ ગ્રેટ કે મહાનત્તમ ચંદ્રગુપ્ત મૌર્ય-આ બધાંએ પણ 560 રજવાડાંઓ જીત્યા ન્હોતા.
એકલું કલિંગ જીતવા જતા અશોક આખેઆખો નિર્દોષોનાં લોહીથી ખરડાઇ ગયો હતો. 562 રજવાડાંઓ ’જીતી લેનાર’ આ માણસના કફન પર નિર્દોષોનાં લોહીનું એક ટીપું પણ પડ્યું ન્હોતું.

હજારો વર્ષ ના ઇતિહાસ માં અખંડ ભારત નું નિર્માણ કરવામાં ફક્ત ત્રણ જ વિભૂતિઓનું નામ આવશે એ યાદ રાખજો.

1.શ્રીકૃષ્ણ
2.ચાણક્ય અને
3.સમ્રાટોના સમ્રાટ 'સરદાર'


આભાર ને સાભાર
શ્રીમાન સમીરભાઈ પોટા ની fb દીવાલ પરથી...

Tuesday, October 29, 2019

મેરાયું

મેખ મેરાયું




જૂની સંસ્કૃતિમાં આળોટીને ઉછરેલા સૌ કોઈ આ વાતને જાણે છે પણ નવી પેઢીમાં જન્મેલા અને ગામડાના બાળકો માટે ય 'મેરાયુ' શબ્દ સાવ અજાણ્યો છે કાઠિયાવાડમાં એક કહેવત જાણીતી છે ઃ 'લીધું લાકડું ને કીધું મેરાયું.' અર્થાત્ ઃ નાની વાતને મોટું સ્વરૃપ આપવું. વ્યવહારકુશળ બનીને વાતનો ત્વરિત નિર્ણય કરવો - પણ આ મેરાયું એટલે શું ? મોટો સવાલ છે. જૂની સંસ્કૃતિમાં આળોટીને ઉછરેલા સૌ કોઈ આ વાતને જાણે છે પણ નવી પેઢીમાં જન્મેલા અને ગામડાના બાળકો માટે ય 'મેરાયુ' શબ્દ સાવ અજાણ્યો છે. એટલે સૌ પહેલાં આપણે 'મેરાયુ' શબ્દને સમજી લઈએ. ભગવદ્ગોમંડલમાં 'મેરાયુ' શબ્દના અર્થ આ પ્રમાણે આપ્યા છે. ૧. ઉંબાણિયું, હાથે પકડીને ઊંચું રાખેલું કે ધરેલું સળગતું ડફણું. ૨. રમતમાં એકનો દાવ બીજાના ફાયદામાં વપરાય તે. ૩. હાથે પકડીને ઊંચુ રાખેલું છોકરું (મશ્કરીમાં બોલાય છે.) ૪. હુક્કો- વ્યંગમાં બોલાય છે. અહીં મેરાયું કે મેરમેરાયાનો અર્થ દિવાળીની રાતે છોકરાં શેરડીને સાંઠે જે કાકડો કે મશાલ બાંધી દીવો કરે છે તે. મેરાયા પરથી મળતા શબ્દો પણ રસપ્રદ છે. જેમ કે, 'મેરાયો' અર્થાત્ ચાડિયો. ચોર લોકો તેની પારસી બોલીમાં બાતમીદાર જેવો જે માણસ લાગે તેને મેરાયો કહે છે. 'મેરાણી'- મેર સ્ત્રી. કોળી જ્ઞાાતિની એક અટક. 'મેરીઆઇ'- પ્લેગ, કોલેરા શીતળા જેવા રોગની દેવી. આ દેવીને પશુનો ભોગ ધરાવાય છે. મેરીઆઇ માતાનો ભગત- ભૂવો મહાર હોય છે. પોશાકમાં તે તેલ ચોપડેલો લાંબો ઝભ્ભો પહેરે છે, અને તેના પર રંગબેરંગી રૃમાલ બાંધે છે વાળને તે વધવા દે છે, અને તેનો ચોટલો બાંધે છે. હાથમાં તે લીલી બંગડી પહેરે છે. ખભે લાંબો ચાબુક રાખે છે તેને કડક કહે છે. પ્રચાર માધ્યમોની ભરમાર અને પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણને કારણે સાંસ્કૃતિક પરિવર્તનનો પવન ગામડાઓને ધમરોળવા માંડયો છે. લોકજીવન યંત્ર યુગની આંધીમાં ઉડવા માંડયું છે. ગ્રામજીવનમાં ઝડપથી બદલાવ આવવા માંડયો છે. વર્ષો જૂની સંસ્કૃતિમાં શાંતિથી જીવનારી ગ્રામ પ્રજાએ શહેરી સંસ્કૃતિ ભણી આંધળી દોટ મૂકવા માંડી છે. શહેરો ફાટફાટ થવા માંડયા છે. ગામડા ભાંગવા માંડયા છે. આજે ગ્રામપ્રજાના પહેરવેશ, ખાનપાન અને ઘરખોરડામાં પરિવર્તન આવ્યું છે. પોતાને સુધરેલા ગણાવા માટે જૂના રીતરિવાજોને તિલાંજલિ આપવા માંડયા છે. ગામડા કૃષિ આધારિત હોવા છતાં આજે ગામડાંમાંથી સાંતી- ગાડા ગયાં. ઉત્તમ ઓલાદનાં ગાયો, બળદો અને અશ્વો ગયા એની પાછળ પાછળ માનવીના પંડના, પશુઓના અને ઘર ખોરડાંના શણગારો ય ગયા. એ બધાની સાથે ગામડાની કૃષિ અને ગોપપ્રધાન પ્રજા દિવાળીના અવસરે મેરાયું પ્રગટાવીને ઢોરઢાંખરની સુખાકારી ઇચ્છતી એ બધા રિવાજો પણ નામશેષ થઈ ગયા છે ત્યારે મારે વાત કરવી છે પાંચ- સાત દાયકા મોર્યની કૃષિ- સંસ્કૃતિના પ્રતિક સમા મેરમેરાયાની પ્રાચીન પરંપરાની. ગામડામાં આજે ય હોળી પ્રગટાવે ત્યારે એ વર્ષમાં પરણેલા નવદંપતી હોળી માતાના દર્શને જઈ, પાણીની ધારાવળી દઈ નાળિયેર, ખજૂર અને ધાણીચણા હોમી આશીર્વાદ માંગે છે. નવા જન્મેલા દીકરા, દીકરીને પગે લગાડવા લઈ જાય છે એમ એ વરસમાં પરણીને સાસરે આવેલી વહુવારુ દિવાળીના દિવસે શેરડીના કટકાની ઉપરથી ચાર ચાર ચીરી કરી તેમાં નાળિયેરની કાચલી મૂકી મઈ કપાસિયા અને કપડાની વણેલી વાટ મૂકી, તેલ પૂરી મેરાયુ પ્રગટાવે છે અને દીકરીઓ સાથે હાથમાં મેરાયુ લઈ ગાતી ગાતી કુટુંબીઓના ઘેર જાય છે. ''કાગડી માગડી મેર મેરાયુ તેલ પુરાવો.'' કુટુંબની સ્ત્રીઓ નવી પરણેતરના હાથમાં બે પાંચ રૃપિયા મૂકી આશીર્વાદ આપી મેરાયામાં તેલ પૂરે છે. એ વર્ષમાં જન્મેલ દીકરાની માતા પણ દિવાળીના દિવસે મેરાયું પ્રગટાવી ફળિયાના પડોશીઓને ત્યાં જાય છે ને આશીર્વાદ માંગે છે ને મેરાયામાં તેલ પુરાવે છે. કુટુંબીઓ બાળકને આશીર્વાદ સાથે પૈસા આપે છે. આ પરંપરા આજે તો લગભગ નામશેષ થઈ ગઈ છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાની વચ્ચે પાઘડીપને પથરાયેલા ભાલ પંથકના ગામડાઓમાં આજથી પાંચ છ દાયકા પૂર્વે દિવાળીની સંધ્યાએ અમારા આકરુ ગામનો નારણ કુંભાર ચકલાકડી વડે ચાકડાને ચક્કર ચક્કર ફેરવી તેના પર માટીના પિંડ ચડાવી 'મેરાયા' ઉતારવા બેસતો. ગામ આખાના છોકરાઓની કુંભારવાડે લંગર લાગતી અમે માટીનું કાચું મેરાયું હાથમાં લઈ, થોડીવાર વાહરવુ સુકાવા દઈ કપાસના છોડની જાડી સાંઠી લઈને તેના પર લગાડતા. એ મેરાયામાં મારી બા કપાસિયા પૂરતી. કપાસિયાની અંદર કપડાનો તેલવાળો કાકડો મૂકી, તેલ પૂરી મેરાયુ સળગાવી આપતી. અંધારુ થતાં આ પ્રગટાવેલું મેરાયું હાથમાં લઈ તેના અજવાળે કુટુંબના ઘરોમાં તેલ પુરાવવા જતા. પછી વાડામાં, કોઢમાં ને ઢાળિયામાં બાંધેલા ઘરના બળદ, વાછરડા, ગાયો- ભેંસો વગેરે ઢોરઢાંખરને બતાવવા જતા. ઘરના જાનવર મેરાયુ સૂંઘે જુએ ને પછી ડેલીની એક કોર્યની દિવાલે ઊભું મૂકી દેતા. એક એક ખેડૂતના ઘરનો આ રિવાજ. એની પાછળની લોકમાન્યતા એવી છે કે એનાથી ઢોરમાં રોગચાળો આવતો નથી, માલઢોર સાજા નરવાં રહે છે અનરવા થતા નથી. આ પરંપરાનું પગેરુ ભાલપંથક વટાવીને સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતના ખેડૂતોમાં ય જૂના કાળે જોવા મળતું. દિવાળીના સપરમા દિવસે ગામને અને ખેડૂતોને સમૃદ્ધિ આપનાર ગાયો, બળદો અને ભેંસોનું દર્શન કૃષિસંસ્કૃતિમાં શુભ મનાયું છે. આ દિવસોમાં ગાયો, ભેંસો, બળદો અને વણઝારાના પોઠિયાના શિંગડાંને તેલ લગાડવામાં આવે છે. કેટલાક જાનવરોને રંગથી રંગવામાં આવે છે. ગાયોને ગોંદરે ઘાસ ખવડાવવામાં આવે છે. ઘી, દૂધ, દહીં એ શરીરના પોષણ અને આરોગ્ય માટે જરૃરી ચીજો છે. એ આપનાર ગાયો, ભેંસો વગેરેનો તથા ખેતી દ્વારા અઢળક ધાન્ય ઉપજાવનાર બળદોને આ રીતે સત્કારવાનો ભાવ આ રિવાજ પાછળ રહેલો જોઈ શકાય છે. એમાં પરિવારના સભ્યો સમા પાળેલા પશુઓ પ્રત્યે પ્રેમ અને સદ્ભાવ રાખવાનું તથા તેમની રક્ષા અને સંવર્ધન કરવાનું સૂચન સમાયેલું છે. કૃષિ સંસ્કૃતિના અભિન્ન અંગ ગણાતા જાનવરો જોડે મેરાયાંની પરંપરા પ્રાચીન કાળે કેવી રીતે જોડાઈ તેની રસપ્રદ વાત ડાહ્યાભાઈ બ્રહ્મભટ્ટ અને ભુવનેશ્વરી શાસ્ત્રીએ આ રીતે નોંધી છે. પ્રાચીન કાળે ગોપ લોકો ઇન્દ્રની પૂજા કરતા હતા અને ઘી-દૂધમાંથી જાતજાતના પકવાનો બનાવીને ઇન્દ્રને ભોગ ધરાવી અર્પણ કરતા. એકવાર ગોકુળમાં ગોવાળિયાઓ આ પ્રમાણે ઇન્દ્રયજ્ઞા દ્વારા ઇન્દ્રદેવની પૂજા કરી રહ્યા હતા તેમને શ્રી કૃષ્ણએ પૂછ્યું ઃ 'આજે તમે બધા કયા દેવનો ઉત્સવ મનાવી રહ્યા છો ?' ગોવાળિયાઓએ ઉત્તર આપ્યો કે, 'આ મહોત્સવ કોઈ સામાન્ય દેવતાનો નથી. આ તો ઇન્દ્રનો યજ્ઞા છે. આ યજ્ઞાથી પ્રજા સુખી થાય છે.' ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું ઃ 'આ ગોવર્ધન પર્વત જ સર્વ સુખો આપનારો અને આપણું હિત કરનારો છે એથી ઇન્દ્રની પૂજા કરતાં ગોવર્ધનની પૂજા કરવી વધારે યોગ્ય છે.' ગોવાળિયાઓ પૂછવા લાગ્યા કે, 'ગોવર્ધનની પૂજા કરવાથી આપણને શો લાભ મળે ?' ત્યારે કૃષ્ણએ કહ્યું ઃ 'ગોવર્ધન પર્વત આપણી ગાયોને ઘાસ પૂરું પાડે છે. આપણને જરૃરી વસ્તુઓ એમાંથી જ મળે છે. આપણે તળેટીમાં ગોવર્ધનના આશ્રયે રહીએ છીએ માટે એની પૂજા કરવી જોઈએ.' આથી ગોવાળિયાઓએ ઇન્દ્રની પૂજા બંધ કરી ગોવર્ધન પર્વતની પૂજા શરૃ કરી. શ્રી કૃષ્ણે પોતાના આધિદૈવિક સ્વરૃપે ગોવર્ધનમાં પ્રવેશ કર્યો અને વ્રજવાસીઓએ ચડાવેલા બધા પદાર્થોનું ભક્ષણ કર્યું. આ વાત નારદે જઈને ઇન્દ્રને કહી. આ જાણી ઇન્દ્ર ખૂબ જ ક્રોધિત થયા અને પ્રલયકાળ જેવા બારે મેઘોને એક સામટા તૂટી પડવા આજ્ઞાા કરી. 'ઇન્દ્ર કોપ કિયો વ્રજ ઉપર બરસત મૂસલ ધારણ.' એ મુજબ વ્રજની ભૂમિ ઉપર બારે મેઘ ખાંગા થયા ને સાંબેલાધારે વરસાદ વરસાવવા માંડયો. ગોવાળો પોતાની ગાયો અને વાછરડા સાથે ગોવર્ધન પર્વતની જુદી જુદી બખોલો અને ગુફાઓમાં સંતાઈ ગયા. વ્રજની ધરતી જળબંબાકાર બની ગઈ. યમુના નદીમાં ભયંકર પૂર આવ્યું. વ્રજવાસીઓ વ્યાકુળ થઈ ગયા. શ્રીકૃષ્ણ સૌને લઈને ગોવર્ધન પાસે ગયા. તેમણે હાથની છેલ્લી (કનિષ્ઠકા) ટચલી આંગળીથી ગોવાળિયાઓની સહાયથી ગોવર્ધન ઉંચકી લીધો અને તેની નીચે બધા વ્રજવાસીઓએ અને ગાયોએ આશ્રય લીધો. ઇન્દ્ર વરસાદ વરસાવીને થાક્યો. છેવટે તેને માલૂમ પડયું કે શ્રીકૃષ્ણ તો ત્રિલોકીનાથ ભગવાન છે. બારે ય મેઘોને પાછા ખેંચી લઈ ઇન્દ્ર ભગવાનના શરણે આવ્યા અને પોતાના અપરાધની ક્ષમા માંગી. વરસાદ બંધ પડયો. આકાશમાંથી વાદળો વેરાવા માંડયા. ધીમે ધીમે પાણી બધું ઉતરી ગયું. કહેવાય છે કે આ દિવસ આસો વદી અમાવસ્યાનો એટલે દિવાળીનો હતો. સાંજના સઘળું પાણી ઉતરી ગયું હોવાથી તે રાત્રિએ બધા ગોપ બાળો જુદી જુદી જગ્યાએ સંતાયેલા ગોવાળોને શોધી કાઢવા ઉત્સુક બન્યા. શ્રી કૃષ્ણે તેમને પર્વત પર ઉગેલા વૃક્ષોમાંથી દોઢ બે હાથ લાંબા દંડા કાપી લાવવા કહ્યું એના છેડા પર ચાર ચીરા પાડી તેમાં ઘીથી પલાળેલા ચીંથરા અને રૃના કાકડા નાંખીને સળગાવ્યા. આમ લીલા લાકડામાંથી કામચલાઉ મશાલો બનાવી આ સળગતી મશાલો હાથમાં લઈને તેના અજવાળે બધા ગોપગ્વાલો એક ગુફામાંથી બીજી ગુફામાં ગોવાળોના કુટુંબોને શોધતા ફરવા લાગ્યા. દરેક જગ્યાએ જઈને ત્યાંના માણસોને પૂછતાં કે ઃ ગાવડી માવડી મેળ મેળૈયા ? અર્થાત્ ઃ તમારી ગાય માતાઓનો મેળ મળી ગયો ? પશુઓ હેમખેમ છે ને ? ખૂંટતા કરતા તો નથી ને ? પેલા ગોવાળો ને ગોપિકાઓ બરાબર મેળ મળી ગયો છે એમ બોલી તેમની મશાલોમાં ઘી પૂરતા. મશાલચીઓ ત્યાંથી બીજી ગુફામાં જતા. આમ બધે ફરી વળ્યા. સૌ ગોવાળોને આશ્વાસન મળ્યું. પછી બીજે દિવસે બેસતા વર્ષના દિવસે સૌએ નવા અન્નમાંથી જુદી જુદી વાનગીઓ બનાવી નવા વરસનો ઉત્સવ ઉજવ્યો. કહેવાય છે કે ત્યારથી આપણે ત્યાં દિવાળીની રાત્રે નાના બાળકો 'મેરમેરૈયા' લઈ દરેક મહોલ્લામાં ઘેર ઘેર ફરે છે. 'ગાવડી માવડી મેરમેરૈયા ?' એ વાક્યના અપભ્રંશરૃપે 'કાગડી માગડી મેરમેરૈયા ?' અથવા તો 'કાગડી માગડી તેલ પુરાવો' એમ બોલે છે. જૂના કાળે કાઠિયાવાડના ખેડૂતો પોતાની વાડીઓમાં થતી શેરડીના સાંઠાના ડંડા બનાવી ઉપરથી ચાર ચીરા કરી નાળિયેરની કાછલીમાં કપાસિયા, રૃ અને તેલ નાખી મેરાયું બનાવતા બહેનો અને દીકરીઓ તેને કુટુંબમાં અને ગામમાં ઘી તેલ પુરાવવા નીકળતી. ગોપ અને કૃષિ જીવનની આ પરંપરાનો સંબંધ આપણા પુરાણો આમ શ્રીકૃષ્ણની સાથે સાંકળે છે એટલે મેરાયાની પરંપરા ૫ હજાર વર્ષ પુરાણી હોવાનું કહેવાય છે. આટલાં વર્ષો પૂર્વે શ્રીકૃષ્ણ ગોકુળ, મથુરા અને વૃંદાવન છોડી, ગાયો, ગોપ, ગોવાળો અને ત્યાંના લોકસમૂહ સાથે સૌરાષ્ટ્રમાં આવ્યા. અહીં ગોપ સંસ્કૃતિનો ઉદય થયો. કૃષિ અને ગોપ સંસ્કૃતિએ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છને અનેક ઉત્સવો, તહેવારો, પર્વો, મેળા, રાસ, રાસડા અને ગરબાની રૃડી ભેટ આપી. શ્રીકૃષ્ણના ધામમાં ગયા પછી સૌરાષ્ટ્રની ધરતી પર આવી પરંપરાઓ ચાલુ રહી. કેટલીક કાળના પ્રવાહમાં ુલુપ્ત થઈ ગઈ અને કેટલીક અવશેષરૃપે ટકી રહી છે. તેમાં રાત્રિના ગાઢ અંધકારમાં અજવાળું પાથરતા મેરાયાનો પણ સમાવેશ થાય છે. અસ્તુ..
સરમન રામ.. ની વોલ પર થી😀😀😀

શ્રીકૃષ્ણ અને પ્રભાસ પાટણ ભાલકા તીર્થ

#શ્રીકૃષ્ણની_નિર્વાણ_ભૂમિ_ભાલકા_તિર્થ_માં.

બાપા તો ભાગ્યશાળી થૈ ગ્યા કે ભાભા મોત માં ખાટી ગ્યા આવું કયારેક તો આપણે બોલ્યા કે સાંભળેલ હશે જ પણ મોતના સમયે કૃષ્ણની કરૂણતાનો અંદાઝ ખરો ?
અંતિમ સમયે પરિવારનું કોઇ નજર સામે ન હોય, પરિવારમાં થી કોઇના હાથનું પાણી પીવા ન પામે કેમ કે દ્વારીકા થી જેટલા યદુવંશીઓ સાથે આવેલ એ બધા જ યાદવાસ્થળીના ખપ્પર માં હોમાઇ ચુકેલ એટલે કૃષ્ણની અંતિમ ક્રિયા પણ રડતા હ્રદયે અર્જુને એકલા હાથે જ કરવી પડેલ.😭😭

જેનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો એ
દ્વારિકાથી નીકળેલી ધ્વજ યાત્રા પ્રભાસ પાટણ પહોંચી
હજારો વાહનો જોડાયેલ
લાખો કૃષ્ણ ભક્તોના હર્ષોલ્લાસ સાથે કૃષ્ણની નિર્વાણભૂમિ ભાલકા તીર્થમાં ધ્વજારોહણ અને સુવર્ણ કળશની સ્થાપના થઇ ત્યારે હું સામેલ થઇ શક્યો હોત પણ નહોતો થયો કેમકે

મારે કૃષ્ણને મળવું હતું જરાક એકાંતે
થોડીક નિરાંતે

જેમના ચહેરાને આપણે સદાય સસ્મિત નિહાળ્યો છે એ મીઠડા કૃષ્ણ ના અંતઃકરણ માં ઉછળતા વિષાદના ઘૂઘવતા દરિયાના વિરાટ મોજાઓ ની ખારાશ ને અનુભવવી હતી .

આમ તો એ પુરૂષોત્તમ
પણ
પગ વાળીને બેઠો નહી કદી
દોડતો રહ્યો જિંદગી આખી
મથુરાની જેલ થી
ગોકુલ
વૃંદા'વન'
ક્યારેક રાસ માં તો ક્યારેક રણમેદાનમાં
પર્વતો
મુચકન્દ ની ગુફાઓ ...
કૌરવોની અઢાર અક્ષોણી ને હરાવનાર 'રણ'છોડ બન્યો
સુવર્ણ ની દ્વારિકામાં સુખ હશે
પણ
શાંતિ નહોતી
થાકી ગયો નાથ
અને અંતે
પ્રભાસ પાટણમાં પોઢી ગયો .
😭😭😭😭

૧૨૫ વરસના આયુષ્યમાં થી
મથુરામાં જન્મી ને ગોકુલ માં સવા દાયકો વિતાવ્યો
નંદ યશોદા ને અન્ય વ્રજવાસીઓ ને છોડી ને કૃષ્ણ મથુરા ગયા
વ્રજ માં પાછા ન આવ્યા કેમ કે તેનું અવતાર કાર્ય વ્રજ પુરતું સીમિત નહોતું
મથુરામાં કંસ પછી પોતે રાજા બની શક્યા હોત પણ એમનું અવતાર કાર્ય વ્રજ મથુરા પુરતું સીમિત નહોતું
ગોકુલ માં અનેક અસુરો ને મારનાર પોતે જરાસંઘને મારી ને મથુરામાં સ્થાયી થઇ શક્યા હોત
કુરુક્ષેત્ર નાં યુદ્ધને જીતાડનાર રણછોડ ને બદલે રણજીત બની શક્યા હોત પણ અવતાર કાર્ય સીમિત નહોતું
રાસલીલા દાણલીલા વ્રજલીલા અને વ્રજવાસીઓના વિયોગના પડો રચનારા વ્રજ વાસીઓની પીડા ને તો વાચા આપે છે પણ કૃષ્ણની પીડાનું શું ?
રામ કે કૃષ્ણના જીવનની અમુક ઘટનાઓ ને કેન્દ્રમાં રાખીને સવાલ ઉઠાવનારાઓ ની વાતમાં તથ્ય છે પણ સત્ય તો સળંગ અને અનંત હોય તથ્ય ની આગળ પાછળના તથ્યો સાથે ય સંલગ્ન હોય જેમ દૂરબીન ની મર્યાદા હોય એમ દૃષ્ટિકોણ અને સમજણની ય મર્યાદા હોવાની જ
जिस विभूति के जीवन का सत्य हमारी समज से बाहर होता हे उन के जीवन के कुछ तथ्यों को लोग पकड़ लेते हे और फिर उन तथ्यों के आधार पर या तो पूजा शुरू कर देते हे या फिर निंदा
या तो फूल बरसाते हे या फिर पथ्थर
याद रहे दोनों ही अस्वस्थ हे क्यों की दोनों सत्य को समझने की वजाय तथ्यों पर अटक गए हे
🙏🙏🙏🙏🙏

આભાર...
KHIMANAND RAM ની fb દીવાલ પરથી.....

Thursday, October 24, 2019

દિવાળી અને નુતન વર્ષની હાર્દિક શુભકામનાઓ

તાણી-તાણીને તાણે તોય...
એક સાંધે ને તેર તુટે એવી...
💵 ધન તેરસ 💵

ખીસ્સા હોય ખાલી, એટલે...
પરિવારના મોંઢા ય હોય કાળા....
એવી...
કાળી ચૌદસ

પરિવારને ખુશ રાખવા...
દેવું કરીને ય ઉજવવી પડે...
એવી....
💥 દિવાળી 💥

લોકોની વાહીયાત શુભેચ્છાઓ સાંભળી....
ખોટો-ખોટો બતાવવો પડે હર્ષ...
એવુ...
🎉 નુતન વર્ષ 🎉

જીવનમાં ક્યારેય જે
ન રાખે ખીજ
એવા સંબંધની
આવે...
👩‍👦 ભાઈ બીજ 👩‍👦

થશો બીમાર જો...
ખાશો વધેલી ચીજ...
એવી હશે...
ત્રીજ

હીસાબ કરી-કરીને....
નીકળી જશે તમારો થોથ
એવી હશે..
ચોથ
આ વર્ષે ભેગુ કરી લઈશું..
એમ વિચારી ફરી એ જ દોડ-ધામ, એ જ કામ, એ જ થાક..
ક્યારેક તો થશે લાભ
એવી આશા સાથે
🎁 લાભ પાંચમ 🎁

એક મધ્યમ વર્ગી માણસની દિવાળી અને નુતન વર્ષની હાર્દિક શુભકામનાઓ

Saturday, October 19, 2019

સંઘર્ષ થી સફળતા : જોની લીવર

એક યુવાને ઝૂંપડપટ્ટીની કડવી વાસ્તવિકતાનો સામનો કરીને અકલ્પ્ય સફળતા મેળવી

ધીરજ અને પ્રતિભા હોય તો વિકટ સંજોગોમાં પણ સફળતા મળે

સુખનો પાસવર્ડ
આશુ પટેલ

૧૪ ઑગસ્ટ, ૧૯૫૭ના દિવસે આન્ધ્ર પ્રદેશના પ્રકાશમમાં રહેતા એક અત્યંત ગરીબ કુટુંબમાં એક છોકરાનો જન્મ થયો. તે છોકરાના જન્મ પછી તેનું કુટુંબ રોજીરોટીની તલાશમા મુંબઈ આવ્યું. એ કુટુંબની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ હતી એટલે મુંબઈની ગીચ ઝૂંપડપટ્ટીમાં રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ એ કુટુંબ પાસે નહોતો.

એ ગરીબ કુટુંબમાં જન્મેલા છોકરાનું નામ જોન પડાયું હતું. એનું પૂરું નામ જોન પ્રકાશ રાવ જનુમાલા હતું. તે છોકરો મોટો થયો એટલે માતાપિતાએ તેને મુંબઈની આંધ્ર તેલુગુ શાળામાં દાખલ કર્યો. તે માત્ર સાત ધોરણ સુધી જ ભણી શક્યો. કુટુંબની સ્થિતિને કારણે તેણે અભ્યાસ છોડીને પેન અને બીજી વસ્તુઓ વેચવાનું કામ શરૂ કરી દેવું પડ્યું. જો કે એનાથી તેના કુટુંબનું દળદર ફીટે એમ નહોતું.

એ દિવસોમાં મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહેતા એ છોકરાના એક પાડોશીને ત્યા ટીવી હતું. તે છોકરો મોકો મળે ત્યારે પાડોશીને ત્યાં ટીવી જોવા જતો રહેતો. ટીવી પર હિન્દી ફિલ્મ્સમાં મહેમૂદ અને જોની વોકર જેવા કોમેડિયનને જોઈને તે એમની મિમિક્રી કરવા લાગ્યો. તેની મિમિક્રીથી પાડોશીઓનું મનોરંજન થતું હતું.

સંઘર્ષના દિવસોમાં તે છોકરો જે કામ મળે એ કરવા તૈયાર રહેતો હતો. જો કે વધુ પૈસા મળે એવા કામ માટે સતત કોશિશ કરતો એ છોકરો યુવાન થયો ત્યારે તેને હિન્દુસ્તાન લીવર કંપનીમાં નોકરી મળી અને તેના ઘરમાં પ્રમાણમાં સારી કહેવાય એવી આવક શરૂ થઈ. એ કંપનીમાં તે લંચ અવર્સમાં કે કર્મચારીઓના કાર્યક્રમમાં મિમિક્રી કરીને સહકર્મચારીઓને હસાવતો રહેતો હતો.

ધીમે ધીમે તે યુવાન કોમેડીના નાના-નાના કાર્યક્રમો કરતો થઈ ગયો. એ દરમિયાન તે એક વાર વિખ્યાત સંગીતકાર ભાઈઓ કલ્યાણજી-આણંદજીના ધ્યાનમાં આવ્યો. તેમણે તેને સ્ટેજ શોમાં કોમેડીની તક આપી અને થોડા સમયમાં તે યુવાન કોમેડિયન તરીકે છવાઈ ગયો. તેની પ્રતિભાને કારણે તેના સંઘર્ષનો અંત આવી ગયો.

તે યુવાન એટલે વિખ્યાત કોમેડિયન જોની લીવર. જેણે ૪૦૦ જેટલી ફિલ્મ્સમાં અભિનય કર્યો. તે હિન્દુસ્તાન લીવરમાં નોકરી કરતો હતો ત્યારે તેના સાથી કર્મચારીઓએ તેનું નામ જોન જાનુમાલામાંથી બદલીને જોની લીવર કરી નાખ્યું હતું.

ઘણા માણસો સંઘર્ષ દરમિયાન હિંમત હારી જતા હોય છે એવા માણસોએ જોની લીવર જેવી વ્યક્તિઓના સંઘર્ષ વિષે જાણવું જોઈએ. જોની લીવર એ વાતનો પુરાવો છે કે માણસમાં ધીરજ અને પ્રતિભા હોય તો તે કોઈ પણ મુશ્કેલ સંજોગોનો સામનો કરીને સફળતા મેળવી શકે છે.

Aashu Patel's Friends Group Bhumika Pravinbhai Rohan Milankumar Ranjan Khushali

image courtesy: indiatimes.

Tuesday, October 15, 2019

સફળતાના શિખરે :- શ્રધ્ધા ડાંગર

divyabhaskar.com એ ગુજરાતી સિનેમાની લોકપ્રિય અભિનેત્રીઓની અનોખી મુલાકાત શ્રેણી ‘હું, તમે ને સેલિબ્રિટી’ નામનો શો શરૂ કર્યો છે, જેના પાંચમા એપિસોડમાં ગુજરાતી એક્ટ્રેસ શ્રધ્ધા ડાંગર સાથે ખાસ મુલાકાત કરી હતી. શ્રદ્ધાએ ક્યારેય એવું પ્લાનિંગ નહોતું કર્યું કે તે ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં કામ કરશે. અલબત્ત, શ્રદ્ધા સ્કૂલ તથા કોલેજમાં ડ્રામા તથા ડાન્સ સ્પર્ધામાં અચૂકથી ભાગ લેતી હતી. ‘હેલ્લારો’ને બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત ફિલ્મને સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ પણ મળ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ કચ્છમાં કરવામાં 32 દિવસ સુધી કરવામાં આવ્યું હતું. શૂટિંગ દરમિયાન એક્ટ્રેસિસને પગમાં છાલાં પણ પડી ગયા હતાં અને ઘણીવાર તો ચક્કર ખાઈને પડી પણ ગયા હતાં.

divyabhaskar.com સાથે શ્રદ્ધા ડાંગરની ખાસ વાતચીત

રાજકોટમાં જન્મેલી શ્રધ્ધાને અચાનક એક્ટ્રેસ બનવાનો વિચાર કેવી રીતે આવ્યો?


પહેલેથી એક્ટ્રેસ બનવાનું પ્લાનિંગ કર્યું નહોતું. તે સમયે ઈન્ડસ્ટ્રી એટલી ગ્રો થઈ નહોતી અને એટલી માહિતી પણ શહેરોમાં ઉપલબ્ધ નહોતી. હા, નાનપણમાં સ્કૂલમાં જેટલી પણ એક્ટિવિટી કરાવે તેમાં ભાગ લેતી હતી. ડ્રામા તથા ડાન્સમાં હું અચૂકથી ભાગ લેતી. એન્જિનિયરિંગ પૂર્ણ થયા બાદ રાજકોટમાં એક ફિલ્મ માટે ઓડિશન હતું. મારી મમ્મીએ મને આ ઓડિશનમાં ભાગ લેવા માટે આગ્રહ કર્યો હતો. જોકે, મેં મારી મમ્મીને એમ કહીને ના પાડી હતી કે મેં કોઈ ટ્રેનિંગ લીધી નથી, કોઈ વર્કશોપ નથી કરી, થિયેટર નથી કર્યાં. મમ્મીના અતિઆગ્રહને વશ થઈને મેં ઓડિશન આપ્યું હતું. જોકે, આ ઓડિશન એટલું સારું નહોતું રહ્યું. તેમ છતાંય એક કેરેક્ટર માટે હું સિલેક્ટ થઈ ગઈ હતી. નવાઈની વાત છે કે ઓડિશનના 10 મિનિટ પહેલાં જ મારી મમ્મીએ મને ઓડિશન માટે જવાનું કહ્યું હતું. મારી મમ્મીને 10 મિનિટ પહેલાં જ કોઈકનો મેસજ આવ્યો હતો. ઓડિશન માટે મેં તો ખાસ કોઈ તૈયારી પણ કરી નહોતી. આ ફિલ્મ મને મળી અને એક જ દિવસ માટે મેં શૂટિંગ પણ કર્યું હતું. નાનપણથી મને સ્ટેજને લઈ કોઈ ડર નહોતો. કોલેજ દરમિયાન હું ડ્રામા, કથ્થક તથા ફેશન શોમાં ભાગ લેતી હતી. મને આ ફિલ્ડ વિશે કોઈ જ માહિતી નહોતી. મને સ્કૂલ તથા કોલેજમાં જ્યારે પણ ડાન્સ કે ડ્રામાની તક મળતી એટલે તરત જ તેમાં કામ કરતી હતી. જોકે, મને આગળ શું કરવાનું છે, તેને લઈ કંઈ જ ખબર નહોતી. હું બસ ફ્લો સાથે જ આગળ-આગળ વધતી ગઈ.

એક્ટિંગ સ્કિલ્સ કેવી રીતે કેળવી?

પહેલી ફિલ્મમાં એક દિવસ કામ કરવાનો અનુભવ સારો રહ્યો. આ એક દિવસમાં કેમેરા કેવી રીતે ફેસ કરવો તે ખ્યાલ આવી ગયો. આ ફિલ્મ બાદ મને દર્શન રાવલનું આલ્બમ સોંગ ‘સારી કી સારી’ મળ્યું હતું. આલ્બમ સોંગમાં સંવાદો ના હોય પરંતુ ત્યાં તમારે ફીલ કરવાનું હોય છે. આ બાદ મેં બીજા બે આલ્બમ સોંગ કર્યાં હતાં. ત્યારબાદ ‘પપ્પા તમને નહીં સમજાય’ માટે ઓડિશન આપ્યું હતું.

‘પપ્પા તમને નહીં સમજાય’નું ઓડિશન કેવી રીતે આપ્યું?

અભિષેક શાહના ફેસબુક પેજમાં આ અંગે માહિતી હતી. આ ઉપરાંત અભિષેક શાહના આસિસ્ટન્ટનો મને મેસેજ પણ આવ્યો હતો. ઓડિશન જ્યાં ચાલતા હતાં, ત્યાં જ હું હતી. તો મેં ઓડિશન આપ્યાં હતાં, ઓડિશન આપ્યા એ જ દિવસે મને સિલેક્ટ થઈ ગયાનો ફોન પણ આવ્યો હતો. આ ફિલ્મમાં હું લીડ હતી પરંતુ આખી ફિલ્મ પિતા તથા પુત્ર પર ફોકસ હતી.

‘પપ્પા તમને નહીં સમજાય’ના શૂટિંગ દરમિયાન કેવો અનુભવ રહ્યો?

આ ફિલ્મના શૂટિંગમાં હું પહેલી જ વાર આટલા સીનિયર્સ કલાકારો કેતકી દવે તથા મનોજ જોષી સાથે કામ કરી રહી હતી. આટલાં મોટા કલાકારો સાથે કામ કરવાનો મનમાં ડર હોય. એ લોકોમાંથી ઘણું શીખવા મળ્યું. ભવ્ય ગાંધી પણ આમ તો મારો સીનિયર કહેવાય, કારણ કે તે નાનપણથી એક્ટિંગ કરે છે. જોકે, આ ફિલ્મ અમારા બંનેની ડેબ્યૂ ફિલ્મ હતી.

‘મચ્છુ’ કેવી રીતે મળી?

‘મચ્છુ’ માટે મારું નામ કોઈકે સજેસ્ટ કર્યું હતું. મેં લુક ટેસ્ટ તથા ઓડિશન બંને આપ્યાં હતાં. આ ફિલ્મની સ્ટોરી જ્યારે મને નરેટ કરવામાં આવી ત્યારે જ મને ગમી ગઈ હતી. આવા સબ્જેક્ટ પર ફિલ્મ બનાવવી એ સારી વાત છે. આ ફિલ્મમાં જોખમ પણ રહેલું છે. આ રીતની ઘટના પરથી પહેલી જ વાર ફિલ્મ બનાવવામાં આવી છે અને આ સહેજ પણ સરળ નહોતું. આ ફિલ્મમાં કોઈ નોર્મલ કેરેક્ટર નથી. આ ફિલ્મમાં મેં સ્ટંટ પણ કર્યાં છે. એક એક્ટ્રેસ તરીકે મને ઘણું બધું અલગ કરવા મળ્યું હતું. હાલોલ, મોરબી, અમદાવાદ, ગાંધીનગરમાં અમે શૂટિંગ કર્યું. શૂટિંગ ઘણું જ પડકારજનક રહ્યું હતું.

‘હેલ્લારો’ કેવી રીતે મળી?

‘મચ્છુ’ લાંબા સમય સુધી ચાલી. પછી ગયા વર્ષે જાન્યુઆરીમાં ‘હેલ્લારો’ના ઓપન ઓડિશન અભિષેક શાહની ઓફિસમાં હતાં. જ્યારે હું પહેલી જ વાર ‘હેલ્લારો’ના ઓડિશન માટે ગઈ ત્યારે જ મનમાં હતું કે કંઈક સારું થઈ રહ્યું છે અને કંઈક મોટું થવાનું છે. ઓડિશન પણ સારા થયા હતાં. ઓડિશન દરમિયાન અમને ફિલ્મની વાર્તા કે કેરેક્ટર અંગે કોઈ જાતની માહિતી નહોતી. પહેલું ઓડિશન આ ફિલ્મની વાર્તાની સમાન કોઈ વાર્તા હતી અને તેને લઈ ઓડિશન આપ્યું હતું. પછી બીજીવાર ઓડિશન માટે ફોન આવ્યો હતો. આ રીતે મેં ચારથી પાંચવાર ઓડિશન આપ્યાં હતાં, જેમાં ગરબા, સંવાદો, લુક ટેસ્ટ અને નાનકડો ઈન્ટરવ્યૂ પણ આપ્યો હતો. પાંચ-પાંચ વાર ઓડિશન આપવાની આખી પ્રક્રિયાથી હું ઘણી જ ખુશ હતી, કારણ કે કોઈ ફિલ્મમાં આટલું ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને સ્ટેપ બાય સ્ટેપ આટલા સારા લેવલ પર ઓડિશન થઈ રહ્યાં છે.

કેટલા દિવસ બાદ તમને કોલ આવ્યો કે ‘હેલ્લારો’ માટે સિલેક્ટ થયા છો?

‘હેલ્લારો’ને લઈ પાંચમું ઓડિશન આપ્યું એના 20-25 દિવસ બાદ મને આ ફિલ્મ મળી તેવો કોલ આવ્યો હતો. આ ફિલ્મમાં મેં મંજરીનું પાત્ર ભજવ્યું છે. અભિષેકસરે ફિલ્મની તમામ એક્ટ્રેસિસને બોલાવીને ફિલ્મમાં તેમના કેરેક્ટર તથા ફિલ્મની વાર્તા અંગે ડિટેલ્સ આપી હતી. મંજરી વિશે જાણ્યા બાદ મને લાગ્યું કે મારે જીવનમાં આવું જ કોઈ પાત્ર ભજવવું હતું. એ કેરેક્ટર મને મળી ગયું હતું. જોકે, આ ઘણું જ પડકારજનક હતું. આ રીતનું મેં આજ પહેલાં ક્યારેય કર્યું નહોતું. સ્મિતા પાટિલ જે કરી શકે છે, તે રીતની ભૂમિકા હતી. આ ફિલ્મને લઈ મનમાં ડર પણ હતો.

મંજરીના પાત્ર માટે કેવી રીતે તૈયારી કરી?

આ ફિલ્મને લઈ બેથી ત્રણ વર્કશોપ કરી હતી, જેમાં સંવાદો, લેંગ્વેજ, કચ્છી સ્ત્રીઓ પાણી ભરવા જાય ત્યારે માથે જે રીતે બેડા મૂકે તે પણ વર્કશોપમાં શીખવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગરબાની પણ વર્કશોપ હતી. પાંચ દિવસ અમને કચ્છમાં લઈ જવામાં આવ્યા હતાં, જેથી અમે ત્યાં લોકોને, ત્યાંની સંસ્કૃતિને જોઈ શકીએ અને સમજી શકીએ. સ્થાનિક લોકોની બૉડી લેંગ્વેજ, મેન્ટાલિટીને સમજીએ.

કચ્છમાં શૂટિંગ કરવાનો અનુભવ કેવો રહ્યો?

માર્ચમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું હતું અને 32 દિવસ સળંગ આ શૂટિંગ ચાલ્યું હતું. આ સમયે કચ્છમાં 45 ડિગ્રી ગરમી હતી. અમે મોટાભાગનું શૂટિંગ રણમાં જ કર્યું હતું. બધી એક્ટ્રેસિસનું શૂટિંગ દિવસના જ હતું. 45 ડિગ્રીમાં અમે ચંપલ પહેર્યાં વગર ગરબા રમ્યાં હતાં. ફિલ્મમાં 1975ની ઘટનાની વાત છે, એટલે તે સમયે સ્ત્રીઓ ચંપલનો ઉપયોગ બહુ કરતી નહોતી. એટલે અમે પણ ચંપલ પહેર્યાં નહોતાં. માથે બેડા લઈને જવાના હોય તો પણ અમે ચંપલ વગર જ શૂટિંગ કરતાં. પગમાં ફોલ્લાં-છાલા પડ્યાં હતાં. વારંવાર ડિહાઈડ્રેડ પણ થઈ જવાતું. રાત્રે અઢી વાગે અમારો કોલ ટાઈમ રહેતો. ત્રણથી છમાં તમામ એક્ટ્રેસનો મેક-અપ કરવામાં આવતો. હેવી એસેસરીઝને કારણે વજન પણ ખાસ્સું રહેતું. છૂંદણાં પણ તમામ એક્ટ્રેસિસને રોજ કરવામાં આવતા હતાં. શૂટિંગ સવારના છથી એક વાગ્યા સુધી કરતાં હતાં. ત્યારબાદ એક કલાકનો લંચ બ્રેક પડતો. પછી ત્રણથી છ પાછું શૂટિંગ કરતાં. સાતથી સાડા નવ સુધી બીજા દિવસનું રિહર્સલ કરતાં અને પછી જમતા ને એમ કરતાં રાતના અગિયાર જેવા વાગી જતાં. રાતના અઢી વાગે તો અમારે ઊઠી જવાનું રહેતું. વર્કશોપ દરમિયાન અમારો લુક નક્કી થયો હતો. કચ્છમાં કાસ્ટ પ્રમાણે, અલગ-અલગ કપડાં છે. ફિલ્માં કોઈ જ જાતિની વાત કરવામાં આવી નથી. તો અમારા માટે આ મુશ્કેલી હતી. અમારા ડિઝાઈનરે કચ્છમાં ઘણું જ રિસર્સ કર્યું હતું. ત્યાં કઈ કમ્યુનિટીના લોકો કેવાં કપડાં પહેરે છે, તે જાણ્યું. પછી એમણે એ રીતે મિક્સ-મેચ કર્યું કે જેથી એ કપડાંને લઈ કોઈ પણ વ્યક્તિ જાતિ કે કાસ્ટ નક્કી ના કરી શકે. આ ફિલ્મમાં કોઈ ગ્લેમર બતાવવામાં આવ્યું નથી. રણની બ્યૂટી તથા ત્યાંની સ્ત્રીઓની બ્યૂટી બતાવવામાં આવી છે.


રણમાં શૂટિંગ કરવું કેટલું પડકારજનક હતું?

અમને શરૂઆતમાં જ ખ્યાલ હતો કે ફિલ્મનું શૂટિંગ રણમાં કરવાનું છે અને તે પડકારજનક છે. જોકે, બે દિવસમાં જ આંખમાંથી પાણી આવી ગયા હતાં કે બાકીના દિવસો કેમના જશે. ઘણીવાર ગરમીને કારણે સેટ પર પડી ગયા હોઈએ, ચક્કર આવ્યા હતાં. આટલી બધી એક્ટ્રેસિસ હોવા છતાંય અમારી વચ્ચે કોઈ ઝઘડાં થયા નહોતાં. શૂટિંગ દરમિયાન કોઈ છત્રી કે ટેન્ટ નહોતા, કારણ કે 360 ડિગ્રી શૂટ થતું હતું.

સેટ અને હોટલ વચ્ચે કેટલું અંતર હતું?

રણમાં કાળો ડુંગર છે, ત્યાં શૂટિંગ કરવાનું નક્કી કર્યું હતું. ઈલેક્ટ્રિસિટીનો થાંભલો કે તાર એવું કંઈ જ બતાવવાનું નહોતું. કચ્છમાં આ જ જગ્યા યોગ્ય હતી. ત્યાં આજુબાજુ કોઈ ગામ કે હોટલ નથી. આ ફિલ્મ માટે આખું ગામમાં બનાવવામાં આવ્યું છે. જ્યારે ગામ બનતું અને ભૂંગા બનાવવામાં આવતા ત્યારે અમને સેટ પર લઈ જવામાં આવ્યા હતાં. જ્યારે મને કહેવામાં આવ્યું કે પેલું ઝૂંપડું મંજરીનું છે, તો મેં જાતે ત્યાં લીંપણ પણ કરેલું છે. ત્યારથી જ આ ફિલ્મ સાથે ખાસ કનેક્શન જોડાઈ ગયું હતું. ભુજથી આ જગ્યા 90 કિમી દૂર છે. એટલે રોજ ભુજથી ટ્રાવેલ કરવું મુશ્કેલ હતું. આથી શૂટિંગમાં જે ગામ બતાવવામાં આવ્યું છે, ત્યાંથી 12 કિમીના અંતરે ગર્વમેન્ટનો રિસોર્ટ છે. ત્યાં અમે રોકાયા હતાં. જોકે, આ રિસોર્ટમાં ઘણી બધી તકલીફ પડી હતી. ઘણીવાર પાણી ના હોય, વીજળી ના હોય, રહેવા માટે જગ્યા ઓછી હોય. ઘણીવાર અમે એક રૂમમાં ચારથી પાંચ એક્ટ્રેસિસ રહેતાં અને એક્ટર તો સાત જેટલાં એક જ રૂમમાં રહેતા હતાં. પ્રોડક્શન ટીમ, એડી (આસિસટન્ટ ડિરેક્ટર) ટીમ એ બધા લોકોને સૂવા પણ મળતું નહીં. તેઓ એક રૂમમાં 10 જેટલાં લોકો રહેતા હતાં. એકવાર શૂટિંગમાં કમૌસમી વરસાદ આવી ગયો હતો. અમે જે ગર્વમેન્ટ રિસોર્ટમાં રોકાયા હતાં, ત્યાં ગરબાના રિહર્સલ માટે માંડવા નાખ્યા હતાં. વરસાદ દરમિયાન એટલો પવન હતો કે માંડવા ઉડી ગયા હતાં. અમે બધા ટેન્શનમાં આવી ગયા હતાં કે અહીંથી 12 કિમી દૂર આવેલા સેટ પર જો કંઈ થયું હશે તો બીજા દિવસે શૂટિંગ શક્ય બનશે નહીં. અમે બધાએ સેટ બચી જાય તે માટે પ્રાર્થના પણ કરી હતી. પ્રોડક્શનની ટીમ સેટ પર ગઈ હતી કે ત્યાં સ્થિતિ શું છે. જોકે, ત્યાં બિલકુલ વરસાદ પડ્યો નહોતો.

ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો છે, તેની જાણ કેવી રીતે થઈ?

ફિલ્મ કરતાં હતાં ત્યારે દરેકના મનમાં એવું હતું કે આ ફિલ્મને કોઈક એવોર્ડ મળશે. જોકે, બધી જ ફિલ્મમાંથી બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળશે, તે કલ્પના બહારનું હતું. સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ પણ કલ્પના બહારનો હતો. જ્યારે રિઝલ્ટ ડિકલેર થવાનું હતું ત્યારે મને ખ્યાલ નહોતો. હું મારા ડબિંગમાં વ્યસ્ત હતી. પછી મેં ફોન જોયો હતો બહુ બધા મિસ કોલ હતાં. અમારી ટીમના જ એક સભ્યનો ફોન આવ્યો કે ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો છે. જોકે, તે સમયે મને ખ્યાલ નહોતો કે આ રીતે બે નેશનલ એવોર્ડ મળ્યાં છે. ત્યારબાદ ઓફિસ બધા ભેગા થયા અને સેલિબ્રેશન કર્યું હતું. ત્યારે થયું કે મહેનત રંગ લાવી.

પેરેન્ટ્સનું રિએક્શન કેવું હતું?

હું અમદાવાદમાં હતી અને પેરેન્ટ્સ રાજકોટમાં હતાં. પેરેન્ટ્સ માટે આ ક્ષણ ગર્વની હતી.

આગામી પ્રોજેક્ટ્સ કયા છે?

મેં એવું કંઈ નક્કી કરીને રાખ્યું નથી. થિયેટર, ફિલ્મ, સિરિયલ કોઈ પણ ઓફર મળશે, તે કરીશ. કોઈ પણ ભાષાની ફિલ્મમાં કામ કરવા તૈયાર છું અને અમદાવાદ કે મુંબઈ શિફ્ટ થવામાં પણ વાંધો નથી.

નેશનલ એવોર્ડ મળ્યાં બાદ એમ લાગે છે કે નેકસ્ટ ફિલ્મમાં તમારી પાસેથી દર્શકોની અપેક્ષા વધી જશે?

લોકોનો પ્રેમ હોય છે. આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો છે. દર્શકોની આશા વધી જતી હોય છે. આ રીતની ફિલ્મ આવી છે તો હવે બીજી ફિલ્મમાં કંઈક સારું કર્યું હશે. જોકે, પ્રેશર જેવું નહીં પરંતુ લોકો તમારી પાસેથી સારી વસ્તુઓની આશા રાખે છે. તમે દર્શકોની અપેક્ષા પર ખરા ઉતરવા માટે મહેનત કરો, તો આ જરૂરી છે. હવે, દર્શકોની આશા પૂરી કરવાની મારી જવાબદારી છે.

મંજરી સાથે તમે ઘણાં જ કનેક્ટ થઈ ગયા હતાં, તો તે પાત્રમાંથી બહાર કેવી રીતે આવ્યા?

લોકો પાત્ર પ્રમાણે ઢળતા હોય છે પરંતુ હું શૂટિંગ શરૂ થાય તે પહેલાં જ મંજરી બની ચૂકી હતી. શૂટિંગ દરમિયાન તો એમ જ લાગ્યું કે આ જ મારું જીવન છે અને હું જ મંજરી છું. જોકે, ફિલ્મમાં આ માત્ર કેરેક્ટર છે પરંતુ રિયલમાં તે દરેક સ્ત્રીમાં રહેલી શક્તિ છે. આ શક્તિનું નામ મંજરી છે. મંજરી મારી સાથે લાઈફ-ટાઈમ રહેશે.

ફિલ્મનો લાસ્ટ દિવસ કેવો હતો?

ફિલ્મના છેલ્લાં દિવસે અમે ક્લાઈમેક્સ શૂટ કર્યો હતો. ફિલ્મ સાથે જોડાયેલા તમામ એક્ટર જે-તે પાત્ર જ હોય તે રીતે કનેક્ટ થઈ ગયા હતાં. અમે રિયલમાં શું છીએ, તે જ ભૂલી ગયા હતાં. હદ બહાર મહેનત કરી હતી. ક્લાઈમેક્સ શૂટ થયા બાદ સેટ પર હાજર રહેલા તમામ લોકો રડી પડ્યાં હતાં. ચાઈલ્ડ આર્ટિસ્ટની આંખમાંથી પણ પાણી આવી ગયા હતાં.

પરિવારે એક્ટ્રેસ બનવા માટે કેવી રીતે સપોર્ટ કર્યો?

જ્યારે એક્ટ્રેસ બનવાનું નક્કી કર્યું ત્યારે પરિવારે વિરોધ કર્યો નહોતો પરંતુ તેમને ચિંતા ઘણી જ હતી. સંબંધીઓ તથા આસપાસના લોકો એવું જરૂરથી કહેતા કે તમે દીકરીને આ રીતે બહાર જવા દીધી છે, તો તમે ધ્યાન રાખજો. જોકે, મારી મમ્મીને મારા પર ઘણો જ વિશ્વાસ હતો. મારી મમ્મી હાઉસવાઈફ છે અને તે ક્યારેય આ રીતે બહાર નથી નીકળી. તે હંમેશા જ કહેતી કે બહાર નીકળો પછી તે આ ફિલ્ડ હોય કે સ્કૂલ હોય કે પછી કોલેજ હોય કે પછી ગમે તે હોય, તમને સારા કે ખરાબ માણસો તો મળશે જ. મમ્મી માનતા કે બહાર ભલે ગમે તેવા લોકો હોય પરંતુ તું એવી તૈયાર થાય કે તારે કોઈની જરૂર ના પડે. મમ્મી મારા માટે પ્રેરણાદાયક છે. મારા પેરેન્ટ્સ આજ સુધી સેટ પર આવ્યા નથી.

ફિલ્મ્સ માટે કેવી રીતે તૈયારી કરો છો?

પહેલાં હું ડિરેક્ટર્સ કહે તે રીતે એક્ટિંગ કરતી હતી. કારણ કે હું ટ્રેઈન્ડ એક્ટર નથી. એટલે મને જેની પાસેથી પણ શીખવા મળે તે શીખી લેતી.
ગુજરાતીની સિનેમાની કઈ બાબતો બદલવા માગશો?
મને કોઈ વાત બદલવાની જરૂર લાગતી નથી. હજી તો આ ઈન્ડસ્ટ્રી પા પા પગલી કરે છે. આપણે દર્શકોને લઈ માનીએ છીએ કે એ લોકો ચોક્કસ પ્રકારનું જ જુએ છે અને નથી જોતો. આ માન્યતા ખોટી છે. દર્શકોને સારું કન્ટેન્ટ આપશો તો તેઓ જરૂર જોશે.

પહેલાની શ્રધ્ધા અને અત્યારની શ્રધ્ધામાં કેટલું પરિવર્તન આવ્યું?

પહેલાંની શ્રદ્ધામાં પરિપક્વતા નહોતી, ટેન્શન ફ્રી હતી. જો કે, ઘરની બહાર નીકળ્યા બાદ, ઈન્ડિપેન્ડટ થયા બાદ, સીનિયર્સ સાથે કામ કર્યાં બાદ એક પરિપક્વતા નેકસ્ટ લેવલ પર જાય. એક જવાબદારી આવી જાય અને કઈ રીતે બિહેવ કરવું તે પણ ખ્યાલ આવે.

પહેલી કમાણી કેટલી હતી અને તેમાંથી શું લીધું?

હું 10 કે 11મા હતી ત્યારે એક સ્પર્ધામાં ભાગ લીધો. મેં સ્ટેટ લેવલ પર યોજાયેલ પેઈન્ટિંગ કોમ્પિટિશનમાં હું બીજા નંબરે આવી હતી. મને પાંચ હજાર મળ્યાં હતાં. મેં સાચવીને રાખ્યાં હતાં. હું અત્યારે તો પેઈન્ટિંગ નથી કરતી પણ રંગોળી સારી કરું છું.

શ્રધ્ધા પોતાની સફળતાને કેવી રીતે જુએ છે?

મારા માટે સફળતા એટલે જ્યારે તમારી જાતને પહેલાં અને પછી જુઓ અને તમારી જાતમાં સારો ફેરફાર જુએ તો એ સફળતા છે. આજે કંઈક તમને નવું શીખવા મળ્યું ને તમે શીખ્યા તો એ સફળતા છે. તમને હજારો લોકો ઓળખે તે સફળતા નથી. તમારી ઈનકમ આટલી થઈ તો તમે સફળ થયા. એવું નથી. દરેક માણસ રોજ કંઈક સારું શીખે તો તે સફળતા છે. ફિલ્મ નિષ્ફળ જાય તો તે ડિરેક્ટર, એક્ટરની નિષ્ફળતા નથી પરંતુ તે ફિલ્મ નિષ્ફળ છે, તેમ કહી શકાય.

શ્રધ્ધા ડાંગરને ખુબ ખુબ શુુભેચ્છાઓ સહ અભિનંદન !!

Sunday, October 6, 2019

પોઝિટિવ પર્સન મોરબીની વર્લ્ડકલાસ ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીના પિતામહ - શ્રી કચરાભાઇ અંબાણી



> મોરબીની કમનસીબ પુર હોનારતે થોરાળાના અભણ ખેડૂત શ્રી કચરાભાઇ અવચરભાઇ અંબાણીને કાપડના વેપારી બનાવી દીધા ને નસીબ આડેનું પાંદડું ખસ્યું !
> ભાગીદારીમાં ટાઇલ્સનાં યુનિટો શરૂ કરી પાર્ટનરોને ખુદની ફેકટરીઓ થાય ત્યાં સુધી સંપૂર્ણ મદદ કરે : કચરાબાપાએ સગાવહાલાનાં આવાં ૬પ જેટલા યુનિટો ધમધમતાં કરાવ્યાં !
> અંબાણી ગૃપ ઓફ કંપનીની ૮ ફેકટરીઓ ‘બાપા’ના આશીર્વાદ અને માર્ગદર્શનમાં કવોલિટી પ્રોડકશન કરી રહી છે જેની પ્રોડકટ્સ વિશ્ર્વના ૪પ દેશોમાં એકસપોર્ટ થઇ રહી છે
> ૮૫ વર્ષની વયે ‘બાપા’ રોજ ફેકટરીએ આવે છે ને અમારા બધાનું ‘ટ્રેકિંગ’ કરે : ભાવેશભાઇ અંબાણી

કશુંક કહેવાને આવ્યો છું
હું કરગરવા નથી આવ્યો,
બીજાની જેમ આજીવન
અનુસરવા નથી આવ્યો.
દયાના હે સાગર !
તું મુજને તારામાં સમાવી લે,
હું ડૂબવાને આવ્યો છું,
તરવા નથી આવ્યો...!

નાઝીર દેખૈયાની આ રચનાને જીવી જાણી હોય એવા કેટલાક લોકો આપણી વચ્ચે જ વસતા હોય છે પણ ઘણીવાર આપણને ખબર પણ નથી હોતી ! મોરબીના વિશ્ર્વવિખ્યાત સિરામિક ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીના પિતામહ એટલે કે શ્રી કચરાભાઇ અવચરભાઇ અંબાણી આવું જ એક વ્યકિતત્વ છે ! અંબાણી ગૃપ ઓફ કંપનીના સ્થાપક, ચાલકબળ, પ્રેરણાસ્ત્રોત-કચરાબાપા પોતે જ ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીની હાજરાહજૂર યુનિવર્સિટી જેવા છે, આવો તેમના વિશે અજાણી વાતો જાણીએ :
મોરબી તાલુકાના ૧પ કિ.મી. દૂરના ગામ થોરાળાના વતની ખેડૂતપુત્ર કચરાભાઇ અવચરભાઇ અંબાણી શાળાએ ગયા નથી, ગામમાં જમીન એટલે ખેતી કરે ને ત્રણ પુત્રોના પરિવારનું લાલનપાલન કરે. એવામાં ૧૯૭૯ની સાલ આવી, ઓગસ્ટ માસમાં બહુ કારમી બિના બની મચ્છુ હોનારતની...

કચરાભાઇના માસિયાઇ ભાઇ ગઢની રાંગ વિસ્તારમાં કાપડની દુકાન ધરાવતા હતા પણ મચ્છુનાં પાણીએ મોરબીને તહસ-નહસ કરી નાખ્યું હતું એમાં કાપડની દુકાનના શા હાલ થયા હોય એ આપણે સમજી શકીએ. દુકાનમાં પાણી, ગારો, કિચડ... ને બધું જ કાપડ ફેંકી દેવું પડે એવી દશા થઇ ગઇ. દુકાનના માલિક હતાશામાં આવી ગયા હતા પણ કચરાભાઇ તેમની મદદે ગયા ને બધું કાપડ વાડીએ લઇ જઇ, ધોઇ, સૂકવીને વેચાણને લાયક બનાવ્યું, માસીના દીકરાને હિંમત આપી કે જરૂર પડયે મારી ખેતીની જમીન વેંચીને પણ તમારી દુકાન બચાવી લઇશ, તમારું દેણું ચુકવી દઇશ. માસિયાઇ ભાઇએ કહયું કે તમે જ મારી દુકાન સંભાળી લો, આ જગ્યા પરથી મારું મન ઉતરી ગયું છે ને કચરાભાઇએ કાપડની દુકાન માટે આર્થિક મદદ કરી અને હિંમત આપી પછી દુકાનનાં વહીવટમાં સામેલ થઇ ગયા અને નવેસરથી ધંધો ચાલુ કર્યો.

ખેતી કરતાં કરતાં અચાનક જ કાપડના વેપારી બની ગયા. દુકાન મોરબીમાં, ઘર થોરાળામાં, સવારે ૪ વાગ્યે ઉઠી, વાડીએ આંટો મારી આવે, અને ઘરના સભ્યોને જરૂરી માર્ગદર્શન આપી સવારે ઘેર આવીને મોરબી જાય, દુકાન સંભાળે, સાંજે ગામડાંઓમાં ઉઘરાણી કરવા જાય ને મોડી રાત્રે ઘેર પહોંચે - આવું કેટલાંય વર્ષો સુધી ચલાવ્યું પણ પોતે મહેનતુ, નિષ્ઠાવાન, પ્રમાણિક, નીતિમત્તાવાળા એટલે ધંધામાં બરકત દેખાવા લાગી.

થોડાં વર્ષ પછી પાડોશી દુકાનવાળાએ મોઝેક ટાઇલ્સનું એક યુનિટ હતું અને બીજું શરૂ કર્યું, એને ત્યાં ગ્રાહકોનો ધસારો રહેતો, મોઝેક ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય સારું છે એવું કચરાભાઇને લાગ્યું ને પોતે પણ સાત ભાગીદારો સાથે મોઝેકનું યુનિટ સને ૧૯૮૨માં સ્થાપ્યું જેમાં પોતાની હિસ્સેદારી ૯ ટકા હતી. લાતી પ્લોટમાં તેમનું પ્રથમ મોઝેક યુનિટ બરાબર ચાલવા માંડયું એટલે પરિવાર સાથે ૧૯૮૭માં મોરબીમાં રહેવા આવ્યા, રવાપર રોડ પર ૧૦ x ૧૦ના રૂમમાં ભાડાના મકાનમાં વસવાટ શરૂ કર્યો.

ધીમે ધીમે મોઝેકનાં ૯ યુનિટ કર્યા પણ બધા જ ભાગીદારીમાં એ પછી મોઝેક ટાઇલ્સ એટલે કે ગયા, પોતાના જ વેચાણ ડેપો શરૂ કર્યા ને ૧૯૮૬ સુધીમાં તો રર શો રૂમ જુદા જુદા શહેરોમાં ધમધમવા લાગ્યા કચરાભાઇ પોતે એટલા દીર્ઘદૃષ્ટિવાળા કે મોઝેક ટાઇલ્સ સ્થાનિક પરિવહન માટે સુરતમાં પોતાની જ ઉંટગાડીઓ રાખી હતી કેમ કે મોટા વાહનમાં મોઝેક ટાઇલ્સ ભાંગી જવાની સંભાવના વધુ રહે. ૨૮ યુનિટ બનાવ્યા બાદમાં મોઝેક ટાઇલ્સનો વપરાશ ઘટતાં, ઉદ્યોગ ભાંગી પડયો તેથી ૧૯૯૯માં સીરામિક ઉદ્યોગમાં જંપલાવ્યું.

કચરાભાઇનો પહેલેથી જ સ્વભાવ એવો કે સગાં-વહાલાં, પરિચિતો, સ્નેહીઓ-વગેરેને વ્યવસાયમાં ભાગીદાર બનાવવા ને પછી એ બધા જ ભાગીદારોને પોતાનાં સ્વતંત્ર યુનિટો સ્થાપવામાં ‘અથથી ઇતિ’ તમામ પ્રકારે સહાય કરવી. આજ સુધીમાં લગભગ ૬૫ જેટલાં યુનિટો સગાંવહાલાંઓ-પરિચિતોએ બાપાના સહકારથી બનાવીને સ્વતંત્ર વ્યવસાય કરતા કરી દીધા ! પોતાના માટે તો સૌ કરે પણ બીજા માટે કોણ કરે ? બીજા માટે જે કરે તેનું નામ જ કચરાબાપા...!

કેટલાક આર્થિક રીતે નબળા પણ હોશિંયાર અને બુદ્ધિશાળી સગાઓને તો પ્લોટ પોતે લઇ દે, બાંધકામ કરાવી દે, મશિનરી મુકાવી દે, યુનિટ ચાલુ થઇ જાય પછી વેચાણનું માળખું પણ ગોઠવી દે-ટૂંકમાં રોટલા રળતા કરી દે....

૧૯૯૯માં તેઓ સિરામિક ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા. મારૂતિ સિરામિક નામે યુનિટ શરૂ કયુર્ં ને પછી દર છ મહિને એક એક યુનિટ ચાલુ કરે. આવું ૧૯૯૯ થી ૨૦૦૧ સુધી ચાલ્યું. બીજા કરતાં કચરાબાપાનું યુનિટ જલદી સ્થપાઇ જાય, જલદી શરૂ થઇ જાય ! મોરબીના ટાઇલ્સ કેમ વેંચાય એ શીખવ્યું જ કચરાબાપાએ !

તેમનો સિદ્ધાંત એવો હતો કે બજાર કરતાં પાંચ રૂપિયા નીચા ભાવે માલ વેંચવો પણ પૈસા રોકડા હોવા જોઇએ. તેઓ સ્પષ્ટ કહેતા કે ‘બાકીનો બ નહીં ને ફરિયાદનો ફ નહીં !’ કેટલીકવાર એવું બનતું કે ગાડી ભરાઇ ગઇ હોય ને ખરીદદાર વેપારી પાસે થોડા રૂપિયા ઓછા હોય તો કચરાબાપા ચોખ્ખું જ કહેતા કે ગાડીમાંથી એટલો માલ ઉતારી લ્યો, બાકી પૈસાની વાત નહીં !

ર૦૧૦ સુધી આ ઢબે જ કામ ચલાવ્યું ! રોકડ વ્યવહાર જ રાખ્યો. પોતે કાચા માલની ખરીદી રોકડથી જ કરે, ભાવ ઓછો રાખે, નફો પણ ઓછો લે. કેટલીકવાર બીજા ઇ્ન્ડસ્ટ્રીવાળા ગ્રાહકોને કચરાબાપાને ત્યાં મોકલતા કે સસ્તું છતાં સારું જોઇતું હોય તો કચરાભાઇને ત્યાં જાવ.

ર૦૦૦ની સાલ સુધી બાપાએ સંપૂર્ણ કારોબાર કર્યો એ પછી નવું લોહી, નવી પેઢી વ્યવસાયમાં આવી ગઇ. બાપાના ત્રણ દીકરા બાલુભાઇ, વલમજીભાઇ અને મહાદેવભાઇ તો બાપા સાથે વ્યવસાયમાં હતા જ પણ એમના પુત્રો એટલે કે બાપાના પૌત્રો પણ બાપાના આશીર્વાદ સાથે આ ઇન્ડસ્ટ્રીમાં જોડાયા ને નામ કમાયા. જેમાં ભાવેશભાઇ બાલુભાઇ અંબાણી, કિશનભાઇ વલમજીભાઇ અંબાણી અને જયભાઇ વલમજીભાઇ અંબાણી અંબાણી ગૃપ ઓફ કંપનીની અલગ અલગ ૮ ઇન્ડસ્ટ્રીઝ સંભાળી રહયા છે.

મોરબી-હળવદ હાઇવે પર નીચી માંડલ ગામે આવેલું યુનિટ સંભાળતા ભાવેશભાઇ અંબાણીએ જણાવ્યું કે તેઓ ઇ.સ. ૨૦૦૦ની સાલથી બાપાના હાથ નીચે કામ શરૂ કર્યું. તેઓ ખુબ જ નમ્રતાપૂર્વક જણાવે છે કે અમારા જ યુનિટમાં મેં ‘ઓફિસ બોય’ તરીકે કામ શરૂ કર્યું હતું. સવારમાં આવીને ઓફિસ સાફ કરવાની, પાણી ભરવાનું ને બાપા કહે એ તમામ નાનું મોટું કામ કરવાનું.

ભાવેશભાઇ કહે, બાપા પોતાના ભાગીદારો સાથે કાયમી સંબંધ રાખે, કોઇ સાથે કડવાશથી ભાગીદારી છોડી નથી, કોઇને તેઓ હરીફ માનતા નથી. કોઇ યુનિટમાં ભાગીદારી છોડવી હોય તો બાપા માત્ર ૧૦-૧પ મિનિટમાં સમજાવટથી પ્રશ્ર્ન હલ કરી દે. તેઓ ખરા અર્થમાં સમાજસેવક છે. દરેક વ્યાવસાયિક કે પારિવારિક મુંઝવણમાં હલ કાઢી શકે છે. દીકરા-દીકરીઓના સગાઇ કરાવવામાં પણ તેઓ અગે્રસર. ગરીબ સગાંઓને વગર મૂડીએ ભાગીદાર બનાવી દે એવા દરિયાદિલ. દાન-પુન્યમાં પણ આગળ. કયારેય ખોટું ન બોલે. પોતે ભણ્યા નથી છતાં સહી કરતાં આવડે છે ને ગણ્યા ખૂબ જ છે... અમારાં બધાં જ યુનિટોના સુપરવાઇઝરો બાપાને રાત્રે પણ ફોન કરીને સ્થિતિનો તાગ આપે. બાપા અમારા બધાનું નિયમિત ‘ટ્રેકિંગ’ કરતા રહે ને આજે ૮પ વર્ષની ઉંમરેય દરરોજ સવારે ત્રણ-ચાર કલાક તેમની યુનિટ પર હાજરી હોય જ !

અંબાણી ગૃપ ઓફ કંપની ISI સર્ટીફાઇડ છે. અને બધી ઇન્ડસ્ટ્રીઝ થઇને દરરોજ પાંચ લાખ ફૂટ ટાઇલ્સનું પ્રોડકશન કરે છે. ચાઇના અને ઇટાલીની લેટેસ્ટ ટેકનોલોજી તેઓ ધરાવે છે. તેમનો પ્લાન્ટ ર૪ કલાક ચાલુ રહે છે. અમેરિકા અને યુરોપ સહિત ૪પ દેશોમાં આ ગૃપની ટાઇલ્સ એકસપોર્ટ થાય છે. ભારતમાં સિરામિક ટાઇલ્સનું જેટલું ઉત્પાદન થાય એનો ૯૦ ટકા માલ મોરબીમાં તૈયાર થાય છે. તો વિશ્ર્વભરમાં ચીનનું પ્રોડકશન ૪૦ ટકા અને ભારતનું ૧ર ટકા છે એવું ભાવેશભાઇએ કહયું.

ભાવેશભાઇ કહે છે કે ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય ખૂબ ઉજળું છે પણ સરકાર થોડું ધ્યાન આપે તે જરૂરી છે. આ ઉદ્યોગને પ્રોત્સાહનની જરૂર છે. ૧૮ ટકા જીએસટી છે તે ઘટાડવો જરૂરી છે. એકસપોર્ટમાં જો પ્રમોશન મળે તો આ ઉદ્યોગ અબજોનું હૂંડિયામણ રળી આપે તેમ છે.

બીલ્ડરો જોગ સંદેશામાં ભાવેશભાઇ અંબાણી જણાવે છે કે ટાઇલ્સ એટલે ઘર, ફલેટ, ઓફિસની શોભા, શોભા વધારવા માટે ઉત્તમ ટાઇલ્સની પસંદગી જરૂરી છે.

કચરાબાપાના પૌત્ર ભાવેશભાઇ અંબાણી ‘બાપા’ના રાહે કંપનીને આસમાનની ઉંચાઇએ લઇ જઇ રહયા છે

----------------------------------
સાભાર
‘સંપત્તિ ટાઇમ્સ’

Tuesday, October 1, 2019

श्री लाल बहादुर शास्त्री

"निस्वार्थि,सच्चे, ईमानदार
स्वर्गीय श्री लाल बहादुर शास्त्री जी के जन्म दिन 2 अक्टूबर पर सत सत नमन हम आपको अपना आदर्श मानकर कार्य करते रहेंगे"।

लाल बहादुर शास्त्री .....
उन्होंने मां को कभी नहीं बताया था कि वे रेल मंत्री हैं।
उन्होंने अपनी मां को कहा था कि "मैं रेलवे में नौकरी करता हूं"।
एक बार शास्त्री जी किसी कार्यक्रम में रेलवे भवन में आए जब उनकी मां भी वहां पूछते पूछते पहुंची गई कि मेरा बेटा भी यहाँ आया है, वह भी रेलवे में नोकरी करता है।

लोगों ने पूछा क्या नाम है जब उन्होंने नाम बताया तो सब चौंक गए " सुरक्षा अधिकारी बोले आप झूठ बोल रही है"।
पर वह बोली, "नहीं वह आए हैं"।
लोगों ने उन्हें लाल बहादुर शास्त्री जी के सामने ले जाकर पूछा," क्या वही है?"

तो मां बोली "हां वह मेरा बेटा है"
लोग मंत्री जी से दिखा कर बोले "क्या वह आपकी मां है"
तब शास्त्री जी ने अपनी मां को बुला कर अपने पास बिठाया और कुछ देर बाद घर भेज दिया।

तो पत्रकारों ने पूछा "आपने अपनी माँ के सामने भाषण क्यों नहीं दिया"

तो वह बोले-
"मेरी मां को नहीं पता कि मैं मंत्री हूं। अगर उन्हें पता चल जाए तो वह लोगों की सिफारिश करने लगेगी और मैं मना भी नहीं कर पाऊंगा और उन्हें अहंकार भी हो जाएगा।"

यह जवाब सुनकर सब सन्न रह गए।

"निस्वार्थि,सच्चे, ईमानदार
स्वर्गीय श्री लाल बहादुर शास्त्री जी के जन्म दिन 2 अक्टूबर पर सत सत नमन हम आपको अपना आदर्श मानकर कार्य करते रहेंगे"।

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...