Thursday, April 30, 2020

ગુજરાત સ્થાપના દિન

“ઉત્તરે ઇડરિયો ગઢ ભલો, દખ્ખ્ણે દરિયાની અમીરાત,

ખમીર જેનું ખણખણે, એ છે ધમધમતું ગુજરાત…”

ગરબા, ગાંઠિયા, ખાખરા, થેપલા, ઢોકળાં, મનમોજીલા અને ખમીરવંતી માણસો- આ તમામ વસ્તુઓ જેની ઓળખ છે, એ છે “આપણું ગુજરાત”. આજે આપણાં ગુજરાતનાં 60માં સ્થાપના દિવસના અવસરે આવો જાણીએ ગુજરાતનો ગૌરવવંતો ઇતિહાસ…


1લી મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી, આ જ દિવસે મહારાષ્ટ્રની પણ સ્થાપના થઈ હતી. વર્ષ 1937માં કરાંચી ખાતે યોજાયેલી એક સભા દરમિયાન “મહાગુજરાત” નો વિચાર કનૈયાલાલ મુનશીએ રજૂ કર્યો હતો. વર્ષ 1956માં સ્ટેટ્સ રીઓર્ગેનાઇઝેશન એક્ટ દ્વારા રાજયોની સીમા નક્કી કરવામાં આવેલી. તે સમયે એક બોમ્બે રાજ્ય હતું, જેમાં ગુજરાતી, કચ્છી, મરાઠી અને કોંકણી ભાષા બોલનારા લોકો વસતા હતા.


ગુજરાતી અને કચ્છી બોલનારા લોકોનું એક અલગ રાજ્ય હોય તેવી માંગ સાથે, મહાગુજરાત આંદોલન થયું. અમદાવાદ ખાતે થયેલા આ આંદોલનમાં અમુક વિધાર્થીઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો.

આંદોલનમાં શહીદ થયેલા વિદ્યાર્થીઓની સ્મૃતિમાં લાલ દરવાજા પાસે શહીદ સ્મારક બનાવવામાં આવ્યું. ઇન્દુલાલ યાગ્નિક મહાગુજરાત આંદોલનને સંભાળતા હતા. અંતે પ્રેસિડેન્ટ રાજેન્દ્ર પ્રસાદ, સર્વપલ્લી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂએ ગુજરાત અને મહારાષ્ટ્ર હવેથી આ બે અલગ રાજ્ય છે, તેમ ઘોષિત કરવા સંમત થયા અને 1લી મે ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્ય આ રીતે સ્થપાયા.


દર વર્ષે ગુજરાત દિવસની ઉજવણી રૂપે અવનવા કાર્યક્રમો યોજાતા હોય છે, જેમ કે- સાંસ્ક્રુતિક કાર્યક્રમો, સાહિત્ય સંબંધિત ગોષ્ઠીઓ, વિશ્વ અને ઇતિહાસલક્ષી પરિસંવાદ, લોકસંસ્કૃતિને ઉજાગર કરતાં અવનવા કાર્યક્રમો થતાં હોય છે.


આવો આપણે પણ સૌ સહભાગી થઈ આપણાં રાજ્યને સફળતાના શિખરે કાયમ રહે તેવા સંપૂર્ણ પ્રયત્નો કરવાના પ્રણ લઈએ…

“ક્રુષ્ણની દ્વારિકાને સાચવીને બેઠેલું જળ છું…

હું નરસિંહના પ્રભાતિયાથી પરિતૃપ્ત પ્રભાત છું…

વેપાર છું, વિસ્તાર છું, વિખ્યાત છું…

હા… હું ગુજરાત છુ…!!!”


ગુજરાત સ્થાપના દિનની સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

જય જય ગરવી ગુજરાત…

વૃક્ષ પરિચય :- ગુણકારી ગુંદો

#ગુંદો_(Cordia Dichotoma)

ગુંદો દરેક વિસ્તાર જોવા મળતું વૃક્ષ છે.મોટા ભાગના લોકોને પ્રિય હોવાથી તે એકદમ નજીકનું જ લાગે.

ગુંદો જેનાં અડધાથી એક ઈંચના વ્યાસના કાચા હોય ત્યારે લીલા અને પાકે ત્યારે બદામી વર્ણના ફળ હોય છે.

ખૂબ જ ચીકણું ફળ હોવાને કારણે તેને શ્લેષ્માતક કહે છે.
=>રોગોને ઊખાડીને ફેંકનાર,બીજુ એક નામ શેલુ છે.
=>ગુંદો એ ચીકણો , ભારે , પિચ્છિલ છે .સ્વાદે તે મધુર અને કંઈક અંશે તૂરો છે.તેની છાલ તૂરી અને કડવી છે. પચવામાં મધુર હોવાથી પિત્તશામક અને બૃહણીય ગુણ પણ ધરાવે છે તે ઠંડી પ્રકૄતિ ધરાવે છે.
=>તેની છાલ કષાય રસ અને કડવી હોવાને કારણે કફ પિત્તનો નાશ કરનાર છે.
=>કર્ણશૂલમાં તેની છાલનો પાણી સાથે ઘસીને લેપ કરવાથી ફાયદો થશે.
=>વીંછીના ડંખ પર છાલનો લેપ કરવાથી તેની અસહ્ય બળતરા ઓછી થાય છે અને વિષનો પ્રભાવ ઘટે છે.
=>નાનાં જીવજંતુ, મધમાખી વગેરે નાં ડંખની ઝેરી અસરમાં ગુંદાની છાલનો લેપ તુરત રાહત આપે છે.
=>મરડો, ઝાડા જેવી પેટની તકલીફમાં છાલના ઊકાળાને છાશ સાથે નિયમિત દિવસમાં બે વાર આપવાથી પાચનતંત્ર ને સુધારીને આંતરડા મજબૂત કરીને જૂના મરડાની તકલીફને ઝડપથી મટાડે છે.
=>રકત્તપિત્તના રોગમાં તેની પિત્તશામકતા દૂર કરવામાં ગુંદાના ફળ ખૂબ જ ઊપયોગી છે તેથી રકત્તપિત્ત્વાળા રોગીઓને પાકા ગુંદાનું શાક બનાવીને નિત્ય આપવામાં આવે તો રકત્તગત પિત્તનું શમન થાય છે અને આવા દર્દીમાં ગુંદા એ અતિ પથ્ય આહાર તરીકે ખૂબ જ લાભદાયી છે .
=>તાવના દર્દીમાટે ગુંદા એ માત્ર પથ્ય આહાર જ ન બનતાં તે તાવની ગરમીની તીવ્રતા ઘટાડીને બળ આપે છે તે તાપમાન ઓછું કરવામાં ખૂબજ મદદરૂપ બની રહે છે.
=>ગુંદા ના ફૂલ નું શાક ખૂબ સ્વાદિષ્ટ થાય છે .એમના ફળ નું પણ શાક બને એક વાત ખાસ એઁમનું બોળો કરેલ અથાણું તો બધાએ ખાધેલ હશે.

Wednesday, April 29, 2020

મહાભારત રામાયણ વિશે અમુક માન્યતાઓની વાત

આપણે ત્યાંની અમુક માન્યતાઓએ આપણને આપણી સંસ્કૃતિની ઘણી ઉપયોગી વાતોથી, ઘણાં રત્નોથી અળગા રાખ્યા છે. આવી એક માન્યતા જે ઘણાં મિત્રોએ ગઈકાલની પોસ્ટ પર મૂકી એ અનેક સ્વરૂપે જોવામાં અને સાંભળવામાં આવી છે. ‘મહાભારત ઘરમાં ન રખાય’ કે ‘મહાભારત આખું ન વંચાય’ કે ‘મહાભારત વાંચવાથી ઘરમાં ઝઘડા થાય’ કે ‘મહાભારત ભાઈ ભાઈ વચ્ચે મનમેળ હોય તો પણ તોડાવી દે એટલે એનું પઠન ઘરમાં ન કરાય’ કે ‘’ગુરુડપુરાણ આખું ન વંચાય’ કે ભગવદગીતા પણ યુવાની પછી જ વાંચવી જોઈએ વગેરે વગેરે.. મેં પણ મારા નાની અને દાદી એ બંને સહિત અન્ય ઘણાં વડીલોને મહાભારત ઘરમાં ન રખાય કે આખું ન વંચાય એવી વાત કહેતા સાંભળ્યા છે. ત્યારે પણ એ તર્ક થતો કે આ પુસ્તકો કેમ આપણાં ઘરમાં ન રખાય? આ કોઈ નિયમ નથી કે જડતાથી વળગી રહ્યાં હોય એવી પ્રણાલી પણ નથી પરંતુ આવી વાતો સતત આપણે બધાએ ક્યાંક ને કયાંક સાંભળી છે જ.

મહાભારત પાંચમો વેદ કહેવાયો છે. મહાભારતમાં અનેક મહામોતીઓ છે, વિષ્ણુ સહસ્ત્રનામ, વિદુરનીતી, ભગવદગીતા, યક્ષપ્રશ્ન વાળું આખું પ્રકરણ, આ બધા તો મહાભારતથી અલગ પણ ગ્રંથ તરીકે આપણા માટે અતિશય મૂલ્યવાન છે, તો આ બધાનું મૂળ એવું મહાભારત કેમ આપણાથી આવી માન્યતાઓ દ્વારા દૂર રહ્યું છે? એના અનેક તર્ક મને ધ્યાને આવે છે, એમાં એક એ સમજાય છે કે શાસ્ત્રો મુજબ મહાભારત સદાય કહેવાયું છે, વંચાયું નથી. આપણી સંસ્કૃતિ કાયમ કર્ણોપકર્ણ રહી છે, વક્તા અને શ્રોતા વચ્ચેનો સેતુ આ મહાગ્રંથ કાયમ બનતો રહ્યો છે. વૈશંપાયન જન્મેજયને આ કથા કહે છે, અને તેમને ક્યાંથી મળી એના ઉત્તરમાં વૈશંપાયનને એ વેદવ્યાસ પાસેથી મળી એમ કહેવાયું છે. વ્યાસ પણ ઇન્દ્રની જેમ એક પદવી કે ઓળખ હશે એમ મને સમજાય છે, અને એકથી વધુ વ્યાસ થયા હશે એમ પણ લાગે છે. મહાભારત લખનાર કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ ૨૮મા વ્યાસ છે અને દ્રોણપુત્ર અશ્વત્થામા ૨૯મા વ્યાસ થશે એમ લખાયું છે. વિષ્ણુપુરાણ મુજબ ઋષિ તરીકે વ્યાસનું કામ વેદોની ગોઠવણીનું છે. સાતમા વૈવસ્વત મન્વંતરમાં અઠ્યાવીસમી ચતુર્યુગીનો કલિયુગ ચાલી રહ્યો છે. દ્વાપરયુગના આ વૈવત્સ મન્વંતરમાં કૂલ ૨૮ વખત વેદોની પુન:ગોઠવણી થઈ ચૂકી છે. પહેલા વ્યાસ સ્વયં બ્રહ્મા હતા અને બીજા પ્રજાપતિ, ત્રીજા શુક્રાચાર્ય અને ચોથા બૃહસ્પતિ – આવા જ્ઞાનીઓમાંના એક વ્યાસે લખેલ ગ્રંથ અવાચ્ય હોય એવું તો કઈ રીતે શક્ય છે?

મહાભારત મહાત્મ્યમાં વ્યાસે લખ્યું છે,

अस्मिन्नर्थश्च कामश्च निखिलेनोपदेक्ष्यते।
इतिहासे महापुण्ये बुद्धिश्च परिनैष्ठिकी॥
भारतं शृणुयान्नित्यं भारतं परिकीर्तयेत्।
भारतं भवने यस्य तस्य हस्तगतो जयः॥

આ મહાન પવિત્ર ઈતિહાસમાં અર્થ અને કામનો એવો સર્વાંગસંપૂર્ણ ઉપદેશ છે કે જેનાથી વાંચવા અને સાંભળવાવાળાની બુદ્ધિ પરમાત્મામાં નિહિત થઈ જાય છે. એટલે રોજ મહાભારતનું શ્રવણ કરો, નિત્ય તેનો પાઠ કરો, જેના ઘરમાં મહાભારત ગ્રંથ છે તેનો વિજય નિશ્ચિત છે. એટલે મહાભારત ઘરમાં રાખવાથી કોઈ પ્રકારનું અહિત કે હાની થાય એ વાત તાર્કિક લાગતી નથી.

આપણે ત્યાં બે પ્રકારની પરંપરાઓ સતત વહેતી રહી છે, કંઠ:સ્થ પરંપરા અને લેખનની પરંપરા. તામ્રપત્રો, શીલાલેખો અને વિવિધ પ્રકારના પાંદડા વગેરે દ્વારા સચવાયેલ લેખન પરંપરા અને કંઠ:સ્થ પરંપરાથી અનેક ગ્રંથો, સ્તુતિઓ અને મહાત્મય કેટલીય પેઢીઓ સુધી વહેતા રહ્યાં છે.

ભગવદ ગીતા યુવાનીમાં ન વંચાય એવી માન્યતા પાછળનું એક કારણ જે મને સમજાયું છે એ ડર છે કે જે ભગવદ ગીતાને વિગતે સમજીને જીવનમાં ઉતારવાનો યત્ન કરશે એ જીવનના મોહથી મુક્ત થઈ સંન્યાસી થઈ જશે. કદાચ માતાપિતા એવું માનતા હોય કે એમના યુવાન પુત્રો એ રીતે સંસારથી અલિપ્ત થઈ જાય. મહાભારત ઘરમાં ન રાખવાનું કારણ કદાચ એ હોય કે ઘરમાં હોય તો ક્યારેક કોઈક વાંચે, અને જો વાંચે તો એમાંના પાત્ર ચિત્રણથી ખરેખર પ્રભાવિત થઈ જાય.

મહાભારત યુદ્ધની કથા છે, ધર્મ અને અધર્મના યુદ્ધની કથા છે અને બધાની ધર્મની અને અધર્મની સમજણ પોતીકી છે. અને મહાભારત વાંચતી વખતે કયો સાર ગ્રહણ કરવો એ માટે માર્ગદર્શન જરૂરી ગણાયું છે. મહાભારતના મોટાભાગના પાત્રો તદ્દન ધાર્મિક કે તદ્દન અધાર્મિક નથી. યુધિષ્ઠિર દ્રૌપદીને દાવ પર મૂકે અથવા ‘અશ્વત્થામા નર કે હાથી એ ખબર નથી’ એમ કહે ત્યારે વિદ્વાનોને એમાં અધર્મ દેખાય છે, કર્ણ માટે ઘણાંને સહાનુભૂતિ થાય અને ઘણાંને ગુસ્સો આવે. પાંડવો સિવાયના મોટાભાગના પાત્રો ગ્રે શેડ ધરાવે છે.

કદાચ એ પાત્રોના જીવનમૂલ્યો, એમણે લીધેલા નિર્ણયો કે એમના દ્રષ્ટિકોણથી પ્રભાવિત થઈ કોઈ પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે તો કુટુંબમાં અવશ્ય કંકાસ થાય. એમાં વડીલોને પણ કોઈ એક પક્ષ લેવાની ફરજ પડે છે, ભાઈઓ યુદ્ધ કરે છે અને વડીલો એમને સાથ આપે છે, સંબંધોની પરિભાષાઓ વિકૃત થઈ છે, સંપત્તિ માટેની લડાઈ હોય કે પોતાના હિત પ્રત્યેની, કુટુંબો માટે એ હાનિકારક હોઈ શકે. આપણી બે પેઢી પહેલાના લગભગ બધા કુટુંબો સંયુક્ત કુટુંબો હતા, એમાં અનેક લોકો વચ્ચે આ પ્રકારનો એક તણખો પણ પરિવારને વિભક્ત કરી મૂકે એ ભયને લીધે કદાચ આવી ધારણા બંધાઈ હોય એમ શક્ય છે. સામે પક્ષે રામાયણ મર્યાદાની અને ત્યાગની કથા છે, ભાઈ માટે ભાઈના ત્યાગની, પિતા માટે પુત્રના ત્યાગની અને પતિ માટે પત્નીના ત્યાગની, એમાં ક્યાંય પરિવારને ન સમજાય એવું કંઈ નથી, એનો ઉપદેશ સ્વયં સ્પષ્ટ છે એટલે એનું પઠન સતત બધે મહાભારતની સરખામણીએ વધુ થયું છે.

અને આ જ પ્રશ્ન મેં આજે ફોન પર આદરણીય નિરંજનભાઈને પણ કર્યો, અને તેમણે પણ કહ્યું કે આ માન્યતા કદાચ મહાભારતના ખોટા અર્થઘટન કે તેના ઉપર દર્શાવ્યા એવા ભયસ્થાનોને લીધે જ હોઈ શકે અન્યથા એવું કંઈ ક્યાંય કહેવાયું કે લખાયું નથી.

*
આપણી ગ્રંથોથી દૂર રહેવાની આવી માન્યતઓએ કેટલું નુકસાન કર્યું એનો સહજ ખ્યાલ મને અચાનક જ આવ્યો જ્યારે ઇન્ટરનેટ પર ડૉ. જેમ્સ દ અલ્વિસ (૧૮૨૩-૧૮૭૮) નું નામ આવ્યું. આ ભાઈએ બૌદ્ધ સાહિત્યનો શ્રીલંકામાં રહી અભ્યાસ કર્યો અને ૧૮૬૨માં એ વિશે તેમનું લખાણ પ્રકાશિત થયું. એક વાત તેમણે એવી મૂકી કે વાલ્મિકી રામાયણ બૌદ્ધ સાહિત્ય પર આધારિત છે, અને રામકથા આખી બૌદ્ધ સાહિત્યની કથામાં ફેરફાર કરીને લખાઈ છે. એમના મતે બૌદ્ધ કથાઓ પહેલા આવી અને પછી એની પ્રેરણાથી વાલ્મિકીએ રામાયણ રચ્યું. આપણે ત્યાં અનેક પ્રકારની અને ભિન્ન પ્રસંગો અને પાત્ર તથા પરિસ્થિતિને લઈને લખાયેલી રામકથાઓ છે, અને આપણે કદી એ કથાઓ વચ્ચે કોઈ રીતે સરખામણી કરી નથી કે એને એકબીજાની સાથે ત્રાજવે મૂકી નથી, પણ આ ભાઈના અભ્યાસને આધાર લઈ અને તેમના કહેવાતા રિસર્ચ વડે બર્લિનના ડૉ. આલ્બ્રેટ વેબરે એક પુસ્તક લખ્યું, ‘On the Ramayana’ જેનો જર્મનમાંથી અંગ્રેજીમાં ડી. સી. બોયડે અનુવાદ કર્યો અને ૧૮૭૩માં પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ કર્યો.

આ પુસ્તકે એ સમયે ખૂબ હલચલ કરી, પુસ્તકની પ્રસ્તાવનામાં વેબર પોતાનો મત નોંધે છે કે વાલ્મિકીનું રામાયણ બૌદ્ધ સાહિત્ય પછીનું છે. એ અનેક સરખામણીઓ દ્વારા સાબિત કરવાનો યત્ન છે કે મૂળ બૌદ્ધ સાહિત્યમાંની જાતકકથા જે દશરથ જાતક તરીકે પ્રસિદ્ધ છે એ વાલ્મિકી રામાયણનો આધાર છે એ સાબિત કરવા આખું પુસ્તક લખે છે. આપણી બદનસીબી એ છે કે આપણે અંદર એટલા ઝઘડતાં રહ્યાં કે બહારના લોકોએ આપણા ધર્મને અને ધાર્મિક માન્યતાઓ કે કથાઓને લગભગ મજાક બનાવી મૂકી દીધી. એણે સિફતપૂર્વક બૌદ્ધ સાહિત્યને રામાયણની સામે લાવી મૂકી દીધું, બૌદ્ધ સાહિત્ય પણ આપણું સાહિત્ય છે, જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથો આપણાં જ ધર્મગ્રંથો છે, એનો અને રામાયણ જેવા આપણા બધા જ શ્રદ્ધેય ગ્રંથોનો અભ્યાસ કરી અને એને ફક્ત પુસ્તકો ગણી જર્મનો અને અંગ્રેજોએ સંશોધનના નામે આ કૃત્યો આચર્યા હોય એમ મને લાગે છે. અને એમાં એમનો વાંક હું ઓછો જોઉં છું અને આપણી ઉપર ચર્ચા કરી એવી માન્યતાઓ કે ખોટી ધારણાઓનો ફાળો મોટો લાગે છે. આપણા લોકો પણ છેલ્લી એક સદીથી વધારે સમયથી વેબરના અને અલ્વિસના પુસ્તકોને આધારભૂત ગણી અનેક તર્કો કર્યા કરે છે. જો કે એના આ પુસ્તકને અને એના સઘળા કુતર્કનો તાર્કિક અને મુદ્દાસર જવાબ ૧૮૭૩માં જ મુંબઈના વકીલ કાશીનાથ ત્ર્યંબક તેલંગે આપ્યો.

હવે આ વાતની વિગતમાં જઈએ. આ વિગતોમાં ઉતરવાનો મારો કોઈ ઇરાદો નહોતો, પણ જેમ જેમ રામાયણ વિશે વધારે પ્રશ્નો થતા જાય છે તેમ તેમ ક્રમબદ્ધ રીતે હું આમાં અજાણતા જ ઉંડો ઉતરી રહ્યો છું. વેબરનું કે તૈલંગજીનું પુસ્તક કદી વાંચીશ એવો કોઈ વિચાર ક્યારેય કર્યો નહોતો પણ આજે એ બંને પુસ્તકોના એકે એક પેજ વાંચી તેમની સરખામણી કરી રહ્યો છું, પ્રશ્નો અને તેના ઉત્તરો, પ્રતિપ્રશ્નો અને વિચારણીય મુદ્દા નોંધી રહ્યો છું એટલે આ કસરત તો લાંબી ચાલશે અને એમાંથી મને યોગ્ય લાગશે એ આપ સૌ સાથે વહેંચતો જઈશ. આ લખવા પાછળનો મારો હેતુ પણ આ છેલ્લા ત્રણ દિવસમાં જે વાંચ્યું છે એને સૌ મિત્રો સમક્ષ મૂકવાનો જ છે અને એથી જો કોઈની લાગણી દુભાતી હોય તો ક્ષમા કરશો – પણ એ ધ્યાન રાખજો કે આ આખી વાતમાં એક પણ વાક્ય મારો મત નથી, એ વેબરનો કે અન્ય સર્જકોનો જ મત છે જે એમના પુસ્તકોમાંથી અને અન્ય રેફરન્સમાંથી લીધો છે કારણ કે આવો કોઈ મત આપવા જેટલી મારી કોઈ પાત્રતા કે અભ્યાસ નથી.

તો શરૂઆત તરીકે વેબરે જેનો આધાર લીધો છે એ બૌદ્ધ જાતક કથાઓમાંની દશરથ જાતક જોઈએ અને પછી વાલ્મિકી રામાયણ અને દશરથ જાતક વિશેનો વેબરે ઉભો કરેલો ભેદ વિચારીએ. વેબરનો હેતુ અભ્યાસનો નહોતો એમ પણ મને લાગે છે અને એનું કારણ મને એના પુસ્તકના અમુક વાક્યો પરથી મળ્યું અને પછી જ્યારે તૈલંગજીનું પુસ્તક હાથમાં આવ્યું ત્યારે એનો આખો હેતુ સાવ સ્પષ્ટ થઈ ગયો. એ મુદ્દા પર પછી આવું, પહેલા દશરથ જાતક જોઈએ. લગભગ બધા જ સર્જકો કે ઇતિહાસકારો બૌદ્ધ દશરથ જાતકકથામાં ઉંડા ઉતરવા માંગતા નથી એવું દેખાય છે, એને મૂંઝવણનો વિષય ગણીને કે એની ચર્ચાથી અળગા રહીને જ વાત કરાઈ છે. જાતક કથાઓ આપણી સંસ્કૃતિની ખૂબ આદરપાત્ર કથાઓ છે, એ પવિત્ર ગ્રંથ છે અને એને ફક્ત એક પુસ્તક ગણી, એના અનુવાદોનો આધાર લઈ વેબર જેવાઓએ આખો તર્ક ઘડી કાઢ્યો. જાતક કથાઓના અંગ્રેજી પુસ્તકમાંથી જ એનો મેં અનુવાદ કર્યો એ અહીં મૂકું છું. એમાં કોઈ ક્ષતિ દેખાય તો સૂચવશો.

દશરથ જાતક ભગવાન બુદ્ધ દ્વારા જેતવન વિહારના એક જમીન માલિકને કહેવામાં આવી હતી, એના પિતા મૃત્યુ પામ્યા એથી જમીન માલિક એટલો દુ:ખી થયો કે તે બધા કામ છોડીને નિરાશામાં ડૂબી ગયો, પછી તથાગત દ્વારા આ વાર્તા તેમને કહેવામાં આવી એમ લખાયું છે.

વારાણસીના મહારાજા દશરથની સોળ હજાર રાણીઓ હતી. પટરાણીએ બે પુત્રો અને એક પુત્રીને જન્મ આપ્યો. પ્રથમ પુત્રનું નામ રામપંડિત હતું, બીજાનું લખનકુમાર હતું અને પુત્રીનું નામ સીતાદેવી હતું. પાછળથી, પટરાણીનું અવસાન થયું. અમાત્યોએ બીજી પટરાણીની નીમણૂક કરી. તેણે ભરત નામના પુત્રને જન્મ આપ્યો. રાજાએ પ્રેમથી રાણીને કહ્યું - “ભદ્રે! હું તમને વરદાન આપવા માંગું છું, માંગો.” રાણીએ વરદાન બાકી રાખ્યું, કુમાર મોટો થયો ત્યારે રાજા પાસે જઈ રાણીએ કહ્યું, “ભગવાન! તમે મને વરદાન આપ્યું છે, હવે હું માંગું છું, મારા પુત્રને રાજ્ય આપો." રાજાને એ ગમ્યું નહીં. તેણે રાણીને ડરાવીને કહ્યું - “ચાંડાલીની! તારો નાશ થાય.. મારા બંને પુત્રો રામપંડિત અને લખનકુમાર ગુણવાન છે. તેમને મારી તારા પુત્રને રાજ્ય અપાવવા માંગે છે. એ ડરીને પોતાના શયનખંડમાં જતી રહી અને વારંવાર રાજા પાસે પોતાના પુત્ર માટે રાજ્યની યાચના કરતી રહી. રાજાએ વિચાર્યું કે સ્ત્રીઓ તો જૂઠ્ઠી હોય છે, ક્યાંક એ ખોટી રાજાજ્ઞા અથવા ખોટી રાજમુદ્રાનો ઉપયોગ કરી મારા પુત્રોને મરાવી ન નાખે. એટલે એણે રામપંડિત અને લખનકુમારને ચુપચાપ બોલાવીને કહ્યું, “તાત, અહીં તમારે જીવનું જોખમ છે, તમે અત્યારે વનમાં જઈને રહો અને મારા મૃત્યુ પછી આવીને રાજ્ય પરનો અધિકાર લઈ લેજો. એણે જ્યોતિષિઓને બોલાવ્યા અને પૂછ્યું કે મારી ઉંમર કેટલી બચી છે? જ્યોતિષિઓએ બાર વર્ષ કહ્યાં એટલે એણે પુત્રોને કહ્યું કે તમે બાર વર્ષ પછી આવજો.

આ સાંભળીને બંનેએ પિતાને પ્રણામ કર્યા અને મહેલની બહાર આવી ગયા. સીતાદેવીએ કહ્યું, "હું પણ ભાઈઓ સાથે જઈશ." તેણે પણ પિતાને નમન કરી રાજ્ય છોડી દીધું. આમ ત્રણેય દુ:ખી હૃદયથી શહેરની બહાર આવ્યા. રાજ્યની પ્રજા પણ તેમની પાછળ ગઈ. રામપંડિતે તેમને સમજાવ્યા પછી એ પાછા ફર્યા. એ ત્રણેય હિમાલયની એવી જગ્યા પર પહોંચ્યા જ્યાં પાણી અને ફળો સુલભ હતા. તેઓએ ત્યાં આશ્રમો બનાવીને રહેવાનું શરૂ કર્યું. લખનકુમાર અને સીતાદેવીએ રામપંડિતને પ્રાર્થના કરી કે તમે આશ્રમમાં રહો. અમે જંગલમાંથી ફળો અને ફૂલો લાવીશું અને તમારું પોષણ કરીશું. ત્યારથી જ રામપંડિત આશ્રમમાં રહ્યા અને તેમણે તેમની સેવા કરવાનું શરૂ કર્યું.

આ પ્રકારે નવ વર્ષ વીતી ગયા અને રાજા દશરથ મૃત્યુ પામ્યા. પછી રાણીએ પોતાના પુત્ર ભરતને રાજ્યસત્તા સંભાળવા કહ્યું. પણ મંત્રીઓને એ યોગ્ય ન લાગ્યું, તેમણે કહ્યું કે રાજ્યનો અસલી હકદાર તો વનમાં છે. ભરતકુમારે વિચાર્યું, હું મારા મોટા ભાઈ રામપંડિતને જંગલથી લાવીને રાજ્ય આપીશ. તે પોતાના ચતુરંગી સૈન્ય સાથે રામપંડિતના આશ્રમમાં પહોંચ્યો અને થોડેક અંતરે છાવણી ગોઠવી. આ સમયે લખનકુમાર અને સીતાદેવી ફળ લેવા જંગલમાં ગયા હતા. રામ પંડિત ધ્યાનમાં એકલા ખુશ બેઠા હતા. ભરતકુમારે તેમને નમન કર્યા અને તેના પિતાના મૃત્યુના સમાચાર કહીં મંત્રીઓ સાથે તેમના પગ પર પડી રડ્યા. રામપંડિત ન ચિંતિત હતા, ન રડ્યા. તેમના આકારમાં કોઈ વિકૃતિ નહોતી. આ સમયે લખનકુમાર અને સીતાદેવી આશ્રમમાં પાછા આવ્યા હતા. પિતાના મૃત્યુના સમાચાર સાંભળીને તે બંને મૂર્છિત થઈ ગયા. શોક ફરી ચેતના પામતાં રહ્યા. ભરતકુમારે વિચાર્યું કે, ‘મારા ભાઈ લખનકુમાર અને સીતાદેવી પિતાના મૃત્યુના સમાચાર સાંભળીને દુ:ખ સહન કરી શક્યા નહીં, પરંતુ રામપંડિત ન તો શોક કરે છે અને ન તો રડે છે તેનું કારણ શું? હું તેમને એ પૂછીશ.’

ભરતે પૂછ્યું, ”હે રામ! તમે કયા પ્રભાવને લીધે દુ:ખી નથી? પિતાના અવસાનના સમાચાર સાંભળીને તમને દુ:ખ નથી થતું?

રામપંડિતે કહ્યું, “તરુણ, બુદ્ધ, મૂર્ખ, પંડિત, ધનિક અને ગરીબ - બધા નશ્વર છે. આમ વિશ્વમાં તમામ નાશવંત, નશ્વર છે. જેમ માણસ બહુ શોક કર્યા પછી કે રડ્યા પછી જીવીત નથી રહી શક્તો એના માટે કોઈ બુદ્ધિશાળી પ્રતિભાવાન વ્યક્તિ પોતાની જાતને કેમ મુશ્કેલીમાં મૂકે? રડવાથી મૃત માણસનું પોષણ થતું નથી, એ નિરર્થક છે. જે ધૈર્ય ધરાવે છે, બધાનું સાંભળે છે, એ ખૂબ કષ્ટ હોવા છતાં તેનું હૃદય મનને ત્રાસ આપતું નથી. રામપંડિતનો આ ઉપદેશ સાંભળીને બધા શોકમુક્ત થયા.

ત્યારબાદ ભરતકુમારે રામપંડિતને પ્રણામ કર્યા અને પ્રાર્થના કરી - "વારાણસી ચાલો અને તમારું રાજ્ય સંભાળો." રામપંડિતે કહ્યું, "તાત! લખનકુમાર અને સીતાદેવીને લઈ જઈને રાજ્ય પર શાસન કરો."

"અને ભગવાન! તમે? "

"તાત!, પિતાજીએ મને કહ્યું હતું કે બાર વર્ષ પછી આવો અને રાજ કરો. જો હું હમણાં જઉં તો મારા પિતાની આજ્ઞાનું પાલન નહીં થાય, હજી ત્રણ વર્ષ બાકી છે. એ પૂર્ણ થયા પછી જ હું આવીશ."

"તો એટલો વખત સુધી રાજ્ય કોણ ચલાવશે?"

"તમે શાસન કરો"

"હું નહીં ચલાવું."

"તેથી હું આવું ત્યાં સુધી આ પદુકા રાજ્ય સંભાળશે."

ત્રણેયે રામપંડિતની પાદુકા લીધો, નમન કર્યાં અને વારાણસી પરત ફર્યા. પાદુકાઓએ ત્રણ વર્ષ શાસન કર્યું. કોઈ સાચો જવાબ આપે તો એ ચૂપ રહેતી અને ખોટું બોલે તો એ બે અથડાઈને પોતાનો મત રજૂ કરતી. રામપંડિત, ત્રણ વર્ષ પછી જંગલમાંથી પાછા આવ્યા અને વારાણસી શહેર પહોંચ્યા, અમત્યાઓએ મહેલમાં રામપંડિતને મુગટ પહેરાવ્યો અને રાજ્યાભિષેક કર્યો. (દશરથ જાતક કથા ૪૬૧, દશરથ જાતક પાલી જાતકટ્ઠવણ્ણનામાં છે)

અહીં સમજાય છે કે દશરથ જાતકમાં સીતાહરણ અને રાવણવધની કથા નથી. અને વેબરે એના માટે પણ તર્ક શોધી કાઢ્યો છે, એ લખે છે કે એ આરોપ મૂકવા નથી માંગતો કે એમ પણ કહેવા નથી માંગતો કે વાલ્મિકીએ નકલ કરી, પણ પછી એ બહુ સિફતથી આ ઘટનાઓને ગ્રીક હોમરના કાવ્ય ઇલિયડ અને ઓડિસી પરથી પ્રેરિત બતાવે છે. ઇન્ટરનેટ પર જે દલીલો દેખાય છે તેમાં વેબરના મત સાથે કોઈ સહમત હોય એમ દેખાતું નથી. અમુક વિદ્વાનો એમ પણ માને છે કે હોમર પોતે રામાયણથી પ્રેરિત હતા અને અનેક સ્વરૂપે તેણે રામાયણમાંથી પ્રેરણા લઈ પોતાની કથાઓ લખી છે.

અને હવે આવું લખનાર વેબરના તર્કને ભાંગીને ભૂક્કો કરી નાખે એવો તર્કબદ્ધ અને આધારભૂત જવાબ મુંબઈના વકીલ કાશીનાથ ત્ર્યંબક તેલંગે પુસ્તક દ્વારા આપ્યો છે, ‘શું રામાયણ હોમરની નકલ હતી? – પ્રોફેસર વેબરને જવાબ..’ અને એ પુસ્તકમાં તર્ક દ્વારા એમણે સિદ્ધ તો કર્યું જ છે કે રામાયણ સૌથી પ્રાચીન અને મૂળ ગ્રંથ છે, પણ એમાં વધુ માણવા જેવા એ કટાક્ષ છે જે તેલંગજી વેબરને તાકીને મૂકે છે. એ વેબરને કહે છે કે બૌદ્ધ કથાઓ પણ અમારી જ છે અને એને સમજવા ફક્ત તર્કથી કામ નહીં ચાલે, આ સંસ્કૃતિ અને તેના વૈવિધ્યને પણ સમજવું પડશે. અને આમ કરીને એ વેબરના અજ્ઞાન પર સીધો કટાક્ષ કરે છે.

મને તૈલંગજીનું આ પુસ્તક વાંચીને ખૂબ મજા આવી ગઈ અને એટલે જ ગઈકાલે એ વાંચવામાં જ સમય ગયો. આ પંચોત્તેર પાનાનું પુસ્તક છે જેનું પચાસેક પેજનું પેપર તેમણે મુંબઈમાં ૨ સપ્ટેમ્બર ૧૮૭૨ના રોજ સ્ટુડન્ટ્સ લિટરરી એન્ડ સાયન્ટિફિક સોસાયટીમાં વાંચ્યું હતું. એ પેપર પછી કેટલાક ઉમેરણ છે જેમાં તેઓ આ બાબતના વધુ આધાર એ પેપર મૂક્યા પછી પણ તેમાં ઉમેરે છે. પુસ્તક પરિચયમાં તેઓ લખે છે કે = રામાયણ શું છે એ વિશે ઘણાં પ્રશ્નો કરાઈ રહ્યાં છે, કેટલાક એવું માને છે કે આ ભૂમિના મૂળ લોકો સામે આર્યોનો વિકાસ દર્શાવે છે, બીજો એક ભાગ તેને બ્રાહ્મણ અને બુદ્ધો વચ્ચેના વિખવાદનું વિવરણ માને છે (વેબર રાવણને બૌદ્ધ રાજા છે એવો તર્ક બતાવે છે.) અને એક ત્રીજો ભાગ તેને કૃષિકળાના વિકાસ અને સમૃદ્ધિના રૂપક તરીકે જુએ છે. અને આ બધાની સાથે રામાયણ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું એ પ્રશ્ન ચર્ચામાં આજકાલ આવ્યો છે, એ પોતે જ મૂળભૂત છે કે પછી બૌદ્ધ સાહિત્યને આધારે લખાયું છે કે પછી બીજા કોઈ સાહિત્યમાંથી ઉધાર લઈને લખાયું છે – આ અને આવા અનેક પ્રશ્ન હમણાં ખૂબ ધ્યાને લેવાયા છે, અને આ પ્રશ્નો ઉભા કરવાનું સઘળું શ્રેય બર્લિનના પ્રોફેસર વેબરને ફાળે જાય છે. મને નથી લાગતું કે પ્રોફેસર વેબરના તર્ક અથવા એમના મત સાથે આ ધરતીનું કોઈ કદી સંમત થાય, રામાયણ – એવું અમર કાવ્ય અને અદ્રુત ગ્રંથ જેની સાથે આપણાં અનેક મનોરમ્ય જીવનપદ્ધતિઓ અને સંસ્કૃતિ જોડાયેલી છે, એ વાત જે માનવના માનવતાથી પણ ક્યાંય ઉચ્ચ આદર્શો સિદ્ધ કરતા મહામાનવની વાત આલેખે છે, એવા દેવતા જેણે પોતાના કર્મે પોતાના આદર્શો મર્યાદાથી સાબિત કર્યા, જે આ દેશના રક્તમાં વણાયેલું છે, એટલે એવું કહેવું કે એ બૌદ્ધ કથામાં હોમરની ટ્રોજન યુદ્ધની વાર્તાનો અનુવાદ ઉમેરણ માત્ર છે એ ઘણાંને નહીં ગમે, પણ હું આ બધું એક તરફ રાખી ફક્ત તર્કપૂર્ણ વાત કરવા માંગુ છું. કોઈ મારી પાસે એનો વૈજ્ઞાનિક અભ્યાસ અને એના આધારે એનું મૂળ હોવું પુરવાર કરવાનું કહે તો આજકાલની એવી માન્યતા કે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા અપાયેલ સાબિતી જ સચોટ સાબિતી છે એ માનીને હું આ ગ્રંથની પ્રમાણભૂતતા સાબિત કરવાનો યત્ન કરું છું.

તેઓ નવમા પેજ પર લખે છે કે પ્રોફેસર વેબરનું આખું પુસ્તક હું વાંચી ગયો પણ ક્યાંય એમણે બુદ્ધ કથાના મૂળ હોવા વિશે અને વાલ્મિકી રામાયણના એની નકલ હોવા વિશે કોઈ પુરાવા આપ્યા નથી, તો પછી એથી ઉંધું હોય એ માની ન શકવા માટે તેમની પાસે કયું કારણ છે? તેઓ બૌદ્ધ સાહિત્યને અને જાતક કથાઓને જૂની ‘માનીને’ એના પર પ્રશ્ન ન કરી શકાય એમ ગણાવીને રામાયણને નકલ ગણાવે છે પણ હું પૂછવા માંગુ છું કે બૌદ્ધ સાહિત્યના કાળ વિશે તેમની પાસે કયા પુરાવા છે? વેબર જેને બૌદ્ધ સાહિત્યનો આધાર માને છે એ પુસ્તક પણ શ્રીલંકામાં રહેલા એક જર્મનનું જ લખેલું છે, મારા મતે તો બૌદ્ધ કથાનું મહત્વનું પાત્ર બ્રાહ્મણ (રાવણ) હોય એ ન માની શકાય, એથી એ પ્રસંગ રામાયણમાં નહીં લેવાયો હોય, એટલે એક તરફ રાવણને બૌદ્ધ ગણાવતા વેબર બીજી તરફ એ પ્રસંગ જાતકકથામાં કેમ નથી એ વિશે કોઈ તર્ક મૂકી શક્તા નથી. પણ બ્રાહ્મણો અને બૌદ્ધ સાહિત્ય વચ્ચેનો સંબંધ તેમને સમજમાં નહીં આવ્યો હોય. હોમરના કાવ્યો પરથી પ્રેરણા લેવાયાની વાત પર પણ તેલંગજી તર્કબદ્ધ ઝાટકણી ખૂબ આદરસભર શબ્દોમાં કાઢે છે, તેઓ લખે છે, જો કે વેબર પોતે વાલ્મિકીએ હોમરની નકલ કરી છે એમ લખવાથી બચતા દેખાય છે, પણ હોમર અને એમના કાવ્યોના રામાયણ સાથેના ઉલ્લેખથી અને એ પહેલા લખાયું છે અને રામાયણ પછી એવા તર્કથી એમનો હેતુ સમજાય છે, અને આ ભાગ તો અંગ્રેજીમાં વાંચવાની જ મજા આવશે..

જુઓ.. What comparison can there be between the very feminine Paris, who was the ravisher of Helen, and the conqueror of the world, the dreaded enemy of the Gods themselves, who was the ravisher of Sita? What comparison can there be between the mean coquetry of the Greek heroine and the heavenly purity of King Janaka’s child? Agamemnon is Menelaus’s brother, Sugriva is not the brother of Rama, Lakshmana is the brother of Rama and is not killed; Patroklus is not the brother of Achilles and is killed. Further if Rama is to be compared to Achilles, who is to be impressed to do service for Menelaus? And if on account of his wife having been ravished, Rama is to be likened to Menelaus, whom on this theory, has the Ramayuana to show as the analogue of Achilles of him whose wrath was ‘to Greece the direful spring of woes unnumbered?’ You will find greater similarity between the main story and the principal characters of Shakespeare’s Othello and sir Walter Scott’s Kenilworth. Yet nobody ever dreamt of contending that Sir Walter Scott took his varney from Iago or his Amy from Desdemona. Professor Weber lays no stress on this.

આ લખવાનો તો કોઈ અંત નહીં આવે કારણ કે તેલંગજીનું આ આખું પુસ્તક આવા જ જવાબો અને તર્કોથી ભરપૂર છે. છેલ્લે પુસ્તકમાં તેઓ લખે છે કે આ અભ્યાસ માટે હોમરની કૃતિઓ વાંચ્યા પછી મારો તર્ક કહે છે કે ગ્રીક અને હિંદુઓ વચ્ચે હિંદુઓ લેવાવાળા નહીં પરંતુ આપનાર છે, તેમને લાગે છે કે ગ્રીક જાતિઓ પાસે પૂર્વની પ્રેરણા હશે. હોમરનું મૂળ કાવ્ય સમય સાથે બદલાયું હશે પણ એનું મૂળ તો રામાયણ જ હોવું જોઈએ.. હોમરે પૂર્વના દેશોનો પ્રવાસ કર્યો હતો એને અવગણીને એમ કહી દેવું કે હોમર જ મૂળ રચયિતા હતો અને એ જ્યાં ગયો ત્યાંના લોકોએ તેના સર્જનની નકલ કરી એ કોઈ પણ સંસ્કૃતિને શોભે તેવું નથી.

તેલંગજીના પુસ્તકમાં શ્રવણના શ્રાપ વિશેની પણ ખૂબ વિગતે અને તથ્યપૂર્ણ વાત મૂકાઈ છે, તેમનું વાંચન કેટલું ઉંડુ હશે એની સાબિતી તેમણે મૂકેલા ભર્તુહરી અને કાલિદાસના સાહિત્યના અનેક રેફરન્સ અને એથી સાબિત કરેલ એમનો સમયગાળો, એ તારણ કે કાલીદાસ ભર્તુહરી પહેલા થયેલા, નીતીશતક, મૃચ્છકટિકમ, મેઘદૂત, અભિજ્ઞાન શાકુંતલમ, પશ્ચિમના અનેક વિદ્વાનોના તર્કો અને તારણો અને જાતક કથાઓ વગેરેનો ગહન અભ્યાસ દેખાઈ આવે છે, આ પુસ્તકનો અને વેબરના પુસ્તકનો ગુજરાતી અનુવાદ, કે ઇવન હિન્દી અનુવાદ દેખાતો નથી, એ કરવો જોઈએ એમ મને લાગે છે જેથી એ વિશે પશ્ચિમના વિદ્વાનોએ ફેલાયેલી ભ્રમણાઓની જાળ તોડીને આપણે આપણા પોતાના ગ્રંથો વિશે સાચી માહિતી મેળવી શકીએ.

રામાયણ વિશે અનેક કથાઓ અને સંસ્કરણો ઉપલબ્ધ છે, તો શું આપણે એ કથાઓથી આહત થઈ જવું જોઈએ? અનેક દેશોમાં આ કથાઓ અનેક સ્વરૂપે ઉપલબ્ધ છે, જાવાની રામ કલિંગ અને મલાયાની સેરીરામમાં સીતાજીને દશરથની પુત્રી દેખાડાયા છે, તિબેટ, ઇન્ડોનેશિયા, વગેરેમાં માતા સીતાને મંદોદરીની દીકરી પણ બતાવાયા છે. શું આ કથાઓને આપણે માતા સીતાના અપમાન સ્વરૂપે ગણવી જોઈએ? મને લાગે છે કે દશરથ જાતક સહિત સમગ્ર બૌદ્ધ સાહિત્ય અને આ કથા તો આપણી પોતાની પાસે ઉપલબ્ધ કથા છે, આપણી જ સંસ્કૃતિની દેણગી છે જેને આપણે જોઈ, પણ એ સિવાય અનેક દેશોમાં ભિન્ન સંસ્કૃતિઓમાં આપણી આ જ કથાઓ અનેક સ્વરૂપે સચવાઈ છે અને અંતે આપણી માન્યતાઓ ‘જ’ સાચી છે એમ માની અન્યોની વાતને ખોટી ગણવી એ ઉદ્દેશ ન જ હોવો જોઈએ, આપણે આ બધી જ કથાઓથી એક અનોખા પ્રકારની વિચારસરણી સાથે જોડાઈએ છીએ.

ધર્મનું મૂળ એક સ્વચ્છ અને સ્વસ્થ સમાજની રચનામાં છે, અને આ કથાઓ જ્યાં પણ છે ત્યાં બધે તેમનો પવિત્ર પ્રભાવ દેખાઈ આવે છે. ધર્મપ્રેમી વ્યક્તિએ પણ અન્યોના મત અને સંસ્કૃતિનો આદર કરવો જોઈએ એવું જ આપણને આપણી સંસ્કૃતિ શીખવે છે, એટલે એ બધી જ કથાઓનો સંપૂર્ણ આદર અને સ્વીકાર હોવો જોઈએ. પરંતુ વેબર જેવા પાશ્ચાત્ય વિદ્વાનોના તર્કને આધારે આપણી કથાઓની તોડી મરોડીને પ્રસ્તુત કરેલી ભિન્ન આવૃત્તિઓ તર્કબદ્ધ રીતે જ ખોટી સાબિત કરવી જોઈએ અને શ્રી તેલંગ જેવા વિદ્વાનોએ એ કર્યું છે એનો અત્યંત આનંદ છે.

જય શ્રી રામ 🚩
જય શ્રી કૃષ્ણ 🚩

#Ramayan

જીજ્ઞેશ અધ્યારું**

સંઘર્ષ કથા :- તો ઈરફાન ખાન મિકેનિક બન્યો હોત!

54 વર્ષ? આ કંઈ ઉમ્મર નથી મરવાની. ઇરફાન પાસેથી એ શીખવાનું છે કે ટૂંકા આયુષ્યને પણ કેવી રીતે ભરપૂર બનાવી શકાય છે - પ્રતિભાથી, પુરુષાર્થથી, નિષ્ઠાથી અને સાતત્યથી.


ઈરફાન ખાન ટીનૅજર હતો ત્યારે તેના પિતાના ગેરેજમાં આખો દિવસ વાહનોમાં હવા ભરવાનું કામ કરતો હતો!


જર્નાલિસ્ટ ફ્રેન્ડ નિશાંત ભૂસે પાસેથી પોપ્યુલર ઍક્ટર ઈરફાન ખાનના મ્રુત્યુના ન્યુઝ મળ્યા એ સાથે દિલમાં એક ટીસ ઊઠી. ઈરફાન ખાનને વ્યક્તિગત રીતે મળવાનું થયું હતું. અને તેની અદ્ભુત ઍક્ટિંગનો હું ચાહક રહ્યો છું. ઈરફાન સાથે ક્યારેક પત્રકાર તરીકે મળવા સિવાય મારે સીધો કોઈ સંબંધ નહોતો, પણ ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા અમારા કોમન ફ્રેન્ડ. અને બીજી એક વાત એ કે તિગ્માંશુએ ઈરફાન ખાનને બૉલીવુડમાં મૅજર બ્રેક આપ્યો હતો અને મને પણ તિગ્માંશુને કારણે બોલીવુડમાં એન્ટ્રી મળી (તિગ્માંશુએ મારી ઈંગ્લિશ નોવેલ ‘મૅડમ એક્સ’ના રાઈટ્સ લીધા છે). ઈરફાનનું જીવન અત્યંત ચડાવ-ઉતારવાળું રહ્યું હતું. તેના જીવનની થોડીક વાતો રીડર્સ સાથે શેર કરવાનું મન થાય છે.
ઈરફાન ખાન ટીનૅજર હતો ત્યારે તેના પિતાના ગેરેજમાં આખો દિવસ વાહનોમાં હવા ભરવાનું કામ કરતો હતો. એને ગેરેજ કહો કે દુકાન કહો, ત્યાં વાહનોમાં હવા ભરવાનું અને નાનામોટા રીપેરિંગનું કામ થતું હતું. એની સાથે એ નાનકડી દુકાનમાં થોડીઘણી જરૂરી ચીજો પણ વેચાતી હતી. ઇરફાન ખાનની મહત્ત્વાકાંક્ષા ના હોત તો પૂરી શક્યતા હતી કે એ મિકેનિક બની ગયો હોત!
ઈરફાન ખાનના દાદા રાજસ્થાનમાં નાનકડા રાજ્યના નવાબ હતા પણ પછી સમય બદલાયો અને તેના કુટુંબે ગરીબીમાં જીવવાનો વારો આવ્યો. ઈરફાન ના પિતા ગરીબ હતા. તેમની પાસે માત્ર રૉયલ ફેમિલીના વંશજ હોવાનું ગૌરવ લેવા સિવાય બીજું કંઈ નહોતું. ગુજરાન ચલાવવા માટે તેમણે દુકાન શરૂ કરી હતી અને ઈરફાન પ્રાથમિક શાળામાં ભણતો હતો ત્યારથી પિતાની દુકાનમાં મદદ કરવા જવા લાગ્યો હતો. તેના પિતાએ સારો સમય પણ જોયો હતો અને ઇરફાન ની માતા પણ એક સમૃદ્ધ હકીમ કુટુંબમાંથી હતી પણ ઇરફાન સમજણો થયો ત્યારે તેના કુટુંબની આર્થિક સ્થિતિ અત્યંત નબળી હતી. જોકે નવાબ ખાનદાનમાંથી આવતા હોવાને કારણે તેના પિતા સંતાનોને ફિલ્મો જોવા દેતા નહોતા. ફિલ્મ જોવી એ હલકા લોકોની પ્રવૃત્તિ છે એવું તેઓ માનતા હતા. એના કારણે ઇરફાનને બાળપણમાં અને કિશોરાવસ્થામાં ફિલ્મો જોવાની તક મળી નહોતી. જયપુરથી 100 કિલોમીટર દૂર તેના વતન ટોંકમાં ‘રાજ’ ટોકિઝ હતી એની બહાર ઇરફાન પોતાના મિત્રો સાથે ઊભો રહેતો અને ફિલ્મ ચાલુ હોય એ દરમિયાન થિયેટરનો દરવાજો ખૂલતો તો તેને ફિલ્મની એક ઝલક થોડી સેકન્ડ માટે જોવા મળી જતી.

ઇરફાન છેક દસમા ધોરણમાં આવ્યો ત્યારે તેને પહેલી વાર થિયટરમાં ફિલ્મ જોવાની તક મળી હતી. દુકાનેથી છટકીને ફિલ્મ જોવા જવું હોય તો ઈરફાને ઘણી માથાકૂટ કરવી પડતી હતી. ફિલ્મ જોવા માટે ત્રણ કલાક પિતાની નજરમાંથી દૂર થવું પડે અને સ્વાભાવિક રીતે એટલો સમય એ દુકાને કે ઘરમાંથી આઘોપાછો થઈ જાય તો તેના પિતાને શંકા ગયા વિના રહે નહીં.
આ સ્થિતિમાં દસમા ધોરણમાં ભણતી વખતે સ્કૂલમાંથી ડાંડી મારીને ઈરફાને છાનામાના ફિલ્મ જોઈ હતી. એ પછી તો તેને ફિલ્મો જોવાનો ચસકો લાગ્યો અને તે ફિલ્મ જોવાના મોકા શોધવા લાગ્યો. ફિલ્મ જોવા જવા માટે તેણે ઘરમાં ખોટું બોલીને જવું પડતું હતું. એક વાર આવી રીતે છાનામાના ફિલ્મ જોવા ગયો એ પછી તેનું જુઠાણું પકડાઈ જવાનો ડર લાગ્યો એટલે તેણે પોતાના હાથ અને પગ પર કાપા મૂક્યા અને લોહી નીકળતી હાલતમાં ઘરે ગયો એટલે તે ત્રણ કલાક ગાયબ હતો એ વાત બાજુએ રહી ગઈ અને તેના માતા-પિતા તેની ઈજાની ચિંતા કરવા લાગ્યા.
દસમાં ધોરણમાં ભણતી વખતે હિન્દી ફિલ્મ જોઈ એ પછી ઈરફાનના મનમાં અભિનેતા બનવાની મહત્ત્વાકાંક્ષા જાગી. જે ઘરમાં ફિલ્મ જોવા પર પ્રતિબંઘ હોય એ ઘરમાં ફિલ્મ અભિનેતા બનવાની વાત કરવી એ બહુ મોટું સાહસ હતું. પોતાને અભિનેતા બનવાનો વિચાર આવ્યો એ વાત ઘરમાં તો ઠીક પોતાના બેસ્ટ ફ્રેન્ડને કહેતા પણ ઇરફાન અચકાતો હતો. તેના બેસ્ટ ફ્રેન્ડને એ વાત કહેવાની હિંમત કરવામાં ઇરફાનને દોઢ વર્ષ જેટલો સમય લાગ્યો હતો! ઈરફાને તેના ખાસ દોસ્તને વાત કરી કે મારે ફિલ્મ અભિનેતા બનવું છે ત્યારે તેના એ ગાઢ મિત્રએ તેને પાનો ચડાવ્યો પણ તેની આંખો કહેતી હતી કે ઇરફાન ને તેના ઘરમાંથી એ માટે પરવાનગી મળશે એવી સહેજ પણ આશા તેને નહોતી.
ઇરફાનના માતા-પિતા ઇરફાન માટે જુદું જ વિચારતા હતા. ઇરફાનની માતા ઇચ્છતી હતી કે ઇરફાન ભણીગણીને સારી ડિગ્રી મેળવે એના આધારે એ સારી નોકરી મેળવી શકે તો જીવનમાં ઠરીઠામ થાય. ઇરફાનની માતાએ કારમાં ફરવાની લકઝરી ભોગવી હતી અને તેમના ઇરફાનના પિતા સાથે લગ્ન થયા એ વખતે ઇરફાનના પિતા પાસે પણ સેકન્ડહેન્ડ ખુલ્લી જીપ હતી. જોકે પછી તો ઇરફાનના પિતાનો ખરાબ સમય આવ્યો હતો અને તેમણે વાહન ચલાવવાને બદલે વાહનો રીપેર કરવાનો વારો આવ્યો હતો. ચાર ભાઈ-બહેનોમાં ઇરફાન સૌથી મોટો હતો એટલે પણ તેની માતાની તેની પાસે બહુ અપેક્ષા હતી.
જોકે ઇરફાનના પિતા એવો આગ્રહ નહોતા રાખતા કે ઇરફાન ભણીગણી સારી નોકરી મેળવે. તેઓ ઇચ્છતા હતા કે ઇરફાન કોઈ નાનોમોટો ધંધો શીખી લે અને સરખું કમાતો થઈ જાય તો બહુ છે. આ દરમિયાન ઇરફાનની અભિનેતા બનવાની મહત્ત્વાકાંક્ષા પ્રબળ બની રહી હતી. જોકે એની પિતા સામે એ વિશે વાત કરવાની હિંમત ચાલતી નહોતી. ઇરફાન એના પિતાની પરવાનગી માગીને દિલ્હીમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (એનએસડી)માં ભણવા જવાનું વિચારતો હતો એ દરમિયાન જ અચાનક તેના પિતા મૃત્યુ પામ્યા.
પિતાના મૃત્યુને પગલે ઇરફાન પર આખા ઘરની જવાબદારી આવી પડી. એક બાજુ ઇરફાન પર ઘર ચલાવવાની જવાબદારી હતી અને બીજી બાજુ તેની ફિલ્મ અભિનેતા બનવાની મહત્ત્વાકાંક્ષા હતી. પિતા મૃત્યુ પામ્યા એ અગાઉ છાનામાના તેણે એનએસડીમાં પ્રવેશ મેળવવાની કોશિશ શરૂ કરી દીધી હતી. ઇરફાનને એનએસડીમાં પ્રવેશ મળ્યો એ વખતે એ પિતાનું છત્ર ગુમાવી ચૂક્યો હતો અને તેની પાસે ફૂટી કોડી પણ નહોતી. ઈરફાને એનએસડીમાં પ્રવેશ મેળવવા માટે 300 રૂપિયા ફી ભરવાની હતી, પણ તેની પાસે પૈસા આપનારું કોઈ નહોતું!
આ માટે ઈરફાને મિત્રો પાસે મદદ માગી પણ એ વખતે એ જેને અંગત મિત્રો માનતો હતો એમાંથી એક પણ મિત્ર એને કામ ન લાગ્યો. (‘બિલ્લુ બાર્બર’ ફિલ્મના શૂટિંગ વખતે ઇરફાનને એ દિવસો યાદ આવી ગયા હતા. એ ફિલ્મમાં ઇરફાન ખાનના ગામમાં શાહરૂખ ખાનનું પાત્ર સુપરસ્ટાર તરીકે ફિલ્મના શૂટિંગ માટે જાય છે ત્યારે એક શાળાના સમારંભમાં કહે છે કે મારી પાસે આગળ ભણવાના પૈસા નહોતા ત્યારે મારો બાળપણનો દોસ્ત બિલ્લુ મને મદદ કરતો રહ્યો હતો!)
એ વખતે મિત્રોએ તો હાથ ઊંચા કરી દીધા, પણ ઇરફાનની નાની બહેન ઇરફાનની મદદે આવી. ઈરફાને બહેન પાસે પૈસા ઉછીના માગ્યા. તેની બહેને તેને પૈસા આપી પણ દીધા. જોકે ઇરફાનની માતાને એ ન ગમ્યું. તે ઇરફાન દિલ્હી ભણવા જાય એની વિરુધ્ધ હતી. તેણે પૂછ્યું કે ‘દિલ્હીમાં તું જે ભણવા જાય છે એ ભણીને શું ફાયદો?’ ઇરફાન પહેલી વાર અને છેલ્લી વાર એની માતા સામે ખોટું બોલ્યો કે દિલ્હીમાં હું ભણી લઉં પછી પાછો આવી જઈશ અને જયપુરમાં મને થિયેટર પ્રોફેસર તરીકે નોકરી મળી જશે! ઇરફાને એવું કહ્યું ત્યારે એ સ્પષ્ટ હતો કે તેને માત્ર અને માત્ર ફિલ્મોમાં અભિનય જ કરવો છે.
અને ઇરફાન એનએસડી (નૅશનલ સ્કૂલ ઓફ ડ્રામા)માં અભ્યાસ માટે દિલ્હી ગયો. ત્યાં જઈને તેને મોકળાશનો અને ફ્રીડમનો અનુભવ થયો. ત્યાં એના પર કોઈ પ્રતિબંધ નહોતો. એનએસડીના અભ્યાસના કલાકો બાદ કરતા એ ક્યાં ગયો, એણે શું કર્યું એવા સવાલો પૂછવાવાળું પણ કોઈ નહોતું. કોઈ સવાલ પૂછનારું નહીં એટલે જવાબ આપવાની, ખોટું બોલવાની કે ખુલાસા કરવાની પણ જરૂર નહીં. જોકે એ વખતે તેના મનમાં એક સવાલ જરૂર ઉઠતો હતો કે એનએસડીમાં બધું ભણાવાતું હતું પણ અભિનય કરતી વખતે લાગણી દર્શાવવાનું કોઈ કઈ રીતે શીખવી શકે? એ વખતથી તે માનતો થઈ ગયો હતો કે સારી અથવા વાસ્તવિક અભિનયશક્તિ તો જ ખીલવી શકાય જો એક્ટર પાત્ર સાથે લાગણીથી જોડાઈ શકે.
એનએસડીમાં તાલીમ લીધા પછી પોતાને માટે બૉલીવુડના દરવાજા ખૂલી જશે એવું માનતા ઇરફાનને જોકે કલ્પનાતીત સંઘર્ષ કરવો પડ્યો હતો. એને જોકે તેની પહેલી ફિલ્મમાં અભિનય કરવાની તક તો 1988માં એ એનએસડીમાં છેલ્લા વર્ષમાં ભણતો હતો ત્યારે જ મળી ગઈ હતી. મીરા નાયર ‘સલામ બોમ્બે’ ફિલ્મ બનાવવાના હતા ત્યારે તેઓ એનએસડીમાં ગયા હતા અને તેમણે ઇરફાનને સાઈન કર્યો હતો. ઇરફાને ‘સલામ બોમ્બે’માં અભિનય કર્યો હતો પણ ત્યારે એ દિલ્હી જ રહેતો હતો. ફિલ્મસર્જક ગોવિંદ નિહલાનીએ તેને નાટકોમાં અભિનય કરવા માટે મુંબઈ બોલાવ્યો ત્યારે તે મુંબઈ રહેવા આવ્યો હતો.
‘સલામ બોમ્બે’ ફિલ્મમાં અભિનય અને થોડા નાટકો કર્યા પછી ઇરફાને હિન્દી ફિલ્મોમાં રોલ મેળવવા માટે કોશિશ શરૂ કરી પણ એને તક મળી નહીં.
સંઘર્ષના એ દિવસોમાં ઇરફાનને ટીવી સિરિયલોમાં અભિનયની તક મળી એ તેણે આંખ મીચીને ઝડપી લીધી. ‘બનેગી અપની બાત’ અને ‘ચંદ્રકાંતા’ જેવી લોકપ્રિય બનેલી ટીવી સિરિયલમાં અભિનય કરવાને કારણે તેનો ચહેરો જાણીતો બની ગયો. તિગ્માંશુ ધુલિયાએ વિખ્યાત ગુજરાતી લેખક ચંદ્રકાંત બક્ષીની વાર્તા પરથી સ્ટાર બેસ્ટસેલર માટે ‘એક શામ કી મુલાકાત’ શોર્ટ ફિલ્મ બનાવી હતી એનો હીરો પણ ઈરફાન ખાન હતો. એ ફિલ્મના પ્રોડ્યુસર ગુજરાતી સુનીલ દોશી હતા. જોકે હિન્દી ફિલ્મોમાં અભિનય કરવાની તેની ઇચ્છા તો ફળીભૂત થતી નહોતી. એ વખતે તેને ફિલ્મ ડિરેક્ટર આસિફ કાપડિયાએ તેમની અંગ્રેજી ફિલ્મ ‘ધ વોરિયર’માં અભિનય કરવા માટે બોલાવ્યો. એ વખતે ઇરફાન કંઈ પણ કામ કરવા માટે તૈયાર હતો એટલે એ ફિલ્મ તેણે સ્વીકારી લીધી. જોકે એ ફિલ્મ બન્યા પછી એનો પ્રીમિયર શો ન્યુ યોર્કમાં યોજાયો ત્યારે ઇરફાનને ખબર પડી કે એ ફિલ્મની એની કરીઅરમાં શું અસર પડશે. એ ફિલ્મ જોઈને પ્રેક્ષકો અને મીડિયા બંનેએ ઇરફાનના વખાણ કર્યા અને વિવેચકોએ પણ ઇરફાનને બિરદાવ્યો.
જોકે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો એ હજી સ્ટ્રગલર જ હતો. એ વખતે એક ડિરેક્ટર ફ્રેન્ડ તેની વહારે આવ્યો. ઇરફાન જ્યારે એનએસડીમાં ભણતો હતો ત્યારે તેની સાથે ભણતા વિદ્યાર્થીઓમાં એક તિગ્માંશુ ધુલિયા પણ હતો. ઇરફાન અને તિગ્માંશુ દિલ્હીમાં દોસ્ત બની ગયા હતા અને તિગ્માંશુ ઇરફાનની અભિનયકળાથી પ્રભાવિત હતા. તિગ્માંશુએ ઇરફાનને દિલ્હીમાં ભણતી વખતે અને મુંબઈમાં સંઘર્ષ કરતી વખતે અનેક વાર કહ્યું હતું કે હું ફિલ્મ બનાવીશ ત્યારે તને ધમાકેદાર રોલ આપીશ. પણ તિગ્માંશુનો પોતાનો સંઘર્ષ ચાલુ હતો. તિગ્માંશુને દોઢ દાયકા જેટલા સંઘર્ષ પછી પહેલી ફિલ્મ ડિરેક્ટ કરવાની તક મળી ત્યારે તેણે ઇરફાનને સાઇન કર્યો. 2003માં ‘હાસિલ’ ફિલ્મ રિલીઝ થઈ એ સાથે તિગ્માંશુ અને ઇરફાન બન્નેનું નામ બૉલીવુડમાં અને પ્રેક્ષકોમાં જાણીતું બની ગયું.
‘હાસિલ’માં ઇરફાને વિલનનો રોલ કર્યો હતો પણ તેના અભિનયથી તે છવાઈ ગયો. તેને ઘણા એવોર્ડસ મળ્યા અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનેતા તરીકે તેની આગવી ઓળખ ઊભી થઈ ગઈ. જોકે એ ફિલ્મથી ઇરફાનને પ્રશંસા મળી પણ બીજી ફિલ્મોમાં રોલ ન મળ્યા. ઇરફાનને હતું કે આ ફિલ્મથી આટલા એવોર્ડસ અને આટલી શાબાશી મળ્યા પછી તો હવે બૉલીવુડના ડિરેકટર્સ મને સામે ચાલીને કામ આપશે. પણ એવું કંઈ જ ન થયું. એ સમય દરમિયાન ઇરફાન નવી ફિલ્મોમાં રોલ મેળવવા રીતસર વલખા મારતો હતો. તે કોઈ હિન્દી ફિલ્મમાં વિલનના સાથીદાર તરીકેનો રોલ પણ કરવા તૈયાર હતો! એ વખતે ઇરફાન શરમાળ હતો અને સામે ચાલીને કામ માગવા જવાનું તેને અપમાનજનક લાગતું હતું.
એ પછી વળી તિગ્માંશુ ધુલિયાએ તેને ‘ચરસ’ ફિલ્મમાં વિલનનો રોલ આપ્યો. એ ફિલ્મ જોકે ચાલી નહીં, પણ ઇરફાનના વધુ એક વાર અભિનય માટે વખાણ થયા. જોકે એ પછી ધીમે-ધીમે તેને ફિલ્મો મળતી ગઈ. આસિફ કાપડિયાની અંગ્રેજી ફિલ્મ ‘ધ વૉરિયર’માં અભિનય કરવાને કારણે તેને વર્ષો પછી માઇકલ વિન્ટરબોટમની ‘અ માઇટી હાર્ટ’ ફિલ્મમાં બ્રેડ પિટ અને એન્જેલિના જોલી જેવા, હૉલીવુડના ટોચના સ્ટાર્સ સાથે અભિનય કરવાની તક મળી. 2006માં તેણે મીરાં નાયરની ‘ધ નેમસેક’ ફિલ્મમાં પણ અભિનય કર્યો અને એ પછી ડેની બોયગલની ‘સ્લમડોગ મિલિયનેર’ ફિલ્મ પણ તેને મળી અને 2012માં એંગ લીની ફિલ્મ ‘લાઇફ ઓફ પાઇ’ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ખ્યાતિ વધી.
આ દરમિયાન તેને બૉલીવુડની ‘મકબૂલ’, ‘સાત ખૂન માફ’, ‘બિલ્લુ બાર્બર’, ‘મુંબઈ મેરી જાન’, અને ‘રોગ’, સહિત ઘણી ફિલ્મો મળી અને 2012માં ‘પાનસિંઘ તોમર’ ફિલ્મ સુપરહોટ સાબિત થઈ અએન એ ફિલ્મને નૅશનલ એવોર્ડ પણ મળ્યો. એ ફિલ્મને આટલી સફળતા મેળવશે એવી ખુદ ઇરફાનને પણ કલ્પના નહોતી. એ ફિલ્મમાં જોકે તિગ્માંશુને અને ઇરફાનને શ્રદ્ધા હતી અને ફિલ્મના યુનિટના સભ્યો પણ એની સફળતા ઇચ્છતા હતા પણ એમને બાદ કરતા કોઈને ભરોસો નહોતો કે એ ફિલ્મ સુપરહિટ સાબિત થશે. હિટ થવાની વાત તો છોડો, એ ફિલ્મ ચાલશે એવી ખુદ એ ફિલ્મના પ્રોડ્યુસરને પણ કલ્પના નહોતી. એટલે એ ફિલ્મ ચાર વર્ષ સુધી ડબ્બામાં પડી રહી હતી!
ઇરફાનની ‘પાનસિંઘ તોમર’ જેમ જ ‘સ્લમડોગ મિલિયનેર’ ફિલ્મમાં પણ એના ઓરિજિનલ સ્ટુડિયોને દમ નહોતો લાગ્યો એટલે એ ફિલ્મને ડીવીડી દ્વારા જ માર્કેટમાં મૂકવાનો નિર્ણય એ સ્ટુડિયો દ્વારા થયો હતો. એથી દિગ્દર્શક ડેની બોયલ ઘાંઘાવાંઘા થઈ ગયા અને તેમણે એ ફિલ્મ ટૉરન્ટોમાં જઇને ફોક્સ સર્ચલાઇન સ્ટુડિયોના 200 માણસને બતાવી. તે લોકોએ એ ફિલ્મ જોઈ અને તેમણે એ ફિલ્મ રિલીઝ કરવાની તૈયારી દર્શાવી. જોકે એ સ્ટુડિયોએ પણ એ ફિલ્મ માત્ર ન્યુ યોર્કના એક જ થિયેટરમાં દર્શાવી. પણ એ ફિલ્મ ઇરફાનની કરિયરની જેમ પાછળથી ઊંચકાઈ અને એ ફિલ્મે દુનિયાભરમાંથી રૂપિયા 1600 કરોડનો વકરો કર્યો હતો!
ઈરફાનનું શરીર આ દુનિયા છોડી ગયું છે, પણ તેણે કરેલા પાત્રો થકી તે લોકોના હ્રદયમાં પોતાનું આગવું સ્થાન બનાવી ગયો છે. તેની ફિલ્મ્સ થકી તેનું નામ લોકોની યાદોમાં સચવાયેલું રહેશે.

સાભાર

લાઈફ ડૉટ કોમ
Aashu Patel

Friday, April 24, 2020

શા માટે સ્કૂલની બસનો કલર ફક્ત પીળો જ હોય છે ?

દોસ્તો તમે જ્યારે રોડ પર નીકળો છો કે સ્કૂલની બસો તમારા બાળકો શાળામાં ભણતા હોય તો તેમને જે બસ લેવા તથા મૂકવા માટે આવતી હોય છે તે પણ તમે જોયી જ હશે. તો તમે એક વસ્તુ માર્ક કરી જ હશે કે દરેક સ્કુલ બસ જે વિદ્યાર્થીઓને ઘરેથી શાળાએ અને શાળાએથી ઘરે છોડે છે તે હંમેશા પીળા રંગની જ હોય છે. આમ તો ઘણા કલરો છે જેમ કે લીલો, લાલ, ગુલાબી, બ્લુ, સફેદ પરંતુ આ બધા કલરને છોડીને સ્કુલ બસ માટે ફક્ત પીળો કલર જ શા માટે પસંદ કરવામાં આવ્યો હશે. તે સ્કુલ વાળા પ્રિન્સિપલ દ્વારા નક્કી કરેલો નથી. કારણ કે તેવું હોય તો દરેક સ્કુલની બસનો કલર અલગ અલગ હોય. પરંતુ અહીં મહત્વની વાત એ છે કે સ્કુલ કોઈ પણ હોય પરંતુ તેની સ્કુલ બસનો રંગ હમેંશા પીળો જ હોય છે. તો દરેક શાળા માટે આવું લાગુ પડતું હોય તો તેની પાછળ પણ કંઈક સ્ટ્રોંગ રીઝન તો હશે જ ને ? તો ચાલો જાણીએ કે શા માટે સ્કુલ બસનો રંગ પીળો હોય છે.


યુ.એસ એટલેકે અમેરિકાનો કાનૂન મુજબ ફ્લેશિંગ લાઈટ અને સેફટી ડીવાઈસની સાથે સાથે સ્કુલ બસનો રંગ પણ પીળો રાખવો જોઈએ. આ માટે ડોક્ટર ફ્રેંક ડબ્લ્યુએ ૧૯૪૯ માં સ્કુલ નિયમો સ્થાપના માટે એક સંમેલનનું આયોજન કર્યું હતું. જેમાં સંયુક્ત રાજ્યોએ પોતાની સ્કુલમાં એક નિયમો તેવો પણ નક્કી કર્યો જેમાં સ્કુલની બધી બસો પીળા રંગની રાખવામાં આવે. આ રંગને નેશનલ સ્કુલ બસ ક્રોમથી ઓળખવામાં આવતો હતો.


જો તમે માર્ક કરેલું હોય તો સ્ટોપ લાઈટ નો કલર પણ લાલ રંગ નો જ હોય છે. લોકોનું એવું માનવું હોય છે કે લાલ રંગ વધારે ધ્યાન આકર્ષિત કરે છે પરંતુ મિત્રો આ વાત ખોટી છે હકીકતમાં પીળો રંગ બધા રંગની તુલનામાં વધારે આકર્ષિત કરે છે. મિત્રો આવો તમને ક્યારેક અનુભવ પણ થયો હશે તો ચાલો જાણીએ. મિત્રો ઘણા લોકો સામે કોઈ પણ પીળી વસ્તુ રાખવામાં આવે તો તેની નજર બધી વસ્તુ પર પછી પડે પહેલા પીળા રંગની ઉપર પડે છે.


સાઇન્સ ના એક સિસર્ચ અનુયાર પીળા રંગને લાલ રંગની તુલનામાં 1.24 ગણું સ્પષ્ટતાથી જોઈ શકાય છે. અંધારામાં પણ પીળો રંગ સરળતાથી જોઈ શકાય છે. આ કારણોથી જ સ્કુલ બસ પીળા રંગની રાખવામાં આવે છે. તો મિત્રો તેનો પીળો રંગ આમ જોવા જઈએ તો બાળકોની સેફટી માટે રાખવામાં આવે છે જેથી કોઈ અન્ય વાહનો દૂરથી સ્કુલ બસ આવે છે તેવો અંદાજો લગાવી શકે અને પોતાના વાહનોને ધીમા કરે.

તેથી જ્યારે કોઈ ટ્રક ડ્રાઈવર કે પછી કોઈ અન્ય હેવી વાહન ચાલકો જો પીળા રંગની બસ આવતી હોય તો સરળતાથી સમજી જાય કે દૂરથી સ્કુલ બસ આવે છે તો તે એલર્ટ થઇ જાય. કારણ કે સ્કુલ બસમાં વારંવાર સ્ટોપ થતા હોય છે બાળકોને પીકઅપ અને ડ્રોપ કરવા માટે તેથી અન્ય ભારે વાહનો સ્કુલ બસને જોઇને પોતાના વાહનની ઝડપ ધીમી કરી દે તે માટે સ્કુલ બસનો રંગ પીળો રાખવામાં આવ્યો છે.

Thursday, April 23, 2020

પુસ્તક = માર્ગદર્શક, શિક્ષક, મિત્ર, પ્રેરણાસ્ત્રોત

“વિશ્વ પુસ્તક દિવસ”
બાળપણ થી જ પુસ્તકો સાથે નો મારો સંબંધ અતિશય ગાઢ રહ્યો છે. મારા વ્યકિતત્વ, સુઝ-સમજ, જ્ઞાનના વિકાસ મા પુસ્તક વાંચન નો અમુલ્ય સિંહફાળો છે. દરરોજ પુસ્તકો નું વાંચન એ નહાવા જેટલું જ મહત્વનું છે. મને પુસ્તકો વાંચવાનું ગમે છે અને હું પુસ્તકો વિના આ દુનિયાની કલ્પના કરી શકતો નથી. મારા મેયરકાળ મા લોકો ને “બુકે નહી બુક” આપવાનો મારો આગ્રહ રહેતો અને વડોદરાના ઈતિહાસ મા પ્રથમ વાર “નેશનલ બુક ફેયર” નુ આયોજન મે કરેલ જેનો લાભ લાખો લોકો એ લીધો હતો. મેં આજ સુધી સેંકડો પુસ્તકો વાંચ્યા છે. પુસ્તકો હંમેશાં મારી સાથે હોય છે. દરેક વ્યક્તિને લગ્ન-ભેટ માં પણ હું હંમેશા પુસ્તક જ આપું છું.

સૂતા પહેલા દરરોજ 1-2 કલાક પુસ્તક, ઇબુક્સ, બ્લોગ્સ અથવા ઓન લાઈન લેખો વાંચવા જોઈએ અને તેને તમારી રોજિંદા ટેવ બનાવવી જોઈએ. જો તમે માતાપિતા છો તો પછી જ્યારે તમે બાળકોની સામે પુસ્તકો વાંચશો તો તે પણ તમારી પાસેથી શીખશે અને બાળકો માટે પુસ્તકો વાંચવું ખરેખર મહત્વપૂર્ણ છે. બાળકોને તેમની સામે વાંચ્યા વિના, પુસ્તકો વાંચવાનું શીખવવું મુશ્કેલ છે.

લોકડાઉન જેવી વિપરીત પરિસ્થિતિ મા પણ પુસ્તકો મારા સાચા મિત્રો બની ને સાથ આપી રહ્યા છે..

પુસ્તક પર થોડીક પંક્તિઓ રજુ કરુ છુ .

“જીવન ભવ્ય છે પણ પુસ્તક દિવ્ય છે,
પુસ્તક તમારા સમયને રસપ્રદ બનાવે, અંતરમનમાં પ્રેરણા જગાવે;
પુસ્તક છે હરઘડીનો સાથી, પુસ્તક જેવો કોઈ મિત્ર નથી;
પુસ્તકનો મહિમા અનેરો છે, પુસ્તકમાં જ્ઞાનની શબ્દરૂપી વહેતી વિચાર લહેરો છે;
પુસ્તક છે પરમાર્થ સમાન, પુસ્તકનું કરીએ વાંચન કરીને સન્માન;
જેને છે જ્ઞાનરસ પામવાની ખેવના, એ ક્યાંથી કરી શકે પુસ્તકની અવહેલના;
પુસ્તક જ્ઞાનનો સાગર છે વાંચન થકી ડૂબકી લગાવો;
એમાંથી વિવેક, આનંદ અને કેળવણીના મોતી લઈ આવો;
પુસ્તક એકાંત અને એકલતાનું ઔષધ છે
જીવનમાં ભલે તક જાય, પણ ધ્યાન રહે કે હાથમાંથી પુસ્તક ન જાય“

👍  ડો. ભરત ડાંગર (વડોદરા)

Wednesday, April 22, 2020

ભગીરથ કાર્ય. (ગંગાજી અવતરણ)

પ્રસ્તાવિક : જ્યારે ભગવાન નારાયણે પાંચમો અવતાર વામન ધર્યો અને વામનમાંથી ત્રણેભુવન માપવા ત્રિવિક્રમનું વિરાટ રૂપ ધારણ કર્યું અને સૌપ્રથમ પૃથ્વી ને માપવા પોતાના પગને ઉઠાવ્યો ત્યારે ભગવાનના ચરણ બ્રહ્માજી સુધી પહોંચતા બ્રહ્માજી એ પોતાના કમંડળમાંના દિવ્યજળથી ભગવાનના ચરણ પખાળ્યા અને ચરણામૃતને પાછું પોતાના કમંડળમાં સ્થાપિત કર્યું એ જ ગંગાજી કહેવાયા, આમ ગંગાજી યુગો સુધી બ્રહ્માજીના કમંડલમાં રહ્યા..

મહાનક્ષાત્ર પરંપરા :-

આ બાજુ પૃથ્વી પર સૂર્યવંશમાં રાજા ઇશ્વકુ એ અયોધ્યા રાજધાની બનાવી મહાજનપદ સ્થાપ્યું આથી આ વંશ ઈશ્વાકુવંશ કહેવાય છે, મહારાજ ઈશ્વાકુના, કુક્ષિના, વિકુક્ષિના, બાણના અણરણ્યના, પૃથુના, ત્રિશંકુના, ધૂંધુમારના, યુવનાશ્વના, માંધાતાના, સુસંધિના , ધ્રુવસંધિના પ્રસેનજીતના પુત્ર અસિત અને અસિતના મહારાજ સગર થયા આ સગરને 100 પુત્રો હતા અને સગર એટલા પરાક્રમી હતા કે દેવરાજ ઈન્દ્ર તેમની ઈર્ષા કરતા હતા, ઈન્દ્રદેવે મહારાજ સગરના અશ્વમેઘ યજ્ઞનો દિવ્ય અશ્વ ચોરીને પાતાળમાં નારાયણના અંશ મહર્ષિ કપિલ જ્યાં તપ કરતા હતા ત્યાં બાંધી દીધો, આથી સગર ના 100 પુત્રોએ એ દિવ્ય અશ્વને શોધવા પૃથ્વિ ખોદીનાખી અને પાતાળ સુધી પોહોંચ્યાં અને મહર્ષિ કપિલ જ્યાં તપ કરતા હતા ત્યાં અશ્વને બાંધેલો જોઈને મહર્ષિ કપિલને અશ્વના ચોર સમજી અપમાન કર્યું તથા મહર્ષિનું તપ ભંગ કર્યું આથી મહર્ષિ કપિલની ક્રોધાઅગ્નિ ની સગર પુત્રો બળીને રાખના ઢગલા થઈ ગયા, આમ એ સગર પુત્રોના મોક્ષર્થ તેમના ભાઈ અને એક માત્ર બચેલા સગર પુત્ર અસમંજસે પ્રયત્ન શરૂ કર્યા અને મહર્ષિ કપિલની ક્ષમા માંગી પોતાના ભાઈઓને મુક્તિ કેમ મળે તેમની ગતિ કેમ થાય? એ જણાવવા મહર્ષિને વિનંતી કરતા મહર્ષિ એ કહ્યું કે પતિતપાવની ગંગા જો આપૃથ્વી પર બ્રહ્મલોકથી આવે તો આપના ભાઈઓ જ નહીં પણ સમસ્ત પૃથ્વિલોકનું કલ્યાણ થશે અને આ અશક્ય જેવું કાર્ય ક્ષત્રિય જ કરી શકે છે, આમ અસમંજસે યત્ન આરંભ્યું અને અસમંજસના અંશુમન થાય તેમણે પણ પિતા માફક પૂર્વજોના મોક્ષર્થ ઘોર તપ કરી પોતાનો દેહ વિલય કરી દીધો, અંશુમનના પુત્ર દિલીપ થયા તેમણે પણ પોતાના પિતાની આજ્ઞાથી ઘોર તપસ્યા કરી અને મરણાંત પ્રયત્ન કર્યા પણ અસફળ ન થયા, ત્યારબાદ દિલીપના મહાન ભગીરથ થયા, જેમણે પણ પોતાના પૂર્વજો સમાન અથાગ તપ કર્યું ચાર પેઢીના અથાગ તપથી બ્રહ્માજી પ્રસન્ન થયાં મહારાજ ભગીરથે બ્રહ્માજીને પોતાના કમંડળમાંથી ગંગાજીને વહાવી પૃથ્વિ લોક પર મોકલી પોતાના પૂર્વજોના મોક્ષ માટે કામના કરી, બ્રહ્માજી એ કહ્યું દેવી ગંગા જ્યારે મારા કમંડળમાંથી પ્રવાહિત થશે ત્યારે એના પ્રચંડ વેગને આ પૃથ્વિ સહી નહીં શકે માટે હે રાજન ભગવાન શિવ ને પ્રસન્ન કરો...

ગંગાજી અવતરણ :

આમ મહેશ્વર ભગવાનની અંગુઠા પર ઊભાં રહીને એક વર્ષ સુધી તપસ્યા કરી. ભગવાન શંકરે પ્રસન્ન થઈને ગંગાજીને કમંડળથી પૃથ્વિ પર વહાવવા બ્રહ્માજીને કહ્યું પણ ગંગાજીને અભિમાન આવ્યું કે મારા પ્રચંડ વેગને આ પૃથ્વીપર ધારણ કરનાર કોઈ નથી પણ ભગવાન મહાદેવે એમને પોતાની ઝટામાં એવા તો ઘુચવ્યા કે એક વર્ષ સુધી ગંગાજીને આગળ વધવા રસ્તો ન જડ્યો પણ મહારાજ ભગીરથની વિનંતીથી અભિમાન ખંડિત થતા મહાદેવે ગંગાજીને પૃથ્વિ પર પોતાની ઝટામાંથી પ્રવાહિત કર્યા ત્યારથી મહાદેવ ગંગાધર કહેવાયા, શિવજીએ પ્રસન્ન થઈને ગંગાજીને બિંદુસર તરફ વ્હાવ્યા. એ સાત ધારાઓનાં રૂપે પ્રવાહિત થયા. જેમાં હ્રદિની, પાવની , અને નલિની પૂર્વ દિશા તરફ... સુચક્ષુ, સીતા અને અને મહાનદી સિંધુ પશ્ચિમ દિશા તરફ આગળ વધ્યા. 
સાતમી ધારા રાજા ભગીરથની અનુગામીની બની ..
રાજા ભગીરથ ગંગામાં સ્નાન કર્યા પછી,પવિત્ર બન્યા અને પોતાનાં દિવ્ય રથમાં બેસીને ચાલ્યા ગયા. ગંગાજી એમની પાછળ પાછળ ચાલ્યાં. માર્ગમાં અભિગામિનીના જળથી જહૂ મુનિની યજ્ઞશાળા વહી ગઈ આથી ક્રોધિત થઈને મુનીએ સંપૂર્ણ ગંગાજળ પી લીધું. 

આથી ચિંતિત સમસ્ત દેવતાઓએ જુહૂમુનિનું પૂજન કર્યું. તથા ગંગાજીને એમની પુત્રી કહીને એની ક્ષમાયાચના કરી. જુહું એ કાનનો માર્ગથી ગંગાજી બહાર વહાવ્યા . ત્યારથી ગંગા જુહૂસુતા જાહ્નવી કહેવાયા.

રાજા ભગીરથની પાછળ પાછળ ચાલીને ગંગાજી પાતાળ સુધી પહોંચ્યાં. ભગીરથ એમને રસાતલ લઇ ગયાં તથા પિતૃઓની ભસ્મથી સિંચિતકરીને તેમની સદગતી કરી, 

ગંગાજીના જળથી એ પૃથ્વિમાં જળ ભરાયું જે પૃથ્વિને મહારાજ સગરના 100 પુત્રોએ ખોદીનાખી હતી, આમ એ વિશાળ જળ રાશીને આપણે સગર પુત્રોના ના નામ પરથી 'સાગર' કહીએ છીએ, આવા મહાપ્રતાપી ક્ષત્રિયોના જ કુળમાં ઈશ્વર અવતાર ધારણ કરવા ક્ષત્રાણીની કૂખ પસંદ કરે છે.. અને આવા મહારાજ ભગીરથની સોળમી પેઢીએ રામ અવતરે છે..
આમ ચાર ચાર પેઢીથી અગાધ તપ કરી પૂર્વજોની અસફળતાથી હાર માન્યા વગર હતાશ થયા વગર સખત મહેનત કરી મહારાજ ભગીરથે સફળતા મેળવી , આજે પણ અશક્ય લાગતું કાર્ય પૂર્ણ થતાં એને ભગીરથ કાર્ય કહેવાય છે,, માટે હે ગરાસિયાઓ એ ભગીરથનું લોહી આપડામાં પણ વહે છે, થોડી અસફળતાથી ગભરાશો નહીં, મહેનત સખત પરિશ્રમનું ફળ ક્યારેય વિફળ જતું નથી આજે નહીતો કાલે સફળતા ચોક્કસ મળશે, મહારાજ ભગીરથને તો ચાર પેઢીની મહેનતનું ફળ મળતું હોય તો આપણને પણ ચોક્કસ મળશે...

✍️ વાઘેલા ધર્મરાજસિંહ જે. (છબાસર)

——- ભગીરથ કાર્ય ——-
ગંગાજીને પૃથ્વી પર લાવવાં માટે સમસ્ત ભારતીયજન રાજા ભગીરથનું સદાય ઋણી રહેશે ...

Monday, April 20, 2020

સત્યના પ્રયોગો (પ્રકરણ - ૧)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા

ભાગ પહેલો ....

પ્રકરણ - ૧

મોહનદાસ કરમચંદ ગાંધી

ગાંધી કુટુંબ પ્રથમ તો ગાંધિયાણાનો વેપાર કરનારું હોય એમ જણાય છે. પણ મારા દાદાથી માંડીને ત્રણ પેઢી થયાં તો એ કારભારું કરતું આવેલું છે. ઉત્તમચંદ ગાંધી અથવા ઓતા ગાંધી ટેકીલા હશે એમ લાગે છે. તેમને રાજખટપટને લીધે પોરબંદર છોડવું પડેલું ને જૂનાગઢ રાજયમાં આશ્રય લીધેલો. તેમણે નવાબસાહેબને સલામ ડાબે હાથે કરી. કોઇએ આ દેખાતા અવિનયનું કારણ પૂછયું તો જવાબ મળ્યો : ‘જમણો હાથ તો પોરબંદરને દેવાઇ ચૂકયો છે.’ ઓતા ગાંધીને એક પછી એક એમ બે ઘર થયેલાં. પહેલાથી તેમને ચાર દીકરા હતા અને બીજાથી બે. આ ભાઇઓ ઓરમાયા હતા એવો ખ્‍યાલ મને બચપણ યાદ કરતાં આવતો જ નથી. આમાંના પાંચમા કરમચંદ અથવા કબા ગાંધી અને છેલ્‍લા તુલસીદાસ ગાંધી. બંને ભાઇએ વારાફરતી પોરબંદરમાં કારભારું કર્યું. કબા ગાંધી તે મારા પિતાશ્રી. પોરબંદરનું કારભારું છોડયા પછી પોતે રાજસ્‍થાનિક કોર્ટમાં સભાસદ હતા. પછી રાજકોટમાં અને થોડો સમય વાંકાનેરમાં દીવાન હતા. મરણવેળાએ રાજકોટ દરબારના પેન્‍શનર હતા.

કબા ગાંધીને પણ એક પછી એક ચાર ઘર થયેલાં. પહેલાં બેથી બે દીકરીઓ હતી; છેલ્‍લાં પૂતળીબાઇથી એક દીકરી અને ત્રણ દીકરા. તેમાંનો છેલ્‍લો હું. પિતા કુટુંબપ્રેમી, સત્‍યપ્રીય, શૂરા, ઉદાર પણ ક્રોધી હતા. કંઇક વિષયને વિશે આસકત પણ હશે. તેમનો છેલ્‍લો વિવાહ ચાળીસમા વર્ષ પછી થયેલો. તેઓ લાંચથી દૂર ભાગતા, તેથી શુદ્ધ ન્‍યાય આપતા એવી અમારા કુટુંબમાં અને બહાર વાયકા હતી. રાજયના બહુ વફાદાર હતા. એક વેળા કોઇ પ્રાંતના સાહેબે રાજકોટના ઠાકોર સાહેબનું અપમાન કરેલું, તેની સામે તેઓ થયેલા. સાહેબ ગુસ્‍સે થયા, કબા ગાંધીને માફી માગવા ફરમાવ્‍યું. તેમણે માફી માગવાની ના પાડી તેથી થોડા કલાકને સારુ હાજતમાં પણ રહેલા. છતાં તે ન ડગ્‍યા તેથી અંતે સાહેબે તેમને છોડી દેવાનો હુકમ કર્યોં. પિતાશ્રીએ દ્રવ્‍ય એકઠું કરવાનો લોભ કદી નહોતો રાખ્‍યો. તેથી અમે ભાઇઓ સારુ જૂજ મિલકત મૂકી ગયેલા.

પિતાની કેળવણી કેવળ અનુભવની હતી. જેને આજે આપણે ગુજરાતી પાંચ ચોપડીનું જ્ઞાન ગણીએ તેટલી કેળવણી તે પામેલ હશે. ઇતિહાસભૂગોળનું જ્ઞાન તો મુદ્દલ ન મળે. આમ છતાં વ્‍યવહારુ જ્ઞાન એવા ઊંચા પ્રકારનું હતું કે ઝીણામાં ઝીણા પ્રશ્ર્નોના ઉકેલ કરવામાં કે હજાર માણસોની પાસે કામ લેવામાં તેમને મુશ્‍કેલી ન આવતી. ધાર્મિક કેળવણી નહીં જેવી હતી, પણ મંદિરોમાં જવાથી કથા વગેરે સાંભળીને જે ધર્મજ્ઞાન અસંખ્‍ય હિંદુઓને સહેજે મળી રહે છે તે તેમને હતું. છેવટના વર્ષમાં એક વિદ્ધાન બ્રાહ્મણ જેઓ કુટુંબના મિત્ર હતા તેમની સલાહથી તેમણે ગીતાપાઠ શરૂ કર્યો હતો અને રોજ થોડાઘણા શ્ર્લોકો પોતાના પૂજાના સમયે ઊંચે સ્‍વરે પાઠ કરી જતા.

માતા સાધ્‍વી સ્‍ત્રી હતી એવી મારા ઉપર છાપ રહેલી છે. તુ બહુ ભાવિક હતી. પૂજાપાઠ વિના કદી ન જમે. હવેલીએ હંમેશા જાય. હું સમજણો થયો ત્‍યારથી તેણે કદી ચાતુર્માસ છોડયા હોય એવું મને સ્‍મરણ નથી. કઠણમાં કઠણ વ્રત તે આદરતી અને નિર્વિધ્‍ને પૂરાં કરતી. લીધેલાં વ્રત માંદી પડે તોપણ ન જ છોડે. એવો એક સમય મને યાદ છે કે જયારે તેણે ચાંદ્રાયણ વ્રત લીધેલું, તેમાં માંદી પડેલી પણ વ્રતને ન છોડેલું. ચાતુર્માસમાં એક ટાણાં કરવાં એ તો તેને સામાન્‍ય વાત હતી. એટલેથી સંતોષ ન વાળતાં એક ચાતુર્માસમાં તેણે ધારણાંપારણાં કરેલાં. બેત્રણ સામટા ઉપવાસ એ એને મન નજીવી વાત હતી. એક ચાતુર્માસમાં તેનું એવું વ્રત હતું કે સૂર્યનારાયણનાં દર્શન કર્યા પછી જ જમાય. આ ચોમાસે અને છોકરા વાદળ સામું જોઇ રહીએ કે કયારે સૂર્ય દેખાય ને કયારે મા જમે. ચોમાસામાં ઘણી વેળા દર્શન દોહ્યલાં થાય એ તો સહુ જાણે છે. એવા દિવસો યાદ છે કે જયારે સૂર્યને અમે જોઇએ, ‘બા, બા, સૂરજ દેખાયો’ કહીએ ને બા ઉતાવળી ઉતાવળી આવે ત્‍યાં તો સૂરજ ભાગી જાય. ‘કંઇ નહીં, આજે નસીબમાં ખાવાનું નહીં હોય’ કહી પાછી જાય ને પોતાના કામમાં ગૂંથાઇ જાય.

માતા વ્‍યવહારકુશળ હતી. દરબારી બધી વાતો જાણે. રણવાસમાં તેની બુદ્ધિની આંકણી ઠીક મુકાતી. હું બાળક હોઇ કોઇ કોઇ વેળા મને મા દરબારગઢમાં સાથે લઇ જતી. ‘બામાસાહેબ’ ની સાથે થતા સંવાદો મને કેટલાક હજી યાદ છે. આ માત પિતાને ત્‍યાં હું સંવત ૧૯૨૫ના ભાદરવા વદ ૧૨ને દિવસે, એટલે સને ૧૮૬૯ના ઑકટોબરની ૨જી તારીખે, પોરબંદર અથવા સુદામાપુરીમાં જન્‍મ પામ્‍યો.

બચપણ પોરબંદરમાં જ ગયું. કોઇ ‍નિશાળમાં મને મૂકવામાં આવેલો એવું યાદ છે. મુશ્‍કેલીથી થોડા પાડા શીખેલો. તે કાળે છોકરાઓની સાથે હું મહેતાજીને માત્ર ગાળ દેતાં શીખેલો એટલું યાદ છે, અને બીજું કાંઇ જ યાદ નથી. તેથી હું અનુમાન કરું છુ કે મારી બુદ્ધિ મંદ હશે, અને યાદશકિત જે કડી અમે છોકરા ગાતા તેમાંના કાચા પાપડના જેવી હશે. એ લીટીઓ મારે આપવી જ જોઇએ:

એકડે એક , પાપડ શેક; પાપડ કચ્‍ચો, --- મારો—

પહેલી ખાલી જગ્‍યાએ માસ્‍તરનું નામ હોય. તેને હું અમર કરવા નથી ઇચ્‍છતો. બીજી ખાલી જગ્યામાં છોડી દીધેલી ગાળ ભરવાની આવશ્‍યકતા ન હોય.

સત્યના પ્રયોગો (મોહનદાસ કરમચંદ ગાંધી) પ્રસ્તાવના

પ્રસ્તાવના

ચાર અથવા પાંચ વર્ષ પૂર્વે નિકટના સાથીઓના આગ્રહથી મેં આત્મકથા લખવાનો સ્વીકાર કર્યો હતો; અને આરંભ પણ કરેલો. પણ એક પાનુંફૂલસ્કેપનું પૂરું ન કરી શક્યો તેટલામાં મુંબઈની જવાળા સળગી અને મારું આદર્યું અધૂરૂં રહ્યું. ત્યાર પછી તો હું એક પછી એક એવા વ્યવસાયોમાં પડ્યો કે છેવટે મને મારું યરવડાનું સ્થાન મળ્યું. ભાઈ જેરામદાસ પણ હતા. એમણે મારી પાસે એવી માગણી કરી કે બીજાં બધાં કામ પડતાં મુકીને મારે આત્મકથા તો પહેલી જ લખી નાખવી. મેં એમને જવાબ મોકલ્યો કે મારો અભ્યાસક્રમ ઘડાઈ ચૂક્યો છે, અને તે પૂરો થતાં સુધી હું આત્મકથાનો આરંભ ન કરી શકું. મને જો મારો પૂરો સમય યરવડામાં ગાળવાનું સદ્‌ભાગ્ય પ્રાપ્ત થયું હોત તો હું જરૂર ત્યાં જ આત્મકથા લખી શકત. પણ તેને પહોંચવાને હજુ મને એક વર્ષ બાકી હતું. તે પહેલાં હું કોઈ પણ રીતે આત્મકથાનો આરંભ પણ કરી શકું એમ નહતું, એટલે તે રહી ગયું. હવે સ્વામી આનંદે ફરી પાછી એ જ માગણી કરી છે. અને મેં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ પૂરો કર્યો છે, તેથી આત્મકથા લખવા લલચાયો છું. સ્વામીની માગણી તો એવી હતી કે મારે આખી કથા લખી નાખવી અને પછી તે પુસ્તકાકારે છપાય. મારી પાસે એકસામટો એટલો સમય નથી. જો લખું તો ’નવજીવન’ને સારુ જ લખી શકાય. મારે ’નવજીવન’ સારું કંઈક તો લખવાનું હોય જ. તો આત્મકથા કાં નહીં ? સ્વામીએ એ નિર્ણય કબૂલ રાખ્યો, અને આત્મકથા લખવાનો હવે મને અવસર આવ્યો.

પણ આ નિર્ણય કરું છું એટલામાં એક નિર્મળ સાથીએ, સોમવારે હું મૌનમાં હતો ત્યારે, મને ધીમેથી નીચેનાં વાક્યો સંભળાવ્યા :

"તમે આત્મકથા શું કામ લખવાના છો ? એ તો પશ્ચિમની પ્રથા છે. પૂર્વમાં કોઈએ લખી જાણી નથી. અને શું લખશો ? આજે જે વસ્તુને સિદ્ધાંત તરીકે માનો છો તેને કાલે માનતા અટકી જાઓ તો ? અથવા સિદ્ધાંતને અનુસરીને જે જે કાર્યો આજે કરો છો તે તે કાર્યોમાં પાછળથી ફેરફાર કરો તો ? તમારાં લખાણને ઘણાં મનુષ્યો પ્રમાણભૂત સમજી પોતાનું વર્તન ઘડે છે તેઓ ખોટી રીતે દોરવાઈ જાય તો ? તેથી સાવધાન રહી હાલ તિરત આત્મકથા જેવું કંઈ ન લખો તો ઠીક નહીં ?"

આ દલીલની મારા મન ઉપર થોડીઘણી અસર થઈ. પણ મારે આત્મકથા ક્યાં લખવી છે ? મારે તો આત્મકથાને બહાને સત્યના મેં જે અનેક પ્રયોગો કરેલા છે તેની કથા લખવી છે. તેમાં મારું જીવન ઓતપ્રોત હોવાથી કથા એક જીવનવૃત્તાંત જેવી થઈ જશે એ ખરું છે. પણ જો તેમાંથી પાને પાને મારા જ નીતરી આવે તો એ કથાને હું પોતે નિર્દોષ ગણું. મારા બધા પ્રયોગોનો સમુદાય પ્રજાની પાસે હોય તો તે લાભદાયી થઈ પડે એમ હું માનું છું, - અથવા કહો કે એવો મને મોહ છે. રાજ્યપ્રકરણી ક્ષેત્રમાંના મારા પ્રયોગો હવે તો હિંદુસ્તાન જાણે છે, એટલું જ નહીં પણ થોડેઘણે અંશે સુધરેલું કહેવાતું જગત પણ જાણે છે. એની કિંમત મારે મન ઓછામાં ઓછી છે. અને તેથી એ પ્રયોગોની મારફતે મને ’મહાત્મા’નું પદ મળ્યું છે એની કિંમત પણ જૂજ જ છે. કેટલીક વેળા તો એ વિશેષણે મને અતિશય દુઃખ પણ દીધું છે. એ વિશેષણથી હું ફુલાઈ ગયો હોઉં એવી એક પણ ક્ષણ મને યાદ નથી. પણ મારા આધ્યાત્મિક પ્રયોગો, જે હું જ જાણી શકું અને જેમાંથી મારી રાજ્યપ્રકરણી ક્ષેત્ર ઉપરની શક્તિ પણ ઉદ્‌ભવી છે, તે પ્રયોગોનું વર્ણન કરી જવું મને ગમે ખરું. જો એ ખરેખર આધ્યાત્મિક હોય તો એમાં તો ફૂલણશીને સ્થાન જ નથી. એમાંથી તો કેવળ નમ્રતાની જ વૃદ્ધિ થાય. જેમ જેમ હું વિચાર કરતો જાઉં છું, મારા ભૂતકાળના જીવન ઉપર દૃષ્ટિ નાખતો જાઉં છું, તેમ તેમ મારું અલ્પપણું હું શુદ્ધ રીતે જોઈ શકું છું. મારે જે કરવું છે, જેની હું ૩૦ વર્ષ થયાં ઝંખના કરી રહ્યો છું, તે તો આત્મદર્શન છે, તે ઈશ્વરનો સાક્ષાતકાર છે, મોક્ષ છે. મારું ચલનવલન બધું એ જ દૃષ્ટિએ થાય છે. મારું લખાણ બધું એ જ દૃષ્ટિએ છે, અને મારું રાજ્યપ્રકરણી ક્ષેત્રની અંદર ઝંપલાવવું પણ એ જ વસ્તુને આધીન છે.

પણ મૂળથી જ મારો અભિપ્રાય રહ્યો છે કે જે એકને સારુ શક્ય છે તે બધાને સારુ શક્ય છે. તેથી મારા પ્રયોગો ખાનગી નથી થયા, નથી રહ્યા. એ સહુ જોઈ શકે એમાં મને તેની આધ્યાત્મિકતા ઓછી થતી હોય એમ નથી લાગતું. એવી કેટલીક વસ્તુઓ અવશ્ય છે કે જે આત્મા જ જાણે છે, આત્મામાં જ શમી જાય છે, પણ એવી વસ્તુ આપવી એ મારી શક્તિ ઉપરાંતની વાત થઈ. મારા પ્રયોગોમાં તો આધ્યાત્મિક એટલે નૈતિક; ધર્મ એટલે નીતિ; આત્માની દૃષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ. એટલે જે વસ્તુઓનો નિર્ણય બાળકો, જુવાન અને બુઢ્ઢાં કરે છે અને કરી શકે છે તે જ વસ્તુઓનો આ કથામાં સમાવેશ થશે. આવી કથા જો હું તટસ્થભાવે, નિરાભિમાન પણે લખી શકું તો તેમાંથી બીજા પ્રયોગો કરનારાઓને સારુ કંઇક સામગ્રી મળે.

આ પ્રયોગોને વિષે હું કોઇ પણ પ્રકારની સંપૂર્ણતા આરોપતો જ નથી. વિજ્ઞાનશાસ્ત્રી જેમ પોતાના પ્રયોગો અતિશય નિયમસર, વિચારપૂર્વક અને ઝીણવટથી કરે છે. છતાં તેમાથી નિપજાવેલાં પરિણામોને તે છેવટનાં ગણાવતો નથી, અથવા તો એ એનાં સાચાં જ પરિણામ છે એ વિષે પણ સાશંક નહીં તો તટસ્થ રહે છે. તેવો જ મારા પ્રયોગોને વિષે મારો દાવો છે. મેં ખુબ આત્મનિરીક્ષણ કર્યું છે, એકેએક ભાવને તપાસ્યો છે, તેનું પૃથ્થકરણ કર્યું છે. પણ તેમાંથી નીપજેલાં પરિણામ એ સહુને સારુ છેવટનાં જ છે, એ ખરાં છે અથવાતો એ જ ખરાં છે, એવો દાવો હું કોઇ દિવસ કરવા ઇચ્છતો નથી. હા, એક દાવો હું અવશ્ય કરું છું કે મારી દૃષ્ટિએ એ ખરાં છે, અને અત્યારે તો છેવટનાં જેવાં લાગે છે. જો ન લાગે તો મારે એના ઉપર કોઈ પણ કાર્ય ન રચવું જોઈએ. પણ હું તો પગલે પગલે જે જે વસ્તુઓને જોઉં તેના ત્યાજ્ય અને ગ્રાહ્ય એવા બે ભાગ પાડી લઉં અને જેને ગ્રાહ્ય વસ્તુ સમજું તે પ્રમાણે મારા આચારોને ઘડું. અને જ્યાં લગી એ પ્રમાણે ઘડાયેલા આચાર મને, એટલે મારી બુદ્ધિને અને આત્માને, સંતોષ આપે ત્યાં લગી મારે તેનાં શુભ પરિણામો વિષે અચલિત વિશ્વાસ રાખવો જ જોઈએ.

જો મારે કેવળ સિદ્ધાંતોનું એટલે તત્વોનું જ વર્ણન કરવાનું હોય તો આ આત્મકથા હું ન જ લખું. પણ મારે તો તેનાં ઉપર રચાયેલાં કાર્યોનો ઇતિહાસ આપવાનો છે, અને તેથી જ મેં આ પ્રયત્નને ’સત્યના પ્રયોગો’ એવું પહેલું નામ આપેલું છે. આમાં સત્યથી ભિન્ન મનાતા અહિંસા, બ્રહ્મચર્ય ઇત્યાદિ નિયમોના પ્રયોગો પણ આવી જશે. પણ મારે મન સત્ય જ સર્વોપરી છે અને તેમાં અગણિત વસ્તુઓનો સમાવેશ થઇ જાય છે. આ સત્ય તે સ્થૂલ – વાચાનું -સત્ય નહીં. આતો જેમ વાચાનું તેમ વિચારનું પણ ખરું. આ સત્ય તે આપણે કલ્પેલું સત્ય જ નહીં. પણ સ્વતંત્ર ચિરસ્થાઇ સત્ય; એટલે કે પરમેશ્વર જ.

પરમેશ્વરની વ્યાખ્યાઓ અગણિત છે, કેમ કે તેની વિભૂતિઓ પણ અગણિત છે. એ વિભૂતિઓ મને આશ્ચર્યચકિત કરે છે. એ મને ક્ષણવાર મુગ્ધ પણ કરે છે. પણ હું પૂજારી તો સત્યરૂપી પરમેશ્વરનો જ છું. એ એક જ સત્ય છે અને બીજું બધું મિથ્યા છે. એ સત્ય મને જડ્યું નથી, પણ એનો હું શોધક છું. એ શોધવાને અર્થે જે વસ્તુ મને પ્રિયમાં પ્રિય હોય તેનો ત્યાગ કરવા હું તૈયાર છું, અને એ શોધરૂપી યજ્ઞમાં આ શરીરને પણ હોમવાની મારી તૈયારી છે અને શક્તિ છે એવો મને વિશ્વાસ છે. પણ એ સત્યનો હું સાક્ષાતકાર ન કરું ત્યાં લગી મારો અંતરાત્મા જેને સત્ય ગણે છે તે કાલ્પનિક સત્યને મારો આધાર ગણી, મારી દીવાદાંડી ગણી, તેને આધારે મારું જીવન હું વ્યતીત કરું છું.

આ માર્ગ જોકે ખાંડાની ધારે ચાલવા જેવો છે છતાં મને એ સહેલામાં સહેલો લાગ્યો છે. એ માર્ગે જતાં મારી ભયંકર ભૂલો પણ મને નજીવી જેવી લાગી છે. કારણ કે એ ભૂલો કરતાં છતાં હું બચી ગયો છું અને, મારી સમજણ પ્રમાણે, આગળ વધ્યો છું. દૂર દૂરથી વિશુદ્ધ સત્યની - ઈશ્વરની - ઝાંખી પણ કરી રહ્યો છું. સત્ય જ છે, એ સિવાય બીજું કાંઈ જ આ જગતમાં નથી, એવો મારો વિશ્વાસ દિનપ્રતિદિન વધતો જાય છે. એ કઈ રીતે વધતો ગયો છે એ મારું જગત એટલે ’નવજીવન’ ઈત્યાદિના વાંચનાર જાણી ભલે મારા પ્રયોગોના ભાગીદાર બને અને તેની ઝાંખી પણ મારી સાથે સાથે કરે વળી, જેટલું મારે સારુ શક્ય છે તેટલું એક બાળકને સારુ પણ શક્ય છે એમ હું વધારે ને વધારે માનતો થયો છું, અને તેને સારુ મારી પાસે સબળ કારણો છે. સત્યની શોધનાં સાધનો જેટલાં કઠણ છે તેટલાં જ સહેલાં છે. એ અભિમાનીને અશક્ય લાગે અને એક નિર્દોષ બાળકને તદન શક્ય લાગે. સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે. જગત આખું રજકણને કચડે છે, પણ સત્યનો પૂજારી તો રજકણ સુધ્ધા તેને કચડી શકે એવો અલ્પ ન બને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે. આ વસ્તુ વસિષ્ઠ-વિશ્વામિત્રના આખ્યાનમાં સ્પષ્ટ બતાવવામાં આવી છે. ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ પણ એ જ વસ્તુ સિદ્ધ કરે છે.

જે પ્રકરણો હું લખવાનો છું તેમાં જો વાંચનારને અભિમાનનો ભાસ આવે તો તેણે અવશ્ય સમજવું કે મારી શોધમાં ખામી છે અને મારી ઝાંખીઓ તે ઝાંઝવાના નીર સમાન છે. ભલે મારા જેવા અનેકોનો ક્ષય થાઓ, પણ સત્યનો જય થાઓ. અલ્પાત્માને માપવાને સારુ સત્યનો ગજ કદી ટૂંકો ન બનો.

મારા લેખોને કોઇ પ્રમાણભૂત ન ગણે એમ હું ઇચ્છું છું, એવી મારી વિનંતી છે. તેમાં દર્શાવેલા પ્રયોગોને દૃષ્ટાંતરૂપે ગણી ને સહુ પોતપોતાના પ્રયોગો યથાશક્તિ અને યથામતિ કરે એટલી જ મારી ઇચ્છા છે. એ સંકુચિત ક્ષેત્રમાં મારા આત્મકથાના લેખોમાંથી ઘણું મળી શકશે એવો મારો વિશ્વાસ છે. કેમ કે, કહેવા યોગ્ય એક પણ વાત હું છુપાવવાનો નથી, મારા દોષોનું ભાન વાંચનારને હું પૂરેપૂરું કરાવવાની આશા રાખું છું. મારે સત્યના શાસ્ત્રીય પ્રયોગો વર્ણવવા છે, હું કેવો રૂપાળો છું એ વર્ણવવાની તલમાત્ર ઈચ્છા નથી. જે માપથી હું મારું પોતાનું માપ કરવા ઈચ્છું છું અને જે માપ આપણે બધાએ પોતપોતાને વિષે વાપરવું જોઈએ, તે પ્રમાણે હું અવશ્ય કહું કે,

मो सम कौन कुटिल खल कामी ?
जिन तनु दियो ताहि बिसरायो
ऐसो निमकहरामी ।

કેમ કે, જેને હું સંપૂર્ણ વિશ્વાસપૂર્વક મારા શ્વાસોચ્છ્‌વાસનો સ્વામી ગણું છું, જેને હું મારા નિમકનો દેનાર ગણું છું તેનાથી હજીયે હું દૂર છું, એ મને પ્રતિક્ષણ સાલે છે. એના કારણરૂપ મારા વિકારને હું જોઈ શકું છું પણ એને હજીયે કાઢી શકતો નથી.

પણ હવે બસ થયું. પ્રસ્તાવનામાંથી હું પ્રયોગની કથામાં ન ઊતરી શકું. એ તો કથા-પ્રકરણોમાં જ મળશે.

મોહનદાસ કરમચંદ ગાંધી
આશ્રમ, સાબરમતી


🌹🌷🌹🌷🕉🌷🌹🌷🌹

Sunday, April 19, 2020

જીવન યાત્રા :- અમે અનુભવ્યા એવા બે યુગ

1970 થી 1980માં જન્મેલા તો એક યુગમાં બે યુગ જીવ્યા. આપણે તો ગામડાનો આનંદ માણ્યો અને શહેરની હવાય લીધી. આપણે દેશી નળિયાની ઠંડી હવાય માણી જોઇ અને ધાબાવાળા મકાનનો બફારો પણ માણી જોયો. આપણે ફળિયામાં ખાટલામાં સુઇ, ખુલ્લા આકાશની અનુભૂતિ કરી લીધી અને પલંગમાં સુવાનો આનંદ પણ માણી લીધો. થીગડાવાળા કપડા પહેરવાનો અને ફેશનેબલ કપડા પહેરવાનો અનુભવ પણ કરી લીધો.

આપણે ગામડાની દેશી રમતો રમવાનો આનંદ માણી લીધો અને વિડીયો ગેમ પણ જોઇ લીધી. આપણે તળાવમા નાહવાનો આનંદ માણી લીધો અને વૉટર પાર્કનો અનુભવ પણ કરી લીધો. આપણે તો સાઇકલના બે ડાંડિયા વચ્ચે પગ નાખી સાઇકલ ચલાવવાનો આનંદ માણ્યો અને ટુ વ્હીલ , ફોર વ્હીલ અને પ્લેનની મુસાફરીની સફર પણ માણી જોઇ. 

ફાનસના અજવાળા જોઇ લીધા અને લાઇટના અજવાળા પણ જોયા. આપણે ગામડામાં ભજવાતી ભવાઇઓ અને નાટકો જોઇ લીધી અને ટી.વી.ના પડદા પર ભજવાતા ડ્રામા પણ જોઇ લીધા. આપણે રેડિયો ઉપર આવતા ભજનો અને ક્રિકેટની કોમેન્ટ્રી પણ સાંભળી અને ટીવી ઉપર આવતા મેચ જીવંત પણ જોયા.

આપણે ગામડાની સરકારી શાળાનો અને શહેરની સ્કૂલોમાં ભણતરનો અનુભવ કરી લીધો. આપણે ગામડામાં ગાડામા બેસી જાનમા જવાનો આનંદ પણ માણી લીધો અને બગીમા બેસી પણવા જતા લગ્ન પણ જોઇ લીધા. 

આપણે ચોમાસામા કોથળાના માસલા પહેરી વરસાદનો આનંદ માણી લીધો અને છત્રીમા વરસાદની આવતી ઝણનો અનુભવ પણ કરી લીધો. આપણે માથે બેડુ લઇ ગામ પાદરે કુવે પાણી ભરવા જતી પનીહારીઓનેય જોઇ અને નળમા પાણી ભરતી બાઇયુનેય જોઇ. આપણે બળદથી થતી ખેતી જોઇ અને ટેકટરથી થતી ખેતી પણ જોઇ. આપણે ગમાણે બાંધેલા પશુઓથી ધબકતા આંગણા પણ જોઇ લીધા અને પશુઓ વિનાના આંગણા પણ જોઇ લીધા. આપણે છુટી ધોતી અથવા ચોરણી, પાઘડી અને સોણી- કેડિયા પહેરેલા વડીલોનેય જોયા અને ભરત ભરેલા ચણીયા અને કાપડા પહેરેલી માવડીઓને પણ જોઇ. 

આપણે ઢોરા ચારવાનો, બોરા વીણવાનો , બાવળના પૈડા - ખીજડાની સીંગો અને આંબલીનો કોર ખાવાનો આનંદ માણ્યો અને રેડીમેડ વસ્તુ ખાવાનો અનુભવ પણ કરી લીધો. આપણે તળાવની પાળે અને કુવાના થાળે બેસી મોજ મસ્તીનો આનંદ અને કુવામા ડેગડી ચડાવવાનો આનંદ માણી લીધો અને સોસાયટીના નાકે બાકડે બેસવાનો અનુભવ પણ કરી લીધો. આપણે ડબલુ લઇ ગામના પાદરમા ખુલ્લા આકાશમા જાજરૂ જવાનો અને કપાસના જીંડવા ચુસવાનો આનંદ પણ માણી લીધો. 

આપણે પૂર્ણ વસ્ત્રો પહેરી ઘુમટો તાણી કામ કરતી માવડીઓને પણ જોઇ અને ફેશનેબલ કપડા પહેરી ઉઘાડા માથે ફરતી અને ફાટેલાં જિન્સ પહેરી ફરતી નારીઓ પણ જોઇ.

આપણે ધરધંટીએ અનાજ દળતી માવડીઓને જોઇ અને માથે દળણાની પેટી મુકી ઘંટીએ દળાવા જતી બાઇઓ પણ જોઇ. તળાવના કુવે કપડા ધોતી માતાઓને પણ જોઇ અને વૉશીંગ મશીનમા કપડા ધોતી બાઇઓને પણ જોઇ.

આપણે ગોફણ , જોતર , છીંકલા , ખરપિયો , જીંહલુ , સલાખા , મોદ , બુંગણ , કલમ , ખડિયો , ઘોડાગાડી ,ગાગર , બોઘરણું, ગોળી , છીછણિયુ , ઇંઢોણી , હેલ , બુઝારુ , દોહણુ , કળશો , ફાનસ , સરૂડી , ચૂલો , તાવડી ,ડોલસુ , સંજવારી , વાસીદુ , સાંતી , જોહરુ , ધોસરું, છીકા, રાંઢવુ આપણે જોયા છે , નવી પેઢીને તો આવા શબ્દો માત્ર ડિક્શનરીમા જોવા મળશે

આપણે જીવનમા ઘણી આફતો પણ જોઇ.

જેમ કે 74નું નવ નિર્માણ, 76 નું પુર હોનારત , 81, 85 ના તોફાનો ,  86-87 નો દુષ્કાળ , 98 નું વાવાઝોડુ , સુરતનો પ્લેગ, સુરત પુર હોનારત, 2001નો ધરતી કંપ , 2002ના તોફાનો.. અને બાકી હતુ તો covid- 19 જોયુ.

કદાચ આ યુગની આ અંતિમ પેઢી હશે જેને એક ભવમા બે ભવનો અનુભવ થયો હોય. ભલે આધુનિક બધુ ખરાબ નથી એમ જુનુ પણ બધુ ખરાબ નથી. 

સમય બદલાય છે. જુની પેઢીના કંઇક લોકોએ દેશ અને વિદેશનો પણ અનુભવ કરી લીધો.  આજે ઘરમા બેઠા બેઠા જુની બે વાતો કરી પરિવાર સાથે શેર કરો.

Saturday, April 18, 2020

શબ્દ જ્ઞાન :- ફદિયું

તળપદી ભાષામાં ફદિયું શબ્દનો ઉપયોગ થતો. હવે આ શબ્દ વિસરાતો ગયો છે. હવે વ્યવહારમાં નથી. ફદિયું એટલે પૈસો, ચાર પાઇ, ગળી ભાખરી. દોલત, ધન, નાણું શબ્દ પૈસા માટે વપરાય છે. ચલણમાં હોય તે સિક્કાને ચલણી નાણું કહેવાય.



પૈસો શબ્દ વ્યવહારમાં અવાર નવાર વપરાય છે. પૈસા ઉડાડવા, પૈસા ઉડાડી જવું, પૈસા કૂદવા, પૈસા ઉપજવા, કિંમત, નાણાભીડ, ફૂગાવો, વિગેરે. અલગ અલગ જગ્યાએ તે અલગ અલગ નામે ઓળખાય છે. ભણતર માટે આપવામા આવે તેને ‘ફી’ કહેવાય. કામ કે નોકરીના બદલામાં ચૂકવાય તેને ‘પગાર’ કહેવાય. ધર્મ પાછળ વપરાય ત્યારે ‘ધર્માદા’, બ્રાહ્મણને અપાતા દાનને ‘દક્ષિણા’, પુષ્ટિમાર્ગમાં ‘ન્યોછાવર’. ખરીદતી વખતે ચૂકવેલા મૂલ્ય, બદલો કે વળતરને ‘કિંમત’ કહેવાય. દલાલ તરીકેના મહેનતાણાને ‘દલાલી’ કે ‘કમીશન’ કહેવાય. ભાડા માટે ચૂકવાય તેને ‘ભાડુ’, નાણાં ધીરે ત્યારે ‘વ્યાજ’, વીમા કંપની ચૂકવે તેને ‘વળતર’. તાબેદારી સ્વીકારી, તે પેટે રકમ આપે તેને ‘ખંડણી’ કહેવાય. ગેરકાયદેસર કામ કઢાવવા માટે આપવામાં આવે તેને ‘કટકી’ કહેવાય. શાખપત્ર, અવેજ, આડત, વટાવ, હૂંડી, શરાફ, ધીરાણ, દ્રવ્ય, પૂંજી, રોકડ, વિગેરે પૈસાનાં સ્વરૂપો છે. ‘કાળુ નાણું’ પણ હોય અને ‘સફેદ નાણુ’ પણ હોય. ભારતમાં નોટબંધી વખતે, કાળુ નાણુ છૂપાવનાર અનેક લોકો બેનકાબ બન્યા હતા.

પૈસો એટલે લક્ષ્મી. જે સ્વભાવે ચંચળ હોય છે. જેની પાસે લક્ષ્મી હોય તે લક્ષ્મીપતિ કહેવાય. શાસ્ત્રો અનુસાર લક્ષ્મી આઠ પ્રકારની હોય છે. તે કયા રસ્તે આવે છે તે અગત્યનું છે. એમ કહેવાય છે કે લક્ષ્મી જેવા રસ્તે આવે તેવે રસ્તે જાય છે. કોઇ રાતોરાત લક્ષ્મી ગુમાવીને રોડપતિ થાય છે તો કોઇ રાતોરાત લક્ષ્મી મેળવીને કરોડપતિ બને છે. પૈસો હંમેશા તેનો રંગ બતાવે જ છે. સંસ્કારી અને વિવેકી ગર્ભશ્રીમંત પૈસાને પચાવી શકે છે બાકી સહેલાઇથી આવેલો પૈસો ઝાઝુ ટકતો નથી. કેટલાંક પૈસાને પરમેશ્વર માને છે. પૈસો ના હોય તેને કંગાળ કહેવામાં આવે છે. પૈસાને કારણે માણસ સ્વભાવે લોભી, કરકસરવાળો, કંજૂસ કે ઉદાર બને છે. શૂન્યમાંથી એક કરવો અઘરો છે પરંતુ એકમાંથી અનેક કરવા સહેલા છે. પૈસો પૈસાને ખેંચે છે. મનુષ્ય હંમેશા પુણ્યનો હિસાબ રાખે છે. કોઇને એકાદ ફદિયું આપ્યુ હોય તો યાદ રાખે છે પણ પાપ કે ભોગવિલાસમાં કેટલું ખર્ચ કરે છે તેનો હિસાબ રાખતો નથી. પૈસાની અસર પારીવારિક સંબંધો પર તેમજ દેશના અર્થતંત્ર પર પડે છે. પરાપૂર્વથી અમીરો અને ગરીબો વચ્ચે આર્થિક અસામનતા ચાલી આવી છે. ઝૂંપડામાં વસતા દીન-દુઃખિયાને અન્ન અને વસ્ત્ર જેવી પ્રાથમિક જરૂરીઆતો પણ મળતી નથી ત્યારે કવિ કરશનદાસ માણેકની, ‘આવું શાને થાય છે?’ રચનામાં વ્યથા વ્યક્ત થાય છે, ‘છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહ્યલું, ને શ્રીમંતોની કબરો પર ઘીના દીવા થાય છે!’ સમાજની આ વાસ્તવિક્તા છે.

એ જાણીતું છે કે મરતી વખતે સમ્રાટ સિકંદરની ઇચ્છા હતી કે, ‘તેના જનાજાની આગળ પાછળ રસ્તા પર સિક્કા વેરજો જેથી દુનિયાને ખબર પડે કે પૈસાની કોઇ જ કિંમત નથી, તે મરતાને બચાવી શકતો નથી.’ કારણકે પૈસો તેને એક ઉછીનો શ્વાસ આપી શકે તેમ ન હતો. તેની બીજી ઇચ્છા હતી કે ‘તેના બન્ને હાથ જનાજાની બહાર રાખે’ જેથી લોકોને ખબર પડે કે આખી દુનિયાને જીતનાર સમ્રાટને પણ ખાલી હાથે જવું પડે છે.

આ બધુ જાણવા છતાં આખી જીન્દગી મનુષ્ય ફદિયા પાછળ દોડતો રહે છે. બુધ્ધિશાળી માણસ આ અજ્ઞાનતામાં જીવે છે. તેનું પણ કારણ છે, ‘નાણાં વગરનો નાથિયો, નાણે નાથાલાલ’, આ કહેવત સૌ જાણે છે. ફદિયાંમા એટલી તાકાત છે કે પહેલાં તેને મેળવવા માટે માનવ તેની જાત ઘસી નાંખે છે, સ્વાસ્થ્ય કથળતુ જાય છે અને પછી કમાયેલો એજ પૈસો તે સ્વાસ્થ્યને પાછું મેળવવા માટે ખર્ચી નાંખે છે. આ તો છે સમયની વક્રતા! પૈસો હાથનો મેલ છે છતાં એક વાત તો સાચીજ છે કે ફદિયું એટલે કે ‘પૈસો બોલે છે!’


✍– કલ્પના રઘુ

Friday, April 17, 2020

રામાયણ અને દિવ્ય ધર્મરથ



આજે રામાયણમાં ઇન્દ્રએ રામને આપેલા રથની વાત આવી એ શસ્ત્રો વિશેના લેખમાં બે ત્રણ દિવસ પહેલા વિગતે આલેખી હતી, એ ફરી વધુ વિગતો સાથે અહીં ઉમેરું છું. રામાયણ અને મહાભારત ઉપરાંત ઋગ્વેદમાં પણ રથના ઉપયોગની વાત છે. એ સાથે - અનેક પ્રકારના રથ અને તેના યુદ્ધ, મુસાફરી તથા પરિવહન માટેના ઉપયોગ વિશે વિગતે વાત મૂકવી છે, અને એ બધા પહેલા થોડીક વાર રામાયણ અને મહાભારતની સહેજ બહાર આવી એક આશ્ચર્યચક્તિ કરી દેતી વાત જાણીએ.

મહાભારતનો સમય લગભગ ૧૮૦૦ – ૨૨૦૦ B.C. નો ગણવા પાછળ એક મજબૂત કારણ ૨૦૦૫માં આર્કિઓલોજિકલ ઇન્ડિયાના ધ્યાનમાં આવ્યું. ૨૦૧૮માં દિલ્હીથી લગભગ ૬૮ કિલોમીટર દૂર ખેતર ખેડવા દરમ્યાન એક ખેડુતને ખેતરમાં સહેજ ઉંડે તાંબાની વસ્તુઓ ધ્યાનમાં આવી. એણે મિડીયાને બોલાવી ફોટા વગેરે પડાવ્યા અને એ જોઈ આર્કિઓલોજિકલ સર્વે ત્યાં પહોંચી સઘન અભ્યાસ શરૂ કર્યો. પહેલા અહીં લાશો હોય એવું એક આખું સ્થાન મળ્યું. અને પછીના ઉત્ખનનમાં તેમને યુદ્ધમાં ઉપયોગ લેવાતો હોય અને ઘોડા દ્વારા ચાલતો હોય એવા બે રથ મળ્યા, તેની સાથે કટાઈ ગયેલ ધનુષ અને બાણ, ઢાલ, ચાબુક, મશાલ અને બરડે બંધાય એવી તાંબાની તલવારો મળી આવી. રથના પૈડાં પર તાંબાનો જાડો ઢોળ ચડાવેલો છે, આ જગ્યાનું નામ છે સિનોલી અને મથુરા, હસ્તિનાપુર અને કુરુક્ષેત્ર એમ ત્રણ બિંદુ મધ્યે છે. અહીં મળેલા રથના પૈડા આખા સોલિડ છે, મતલબ કે પૈડામાં આરા નથી, એનો બ્રાહ્ય ભાગ તાંબાનો છે, બંને પૈડાં એક ધરી પર મૂકાયેલા છે અને એ ધરી સાથે વચ્ચે જોડાયેલ દંડા મારફત ધૂંસરી સાથે જોડાયેલ છે. રથનો મુખ્ય ભાગ પણ લાકડાનો બનેલો છે જેના પર તાંબાનું જાડું આવરણ છે. પૈડાં પર પણ શણગાર રૂપે તાંબાના ત્રિકોણ તાંબાની ખીલીઓ વડે જડેલા છે. બેસવાની જગ્યા અર્ધવર્તુળ છે અને એ તાંબાના આરા વડે બનેલિ છે, છત્રી માટેનો દંડો પણ તાંબાનો છે. સાથે મુગટ પણ મળ્યો છે જે યુદ્ધ દરમ્યાન પહેરાતો હશે. અહીં ૨૦૦૫-૦૬ પછી ૨૦૧૮માં ફરી ઉત્ખનન થયું; એમાં તાંબુ મળ્યું હોવાને લીધે એ હડપ્પા સમયનું નથી એમ નક્કી કરી શકાય, મતલબ આ વસ્તુઓ ૨૦૦૦ થી ૧૮૦૦ B.C. આસપાસની ધારી શકાય છે. આમ રથ વિશેની આ એક ખૂબ પાક્કી અને માહિતીપ્રદ જાણકારી જે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે, એના વિડીઓ પણ છે અને સાઈટ પર મળેલ યોદ્ધા સ્ત્રીઓના તલવારો સાથેના કંકાલ પણ જોઈ શકાય છે.

હવે માંડીને રથની વાત.. શરૂઆત શરૂઆતથી જ છે.. ઋગ્વેદના અનેક સૂક્તોમાં રથની વાત છે, મંડળ ૪, સૂક્ત ૪૫માં અશ્વિનિકુમાર સૂક્તમાં શ્લોક છે,

एष सय भानुर उद इयर्ति युज्यते रथः परिज्मा दिवो अस्य सानवि|
पर्क्षासो अस्मिन मिथुना अधि तरयो दर्तिस तुरीयो मधुनो वि रप्शते||

ભાણદેવજીના પુસ્તક ઋગ્વેદ દર્શનના ૧૨૭મા પાનાં પર આનો અર્થ છે, ‘આ પ્રકાશપૂર્ણ સૂર્યદેવ ઉગે છે, હે અશ્વિનિકુમારો, આપ બંનેના રથ ચારે બાજુ વિચરણ કરી રહ્યાં છે, તે રથ આલોકમાન સૂર્યદેવની સાથે ઊર્ધ્વલોકમાં મળે છે. આ રથમાં જોડ પ્રમાણે ત્રણ પ્રકારના અન્ન રાખેલા છે તથા મધુરસનું ચોથું પાત્ર વિશેષ રૂપથી સુશોભિત થાય છે.’

ઋગ્વેદના મંડળ ૧, સૂક્ત ૧.૩૫માં સવિતા સૂક્તમાં ખૂબ જાણીતો બીજો શ્લોક જે પ્રાત: સંધ્યા કરતી વખતે સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા મેં કેટલીય વાર જપ્યો છે, પણ એનો અર્થ સમજ્યો અને આ પરિપ્રેક્ષ્યમાં પહેલી વાર વિચાર્યો, એ છે

आ कृष्णेन रजसा वर्तमानो निवेशयन्नमृतं मर्त्यं च।
हिरण्ययेन सविता रथेना देवो याति भुवनानि पश्यन् ॥२॥

અને ત્રીજો શ્લોક છે,

याति देवः प्रवता यात्युद्वता याति शुभ्राभ्यां यजतो हरिभ्याम्।
आ देवो याति सविता परावतोऽप विश्वा दुरिता बाधमानः॥३॥

ભાણદેવજી લિખિત ઋગ્વેદ દર્શનમાં ૩૮મા પાને આ શ્લોકના અર્થમાં લખાયું છે, ‘ગાઢ અંધકારયુક્ત પથમાં ભ્રમણ કરતાં સવિતાદેવ આવી રહ્યાં છે, સવિતાદેવ દેવો અને મનુષ્યોને યજ્ઞાદિ શ્રેષ્ઠ કર્મોમાં નિયોજીત કરે છે. સમસ્ત લોકોનું દર્શન કરતા સવિતાદેવ પોતાના સુવર્ણમય રથમાં આરુઢ થઈને આવી રહ્યાં છે.’ ત્રીજા શ્લોકનો અર્થ છે, ‘આ સવિતાદેવ ઉપર ચડતાં અને નીચે ઉતરતાં નિરંતર ગતીશીલ રહે છે, તેઓ સફેદ ઘોડાવાળા રથ પર બેસીને યજ્ઞભૂમિ પર આવી પહોંચે છે.’ આ જ સૂક્તના પાંચમા શ્લોકમાં લખાયું છે, ‘સવિતાદેવના અશ્વો સફેદ પગવાળા છે, તેઓ સુવર્ણમય રથને ખેંચે છે.’ વેદોમાં વર્ણવાયેલા રથ સ્થળ, જળ અને વાયુ એમ સર્વત્ર ચાલનારા વાહનો છે પણ બધાને રથ જ કહેવાયું છે. અથર્વવેદમાં (૨૦/૨૬/૫)માં પણ આ જ વર્ણન છે. ઋગ્વેદમાં સરસ્વતી નદી વિશાળ પટમાં પથરાયેલી અને રથની જેમ ઝડપી વહેણવાળી હોવાનું કહેવાયું છે. અને અહીં રથ અને ગાડા વચ્ચે સ્પષ્ટ ભેદ દર્શાવાયો છે એમ લાગે છે. રામાયણ અને મહાભારતની ક્યાંય પહેલા લખાયા હોવાનું મનાતા વેદોમાં પણ આદિવાહન તરીકે રથનો ઉલ્લેખ છે.

ધવલવસ્ત્રધારી ચંદ્રના રથમાં હરણાં વાહન તરીકે છે, તમિલો માને છે કે માતા રુદ્રાણી અથવા દુર્ગાનું વાહન હરણ છે. હરણાંના રથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ છે, મારુતિના રથમાં ૨૭ હરણાં જોડાયેલા છે એમ લખાયેલું છે, આશ્ચર્યની વાત એ છે કે સાંતાક્લોઝ માટેની એ પ્રેરણા હોવાનું મને લાગે છે; કારણ કે સંત નિકોલસ (૨૭૦ - ૩૪૩ A.D.) ગ્રીક સંત હતા અને આધુનિક દલીલો સિવાય એમનાં ઉત્તર ધ્રુવ કે હરણાં જોડેલા રથનો તર્ક મને મળતો નથી. કદાચ મારી એ વિશેની સમજણ પણ સીમીત હોઈ શકે.

ભારતીય મહાગ્રંથોમાં યુદ્ધ દરમ્યાન ચતુરંગી સેનાનું વર્ણન આવે છે, પાયદળ, અશ્વદળ, હાથીદળ અને રથો. રામાયણ અને મહાભારતના યુદ્ધોમાં રથ યુદ્ધકૌશલ્યનું અગત્યનું સાધન હતું. રાજાઓ, યુવરાજ, રાજકુમારો અને સેનાપતિઓ તથા અગત્યના મહારથીઓ રથમાં સવાર થઈ યુદ્ધ કરતાં. મગધરાજ મહારાજ અજાતશત્રુની રથશાળા ખૂબ વિશાળ હતી, તેમની પાસે રથમૂષળ હતું. મહાભારતમાં વર્ણવાયેલી અક્ષૌહિણી સેનામાં ૨૧૮૭૦ રથો, ૨૧૮૭૦ હાથીઓ, ૬૫૬૧૦ ઘોડેસવારો અને ૧૦૯૩૫૦ પાયદળ ગણાતું. અને સૌથી નાના એકમ એક પત્ટીમાં એક રથ, એક હાથી, ત્રણ ઘોડેસવાર અને પાંચ પાયદળ સૈનિક રહેતા. સંગ્રામિક રથ યુદ્ધો માટે, ઈશ્વરો માટે દેવરથ, કરણી રથ રાણીઓ માટે, વૈનાયિક રથ તાલીમ માટે, પુષ્ય રથ રાજાઓના સમારંભો માટે અને ક્રીડા રથ સ્પર્ધાઓ માટે વપરાશમાં લેવાતા હોવાનું લખાયું છે.

રાવણના, મેઘનાદના રથ અને ઇન્દ્રએ રામને આપેલા રથનું વિગતે વર્ણન છે. રામને વનવાસ મળ્યા પછી નદી કિનારા સુધી એક જ રથમાં રામ, સીતા અને લક્ષ્મણને લઈને સુમંત સારથીપણું કરે છે. આમ એ રથ વિશાળ હશે, એમાં સારથીને બેસવાની અલગ જગ્યા અને એકથી વધુ મુસાફરો માટે જગ્યા હશે એમ સમજાય છે. રામને ઇન્દ્રએ આપેલા રથની વાત ચર્ચાના પરિપ્રેક્ષ્યમાં મૂકું છું.

લંકામાં યુદ્ધ વખતે જમીન પર ઉભીને લડતા શ્રી રામ અને રથારૂઢ રાવણ વચ્ચેના યુદ્ધને જોઈ ઋષિમુનિઓ, દેવતાઓ, ગંધર્વ અને કિન્નરોએ ઇન્દ્રને પ્રાર્થના કરી કે આ યુદ્ધ સમાન નથી, શ્રી રામને તમારો રથ પહોંચાડો. એથી ઇન્દ્રે તરત પોતાના સારથી મતાલીને શ્રી રામ પાસે જવા કહ્યું. મતાલી તરત સ્વર્ગલોકમાંથી રથ લઈ યુદ્ધભૂમિમાં શ્રીરામ પાસે પહોંચ્યો એમ યુદ્ધકાંડમાં કહેવાયું છે. ઇંદ્રની આજ્ઞા પછી મતાલી તેને પ્રણામ કરતા કહે છે,

प्रणम्य शिरसा देवं ततो वचनमब्रवीत्|
शीघ्रं यास्यामि देवेन्द्र सारथ्यं च करोम्यहम्||६-१०२-९||
ततो हयैश्च संयोज्य हरितैः स्यन्दनोत्तमम्|

હે દેવેન્દ્ર, લીલા ઘોડા વડે શોભતા આ અદ્વિતિય રથને લઈને હું તરત જઈ રામના સારથીની ભૂમિકા પૂર્ણ કરું.. પછી ઇન્દ્રના એ રથનું વિગતે વર્ણન છે જેમાં કહેવાયું છે કે

ततः काञ्चनचित्राङ्गः किङ्किणीशतभूषितः||६-१०२-१०||
तरुणादित्यसङ्काशो वैदूर्यमयकूबरः|
सदश्वैः काञ्चनापीडैर्युक्तः श्वेतप्रकीर्णकैः||६-१०२-११||
हरिभिः सूर्यसङ्काशैर्हेमजालविभूषितैः|
रुक्मवेणुध्वजः श्रीमान्देवराजरथो वरः||६-१०२-१२||
देवराजेन संदिष्टो रथमारुह्य मातलिः|
अभ्यवर्तत काकुत्स्थमवतीर्य त्रिविष्टपात्||६-१०२-१३||

મહાન પરાક્રમવાળો અને ઉત્તમ એવો ઇંદ્રનો એ રથ સ્વર્ગમાંથી ઉતર્યો જેમાં સ્વર્ણ દ્વારા અનેક સુશોભનો અને ચિત્રો કરાયા હતાં, એમાં હજારો નાનકડી ઘંટડીઓ રણકાર કરતી હતી, તેનો થાંભલો મધ્યાહનના સૂર્યની જેમ ચમકતા રત્નોથી સુશોભિત હતો, સફેદ ચામરોથી સુશોભિત એ રથ પાણીદાર લીલા અશ્વોથી શોભતો હતો જેમના માથે સ્વર્ણજડિત માળાઓ હતી, એમની લગામ સફેદ હતી, જે સૂર્ય સમાન ચળકતી સ્વર્ણની જાળી વડે ઢંકાયેલી હતી, સ્વર્ણના દંડ વડે શોભાયમાન ધ્વજથી સુશોભિત ઇંદ્રનો આ રથ સ્વર્ગથી ઉતર્યો અને મતાલીએ તેને શ્રી રામ તરફ લીધો. રામ પાસે રથ લાવી, રથમાંથી જ તેમને પ્રણામ કરી મતાલીએ તેમને રથ સાથેના શસ્ત્રોનો પરિચય આપતા કહ્યું, આ ઇન્દ્રનું મોટું ધનુષ છે, આ અગ્નિની જેમ ચમકતું કવચ છે અને સૂર્યની જેમ દમકતા બાણ છે, તથા ખૂબ ધારદાર બરછી પણ રથમાં છે. મારા સમર્થ સારથીપણાં હેઠળ પૂર્વે જેમ ઇન્દ્રે રાક્ષસોનો વધ કર્યો હતો તેમ હે રામ, તમે રાવણનો નાશ કરો.

જો કે ઇન્દ્રના રથ સિવાય ગોસ્વામી તુલસીદાસજી યુદ્ધમાં રામના મુખે ધર્મરથ કે માનસરથની વાત કહે છે, રથ પર સવાર અનેક શસ્ત્રોથી સુસજ્જીત રાવણને જોઈ વિભિષણ દુ:ખી થાય છે કારણ કે રામ પાસે રથ પણ નથી કે કવચ પણ નથી, ત્યારે રામ વિભિષણને રથની ઉપમા લઈને એક સુંદર ઉપદેશ આપે છે. રામ કહે છે કે રાવણ પાસે પરાજયનો રથ છે, અને મારી પાસે વિજયનો રથ છે.. એના કારણ અને રથના લક્ષણો વર્ણવતા રામ કહે છે..

सुनहु सखा कह कृपानिधाना। जेहिं जय होइ सो स्यंदन आना॥
सौरज धीरज तेहि रथ चाका। सत्य सील दृढ़ ध्वजा पताका॥
बल बिबेक दम परहित घोरे। छमा कृपा समता रजु जोरे॥

હે સખા, સાંભળો, જે જીત અપાવે એ રથની વાત અનોખી જ છે. શૌર્ય અને ધૈર્ય એ રથના બે પૈડાં છે, સત્ય અને શીલ એની મજબૂત ધજા અને પતાકા છે. બળ, વિવેક, વશમાં રહેલી ઇંદ્રિયો અને પરોપકાર એ આ રથના ચાર પૈડાં છે જે ક્ષમા, દયા અને સમતારૂપી દોરીથી રથમાં જોડાયેલા છે.

ईस भजनु सारथी सुजाना। बिरति चर्म संतोष कृपाना॥
दान परसु बुधि सक्ति प्रचंडा। बर बिग्यान कठिन कोदंडा॥

ઈશ્વર ભજન જ આ રથનો ચતુર સારથી છે. વૈરાગ્ય ઢાલ છે અને સંતોષ તલવાર છે, દાન ફરસી છે, બુદ્ધિ પ્રચંડ શક્તિ છે. શ્રેષ્ઠ વિજ્ઞાન(ની જાણકારી) કઠિન ધનુષ છે.

अमल अचल मन त्रोन समाना। सम जम नियम सिलीमुख नाना॥
कवच अभेद बिप्र गुर पूजा। एहि सम बिजय उपाय न दूजा॥

નિર્મળ (પાપરહિત) અને અચળ (સ્થિર) મન તરકશ છે, શમ (વશમાં રહેલું મન), યમ (અહિંસા વગેરે) અને (શૌચ, સ્વચ્છતા અને પવિત્રતા વિશેના) નિયમ આ બધા બાણ છે. બ્રાહ્મણો અને ગુરુનું પૂજન અભેદ્ય કવચ છે. આવો વિજયનો બીજો કોઈ ઉપાય નથી.

सखा धर्ममय अस रथ जाकें।
जीतन कहँ न कतहुँ रिपु ताकें॥

હે સખા, જેની પાસે આવો ધર્મમય રથ હોય એની પાસે જીતવા માટે કોઈ શત્રુ જ નથી.

महा अजय संसार रिपु जीति सकइ सो बीर।
जाकें अस रथ होइ दृढ़ सुनहु सखा मतिधीर॥

હે ધીર, સાંભળો, આવો દૃઢ રથ જેની પાસે હોય એ વીર જન્મ મૃત્યુ રૂપી મહાન દુર્જેય શત્રુઓને પણ જીતી શકે છે (મતલબ રાવણ જેવા શત્રુઓ એની સામે કોઈ વિસાતમાં નથી અને એની પાસે છે એવો રથ અને કવચ હોય કે ન હોય એથી યુદ્ધના મારા વિજયના પરિણામમાં કોઈ શંસય નથી.) હવે વિભિષણ જ્યારે રામ દ્વારા વર્ણવાયેલા રથના વર્ણન પહેલા પૂછે છે એ ચોપાઈ જુઓ..  रावण रथी, विरथ रघुवीरा।  

શ્રીરામ જે રથની વાત કહે છે એ રથ ધર્મરથ છે, એ સ્થિર છે, એ અડગ છે, ભલે રથ ગતિમાં છે અને રથી સ્થિર છે, પણ રથની ગતિએ એ પણ ચલાયમાન છે; રાવણ માટે રથ સાધન છે અને રથી એ રીતે સ્થિર નથી, સ્થિર બુદ્ધિવાળો નથી. રથીનું ઉંધુ શ્રીરામ થીર – સ્થિર છે. કારણ કે એમણે વર્ણવેલા લક્ષણો મુજબ (અને ભૂમિ પર ઉભેલા હોવાને લીધે) એમનો રથ પણ સ્થિર છે અને એમનું સાધન ધરતી છે જે શુદ્ધ છે. સાધનશુદ્ધિનો આપણે ત્યાં ખૂબ મહિમા થયો છે, અને વિજયને જો મુક્તિ તરીકે જોઈએ તો રાવણની મુક્તિ શક્ય નથી કારણ કે એની મતિ સ્થિર નથી, અને એનું સાધન પણ પવિત્ર નથી. જ્યારે રામરથ તો પોતે પણ સ્થિર છે અને એનું સાધન તો સદા સર્વદા પવિત્ર ધરતી છે. આ અદ્રુત ઉપમા છે. રામ રથના જે ભાગની વાત કરે છે એ બધા પોતે જ પવિત્ર છે, અને સાધકને તો દરેક સાધન શુદ્ધ જોઈએ તો જ એને ધ્યેયપ્રાપ્તિ થઈ શકે,

રાવણને રામે માર્યો એટલે એને મુક્તિ મળી ગઈ એમ કહેવાય છે એ વિધાનનો અર્થ પણ મને અહીં સમજાયો કારણ કે એને મારવા ઉપયોગમાં લેવાયેલા અસ્ત્રો – સાધનો પણ શુદ્ધ છે. એ બાણ વાગ્યા પછી મુક્તિનો જે આનંદ ઉભરાય એ પણ અભિભૂત કરી દે, અત્યંત ખુશ થઈએ ત્યારે પણ ખબર ન પડે કે શું કરવું, મોક્ષનો એ મહાયોગ થાય પછી તો મને ગંગાસતી યાદ આવે..

બાણ રે વાગ્યા ને રુંવાડા વીંધાણા, મુખથી નવ સહેવાય રે..
આપોને વસ્તુ અમને લાભ જ લેવા, પરિપૂર્ણ કરોને કાય રે..

રામે શબરીને સમજાવેલી નવધાભક્તિ વિશે પણ ગંગાસતીએ કેવું સરસ લખ્યું છે.. ખેર વિષયાંતર ટાળવા રથ પર જ રહીએ.. 

રામાયણના સમયના ધ્વજ તેના ધારક અતિમહારથી કે મહારથી વગેરેની ઓળખ આપતાં, ઇક્ષ્વાકુઓનો કુળધ્વજ પારિજાતનું ચિહ્ન ધરાવતો હતો, ભરત રામને મળવા આવે ત્યારે એ ધ્વજનો ઉલ્લેખ છે, પણ રામ વનવાસમાં હોઈ અયોધ્યાની કોઈ પણ વસ્તુનો ઉપયોગ ન કરી શકે એવા વચનને લઈ એ અલગ ધ્વજ નીચે યુદ્ધ કરે છે. શ્રી રામની વાનર સેનાનો ધ્વજ કિરમજી રંગનો દ્વિપાંખીયો હતો જેમાં તેમના કુળદેવતાનું - સૂર્યચિહ્ન હતું. એ ધ્વજમાં શમી વૃક્ષના ત્રણ પર્ણ હતાં એવી પણ માન્યતા છે. રાવણના ધ્વજમાં કપાલ અથવા ખોપરી હતી એમ મનાય છે અને ઇન્દ્રજીતના ધ્વજમાં સિંહ ચિહ્ન હતું. 

રામાયણ અને મહાભારત વચ્ચેનો સમયગાળો ખૂબ લાંબો હોવાનું મનાય છે, રામાયણનો સમયગાળો એમાં દર્શાવાયેલા નક્ષત્રોને આધારે ગણવાના યત્નો થયા છે, અને એ પ્રમાણે એ સમયના સમાજજીવનની કલ્પના ઉપલબ્ધ લેખનને આધારે થઈ છે. એ જોતાં લાગે છે કે ત્યારે પ્રાણીઓ ઉપરાંત રથ અને પાલખીઓનો ઉપયોગ સામાન્ય જીવનમાં પરિવહન માટે થતો હશે. રથ મુખ્યત્વે બે પ્રકારના ધ્યાને આવે છે, એક જેમાં સારથી આગળ બેસી ચલાવે છે, એમાં બેસવાની સગવડ હોય છે અને એનો રથિ વાળો ભાગ થોડો વિસ્તૃત અને પહોળો હોય છે (રામાયણ કાળના રથ) , જ્યારે એ સિવાયના નાના રથમાં સારથીને બેસવાની અલગ જગ્યા નથી હોતી, એ કાં તો ધરી પર જ બેસે છે અથવા રથિ સાથે હોય છે, એવા રથ મહાભારત કાળમાં હોવાની શક્યતા છે, એ યુદ્ધમાં પણ વપરાતાં, એમાં રથમાં સારથી પણ સાથે જ હોય છે, (જે રથ અર્જુન સુભદ્રાનું હરણ કરવા કે કૃષ્ણ રુક્મિણીનું હરણ કરવા ઉપયોગમાં લેતા દેખાયા છે એ). નાના રથની ઝડપ વધુ હોવાને લીધે એનો યુદ્ધમાં અને મોટા રથનું વજન તથા વેગ ઓછો હોવાને લીધે એ સામાન્ય પરિવહનમાં ઉપયોગમાં લેવાતા હશે એમ લાગે છે. રાજ પરિવારની સ્ત્રીઓ દ્વારા પાલખી ઉપયોગમાં લેવાતી હશે એમ પણ આ ગ્રંથોના અભ્યાસથી જણાય છે. હાથીદાંત, સોના અને ચાંદીએ મઢેલા રથમાં ઢાલ તરીકે સિંહ અને વાઘના ચામડાનો ઉપયોગ થતો હોવાનું પણ લખાયું છે. રામાયણમાં રથના વિવિધ ભાગ જેવા કે અક્ષ (ધરી), યુગ (ધૂંસરી), નિધા (સારથીને બેસવાની જગ્યા), રથનો મુખ્ય થાંભલો જેના પર છત્રી રહેતી અને રથનો મુખ્ય ભાગ જે લાકડાનો રહેતો વગેરેનો ઉલ્લેખ છે. ઋગ્વેદમાં વર્ણવાયેલા રથ કરતાં રામાયણમાં વર્ણવાયેલા રથ વિશાળ હતા એ વર્ણનો પરથી જણાય છે, મહાભારતમાં ફરી નાના રથનો ઉલ્લેખ છે કારણ કે એ મુખ્યત્વે લડાઈ માટે યુદ્ધમાં લેવાતા. શક્ય છે કે રામાયણકાળમાં ઓછા યુદ્ધોને લીધે રથ મોટા હશે, એની વિશાળ બેઠક અને વધારે લંબાઈ ધ્યાન ખેંચે છે. દાનવ શંભાસુર સામેના યુદ્ધમાં ઇન્દ્રને પક્ષે લડવા ગયેલા મહારાજ દશરથના રથની ધરીમાંથી પૈડું અલગ થવા લાગે છે ત્યારે તેમના સારથી તરીકે રહેલી કૈકયી તેમાં પોતાની આંગળી ખોસી પૈડું સ્થિર રાખે છે, એ પછી મહારાજ દશરથ લડતાં મૂર્છિત થાય ત્યારે રથને સુરક્ષિત સ્થળે લઈ જાય છે, અને એ ઉપકારના બદલે દશરથ મહારાજે આપેલા બે વરદાન જ રામાયણનું મૂળ કારણ બને છે. પણ આ વાતથી સિદ્ધ થાય છે કે પુરુષો અને સ્ત્રીઓ સમાનપણે યુદ્ધપ્રવીણ રહેતાં અને યુદ્ધમાં રથનો ઉપયોગ કરી શક્તાં. 

એક રથમાં એક સાથે ઘણાં બધા ઘોડા જોડી શકાતા. સૂર્યના રથમા સાત અશ્વો હોવાનું લખાયું છે. બ્રાહ્મણો દ્વારા ઉપયોગમાં લેવાતા બ્રહ્મરથ મુખ્યત્વે પરિવહન માટેના સાધન હતા જે ક્ષત્રિયો માટેના યુદ્ધમાં વપરાતા રથ કરતા મોટા પણ ઓછી ગતિ વાળા હતા એમ લાગે છે. નાના રથમાં એક થાંભલા પર અને મોટા રથમાં ચાર કે તેથી વધુ થાંભલા પર વિવિધ આકાર અને પરિમાણની છત્રીઓ હશે એમ સમજાય છે. 

ધ મેકિંગ ઑફ ચાણક્યમાં ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી રથ અંગેના તેમના અભ્યાસ અને એ દ્વારા ચાણક્ય ધારાવાહિકમાં તેમણે ડિઝાઈન કરેલા રથ વિશે વિગતે વાત કરે છે. રથ ફક્ત સમાજના ઉચ્ચ વર્ગના અને ગણ્યાગાંઠ્યા લોકો માટે જ ઉપલબ્ધ હતો. ચંદ્રગુપ્ત મૌર્ય હેઠળની મૌર્ય સેનામાં યુદ્ધખાતામાં છ સભ્યો રહેતા અને એમાંનો એક રથાધ્યક્ષ રહેતો જે બધા રથની તૈયારી માટે જવાબદાર રહેતો. કૌટિલ્યના અર્થશાસ્ત્રને ડૉ. દ્વિવેદી ટાંકે છે, જેમાં યુદ્ધમાં રથનો કઈ રીતે ઉપયોગ કરી શકાય એ વિશે વિસ્તૃત વાત છે. શત્રુના એક રથના મુકાબલે પાંચ ઘોડેસવાર અથવા પંદર પાયદળને લગાવવું યોગ્ય ગણાયું છે. યુદ્ધમાં એક રથની સાથે પંદર સૈનિકોનું પાયદળ ઉપર્યુક્ત ગણાયું છે જેમને મહાભારતમાં અનુચર કહેવાયા છે. યુદ્ધમાં ત્રણ રથ આગળ રહેતા, બંને પાંખમાં ત્રણ ત્રણ રથ રહેતા અને મધ્યમાં આગળના ત્રણ રથની બંને તરફ પણ ત્રણ ત્રણ રથ રહેતા, જો શત્રુઓના રથ વધારે હોય તો આ જ ગણતરીમાં ત્રણેય પાંખમાં, અગ્ર, મધ્ય અને પંખમાં બબ્બેની સંખ્યામાં રથ વધારાતા, આમ એક વ્યૂહરચનામાં મહત્તમ ૨૧ રથ રહેતા. હાથીઓ વ્યૂહરચનામાં બન્ને બાજુઓને અંતે રહેતા અને મુખ્ય યોદ્ધાઓ તથા ઘોડેસવારો મધ્યમાં રહેતા. જે વ્યૂહરચનામાં હાથીઓ અગ્ર હોય, રથ મધ્યમાં હોય અને ઘોડેસવારો પાંખમાં હોય એ વ્યૂહ વચ્ચે ઉભેલા શત્રુના મહત્વના યોદ્ધા પર આક્રમણ માટે ઉપયોગમાં લેવાતો. પોરસ અથવા જેને ડૉ. દ્વિવેદી પર્વતરાજ કહે છે એના સૈન્યના રથના પૈડાં યુદ્ધના આગલા દિવસે થયેલા વરસાદના લીધે પોચી માટીમાં ખૂંપી ગયા, અને હુમલા દરમ્યાન રથના ઘોડાઓએ આ બંધનને લીધે નાસભાગ કરી એથી શત્રુ એલેક્ઝાન્ડર (જેને ચાણક્ય ધારાવાહિકમાં અલક્ષેન્દ્ર કહેવાય છે)ને ભયાનક આક્રમણનો મોકો મળી ગયો અને ઘણાં રથીઓને રથના ઘોડાઓ જ નદીમાં ખેંચી ગયા. ચાણક્ય ધારાવાહિક બનાવવા દરમ્યાનના તેમના વિશદ રિસર્ચ વડે ડૉ. દ્વિવેદી કહે છે કે રથ અનેક ઘંટડીઓ વડે આભૂષિત રહેતા જેથી આવનારા રાજા વિશે લોકોને જાણ થતી, તેની બેઠક પર સિંહ કે વાઘનું ચામડું રહેતું અને એમાં એકથી વધુ ઘોડાઓનો ઉપયોગ થતો. 

સમય જતાં રાજાઓને સમજાયું કે રથ કરતા હાથી વધુ સુરક્ષિત અને ઉપયોગી છે, રથમાં રહી તીર વડે પાયદળને મારવા કરતાં હાથી પરથી તીર તેમને મારવા સહેલા હતાં. ઉંચાઈને લીધે યુદ્ધનો બૃહદ ચિતાર પણ હાથી પરથી મળી રહેતો. તો ઘોડેસવાર રથ કરતા વધુ ચપળતાથી શત્રુનો પ્રહાર ચૂકાવી શક્તા અને એની ઝડપ પણ વધારે રહેતી. ખડકાળ પ્રદેશોમાં રથ પર લડવું મુશ્કેલ થતું, વરસાદના સમયમાં પણ રથ સંચાલન મુશ્કેલ થતું. આમ શક્ય છે કે અનેક મર્યાદાઓને લીધે ધીરે ધીરે રથનો વપરાશ ઘટ્યો હશે.

જય શ્રી રામ 🚩
જય શ્રી કૃષ્ણ 🚩

સાભાર :- જીજ્ઞેશભાઈ અધ્યારૂના fb દીવાલ પરથી...

આયુર્વેદ જ્ઞાન :- પીળી આવળ

પીળી આવળ

અંગ્રેજી નામ
Senna auriculata

તે ભારત દેશમાં બધા જ પ્રદેશોમાં થાય છે. એનાં પીળાં સોનેરી રંગનાં ફુલોથી આ છોડ તરત ઓળખાઈ જાય છે. આવળ કડવી, શીતળ અને આંખોને માટે હિતકારક છે.

આવળનો ઉપયોગ
👉એકચમચી આવળના ફુલની પાદંડીઓ અને એટલી જ સાકર ગાયના દૂધમાં વાટીને ચાટી જવાથી સગભા સ્ત્રીની ઊલટી તેમ જ ઊબકા બધં થાય છે. 

👉આવળના ફુલોનો ગુલકંદ પેશાબના, ત્વચાના અને પેટના રોગોમાં સારો ફાયદો કરે છે તથા શરીરનો રંગ વધુ સુધારે છે. 

👉પગના મચકોડ પર આવળના પાન બાધંવાથી મચકોડનો સોજો અને દુ:ખાવો મટી જાય છે. 

👉આવળનાં ફુલોનો ઉકાળો અથવા આવળના પચાંગ ચૂર્ણની અડધી ચમચી જમતાં પહેલાં લેવાથી અને જરુરી પરેજી પાળવાથી ડાયાબીટિસમાં ફાયદો થાય છે. 

👉આવળના ફુલોને સૂકવીને બનાવેલું ચૂર્ણ અડધી ચમચી જેટલું ગરમ પાણી સાથે લેવાથી સર્વ પ્રકારના પ્રમેહ મટે છે.

ઓમ આયુર્વેદ સારવાર કેન્દ્ર - બોટાદ
ચેતન ઠાકોર :- 9265404987
ફોટો બાય :- વનવાસી કવિ

Wednesday, April 15, 2020

ઇતિહાસ :- 16 એપ્રિલ

શુભારંભ. આજના દિવસે પહેલી ટ્રેન મુંબઈના વિક્ટોરિયા ટર્મિનસ સ્ટેશન અને થાણે વચ્ચે ચાલી હતી.

1889- પ્રખ્યાત અભિનેતા ચાર્લી ચૈપલિનનો જન્મ.

1917- રુસમાં સૈનિકોનો વિદ્રોહ અને અસ્થાયી સરકારનું ગઠન. જાર નિકોલસ દ્રિતીયએ સિંહાસન છોડ્યું.

1919- જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા ગાંધીજીએ ઉપવાસ શરૂ કર્યા.

1919- વાયુસેનામાં 5 સ્ટાર રેંક સુધી પહોંચનાર એકમાત્ર માર્શલ અર્જુન સિંહનો  જન્મદિવસ.

1922- ઈટલી, રુસ અને જર્મની વચ્ચે એક સંધિ હસ્તાક્ષર થયા.

1945- બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકી સેના જર્મનીના નુરેમ્બર્ગ વિસ્તારમાં ઘુસી

1961- પ્રસિદ્ધ સિખ નેતા તેમજ ક્રાંતિકારી રણધીર સિંહનું નિધન.

1966- પ્રસિદ્ધ ચિત્રકાર નંદલાલ બોસનું નિધન.

1970- ફ્રાંસમાં બરફના તોફાનમાં 70 લોકોના મોત.

1980- અમેરિકાના નેવાદામાં પરમાણુ પરીક્ષણ.

1992- અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ નજીબુલ્લાહએ રાજીનામું આપ્યું.

2002- દક્ષિણ કોરિયામાં વિમાન દુર્ઘટના, 120 લોકોના મોત.

2008- લંડનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ.

2012- સીરિયામાં સંઘર્ષ, 55 લોકોના મોત.

2013- ઈરાનમાં ભૂકંપથી 37ના મોત

Tuesday, April 14, 2020

આજનો દિવસનો ઇતિહાસ : 15 એપ્રિલ

સૌરાષ્ટ્રના આ નાના મોટા રજવાડાઓને ભેગા કરી 15 ફેબ્રુઆરી 1948 ના દિવસે જામનગર ના લાલ બંગલામાં એક સંઘ બનાવવામાં આવ્યો જેને નામ અપાયું ” યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ કાઠીયાવાડ” જે પછી થી ઓળખાયું “યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ સૌરાષ્ટ્ર” . આમ સૌરાષ્ટ્રને ભારતીય સંઘ માં 15 એપ્રિલ 1948 ના દિવસે ભેળવી દેવામાં આવ્યું અને તેને B પ્રકારનું રાજ્ય બનાવવામાં આવ્યું. સૌરાષ્ટ્રની રાજધાની રાજકોટ બનાવવામાં આવી અને તેના પ્રથમ મુખ્યમંત્રી તરીકે કાર્ય કર્યું ઉછરંગરાય ઢેબરે. બળવંતરાય મેહતા સૌરાષ્ટ્ર રાજ્યના ઉપ-મુખ્યમંત્રી હતા. જામનગરના રાજવી દિગ્વિજયસિંહને રાજપ્રમુખ અને ભાવનગરના રાજવીને ઉપરાજ પ્રમુખ બનાવવામાં આવ્યા.

Monday, April 13, 2020

ભારતરત્ન ડૉ.બાબા સાહેબ આંબેડકરનું જીવનચરિત્ર




ભારતરત્ન મહામાનવ ડૉ.બાબા સાહેબ આંબેડકરનું જીવનચરિત્ર હુલામણું નામ : બાબાસાહેબ નાગરીકતા : ભારતીય અભ્યાસ : એમ.એ. , એમ.એસ.સી, પી.એચ.ડી, ડી.એસ.સી, એલ.એલ.ડી , ડી.લીટ ,બાર એટ.લો , જે.પી. વ્યવસાય : ભારતના પ્રથમ કાયદા પ્રધાન વતન : અંબાવાડે, રત્નાગિરી, મહારાષ્ટ્ર ખિતાબ : ભારત રત્ન (૧૯૯૦ - મરણોપરાંત) જન્મ અને બાળપણ ભારતરત્ન ડૉ. ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ ૧૪મી એપ્રિલ ૧૮૯૧માં મહુ, મધ્ય પ્રદેશ(તે સમયના સેન્ટ્રલ પ્રોવિન્સ) મુકામે એક સામાન્ય મહાર કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી માલોજી સક્પાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. ભીમરાવ આંબેડકર એ રામજી સક્પાલના ચૌદ સંતાનોમાંનું છેલ્લું સંતાન હતા. ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદારના હોદા પર હતા. લશ્કરની શાળામાં તેઓ હેડ માસ્ટર હતા. નાનપણથી જ બાળક ભીમરાવમાં માતાપિતાના સંસ્કારો ઉતર્યા. જયારે ભીમરાવ ૬ વર્ષની ઉમરના થયા ત્યારે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું. શિક્ષણ ભીમરાવની પ્રાથમિક કેળવણીની શરૂઆત થઈ. ભીમરાવના પિતાની અટક સક્પાલ હતી. તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના અંબાવાડે ગામના વતની હતા તેથી નિશાળમાં ભીમરાવની અટક આંબાવડેકર રાખવામાં આવેલી. પરંતુ નિશાળના એક શિક્ષક કે જે ભીમરાવને ખુબ ચાહતા હતા, તેમની અટક આંબેડકર હતી તેથી તેમણે ભીમરાવની અટક નિશાળના રજીસ્ટરમાં સુધારીને આંબાવડેકરને બદલે આંબેડકર રાખી. શરૂઆતની પ્રાથમિક કેળવણી ભીમરાવે મુશ્કેલીઓ વચ્ચે પૂરી કરી. અસ્પૃશ્યતાના લીધે તેઓએ ઘણું જ સહન કરવું પડ્યું. ભીમરાવના પિતાને મુંબઈમાં રહેવાનું થયું એટલે ભીમરાવે હાઇસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલ્ફીન્સ્ટન હાઇસ્કૂલમાં લીધું અને સને ૧૯૦૭માં મેટ્રીકની પરીક્ષા પસાર કરી. મેટ્રિક પાસ થયા પછી ભીમરાવના લગ્ન "રામી" નામની બાળા સાથે થયા. જેનું નામ ભીમરાવે પાછળથી "રમાબાઈ" રાખ્યું. ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવસ્થા કરી, અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલ્ફીન્સ્ટન કોલેજમાં દાખલ થયા. ભીમરાવે ઈ.સ. ૧૯૧૨માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સીટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી.સ્નાતક થયા પછી ભીમરાવ વધુ અભ્યાસ કરી શકે એવા એમના કુટુંબના સંજોગો રહ્યા ન હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવની નિમણુક રાજ્યના લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે કરી. વડોદરામાં યુવાન ભીમરાવને ખુબ જ હેરાન થવું પડ્યું .આ સમયે તા. ૨ ફેબ્રુઆરી ૧૯૧૩ના રોજ ભીમરાવના પિતા રામજી સક્પાલનું અવસાન થયું. ભીમરાવને નોકરીને તિલાંજલિ આપવી પડી. પિતાનું મૃત્યુના કારણે મહત્વાકાંક્ષી ભિમરાવને ખુબજ દુ:ખ થયુ.આ સમયે વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે, ઉચ્ચ અભ્યાસ માટે, અમેરિકા મોકલવા માંગતા હતા. ભીમરાવની એ માટે પસંદગી થઈ. આમ સને ૧૯૧૩ના જુલાઈનાં ત્રીજા અઠવાડિયામાં ભારતનો એક વિદ્યાર્થી વિદ્યાના ગહન શિખરો શર કરવા ન્યુયોર્ક પહોચી ગયો. અમેરિકાની પ્રખ્યાત કોલમ્બિયા યુનિવર્સિટીમાં ભીમરાવે ખંતપૂર્વક અભ્યાસ શરુ કર્યો. અભ્યાસના પરિપાક રૂપે ભીમરાવે 'પ્રાચીન ભારતીય વ્યાપાર' વિષય ઉપર મહાનિબંધ લખી ૧૯૧૫માં કોલમ્બિયા યુનિવર્સીટીની એમ.એ.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ સતત અભ્યાસ ચાલુ રાખી ૧૯૧૬ માં એમણે પી.એચ.ડી. માટે 'બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ' વિષય ઉપરનો મહાનિબંધ કોલમ્બિયા યુનિવર્સીટીને રજુ કરી દીધો, અને સર્વોચ્ચ એવી પી.એચ.ડી.ની ડીગ્રી મેળવવા ભાગ્યશાળી બન્યા. આમ આંબેડકર હવે ડૉ. આંબેડકર બની ગયા. હજુ એમની જ્ઞાન માટેની ભુખ સંતોષાયેલી નહોતી. સને ૧૯૧૬ માં તેઓ અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા. અને લંડનમાં કાયદાનો અભ્યાસ શરુ કર્યો સાથે સાથે એમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલુ જ રાખ્યો. પરંતુ પ્રતિકુળ સંજોગોને અને આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓને કારણે વિદ્યાભ્યાસ છોડી તેમને ભારત પાછા ફરવું પડ્યું . ઇંગ્લેન્ડથી પાછા આવ્યા પછી તેઓ વડોદરા નોકરી માટે ગયા. મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણુક વડોદરા રાજ્યના મીલીટરી સેક્રેટરી તરીકે કરી. પરંતુ મુશ્કેલીઓ અને અપમાનોના લીધે તેઓ વડોદરામાં સ્થિર થઇ શક્યા નહિ, ફરીવાર વડોદરાને તેમણે છેલ્લી સલામ કરી વિદાઈ લીધી. ડૉ.આંબેડકર હિંમત હારી જાય તેવા પોચા નહોતા. તેમના પ્રયત્નોને સફળતા મળી ૧૯૧૮માં, મુંબઈની સિડનહામ કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા. આર્થીક ભીંસ ઓછી થવાથી અને થોડા પૈસા બચાવીને તેમજ કેટલીક રકમની મિત્રો પાસેથી વ્યવસ્થા કરીને ફરીવાર ડૉ.આંબેડકર ઇંગ્લેન્ડ ગયા, અને કાયદાનો તથા અર્થશાસ્ત્રનો અભ્યાસ ચાલુ રાખ્યો.

ડૉ.આંબેડકરની ઇંગ્લેન્ડની સફર પહેલા તેમના પત્ની રમાબાઈએ ૧૯૨૦માં એક બાળકને જન્મ આપ્યો. જેનું નામ યશવંત રાખવામાં આવ્યું, બીજા બે સંતાનો થયા પરંતુ તે જીવી શક્યા નહિ. ૧૯૨૩માં ડૉ.આંબેડકર બેરિસ્ટર થયા. આજ વખતે ડૉ.આંબેડકરને તેમના મહાનિબંધ "રૂપિયાનો પ્રશ્ન" એ વિષય ઉપર લંડન યુનિવર્સીટી એ "ડૉક્ટર ઓફ સાયન્સ"ની ઉચ્ચ ડીગ્રી એનાયત કરી. લંડનમાં અભ્યાસ પૂર્ણ થવાથી ડૉ.આંબેડકર જર્મની ગયા, અને ત્યાં પ્રખ્યાત બોન યુનિવર્સીટીમાં વિદ્યાભ્યાસ શરુ કર્યો.પરંતુ જર્મનીમાં તેઓ લાંબો સમય રહી શક્યા નહિ. તેમને ભારત પાછા ફરવું પડ્યું. જુન ૧૯૨૮ માં ડૉ.આંબેડકર મુંબઈની ગવર્મેન્ટ લો કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા તેઓ કાયદાના અભ્યાસમાં નિપુણ હતા.તેઓ વિદ્યાર્થીઓમાં ઘણાજ પ્રિય થયા .આ સમયે "સાયમન કમિશન" ને મદદરૂપ થવા બ્રિટીશ ભારતમાં જુદી જુદી પ્રાંતીય સમિતિઓની રચના કરવામાં આવી.તા.૩ ઓગસ્ટ ૧૯૨૮ માં સરકારે ડૉ.આંબેડકરને મુંબઈની કમિટીમાં નીમ્યા.મુંબઈની ધારાસભામાં અને બહાર જાહેર સભાઓમાં ડૉ.આંબેડકરનો અવાજ ગાજવા લાગ્યો.તા.૨૩ ઓક્ટોબર ૧૯૨૮ મા ડૉ.આંબેડકર "સાયમન કમિશન" સમક્ષ અછૂતોના પ્રાણ પ્રશ્નો અને તેના નિરાકરણ ઉપર રજૂઆત કરી આજ સમયે તેમણે એક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી.મજુર ચળવળના પણ તેઓ પ્રણેતા બન્યા,અને એમના હક્કો તથા સગવડો બાબતમાં ઘણાજ પ્રયત્નો કર્યા. ડૉ.આંબેડકર નું નામ હવે દેશભરમાં જાણીતું થઇ ગયું હતું. પ્રથમ ગોળમેજી પરિષદમાં ભારતના ઇતિહાસમાં અન્ય અગત્યની સાલોની માફક ૧૯૩૦ ની સાલ ઘણીજ અગત્યની છે. ૧૯૩૦ માં સાયમન કમિશન નો રીપોર્ટ બહાર પડ્યો અને બ્રિટીશ સરકાર અને ભારતના રાજકીય નેતાઓની વચ્ચેની લડતની શરૂઆત થઇ પ્રાંતીય સ્વાયત્તા પ્રતિ દેશ આગળ વધે એવા ચિન્હો જણાતા હતા.ધારાસભ્યોમાં બેઠકોની ફાળવણી બાબતમાં કોંગ્રેસ પક્ષ ,મુસ્લિમ લીગ અને ડૉ.આંબેડકર વચ્ચે મતભેદ રહ્યા અને એકમતી સધાય શકી નહિ .આ મડાગાંઠનો તોડ લાવવા બ્રિટીશ સરકારે લંડનમાં બધા જ પક્ષોના નેતાઓની એક ગોળમેજી પરિષદ બોલાવી.તા ૬ ડીસેમ્બર ૧૯૩૦ માં ભારતના વાઈસરોય તરફથી ગોળમેજી પરિષદમાં હાજર રહેવા ડૉ.આંબેડકરને આમંત્રણ મળ્યું.આ પરિષદમાં ડૉ.આંબેડકરે ભારતના અછૂતોના પ્રશ્નોની વિશદ(ઉંડાણપુર્વક) અને તલસ્પર્શી રજૂઆત કરી તેમને ખાસ કરીને અછૂતોના રાજકીય અને સામાજિક હક્કો માટે બ્રિટીશ સરકાર પાસે બાહેધરી માંગી .ડૉ.આંબેડકરની રજુઆતે પરિષદના પ્રતિનિધિઓ ઉપર.ઊંડી અસર કરી ડૉ.આંબેડકર એક બાહોશ અને નીડર વક્તા હતા .ડૉ.આંબેડકર તેઓ કડવું પણ સત્ય બોલતા. ડૉ.આંબેડકર ભારત પાછા ફર્યા અને તેમના કાર્યમાં મશગુલ બની ગયા. ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત તા.૧૪ મી ઓગસ્ટ ૧૯૩૧ માં ડૉ.આંબેડકર અને ગાંધીજીની પ્રથમ મુલાકાત થઇ.તા. ૭ મી સપ્ટેમ્બર ૧૯૩૧ માં લંડનમાં બીજી ગોળમેજી પરિષદ મળી અને એમાં ડૉ.આંબેડકર અન્ય ભારતીય નેતાઓ સાથે હાજર રહ્યા .ડૉ.આંબેડકરે અછૂતોના ઉદ્ધાર માટે અલગ મતાધિકાર અને અલગ અનામત બેઠકોની માંગણી કરી.ડૉ.આંબેડકર અને ગાંધીજી વચ્ચે આ બાબતમાં દલીલો થઇ અને છેવટે ઉગ્ર મતભેદ થયા.ગાંધીજી મુસ્લિમો સાથે એકમત સાધવામાં નિષ્ફળ ગયા ડૉ.આંબેડકર પણ તેમની માંગણીઓમાં મક્કમ રહ્યા.બીજી ગોળમેજી પરિષદ ભાંગી પડી.બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીનો વિરોધ કરવાથી અને તેમની અલગ મતાધિકારની માંગણીના લીધે ડૉ.આંબેડકર ઘણાજ અપ્રિય થયા .સમાચારપત્રોએ ડૉ.આંબેડકર ઉપર ટીકાઓની ઝડી વરસાવી અને કોંગ્રેસના નેતાઓએ તેમના કૃત્યને વખોડી કાઢ્યું.આમ છતાં ડૉ.આંબેડકર ભારતના અછૂતોના પ્રશ્નો સફળ અને સાચી રીતે રજુ કરવામાં શક્તિમાન થયા.લંડન થી પાછા આવ્યા પછી ડૉ.આંબેડકર દેશના જુદા જુદા ભાગોમાં જ્યાં જઈ શક્યા ત્યાં ગયા અને દલિતોની અશંખ્ય મીટીંગો અને પરિષદોનું આયોજન કરીને અને અછૂત-સમાજને જાગૃત કર્યો. લોકનેતા તા . ૧૪ મી ઓગસ્ટ ૧૯૩૨ મા બ્રિટીશ વડાપ્રધાને " કોમ્યુનલ એવોર્ડ " ની જાહેરાત કરી. એમાં ડૉ.આંબેડકરની માંગણીઓને ન્યાય આપવામાં આવ્યો હતો.જે ડૉ આંબેડકરની સફળતા હતી. આ એવોર્ડના વિરોધમાં ગાંધીજીએ તા. ૨૦મી સપ્ટેમ્બરે પુના જેલમાં આમરણાંત ઉપવાસ શરુ કર્યા. આખાયે દેશનું ધ્યાન ડૉ.આંબેડકર ઉપર કેન્દ્રિત થયું. ગાંધીજીનું જીવન ભયમાં હતું. દેશના નેતાઓ વચ્ચે મંત્રણાઓ થઈ. ડૉ. આંબેડકરની ગાંધીજી સાથે મુલાકાત થઇ ગાંધીજી. હિંદુ નેતાઓ અને ડૉ. આંબેડકર છેવટે તા. ૨૪ સપ્ટેંબર ૧૯૩૨ માં 'પુના કરાર ' થયા, અને સમાધાન થયું. ગાંધીજીએ તા. ૨૬ સપ્ટેમ્બરે ઉપવાસના પારણા કર્યા. ત્રીજી અને છેલ્લી ગોળમેજી પરિષદ તા. ૧૭ નવેમ્બર ૧૯૩૨ માં મળી. ડૉ. આંબેડકર હવે રાજકારણના સારા એવા અનુભવી થઇ ગયા હતા.ડૉ. આંબેડકર ને પ્રથમથી જ પ્રખ્યાત પુસ્તકો વાંચવાનો અને સંગ્રહ કરવાનો શોખ હતો. ડૉ. આંબેડકરે ,દાદર ,મુંબઈ માં રહેવા માટે અને ઘણા પુસ્તકોની વિશાળ પ્રાઇવેટ લાઈબ્રેરી ઉભી કરવા 'રાજગૃહ' નામનું સુંદર મકાન બંધાવ્યું. ડૉ. આંબેડકર હવે લોકનેતા બની ગયા હતા. તેઓ હંમેશા પ્રવૃતિમય રહેતા હતા. દલિત સમાજના કાયૉના કારણે તેઓ તેમની પત્ની તેમજ પુત્ર ઉપર ખાસ ધ્યાન રાખી શકતા નહિ.તા.૧ જુન ૧૯૩૫ માં મુંબઈની સરકારે ડૉ. આંબેડકરની નિમણુક સરકારી લો કોલેજ મુંબઈ ના પ્રિન્સીપાલ તરીકે કરી. અનેક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવા છતાં ડૉ. આંબેડકરે પ્રિન્સીપાલ તરીકેની ફરજો સફળ રીતે બજાવી.ઓગસ્ટ ૧૯૩૬ માં ડૉ. આંબેડકરે ઈન્ડીપેનડન્ટ લેબર પાર્ટી (સ્વતંત્ર મજુર પક્ષ) ની સ્થાપના કરી. ૧૯૩૭ની ચુંટણીમાં ડૉ. આંબેડકર ધારાસભામાં ચુંટાઈ આવ્યા. અને ત્યાં તેમને પ્રભુત્વ જમાવ્યું. ઓક્ટોબર ૧૯૩૯ માં નહેરુની ડૉ. આંબેડકર સાથે પ્રથમ મુલાકાત થઇ. ૧૯૪૦ માં ડૉ. આંબેડકર નું પુસ્તક "પાકિસ્તાન ઉપર વિચારો" પ્રકાશિત થયું. જુલાઈ ૧૯૪૧ માં ડૉ. આંબેડકર ભારતના વાઇસરોયની એક્ઝીક્યુટીવ કાઉન્સીલમાં પ્રતિનિધિ નિમાયા.ડૉ.આંબેડકરે સ્વબળે અને સમાજના ટેકા સાથે ઉચ્ચ હોદાઓ મેળવવા ચાલુ રાખ્યા. તા.૧૪ મી એપ્રિલ ૧૯૪૨ માં અખિલ ભારતીય ધોરણે દલિત સમાજે ડૉ. આંબેડકરની ૫૦મિ વર્ષગાંઠની ઉજવણી કરી અને તેમને અભિનંદન અને આશીર્વાદ આપ્યા. તા. ૨૦ જુલાઈ ૧૯૪૨ માં ડૉ. આંબેડકરે ભારતના વાઇસરોયની કેબીનેટ માં લેબર મેમ્બર તરીકે નો ચાર્જ સંભાળી લીધો. સરકારના લેબર મેમ્બર તરીકે તેમણે "પીપલ્સ એજ્યુકેશન સોસાયટી" ના નેજા હેઠળ મુંબઈમાં સિદ્ધાર્થ કોલેજની શરૂઆત કરી. આમ ડૉ. આંબેડકરે જીવનના વિવિધ ક્ષેત્રો માં તેમનો નમ્ર ફાળો આપવા કોશિષ કરી. વળી ડૉ. આંબેડકરે "શુદ્રો કોણ હતા? " નામનું પુસ્તક લખ્યું અને તે પ્રકાશિત કરાવ્યું. બૌદ્ધ ધર્મ અંગીકાર ડૉ આંબેડકરે વિશ્વના મહાન ધર્મો નો ઊંડો અભ્યાસ કર્યો હતો ત્યાર બાદ તેમને 'બુદ્ધ અને તેમનો ધમ્મ' પુસ્તક લખી પ્રસિદ્ધ કર્યું .તેઓની ભૂતકાળની પ્રતિજ્ઞા 'હું હિંદુ ધર્મમાં જનમ્યો એ મારા હાથ ની વાત નહોતી પણ હું હિંદુ ધર્મમાં રહી ને મરીશ નહિ તે પ્રમાણે તા.૧૪ ઓક્ટોબર ૧૯૫૬ માં ડૉ.આંબેડકર નાગપુર દીક્ષાભૂમિ માં ૩,૮૦૦૦૦ દલિતો સાથે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો.દુનિયાના ઈતિહાસ માં આવા ધર્મ પરિવર્તનો ખુબજ ઓછા જોવા મળે છે. તેઓએ દલિતોને ૨૨ પ્રતિજ્ઞાઓ આપી.આ પ્રતિજ્ઞાઓ દલિતોને અંધ શ્રદ્ધા અને વિરોધભાસથી જાગૃત કરવા માટે આપી. બંધારણના ઘડવૈયા ૧૯૪૬માં વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણસભા બોલાવી ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો. ડૉ. આંબેડકર ભારતની બંધારણસભામાં ચૂટાયા તા. ૯ ડીસેમ્બર ૧૯૪૬ માં પ્રથમવાર બંધારણસભા દિલ્હીમાં મળી ડૉ. આંબેડકર ભારતના બંધારણના માળખા તેમજ લઘુમતી કોમના હક્કો વિશે સચોટ વિચારો વ્યક્ત કર્યા તા.૨૯ એપ્રિલ ૧૯૪૭ માં બંધારણ સભાએ અશ્પૃશ્યતાને કાયદા દ્વારા ભારતભરમાંથી નાબુદ થયેલી જાહેર કરી હિંદુ-મુસ્લિમ એકતા સાધી શકાઈ નહિ છેવટે ભારતના ભાગલા નિશ્ચિત બન્યા ભારત-પાકિસ્તાન અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. તા. ૩ ઓગસ્ટ ૧૯૪૭ માં ભારતની વચગાળાની સરકાર રચાઈ.ભારતની વચગાળાની સરકારમાં ડૉ. આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા. તા. ૨૯ ઓગસ્ટે ડૉ. આંબેડકરની ભારતના બંધારણી ડ્રાફટીંગ કમિટીના પ્રમુખ તરીકે વરણી થઇ. ડૉ. આંબેડકરની દેશ નું બંધારણ ઘડવા માટે પસંદગી થાય એ ખરેખર એ સમય માં ખુબજ અગત્યની વાત હતી. અનેક મુશ્કેલીઓ અને નાદુરસ્ત તબિયત વચ્ચે પણ ડૉ.અમ્બેડકરે ફેબ્રુઆરી ૧૯૪૮ન છેલા અઠવાડીયામાં ભારતના બંધારણની કાચી નકલ તૈયાર કરી અને બંધારણ સભાના પ્રમુખ ડૉ.રાજેન્દ્રપ્રશાદ ને સુપ્રત કરી ડૉ.આંબેડકરે તા.૧૫ અપ્રિલ ૧૯૪૮ માં ડૉ.શારદા કબીર સાથે લગ્ન કર્યા .પત્ની ડોક્ટર હોવાથી તેમની બગડેલી તબિયતમાં ઘણો સુધારો આવ્યો અને તેમનું કાર્ય ફરીથી ચાલુ કર્યું .ભારતના બંધારણ ના કાચા મુસદાને દેશના લોકોની જન માટે અને તેઓના પ્રત્યાઘાતો જાણવા માટે ૬ માસ સુધી જાહેરમાં મુકવામાં આવ્યો તા ૪ નવેમ્બેર ૧૯૪૮ માં ડૉ.આંબેડકરે ભારતના બંધારણને બંધારણ સભાની બહાલી માટે રજુ કર્યું .મુખ્યત્વે ડૉ.આંબેડકર રચિત બંધારણમાં ૩૧૫ કલમો અને ૮ પરિશિષ્ટ હતા તા ૨૬ નવેમ્બર ૧૯૪૯મ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ પસાર કર્યું .આ વખતે બંધારણના પ્રતિનિધિઓ તેમજ ડૉ.રાજેન્દ્ર પ્રશાદે ડૉ.આંબેડકરની સેવા અને કાર્યના મુક્ત કંઠે વખાણ કર્યા.તા ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસતાક બન્યો. ૧૯૫૨ માં સ્વતંત્ર ભારતની પ્રથમ સામાન્ય ચુંટણીમાં ડૉ.આંબેડકર મુંબઈ માંથી પાર્લામેન્ટ બેઠક માટે ઉભા રહ્યા પરંતુ શ્રી કાજરોલકર સામે તેમની હાર થઈ .માર્ચ ૧૯૫૨ માં ડૉ.આંબેડકર મુંબઈની ધારાસભાની બેઠક ઉપર રાજ્ય સભાના સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા અને રાજ્ય સભાના સભ્ય બન્યા. તા. ૧ જુન ૧૯૫૨ માં તેઓ ન્યુયોર્ક ગયા અને તા.૫ જુન ૧૯૫૨ માં કોલમ્બિયા યુનીવર્સીટીએ એમને સર્વોચ એવી "ડોક્ટર એટ લો"ની પદવી આપી .તા ૧૨ જાન્યુઆરી ૧૯૫૩ માં ભારતની ઓસ્માનિયા યુનીવર્સીટીએ ડૉ.આંબેડકરને "ડોક્ટર ઓફ લીટરેચર" ની ઉચ્ચ પદવી આપી . તેઓની ખરાબ તબિયત ના કારણે બહુ લાંબુ જીવી શક્યા નહિ. તા ૬ ડીસેમ્બેર ૧૯૫૬ ની વહેલી સવારે તેઓનું દિલ્લીમાં મહાપરીનિર્વાણ થયું.

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...