રામાયણ અને દિવ્ય ધર્મરથ



આજે રામાયણમાં ઇન્દ્રએ રામને આપેલા રથની વાત આવી એ શસ્ત્રો વિશેના લેખમાં બે ત્રણ દિવસ પહેલા વિગતે આલેખી હતી, એ ફરી વધુ વિગતો સાથે અહીં ઉમેરું છું. રામાયણ અને મહાભારત ઉપરાંત ઋગ્વેદમાં પણ રથના ઉપયોગની વાત છે. એ સાથે - અનેક પ્રકારના રથ અને તેના યુદ્ધ, મુસાફરી તથા પરિવહન માટેના ઉપયોગ વિશે વિગતે વાત મૂકવી છે, અને એ બધા પહેલા થોડીક વાર રામાયણ અને મહાભારતની સહેજ બહાર આવી એક આશ્ચર્યચક્તિ કરી દેતી વાત જાણીએ.

મહાભારતનો સમય લગભગ ૧૮૦૦ – ૨૨૦૦ B.C. નો ગણવા પાછળ એક મજબૂત કારણ ૨૦૦૫માં આર્કિઓલોજિકલ ઇન્ડિયાના ધ્યાનમાં આવ્યું. ૨૦૧૮માં દિલ્હીથી લગભગ ૬૮ કિલોમીટર દૂર ખેતર ખેડવા દરમ્યાન એક ખેડુતને ખેતરમાં સહેજ ઉંડે તાંબાની વસ્તુઓ ધ્યાનમાં આવી. એણે મિડીયાને બોલાવી ફોટા વગેરે પડાવ્યા અને એ જોઈ આર્કિઓલોજિકલ સર્વે ત્યાં પહોંચી સઘન અભ્યાસ શરૂ કર્યો. પહેલા અહીં લાશો હોય એવું એક આખું સ્થાન મળ્યું. અને પછીના ઉત્ખનનમાં તેમને યુદ્ધમાં ઉપયોગ લેવાતો હોય અને ઘોડા દ્વારા ચાલતો હોય એવા બે રથ મળ્યા, તેની સાથે કટાઈ ગયેલ ધનુષ અને બાણ, ઢાલ, ચાબુક, મશાલ અને બરડે બંધાય એવી તાંબાની તલવારો મળી આવી. રથના પૈડાં પર તાંબાનો જાડો ઢોળ ચડાવેલો છે, આ જગ્યાનું નામ છે સિનોલી અને મથુરા, હસ્તિનાપુર અને કુરુક્ષેત્ર એમ ત્રણ બિંદુ મધ્યે છે. અહીં મળેલા રથના પૈડા આખા સોલિડ છે, મતલબ કે પૈડામાં આરા નથી, એનો બ્રાહ્ય ભાગ તાંબાનો છે, બંને પૈડાં એક ધરી પર મૂકાયેલા છે અને એ ધરી સાથે વચ્ચે જોડાયેલ દંડા મારફત ધૂંસરી સાથે જોડાયેલ છે. રથનો મુખ્ય ભાગ પણ લાકડાનો બનેલો છે જેના પર તાંબાનું જાડું આવરણ છે. પૈડાં પર પણ શણગાર રૂપે તાંબાના ત્રિકોણ તાંબાની ખીલીઓ વડે જડેલા છે. બેસવાની જગ્યા અર્ધવર્તુળ છે અને એ તાંબાના આરા વડે બનેલિ છે, છત્રી માટેનો દંડો પણ તાંબાનો છે. સાથે મુગટ પણ મળ્યો છે જે યુદ્ધ દરમ્યાન પહેરાતો હશે. અહીં ૨૦૦૫-૦૬ પછી ૨૦૧૮માં ફરી ઉત્ખનન થયું; એમાં તાંબુ મળ્યું હોવાને લીધે એ હડપ્પા સમયનું નથી એમ નક્કી કરી શકાય, મતલબ આ વસ્તુઓ ૨૦૦૦ થી ૧૮૦૦ B.C. આસપાસની ધારી શકાય છે. આમ રથ વિશેની આ એક ખૂબ પાક્કી અને માહિતીપ્રદ જાણકારી જે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે, એના વિડીઓ પણ છે અને સાઈટ પર મળેલ યોદ્ધા સ્ત્રીઓના તલવારો સાથેના કંકાલ પણ જોઈ શકાય છે.

હવે માંડીને રથની વાત.. શરૂઆત શરૂઆતથી જ છે.. ઋગ્વેદના અનેક સૂક્તોમાં રથની વાત છે, મંડળ ૪, સૂક્ત ૪૫માં અશ્વિનિકુમાર સૂક્તમાં શ્લોક છે,

एष सय भानुर उद इयर्ति युज्यते रथः परिज्मा दिवो अस्य सानवि|
पर्क्षासो अस्मिन मिथुना अधि तरयो दर्तिस तुरीयो मधुनो वि रप्शते||

ભાણદેવજીના પુસ્તક ઋગ્વેદ દર્શનના ૧૨૭મા પાનાં પર આનો અર્થ છે, ‘આ પ્રકાશપૂર્ણ સૂર્યદેવ ઉગે છે, હે અશ્વિનિકુમારો, આપ બંનેના રથ ચારે બાજુ વિચરણ કરી રહ્યાં છે, તે રથ આલોકમાન સૂર્યદેવની સાથે ઊર્ધ્વલોકમાં મળે છે. આ રથમાં જોડ પ્રમાણે ત્રણ પ્રકારના અન્ન રાખેલા છે તથા મધુરસનું ચોથું પાત્ર વિશેષ રૂપથી સુશોભિત થાય છે.’

ઋગ્વેદના મંડળ ૧, સૂક્ત ૧.૩૫માં સવિતા સૂક્તમાં ખૂબ જાણીતો બીજો શ્લોક જે પ્રાત: સંધ્યા કરતી વખતે સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા મેં કેટલીય વાર જપ્યો છે, પણ એનો અર્થ સમજ્યો અને આ પરિપ્રેક્ષ્યમાં પહેલી વાર વિચાર્યો, એ છે

आ कृष्णेन रजसा वर्तमानो निवेशयन्नमृतं मर्त्यं च।
हिरण्ययेन सविता रथेना देवो याति भुवनानि पश्यन् ॥२॥

અને ત્રીજો શ્લોક છે,

याति देवः प्रवता यात्युद्वता याति शुभ्राभ्यां यजतो हरिभ्याम्।
आ देवो याति सविता परावतोऽप विश्वा दुरिता बाधमानः॥३॥

ભાણદેવજી લિખિત ઋગ્વેદ દર્શનમાં ૩૮મા પાને આ શ્લોકના અર્થમાં લખાયું છે, ‘ગાઢ અંધકારયુક્ત પથમાં ભ્રમણ કરતાં સવિતાદેવ આવી રહ્યાં છે, સવિતાદેવ દેવો અને મનુષ્યોને યજ્ઞાદિ શ્રેષ્ઠ કર્મોમાં નિયોજીત કરે છે. સમસ્ત લોકોનું દર્શન કરતા સવિતાદેવ પોતાના સુવર્ણમય રથમાં આરુઢ થઈને આવી રહ્યાં છે.’ ત્રીજા શ્લોકનો અર્થ છે, ‘આ સવિતાદેવ ઉપર ચડતાં અને નીચે ઉતરતાં નિરંતર ગતીશીલ રહે છે, તેઓ સફેદ ઘોડાવાળા રથ પર બેસીને યજ્ઞભૂમિ પર આવી પહોંચે છે.’ આ જ સૂક્તના પાંચમા શ્લોકમાં લખાયું છે, ‘સવિતાદેવના અશ્વો સફેદ પગવાળા છે, તેઓ સુવર્ણમય રથને ખેંચે છે.’ વેદોમાં વર્ણવાયેલા રથ સ્થળ, જળ અને વાયુ એમ સર્વત્ર ચાલનારા વાહનો છે પણ બધાને રથ જ કહેવાયું છે. અથર્વવેદમાં (૨૦/૨૬/૫)માં પણ આ જ વર્ણન છે. ઋગ્વેદમાં સરસ્વતી નદી વિશાળ પટમાં પથરાયેલી અને રથની જેમ ઝડપી વહેણવાળી હોવાનું કહેવાયું છે. અને અહીં રથ અને ગાડા વચ્ચે સ્પષ્ટ ભેદ દર્શાવાયો છે એમ લાગે છે. રામાયણ અને મહાભારતની ક્યાંય પહેલા લખાયા હોવાનું મનાતા વેદોમાં પણ આદિવાહન તરીકે રથનો ઉલ્લેખ છે.

ધવલવસ્ત્રધારી ચંદ્રના રથમાં હરણાં વાહન તરીકે છે, તમિલો માને છે કે માતા રુદ્રાણી અથવા દુર્ગાનું વાહન હરણ છે. હરણાંના રથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ છે, મારુતિના રથમાં ૨૭ હરણાં જોડાયેલા છે એમ લખાયેલું છે, આશ્ચર્યની વાત એ છે કે સાંતાક્લોઝ માટેની એ પ્રેરણા હોવાનું મને લાગે છે; કારણ કે સંત નિકોલસ (૨૭૦ - ૩૪૩ A.D.) ગ્રીક સંત હતા અને આધુનિક દલીલો સિવાય એમનાં ઉત્તર ધ્રુવ કે હરણાં જોડેલા રથનો તર્ક મને મળતો નથી. કદાચ મારી એ વિશેની સમજણ પણ સીમીત હોઈ શકે.

ભારતીય મહાગ્રંથોમાં યુદ્ધ દરમ્યાન ચતુરંગી સેનાનું વર્ણન આવે છે, પાયદળ, અશ્વદળ, હાથીદળ અને રથો. રામાયણ અને મહાભારતના યુદ્ધોમાં રથ યુદ્ધકૌશલ્યનું અગત્યનું સાધન હતું. રાજાઓ, યુવરાજ, રાજકુમારો અને સેનાપતિઓ તથા અગત્યના મહારથીઓ રથમાં સવાર થઈ યુદ્ધ કરતાં. મગધરાજ મહારાજ અજાતશત્રુની રથશાળા ખૂબ વિશાળ હતી, તેમની પાસે રથમૂષળ હતું. મહાભારતમાં વર્ણવાયેલી અક્ષૌહિણી સેનામાં ૨૧૮૭૦ રથો, ૨૧૮૭૦ હાથીઓ, ૬૫૬૧૦ ઘોડેસવારો અને ૧૦૯૩૫૦ પાયદળ ગણાતું. અને સૌથી નાના એકમ એક પત્ટીમાં એક રથ, એક હાથી, ત્રણ ઘોડેસવાર અને પાંચ પાયદળ સૈનિક રહેતા. સંગ્રામિક રથ યુદ્ધો માટે, ઈશ્વરો માટે દેવરથ, કરણી રથ રાણીઓ માટે, વૈનાયિક રથ તાલીમ માટે, પુષ્ય રથ રાજાઓના સમારંભો માટે અને ક્રીડા રથ સ્પર્ધાઓ માટે વપરાશમાં લેવાતા હોવાનું લખાયું છે.

રાવણના, મેઘનાદના રથ અને ઇન્દ્રએ રામને આપેલા રથનું વિગતે વર્ણન છે. રામને વનવાસ મળ્યા પછી નદી કિનારા સુધી એક જ રથમાં રામ, સીતા અને લક્ષ્મણને લઈને સુમંત સારથીપણું કરે છે. આમ એ રથ વિશાળ હશે, એમાં સારથીને બેસવાની અલગ જગ્યા અને એકથી વધુ મુસાફરો માટે જગ્યા હશે એમ સમજાય છે. રામને ઇન્દ્રએ આપેલા રથની વાત ચર્ચાના પરિપ્રેક્ષ્યમાં મૂકું છું.

લંકામાં યુદ્ધ વખતે જમીન પર ઉભીને લડતા શ્રી રામ અને રથારૂઢ રાવણ વચ્ચેના યુદ્ધને જોઈ ઋષિમુનિઓ, દેવતાઓ, ગંધર્વ અને કિન્નરોએ ઇન્દ્રને પ્રાર્થના કરી કે આ યુદ્ધ સમાન નથી, શ્રી રામને તમારો રથ પહોંચાડો. એથી ઇન્દ્રે તરત પોતાના સારથી મતાલીને શ્રી રામ પાસે જવા કહ્યું. મતાલી તરત સ્વર્ગલોકમાંથી રથ લઈ યુદ્ધભૂમિમાં શ્રીરામ પાસે પહોંચ્યો એમ યુદ્ધકાંડમાં કહેવાયું છે. ઇંદ્રની આજ્ઞા પછી મતાલી તેને પ્રણામ કરતા કહે છે,

प्रणम्य शिरसा देवं ततो वचनमब्रवीत्|
शीघ्रं यास्यामि देवेन्द्र सारथ्यं च करोम्यहम्||६-१०२-९||
ततो हयैश्च संयोज्य हरितैः स्यन्दनोत्तमम्|

હે દેવેન્દ્ર, લીલા ઘોડા વડે શોભતા આ અદ્વિતિય રથને લઈને હું તરત જઈ રામના સારથીની ભૂમિકા પૂર્ણ કરું.. પછી ઇન્દ્રના એ રથનું વિગતે વર્ણન છે જેમાં કહેવાયું છે કે

ततः काञ्चनचित्राङ्गः किङ्किणीशतभूषितः||६-१०२-१०||
तरुणादित्यसङ्काशो वैदूर्यमयकूबरः|
सदश्वैः काञ्चनापीडैर्युक्तः श्वेतप्रकीर्णकैः||६-१०२-११||
हरिभिः सूर्यसङ्काशैर्हेमजालविभूषितैः|
रुक्मवेणुध्वजः श्रीमान्देवराजरथो वरः||६-१०२-१२||
देवराजेन संदिष्टो रथमारुह्य मातलिः|
अभ्यवर्तत काकुत्स्थमवतीर्य त्रिविष्टपात्||६-१०२-१३||

મહાન પરાક્રમવાળો અને ઉત્તમ એવો ઇંદ્રનો એ રથ સ્વર્ગમાંથી ઉતર્યો જેમાં સ્વર્ણ દ્વારા અનેક સુશોભનો અને ચિત્રો કરાયા હતાં, એમાં હજારો નાનકડી ઘંટડીઓ રણકાર કરતી હતી, તેનો થાંભલો મધ્યાહનના સૂર્યની જેમ ચમકતા રત્નોથી સુશોભિત હતો, સફેદ ચામરોથી સુશોભિત એ રથ પાણીદાર લીલા અશ્વોથી શોભતો હતો જેમના માથે સ્વર્ણજડિત માળાઓ હતી, એમની લગામ સફેદ હતી, જે સૂર્ય સમાન ચળકતી સ્વર્ણની જાળી વડે ઢંકાયેલી હતી, સ્વર્ણના દંડ વડે શોભાયમાન ધ્વજથી સુશોભિત ઇંદ્રનો આ રથ સ્વર્ગથી ઉતર્યો અને મતાલીએ તેને શ્રી રામ તરફ લીધો. રામ પાસે રથ લાવી, રથમાંથી જ તેમને પ્રણામ કરી મતાલીએ તેમને રથ સાથેના શસ્ત્રોનો પરિચય આપતા કહ્યું, આ ઇન્દ્રનું મોટું ધનુષ છે, આ અગ્નિની જેમ ચમકતું કવચ છે અને સૂર્યની જેમ દમકતા બાણ છે, તથા ખૂબ ધારદાર બરછી પણ રથમાં છે. મારા સમર્થ સારથીપણાં હેઠળ પૂર્વે જેમ ઇન્દ્રે રાક્ષસોનો વધ કર્યો હતો તેમ હે રામ, તમે રાવણનો નાશ કરો.

જો કે ઇન્દ્રના રથ સિવાય ગોસ્વામી તુલસીદાસજી યુદ્ધમાં રામના મુખે ધર્મરથ કે માનસરથની વાત કહે છે, રથ પર સવાર અનેક શસ્ત્રોથી સુસજ્જીત રાવણને જોઈ વિભિષણ દુ:ખી થાય છે કારણ કે રામ પાસે રથ પણ નથી કે કવચ પણ નથી, ત્યારે રામ વિભિષણને રથની ઉપમા લઈને એક સુંદર ઉપદેશ આપે છે. રામ કહે છે કે રાવણ પાસે પરાજયનો રથ છે, અને મારી પાસે વિજયનો રથ છે.. એના કારણ અને રથના લક્ષણો વર્ણવતા રામ કહે છે..

सुनहु सखा कह कृपानिधाना। जेहिं जय होइ सो स्यंदन आना॥
सौरज धीरज तेहि रथ चाका। सत्य सील दृढ़ ध्वजा पताका॥
बल बिबेक दम परहित घोरे। छमा कृपा समता रजु जोरे॥

હે સખા, સાંભળો, જે જીત અપાવે એ રથની વાત અનોખી જ છે. શૌર્ય અને ધૈર્ય એ રથના બે પૈડાં છે, સત્ય અને શીલ એની મજબૂત ધજા અને પતાકા છે. બળ, વિવેક, વશમાં રહેલી ઇંદ્રિયો અને પરોપકાર એ આ રથના ચાર પૈડાં છે જે ક્ષમા, દયા અને સમતારૂપી દોરીથી રથમાં જોડાયેલા છે.

ईस भजनु सारथी सुजाना। बिरति चर्म संतोष कृपाना॥
दान परसु बुधि सक्ति प्रचंडा। बर बिग्यान कठिन कोदंडा॥

ઈશ્વર ભજન જ આ રથનો ચતુર સારથી છે. વૈરાગ્ય ઢાલ છે અને સંતોષ તલવાર છે, દાન ફરસી છે, બુદ્ધિ પ્રચંડ શક્તિ છે. શ્રેષ્ઠ વિજ્ઞાન(ની જાણકારી) કઠિન ધનુષ છે.

अमल अचल मन त्रोन समाना। सम जम नियम सिलीमुख नाना॥
कवच अभेद बिप्र गुर पूजा। एहि सम बिजय उपाय न दूजा॥

નિર્મળ (પાપરહિત) અને અચળ (સ્થિર) મન તરકશ છે, શમ (વશમાં રહેલું મન), યમ (અહિંસા વગેરે) અને (શૌચ, સ્વચ્છતા અને પવિત્રતા વિશેના) નિયમ આ બધા બાણ છે. બ્રાહ્મણો અને ગુરુનું પૂજન અભેદ્ય કવચ છે. આવો વિજયનો બીજો કોઈ ઉપાય નથી.

सखा धर्ममय अस रथ जाकें।
जीतन कहँ न कतहुँ रिपु ताकें॥

હે સખા, જેની પાસે આવો ધર્મમય રથ હોય એની પાસે જીતવા માટે કોઈ શત્રુ જ નથી.

महा अजय संसार रिपु जीति सकइ सो बीर।
जाकें अस रथ होइ दृढ़ सुनहु सखा मतिधीर॥

હે ધીર, સાંભળો, આવો દૃઢ રથ જેની પાસે હોય એ વીર જન્મ મૃત્યુ રૂપી મહાન દુર્જેય શત્રુઓને પણ જીતી શકે છે (મતલબ રાવણ જેવા શત્રુઓ એની સામે કોઈ વિસાતમાં નથી અને એની પાસે છે એવો રથ અને કવચ હોય કે ન હોય એથી યુદ્ધના મારા વિજયના પરિણામમાં કોઈ શંસય નથી.) હવે વિભિષણ જ્યારે રામ દ્વારા વર્ણવાયેલા રથના વર્ણન પહેલા પૂછે છે એ ચોપાઈ જુઓ..  रावण रथी, विरथ रघुवीरा।  

શ્રીરામ જે રથની વાત કહે છે એ રથ ધર્મરથ છે, એ સ્થિર છે, એ અડગ છે, ભલે રથ ગતિમાં છે અને રથી સ્થિર છે, પણ રથની ગતિએ એ પણ ચલાયમાન છે; રાવણ માટે રથ સાધન છે અને રથી એ રીતે સ્થિર નથી, સ્થિર બુદ્ધિવાળો નથી. રથીનું ઉંધુ શ્રીરામ થીર – સ્થિર છે. કારણ કે એમણે વર્ણવેલા લક્ષણો મુજબ (અને ભૂમિ પર ઉભેલા હોવાને લીધે) એમનો રથ પણ સ્થિર છે અને એમનું સાધન ધરતી છે જે શુદ્ધ છે. સાધનશુદ્ધિનો આપણે ત્યાં ખૂબ મહિમા થયો છે, અને વિજયને જો મુક્તિ તરીકે જોઈએ તો રાવણની મુક્તિ શક્ય નથી કારણ કે એની મતિ સ્થિર નથી, અને એનું સાધન પણ પવિત્ર નથી. જ્યારે રામરથ તો પોતે પણ સ્થિર છે અને એનું સાધન તો સદા સર્વદા પવિત્ર ધરતી છે. આ અદ્રુત ઉપમા છે. રામ રથના જે ભાગની વાત કરે છે એ બધા પોતે જ પવિત્ર છે, અને સાધકને તો દરેક સાધન શુદ્ધ જોઈએ તો જ એને ધ્યેયપ્રાપ્તિ થઈ શકે,

રાવણને રામે માર્યો એટલે એને મુક્તિ મળી ગઈ એમ કહેવાય છે એ વિધાનનો અર્થ પણ મને અહીં સમજાયો કારણ કે એને મારવા ઉપયોગમાં લેવાયેલા અસ્ત્રો – સાધનો પણ શુદ્ધ છે. એ બાણ વાગ્યા પછી મુક્તિનો જે આનંદ ઉભરાય એ પણ અભિભૂત કરી દે, અત્યંત ખુશ થઈએ ત્યારે પણ ખબર ન પડે કે શું કરવું, મોક્ષનો એ મહાયોગ થાય પછી તો મને ગંગાસતી યાદ આવે..

બાણ રે વાગ્યા ને રુંવાડા વીંધાણા, મુખથી નવ સહેવાય રે..
આપોને વસ્તુ અમને લાભ જ લેવા, પરિપૂર્ણ કરોને કાય રે..

રામે શબરીને સમજાવેલી નવધાભક્તિ વિશે પણ ગંગાસતીએ કેવું સરસ લખ્યું છે.. ખેર વિષયાંતર ટાળવા રથ પર જ રહીએ.. 

રામાયણના સમયના ધ્વજ તેના ધારક અતિમહારથી કે મહારથી વગેરેની ઓળખ આપતાં, ઇક્ષ્વાકુઓનો કુળધ્વજ પારિજાતનું ચિહ્ન ધરાવતો હતો, ભરત રામને મળવા આવે ત્યારે એ ધ્વજનો ઉલ્લેખ છે, પણ રામ વનવાસમાં હોઈ અયોધ્યાની કોઈ પણ વસ્તુનો ઉપયોગ ન કરી શકે એવા વચનને લઈ એ અલગ ધ્વજ નીચે યુદ્ધ કરે છે. શ્રી રામની વાનર સેનાનો ધ્વજ કિરમજી રંગનો દ્વિપાંખીયો હતો જેમાં તેમના કુળદેવતાનું - સૂર્યચિહ્ન હતું. એ ધ્વજમાં શમી વૃક્ષના ત્રણ પર્ણ હતાં એવી પણ માન્યતા છે. રાવણના ધ્વજમાં કપાલ અથવા ખોપરી હતી એમ મનાય છે અને ઇન્દ્રજીતના ધ્વજમાં સિંહ ચિહ્ન હતું. 

રામાયણ અને મહાભારત વચ્ચેનો સમયગાળો ખૂબ લાંબો હોવાનું મનાય છે, રામાયણનો સમયગાળો એમાં દર્શાવાયેલા નક્ષત્રોને આધારે ગણવાના યત્નો થયા છે, અને એ પ્રમાણે એ સમયના સમાજજીવનની કલ્પના ઉપલબ્ધ લેખનને આધારે થઈ છે. એ જોતાં લાગે છે કે ત્યારે પ્રાણીઓ ઉપરાંત રથ અને પાલખીઓનો ઉપયોગ સામાન્ય જીવનમાં પરિવહન માટે થતો હશે. રથ મુખ્યત્વે બે પ્રકારના ધ્યાને આવે છે, એક જેમાં સારથી આગળ બેસી ચલાવે છે, એમાં બેસવાની સગવડ હોય છે અને એનો રથિ વાળો ભાગ થોડો વિસ્તૃત અને પહોળો હોય છે (રામાયણ કાળના રથ) , જ્યારે એ સિવાયના નાના રથમાં સારથીને બેસવાની અલગ જગ્યા નથી હોતી, એ કાં તો ધરી પર જ બેસે છે અથવા રથિ સાથે હોય છે, એવા રથ મહાભારત કાળમાં હોવાની શક્યતા છે, એ યુદ્ધમાં પણ વપરાતાં, એમાં રથમાં સારથી પણ સાથે જ હોય છે, (જે રથ અર્જુન સુભદ્રાનું હરણ કરવા કે કૃષ્ણ રુક્મિણીનું હરણ કરવા ઉપયોગમાં લેતા દેખાયા છે એ). નાના રથની ઝડપ વધુ હોવાને લીધે એનો યુદ્ધમાં અને મોટા રથનું વજન તથા વેગ ઓછો હોવાને લીધે એ સામાન્ય પરિવહનમાં ઉપયોગમાં લેવાતા હશે એમ લાગે છે. રાજ પરિવારની સ્ત્રીઓ દ્વારા પાલખી ઉપયોગમાં લેવાતી હશે એમ પણ આ ગ્રંથોના અભ્યાસથી જણાય છે. હાથીદાંત, સોના અને ચાંદીએ મઢેલા રથમાં ઢાલ તરીકે સિંહ અને વાઘના ચામડાનો ઉપયોગ થતો હોવાનું પણ લખાયું છે. રામાયણમાં રથના વિવિધ ભાગ જેવા કે અક્ષ (ધરી), યુગ (ધૂંસરી), નિધા (સારથીને બેસવાની જગ્યા), રથનો મુખ્ય થાંભલો જેના પર છત્રી રહેતી અને રથનો મુખ્ય ભાગ જે લાકડાનો રહેતો વગેરેનો ઉલ્લેખ છે. ઋગ્વેદમાં વર્ણવાયેલા રથ કરતાં રામાયણમાં વર્ણવાયેલા રથ વિશાળ હતા એ વર્ણનો પરથી જણાય છે, મહાભારતમાં ફરી નાના રથનો ઉલ્લેખ છે કારણ કે એ મુખ્યત્વે લડાઈ માટે યુદ્ધમાં લેવાતા. શક્ય છે કે રામાયણકાળમાં ઓછા યુદ્ધોને લીધે રથ મોટા હશે, એની વિશાળ બેઠક અને વધારે લંબાઈ ધ્યાન ખેંચે છે. દાનવ શંભાસુર સામેના યુદ્ધમાં ઇન્દ્રને પક્ષે લડવા ગયેલા મહારાજ દશરથના રથની ધરીમાંથી પૈડું અલગ થવા લાગે છે ત્યારે તેમના સારથી તરીકે રહેલી કૈકયી તેમાં પોતાની આંગળી ખોસી પૈડું સ્થિર રાખે છે, એ પછી મહારાજ દશરથ લડતાં મૂર્છિત થાય ત્યારે રથને સુરક્ષિત સ્થળે લઈ જાય છે, અને એ ઉપકારના બદલે દશરથ મહારાજે આપેલા બે વરદાન જ રામાયણનું મૂળ કારણ બને છે. પણ આ વાતથી સિદ્ધ થાય છે કે પુરુષો અને સ્ત્રીઓ સમાનપણે યુદ્ધપ્રવીણ રહેતાં અને યુદ્ધમાં રથનો ઉપયોગ કરી શક્તાં. 

એક રથમાં એક સાથે ઘણાં બધા ઘોડા જોડી શકાતા. સૂર્યના રથમા સાત અશ્વો હોવાનું લખાયું છે. બ્રાહ્મણો દ્વારા ઉપયોગમાં લેવાતા બ્રહ્મરથ મુખ્યત્વે પરિવહન માટેના સાધન હતા જે ક્ષત્રિયો માટેના યુદ્ધમાં વપરાતા રથ કરતા મોટા પણ ઓછી ગતિ વાળા હતા એમ લાગે છે. નાના રથમાં એક થાંભલા પર અને મોટા રથમાં ચાર કે તેથી વધુ થાંભલા પર વિવિધ આકાર અને પરિમાણની છત્રીઓ હશે એમ સમજાય છે. 

ધ મેકિંગ ઑફ ચાણક્યમાં ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી રથ અંગેના તેમના અભ્યાસ અને એ દ્વારા ચાણક્ય ધારાવાહિકમાં તેમણે ડિઝાઈન કરેલા રથ વિશે વિગતે વાત કરે છે. રથ ફક્ત સમાજના ઉચ્ચ વર્ગના અને ગણ્યાગાંઠ્યા લોકો માટે જ ઉપલબ્ધ હતો. ચંદ્રગુપ્ત મૌર્ય હેઠળની મૌર્ય સેનામાં યુદ્ધખાતામાં છ સભ્યો રહેતા અને એમાંનો એક રથાધ્યક્ષ રહેતો જે બધા રથની તૈયારી માટે જવાબદાર રહેતો. કૌટિલ્યના અર્થશાસ્ત્રને ડૉ. દ્વિવેદી ટાંકે છે, જેમાં યુદ્ધમાં રથનો કઈ રીતે ઉપયોગ કરી શકાય એ વિશે વિસ્તૃત વાત છે. શત્રુના એક રથના મુકાબલે પાંચ ઘોડેસવાર અથવા પંદર પાયદળને લગાવવું યોગ્ય ગણાયું છે. યુદ્ધમાં એક રથની સાથે પંદર સૈનિકોનું પાયદળ ઉપર્યુક્ત ગણાયું છે જેમને મહાભારતમાં અનુચર કહેવાયા છે. યુદ્ધમાં ત્રણ રથ આગળ રહેતા, બંને પાંખમાં ત્રણ ત્રણ રથ રહેતા અને મધ્યમાં આગળના ત્રણ રથની બંને તરફ પણ ત્રણ ત્રણ રથ રહેતા, જો શત્રુઓના રથ વધારે હોય તો આ જ ગણતરીમાં ત્રણેય પાંખમાં, અગ્ર, મધ્ય અને પંખમાં બબ્બેની સંખ્યામાં રથ વધારાતા, આમ એક વ્યૂહરચનામાં મહત્તમ ૨૧ રથ રહેતા. હાથીઓ વ્યૂહરચનામાં બન્ને બાજુઓને અંતે રહેતા અને મુખ્ય યોદ્ધાઓ તથા ઘોડેસવારો મધ્યમાં રહેતા. જે વ્યૂહરચનામાં હાથીઓ અગ્ર હોય, રથ મધ્યમાં હોય અને ઘોડેસવારો પાંખમાં હોય એ વ્યૂહ વચ્ચે ઉભેલા શત્રુના મહત્વના યોદ્ધા પર આક્રમણ માટે ઉપયોગમાં લેવાતો. પોરસ અથવા જેને ડૉ. દ્વિવેદી પર્વતરાજ કહે છે એના સૈન્યના રથના પૈડાં યુદ્ધના આગલા દિવસે થયેલા વરસાદના લીધે પોચી માટીમાં ખૂંપી ગયા, અને હુમલા દરમ્યાન રથના ઘોડાઓએ આ બંધનને લીધે નાસભાગ કરી એથી શત્રુ એલેક્ઝાન્ડર (જેને ચાણક્ય ધારાવાહિકમાં અલક્ષેન્દ્ર કહેવાય છે)ને ભયાનક આક્રમણનો મોકો મળી ગયો અને ઘણાં રથીઓને રથના ઘોડાઓ જ નદીમાં ખેંચી ગયા. ચાણક્ય ધારાવાહિક બનાવવા દરમ્યાનના તેમના વિશદ રિસર્ચ વડે ડૉ. દ્વિવેદી કહે છે કે રથ અનેક ઘંટડીઓ વડે આભૂષિત રહેતા જેથી આવનારા રાજા વિશે લોકોને જાણ થતી, તેની બેઠક પર સિંહ કે વાઘનું ચામડું રહેતું અને એમાં એકથી વધુ ઘોડાઓનો ઉપયોગ થતો. 

સમય જતાં રાજાઓને સમજાયું કે રથ કરતા હાથી વધુ સુરક્ષિત અને ઉપયોગી છે, રથમાં રહી તીર વડે પાયદળને મારવા કરતાં હાથી પરથી તીર તેમને મારવા સહેલા હતાં. ઉંચાઈને લીધે યુદ્ધનો બૃહદ ચિતાર પણ હાથી પરથી મળી રહેતો. તો ઘોડેસવાર રથ કરતા વધુ ચપળતાથી શત્રુનો પ્રહાર ચૂકાવી શક્તા અને એની ઝડપ પણ વધારે રહેતી. ખડકાળ પ્રદેશોમાં રથ પર લડવું મુશ્કેલ થતું, વરસાદના સમયમાં પણ રથ સંચાલન મુશ્કેલ થતું. આમ શક્ય છે કે અનેક મર્યાદાઓને લીધે ધીરે ધીરે રથનો વપરાશ ઘટ્યો હશે.

જય શ્રી રામ 🚩
જય શ્રી કૃષ્ણ 🚩

સાભાર :- જીજ્ઞેશભાઈ અધ્યારૂના fb દીવાલ પરથી...

0 Comments

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મળે છે. બેક કિલોમીટર થાય. 👉પોખરણ કિલ્લો અને સંત બાલીનાથનો ધૂણો. 👉પાંચ પીપળી ધામ જ્યાં.. મક્કા થી આવેલા પીરો એ રામદેવજી ની પરીક્ષા લીધી હતી..અને પીર કેવાયા. 12 કિમી થાય. 👉ભૈરવ ગુફા .. પોખરણ પાસે આવેલ છે.

Follow Me On Instagram