લોકડાઉનના વૃંદાવનમાં PART-6

સ્વામી જીગ્નેશ્વરાનંદ લીંબાસીવાળાના આશ્રમની આ વાત છે. તે શિષ્યોને પ્રશ્નો પૂછી તેની પર ચિંતન-મનન કરાવતાં. સીધો ઉપદેશ ન આપતાં. તેમનાં સવાલો સાંભળવામાં અને જવાબ આપવામાં સાવ સરળ લાગતાં હતાં. એક દિવસ ગુરૂજીએ પૂછ્યું ,"વત્સ ! સવાર પડી ક્યારે ગણાય ?" કેટલો ઈઝી પ્રશ્ન છે ને. આમ તો સંસારમાં જે કામ સરળ છે, તે જ સૌથી અઘરાં છે. સવારે ઊઠવું સરળ છે પણ ઉઠી શકાય છે ? સાચું બોલવું કેટલું સરળ છે પણ બોલી શકાય છે ? દરરોજ વીસેક મિનિટ કસરત કરવી જોઈએ. કેટલું સરળ છે. પણ થઈ શકે છે. ડેઈલી પાંચ માણસોની પ્રસંશા કરવી. આમાં જીભને તકલીફ પડવાની છે ? એક પૈસાનો ખર્ચ થવાનો છે ? છતાં થઈ શકે છે ??? પ્રભુ ઈસુએ કહ્યું કે પોતાના પાડોશીને પ્રેમ કરો. જો પાડોશીને પ્રેમ કરવો સરળ હોત તો પ્રભુ આવો ઉપદેશ આપે ખરાં ? જે સરળ લાગે છે એ જ સૌથી કઠિન છે.

શિષ્ય નંબર એક- "બાપજી, કૂકડો બોલે એટલે સવાર પડી ગણાય."

શિષ્ય નંબર બે- "મહારાજ, થોડું થોડું મોંસૂઝણું થાય એટલે સવાર પડી કહી શકાય."

શિષ્ય નંબર ત્રણ - "દૂર ક્ષિતિજમાં સૂર્ય ડોકિયું કરે એટલે સવાર થઈ કહેવાય."

શિષ્ય નંબર ચાર - "દૂરથી માનવ આકૃતિ દેખી શકાય ત્યારે સવાર પડી કહેવાય."

શિષ્ય નંબર પાંચ - "હે વંદનીય, દૂરથી માનવ અને પશુ ઓળખાઈ જાય એટલું અજવાળું થાય એટલે સવાર."

શિષ્ય નંબર છ - "બાપજી, થોડેક દૂરથી માણસ દેખાય અને આપણે તેમાં સ્ત્રી છે કે પુરૂષ તેનો ભેદ કરી શકીએ એટલે સવાર પડ્યું કહેવાય."

સ્વામી જીગ્નેશ્વરાનંદ લીંબાસીવાળાએ પોતાની શ્વેત દાઢી પસવારતાં કહ્યું, "મૂરખો ! તમે તો ભૂગોળ અને વિજ્ઞાન શિખ્યા પરંતુ માનવતા ન શિખ્યા ?? જ્યારે સામે આવનાર દરેક સ્ત્રી મારી માતા છે, બહેન છે, પુત્રી છે અને સામે આવનાર દરેક પુરૂષ મારો ભાઈ છે, પિતા છે કે પુત્ર છે એમ સમજાય ત્યારે સવાર પડ્યું કહેવાય. કોઈનું અણહકનું મારાથી ન લેવાય એ વાત સમજાય ત્યારે સવાર પડ્યું કહેવાય. પોતાનાં પાપોનો પસ્તાવો થાય અને ફરીથી આવું પાપ નહી કરું એમ દિલમાં થાય ત્યારે સવાર પડ્યું કહેવાય. નાત-જાત, ધર્મ-રંગ જોયા વિના હું દરેકનું ભલું કરવા પ્રયત્ન કરીશ એવી ભાવના ઊગે ત્યારે સવાર પડ્યું કહેવાય. મને ભગવાને જે કાર્ય કે વ્યવસાય સોંપ્યો છે તેમાં કદાપિ કામચોરી નહી કરું એમ થાય ત્યારે સવાર પડ્યું કહેવાય. બાકી તો ઘૂવડને સૂર્ય ઊગે તો ય ક્યાં સવાર પડે છે ?"

એક શ્રેષ્ઠ માતા પોતે ઊંધું ચાલીને પણ પોતાના બાળકને સીધું ચાલતાં શીખવે છે અને આપણાં સમાજની અનેક હસ્તીઓ પોતે ઊંધું ચાલીને બીજાને અવળું ચાલતાં જ શીખવે છે. આનું બેમિસાલ ઉદાહરણ ચીન ખાતે નોંધાયેલું છે. ઈ.સ. 1959-1961 દરમ્યાન ચીનના માઓ ઝેદોંગનું શાસન હતું. તેણે ચીનાઓને ત્રણ સૂચનાઓનું કડક પાલન કરવા જણાવ્યુ. (1) ખેતરના પાકને નુકશાન કરનારાં માખી-ઉંદર-મચ્છર અને ચકલીઓનો નાશ કરો. (2) જમીનમાં ખૂબ ઊંડી ખેડ કરો. (3) ખેતરમાં રાસાયણિક ખાતરનો બિલકુલ ઉપયોગ ન કરો.

નતીજા ??? માખી-ઉંદર-મચ્છર તો સમજાય. ચકલીઓના નાશથી ખેતરનાં જીવડા-જીવાત ખાનાર કોઈ રહ્યું નહી. તમામ મોલ નાશ પામ્યો. અત્યંત ઊંડી ખેડ કરવાથી જમીનનની નીચે રહેલ રેતી ઉપર આવી ગઈ. ઉત્પાદન ઘટ્યું. રાસાયણિક ખાતર બંધ કર્યું ઉત્પાદન ઓછું થયું. દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતું ચીન માનવસર્જિત દુષ્કાળનું ભોગ બન્યું. ટોટલ મૃત્યુઆંક- 4.5 કરોડ. તે પૈકી ત્રીસ લાખ લોકોએ તો આત્મહત્યા કરી પ્રાણ ત્યાગ્યા હતા. ક્યારેક તમારી ધ્યાને એક વૈજ્ઞાનિક સંશોધન આવ્યું હશે. ધારી લો કે આજે તા. 30/03/2020 ના રોજ વિશ્વની તમામ મધમાખીઓએ નાશ પામે છે. તો તા. 30/03/2024 સુધીમાં માનવજાત ભૂતકાળ બની જશે !!! મધમાખીના વિનાશના ચાર વર્ષમાં જ "નાશ પામેલ પ્રજાતિ" માં આપણો સમાવેશ થઈ જશે.

લોકડાઉનના સમયમાં આપણી એક ભૂલથી આવનાર સમયમાં લગ્ન પ્રસંગ કરતાં શ્રધ્ધાંજલિના પ્રસંગો વધુ એટેન્ડ કરવા પડશે ! સ્મશાન અને કબ્રસ્તાનમાં "હાઉસફુલ"નો નજારો જોવા મળશે ! તલાટીઓના ચોપડાઓમાં પ્રથમવાર જન્મદર કરતાં મૃત્યુદર વધી જશે ! સમયનો તકાદો છે કે પોત પોતાને ગમે એવું ન કરો, એકબીજાને ગમે એવું કરો. શક્તિ પ્રદર્શન બંધ કરો. સહનશક્તિ પ્રદર્શન ચાલુ કરો. અત્યારે આપણી પરીક્ષા છે. આ પરીક્ષાનું ફોર્મ જાતે ભરવાનું છે. અભ્યાસક્રમ જાતે સિલેક્ટ કરવાનો છે. જાતે ભણવાનું છે. પેપર પોતે જ કાઢવાનું છે. પેપર જાતે તપાસવાનું છે. માર્ક્સ જાતે આપવાના છે. લોકડાઉન પૂરું થાય પછી નક્કી કરજો કે પાસ કે નાપાસ ???

ખેતરની વાડ નબળી હોય તો પાકનું ઉત્પાદન ઘટે છે એવું અમારા ગામનાં ખેડૂતો કહે છે ! એક સમયે રોમન સામ્રાજ્ય પૃથ્વી પરનું સૌથી શક્તિશાળી સામ્રાજ્ય હતું. છતાં તેનો નાશ થયો. તમે એકવાર પહેલવાન બની જાઓ પછી કસરત ન કરો, પૌષ્ટિક આહાર ન લો, વ્યસનો કરો તો શું થાય ? બસ, આજ રોમન સામ્રાજ્યનું થયું. અત્યારે ઘરમાં ભરાઈ રહેવું એ કાયરતા નથી. સમય જોઈને કામ કરવું. સમય ખરાબ ચાલતો હોય ત્યારે તનિષ્કના માલિકે પણ બગસરાના દાગીના પહેરીને ફરવું પડે !!! દુશ્મન મોટી સંખ્યામાં હોય, આપણાથી બળવાન હોય ત્યારે ગેરીલા (છૂપાઈને) યુધ્ધ કરવું જ ડહાપણ ભરેલું છે એવું છત્રપતિ શિવાજીએ કહેલું છે.

એક વાત નોટ કરી હશે, ક્રિકેટની રમતમાં ખેલાડી રન આઉટ થાય ત્યારે વધારે દુ:ખી થાય છે, વધારે ગુસ્સે થાય છે !!! સમજદારકો ઈશારા કાફી હૈ ! રન આઉટ થવું છે ???

જે.કે.સાંઈ
Previous Post Next Post