Tuesday, September 29, 2020

રા'નવઘણ

આપ સૌ રા' નવઘણ વિષે તો જાણતા જ હશો

પણ નવઘણ નામ પાડવા પાછળ પણ ૧ અભૂતપૂર્વ ઘટના છે જેના થી કદાચ મોટા ભાગ ના અજાણ હશે..

રા નવઘણ ના પપ્પા એટલે કે રા દિયાસ..
એમને ૨૧ રાણીઓ હતી પણ જૂનાગઢ નો ૧ પણ વારસ ન્હોતો..

સંતાનપ્રાપ્તિ ના ઉદ્દેશય થી સોમલદે પરમાર સાથે રા દિયાસ ના લગ્ન થયા હતા.. બંને વચ્ચે ઉંમર નો ઘણો બધો ડિફરન્સ હતો.. જૂનાગઢ ના ઉજ્જવળ ભવિષ્ય માટે સોમલદે લગ્ન માટે તૈયાર હતા..

સોમલદે પરમાર માં ખોડિયાર ના પરમ ઉપાસક હતા.

લગ્ન પછી ૫ મહિના બાદ જ સોમલદે ને સારા દિવસો જતા હોવાનું બધા ને ખબર પડી અને રાજમહેલ માં ખુશીઓ ની લહેરો ગુંજી ઉઠી..

પરંતુ ૨૧ રાણીઓ આ જોઈ ન શકી અને આ સોમલદે અત્યાર થી જ સોઉથી માનીતી થઈ જશે એવા સ્વાર્થી વિચારો સાથે ગિરનાર ની તળેટી માં ૧ અઘોરી બાવા પાસે જય ને સોનામહોર ના ઢગલા કરી ને બધી વાત જણાવી કે આ સંતાન જન્મવું ન જોઈએ..

પરંતુ શરૂઆત માં અઘોરી ની શક્તિ ની પણ સોમલદે પર કઈ જ અસર ન થઈ..

૨૧ રાણીઓ ફરીવાર અઘોરી પાસે આવી અને કેહવા લાગી તમને આટલી સંપત્તિ આપી છતાં તમારી શક્તિ ની સોમલદે પર કઈ જ અસર થઈ નથી.. અઘોરી એ કહ્યું અશક્ય છે જરૂર એ દીકરી સાથે કોઈ દૈવીશક્તિ છે..

એ અઘોરી એ બીજા ૫ અઘોરી ને ભેગા કર્યા એન્ડ પોતાની શક્તિ વધુ સુદ્રઢ બનાવી ૧ અડદ નું પુતરું બનાવ્યું અને ૨૧ રાણીઓ ને આપી ને કહ્યું કે આ પૂતળું એ રાજા અને સોમલદે ના શયનખંડ માં દાટી દયો.. જ્યાં સુધી આ પુતરું દટાયેલું રહેશે ત્યાં સુધી દીકરા નો જન્મ નહીં થાય..

દિવસો જતા ગયા ૯ મહિના ને બદલે ૫ વર્ષ થયા છતાં દીકરો પેટ માં હોવા જતા દીકરા નો જન્મ થતો નોહ્તો..

સતત બધે વાતો થવા માંડી કે આ સોમલદે તો રોગી છે અને પેટ માં ગાંઠ છે વગેરે વગેરે ખોટ્ટી વાતો થવા લાગી.. આગળ સમય જતા ૯ મહિના ને બદલે ૯ વર્ષ થયા..છતાં દીકરા નો જન્મ થતો નથી..

૯ વર્ષ સુધી તો રાજા સોમલદે ના પક્ષ માં હતા પણ હવે રા દિયાસ પણ બધા ની ખોટી વાતો માં ભરમાઈ ને આ વાત સ્વીકારવા તૈયાર થયા અને સોમલદે ને રોગી માની પોતાના કક્ષ માં થી દૂર કરી સોમલદે અને તેની વડારણ(દાસી) વાલબાઈ ને બધા થી દૂર એવા અલગ કક્ષ માં ધકેલી દીધા..

સોમલદે થી હવે પીડા સહન નથી થતી એ અને વાલબાઈ બોવ જ દુઃખી છે..

થોડો ટાઈમ જતા ૧ વાર સોમલદે દુઃખી થઈ ને રડતા રડતા પોતાની વડારણ વાલબાઈ ને કહે છે બહેન મને હવે અમલ આપ હવે મારા થી પીડા સહન નહીં થાય.. વડારણ પણ ૧ પાત્ર માં રડતા રડતા અમલ આપે છે અને રડતા કહે છે અડધું પાત્ર મારા માટે રાખજો તમારા વિના મારે પણ જીવી ને શું કામ..?

હજુ સોમલદે અમલ નું પાત્ર હોઠે અડાડે ન અડાડે એટલા માં તેજપુંજ પ્રગટ થઈ માં ખોડિયાર સ્વયં પ્રગટ થઈ ને પાત્ર લઇ લે છે અને કહે છે બેટા મારી કૃપા જેના પર હોય એને આમ દુઃખી થઈ ને મરવાનું ન હોય..

માં ખોડિયાર સ્વયં ભાવુક થઈ ને સોમલદે ને કહે છે બેટા મને યાદ તો કરી હોત તારા આ પીડાકાળ માં... અને વડારણ વાલબાઈ ને કહે છે બેટા રાજકચેરી માં જાવ અને સંદેશ આપો કે દીકરા નો જન્મ થયો છે..

વાલબાઈ જઈ ને રાજા ને કહે છે આ ખુશી ની વાત.. રાજા ને ક્યાંય હરખ નથી સમાતો પણ.. પેલી ૨૧ રાણીઓ ની પગ નીચે થી જમીન સરકી જાય છે આ વાત સાંભળી... અને ૧ બીજી કહેવા લાગે છે આ કઈ રીતે શક્ય બને નક્કી ઓલું પૂતળું કોઈએ કાઢી લીધું છે.. દોડા દોડ એ પુતરું તપાસવા જાય છે.. જેવું પૂતળું બહાર નીકળે એટલી જ વાર માં ક્ષણભર માં વડારણ હજુ સોમલદે પાસે પોહ્ચે એ પેહલા તો માં ખોડિયાર સ્વયં પોતાના હાથે દીકરા નો જન્મ કરાવે છે..

અને સોમલદે ને ભાવુક થઈ માં કહે છે બેટા આ દીકરા ને માટે તે ૯ ૯ વર્ષ અસહ્ય પીડા સહન કરી છે અને આ દીકરો ૯ સોરઠ નો ધણી બનશે એટલે આ દીકરા નું નામ નવઘણ રાખજે અને જયારે મારી જરૂરત હશે ત્યારે નવઘણ ની વારે હું આવીશ.. જાહલ ના પ્રસંગે પણ માં નવઘણ ની સહાયે આવેલા એ તો બહુ ચર્ચિત વાત છે..

૯/૯ વર્ષ દીકરા ને પેટ માં રાખવો અને પીડા સહન કરવી અને નવઘણ જેવા શુરવીરો ને જન્મ આપવો એ રાજપૂતાણી સિવાય કોઈ ન કરી શકે..
ન ભૂતો : ન ભવિષ્યતિ:

અને આવા હળોહળ કળયુગ માં પણ જેના માં ખરેખર ક્ષાત્રત્વ રહેલું છે એવા ક્ષત્રિયો માટે આજે પણ માતાજી કોઈ ને કોઈ રીતે સદૈવ મદદે આવવા તત્પર રહેતા હોય છે એમાં ક્યારેય કોઈને શંકા ન રાખવી.. કોઈ ભૂલ હોય તો ધ્યાન દોરવા વિનંતી..

જય માતાજી

સાભાર :- ગીરનો સાવજ

Monday, September 28, 2020

કુદરતના ખોળે જ માનવી જનમ્યો હતો.

સવાર ઉઘડે, હવાનું રણઝણ અને પંખીઓનું કલકલ કાનમાંથી હૃદય સુધી પહોંચે અને મન કુદરત સાથે એકરુપ થતું જાય. પ્રભાતના પ્રેમીઓનો આ રોજનો અનુભવ. ‘કુદરતનો ખોળો’ બોલતાં મોં અને મન ભરાઇ જાય એવો સમૃધ્ધ શબ્દ અને એવી જ અનરાધાર અનુભુતિ. કુદરતના ખોળે જ રમવાનું અને રમતાં રમતાં જીવન અને જાગૃતિને પામી જવાનું મન થાય એવી ઝંખના પ્રકૃતિપ્રેમીના રોમેરોમમાં વણાયેલી હોય.


બાળક માના ખોળે જાય પછી એના માટે મા સિવાય બીજી કોઇ દુનિયા નથી હોતી. એનું સમગ્ર અસ્તિત્વ માને વિંટળાઇ વળે છે. માનવી આમ જ કુદરતના ખોળે જઇ શકે તો એને કોઇ શાસ્ત્રોની, ધર્મની કે ધર્મગુરુની જરુર ન પડે. કેટલા મોટા ગુરુ છે પર્વતો !! પૃથ્વી પર પથરાયેલાં નદી નાળાં ને વહેતી હવાનું મર્મર કોઇ ધર્મોપદેશ કરતાં ક્યાંય ચડિયાતા છે !! જોઇએ બસ એમાં ડૂબી જવાની તત્પરતા. તો કુદરતનો ખોળો હૃદયને હર્યુંભર્યું કરી દે !!

ભૌતિકતાની દોડમાં માનવી ક્યારેક કુદરતને વિસારે પાડી દે છે પરંતુ જ્યારે એનાથી થાકે છે ત્યારે ફરીને એને કુદરતનું શરણ જ શાંતિ આપે છે. કુદરત સહુના માટે સંપૂર્ણ છે. જંગલોમાં વૃક્ષો ઉગી જાય છે આપોઆપ. એના માટે જરુરી આકાશતત્વ અને પૃથ્વીપદારથ એને સહજ પ્રાપ્ય છે. પાંદડુ હળવે હળવે ઝુલ્યા કરે છે. કુદરત એને ડાળીનો હિંચકો અને લહેરની દોરી પૂરાં પાડે જ છે. પક્ષીની ચાંચમાં એકઠા થતાં તણખલાં અને દાણા એને જોઇતી સૃષ્ટિ અને સલામતી બક્ષી જ દે છે. નદી કે ઝરણના જળને વહેવાની, વળવાની અને ભળવાની દિશા કે સાગરના મોજાંને ઉછળવાનું અને એ રીતે જીવવાનું ધ્યેય આપવાનું કુદરત કદી નથી ચુકતી. આ બધાં તત્વો કુદરતને સમર્પિત છે કહો કે ખુદ કુદરત છે અને માનવીને સાદ પાડ્યા જ કરે છે.

વૃક્ષને અબોલ કહી શકાય ખરાં ? ફળોના સ્વાદથી, ફૂલોની સુગંધ અને રંગોથી, પર્ણોની મર્મરથી અને પોતાની ઘટાની ઠંડકથી એ માનવીને સતત બોલાવતું જ રહે છે. પક્ષી ભલે નિજાનંદે ચહેકે પણ એનું કલબલ માનવીને જીવવાનું બળ પુરું પાડી શકે એટલું સભર હોય છે. આલબેલ પોકારી નિમંત્રણ આપતી કુદરતથી દૂર રહી ભીડમાં, યાંત્રિકતામાં કે નકામી પળોજણમાં ફસાયેલા રહેતા માનવીનું દુર્ભાગ્ય જ ગણવું રહ્યું.

વૃક્ષની ડાળી પર પાંદડાનું પ્રગટ થવું એ કશા જ પ્રયત્ન વિનાનું, નર્યું સહજ સર્જન છે. એને સાક્ષીભાવે નિરખવાનો અને માણવાનો વૈભવ જેને પ્રાપ્ત થાય એ એના જીવનનું ઉત્તમ સૌભાગ્ય છે. વૃક્ષની સાથે ઓગળી કે જળની સાથે વહી એ રીતે પ્રકૃતિનો, એ પરમ તત્વની ચેતનાનો અંશ બનવાનો લ્હાવો લેનાર કેટલો નસીબદાર ગણાય !!

બગીચામાં ફરવા નીકળો અને વાહનોના હોર્ન કે માનવીઓનો ઘોંઘાટ જો તમને ક્ષુબ્ધ કરે તો માનજો કે તમે કુદરતની સમીપ છો. પણ જો બાગમાં ચાલતાં ચાલતાં શેરબજારના ભાવોની ચર્ચા કરવાનું કે ક્રિકેટ રાજકારણના દાવપેચને મુલવવાનું સુઝે તો સમજી લેજો કે તમને કુદરતના વૈભવની સમજ કે મુલ્ય નથી.

આકાશ તરફ આંખ મંડાય અને આંખમાં વાદળ ભરાય તો સમજજો કે પ્રકૃતિના લય સાથે તમારા પ્રાણ જરુર તાલ મિલાવે છે. નભમાં મેઘધનુષ પથરાય ને એના રંગો તમારી આંખ અને હૃદયમાં ચમક ભરી દે તો જાણજો કે કુદરતને ખોળે જીવવાની ભરપુર પાત્રતા તમારામાં છે. વાદળની ગડેડાટી તમારા રોમમાં સુખની ધ્રુજારી પ્રસરાવે તો ચોક્કસ તમે સૃષ્ટિનાઅ મૂળ રાગ સાથે સુસંગત છો. મેઘના જલબિંદુથી અંગને ભીંજવવાના ઓરતા જાગે તો એનો એક જ અર્થ કે તમારું અને પૃકૃતિનું જોડાણ હજી અકબંધ છે.

કુદરતના ખોળે જ માનવી જનમ્યો હતો. માનવ જાતની સાથી, સંગાથી, પોષક ને પ્રેરક કુદરત જ છે. પ્રેમનું સર્જન અને અહમનું વિસર્જન કુદરતના ખોળે સહજ છે. કંઇક પામવા કંઇક ખોવું પડે એ કુદરતનો કાનુન રહ્યો છે. ભૌતિકતાની દોડ માનવીના જીવનનો ભાગ જ બની ગઇ છે ત્યારે શિખર પર પહોંચવાની પ્રવૃતિમાં પગ ભલે છોલાય પણ ખીણની સમૃધ્ધિ નજરઅંદાજ ન થાય. સૃષ્ટિનું સૌંદર્ય આંખને ભરતું જ રહે વહેલી સવારની એ જ શુભેચ્છાઓ….

સાભાર
લતા હિરાણી
‘અમૃતધારા’ આકાશવાણી અમદાવાદ
 
 
કુદરતના દીવાના લોકોને... કુદરતના ખોળે જીવન મળે તેવું સ્વપ્ન હોય છે... તેમને સમર્પિત સુમધુર ગીત...

https://youtu.be/Pxs1UAQaZpg

આયુર્વેદ જ્ઞાન :- કોથમીરનું પાણી

દરરોજ પીઓ કોથમીરનું પાણી, પેટની બિમારીથી લઇને શરીરમાં લોહી વધારવા માટે છે ખુબ જ ઉપયોગી




કોથમીર ખાવાના અનેક લાભ હોય છે. જેના સેવનથી અનેક સમસ્યાથી રાહત મેળવી શકાય છે. કોથમીરના બીજને ખાવાના સ્વાદને વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જો તેનુ પાણી દરરોજ પીવામાં આવે તો શરીરને ઘણા પ્રકારના સ્વાસ્થ્ય લાભ પણ મળી શકે છે. તેમા રહેલા પોટેશિયમ, વિટામીન સી, કેલ્શિયમ અને મેગ્નેશિયમ સ્વાસ્થ્યથી જોડાયેલી અનેક સમસ્યાઓ દૂર કરવામાં મદદગાર છે. કોથમીર એક આયુર્વેદિક ઔષધિ છે. જે પેટની બિમારીથી લઇને શરીરમાં લોહી વધારવા માટે ઉપયોગી છે. કોથમીરનું પાણી તમે ઉકાળીને કે જ્યુસ બનાવીને પી શકો છો..

– કોથમીરના પાણીમાં રહેલા ફાઇબર અને ઇસેંશલ ઓઇલ લિવરથી જોડાયેલી બિમારીઓથી બચાવે છે. તેમજ લિવરની બિમારીઓ દૂર કરે છે.


– કોથમીરના પાણીમાં એક વિશેષ તત્વ ડોડનલ રહેલું છે. તે ટાઇફોઇડના બેક્ટેરિયાને દૂર કરે છે. આમ કરવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

– કોથમીરનું પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે. તેનુ પાણી પીવાથી કોલેસ્ટ્રેલમાં વધારો થાય છે અને ખરાબ કોલેસ્ટ્રેલ દૂર કરે છે. આ પાણીને રોજ પીવાથી હૃદય સંબંધિત બિમારીઓનો ખતરો દૂર કરે છે.


– તે સિવાય કોથમીરના પાણીમાં રહેલા એસ્કોર્બિક એસિડ એન્ટીઓક્સિડેંટ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જેથી શરદી અને ઉધરસની સમસ્યા દૂર થાય છે.

– દરરોજ કોથમીરનું પાણી પીવાથી મોંમાંથી અને શ્વાસમાંથી આવતી દુર્ગંધની સમસ્યા પણ દૂર થાય છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. કોથમીરનું પાણી કોલેજન ટિશ્યુના પ્રોડક્શનને વધારે છે. જેથી અલ્સરની સમસ્યા દૂર થઇ જાય છે.

– મહિલાઓની સમસ્યા પીરિયડ યોગ્ય સમયે ન આવવા પર સવારે ખાલી પેટે તેના સેવનથી લાભ મળે છે. તેનાથી PCODની સમસ્યા પર પણ લાભ થાય છે. આયુર્વેદમાં પણ કોથમીરના અનેક ફાયદા જણાવ્યા છે.

– ડાયાબિટીસ અને થાઇરોઇડમાં કોથમીરનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. કારણકે તેના સેવનથી લોહીમાં શુગરનું પ્રમાણને કંટ્રોલ કરી શકાય છે.

સાભાર :-ડૉ. ગૌરવ જોશી..

Sunday, September 27, 2020

જીવન વિકાસ માટે વિસ્મૃતિ જરૂરી છે.

રાવણના વધ બાદ શ્રી રામે રાવણના ભાઈ વિભીષણને લંકાની ગાદી સોંપી અને રાવણનું શ્રાદ્ધ કરવા કહ્યું. વિભીષણ કહે, ‘મારો ભાઈ પાપી હતો. હું શ્રાદ્ધ નહીં કરું.’ રામે કહ્યું, ‘મરણાંતાનિ વૈરાણિ (મરણ સાથે વેરનો અંત આવે છે). માટે તારે રાવણનું શ્રાદ્ધ કરવું જ જોઈએ. હું પણ તારી સાથે શ્રાદ્ધસ્થળે બેસીશ.’

આને કહેવાય ખેલદિલી. જો બીત ગઈ સો બાત ગઈ. ખેલદિલી માટે 'વિસ્મૃતિ' આવશ્યક છે.‌ 

અને સારી સ્મૃતિ માટે પણ વિસ્મૃતિ જરૂરી છે. ત્રણ વર્ષનું બાળક સવારે ઊઠે ત્યારે આગલી રાતે મમ્મીએ મારેલી ટપલીને સાવ જ ભૂલીને ભરપૂર ઉત્સાહ સાથે મમ્મીને વળગી પડે છે. તેની આ વિસ્મૃતિ તેની સ્મૃતિને મોકળું મેદાન પૂરું પાડે છે. બાળકે ભાષાથી માંડીને બીજી હજાર વસ્તુ શીખવાની હોય છે. એવા વખતે મમ્મીની આગલી રાતની ટપલી કોણ યાદ રાખે? માણસનો સૌથી વધુ ગ્રાસ્પિંગ પાવર બાલ્યાવસ્થામાં હોય છે. આ સમજવા જેવું છે. ધારદાર સ્મૃતિ માટે જોરદાર વિસ્મૃતિ જરૂરી છે.

મનુભાઈ પંચોળી 'દર્શક'ના એક પુસ્તકમાં વાંચેલું હિન્દુ શાસ્ત્રનું એક રૂપક એવું છે કે ભમરી જ્યારે ઇયળને ડંખ મારે છે ત્યારે ડંખની આકરી પીડાને લીધે ઇયળ પછી સતત ભમરી વિશે જ વિચાર્યા કરે છે અને છેવટે એ ઇયળ જ્યારે કોશેટામાંથી બહાર આવે છે ત્યારે એ પોતે પણ ભમરી બની જાય છે અને બીજાને ડંખે છે. 

અલબત્ત, ઇયળ-કોશેટો-ભમરીનું આ રૂપક સાયન્ટિફ્કિ નથી, પણ તે ટેરિફિક તો છે જ, કારણ કે સામેવાળાના ડંખ, બદમાશી, જડતા, કટ્ટરતા વિશે સતત મનન કરનાર વ્યક્તિ પછી પોતાની સારપ ગુમાવીને સામેની વ્યક્તિ જેવી જ ડંખીલી, બદમાશ, જડ અને કટ્ટર બની જતી આ જગતમાં ચોતરફ જોવા મળે છે. આ ખોટનો સોદો ઇયળનું રૂપક સુંદર રીતે સમજાવે છે.

ભૂતકાળમાં એક ધર્મ દ્વારા બીજા ધર્મનાં શ્રદ્ધાસ્થળો તોડવાના બનાવો આખી દુનિયામાં ખૂબ બન્યા છે. એ બધા બનાવો છેવટે ભૂલવા જ પડે. ઇશુ ખ્રિસ્તને યહૂદીઓએ વધસ્તંભે ચડાવેલા એ વાત યાદ કરીને આજે ખ્રિસ્તીઓ યહૂદીઓ સામે બાંયો નથી ચડાવતા. એ જ રીતે બીજા વિશ્વયુદ્ધમાં ખ્રિસ્તી જર્મનીએ યહૂદીઓનો મહાસંહાર કરેલો એ વાતને યાદ કરીને યહૂદીઓ જર્મની સામે યુદ્ધે નથી ચડતા.

તો શું માણસે કે મોટા સમૂહોએ પોતાનાં તમામ જૂનાં પરાજયો, અપમાનો, અન્યાયો ભૂલી જવાનાં?

ના, બધું ભૂલી શકાતું નથી અને બધું ભૂલી જવા જેવું પણ નથી હોતું. સવાલ એ છે કે શું ભૂલવું અને શું યાદ રાખવું?

મુદ્દો આ છેઃ વિવેકબુદ્ધિ. શું મહત્ત્વનું છે અને શું ક્ષુલ્લક છે તેની સાચી સમજ વિના, ખાસ તો આજના માહિતી વિસ્ફોટના યુગમાં, ભલભલા માણસનું માનસિક સ્વાસ્થ્ય જોખમાઈ શકે. માટે, મગજમાં રોજેરોજ સારી-નરસી માહિતીના જે ટ્રક ઠલવાય છે તે બાબતે સભાન અને સાવધ બનવા જેવું છે.

રોજેરોજ મીડિયામાં ચગતા બધેબધા વિવાદો યાદ રાખવા જેવા નથી હોતા. રૂઝાઈ રહેલા જખમો પર વિસ્મૃતિનું પોપડું બાઝી રહ્યું હોય ત્યારે જૂની ઘટનાની સ્મૃતિઓ ફરી ફરી તાજી કરીને એ જખમો ખોતરવાની મુર્ખામી ન કરાય. વધુ તેજ ગતિથી દોડવું હોય તો માથા પરના જૂના-નકામા બોજ ફ્ગાવવા જ પડે. વિકાસ માટે વિસ્મૃતિ જરૂરી છે.

સાભાર :-
દીપક સોલિયા

Friday, September 25, 2020

ભારતના જાણીતા ગાયક એસ.પી. બાલાસુબ્રમણ્યમ (બાલુ)

ભારતના અતિ જાણીતાં ગાયક એસ. પી. બાલાસુબ્રમણ્યમ નથી રહ્યાં. ૨૫ સપ્ટેમ્બરના રોજ ૭૪ વર્ષની વયે કોરોના વાઈરસને કારણે તેમનું ચેન્નાઈની એમજીએમ હોસ્પિટલમાં નિધન થયું છે. તેમનું પૂરું નામ શ્રીપથી પંડિતારાધ્યુલા બાલાસુબ્રમણ્યમ હતું. તેઓ ‘એસ. પી. બાલુ’, કે ‘એસપીબી’ કે માત્ર ‘બાલુ’ રૂપે પણ જાણીતા હતા. મુખ્યત્વે તેલુગુ, તમિલ, કન્નડ, હિંદી અને મલયાલમ ફિલ્મોમાં મળી તેમણે ૧૬ ભારતીય ભાષાઓમાં ૪૦ હજાર ગીતો ગાયા હોવાનું કહેવાય છે. તેમને શ્રેષ્ઠ ગાયકના છ નેશનલ ફિલ્મ એવોર્ડ્સ મળ્યાં હતાં. તેલુગુ સિનેમામાં તેમના પ્રદાન માટે એસપી ને આંધ્ર સરકાર દ્વારા ૨૫ નાંદી એવોર્ડ્સ અપાયાં હતાં. તેજ રીતે કર્નાટક અને તમિલનાડુ સરકાર દ્વારા પણ તેમને સંખ્યાબંધ એવોર્ડ્સ આપવામાં આવ્યાં હતાં. તેમને શ્રેષ્ઠ ગાયકના ફિલ્મફેર એવોર્ડ સાઉથ પણ મળ્યાં હતાં. ભારતીય સિનેમામાં તેમના પ્રદાન બદલ ૨૦૧૨માં તેમને એનટીઆર નેશનલ એવોર્ડ અને ૨૦૧૬માં તેમને ‘ઇન્ડિયા ફિલ્મ પર્સનાલીટી ઓફ યર’ રૂપે સિલ્વર પીકોક મેડલ અપાયું હતું. એસપી બાલાસુબ્રમણ્યમને ૨૦૦૧માં પદ્મશ્રી અને ૨૦૧૧માં પદ્મભૂષણની નવાજેશ કરાઈ હતી.
એસપી બાલાસુબ્રમણ્યમ તેજસ્વી ગાયક હોવા ઉપરાંત સંગીતકાર, વાદક, અભિનેતા, ડબિંગ આર્ટીસ્ટ અને ફિલ્મ નિર્માતા પણ હતા.
૪ જૂન, ૧૯૪૬ના રોજ ત્યારના મદ્રાસ રાજ્ય અને આજના આંધ્ર પ્રદેશના નેલ્લોર જીલ્લાના કોનેટમ્માપેટ ગામમાં એસપીનો તેલુગુ પરિવારમાં જન્મ થયો હતો. તેઓ નેલ્લોરમાં મોટા થયા. તેમના પિતાજી એસપી સાંબામુર્થી હરિકથા કલાકાર હતાં અને નાટકમાં પણ અભિનય કરતા હતા. માતાજી શકુંથલામ્માનું ૨૦૧૯માં નિધન થયું હતું. એસપીને બે ભાઈઓ અને પાંચ બહેનો છે, જેમના એસપી સૈલજા ગાયક છે. એસપી બાલાસુબ્રમણ્યમના દીકરા એસપી ચરણ પણ દક્ષિણ ભારતના જાણીતા ગાયક, અભિનેતા અને નિર્માતા છે.

બાળપણથી બાલુને સંગીતમાં રસ હતો, તેમણે સંગીતની તાલીમ લીધી. અનંતપુરની ઈજનેરી કોલેજમાં ઈજનેર બનવા માટે પ્રવેશ પણ મેળવ્યો અને ટાઈફોઈડને કારણે એ અભ્યાસ છોડવો પડ્યો હતો. બીજી બાજુ તેઓ સારા ગાયક બન્યાં હતા અને અનેક ઇનામો મેળવતા હતા. તેમના હળવા સંગીતના જૂથના તેઓ ગાયક-હાર્મોનિયમ વાદક નેતા હતા, તેમની સાથે ગિટાર પર ઇલૈયા રાજા અને ગંગાઈ અમરન પણ ગિટાર પર રહેતાં. એસપી સતત સંગીતકારોના સંપર્કમાં રહીને ગાયક રૂપે સ્થાયી થવાના પ્રયાસ કરતા. વીસ વર્ષની ઉમરે તેમણે તેલુગુ ફિલ્મમાં પહેલું ગીત ગાયું અને ૨૮ વર્ષની ઉમરે માતૃભાષા સિવાયનું પહેલું કન્નડ ફિલ્મ ગીત ગાયું હતું.
કોઈ પણ એક ગાયક દ્વારા એક દિવસમાં સૌથી વધુ ૨૧ ગીતો રેકોર્ડ કરવાનો વિક્રમ એસપી બાલાસુબ્રમણ્યમે ૮ ફેબ્રુઆરી, ૧૯૮૧ના રોજ સંગીતકાર ઉપેન્દ્ર કુમારના સંગીતમાં કર્યો હતો. તેજ રીતે એક જ દિવસમાં ૧૯ તમિલ, એક જ દિવસમાં ૧૬ હિંદી ગીતો પણ ગાઈને અનોખો વિક્રમ કર્યો હતો. તેઓ કહેતા કે સંગીતકાર આનંદ મિલિન્દ માટે તેઓ મુંબઈમાં એક જ દિવસમાં ૧૫ – ૨૦ ગીતો રેકોર્ડ કરીને ચેન્નાઈ જવાની છેલ્લી ફ્લાઈટ પકડી લેતા હતા. એસપીબી દક્ષિણ ભારતના અનેક ગામો-નગરોમાં સંગીતના કાર્યક્રમો કરતા, જયારે ઈલૈયા રાજા તેમને ગિટાર પર સાથ આપતા, આગળ જતાં એ ઈલૈયા રાજા પણ મહાન સંગીતકાર બન્યા હતા.
૧૯૮૦માં તેલુગુમાં બનેલી શ્રેષ્ઠ ફિલ્મ ‘શંકરાભરણમ’થી એસપી ને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી હતી, તો તેમને પહેલો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો. બીજે જ વર્ષે હિંદી ફિલ્મ ‘એક દુજે કે લિયે’ માટે તેમને વધુ એક નેશનલ ફિલ્મ એવોર્ડ
મળ્યો હતો.
સિત્તેરથી એંશીના બે દાયકા દરમિયાન બાલાસુબ્રમણ્યમને તમિલ ફિલ્મો માટે સંગીતકાર ઈલૈયા રાજા અને ગાયિકા એસ. જાનકી સાથે બનેલી ટીમમાં ખૂબ સફળતા મળી હતી. એમાંના ઘણાં ગીત શાસ્ત્રીય રાગ આધારિત રહેતાં. ૧૯૮૯માં બાલુએ ખૂબ સફળ હિંદી ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ માં સલમાન ખાનને અવાજ આપ્યો હતો, જેમાં ‘દિલ દીવાના’ ગીત માટે તેમને વધુ એક ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ત્યારથી એકાદ દાયકા સુધી સલમાન માટેનાં રોમાન્ટિક ગીતો એસપી ગાતા રહ્યા હતા. તેમાં ‘હમ આપકે હૈ કૌન’ માં લતાજી સાથેનું યુગલ ગીત ‘દીદી તેરા દેવર દીવાના’ ખૂબ લોકપ્રિય બન્યું હતું. સિત્તેરના દાયકામાં જેમ કિશોર કુમાર રાજેશ ખન્નાનો અવાજ બની રહ્યાં તેમ નેવુંના દાયકામાં એસપી સલમાન ખાનનો અવાજ બની રહ્યા હતા.
નેવુંના દાયકામાં એઆર રહમાન આવ્યા, તેમની પહેલી ફિલ્મ ‘રોજા’માં એસપીએ ત્રણ ગીતો ગાયા હતાં. ત્યારથી એમની સાથે પણ જોડી જામી ગઈ હતી. પંદરેક વર્ષ બાદ એસપી ફરી શાહરુખ ખાનની ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ના શીર્ષક ગીતથી હિંદી ફિલ્મોમાં ફરી ઝળક્યા.
હમણાં મે, ૨૦૨૦માં ‘ભારત ભૂમિ’ શીર્ષકથી બાલાસુબ્રમણ્યમે સંગીતકાર ઈલૈયા રાજા માટે એક ગીત કોરોના યોદ્ધાઓના માનમાં તમિલ અને હિન્દીમાં ગાયું. જે તેમની છેલ્લી અને યાદગાર સફળતા બની રહી.
એસ બાલાચંદરની તેલુગુ ફિલ્મ ‘મનમધા લીલા’માં આકસ્મિક રીતે કમલ હાસનનો અવાજ ડબ કરીને બાલાસુબ્રમણ્યમ વોઇસ એક્ટર બની ગયા. પછી તો તેમને અનેક કલાકારોને અનેક ભાષામાં અવાજ આપ્યો, જેમાં કમલ હાસન ઉપરાંત રજનીકાંત, વિષ્ણુવર્ધન, સલમાન ખાન, મોહન, અનિલ કપૂર, ગિરીશ કર્નાડ, જેમિની ગણેશન, નાગેશ, કાર્થિક કે રઘુવરણનો સમાવેશ થાય છે. કમલ હાસનની જાણીતી ફિલ્મ ‘દસવથારમ્’ માં કમલના દસમાંથી સાત અને એક મહિલા પાત્રના મળી કૂલ આઠ અવાજ તેલુગુમાં એસપી એ રેકોર્ડ કર્યા છે. મહાન ફિલ્મ ‘ગાંધી’ના તેલુગુ વર્ઝનમાં એસપીએ બહેન કિંગ્સલેનો ગાંધીજી માટેનો અવાજ પણ ડબ કર્યો છે.
બાલાસુબ્રમણ્યમે સાવિથ્રી સાથે લગ્ન કર્યા હતાં અને તેમને પલ્લવી નામે દીકરી અને એસપીબી ચરણ નામે ગાયક અને નિર્માતા દીકરો છે.
૫ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ બાલાસુબ્રમણ્યમનો કોવીડ ટેસ્ટ પોઝીટીવ આવ્યો અને તેમને ચેન્નાઈની એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તબિયત બગડતા તેમને વેન્ટિલેટર પર રખાયા હતા. દીકરા ચરણ તેમની હાલત સોશિયલ મીડિયામાં જણાવતા હતા, ઝૂમ પર તમિલ ફિલ્મ ઉદ્યોગના કલાકારો સહિત ઘણાં પ્રશંસકો એસપી માટે પ્રાર્થનામાં જોડાયા હતા. ૨૦ ઓગસ્ટે તેમની હોસ્પિટલની બહાર પ્રશંસકો દ્વારા કેન્ડલ લાઈટ માર્ચમાં પ્રાર્થના ગુજારાઇ હતી. ૭ સપ્ટેમ્બરે તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો. છતાં તેઓ વેન્ટીલેશન પર હતા. દીકરાએ જણાવ્યું કે તેઓ આઈ-પેડ પર ટેનિસ અને ક્રિકેટ મેચ જોતા હતા. ૨૪ સપ્ટેમ્બરે હોસ્પિટલે એસપી માટેનાં બુલેટિનમાં જણાવ્યું કે તેઓ ‘એક્સ્ટ્રીમલી ક્રિટીકલ’ અને ‘મેક્સિમમ લાઈફ સપોર્ટ’ પર હતા. ૨૫ સપ્ટેમ્બરન બપોરે ૧.૦૪ કલાકે એક માસની સારવાર બાદ એસપી બાલાસુબ્રમણ્યમે છેલ્લાં શ્વાસ લીધાં ત્યારે એક યુગ પુરો થયો હતો.

સાભાર :-

સપ્ટેમ્બરના સિતારા – નરેશ કાપડીઆ

Monday, September 21, 2020

કિચન.....અને ભંગાર

રીમાએ આજ કિચન માટે બધા જુના વાસણ બહાર કાઢ્યા. જુના ડબ્બા, પ્લાસ્ટિક ના ડબ્બા ,જુની વાટકા ઓ , થાળીઓ બધું એટલું જૂનું થઈ ગયું હતું

બધું એક ખૂણામાં મૂક્યું અને નવા લાવેલા વાસણ સરસ ગોઠવાયા હવે એનું કિચન એકદમ પોશ દેખાતું હતું.
હવે આ જૂનો સામાન ભંગાર વાળાને આપ્યું કે કામ ખતમ…..
એટલામાં કામવાળી સખુ આવી .છેડો ખોસીને લાદી લૂછવા જાય ત્યાં એની નજર ખૂણામાં ગઈ બાપ રે આજે એટલા બધા વાસણ ઘસવામાં કાઢ્યા છે? જરા ત્રસિક ચહેરો કરીને એણે કીધું.
રીમા બોલી અરે નહીં રે ભંગાર વાળાને આપવાના છે આ બધા વાસણ. શકુ એ એ સાંભળ્યું અને એની આંખ એક આશાથી ચમકી બોલી ,” તાઈ તુમચી હરકત નસેલ તર હે એક ટોપ મી ઘેઉ કાય?”
(સકુ ના આંખ સામે એનો તળીયો ઘસાઈ ગયેલ ટોપ અને કિનારી તૂટી ગયેલો ટોપ આવી ગયો)
રીમા બોલી, અરે એક શું બધાજ લઈ જા.એટલોજ મારો પસારો ઓછો થશે.
બધું??? શકું ની આંખો પહોળી થઇ ગઈ. એને તો જાણે અલીબાબા ની ગુફા મળી ગઈ.
એણે ફટાફટ બધું કામ કરી લીધું .પછી બધા વાસણ ડબ્બા વાટકા બધું થેલીમાં ભર્યું. એકદમ આનંદ માં ઘરે જવા નીકળી આજે જાણે એને ચાર પગ આવી ગયા હતા ઘરે આવતાં જ એણે પાણી પણ પીધા વગરજૂનું તુટેલુ ટોપ ,વાંકોચૂકો ચમચો બધુ એક ખૂણામાં જમા કર્યું. અને સાથે લાવેલ ખજાનો સરસ ગોઠવ્યો. આજ તેના એક રૂમના ઘરનું કિચન એકદમ પોશ દેખાતું હતું.
પછી એની નજર પોતાના જૂના વાસણો પર પડી.અને એ પોતાના સાથે બોલી ક હવે આ બધું ભંગાર વાળા ને આપુ એટલે થઈ ગયું કામ…
એટલામાં એક ભિખારણ પાણી માંગતી દરવાજા માં ઉભી રહી “માય પાણી આપ”
સકુ એના હાથ માં પાણી નાખે ત્યાં તો એની નજર ઘસાઈ ને પાતળા થઈ ગયેલા ટોપ પર પડી. એણે એના પાણી નાખીને પેલી ભિખારણ ને આપ્યું. પાણી પીને પેલી તૃપ્ત થઈ ગઈ.અને વાસણ પાછું આપવા ગઈ. તો સકુ બોલી કે ફેકી દે એને.
પેલી ભિખારણ બોલી, તને નથી જોઈતું? તો હું લઉં?
સકુ બોલી, લઈ જા ને અને આ બાકી બધા પણ લઈ જા.એમ કહીને એણે બધો ભંગાર એની ઝોળી માં ઠાલવ્યો.
એ ભિખારણ એકદમ ખુશ થઈ ગઈ. પાણી માટે વાસણ, ભાત ,દાળ ,શાક મળશે તો અલગ અલગ વાસણ માં લઇ ને ખવાશે.અને ચમચા થી ખાવું હશે તો એક ચમચો પણ હતો.
આજે એની ફાટેલી ઝોળી એકદમ પોશ દેખાતી હતી.

સાભાર – શ્રી. અનિમેશ મહેતા
(BK 's અનમોલ ખજાના)
લેખક – અજ્ઞાત

Sunday, September 20, 2020

સારા સ્વાસ્થ્ય માટે 30 નુસખા

સ્વાસ્થ્ય સંબંધી તમામ નાની-મોટી તકલીફો માટે દાદીમાના ખાસ ઘરગથ્થુ ઉપચાર


આપણા ઘર-ઘરનાં આયુર્વેદિક પ્રાચીન નુસખાઓ ઘણીવાર એલૉપેથી દવાઓ કરતાં વધારે અક્સિર હોય છે. આજે પણ દરેક ઘરમાં કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે દાદી-નાનીના જુનવાણી ઉપચાર અજમાવીને ઈલાજ કરવામાં આવે છે અને તેનાથી તરત ફાયદો પણ થાય છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે આ સરળ અને અક્સિર નુસખાઓ અપનાવ્યા વિના જ નાની અમથી બાબતોમાં પણ ડોક્ટર પાસે દોડી જાય છે અને દવાઓ ખાઈને કામચલાઉ સ્વાસ્થ્ય સુધારી લે છે. જેથી આજે અમે તમને સ્વાસ્થ્ય સંબંધી 30 જાતની તકલીફો માટે દાદીમાના પ્રાચીન નુસખાઓના ખજાનામાંથી સચોટ અને ઝડપી ઈલાજ કરી શકે એવા ઉપાય લાવ્યા છે તો નોંધવાનું ભુલતા નહીં. ડગલે પગલે કામ આવશે આ સરળ નુસખા.

(1) જો દાંતમાં સખત દુખાવો થતો હોય તો એલચી, લવિંગ અને જાયફળના તેલને મેળવીને તે તેલને રૂ થી દુ:ખતા દાંત પર લગાવવાથી દર્દ મટે છે.

(2) ચામાં અજમાના પાન અને ફુદીનો નાંખી ઉકાળીને પીવાથી ખાંસીમાં રાહત મળે છે.

(3) કડવા લીમડાની છાલનો ઉકાળો બનાવી તેમાં ગોળ મેળવી ત્રણ દિવસ સુધી રોજ રાત્રે પીવાથી પેટના કૃમિ નીકળી જાય છે.

(4) તુલસીના બીજનો ઉકાળો બનાવીને પીવાથી માસિક નિયમિત-યોગ્ય માત્રામાં આવે છે.

(5) ભોજન લીધા પછી રોજ એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ થતો નથી.

(6) અજમો અને લસણને સરસવના તેલમાં પકાવી, તે તેલની માલિશ કરવાથી શરીરના દુ:ખાવા મટે છે.

(7) બે ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ મેળવી વાળના મૂળમાં લગાડી અડધો કલાક રહેવા દઈ વાળ ધોવાં. આ પ્રયોગ નિયમિતરૂપે કરવાથી વાળની તમામ સમસ્યા દૂર થાય છે.

(8) દાડમની છાલને પાણીમાં પીસી તેની પેસ્ટ બનાવી વાળમાં રાત્રે લગાવીને સવારે વાળ ધોઈ નાંખવા. આ પ્રયોગથી વાળની જૂ અને લીખ મરી જાય છે.

(9) આંબાના પાનની ભસ્મ બનાવી દાઝેલા સ્થાન પર ઘી સાથે લગાવવાથી રાહત રહે છે.

(10) ફુદીનાના પાન ચૂસવાથી કે મોઢામાં રાખી ચાવવાથી હેડકી તરત બંધ થાય છે.

(11) કાળામરીના ચૂર્ણને ઘીમાં મેળવી શરીર પર લગાવવાથી પિત્તની તકલીફ મટે છે.

(12) ગાયના દૂધની સાથે આમળાના ચૂર્ણનું નિયમિત સેવન કરવાથી આંખનું તેજ વધે છે.

(13) જરૂર પૂરતાં તેજપત્રને પીસી માથા પર (કપાળ પર) લેપ કરવાથી માથાનો દુ:ખાવો મટે છે.

(14) કાળા તલ, સાકર અને નાગકેસર રોજ સવારે ખૂબ ચાવીને ખાવાથી મસા શાંત થાય છે.

(15) ભેંસના દૂધમાં સાકર અને એલચી મેળવી ગરમાગરમ દૂધ પીવાથી અનિદ્રામાં લાભ થાય છે.

(16) સૂંઠનું ચુર્ણ એક ચમચી ફાકવાથી ઝાડામાં ફાયદો થાય છે.

(17) વાયુ વધી જવાથી ઊલટી થતી હોય તો અજમો ખાવાથી કે અજમો-મીઠું મોંમા રાખી ચૂસવાથી ઉલ્ટીમાં રાહત થાય છે.

(18) નિયમિત રીતે ત્રિફળાચૂર્ણ ચોખાના ધોવાણ સાથે લેવાથી શ્વેતપ્રદર મટે છે.

(19) કાળી દ્રાક્ષ અને આમળાનો રસ 10 ગ્રામ પ્રમાણમાં અને 5 ગ્રામ મધ મેળવીને પીવાથી એસીડીટી મટે છે.

(20) નિયમિત રીતે કારેલાનો રસ પીવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે.

(21) એલચી, લવિંગ અને જાયફળના ચૂર્ણને મધ અને લીંબુથી બનાવેલ ચામાં મેળવીને પીવાથી કબજિયાતમાં આરામ થાય છે.

(22) કાળા મરીનું ચૂર્ણ સાકર નાખેલા ગરમ ગરમ દૂધ સાથે પીવાથી અવાજ ખૂલે છે.

(23) કડવા લીમડાની અંતરછાલનો ઉકાળો બનાવી તેમાં મધ નાખીને પીવાથી લાભ થાય છે.

(24) ઘી અને ગોળ સાથે આમળાંના ચૂર્ણની ગોળીઓ બનાવી લેવાથી પેશાબની બળતરા મટે છે.

(25) અજમો, તુલસીના પાનનું ચૂર્ણ અને સૂંઠનું ચૂર્ણ સમાન ભાગે લઈ તેમાં મધ નાખીને પીવાથી તાવમાં ફાયદો થાય છે.

(26) તલનું તેલ નિયમિત રીતે એક ચમચાની માત્રામાં પીવાથી વજન ઘટે છે.

(27) અશ્વગંધા, શતાવરી, યષ્ટિ મધુ ચૂર્ણ અને ગળો ચૂર્ણનું નિયમિત દૂધ સાથે સેવન કરવાથી શક્તિ વધે છે.

(28) રોજ રાત્રે મધ, લીંબુ, ગ્લિસરીન અને ગુલાબજળ મેળવી, પેસ્ટ જેવું બનાવી ત્વચા પર ઘસીને માલિશ કરવાથી ત્વચા સુંવાળી બને છે.

(29) લીમડાનો રસ નિયમિત પીવાથી ડાયાબિટીસ મટે છે. હળદળ એક ચમચી અને આમળાંનું ચૂર્ણ એક ચમચી ભેગાં કરી રોજ સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસમાં ખૂબ રાહત થાય છે.

(30) મરી, તજ અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે. સૂંઠ, તલ અને ખડી સાકરનો ઉકાળો કરીને પીવાથી પણ શરદી, સળેખમ મટે છે.

સાભાર
Raj Parmar Ayurvedic Jivanshaili

Wednesday, September 16, 2020

કોરોનાની સફર....જાણો...

કોરોના વાયરસ શરીરમાં કઈ રીતે પ્રવેશે છે અને કેવા કોમ્પ્લીકેશન્સ પેદા કરે છે.?*

આ નાનકડો વાયરસ મૂળ ૩ ભાગનો બનેલો છે.

1) એના કેન્દ્રમાં રહેલું RNA જેમાં એની જેનેટિક માહિતી છે.
2) આ RNA ની ફરતે તેની રક્ષા કરતી પ્રોટીનની દીવાલ.
3) આ દીવાલ ફરતે આવેલી લિપિડનું ૧ આવરણ..

આમ આ વાયરસ એની પ્રોફાઇલ બનાવે તો સીધી લીટીનો લાગે.જ્યાં સુધી આ શરીરમાં ઘૂસે નહિ ત્યાં સુધી આ વાયરસ નિર્બળ છે. *સાવ સાદા સાબુ વડે કે સેનેટાઈઝરથી એને ખતમ કરી શકાય,માસ્ક વડે એન્ટ્રી રોકી શકાય.*

*_માટે માસ્ક ને સેનેટાઈઝર જ સૌથી મોટો ઉપાય છે._*
પણ ૧ વાર એની એન્ટ્રી શરીરમાં થઈ ગઈ પછી એનું તોફાન શરૂ થાય છે.હાલ મળતી જાણકારી મુજબ

*એ શ્વસનતંત્ર થી જ એન્ટ્રી મારે છે.એટલે મો ને નાક મુખ્ય પ્રવેશ દ્વાર. કોરોનાનો પ્રવાસ હવે કઈ રીતે થાય છે તે જોઈયે..*
*પ્રવેશ ને પ્રવાસ:-*

વાયરસની સપાટી પર જે પ્રોટીન છે એ ચોક્કસ આકારની ચાવી છે.આ પ્રોટીનને સ્પાઇક પ્રોટીન કહેવાય,કાંટાળી વાડમાં ગાંઠ મારેલા તાર કેવા ઉપસ્યા હોય એવો જ કાંટાળો તાજ કોરોનાનો હોય છે.આ સ્પાઇક પ્રોટીનને ચાવી સમજો,હવે આ ચાવી કયું તાળું ખોલશે.? જે એના માપનું હશે એ,હવે આપણાં શરીરમાં એના માપના તાળાં અમુક જ જગ્યાએ જોવા મળે છે.

એમાંની ૧ જગ્યા ફેફસા છે.આ ફેફસાના કોષની દીવાલ પર ACE 2 નામનું તાળું છે.ACE 2 (એન્જિયો-ટેનસીન કન્વર્ટિંગ એન્જાઇમ- 2.)પણ ૧ જાત નું પ્રોટીન જ છે.આનું મુખ્ય કામ બ્લડ પ્રેશર સંબંધિત છે.

આ ACE 2 તમને ફેફસા,હૃદય,કિડની અને આંતરડાના કોષ પર જોવા મળે છે.

વાયરસ ગોતે છે કે ACE 2 ક્યાં છે અને ત્યાં જઈને બેસે,એના સ્પાઇક પ્રોટીનનો ઉપયોગ કરીને ફેફસાના કોષનું તાળું તોડે.તાળું તોડીને ૧ વાર અંદર એન્ટ્રી મળી ગઈ એટલે વાયરસનું કામ આસાન. કોષમાં જે જેનેટીક મટિરિયલ બનાવતી ફેકટરી પર કબ્જો કરી ચૂપચાપ પોતાનો કોડ અંદર નાખી પોતાના જેવા બીજા લાખો વાયરસ પેદા કરે.આ વાઇરસ શરીરના અનેક chemotaxis ની મદદથી પ્રવાસ કરે છે.

*આ કામ એટલું ગુપચુપ ચાલે કે ૧૦ થી ૧૪ દિવસ સુધી વાયરસ ગંધ જ ના આવવા દે.આ તમે જે કહો છે ને અસિમ્ટોમેટિક પેશન્ટ એટ્લે આ જ શરીરમાં કોઈ લક્ષણ જ પેદા ના થાય પણ4 વાયરસ અંદર હોય.આ ટાઈમમાં વાયરસ શરીરની સિક્યોરિટી સિસ્ટમને ધોખો આપીને પોતાનું કામ પતાવી દે.*

*કાર્ય :-*
Hypoxia:- કોરોના વાયરસ હિમોગ્લોબીનની ઓક્સિજન વાહનની ક્ષમતા ઘટાડે છે કેમકે વાયરસ હિમ સાથે સંયોજન બનાવી prophyrin બનાવે છે અને Iron ફ્રી રેડીકલ તરીકે રક્તમાં ફરે છે જે શરીર માટે ટોક્સિક છે.આ ઉપરાંત શરીરમાં ઓક્સિજન(O2)ની માત્રા ઓછી થાય છે.(Hypoxia) અને કાર્બન ડાયોક્સાઇડ (Co2) ની માત્રા વધે છે જે શરીર માટે ઘાતક છે.

*Auto immune response:-* આ દરમિયાન આપણાં શરીરની રોગ પ્રતિકાર શક્તિ કાર્યરત બને છે.

*જે તાવ,શરદી, દુખાવો એવું બધુ કરીને આપણને ચેતવણી આપે છે કે અંદર કઈક ઠીક નથી.કોરોનાના કેસમાં આપણાં શરીરની રોગ પ્રતિકાર શક્તિ કાર્યરત થતા ૧૦-૧૨-૧૪ દિવસ નીકળી જાય છે.*

હવે જે થાય છે એ સમજવા જેવુ છે.શરીરની રોગ પ્રતિકાર શક્તિ હવે વધુ તીવ્રતાથી સક્રિય થાય છે. આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડ કેવી નીકળે તેમ શરીરની ઇમ્યુન સિસ્ટમ રોગ પ્રતિકાર શક્તિ પણ એકા એક અલર્ટ મોડમાં આવી જાય અને સાયટોકાઇન્સ (Cytokines) કહેવાતા સૈનિકોની મોટી ટીમ મોકલે.

(આ ટીમમાં અલગ અલગ ઇન્ટર લ્યુકિન્સ ઇન્ટર ફેરોન અને બીજા પ્રોટીન હોય છે) આ ટીમ યાહોમ કરી વાયરસ પર કૂદી પડે છે અને એના પર ફરી વળે છે.

ટૂંક જ સમયમાં વાયરસને ચારો તરફથી ઘેરીને એનું ઢીમ ઢાળી દેવાય છે,પણ અહીથી બીજી તકલીફ શરૂ થાય છે.આ સૈનિકોની ટીમને એટલો અચાનક સંદેશો મળે છે કે તૈયારીનો ટાઈમ જ નથી મળતો.એ વાયરસ પર તો અટેક કરે જ છે સાથે સામાન્ય નોર્મલ કોષ ને નુકસાન કરે છે.એમને બધા ૧ જેવા જ દેખાય છે.આ બધા કોષ મરવા લાગે છે

અને હવે ફેફસામાં એ મૃત કોષનું પાણી ભરાવાનું ચાલુ થાય છે.જેને આપણે સાદી ભાષામાં ન્યુમોનિયા કહીએ છીએ.બીજી ભાષામાં એકયુટ રેસપાયરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ ARDS કહે છે.

હવે ફેફસાએ પોતાનું કામ બંધ કર્યું તો શરીરમાં ઓક્સિજન વાળું ચોખ્ખું લોહી ફરશે કેમ.?,આના લીધે હ્રદય પર એટલું દબાણ આવી જશે કે એની સિસ્ટમ પણ ફેઇલ જશે.

કિડની મગજ બધાના બળતણ જેવો ઓક્સિજન જ ખલાસ થઈ જશે,એટલે એ પણ ફેઇલ જશે.સરવાળે જોખમ વધી જાય છે.બીજુ રોગ પ્રતિકાર શક્તિના અચાનક સક્રિય થવાનું પ્રેશર શરીરની સિસ્ટમ સહન કરી શકતી નથી.

રક્તવાહિનીઓ માં સોજા ચડે છે,લોહી પણ ગંઠાવા માંડે અને એ ગાંઠો શરીરના તંત્રમાં ફરવા લાગે. ફેફસા ને હૃદયને વધુ નુકશાન પહોચાડે.આમ સરવાળે મૃત્યુ થઈ શકે છે.

*પણ આવું બધા જ કોરોના સંક્રમિત વ્યક્તિઓને થાય છે.?*
જવાબ છે ના.. *આ ફક્ત વધુ ઉમ્મર કે રિસ્ક ફેક્ટર ધરાવતી વ્યક્તિઓ ને જ થાય,બાકી બધામાં દવા થી અથવા પ્રાકૃતિક રોગ પ્રતિકાર શક્તિથી પરિસ્થિતિ નિયંત્રણમાં રહે છે.*
મોટા ભાગના એટલે કે 80% જેવા દર્દીઓ સાવ હળવા લક્ષણ કે જરા પણ લક્ષણ ધરાવતા નથી.મૃત્યુ પામનાર ની સંખ્યા ૩ થી ૪ % જેટલી છે તેથી ડરવાની જરૂર નથી,ટેસ્ટ માં પણ ડરવાની જરૂર નથી.સાવચેતી અને સમજદારી જ જરૂરી છે.

આશિર્વાદ અને દુવા

આશિર્વાદ અને દુવાની વાત ને વર્ણવતો એક અદ્ભૂત પ્રસંગ....!!


એક ખુબજ જૂનાં સમય નો પ્રસંગ છે, એક ગામડા ગામનો અભણ યુવાન, ઉનાળા નાં દિવસો મા સેવા નાં ભાવ સાથે વગડા મા પાણી નું પરબ ખોલે છે, રસ્તા મા આવતાં જતા મુસાફરો પાણી પીઈને તરસ છીપાવે છે, આ પરબ ઉપર રોજ ચાર જણા આવે છે, પાણી પીવે, થાક ઊતરે ત્યાં સુધી પેલા યુવાન સાથે વાતો કરે, અને વળી જતા રહે, આ રોજ નૉ ક્રમ બની ગયો, એક દીવસ પેલો યુવાન પૂછે છે કે મિત્રો તમે રોજ મારે ત્યાં આવો છો, પાણી પીવો વાતો કરો અને જતા રહો છો, તો મને એટલું બતાવો કે તમે કોણ છો.? ક્યાં થી આવો છો અને ક્યાં જાવ છો?, પેલા ચારે જણ ક્હે છે કે દોસ્ત અમારી ઓળખાણ કાઢવી રહેવા દે, પેલો યુવાન આગ્રહ કરે છે કે નાં, તમે તમારી ઓળખાણ આપો, પેલા લોકો ક્હે છે કે દોસ્ત કાળજું કઠણ કરી ને સાંભળ અમે યમના દુતો છીએ, હે..? તો કે હા અમે યમનાં દુતો છીએ, અને રોજ જીવને લેવા જઇએ છીએ, વાત સાંભળતા યુવાન ક્હે છે કે ભાઈ તમે મારૂં એક કામ કરશો.? દુતો કહે છે કે ભાઈ રોજ તારૂ પાણી પીઈએ, તારી સાથે વાતો કરીએ, તારૂ કામ કેમ નાં કરીએ..? યુવાન કહે છે કે દોસ્તો મારે મારૂ મૃત્યુ જાણવું છે, તમે કાલે આવો ત્યારે મારૂ મૃત્યુ જાણતા આવજો, ભલે કહીને દુતો જતા રહયા, બીજા દિવસે દુતો આવી ને કહે છે કે દોસ્ત તારૂ મૃત્યુ તારી પરણ્યા ની પહેલી રાત્રીએ સર્પ દંશ થી થશે, આટલું બોલતાં દુત રડી પડ્યો, પેલો યુવાન ક્હે છે, ભાઈ તુ કેમ રડે છે?, દુત ક્હે છે મિત્ર તને કરડવા માટે નૉ સાપ બનવાનો મારો વારો છે,! યુવાન પૂછે છે કે મિત્રો મૃત્યુ થી બચવું હોય તો કઈ રીતે બચી શકાય, દૂતો કહે છે કે ભાઈ મૃત્યુ એ દુનિયા નો અટલ નિયમ છે, વિધાતા નાં લેખ ને કોઈ રોકી ના શકે.! તેમ છતા તૂ લગ્ન નાં કરે તો કદાચ બચી શકાઈ,

આ બાજુ યુવાન નાં લગ્ન ની વાતો ચાલે છે, યુવાન લગ્ન કરવાની નાં ક્હે છે, પરંતુ માની મમતા અને પીતા નાં પ્રેમ આગળ યુવાન ને જૂકવૂ પડે છે, ટૂંકમાં યુવાન નાં લગ્ન થયાં, પરણ્યા ની પહેલી રાત્રિ એ પોતાની દુલ્હન ને મળવા જાય છે, નવોઢા અન્ન નાં થાળ રાંધી ને મેડી ઉપર પોતાના પતી ની આવવાની રાહ જોઈને બેઠી છે,યુવાન અડધો દાદર ચડ્યો, ત્યાં પેલો દૂત સાપ બની ને બેઠો છે, યુવાને આવીને દૂત ને કીધું તુ મને જલ્દી ડંખ મારી ને તારી ફરજ પુરી કર, સાપ ક્હે છે ભાઈ તારા મૃત્યુ ને હજી અડધા કલાક ની વાર છે, હુ તને અત્યારે કરડીશ તો તારે અડધો કલાક દુઃખી થવું પડશે, એનાં કરતા હુ અડધા કલાક પછી તને ડંખ મારૂં જેથી કરીને તારે દુઃખી નાં થવું પડે, આ બન્ને ની વાત પેલી નવોઢા ઉપર નાં ઓરડામાં સાંભળે છે, નવોઢા જાણી ગઇ કે મારો પતી ઓરડા સુધી પહોંચવાનો નથી,,! 

આ બાજુ ગામનાં પાદરમાં કોઈ ગરીબ મજૂરો આવીને પડેલા છે, અડધી રાત્રિ એ મજૂર ની સ્ત્રી ને પ્રસુતિ ની પીડા ઉપડે છે, બાળકનો જન્મ થયો, પેલી ઔરત પોતાના પતી ને ક્હે છે કે મને જલ્દી ખાવાનું લાવી આપો, મને પેટમા વાઢ ઉપડી છે, તમે જલ્દી ખાવાનું લાવો, નહિતર હુ આ બાળકને ખાઈ જઈશ, પુરૂષ કહે છે કે આ અજાણ્યા ગામમાં અડધી રાત્રી એ મને ખાવાનું કોણ આપશે.? સ્ત્રી આશ્વાસન આપે છે કે તમે જાવ તો ખરાં કોઈ દયાળુ મળી જશે, પુરુષ ઊભી બજારે અડધી રાત્રિ એ પોકાર કરે છે, કે છે કોઈ દયાળુ, છે કોઈ હરિનો લાલ કે મારી ઔરત નું અન્ન થી પેટ ઠારે, આ પોકાર મેડી ઉપર નવોઢા નાં કાને પડે છે, નવોઢા ને થાય છે કે થોડી વારમાં પતી મૃત્યુ પામવાનો છે, આ અન્ન નાં થાળ આ શણગાર થોડી વાર મા રોળાઇ જવાના છે, સાડી વાટે પેલું અન્ન એ પુરુષ ને આપે છે, પુરુષ પોતાની સ્ત્રી ને આપે, સ્ત્રી નાં પેટનો ખાડો પુરાણો, નાભી માંથી આશિર્વાદ નીકળ્યા કે હે પરમાત્મા મારૂ પેટ ઠારનાર નું પેટ ઠારજો, એનો ચુડેલો અમર રાખજો, એનું સૌભાગ્ય અખંડ રાખજો, આશિર્વાદ નો ધોધ યમરાજા ના ચોપડા મા કંડારાઇ ગયો સાહેબ..! 

આ બાજુ સમય પુરો થયો સાપ ડંખ મારે છે, પરંતુ યુવાન ને કાઈ થતુ નથી, દૂત અનેક પ્રયાસ કરે છે, છતા યુવાન ને ઝેર ચડતું નથી, દૂત દોડતો યમરાજ પાસે આવી ને ક્હે છે કે માલીક આપણી કાંઈક ભુલ થાય છે, પેલા યુવાન ને ઝેર ચડતું નથી, અને નથી એનું મૃત્યુ થતુ,! યમરાજ ચોપડો ખોલી ને જુવે છે, દુત ને ક્હે છે તારે માત્ર એક સેકન્ડ નો ફેર પડી ગયો, તારા ડંખ ની પહેલા, ગરીબ બાઈ નાં આશિર્વાદ પહોચી ગયા, તુ કે હુ, હવે એને મારી નહીં શકીએ,,!!

સાહેબ કોઈની સેવા, કોઈ ભૂખ્યા માણસ નાં આશિર્વાદ અને દુવા શુ નાં કરી શકે.? કોઇના આત્મા ને ઠારવાનું કામ વિધાતા નાં વિધાન ને ખોટા પાડી શકે છે, જીવન મા જ્યારે મોકો મળે ત્યારે કોઈની દુવા લેવાનું ચુંકવૂ નાં જોઈએ, દુવા અને આશિર્વાદ મા બહૂ તાકાત છે સાહેબ, ગમે તેવા સંકટૉ અને મુસીબતો આશિર્વાદ થી ટળી જાય છે, અને કોઈની બદ દુવા કે કોઇના આત્મા ને બાળવાનું કામ તમારાં ગમે તેવા સુખ કે સામ્રાજ્ય ને ઘડી નાં છઠા ભાગમાં હતાં નહોતા કરી શકે છે, માટે જીવન મા હમેશા ભલાઈ કરવી, ભલાઈ ભલભલા સંકટ ને દુર કરે છે, વિધિના વિધાન અને ઇશ્વર નાં ચોપડા ને પણ ખોટા પાડી શકે છે...!
*.......... ૐ નમો નારાયણ 👏🏼


સાભાર :-
મિત્ર હરિ આહીર ની fb દીવાલ પરથી..

https://www.facebook.com/100002156651789/posts/3332932363455286/






Monday, September 14, 2020

ગોપનાથ મહાદેવ

પાંચ હજાર વર્ષ પહેલા શ્રીકૃષ્ણે ગાેપ લોકો સાથે સ્થાપેલું

ગોપ ડુંગર ઉપર બિરાજમાન ગોપનાથ મહાદેવનું મંદિર

નજીકમાં પ્રાચિન સુર્યરન્નાદે મંદિર આવેલું છે

જામજોધપુરતાલુકાના ગોપ માઇન્સ ગામે ગોપના ડુંગર ઉપર શ્રી ગોપનાથ મહાદેવનું ઐતિહાસિક અને પુરાણોમાં જેનો ઉલ્લેખ છે તે ગોપનાથ મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે.

ઇતિહાસ પ્રમાણે ગોપનાથની બાજુમાં ઝીણાવારી ગામ છે ત્યાં એક રાક્ષશે 16 હજાર ગોપ કન્યાઓને પુરીને રાખેલી અને તેનું શોષણ કરતો હતો વાતની જાણ શ્રીકૃષ્ણને થતા તેમણે અહી આવીને ગોપ કન્યાઓને મુકત કરાવી રાક્ષસનો વધ કર્યો હતો આજે પણ ઝીણાવારી ગામે શ્રીકૃષ્ણના પગલા તથા ગોપ કન્યાઓને જયાં પુરી રાખેલી તે ગુંફાઆે આવેલી છે તથા અહી અત્યંત પ્રાચીન સૂર્ય રન્નાદે મંદિર પણ આવેલું છે.

ગોપનાથ મંદિરના મહંત દ્વારા કોઇપણ જાતની સરકારી સહાય વગર ડુંગર ઉપર સુધી ચડી શકાય તેવા રસ્તાનું નિર્માણ કાર્ય ચાલુ છે જેથી પોણા ભાગની ઉંચાઇ સુધી તેા હાલ મોટરકાર પણ ચડી જાય છે જેથી વૃધ્ધ અને અશકત ભાવિકો દર્શન કરી શકે. ગોપ કન્યાઓને મુકત કરીને ગોપ લોકોની યાદમાં ગોપનાથ ડુંગર પર ભગવાન શ્રીકૃષ્ણએ ભવ્ય શિવલીંગની સ્થાપના કરી તે ગોપનાથ મહાદેવ જે અત્યંત ભવ્ય અને પાંચ હજાર વર્ષ જુના શિવલીંગના દર્શનાર્થે શ્રાવણ માસમાં ભાવિકો ઉમટે છે.

ડુંગર પર બિરાજમાન શ્રી ગોપનાથ મહાદેવનું ઐતિહાસિક મંદિર.

ઘરગથ્થુ ઇલાજ

આપણા પૂર્વજો વાપરતા હતાં આ ઘરગથ્થુ ઇલાજ જે આપણે ભુલી જ ગયા...

●તાવ શરદી માં તુલસી,
●કાકડા માં હળદર,
●ઝાડા માં છાશ જીરું,
●ધાધર માં કુવાડીયો,
●હરસ મસા માં સુરણ,
●દાંત માં મીઠું,
●કૃમી માં વાવડિંગ,
●ચામડી માં લીંબડો,
●ગાંઠ માં કાંચનાર,
●સફેદ ડાઘ માં બાવચી,
●ખીલ માં શિમલકાંટા,
●લાગવા કે ઘા માં ઘા બાજરીયું,
●દુબળા પણાં માં અશ્વગંધા,
●નબળા પાચન માં આદુ,
●અનિંદ્રા માં ગંઠોડા,
●ગેસ માં હિંગ,
●અરુચિ માં લીંબુ,
●એસીડીટી માં આંબળા,
●અલ્સર માં શતાવરી,
●અળાઈ માં ગોટલી,
●પેટ ના દુખાવા માં કાકચિયા,
●ઉધરસ માં જેઠીમધ,
●પાચન વધારવા ફુદીનો,
●સ્ત્રીરોગ માં એલોવીરા અને જાસૂદ,
●શરદી ખાંસી માં અરડૂસી,
●શ્વાસ ખાંસી માં ભોંય રીંગણી,
●યાદશક્તિ વધારવા બ્રાહ્મી,
●મોટાપો ઘટાડવા જવ,
●કિડની સફાઈ કરવા વરિયાળી,
●તાવ દમ માં ગલકા,
●વા માં નગોડ,
●સોજા કે મૂત્રરોગ માં સાટોડી,
●કબજિયાત અને ચર્મ રોગ માં ગરમાળો,
●હદયરોગ માં દૂધી,
●વાળ નું સૌંદર્ય વધારવા જાસૂદ,
●દાંત અને ચામડી માટે કરંજ,
●મગજ અને વાઈ માટે વજ,
●તાવ અને અરુચિ માટે નાગર મોથ,
●શરીર પુષ્ટિ માટે અડદ,
●સાંધા વાયુ માટે લસણ,
●આંખ અને આમ માટે ગુલાબ,
●વાળ વૃધી માટે ભાંગરો,
●અનિંદ્રા માટે જાયફળ,
●લોહી સુધારવા હળદર,
●ગરમી ઘટાડવા જીરું,
●ત્રિદોષ માટે મૂળા પાન,
●પથરી માટે લીંબોળી અને પાન ફૂટી,
●કફ અને દમ માટે લિંડી પીપર,
●હિમોગ્લોબીન માટે બીટ અને
ફિંદલા,
●કંપ વા માટે કૌચા બી,
●આધાશીશી માટે શિરીષ બી,
●ખરાબ સ્વપ્ન માટે ખેર,
●ફેક્ચર માટે બાવળ પડીયા,
●માથા ના દુખાવા માટે સહદેવી,
●આંખ કાન માટે ડોડી ખરખોડી,
●ડાયાબીટીસ માટે ગળો અને આંબળા નો ઉપયોગ કરવો...!!
●આપણા પૂર્વજો આ બધુંય વાપરતાં હતાં... કયારેય એમને આજકાલ ની બીમારી નહોતી થાતી..

આપણે નવી પેઢીને કાંઈ પણ થાય... ડોક્ટર પાસે દોડી જતાં થઇ ગયાં... એલોપથી દવા ખાઈ ખાઈ.. શરીરની રોગ પ્રતિકાર શક્તિ નો નાશ વાળી દીધો ...
દેશી જીવન પર પાછા વળીએ,અને સારું સ્વાસ્થ્ય મેળવીએ.
●ઘરમાં રહેશો તો જ સ્વસ્થ રહેશો.

Wednesday, September 9, 2020

કમ્પ્યુટર પેઢી (કમ્પ્યુટરનો ઇતિહાસ)

પ્રથમ પેઢી :- (1945-1955) Machine language

કમ્પ્યુટ એટલે ગણતરી કરવી. એનિઆક ગણતરી કરી શકતું હોવાથી તે કમ્પ્યુટર કહેવાયું. તેમાં 18000 ટ્યુબ ગોઠવવામાં આવી. તે 1 સેકન્ડમાં 5000 સરવાળા અને 500 બે અંકના ગુણાકાર કરી શકતું. એનિઆકને હાલના કમ્પ્યુટરના પિતામહ તરીકે ગણી શકાય. તે વિશાળ જગ્યા રોકતું હતું. આવાં કમ્પ્યુટર શરૂ થતાં 52 મિનિટનો સમય લાગતો હતો. આ પેઢીના કમ્પ્યુટરમાં એકવાર પ્રોગ્રામ લખ્યા પછી સુધારા થઈ શકતા ન હતા. 1951 માં મોચલી અને એકર્ટ દ્વારા IBM UNIVAC 1 (Universal Automatic Computer) બનાવવામાં આવ્યું હતું.

 બીજી પેઢી:- (1955-1965) Assembly language

1948 માં વિલિયમ શોકલીએ ટ્રાન્ઝીસ્ટરની શોધ કરી. તેનાથી કમ્પ્યુટરનુ કદ નાનું થયું. વીજ વપરશ ઘટ્યો અને ઝડપ વધી. હવે યાંત્રિક ભાષામાં (Machine Language) કામ કરવાને બદલે ALGOL અને FORTRAN જેવી એસેમ્બલી લેંગ્વેઝમાં કામ કરવાનું શક્ય બન્યું. IBM 1620 એ બીજી પેઢીનું કમ્પ્યુટર છે. મશીન લેંગ્વેઝની તકલીફોને નિવારવા એસેમ્બલી લેંગ્વેઝનો ઉપયોગ આ સમય દરમ્યાન થવા લાગ્યો.

 

ત્રીજી પેઢી :- (1965-1980) Higher Level Language (Compiler-Translator-Interpreter)

પ્રોગ્રામીંગની ભાષા સમજવા માટે કમ્પ્યુટર દ્વારા ઉપયોગમાં લેવાતા સોફ્ટવેરને કમ્પાઈલર કહે છે. C, COBOL, JAVA વગેરેઆ પ્રકારનાં કમ્પાઈલર છે. 1958 માં જેક કિલ્બીએ સિલિકોનની ચિપની શોધ કરી. Integrated Circuit (IC) તરીકે ઓળખાતી એક ચિપ પર તેણે ઘણા બધા ટ્રાન્ઝીસ્ટર લગાડ્યા. આ ચિપના કારણે કદમાં ઘટાડો થતાં એક ટેબલ પર મૂકી શકાય એવા કમ્પ્યુટરનું નિર્માણ થઈ શક્યું. IBM 360, PDP 8  અને PDP 11 ત્રીજી પેઢીનાં કમ્પ્યુટરનાં ઉદાહરણ છે.

 

ચોથી પેઢી :- (1980-89) Structured Query Language

Semi-Conductor Technology ના કારણે કમ્પ્યુટરની ગતિમાં વધારો અને કદમાં ઘટાડો થયો. આ ટેકનોલોજી LSI ( Large scale integration) / VLSI ( Very Large scale integration) તરીકે ઓળખાય છે. 1969 માં ટેડ હોફ નામના વૈજ્ઞાનિકે માઈક્રો પ્રોસેસર ચિપની શોધ કર્યા બાદ તેનો આ સમયગાળા દરમ્યાન વિશેષ ઉપયોગ થયો. ચોથી પેઢીના કમ્પ્યુટરમાં CRAY શ્રેણીના સુપર કમ્પ્યુટરનો સમાવેશ થાય છે. આ પેઢીનાં કમ્પ્યુટર અંગત ઉપયોગ માટે વધુ વપરાતાં હોવાથી તે Personal Computer (PC) કહેવાયાં. IBM PC અને APPLE 2 એ આ શ્રેણીનાં કમ્પ્યુટરનાં ઉદાહરણ છે.

 

પાંચમી પેઢી :- (1989 પછી) Artificial Intelligence

આ કમ્પ્યુટર પોર્ટેબલ અને સગવડભર્યાં બન્યાં. આ પેઢીનાં કમ્પ્યુટરની મુખ્ય લાક્ષણિકતાઓમાં ઓપ્ટીકલ ફાઈબર અને કૃત્રિમ બુદ્ધિનો સમાવેશ થાય છે. રોબોટના પ્રોગ્રામિંગમાં આ પ્રકારની ભાષાનો ઉપયોગ થાય છે. IBM Notebook, PENTIUM PC અને PARAM 10000 એ આ પેઢીનાં ઉદાહરણ છે.

શિક્ષક કર્મ (માનવમનની ખેતી)

ઘણીવાર વર્ગખંડમાં જાઉં ત્યારે સામે રહેલી પચાસથી વધુ જીવંત આંખોને જોઉં અને થઇ આવે કે પ્રત્યેક આંખોનું કૂતુહલ છે, પ્રત્યેકના પ્રશ્ન અલગ છે, શું ચાલતું હશે એમના મનમાં? આજની એની સવાર કેવી હશે?

કોઇક ચહેરો શાંત, કોઇક અજંપાગ્રસ્ત, કોઇકની આંખોમાં ઉજાગરો, કોઇકની આંખોમાં આનંદ અને ક્યાંક પીડા.
આ સૌને એક કલાક મારે તો મારો વિષય ભણાવીને નીકળી જવાનું હોય છે, પણ મારે વર્ગમાંથી નીકળતી વખતે એક સંતોષ જોવો હોય છે દરેક આંખોમાં..!

કારણકે આ મારા વિદ્યાર્થીઓ છે, જીવતી ચેતના.
આ કોઇ મશીન નથી.
કઇ રીતે લેક્ચર શરુ કરું એવું થઇ આવે ત્યારે,
મનમાં ઉપનિષદનો મંત્ર ૐ સહનાવવતુ જપી લઉં છું,
અને
આંખ બંધ કરી મારા શિક્ષકોને યાદ કરી લઉં છું.

બહુ મોટી જવાબદારી હોય છે, અમારા શિક્ષકો પર.
ઇશ્વરે આપેલું સર્વશ્રેષ્ઠ કાર્ય એટલે શિક્ષણકાર્ય.

વેદ-આજ્ઞામાં માં-બાપ પછી આચાર્યને દેવ ગણવાની આજ્ઞા છે.

આ કાર્યમાં અદ્ભૂત સંતોષ મળે છે,
કેટલાય વિદ્યાર્થીઓ ફેમિલી મેમ્બર બની જાય છે,
અને તમે જેને સૌથી વધારે તતડાવ્યા હોય એ જ તમને જતા જતા કહી જાય કે સર, એ દિવસે જો તમે જવા દીધો હોત તો હજી અટવાતો જ હોત.

અભિમાનથી કહી શકીએ છીએ કે વિદ્યાર્થીને હાથો બનાવી મેલી રમતો રમતા નથી,
વિદ્યાર્થીને કસ્ટમર ગણી માપ-તોલના પ્રપંચ કરતા નથી,
અંગત સ્વાર્થ માટે ક્યારેય વિદ્યાર્થીનું અહિત કરતા નથી.

ગર્વ છે કે શિક્ષક છીએ
અને
અનેકગણો ગર્વ છે કે અમારા શિક્ષકો થકી આજે અમે અહીંયા છીએ.

હા,
અમે શિક્ષકો ખરેખર તો ખેડૂત છીએ,
અમે માનવમનની ખેતી કરીએ છીએ..!

Friday, September 4, 2020

આત્મવિશ્વાસને અડગ રાખવાના સાત ઉપાયો કયા?

એક જ દે ચિનગારી - ગુજરાત સમાચાર

✒લેખક: શશિન્

- 'કોઈપણ નવજવાનના જીવન ઇતિહાસમાં સૌથી ખરાબ સમય એ છે, જ્યારે તે એ વાતના અભ્યાસમાં પરોવાય કે જાતે રૂપિઆ કમાયા સિવાય અન્ય કઇ-કઇ રીતે રૂપિઆ મેળવી શકાય ?'

નાનકડી નદીને એક કાંઠે ઉભેલા માણસે મેગાફોન દ્વારા સામે કિનારે ઉભેલા માણસને પૂછ્યું ઃ 'તમે કેટલા ઊંડા પાણીમાંથી પસાર થયા ? પાણીની નીચે ખાડા-ટેકરા હતા ? તમને જળચર પ્રાણીનો ભય સતાવતો હતો ? ડૂબવાની આશંકા હતી ? તમારા જવાબ સાંભળ્યા બાદ હું નદીમાં ઝંપલાવીશ.'

પેલા માણસે સામે કિનારેથી જવાબ આપ્યો ઃ 'તમે નદીમાં ઝંપલાવી નહીં શકો. પ્રશ્નો તમારી સક્રિયતાને રોકે છે. તમારામાં આત્મવિશ્વાસ નથી. બહેતર છે કે તમે ઘેર જઇને રજાઈ ઓઢીને સૂઈ જાઓ. આત્મવિશ્વાસ વગરના માણસને હંમેશાં કાયરતાની ટાઢ ચઢતી હોય છે. અંદરથી ખાલી માણસો માત્ર મનમાં શંકા કુશંકાની ઝાડી ઉગાડે છે. આત્મવિશ્વાસ શૂન્ય માણસોની સારવાર માટે હજી કોઈ ઇસ્પિતાલ શોધાઈ નથી.'

આત્મવિશ્વાસ પ્રગતિ અને સફળતા માટેનું ટોનિક છે. ડર એ માણસે પોતાની જાત પર જાતે લાદેલો કર છે, જે અંતે નિષ્ફળતાનું વૉરન્ટ બજાવી નાસીપાસ કરી મૂકે છે.

'સદાય સક્રિય રહીશ' એ જીવનમંત્ર આશાન્વિત રહેવાની ચાવી છે. દુઃખમાં પણ સક્રિય, સુખમાં પણ સક્રિય, જયમાં પણ સક્રિય અને પરાજય ખંખેરી નાખવામાં પણ સક્રિય. બર્નાડ શો એટલે જ કહેતા કે તમે જે કાંઈ ઇચ્છો તે પ્રાપ્ત કરવા માટે સતત વિચારતા રહો, નહીં તો તમારે લાચાર બનીને એવી પસંદગીના શરણાગત બનવું પડશે, જે તમે નહોતું ઇચ્છ્યું. માણસની કરુણતા એ છે કે એ બીજી બધી જ બાબતો કે માણસો પર વિશ્વાસ રાખે છે પણ પોતાની જાત પર વિશ્વાસ નથી રાખતો.

એક માણસને પૂછવામાં આવ્યું કે તમે કયો બિઝનેસ કરવા ઇચ્છો છો ? એણે વળતો જવાબ આપ્યો કે ત્રણ-ચાર જગાએ લાઈસન્સ માટે અરજી કરી છે. જ્યાંથી મંજૂરી મળે તે ધંધો કરીશ.' આવો ડગુમગુ આત્મવિશ્વાસ ધરાવતો માણસ કોઈ પણ ધંધામાં સફળ થશે નહીં. જેનામાં અખૂટ આત્મવિશ્વાસ એ જ સાચો પરાક્રમી, જેનામાં અખૂટ આત્મવિશ્વાસ હોય એને દેવતાઓ પણ પરાજિત કરી શક્તા નથી.

આત્મવિશ્વાસથી મોટું કોઈ એમ્પલોયમેન્ટ એક્સચેઇન્જ સેન્ટર નથી, જે તમને ક્યારેય બેરોજગાર રહેવા નહીં દે. હું ધારું તે કાર્ય કરી શકું છું, એવી પ્રબળ ધારણા જ માણસને ઉત્કર્ષનાં દ્વાર ખોલી આપે છે. આપણે ઇશ્વરને શોધીએ છીએ, પરંતુ ઇશ્વર એવા માણસોને શોધે છે, જેણે આત્મવિશ્વાસને દેવતા માની પોતાનાં હૃદય મંદિરમાં સ્થાપિત કર્યો છે. માણસ લોકોની નજરમાં શ્રેષ્ઠ ઠરવા જેટલી મહેનત કરે છે એનાથી ચોથા ભાગની મહેનત પોતાની જ નજરમાં શ્રેષ્ઠ ઠરવા કરે તો જીવનનો આખો નકશો બદલાઈ જાય ! સકારાત્મક આશાઓ આત્માનો ખોરાક છે.

માણસે પોતાની જાતને સુસંસ્કૃત બનાવવાની પ્રાથમિક આવશ્યક્તા છે. સુસંસ્કૃત માનસ કેવું હોય ? એની વાણી-વર્તનમાં મધુરતા હોય, એના દ્રષ્ટિકોણમાં સમજદારી હોય, એનામાં આત્મસંયમ હોય, વિવેકપૂર્ણ બુદ્ધિમત્તા હોય, હિંમત હોય, આત્મવિશ્વાસનું રસાયણ હોય. હોરેસ ગ્રીટીએ નવજવાનોને પ્રેરક સંદેશો આપતાં કહ્યું છે કે કોઈપણ નવજવાનના જીવનઇતિહાસમાં સૌથી ખરાબ સમય એ છે, જ્યારે તે એ વાતના અભ્યાસમાં પરોવાય કે જાતે રૂપિયા કમાયા સિવાય અન્ય કઇ-કઇ રીતે રૂપિયા મેળવી શકાય ?

રસ્તાની દિશાની જાણકારી મેળવવા માટે હોકાયંત્ર કે નકશો ન હોય તો આત્મવિશ્વાસ વગરના માણસો આગળ વધવાનું માંડી વાળશે. તમારો આત્મવિશ્વાસ સુદ્રઢ હશે તો કુદરત પણ તમને રસ્તો ચીંધવા તૈયાર રહેશે. કહેવાય છે કે એક એવી જાતનું ફૂલ જોવા મળે છે, જે હંમેશાં એક જ દિશા તરફ વળેલું રહે છે. જો કોઈ મુસાફર માટે દિશા જાણવાનાં હાથવગાં સાધનો ન હોય તો ઉત્તર દિશા તરફ નમેલું આ ફૂલ તેને માટે દિશા સૂચક યંત્ર બની શકે છે. આત્મવિશ્વાસ ધરાવતો માણસ કાં તો દિશા શોધી કાઢશે અથવા તો સાચી દિશાનો અણસાર જાતે પારખી લેશે.

પોતાના કાર્યમાં શ્રધ્ધા અને વિશ્વાસ આત્મબળની અખૂટ મૂડી છે. ભૂતકાળનાં રોદણાં રડનાર માણસ કદાપિ અડગ આત્મવિશ્વાસ કેળવી શક્તો નથી. ભવિષ્યમાં નિષ્ફળતા મળશે, એવો શંકાગ્રસ્ત માણસ પણ જીવન સંગ્રામમાં મજબૂત પગે ઊભો રહી શક્તો નથી.પણ જે પોતાના વર્તમાનને આત્મવિશ્વાસના સાધનોથી સજ્જ રાખે છે, તે માણસ કદી પીછેહઠ કરતો નથી ! બીજાને વશ કરવા ઇચ્છનાર માણસે સહુથી પહેલાં પોતાની જાતને વશ કરતાં શીખવું જરૂરી બને છે.

જો તમે તમારી જાત પર વિશ્વાસ ન ધરાવો તો દુનિયાનાં લોકો તમારામાં વિશ્વાસ ધરાવશે, એવું સ્વપ્નમાં પણ કેવી રીતે વિચારી શકો ? મનમાં તરંગોને તોફાન સર્જાતા રહેવાના. અનુચિત ઇચ્છાઓ સર્પની જેમ ફૂંફાડા મારતી રહેવાની, નકારાત્મક વિચારોને જેટલા અંશે તમે દાબી શકશો, આત્મવિશ્વાસની ખુશબો તેટલા અંશે પ્રસરિત રહેવાની. ચિત્ત એ ચિંતામણિ છે, જો તમે એની શુધ્ધતા અને પવિત્રતા સુરક્ષિત રાખી શકો તો. ઇકબાલે એક સરસ વાત કરી છે - આત્મસંશોધન વિશે.

'ઢૂંઢતા ફિરતા હૂં

ઐ ઇકબાલ અપને-આપકો.

આપ હી ગોયા મુસાફિર,

આપ હી મંઝિલ હૂં મૈં'

આત્મવિશ્વાસ અહંકારી બનવાનું શીખવે તો માણસ પરાજયની ખીણમાં હડસેલાઈ જાત. મહાત્મા ગાંધીજી આત્મવિશ્વાસનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે આત્મવિશ્વાસ રાવણના જેવો ન હોવો જોઇએ, જે એમ માનતો હતો કે મારી બરાબરીનુંકોઈ છે જ નહીં. આત્મવિશ્વાસ હોવો જોઇએ વિભીષણ જેવો, પ્રહલ્લાદ જેવો. એમના હૃદયમાં એવો ભાવ હતો કે અમે ભલે સબળ ન હોઇએ, પણ ઇશ્વર અમારી સાથે છે અને તે કારણે અમારી શક્તિ અનંત છે.

પોતાની જાતની ઇજ્જત કરવામાં જે આનંદ છે, તે પારકાંઓ તમારી પ્રશંસા કરે તેના કરતાં અનેક ગણો વધારે છે. પ્રશંસા આત્મવિશ્વાસના દીપકના પ્રકાશને ઝાંખો પાડી દેતી હોય છે.

આત્મવિશ્વાસ સંપન્ન માણસ લાચાર રહેવાને બદલે વિઘ્નો વચ્ચે પણ સફળતાની કેડી કેવી રીતે કંડારી શકે એ સંદર્ભે લંડનના એક માણસનું દ્રષ્ટાન્ત વાંચવા મળ્યું. તે માણસના હાથપગ બન્ને ભાંગી ગયા હતા, પરંતુ તે પોતાના મુખ વડે એવી સરસ રીતે લખતો અને બીજાં કામો કરતો, તેને કારણે તે પોતાના નિર્વાહ કરવાને શક્તિમાન થયો હતો. તે કાગળો લઇ તે વિખૂટા ન પડી જાય એ માટે મોંથી ટાંકણી લગાવતો. ત્યાર પછી મોંથી કલમ પકડી તે લખતો અને લખેલી પંક્તિઓને કલાત્મક રીતે શણગારતો ત્યારબાદ કલમ મોંમાંથી દૂર કરી મુખ વડે જ સોય દોરો લઇને સોયને પરોવતો અને ટાંકા દ્વારા કાગળોને સિવી લેતો. આ તેનો અસમાન્ય પુરુષાર્થ હતો. આત્મવિશ્વાસને અડગ રાખવાના સાત ઉપાયો કયા ?

૧.  સદાય ભયમુક્ત રહો. ડરનો શિકાર ન બનો.

૨.  શંકાયુક્ત રહેવાને બદલે શ્રદ્ધાયુક્ત રહો અને હારના વિચારને જંગલી જાનવર માની તમારા મનપ્રદેશમાંથી હાંકી કાઢો.

૩. જીવનમાં સદાય સક્રિય રહો. પરાજય વખતે પણ જીત પ્રત્યે અશ્રધ્ધાળુ ન બનશો.

૪. હું મારો ભાગ્યવિધાતા બનવા જ સર્જાયો છું, એવી ખુમારી ટકાવી રાખો.

૫. વિપરીત પરિસ્થિતિમાં પણ તમારા જોશને નબળો પડવા દેશો નહીં.

૬. અહંકાર અને પ્રશંસાથી અળગા રહો.

૭. પોતાની જાતનું અવમૂલ્યન ન કરો, પણ હું ઇશ્વરનો વરેણ્ય પુત્ર છું, એટલે સંકટ મને હરાવી શકશે નહીં, એવી આત્મશ્રધ્ધા ટકાવી રાખો.


Source:- https://www.gujaratsamachar.com/
-----------------------------------
ટીમ
✍🏼
*Limited 10 પોસ્ટ* વતી
શ્યામ કારિયા.

(આ પોસ્ટ *કોપી રાઈટ* આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાંચકો *નિજાનંદ* અને માત્ર *માતૃભાષાના પ્રસાર-પ્રચાર* માટે ધબકતું, મારુ *Limited 10 પોસ્ટ*, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

*

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...