ભારતના જાણીતા ગાયક એસ.પી. બાલાસુબ્રમણ્યમ (બાલુ)

ભારતના અતિ જાણીતાં ગાયક એસ. પી. બાલાસુબ્રમણ્યમ નથી રહ્યાં. ૨૫ સપ્ટેમ્બરના રોજ ૭૪ વર્ષની વયે કોરોના વાઈરસને કારણે તેમનું ચેન્નાઈની એમજીએમ હોસ્પિટલમાં નિધન થયું છે. તેમનું પૂરું નામ શ્રીપથી પંડિતારાધ્યુલા બાલાસુબ્રમણ્યમ હતું. તેઓ ‘એસ. પી. બાલુ’, કે ‘એસપીબી’ કે માત્ર ‘બાલુ’ રૂપે પણ જાણીતા હતા. મુખ્યત્વે તેલુગુ, તમિલ, કન્નડ, હિંદી અને મલયાલમ ફિલ્મોમાં મળી તેમણે ૧૬ ભારતીય ભાષાઓમાં ૪૦ હજાર ગીતો ગાયા હોવાનું કહેવાય છે. તેમને શ્રેષ્ઠ ગાયકના છ નેશનલ ફિલ્મ એવોર્ડ્સ મળ્યાં હતાં. તેલુગુ સિનેમામાં તેમના પ્રદાન માટે એસપી ને આંધ્ર સરકાર દ્વારા ૨૫ નાંદી એવોર્ડ્સ અપાયાં હતાં. તેજ રીતે કર્નાટક અને તમિલનાડુ સરકાર દ્વારા પણ તેમને સંખ્યાબંધ એવોર્ડ્સ આપવામાં આવ્યાં હતાં. તેમને શ્રેષ્ઠ ગાયકના ફિલ્મફેર એવોર્ડ સાઉથ પણ મળ્યાં હતાં. ભારતીય સિનેમામાં તેમના પ્રદાન બદલ ૨૦૧૨માં તેમને એનટીઆર નેશનલ એવોર્ડ અને ૨૦૧૬માં તેમને ‘ઇન્ડિયા ફિલ્મ પર્સનાલીટી ઓફ યર’ રૂપે સિલ્વર પીકોક મેડલ અપાયું હતું. એસપી બાલાસુબ્રમણ્યમને ૨૦૦૧માં પદ્મશ્રી અને ૨૦૧૧માં પદ્મભૂષણની નવાજેશ કરાઈ હતી.
એસપી બાલાસુબ્રમણ્યમ તેજસ્વી ગાયક હોવા ઉપરાંત સંગીતકાર, વાદક, અભિનેતા, ડબિંગ આર્ટીસ્ટ અને ફિલ્મ નિર્માતા પણ હતા.
૪ જૂન, ૧૯૪૬ના રોજ ત્યારના મદ્રાસ રાજ્ય અને આજના આંધ્ર પ્રદેશના નેલ્લોર જીલ્લાના કોનેટમ્માપેટ ગામમાં એસપીનો તેલુગુ પરિવારમાં જન્મ થયો હતો. તેઓ નેલ્લોરમાં મોટા થયા. તેમના પિતાજી એસપી સાંબામુર્થી હરિકથા કલાકાર હતાં અને નાટકમાં પણ અભિનય કરતા હતા. માતાજી શકુંથલામ્માનું ૨૦૧૯માં નિધન થયું હતું. એસપીને બે ભાઈઓ અને પાંચ બહેનો છે, જેમના એસપી સૈલજા ગાયક છે. એસપી બાલાસુબ્રમણ્યમના દીકરા એસપી ચરણ પણ દક્ષિણ ભારતના જાણીતા ગાયક, અભિનેતા અને નિર્માતા છે.

બાળપણથી બાલુને સંગીતમાં રસ હતો, તેમણે સંગીતની તાલીમ લીધી. અનંતપુરની ઈજનેરી કોલેજમાં ઈજનેર બનવા માટે પ્રવેશ પણ મેળવ્યો અને ટાઈફોઈડને કારણે એ અભ્યાસ છોડવો પડ્યો હતો. બીજી બાજુ તેઓ સારા ગાયક બન્યાં હતા અને અનેક ઇનામો મેળવતા હતા. તેમના હળવા સંગીતના જૂથના તેઓ ગાયક-હાર્મોનિયમ વાદક નેતા હતા, તેમની સાથે ગિટાર પર ઇલૈયા રાજા અને ગંગાઈ અમરન પણ ગિટાર પર રહેતાં. એસપી સતત સંગીતકારોના સંપર્કમાં રહીને ગાયક રૂપે સ્થાયી થવાના પ્રયાસ કરતા. વીસ વર્ષની ઉમરે તેમણે તેલુગુ ફિલ્મમાં પહેલું ગીત ગાયું અને ૨૮ વર્ષની ઉમરે માતૃભાષા સિવાયનું પહેલું કન્નડ ફિલ્મ ગીત ગાયું હતું.
કોઈ પણ એક ગાયક દ્વારા એક દિવસમાં સૌથી વધુ ૨૧ ગીતો રેકોર્ડ કરવાનો વિક્રમ એસપી બાલાસુબ્રમણ્યમે ૮ ફેબ્રુઆરી, ૧૯૮૧ના રોજ સંગીતકાર ઉપેન્દ્ર કુમારના સંગીતમાં કર્યો હતો. તેજ રીતે એક જ દિવસમાં ૧૯ તમિલ, એક જ દિવસમાં ૧૬ હિંદી ગીતો પણ ગાઈને અનોખો વિક્રમ કર્યો હતો. તેઓ કહેતા કે સંગીતકાર આનંદ મિલિન્દ માટે તેઓ મુંબઈમાં એક જ દિવસમાં ૧૫ – ૨૦ ગીતો રેકોર્ડ કરીને ચેન્નાઈ જવાની છેલ્લી ફ્લાઈટ પકડી લેતા હતા. એસપીબી દક્ષિણ ભારતના અનેક ગામો-નગરોમાં સંગીતના કાર્યક્રમો કરતા, જયારે ઈલૈયા રાજા તેમને ગિટાર પર સાથ આપતા, આગળ જતાં એ ઈલૈયા રાજા પણ મહાન સંગીતકાર બન્યા હતા.
૧૯૮૦માં તેલુગુમાં બનેલી શ્રેષ્ઠ ફિલ્મ ‘શંકરાભરણમ’થી એસપી ને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી હતી, તો તેમને પહેલો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો. બીજે જ વર્ષે હિંદી ફિલ્મ ‘એક દુજે કે લિયે’ માટે તેમને વધુ એક નેશનલ ફિલ્મ એવોર્ડ
મળ્યો હતો.
સિત્તેરથી એંશીના બે દાયકા દરમિયાન બાલાસુબ્રમણ્યમને તમિલ ફિલ્મો માટે સંગીતકાર ઈલૈયા રાજા અને ગાયિકા એસ. જાનકી સાથે બનેલી ટીમમાં ખૂબ સફળતા મળી હતી. એમાંના ઘણાં ગીત શાસ્ત્રીય રાગ આધારિત રહેતાં. ૧૯૮૯માં બાલુએ ખૂબ સફળ હિંદી ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ માં સલમાન ખાનને અવાજ આપ્યો હતો, જેમાં ‘દિલ દીવાના’ ગીત માટે તેમને વધુ એક ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ત્યારથી એકાદ દાયકા સુધી સલમાન માટેનાં રોમાન્ટિક ગીતો એસપી ગાતા રહ્યા હતા. તેમાં ‘હમ આપકે હૈ કૌન’ માં લતાજી સાથેનું યુગલ ગીત ‘દીદી તેરા દેવર દીવાના’ ખૂબ લોકપ્રિય બન્યું હતું. સિત્તેરના દાયકામાં જેમ કિશોર કુમાર રાજેશ ખન્નાનો અવાજ બની રહ્યાં તેમ નેવુંના દાયકામાં એસપી સલમાન ખાનનો અવાજ બની રહ્યા હતા.
નેવુંના દાયકામાં એઆર રહમાન આવ્યા, તેમની પહેલી ફિલ્મ ‘રોજા’માં એસપીએ ત્રણ ગીતો ગાયા હતાં. ત્યારથી એમની સાથે પણ જોડી જામી ગઈ હતી. પંદરેક વર્ષ બાદ એસપી ફરી શાહરુખ ખાનની ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ના શીર્ષક ગીતથી હિંદી ફિલ્મોમાં ફરી ઝળક્યા.
હમણાં મે, ૨૦૨૦માં ‘ભારત ભૂમિ’ શીર્ષકથી બાલાસુબ્રમણ્યમે સંગીતકાર ઈલૈયા રાજા માટે એક ગીત કોરોના યોદ્ધાઓના માનમાં તમિલ અને હિન્દીમાં ગાયું. જે તેમની છેલ્લી અને યાદગાર સફળતા બની રહી.
એસ બાલાચંદરની તેલુગુ ફિલ્મ ‘મનમધા લીલા’માં આકસ્મિક રીતે કમલ હાસનનો અવાજ ડબ કરીને બાલાસુબ્રમણ્યમ વોઇસ એક્ટર બની ગયા. પછી તો તેમને અનેક કલાકારોને અનેક ભાષામાં અવાજ આપ્યો, જેમાં કમલ હાસન ઉપરાંત રજનીકાંત, વિષ્ણુવર્ધન, સલમાન ખાન, મોહન, અનિલ કપૂર, ગિરીશ કર્નાડ, જેમિની ગણેશન, નાગેશ, કાર્થિક કે રઘુવરણનો સમાવેશ થાય છે. કમલ હાસનની જાણીતી ફિલ્મ ‘દસવથારમ્’ માં કમલના દસમાંથી સાત અને એક મહિલા પાત્રના મળી કૂલ આઠ અવાજ તેલુગુમાં એસપી એ રેકોર્ડ કર્યા છે. મહાન ફિલ્મ ‘ગાંધી’ના તેલુગુ વર્ઝનમાં એસપીએ બહેન કિંગ્સલેનો ગાંધીજી માટેનો અવાજ પણ ડબ કર્યો છે.
બાલાસુબ્રમણ્યમે સાવિથ્રી સાથે લગ્ન કર્યા હતાં અને તેમને પલ્લવી નામે દીકરી અને એસપીબી ચરણ નામે ગાયક અને નિર્માતા દીકરો છે.
૫ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ બાલાસુબ્રમણ્યમનો કોવીડ ટેસ્ટ પોઝીટીવ આવ્યો અને તેમને ચેન્નાઈની એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તબિયત બગડતા તેમને વેન્ટિલેટર પર રખાયા હતા. દીકરા ચરણ તેમની હાલત સોશિયલ મીડિયામાં જણાવતા હતા, ઝૂમ પર તમિલ ફિલ્મ ઉદ્યોગના કલાકારો સહિત ઘણાં પ્રશંસકો એસપી માટે પ્રાર્થનામાં જોડાયા હતા. ૨૦ ઓગસ્ટે તેમની હોસ્પિટલની બહાર પ્રશંસકો દ્વારા કેન્ડલ લાઈટ માર્ચમાં પ્રાર્થના ગુજારાઇ હતી. ૭ સપ્ટેમ્બરે તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો. છતાં તેઓ વેન્ટીલેશન પર હતા. દીકરાએ જણાવ્યું કે તેઓ આઈ-પેડ પર ટેનિસ અને ક્રિકેટ મેચ જોતા હતા. ૨૪ સપ્ટેમ્બરે હોસ્પિટલે એસપી માટેનાં બુલેટિનમાં જણાવ્યું કે તેઓ ‘એક્સ્ટ્રીમલી ક્રિટીકલ’ અને ‘મેક્સિમમ લાઈફ સપોર્ટ’ પર હતા. ૨૫ સપ્ટેમ્બરન બપોરે ૧.૦૪ કલાકે એક માસની સારવાર બાદ એસપી બાલાસુબ્રમણ્યમે છેલ્લાં શ્વાસ લીધાં ત્યારે એક યુગ પુરો થયો હતો.

સાભાર :-

સપ્ટેમ્બરના સિતારા – નરેશ કાપડીઆ

0 Comments

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મળે છે. બેક કિલોમીટર થાય. 👉પોખરણ કિલ્લો અને સંત બાલીનાથનો ધૂણો. 👉પાંચ પીપળી ધામ જ્યાં.. મક્કા થી આવેલા પીરો એ રામદેવજી ની પરીક્ષા લીધી હતી..અને પીર કેવાયા. 12 કિમી થાય. 👉ભૈરવ ગુફા .. પોખરણ પાસે આવેલ છે.

Follow Me On Instagram