મારી હોસ્પિટલના એક્વેરિયમની એક માછલીને હું છેલ્લા થોડા દિવસોથી ઓબ્ઝર્વ કરતો હતો. એની પ્રવૃત્તિઓ અને હલનચલન ઘટી ગયેલું. એક્વેરિયમના એક ખૂણામાં પડી રહેતી એ માછલી અચાનક તેના બાહ્ય જગત અને સાથી માછલીઓ પ્રત્યે નીરસ બની ગઈ.
પાણીમાં રહેલી માછલીઓના આંસુઓ નથી દેખાતા, અને તેમ છતાં તેમની ઉદાસી જોઈ શકાય છે. એક્વેરિયમના ખૂણામાં રહેલી એ માછલી જિંદગીથી હતાશ થઈ ગયેલી. પાણીમાં નાખેલા ખોરાક પર તરાપ મારતી અન્ય માછલીઓની સરખામણીમાં, ખૂણામાં રહેલી આ માછલી તદ્દન અલગ તરી આવતી. તેને ન તો ખાવામાં રસ હતો, ન તો જીવવામાં.
જાણે એણે એવું નક્કી કરી લીધેલું કે હવે જીવવું નથી. જો એ મનુષ્ય હોત, તો નક્કી એણે કોઈ ઊંડા તળાવ કે દરિયામાં ડૂબકી મારી દીધી હોત. એને દુર્ભાગ્ય ગણીએ કે સદનસીબ, પણ સાલુ પાણીમાં રહેતા જીવ માટે તો ડૂબી મરવું પણ અશક્ય છે !
માછલીને એ સમજાતું નહોતું કે જળચર પ્રાણી માટે આત્મહત્યા કરવાની પદ્ધતિ કઈ હોય શકે ? એ ઈમોશનલ દુર્ઘટનાને કારણે હોય, ઉંમર કે પછી માંદગીને કારણે પરંતુ ધારો કે કોઈ માછલીને જીવનમાંથી રસ ઉડી જાય, તો એણે શું કરવાનું ?
એક્વેરિયમના ખૂણામાં રહેલી એ માછલી, આજે સાંજે મૃત્યુ પામી.
આમ તો આટલી જ ઘટના આપણા બધા માટે એક બહુ મોટો સંદેશો છે. હું મારી વાત અહિયાં જ પૂરી કરી દઉં, તો ચાલે. પણ આપણે થોડા આ ઘટનાના ઊંડાણમાં જઈએ.
જીવન તરછોડવા માટે આત્મ-હત્યા કરવી જરૂરી છે. જીવન પ્રત્યેની નીરસતા જ પર્યાપ્ત છે.
એક ડૉક્ટર તરીકે અમે એવું અનેકવાર ઓબ્ઝર્વ કર્યું છે કે ખૂબ મોટી ઉંમરે પહોંચી ગયેલી વૃદ્ધ વ્યક્તિ પણ ક્યારેક ગંભીરમાં ગંભીર બીમારીમાંથી બહાર આવી જાય છે. અને ક્યારેક સાવ સ્વસ્થ લાગતી યુવાન વ્યક્તિ, કોઈ એક સામાન્ય બીમારીમાં શરણાગતિ સ્વીકારી લે છે.
આ બહુ મોટો વિરોધાભાસ છે જે મારા જેવા અનેક તબીબોએ અનુભવ્યો હશે. કોઈ વ્યક્તિ હજીયે શું કામ જીવે છે ? અથવા તો કોઈ વ્યક્તિ અકાળે શું કામ ચાલી ગઈ ? એ પ્રશ્નોના કોઈ ચોક્કસ જવાબો નથી હોતા. પણ એક વાત તો નક્કી છે. જિંદગી જીવી લેવાની તાલાવેલી, દરેક ક્ષણને માણી લેવાની ઝંખના અને આ સુંદર વિશ્વને અનુભવતા રહેવાની ઈચ્છા દરેક ‘જીવ’ને જીવતો રાખે છે.
જે ક્ષણે જિંદગી ફિક્કી અને બેસ્વાદ લાગવા માંડે, એ જ ક્ષણથી આપણે મૃત્યુની નજીક સરકતા જઈએ છીએ. જેને આપણે ‘Will power’ કે ‘zest’ કહીએ છીએ, એ જિજીવિષા જ આપણને સહુને જીવતા રાખે છે. ઈચ્છા સમાપ્ત, તો જીવન સમાપ્ત.
એક્વેરિયમના ખૂણામાં રહેલી એ માછલી મને એટલો સંદેશો તો આપતી ગઈ કે જીવતા રહેવું હોય તો ક્યારેય આપણી પ્રવૃત્તિઓ પર વિરામ ન મુકવો. નિવૃત્તિ એટલે નિષ્ક્રિયતા નહીં. આપણી સક્રિયતા જ આપણો ઓક્સીજન છે.
છેલ્લા શ્વાસ સુધી ગમતી પ્રવૃત્તિઓ કર્યા કરવી, એ મૃત્યુને પોસ્ટ-પોન કરવાનો શ્રેષ્ઠ રસ્તો છે. વ્યસ્ત અને સક્રિય લોકોના જીવનમાં પ્રવેશતા પહેલા યમરાજે પણ એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. જ્યાં સુધી આપણી અંદર રહેલો જીવ, જિંદગીથી છલોછલ અને ખીચોખીચ ભરેલો રહેશે ત્યાં સુધી આ જામ છલકાયા કરશે. જે ક્ષણે આ અદભૂત દુનિયાને પીવાની દાનત અને તરસ ખૂટી જશે, એ જ ક્ષણે આ જીવ આપોઆપ શરીર ખાલી કરી દેશે.
રોમન ફિલોસોફર સેનેકાએ કહેલું,
‘You are scared of dying—and, tell me, is the kind of life you lead really any different from being dead?’
જે જિંદગી આપણે જીવી રહ્યા છીએ, એ મૃત્યુથી બદ્તર તો નથી ને ? જિંદગી સાથેનો પ્રેમ ક્યારેય એકતરફી નથી હોતો. જિંદગી આપણા પ્રેમમાં તો જ પડશે, જો આપણે તેના પ્રેમમાં પડશું.
રોજ સવારે સૂર્યોદયને જોઈને આપણા ચહેરા પર સ્માઈલ આવે છે ? રાતના ગાઢ અંધકાર પછી સવારનો કોમળ તડકો ઘરમાં પ્રવેશે, તો એ ચમત્કાર આપણને રાજી કરે છે ? ચાલતા ચાલતા અટકી જઈને ગુલાબની સુંદરતા અને સુગંધ માણવાનો સમય છે આપણી પાસે ? આપણને સ્પર્શીને પસાર થઈ જતા ઠંડા પવનની નોંધ લઈએ છીએ આપણે ? સંધ્યા સમયે આકાશમાં કોઈ મહાન ચિત્રકારથી ઢોળાઈ ગયેલા રંગો જોઇને આપણને વિસ્મય થાય છે ? ફૂલ અને ભમરાનું લવ-અફેયર જોઈને આપણે કુદરતની અદ્રશ્ય હાજરી અનુભવી શકીએ છીએ ? પર્વતો, ટેકરીઓ, નદીઓ, ખુલ્લા મેદાન, અફાટ રણ, ઘૂઘવતા સમંદર કે ગાઢ જંગલને જોઈને ત્યાં જ વસવાટ કરી લેવાનું મન થાય છે ? જો હા, તો આપણામાં હજીયે ક્યાંક જિંદગી બાકી છે.
મુઠ્ઠીઓ વાળીને દોડવાનું, ખુલ્લા પગે ભીનાં ઘાસ પર ચાલવાનું. નદી-તળાવમાં ડૂબકીઓ મારવાની, જંગલોની સફર ખેડવાની. રોજ રાતે તારાઓથી મઢેલું આકાશ જોવાનું, દરિયા કિનારે ભીની રેતીની ઢગલીઓ બનાવવાનું. આ કુદરત, જગત અને આ ચમત્કારને મન ભરીને માણી લેવાનું. અને રોજ સવારે અરીસામાં જોઈને જાતને પૂછી લેવાનું કે એક્વેરિયમના ખૂણામાં રહેલી પેલી માછલી ક્યાંક આપણે તો નથી ને ?
-ડૉ. નિમિત્ત ઓઝા
પાણીમાં રહેલી માછલીઓના આંસુઓ નથી દેખાતા, અને તેમ છતાં તેમની ઉદાસી જોઈ શકાય છે. એક્વેરિયમના ખૂણામાં રહેલી એ માછલી જિંદગીથી હતાશ થઈ ગયેલી. પાણીમાં નાખેલા ખોરાક પર તરાપ મારતી અન્ય માછલીઓની સરખામણીમાં, ખૂણામાં રહેલી આ માછલી તદ્દન અલગ તરી આવતી. તેને ન તો ખાવામાં રસ હતો, ન તો જીવવામાં.
જાણે એણે એવું નક્કી કરી લીધેલું કે હવે જીવવું નથી. જો એ મનુષ્ય હોત, તો નક્કી એણે કોઈ ઊંડા તળાવ કે દરિયામાં ડૂબકી મારી દીધી હોત. એને દુર્ભાગ્ય ગણીએ કે સદનસીબ, પણ સાલુ પાણીમાં રહેતા જીવ માટે તો ડૂબી મરવું પણ અશક્ય છે !
માછલીને એ સમજાતું નહોતું કે જળચર પ્રાણી માટે આત્મહત્યા કરવાની પદ્ધતિ કઈ હોય શકે ? એ ઈમોશનલ દુર્ઘટનાને કારણે હોય, ઉંમર કે પછી માંદગીને કારણે પરંતુ ધારો કે કોઈ માછલીને જીવનમાંથી રસ ઉડી જાય, તો એણે શું કરવાનું ?
એક્વેરિયમના ખૂણામાં રહેલી એ માછલી, આજે સાંજે મૃત્યુ પામી.
આમ તો આટલી જ ઘટના આપણા બધા માટે એક બહુ મોટો સંદેશો છે. હું મારી વાત અહિયાં જ પૂરી કરી દઉં, તો ચાલે. પણ આપણે થોડા આ ઘટનાના ઊંડાણમાં જઈએ.
જીવન તરછોડવા માટે આત્મ-હત્યા કરવી જરૂરી છે. જીવન પ્રત્યેની નીરસતા જ પર્યાપ્ત છે.
એક ડૉક્ટર તરીકે અમે એવું અનેકવાર ઓબ્ઝર્વ કર્યું છે કે ખૂબ મોટી ઉંમરે પહોંચી ગયેલી વૃદ્ધ વ્યક્તિ પણ ક્યારેક ગંભીરમાં ગંભીર બીમારીમાંથી બહાર આવી જાય છે. અને ક્યારેક સાવ સ્વસ્થ લાગતી યુવાન વ્યક્તિ, કોઈ એક સામાન્ય બીમારીમાં શરણાગતિ સ્વીકારી લે છે.
આ બહુ મોટો વિરોધાભાસ છે જે મારા જેવા અનેક તબીબોએ અનુભવ્યો હશે. કોઈ વ્યક્તિ હજીયે શું કામ જીવે છે ? અથવા તો કોઈ વ્યક્તિ અકાળે શું કામ ચાલી ગઈ ? એ પ્રશ્નોના કોઈ ચોક્કસ જવાબો નથી હોતા. પણ એક વાત તો નક્કી છે. જિંદગી જીવી લેવાની તાલાવેલી, દરેક ક્ષણને માણી લેવાની ઝંખના અને આ સુંદર વિશ્વને અનુભવતા રહેવાની ઈચ્છા દરેક ‘જીવ’ને જીવતો રાખે છે.
જે ક્ષણે જિંદગી ફિક્કી અને બેસ્વાદ લાગવા માંડે, એ જ ક્ષણથી આપણે મૃત્યુની નજીક સરકતા જઈએ છીએ. જેને આપણે ‘Will power’ કે ‘zest’ કહીએ છીએ, એ જિજીવિષા જ આપણને સહુને જીવતા રાખે છે. ઈચ્છા સમાપ્ત, તો જીવન સમાપ્ત.
એક્વેરિયમના ખૂણામાં રહેલી એ માછલી મને એટલો સંદેશો તો આપતી ગઈ કે જીવતા રહેવું હોય તો ક્યારેય આપણી પ્રવૃત્તિઓ પર વિરામ ન મુકવો. નિવૃત્તિ એટલે નિષ્ક્રિયતા નહીં. આપણી સક્રિયતા જ આપણો ઓક્સીજન છે.
છેલ્લા શ્વાસ સુધી ગમતી પ્રવૃત્તિઓ કર્યા કરવી, એ મૃત્યુને પોસ્ટ-પોન કરવાનો શ્રેષ્ઠ રસ્તો છે. વ્યસ્ત અને સક્રિય લોકોના જીવનમાં પ્રવેશતા પહેલા યમરાજે પણ એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. જ્યાં સુધી આપણી અંદર રહેલો જીવ, જિંદગીથી છલોછલ અને ખીચોખીચ ભરેલો રહેશે ત્યાં સુધી આ જામ છલકાયા કરશે. જે ક્ષણે આ અદભૂત દુનિયાને પીવાની દાનત અને તરસ ખૂટી જશે, એ જ ક્ષણે આ જીવ આપોઆપ શરીર ખાલી કરી દેશે.
રોમન ફિલોસોફર સેનેકાએ કહેલું,
‘You are scared of dying—and, tell me, is the kind of life you lead really any different from being dead?’
જે જિંદગી આપણે જીવી રહ્યા છીએ, એ મૃત્યુથી બદ્તર તો નથી ને ? જિંદગી સાથેનો પ્રેમ ક્યારેય એકતરફી નથી હોતો. જિંદગી આપણા પ્રેમમાં તો જ પડશે, જો આપણે તેના પ્રેમમાં પડશું.
રોજ સવારે સૂર્યોદયને જોઈને આપણા ચહેરા પર સ્માઈલ આવે છે ? રાતના ગાઢ અંધકાર પછી સવારનો કોમળ તડકો ઘરમાં પ્રવેશે, તો એ ચમત્કાર આપણને રાજી કરે છે ? ચાલતા ચાલતા અટકી જઈને ગુલાબની સુંદરતા અને સુગંધ માણવાનો સમય છે આપણી પાસે ? આપણને સ્પર્શીને પસાર થઈ જતા ઠંડા પવનની નોંધ લઈએ છીએ આપણે ? સંધ્યા સમયે આકાશમાં કોઈ મહાન ચિત્રકારથી ઢોળાઈ ગયેલા રંગો જોઇને આપણને વિસ્મય થાય છે ? ફૂલ અને ભમરાનું લવ-અફેયર જોઈને આપણે કુદરતની અદ્રશ્ય હાજરી અનુભવી શકીએ છીએ ? પર્વતો, ટેકરીઓ, નદીઓ, ખુલ્લા મેદાન, અફાટ રણ, ઘૂઘવતા સમંદર કે ગાઢ જંગલને જોઈને ત્યાં જ વસવાટ કરી લેવાનું મન થાય છે ? જો હા, તો આપણામાં હજીયે ક્યાંક જિંદગી બાકી છે.
મુઠ્ઠીઓ વાળીને દોડવાનું, ખુલ્લા પગે ભીનાં ઘાસ પર ચાલવાનું. નદી-તળાવમાં ડૂબકીઓ મારવાની, જંગલોની સફર ખેડવાની. રોજ રાતે તારાઓથી મઢેલું આકાશ જોવાનું, દરિયા કિનારે ભીની રેતીની ઢગલીઓ બનાવવાનું. આ કુદરત, જગત અને આ ચમત્કારને મન ભરીને માણી લેવાનું. અને રોજ સવારે અરીસામાં જોઈને જાતને પૂછી લેવાનું કે એક્વેરિયમના ખૂણામાં રહેલી પેલી માછલી ક્યાંક આપણે તો નથી ને ?
-ડૉ. નિમિત્ત ઓઝા