(વવાણીયા ગામમાં આવેલ મંદિર)
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અમેરિકાના અતિ ધનાઢ્ય ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ સાથે તા. ૨૭-૯-૨૦૧૫ના રોજ ફેસબુકનું હેડક્વાર્ટરસ આવેલું છે ત્યાં સિલિકોન વેલીના મેન્લો પાર્કના ટાઉનહોલમાં મિટીંગ થઈ હતી એ વખતે આરંભમાં જ માર્ક ઝુકરબર્ગે કહ્યું હતું - 'તે એક મુશ્કેલ સમય હતો. કેટલાક લોકો ફેસબુક ખરીદવા માંગતા હતા અને મને પણ એવું લાગવા માંડયું હતું કે, ફેસબુક વેચી દેવી જોઈએ એ દરમિયાન હું મારા 'મેન્ટર' એપલના માલિક સ્ટીવ જોબ્સને મળ્યો.
એ વખતે એમણે મને કહ્યું હતું - 'જો તમે દુનિયા સાથે ફરી જોડાવા માંગતા હો અને એ તમારી કંપનીનો એક ઉદ્દેશ્ય પણ છે તો તમારે ભારતના નૈનિતાલ પાસે આવેલા કૈંચીધામ નામના એક મંદિરમાં જવું જોઈએ. હું ત્યાં વર્ષો પૂર્વે ગયો હતો અને મને ત્યાંથી જબરદસ્ત શક્તિ અને પ્રેરણા પ્રાપ્ત થઈ હતી.' સ્ટીવ જોબ્સની વાત સાંભળી હું પણ ભારત આવ્યો હતો ત્યાં બે દિવસ રોકાયો હતો અને ત્યાંના મહાસમાધિ પામેલા સંત નીમ કરોલી બાબાની પ્રાર્થના કરી એમના આશીર્વાદ મેળવ્યા હતા. એનાથી મારામાં અપાર જોમ અને આશા ઉત્પન્ન થયા હતા. મેં ફેસબુક વેચી નહિ અને આજે એ દુનિયાની સર્વાધિક ધનવાન કંપનીઓમાંની એક છે.'
'એપલ' કંપનીના સ્થાપક સ્ટીવ જોબ્સ પણ કૈંચી ધામના મહાત્મા સિદ્ધ યોગી નીમ કરોલી (નીબ કરોરી) બાબાની ખ્યાતિ સાંભળી ૧૯૭૪માં એમને મળવા આવ્યા હતા. પણ તે એમના મંદિરે આવ્યા એની પૂર્વે નીમ કરોલી બાબા મહાસમાધિસ્થ થઈ ચૂક્યા હતા. સ્ટીવ જોબ્સ એ મંદિરમાં લગભગ એકાદ મહિના જેટલું રહ્યા હતા. એ દરરોજ એમની સમાધિની સામે બેસતા અને અંગ્રેજીમાં લખાયેલી હનુમાન ચાલીસાનો પાઠ કરતા. એનાથી એમની હતાશા- નિરાશા અને નકારાત્મક વિચારસરણી દૂર થઈ ગયા હતા.
ભારતથી અમેરિકા ગયા પછી તેમણે એપલ કંપની સ્થાપી હતી જે જબરદસ્ત સફળતાને પ્રાપ્ત થઈ ધનાઢ્ય કંપની બની ગઈ હતી એ પણ એમની સફળતા, સિદ્ધિ, સંપત્તિ અને કીર્તિનું શ્રેય નીમ કરોલી બાબાના આશીર્વાદને જ આપે છે. એ સ્થળે અનુભવાતી એમની અદ્રશ્ય દૈવી ચેતનાએ જ એમનામાં હકારાત્મક પરિવર્તન લાવી એમને સિદ્ધિના શિખરે મૂકી દીધા હતા એવું એમણે પણ જાહેર કર્યું હતું.
અમેરિકાની હોલીવુડની વિખ્યાત અભિનેત્રી જુલિયા રોબોર્ટસ પણ નીમ કરોલી બાબાની તસવીર માત્ર જોઈને જ એમનાથી પ્રભાવિત થઈ હતી અને એમને મળવા ઉત્સુક બની ગઈ હતી. એ માટે પ્રયાસ કર્યો ત્યારે એની જાણમાં આવ્યું હતું કે એ પ્રતિભાવંત અધ્યાત્મ પુરુષ નીમકરોલી બાબા તો દેહ છોડી બ્રહ્મરૂપ બની ગયા છે એટલે એમના પ્રત્યક્ષ દર્શનનો અવસર એ ચૂકી ગઈ હતી.
યોગીરાજ નીમ કરોલી બાબાના ભક્તો અને અનુયાયીઓ વિશ્વભરમાં ફેલાયેલા છે એમાં દેશ- વિદેશની અનેક મહાન વ્યક્તિઓનો પણ સમાવેશ થયેલો છે. ભૂતપૂર્વ તત્કાલીન રાષ્ટ્રપતિ વી. વી. ગિરી, ઉપરાષ્ટ્રપતિ ગોપાલસ્વરૂપ પાઠક, રાજ્યપાલ અને મહાન સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશી, ઉપરાજ્યપાલ ભગવાન સહાય, રાજા ભદ્રી, ન્યાયમૂર્તિ વાસુદેવ મુખર્જી, ઉદ્યોગપતિ જુગલકિશોર બિરલા, વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ, વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી, કવિ સુમિત્રાનંદન પંત, કવિ હરિવંશરાય બચ્ચન, અમેરિકાના મનોવિજ્ઞાાની રિચર્ડ એલ્પર્ટ, અંગ્રેજ જનરલ મેકેન્ના જેવા અનેક ખ્યાતિપ્રાપ્ત મહાનુભાવો એમનાથી પ્રભાવિત થયેલા હતા. રમણ મહર્ષિ, સ્વામી રામ અને દેવરહા બાબા જેવા અનેક સિદ્ધયોગીઓ સાથે પણ એમનો આંતરયોગ સધાયેલો રહેતો હતો.
ભારતના મહાન સંત, મહાત્મા અને સિદ્ધયોગી નીમ કરોલી (નીબ કરોરી) બાબાનો જન્મ કયા દિવસે અને કયા પરિવારમાં થયો તે સુનિશ્ચિત નથી. ઓગણીસમી સદીના અંતમાં આગરા જિલ્લાના અકબરપુર ગામમાં તેમનો જન્મ થયો હતો એ નિશ્ચિત છે. બાળપણમાં એમનું નામ લક્ષ્મીનારાયણ શર્મા હતું. અગિયાર વર્ષની ઉંમરે કોઈ અજ્ઞાાત દેવી પ્રેરણાને વશ થઈ તે ઘર છોડી ૧૯૦૭ કે ૧૯૦૮માં ગુજરાત આવ્યા હતા.
મોરબીથી ચાલીસ માઇલ દૂર આવેલા વવાણિયા (બબાનિયા) ગામમાં એક તળાવ પાસે આવેલા પ્રાચીન વૈષ્ણવ મંદિરમાં રહ્યા હતા. ત્યાંથી તે રામબાઈના આશ્રમમાં રહેવા ગયા હતા એ તળાવમાં બેસીને તથા મંદિરમાં રહીને તેમણે સાધના અને તપસ્યા કરી હતી. તળાવ કિનારે ખુલ્લામાં પ્રસ્થાપિત કરેલી હનુમાનજીની મૂર્તિ માટે સમય જતાં નજીકમાં આવેલા શ્રીમદ્ રાજચંદ્ર શ્વેતામ્બર જૈન મંદિરના એક સભ્યે નાનું મંદિર બનાવડાવ્યું હતું. એમાં અત્યારે પણ એ મૂર્તિના દર્શન થઈ શકે છે ત્યાં સુંદરકાંડના પાઠ પણ નિયમિત થતા રહે છે. હનુમાનજીની પૂજા અને હનુમાન ચાલીસાનો પાઠ નિત્ય કરાય છે.
નીમ કરોલી બાબા વવાણિયામાં સાતેક વર્ષ રહ્યા હતા. વવાણિયા એમનું પ્રથમ સાધના સ્થળ છે. બાબાજી હનુમાનજીના પરમ ભક્ત હતા એવું માનવામાં આવે છે કે તે હનુમાનજીનો જ અવતાર હતા. વવાણિયામાં સાત વર્ષ સાધના કર્યા બાદ તે તીર્થયાત્રા કરવા નીકળી પડયા હતા. જુદા જુદા તીર્થોના દર્શન કર્યા બાદ તે નીબ કરોરી ગામ પાસે આવ્યા હતા. ત્યાંના લોકો તેમને નીબ કરોરીના બાબા તરીકે ઓળખવા લાગ્યા હતા.
બાબા નીમ કરોલીમાં બાળપણથી જ અનેક યોગસિદ્ધિઓ સહજ પ્રકટ થયેલી હતી. નીબ કરોરીના આશ્રમમાં તેમણે વધારે ઉચ્ચ યોગસાધના કરી હતી. ૧૯૪૦ની આસપાસ તે નૈનિતાલ આવ્યા હતા. ત્યાં કૈચીના મનોરા પાસે એક વૃક્ષ નીચે બેસી સાધના કરતા. આગળ જતા એ આશ્રમ અને હનુમાનજીનું મંદિર બનાવવાને કારણે એનું નામ હનુમાનગઢ પડી ગયું હતું.
નીમ કરોલી બાબા ધોતિયું પહેરતા અને મોટે ભાગે કામળો ઓઢી રાખતા. અણિમા, મહિમા, ગરીમા, લઘિમા પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિતા અને વશિતા નામની યોગની અષ્ટ સિદ્ધિઓના તે સ્વામી હતા. અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ તે પ્રકૃતિના પાંચ તત્ત્વો પર એમનો કાબૂ હતો અને તેના થકી તે અકલ્પ્ય ચમત્કારો સર્જી શકતા હતા. આવી અદ્ભુત ચમત્કારોની સંખ્યા સેંકડોને પાર કરી જાય તેટલી છે.