લોકડાઉનના વૃંદાવનમાં PART-11

ભારતમાં સ્ત્રી એ નૈઋત્યના ભેજવાળા પવનો જેવી છે. જે સદા વ્હાલનો વરસાદ લાવે છે. સ્ત્રી એ પુરૂષનું અડધું અંગ છે. કોઈ સમાજસેવકે એમ કહ્યું- પુરૂષ એ સ્ત્રીનું અડધું અંગ છે ? કોઈ માદા પ્રાણીનાં શિંગડા કે દાંત-નખ ગમે તેટલાં ભયંકર કેમ ન હોય, તેનાં સંતાનોને એનો ડર કદી લાગતો નથી. માતાનાં એક અંશ બરાબર હજારો ધર્મગુરૂઓ.

શાસ્ત્રોમાં એક કથા આવે છે. બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું. તેમણે તે સમયે સ્ત્રી બનાવી ન હતી. સ્વર્ગ અને નર્કનું નિર્માણ થઈ ગયું હતું. એકવાર યમરાજા બ્રહ્માજી પાસે આવ્યાં. તેમણે ફરીયાદ કરી કે, "પ્રભુ, આ તે તમારો કેવો ન્યાય ! મને નરકનો અધિપતિ બનાવ્યો. પણ હું તો સાવ બેરોજગાર બની ગયો છું. મારાં નરકમાં કોઈ આવતું જ નથી. ભૂલોકમાં કોઈ પાપ કરતું જ નથી. જ્યારે સ્વર્ગમાં વસ્તીઆંક સતત વધી રહ્યો છે. હે ચતુર્મુખ, મારાં નરકમાં જાહોજહાલી થાય એવું કઈંક કરો." કથાની પરાકાષ્ઠા તો જુઓ. બ્રહ્માજીએ તરત જ એક મોહિની (મોહ પમાડે એવી સ્ત્રી) નું નિર્માણ કર્યું. ટૂંક સમયમાં જ યમરાજા બેરોજગારમાંથી બિલ ગેટ્સ બની ગયાં. તમને થશે કે આમાં તો સ્ત્રીનું અપમાન છે. પરોક્ષ રીતે સ્ત્રીને નરકનું દ્વાર બનાવી દીધી છે.

કદાચ આ કથા કોઈ સ્ત્રીદ્વેષી પુરૂષે જ ઘડી કાઢી હશે. આ કથાને ગંભીરતાથી લેવા જેવી નથી. આપણે સૌ ધનપૂજક ધર્મના ચુસ્ત અનુયાયીઓ છે. કોઈ ઘરે બાળકીનો જન્મ થાય ત્યારે "લક્ષ્મી" આવી કહીએ છીએ. એક જણે પણ હિંમત કરી કહ્યું કે અમારે ત્યાં સરસ્વતી આવ્યાં કે દુર્ગા આવ્યાં ??? ચાલો એ પણ છોડો .... બાબાનો જનમ થાય ત્યારે એમ કહ્યું કે અમારે ત્યાં "કુબેર" આવ્યાં !

પંજાબની એક સ્ત્રી હતી. તે જ્યારે પ્રવચન આપવા ઊભી થતી હતી ત્યારે તે પોતાનો પરિચય આ રીતે આપતી, "હું એ સ્ત્રી છું જેણે પોતાની સગી દીકરીને મારવાનો પ્રયત્ન કર્યો હતો. મારે બે પુત્રીઓ હતી. ફરી મને સારાં દિવસો જઈ રહ્યાં હતાં. થોડાક સમય બાદ મેં ત્રીજી બાળકીને જન્મ આપ્યો. હું નિરાશ થઈ ગઈ. મારાં પતિએ પહેલેથી જ ગંભીર ચેતવણી આપી દીધી હતી કે જો ત્રીજી પણ છોકરી જ આવે તો અહી પાછી ન આવતી. મારુ જીવન અંધકારમય બની ગયું હતું. સાસરી કે પિયરમાથી કોઈ ખબર જોવાય ન આવ્યું. ત્રણ દિવસ પછી ભાઈ આવ્યો. એણે જણાવ્યુ કે જીજાજીને સમજાવ્યા છે. માંડમાંડ એક શરતે તને તેડવા રાજી થયાં છે. તું આ છોકરીનો કોઈ રીતે નિકાલ કરી નાંખ.

ભાઈએ એક બીજી વાત પણ કહી હતી. છોકરીનો નિકાલ એવી રીતે કરજે કે પોલીસનું કોઈ લફરુ ઊભું ન થાય. હું ત્રીજા દિવસે ઘરે આવી. રાત પડી. ડિસેમ્બર મહિનો ચાલતો હતો. ત્યારે પંજાબમાં ખૂબ ઠંડી પડે. ત્રણ દિવસની દીકરીના બધાં કપડાં ઉતાર્યા. આંગણામાં ખાટલો પાથર્યો. દીકરીને એની પર સુવડાવી દીધી. હું ઉંબરા પર જઈને બેસી ગઈ. ભયાનક ઠંડીમાં પુત્રી બેપનાહ રડી. મેં મારુ કાળજું કઠણ રાખ્યું. મને મોડી રાતે ઊંઘ આવી ગઈ. લગભગ સવારે પાંચેક વાગે મારી આંખ ખૂલી. હું ડરતી ડરતી ખાટલાં પાસે ગઈ. દીકરીનું રડવાનું શમી ગયું હતું. તેનું આખું શરીર ભૂરું પડી ગયું હતું. હું તેનાં દેહને અડી. મારાં આશ્ચર્ય વચ્ચે તે હજુ જીવતી હતી. તેનાં શ્વાસ ચાલતાં હતાં.

એ જ વખતે મેં નક્કી કર્યું કે મારી ત્રણ દિવસની દીકરી ડિસેમ્બરની કાતિલ ઠંડીમાં મોત સામે લડી શકતી હોય તો શું હું મારાં પતિ સાથે ન લડી શકું ? હું આ સમાજ સામે ન લડી શકું ?

એક મહિલાની માહિતી વાંચો-

જન્મ - 1961, અનુસૂચિત જાતિ, ગરીબ પરીવાર, ઘરમાં આઠ-નવ માણસોનું કુટુંબ, કમાનાર એક પિતા જ, મહિને ત્રણસો રૂપિયા પગાર, ભણતર સાતમું ધોરણ, 12 વર્ષની ઉમરે પોતાનાથી મો....ટી ઉમરના વ્યક્તિ સાથે લગ્ન, લગ્ન પછી મારઝૂડ, પૂરતું ખાવાનું પણ ન મળે, ગામડે પાછી આવી, ત્રણ બોટલ ઝેરની ગટગટાવી ગઈ, બચી ગઈ, નોકરી શોધી પણ ઓછું ભણેલી હોવાથી ન મળી, મુંબઈ આવી, પ્રતિદિન બે રૂપિયાના પગારે નોકરી ચાલુ કરી. ત્યારે માત્ર સોળ વર્ષની ઉમર. બીજા લગ્ન, ટૂંક સમયમાં પતિનું મૃત્યુ, બે બાળકોની જવાબદારી, એકલી સ્ત્રી.......

આપણે અહી એ સમજવાનું છે કે સ્ત્રી અબળા નથી. આ સ્ત્રી અત્યારે શું કરતી હશે ? કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવતી હશે ? આ જાલીમ સમાજમાં તેનું શું થયું હશે ? ચિંતા ન કરો. પ્રતિદિન બે રૂપિયામાં નોકરી કરનાર આ મહિલા અત્યારે ત્રણ હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતી કમાની ટ્યૂબ કંપનીની માલિક છે. પોતાની અંગત પાંચસો કરોડની પ્રોપર્ટી છે. લેડી ધીરૂભાઈ અંબાણી છે આ બહેન !!! નામ તો સુના હી હોગા- પદ્મશ્રી કલ્પના સરોજ.

એક પુરૂષ એકલો હોટલમાં રૂમ રાખીને રહી શકે છે. આપણે ત્યાં હજુ આવો સમય સ્ત્રી માટે દૂર ઘણો દૂર છે. આપણી માનસિકતા સજ્જડ છે. એટલે જ સૌમ્ય જોષીએ લખ્યું, "એક સજ્જડબંધ પાંજરૂ પહોળું થયું !!!" વિજ્ઞાનની એક બહુ મોટી મર્યાદા છે. તે પદાર્થના ગુણધર્મો બદલી શકે છે પરતું માણસના ગુણધર્મો બદલવાની ત્રેવડ વિકસાવી શક્યું નથી. પુરૂષોને સ્ત્રીઓમાં ઓલ ટાઈમ બ્યૂટી જોઈએ છે. સ્ત્રીને પુરૂષમાં ઓલ ટાઈમ લવ જોઈએ છે. આપણે એવાં ધોબી છીએ કે કાયમ મેલાં કપડાં પહેરીએ છીએ.

ઘણાં ધાર્મિક બરાડા સ્વામીઓ કહે છે કે ભારતના એ સંસ્કાર છે એટલે અહી છૂટાછેડાનું પ્રમાણ ઓછું છે. અહીની સ્ત્રીઓ સમજુ છે. ના, સાચું કારણ એ છે કે ભારતમાં સ્ત્રીઓની આર્થિક સધ્ધરતા ખૂબ ઓછી છે. મોટાભાગની મહિલાઓ પોતાના ઘરમાં આર્થિક રીતે પરાવલંબી છે. એને છૂટવું હોય તો પણ છૂટી શકાતું નથી. જ્યારે વિદેશોમાં 90% સ્ત્રીઓ પોતાના પગ પર ઊભી છે. એટલું સમજાયું છે કે ગરીબની સહનશક્તિ વધુ હોય છે. એમાં સ્ત્રી તો સહનશક્તિનો સજીવ એવરેસ્ટ છે !!!

રાજા ગાદી પરથી ઊભો થાય તો કોઈ દરબારી તે ગાદી પર ન બેસી શકે. કોઈ બોસ ખુરશી પરથી ઊભો થાય તો કોઈ કર્મચારી તેની પર ન બેસી શકે. પણ ભગવાન જો પોતાનાં સિંહાસન પરથી ઊભા થાય તો તેમના સિંહાસન પર એક વ્યક્તિ જરૂર બેસી શકે ! એ છે માતા. કારણ કે ભગવાન અને માતા હોદ્દાની દૃષ્ટિએ સિમિલિયર છે. ઓ ! સ્ત્રી તું કલ આના .......

જે.કે.સાંઈ
Previous Post Next Post