Wednesday, May 20, 2020

કોરોના લોકડાઉન અને પર્યાવરણ

બહારના દેશમાંથી પગપેસારો કરનાર કોરોના વાયરસ ભારતમાં ખુબ જ ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચથી લોકડાઉનની જાહેરાત કરી હતી,જેના કારણે લોકો એકબીજાના સંપર્કમાં ન આવે અને કોરોનાનો ચેપ ફેલાતો અટકાય.

જો કે વડાપ્રધાનના આ નિર્ણયને દેશની જનતાએ લોકડાઉનનું સમર્થન કર્યું છે,લોકડાઉનના કારણે દેશની જનતા ઘરમાં જ રહેતી થઈ અને વ્યવસાય પણ સંપૂર્ણ પણે બંધ થયા,જેના કારણે રસ્તાઓ સુના બન્યા અને હવામાન પણ શુદ્ધ થવા લાગ્યું, લોકડાઉનની સકારાત્મક અસરો થતી જોવા મળી રહી છે.

આપણામાં કહેવત છે કે સિક્કાની હંમેશા બે બાજુ પણ હોય જ છે, તેવી જ રીતે કોરોના વાયરસની નકારાત્મક અસરોની જેમ સકારાત્મરક બાજુ પણ છે. બીજી તરફ જોઈએ તો આ વાયરસના કારણે લોકડાઉન જાહેર કરવાથી પર્યાવરણ પર તેના સકારાત્મક પરિણામો જોવા મળ્યા છે.

કોરોના  વાયરસના કારણે એક તરફ સમગ્ર દુનિયામાં હજારો લોકોના મૃત્યુ નિપજ્યાછે ત્યારે બીજી તરફ લોકડાઉન પર્યાવરણ માટે આશિર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. ભારતમાં લોકડાઉનના કારણે વાયુ અને જળના પ્રદુષણમાં ભારે ઘટાડો નોંધાયો છે.

ચોખ્ખુ આકાશ, ચોખ્ખુ પાણી, ચોખ્ખી હવા.... લોકડાઉનના આ સમયગાળામાં પણ લોકોને આ બધુ જોઈને ખુબ આનંદ થઈ રહ્યો છે. આટલા લાંબા સમય બાદ જાણે અનેક સદીઓ પછી ધરતી જાણે ઊંડા શ્વાસ લઈ રહી છે. પર્યાવરણ નિષ્ણાતોનું કહેવું છે કે લોકડાઉનની ધરતી પર મોટી અસર પડી છે. લોકડાઉન એ ધરતી માટે એક મોટી ભેટ સાબિત થઈ રહ્યો છે. આપણે જાણવું જરૂરી છે કે આ લોકડાઉનની આવનારા સમયમાં શું પ્રકૃતિને, ધરતીને, પૃથ્વીને ફાયદો થશે. આપણે આગળ પણ કઈ રીતે આપણી પૃથ્વીને આટલી જ સુંદર રાખી શકીએ. 

પર્યાવરણના જાણકાર ભૂષણનું કહેવું છે કે કોરોના વાયરસના કેરના કારણે આજે સમગ્ર દુનિયામાં લોકડાઉનના નિયમોનું પાલન થઈ રહ્યું છે. ભાગતી દુનિયાની ઝડપ ઓછી થઈ છે. કાર્બન ઉત્સર્જન ખુબ ઓછું થઈ રહ્યું છે. જેના કારણે ગ્લોબલ વોર્મિંગ પણ ઓછું થાય છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કાર્બન ઉત્સર્જન 5 ટકા ઘટશે. જેનો ફાયદો સીધો આપણા જીવન પર જોવા મળશે. 

તેઓના કહેવા મુજબ પ્રદૂષણની વાત કરીએ તો લોકડાઉનમાં વાયુ અને જળ પ્રદૂષણ પર નિયંત્રણ આવ્યું છે. આ ઉપરાંત ધ્વનિ પ્રદૂષણ પણ ઓછું થયું છે. જેની અસર એ છે કે જાનવરો અને જીવજંતુ બહાર નીકળે છે. તેમને પણ ખુબ રાહત મળી છે. 

સમર્ગ દેશમાં લોકડાઉન બાદ દેશના વિવિધ શહેરમાં પ્રદૂષણમાં ધટાડો નોંધાયો છે. રોજિંદા સમયે અમુક શહેરોમાં એર કવોલિટી ઈન્ડેક્સ સરેરાશ 150 થી 200 સુધીમાં રહેતો હતો. જેથી શ્વાસના દર્દીઓ તેમજ નાગરિકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી. પરંતુ લોક ડાઉન બાદ અમુક શહેરોમાં જ્યાં ભારે ટ્રાફિક હોય છે. જેના કારણે પ્રદૂષણ વધુ હોય છે. પરંતુ છેલ્લા 3 દિવસમાં આ વિસ્તારોમાં એર કવોલિટી ઈન્ડેક્સ 100થી નીચે આવ્યો છે. જેથી પ્રદૂષણ ઘટ્યું છે.

જો પ્રદૂષણમાં ઘટાડાની વાત કરવામાં આવે તો 144ની કલમ લાગુ કરતા શહેરો તથા ગામડાઓ સજ્જડ બંધ જોવા મળે છે. કોરોના વાયરસના કારણે નાગરિકોને પોતાના ઘરમાં જ રહેવા માટેની સૂચના અપાઈ છે. જેનું નાગરિકો અને પોલીસ કર્મીઓ દ્વારા પણ પાલન કરવામાં આવે છે. જેથી શહેરીજનો આવી પરિસ્થિમાં કામ વગર બહાર નિકળતા નથી. જેથી વાહનોનો ઝેરી ધુમાડો હવાને પ્રદુષિત કરતો નથી. બીજી બાજુ વાત કરવામાં આવે તો તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાયના તમામ દુકાનો કે કેમિકલ કે અન્ય ફેક્ટરીઓ બંધ છે. જેને કારણે તેનો ઝેરી ધુમાડો હવામાં ભરતો નથી. જેથી હવાનું પ્રદૂષણ થતું નથી. તેમજ ઘટાડો પણ જોવા મળી  રહ્યો છે. જોકે આગામી દિવસોમાં હજી પણ પ્રદૂષણમાં ઘટાડો જોવા મળી  રહેશે. તેમજ શહેરીજનોને શુદ્ધ હવા મળી રહેશે. જેથી કહી શકાય કે લોક ડાઉન કરવાથી પ્રદૂષણમાં તો ઘટાડો જોવા મળી જ રહ્યો છે


કોરોના વાયરસના કારણે દેશમાં લોકડાઉન લાગુ છે. લોકડાઉનને કારણે લોકોને ભલે અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હોય, પરંતુ પર્યાવરણ અને પ્રકૃતિ માટે તો આ લોકડાઉન લાભદાયી નિવડ્યું છે. લોકડાઉનના કારણે પ્રદૂષણમાં અભુતપૂર્વ ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ નદીઓના પાણી પણ એકદમ શુદ્ધ અને પ્રદૂષણમુક્ત થાય છે. સરકાર જે કામ કરોડો રુપિયાના ખર્ચ છતા ના કરી શકી તે ગંગા અને યમુના નદીને સ્વચ્છ કરવાનું કામ લોકડાઉને કરી આપ્યું છે.

ગંગા નદીનું પાણી એટલું શુદ્ધ થયું છે કે તળીયાની જમીન ઉપરથી જ સ્પષ્ટ દેખાવા લાગી છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પર્યાવરણ બોર્ડના જણાવ્યા પ્રમાણે ગંગા નદીના પાણીમાં હાનિકારક જીવાણુ અને ગંદકીમાં અભુતપૂર્વ ઘટાડો થયો છે. ઋષિકેશ, હરિદ્વાર, બનારસ, બિહાર વગેરે તમામ જગ્યા પર ગંગા નદીનું પાણી એકદમ શુદ્ધ થયું છે. પાણી એટલું શુદ્ધ થયું છે કે હવે તે સીધું પીવાલાયક છે.

લોકડાઉનના કારણે ગંગાના કિનારા ઉપર તમામ પ્રકારની પ્રવૃતિ થંભી ગઇ છે. ઉપરાંત આસપાસની તમામ ફેક્ટરી, ઉદ્યોગો અને માનવ પ્રવૃતિ પણ બંધ છે. જેથી ગંગાને આ નવજીવન મળ્યું છે, તેમ કહી શકાય. જે માછલીઓ ગંદકી અને પ્રદૂષણના કારણે મોતને ભેટતી હતી, તેઓ હવે ઘાટના પગથિયા પર જોવા મળે છે. ગંગા કિનારે રહેતા લોકો જણાવે છે કે છેલ્લા 40 વર્ષમાં ગંગા પહેલી વખત આટલી શુદ્ધ થઇ છે.

લોકડાઉનના કારણે હાલ માત્ર નદીઓ જ નહી પરંતુ હવામાન પણ શુદ્ધ બન્યું છે,હવામાં પ્રદુષણનું પ્રમાણ મોટે ભાગે ઘટી ગયું છે તો બીજી તરફ પશું-પક્ષીઓ પણ શુદ્ધ હવામાં ફરકતા જોવા મળી રહ્યા છે, જ્યારે માનવ જાત હાલ ઘરોમાં બંધ છે ત્યારે પશુઓ તથા પક્ષીઓ બહાર ફરી રહ્યા છે, કુદરતી આફતે આજે પૃથ્વી પરના પ્રયાવરણને શુદ્ધ બનાવ્યું છે. યમુના નદી,ગંગા નદી અને બીજી ધણી નદીઓના પાણીઓ શુદ્ધ થયા છે.નદીઓની સુધરેલી ગુણવત્તા જોતા એટલું તો ચોક્કસ કહી શકાય કે,આ તમામ પ્રકારના પર્યાવરમ પ્રદુષમ માટે માત્રને માત્ર માનવ જ જવાબદાર છે.


શું તમે વિચારી શકો છો કે આપણે અત્યાર સુધી જે કામ કર્યા તેનાથી પૃથ્વીને કેટલી બરબાદી ઝેલવી પડી છે. જે હાલ તો ખુબ ઓછી થઈ ગઈ છે. 2016ના એક રિપોર્ટ મુજબ 6 અબજ  કિલોગ્રામ ઔદ્યોગિક કચરો રોજ સમુદ્રમાં ઠલવાતો હતો જે હવે નહિવત જેવું છે. 

જો ભારતની વાત કરીએ તો દેશમાં દર વર્ષે પ્રદૂષણના કારણે 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન ઝેલવું પડે છે. જ્યારે જળ પ્રદૂષણના આંકડા દર્શાવે છે કે દર 8 સેકન્ડમાં એક બાળક ગંદા પાણીના કારણે મરે છે. વાયુ પ્રદૂષણનું સ્તર પણ એ ખતરનાક સ્તરે પહોંચ્યું હતું કે માત્ર મુંબઈમાં એક સ્વસ્થ વ્યક્તિનું શ્વાસ લેવું એ 100 સિગરેટ બરાબર જોવા મળતું હતું. 


આજે જ્યારે ચારેબાજુ લોકડાઉન છે તો એવામાં માણસોના ફેફસા, કિડની અને હ્રદય પર પડનારી પ્રદૂષણની અસર ઓછી થઈ છે. પર્યાવરણ નિષ્ણાતોના જણાવ્યાં મુજબ જો ભવિષ્યમાં આ જ પ્રકારે કાર્બન ઉત્સર્જનને નિયંત્રિત કરવાની કેટલીક અલગ કોશિશો કરવામાં આવે તો આ ધરતીનું સંકટ ઘણું ઓછું થઈ શકે છે. 

ટૂંકમાં જો આપણે ખરેખર પર્યાવરણમાં પરિવર્તન લાવવું હોય તો લોંગ ટર્મ કાર્બન ઉત્સર્જન ઓછું થાય તેવી કોશિશ કરવી જોઈએ. બધાને આસમાની આકાશ અને ચોખ્ખુ પાણી ગમે છે. જેને કાયમ રાખવા માટે ઈન્ડસ્ટ્રીમાં કડકાઈથી પ્રતિબંધો લાદવા જોઈએ. જેથી કરીને તેઓ પ્રદૂષણ ન કરે. રોડ પર ગાડીઓને ઈલેક્ટ્રિક મોડ પર લઈ જવી જોઈએ, સોલર ઉર્જા અને વાયુ ઉર્જાનો વધુ ઉપયોગ થવો જોઈએ. જેનાથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થાય. ત્યારે જ આપણે આવનારા સમયમાં પૃથ્વી દિવસ પર પૃથ્વીને સાચી અને સુંદર ભેટ આપી શકીશું. જેથી કરીને તે પણ આપણને સારી રિટર્ન ભેટ આપી શકે.