Tuesday, August 15, 2023

અંજની મહાદેવ :- દુનિયાનું સૌથી મોટું પ્રાકૃતિક શિવલિંગ

હર હર મહાદેવ

અમરનાથથી દૂર આ જગ્યાએ બને છે. દુનિયાનું સૌથી મોટું પ્રાકૃતિક બરફનું શિવલિંગ

મનાલીના સોલંગનાળા સ્થિત અંજની મહાદેવ દુનિયાનું સૌથી મોટું પ્રાકૃતિક શિવલિંગ માનવામાં આવે છે. જ્યારે પણ અહીં પારો માઇનસ પહોંચી જાય છે આ કુદરતી શિવલિંગનો આકાર બનાવાનો શરુ થઈ જાય છે. જે ફેબ્રુઆરીમાં શિવરાત્રી સુધીમાં અંદાજે 35 ફૂટ જેટલુ ઊંચું વિશાળ શિવલિંગ બની જાય છે.

હકીકતમાં અહીં આવેલ અંજની મહાદેવ પાસે પડતું ઝરણું ઠંડીના કારણે બરફ બની જાય છે અને તેનો આકાર કુદરતી રીતે જ મોટા શિવલિંગ જેવો થઈ જાય છે. આ પ્રાકૃતિક ચમત્કારને જોવા માટે દર વર્ષે દેશ-વિદેશથી હજારો પર્યટકો અને શ્રદ્ધાળુઓ આવે છે.

મનાલીથી 25 કિમી દૂર આવેલ સોલંગનાળા પાસે આવેલ આ અંજની મહાદેવનું કુદરતી શિવલિંગ સમુદ્ર સપાટીથી સાડા અગિયાર હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું છે. એવી માન્યતા છે કે આ શિવલિંગના દર્શન કરનાર વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે. અહીં શ્રી અમરનાથ બાબા બર્ફાની કરતા પણ મોટું શિવલિંગ બને છે. આ સ્થળની પ્રચલિત પૌરાણીક કથા અનુસાર ત્રેતા યુગમાં માતા અંજનીએ પુત્ર પ્રાપ્તિ અને મુક્તિ માટે અહીં જ તપસ્યા કરી હતી. જેની તપસ્યાથી પ્રસન્ન થઈને શિવજીએ દર્શન આપ્યા હતા.કહેવાય છે કે ત્યારથી આ પ્રાકૃતિક શિવલિંગ બને છે.


મહત્વપૂર્ણ બાબત એ છે કે અહીં આવેલ અંજની મહાદેવના દર્શન કરવા હોય તો શ્રદ્ધાળુએ બરફ પર ખુલ્લા પગે ચાલીને જવું પડે છે. પરંતુ આશ્ચર્યની વાત છે કે આ બરફ પર ખુલ્લા પગે ચાલતા કોઈપણ શ્રદ્ધાળુને હજુ સુધી ક્યારેય હિમ ડંખ કે બીજા કોઈ પ્રકારનું શારિરિક કે આરોગ્યની દ્રષ્ટીએ નુકસાન નથી પહોંચ્યું. માહિતી મુજબ લગભગ 150 મીટર સુધી લોકો બરફ પર ચાલીને શિવલિંગના દર્શન કરવા જાય છે. ત્યારે અહીં રહેતા લોકોનું કહેવું છે કે આ જગ્યાનો જ પ્રતાપ છે કે બરફ વચ્ચે ખુલ્લા પગે ચાલવા છતા શ્રદ્ધાળુઓને કોઈ નુકસાન થતું નથી.

અંજની મહાદેવ સુધી પહોંચવા માટે બસ અને ટેક્સી દ્વારા મનાલી સુધી પહોંચવું પડે છે. ત્યારબાદ મનાલીથી સોલંગનાળા સુધીનો 15 કિમીનો પ્રવાસ કરવા માટે તમને અહી ટેક્સી મળી રહેશે. સોલંગનાળા પહોંચ્યા બાદ અંજની મહાદેવ સુધી પહોંચવા માટે 5 કિમીનો પ્રવાસ પગપાળા અથવા ઘોડા પર બેસીને કરવાનો રહે છે. ત્યારબાદ મંદિરથી પ્રાંગણમાં 150 મીટર સુધી ખુલ્લા પગે બરફમાં ચાલવાનું રહે છે.

(ભૂતકાળમાં આ જગ્યાએ બાપુ નાની જગ્યામાં ઇગલું બરફની ઝુંપડી બનાવી રહેતા ... અને જે શ્રધ્ધાળુઓ આવે તેમને ગરમા ગરમ ખીર ખવડાવતા.. હાલ બાપુ હયાત નથી પણ... પ્રસાદમાં ખીર જરૂર મળે છે.. )