કાશ્મીરમાં ચિનાબ નદી પર બનેલા જગતના સૌથી ઊંચા રેલવે પુલ વિશે ‘જિપ્સી’માં આપેલો લેખ અહીં સમયોચિત અપડેટ સાથે વાંચો....
જમ્મુનો રિયાસી તાલુકો હિમાલયની પર્વતમાળાથી ઘેરાયેલો છે. ઓછામાં ઓછા પ,૦૦૦ ફીટ અને મહત્તમ ૧૪,૦૦૦ ફીટ ઊંચા પહાડોના ઢોળાવો પર તેમજ ખીણોની ગોદમાં અનેક ગામો વસેલાં છે. આ પૈકી બક્કાલ અને કૌરી વચ્ચેની ઊંડી ખીણમાં વહેતી ચિનાબ નદી પર છેલ્લાં કેટલાંક વર્ષથી વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ બની રહ્યો છે. પોલાદનો એ સેતુ arch/ આર્ચ પ્રકારનો એટલે કે કમાનાકાર છે. નદીના સામસામા કિનારેથી એકસાથે બે નોખી કમાનોનું બાંધકામ ઘણા વખતથી ચાલતું હતું. માર્ચ ૧૮, ૨૦૨૧ના રોજ ઇજનેરોએ બન્ને કમાનો વચ્ચે હસ્તમેળાપ કરાવી બહુ મોટું સીમાચિહ્ન પાર કર્યું.
ચિનાબ બ્રિજ તરીકે ઓળખાતો પુલ કઠિન ઇજનેરી પડકાર હતો. બ્રિજ પૂર્ણતઃ બની રહ્યા પછી તેની ગણના ઇજનેરી અજાયબી તરીકે થઈ છે. અલબત્ત, ઇજનેરી ઉપરાંત તેનું વ્યવહારિક મહત્ત્વ પણ છે. કારણ કે ચિનાબ બ્રિજ થકી પહેલી વાર જમ્મુ અને કાશ્મીર ખીણપ્રદેશ રેલવે લાઇન થકી એકબીજા જોડે સાંકળાયા છે. એક જ રાજ્યના (હવે કેંદ્રશાસિત પ્રદેશના) બે જુદા ભૌગોલિક છેડા વચ્ચે ઇતિહાસમાં પહેલી વાર રેલલિંક સ્થપાઈ છે. આજે જાણીને નવાઈ લાગે કે જમ્મુ-શ્રીનગરને લોઢાના પાટે સાંકળી લેવાનો માટેનો પ્રસ્તાવ છેક ૧૯૦પમાં મુકાયો હતો—અને છતાં પૂરાં ૧૨૦ વર્ષે હસ્તમેળાપનું મુહૂર્ત નીકળ્યું છે!
એપ્રિલ ૧૭, ૧૮પ૩ના રોજ મુંબઈના બોરીબંદર અને થાણે વચ્ચે પહેલી ટ્રેન દોડી એ સાથે હિંદુસ્તાનમાં રેલયુગનાં મંડાણ થયાં. પચાસેક વર્ષના સમયગાળામાં તો હિંદુસ્તાનનાં ઘણાં મુખ્ય શહેરો રેલવે થકી સંકળાઈ ચૂક્યાં હતાં. કાશ્મીર રજવાડાને રેલવેનો લાભ ૧૮૯૭માં મળ્યો. જમ્મુ અને સિઆલકોટ (વર્તમાન પાકિસ્તાન) વચ્ચે તે વર્ષે નિયમિત રેલવે સેવા શરૂ થઈ. આઠેક વર્ષ પછી બ્રિટિશહિંદની સરકારે શ્રીનગરને રાવલપિંડી (વર્તમાન પાકિસ્તાન) તથા જમ્મુ સાથે રેલમાર્ગે જોડવાની કાશ્મીરના મહારાજા પ્રતાપ સિંહ સમક્ષ રજૂઆત કરી. મહારાજાએ મંજૂરી પણ આપી, પરંતુ પ્રોજેક્ટની રૂપરેખા કાગળ પર જ રહી ગઈ. આઝાદી સુધી તો ઠીક, સ્વતંત્રતા મળ્યા બાદ પણ કાશ્મીર ખીણ ટ્રેનસેવાથી વંચિત રહી. દરમ્યાન જમ્મુ નગર પઠાણકોટ અને જાલંધર જેવાં શહેરો મારફત રેલવેના પાટે બાકીના ભારતથી જોડાયું.
■
વર્ષો વીત્યાં. જમ્મુ-શ્રીનગર રેલલિંકના ૧૯૦પમાં રજૂ કરાયેલા અને પછી ભૂલી જવાયેલા સૂચિત પ્રોજેક્ટને ૧૯૯૪માં ફરી યાદ કરાયો. ભારતીય રેલવેએ તે માટે બજેટ ફાળવ્યું, પરંતુ પાટા બિછાવવાનું કામકાજ હોતા હૈ, ચલતા હૈ ધોરણે આગળ વધ્યું. કોઈ પણ કાર્યને પૂર્ણ કરવામાં ઇચ્છાશક્તિ નિર્ણાયક પરિબળ હોય છે. અહીં તેનો તીવ્ર દુકાળ હતો. ગોકળગાયને પણ ઉસૈન બોલ્ટ કહેવડાવે એ ગતિએ ચાલતા કાર્યમાં થોડીઘણી ઝડપ આવી હોય તો ૨૦૦૨ પછી કે જ્યારે કેંદ્ર સરકારે જમ્મુ-શ્રીનગર રેલવે લાઇનને રાષ્ટ્રીય પ્રોજેક્ટ જાહેર કરી ૬,૦૦૦ કરોડનું જંગી બજેટ ફાળવી આપ્યું.
નાણાંકોથળી ખૂલ્યાના ત્રણેક વર્ષ પછી જમ્મુ-ઉધમપુર રેલસેવા શરૂ થઈ. ફક્ત પ૩ કિલોમીટર લાંબા પાટા બિછાવવામાં ૨૧ વર્ષ લાગ્યાં! આટલો બધો વિલંબ થવાનું બીજું લોજિકલ કારણ દુર્ગમ પહાડી ક્ષેત્ર હતું. હિમાલયના પર્વતોમાં બારૂદી ધડાકા કરીને કુલ ૨૨ બોગદાં કોતરવા પડ્યાં, જેમાંનું એક તો અઢી કિલોમીટર લાંબું હતું. ત્રેપન કિલોમીટરના રૂટ પર ઊભા કરાયેલા પુલોની સંખ્યા ૧પ૮ કરતાં ઓછી નહોતી.
આ તરફ જમ્મુની ઉત્તરે ઉધમપુર સુધી અને ત્યાર પછી ઉધમપુરથી વધુ ઉત્તરે વૈષ્ણોદેવી ધામના કતરા સુધી રેલવેના પાટાની બિછાત થઈ. પેલી તરફ શ્રીનગર તથા તેની દક્ષિણે બનિહાલ લગી ટ્રેક નખાયો. જમ્મુ-શ્રીનગર રૂટ પર હવે કોઈ કામ બાકી રહ્યું તો કતરાને બનિહાલ જોડે સાંકળવાનું—અને ત્યાં એક કહેતાં અનેક ભૌગોલિક અડચણો હતી. હિમાલયના પર્વતોનો ખીચોખીચ પથારો હતો, જેમાં રેલમાર્ગ ચાતરવા માટે બધું મળીને ૬૩ કિલોમીટર લાંબી ટનલો તથા કુલ સાડા સાત કિલોમીટર લાંબા પુલો બનાવવા પડે તેમ હતા. સૌથી મોટી સમસ્યા તો જમ્મુના રિયાસી જિલ્લાના બક્કાલ અને કૌરી ગામો વચ્ચેની ઊંડી કોતરમાંથી વહેતી ચિનાબ નદીને ઠેકી જવાની હતી. કોતરની ઊંડાઈ લગભગ બારસો ફીટ અને પહોળાઈ પંદરસો ફીટ હોવાનું જોતાં પુલનું નિર્માણ સખત ચેલેન્જિંગ સાબિત થવાનું હતું.
ચિનાબના સામસામા કાંઠાનું ભૂસ્તરીય બંધારણ તપાસ્યા પછી ઇજનેરોએ arch/ આર્ચ પ્રકારનો બ્રિજ બનાવવાનું ઠરવ્યું. આર્ચ યાને કમાન, જે ઉપર તરફ વળેલી હોવાને લીધે તેના પર ટ્રેનનું વજન આવે ત્યારે તે પોતાના ડાબા-જમણા છેડા તરફ તેને ટ્રાન્સ્ફર કરે છે. કેટલુંક વજન આર્ચને આધાર આપતા મજબૂત સ્તંભોને પણ વરતાય, જેમની કસોકસ બાંધણી પુલને મજબૂતી પ્રદાન કરે છે.
અલબત્ત, ઇજનેરી પ્લાનમાં જ ડખો હોય તો તેના પરથી બનેલો આર્ચ બ્રિજ ફસક્યા વિના રહે નહિ. કમાન વધુ પડતી લાંબી હોય કે પછી તેને ટેકો દેનારા સ્તંભો જોઈએ તેટલા મજબૂત ન હોય ત્યારે પુલની સુરક્ષા જોખમાય છે. ભારેખમ ટ્રેનનું વજન કમાનના બન્ને છેડા તરફ ટ્રાન્સફર થતું સ્તંભોને કડાકાભેર તોડી નાખે. માનો કે સ્તંભ પોતે અડીખમ છે, પણ કમાનમાં કચાશ રહી ગઈ, તો એવે વખતે ડાબા-જમણા સ્તંભોનું વળતું દબાણ કમાનને વચલા ભાગે કડાકાભેર બટકાવી નાખે. આ બધા અને આવા તો બીજા અનેક તકાદા ધ્યાનમાં રાખી ઇજનેરોએ કમાનની અને સ્તંભોની વરસોવરસ ટકે તેવી ઠસોઠસ મજબૂતીવાળી ડિઝાઇન તૈયાર કરી દીધી.
કેટલાંક વર્ષ પછી ચિનાબ નદીના બેય કાંઠે પર્વતીય ઢોળાવ ઉપર ૪૨૬ ફીટ અને ૩૨૮ ફીટ ઊંચા બે સ્તંભો ઊભા કરી દેવાયા. આગામી તબક્કો ધાતુની મજબૂત કમાન રચવાનો હતો—અને તે સૌથી કઠણ કાર્ય હતું. ચિનાબ નદીએ રચેલી ૧,૨૦૦ ફીટ ઊંડી અને ૧,પ૦૦ ફીટ પહોળી કોતરથી ઉત્તુંગ ઊંચાઈએ કશા આધાર વિના હવામાં લટકતી કમાન રચતી વખતે એક જોખમ સૂસવતા પવનનું હતું. આ પહાડી વિસ્તારમાં ઘણી વાર કલાકના ૨૦૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય. આટલી તીવ્ર થપાટો લોખંડના કાચા માળખાને હલબલાવી નાખે અને હાડમાંસના માણસને તો ક્યાંય ફંગોળી દે. આથી ઇજનેરોએ તથા શ્રમિકોએ સાવધાની વર્તવી પડે.
બીજું, મેદાની પ્રદેશોમાં પુલો માટે જે સ્ટીલ વપરાય તે અહીંના વિષમ વાતાવરણમાં ન ચાલે. શિયાળામાં બક્કાલ અને કૌરી ગામોનું તાપમાન શૂન્ય નીચે પંદર અંશે સરી જાય ત્યારે કઠોર ઠંડીમાં સામાન્ય પોલાદની મજબૂતીનો ગુણધર્મ જોખમાય. આથી ચિનાબ બ્રિજ માટે ખાસ પ્રકારનું સ્ટીલ બનાવવું પડે. ઇજનેરોએ તે માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજિ, રૂરકી તથા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સિસ, બેંગલુરુના ધાતુનિષ્ણાતોને રોક્યા. આઇસ કોલ્ડ વાતાવરણમાં પણ મજબૂતીનો ગુણધર્મ જાળવી રાખે તે પ્રકારનું ઉચ્ચ ગુણવત્તાનું સ્ટીલ તૈયાર કરાયું અને તેના વડે ૬૩ મિલિમીટર જાડાઈ ધરાવતા સેક્શન્સ (ટુકડા) ઘડવામાં આવ્યા. સ્ટીલની મજબૂતી કેટલી તેનો ખ્યાલ એ વાતે મળે કે ભવિષ્યમાં ધારો કે કોઈ આતંકવાદી ડાઇનામાઇટ વડે પુલની કમાનમાં ધડાકો કરે તો પણ ધાતુના સેક્શન્સને નુકસાન પહોંચવાની સંભાવના નહિવત્ જેવી છે. ધાતુની કમાન જેના ટેકે ઊભી કરાઈ છે તે સ્તંભોનું કોંક્રિટ પણ પ્રચંડ બારૂદી વિસ્ફોટની માર ખમી લે એટલું કાઠું છે.
કુલ મળી ૨પ,૦૦૦ ટન સ્ટીલમાંથી બનેલી હજારો પેનલોને પરસ્પર જોડવા માટે ૬,૦૦,૦૦૦ જેટલા નટ-બોલ્ટ તથા રીવેટો વપરાયા છે. વેલ્ડિંગના અસંખ્ય ટાંકા પણ લેવાયા છે. માર્ચ ૧૮, ૨૦૨૧ના રોજ ચિનાબ બ્રિજની કમાન પૂર્ણતઃ રચાઈ ત્યારે સપાટીથી તેનું લેવલ લગભગ ૧,૨૦૦ ફીટે હતું. (એક સરખામણી : ફ્રાન્સનો એફિલ ટાવર ૧,૦૬૩ ફીટ ઊંચો છે.) વિશ્વમાં બીજે ક્યાંય આટલી ઊંચાઈએ રેલવે સેતુનું નિર્માણ કરાયું નથી. ભારતના ચિનાબ બ્રિજે એ બાબતે વર્લ્ડ-રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે.
સાભાર:-
લેખન : હર્ષલ પુષ્કર્ણા (જિપ્સી મેગેઝિન)