આલેખન : રમેશ તન્ના
ભજનિક હેમંત ચૌહાણે આરટીઓમાં 11 વર્ષ કારકુન તરીકે કામ કર્યું હતું...
ગુજરાતના જાણીતા ભજનિક હેમંત ચૌહાણનો આજે જન્મદિવસ છે. મીઠો અવાજ ધરાવતા હેમંતભાઈએ ભજનોને ગુજરાતના કરોડો લોકોના હોઠ અને હૃદય સુધી પહોંચાડ્યાં છે. તેમના અવાજમાં 'દેખંદા કોઈ આ દિલમાંય, ઝણણણ ઝણ ઝણણ ઝણ ઝાલર વાગે' સાંભળીયે કે પછી બાબા રામદેવ પરણાવે અથવા બપૈયા પીયુ પીયુ મત બોલ... સાંભળીએ તો સમાધિમાં જતા રહીએ.
હેમંતભાઈનો જન્મ સાતમી નવેમ્બર, 1955 વિક્રમ સંવત 2011, આસો વદી આઠમને સોમવારે સૌરાષ્ટ્રના જસદણ તાલુકાના કુંદણી ગામે વણકર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના દાદા રામજી દાદા ભજનના રંગમાં રંગાયેલા હતા. તેમની કેડમાં ઝૂલતાં, આંગળી પકડીને ગલીઓમાં ફરતાં નાનકડો હેમંત ભજનના પાઠ ભણવા માંડ્યો. તેમના દાદા હેમંતભાઈ પાસે ભજનો વારંવાર ગવડાવતા. તેઓ કહેતા કે ભજન યાદ તો રહેવું જ જોઈએ. સાથે સાથે અસલ ઢાળમાં ગવાવું પણ જોઈએ. ઘરમાં રામાયણ અને મહાભારતના પાઠ થતા.
હેમંતભાઈએ રાજકોટની બાજુમાં આવેલા ત્રંબા ગામમાં દસમાં ધોરણ સુધી અભ્યાસ કર્યો. પછી રાજકોટમાં કોલેજ કરી. જે વિષય સાથે તેમને કશુંજ લાગે વળગે નહીં તેવા અર્થશાસ્ત્ર વિષયમાં બીએ કર્યું. આ દરમિયાન જ સંગીતનો વિધિસરનો અભ્યાસ કર્યો. તેમણે સંગીતનું પાયાનું જ્ઞાન મેળવવા મધ્યમા સુધી તાલીમ લીધી.
અભ્યાસ દરમિયાન જ આકાશવાણી રાજકોટમાં સ્વર પરીક્ષા આપી અને પાસ થયા. હેમંતભાઈને ભજનિક તરીકે પ્રસ્થાપિત કરવામાં અને સફળતા અપાવવામાં આકાશવાણી રાજકોટનું મોટું પ્રદાન છે. તેઓ દિલ્હીમાં સ્વર પરીક્ષા આપવા ગયા ત્યારે તેમણે ચાર ભજનો ગાયાં. તેઓ ભજનો ગાઈને સ્ટુડિયોમાંથી બહાર આવતા હતા ત્યારે એક પરીક્ષકે કહ્યું કે મારો આજનો દિવસ સુધરી ગયો. તેમને ખબર નહોતી કે એક દિવસ આ ભજનિક દેશ-વિદેશમાં ભજનોની હેલી વરસાવવાનો છે અને અનેક લોકોના ભવ સુધારવાનો છે.
શરૃઆતમાં તેઓ ભજન ગાવાના પૈસા બિલકુલ લેતા નહીં. રાજકોટમાં ભજન ગાવા જતા ત્યારે હારમોનિયમ ઉપર લોકો પૈસા મૂકે. ભજનના પૈસા ના લેવાય એવી માન્યતા એટલી બધી રુઢ થઈ ગઈ હતી કે ટેરિકોટનના શર્ટમાં ખૂબ ઠંડી વાતી હોય તો અંદર ચોપડા નાખીને ઠંડીનો સામનો કરે, પણ પૈસા તો ના જ લે. આજે પણ તેમના માટે ભજન કેન્દ્રમાં છે, પૈસા નહીં.
હેમંત ચૌહાણે અર્થશાસ્ત્ર સાથે એમએ જોઈન્ટ કર્યું. એક વર્ષ પૂરું કર્યું. તેમણે આરટીઓમાં અગિયાર વર્ષ કારકુની કરી. આકાશવાણીએ તેમને ફેમસ કરેલા એટલે ભજનના કાર્યક્રમો મળતા. મન ભજનમાં રંગાઈ ગયેલું એટલે નોકરીના સમયે પણ તેઓ ભજનમય રહેતા. નોકરી છોડવાનું મન થાય, પણ હિંમત નહોતી. નોકરી સમયે એક દિવસ ટેબલના પાનામાં ભજનની ચોપડી રાખી ભજન વાચતા હતા ત્યાં તેમના સાહેબે તેમને પકડી પાડ્યા. કોઈ છોકરો પરીક્ષામાં ચોરી કરતા પકડાઈ જાય તેવી દશા થઈ. સાહેબે કહ્યું કે કાં તો ભજન કરો કાં તો નોકરી કરો. તેમણે નોકરી છોડી અને ભજન કર્યાં. આજે ઈતિહાસ રચાઈ ગયો છે.
તેમણે ગાયેલાં અનેક ભજનો ગુજરાતના ગામે ગામ વારંવાર સંભળાય છે અને ગવાય છે. અનેક જૂનાં ભજનોને તેમણે જાણીતાં કર્યાં. તેમના અનેક આલબમો ખૂબ વેચાયા. હેમંતભાઈએ વિશ્વના અનેક શહેરોમાં ભજન પહોંચાડ્યાં છે. તેમણે પ્રાચીન સંતવાણીનું ખૂબ ગહન સંશોધન પણ કર્યું છે. ગામે ગામ ફર્યાં છે.
અનેક સાધુ, સંતો, મહંતો, ધ્યાનીઓ, વિદ્વાનોનો સંપર્કમાં આવ્યા પછી છેવટે તેમણે સદગુરુ તરીકે લાલબાપુને સ્વીકાર્યા છે.
હેમંતભાઈ પોતાના દાદાને પ્રેરણામૂર્તિ માને છે. પિતાજી અને કાકાનો પણ આભાર માને છે. તેમની દીકરી ગીતા પણ ખૂબ સુંદર ગાય છે.
ભજનની જેમ જ તેમણે અનેક બીજી ભક્તિરચનાઓ પણ ગાઈ છે અને લોકપ્રિય થઈ છે. ગરબાને પણ તેમણે જીવંત કર્યાં છે. પંખીડા રે...પંખીડા રે... આ ગરબાને તેમણે નવી ઓળખ આપી છે. આવા તો અનેક ગીતો છે.
હેમંતભાઈએ સંત કબીર સાહેબ, સંત રોહિદાસ, ગુરુ નાનક, મીરાબાઈ, નરસિંહ મહેતા, દાસી જીવણ, જેસલ તોરલ, લાખા લોયણ, ગંગા સતી, દેવાયત પંડીત, ભીમ સાહેબ, મોરાર સાહેબ, રવિ સાહેબ, ખીમ સાહેબ, ત્રિકમ સાહેબ, રામદેવપીર, જલારામ, ભોજા ભગત, કડવા ભગત, પુરુષોત્તમ વગેરેનાં ભક્તિગીતો ગાયાં છે.
તેઓ અનેક એવોર્ડથી પણ વિભૂષિત થયા છે.
જણ જણને ભજનથી રંગનાર આવા હેમંતભાઈ ચૌહાણને જન્મદિવસના અભિનંદન.