રામાયણ : વાલી મૃત્યુ સંજોગ

ગઈકાલે અને આજે એમ બે દિવસ વાલીના મૃત્યુની વાત જોઈ, અને એક ખૂબ સહજ પ્રશ્ન વિશે વિચાર્યું, કે પ્રભુ રામે વાલીની મદદ કેમ ન લીધી? સુગ્રીવ તો વાલી કરતા નબળો હતો એ સહજ સમજાય છે તો એની સાથેની મિત્રતા શું કામની? જો પ્રભુએ સુગ્રીવને બદલે વાલી સાથે મિત્રતા કરી હોત તો ફાયદામાં ન રહ્યા હોત?

એ પહેલા વાલી દુદુંભી યુદ્ધની વાત જરૂરી છે. દુદુંભી મયાસુરનો પુત્ર હતો, મંદોદરીનો ભાઈ. કહેવાય છે કે વાલીની સાથે જે યુદ્ધમાં ઉતરતું તેનું અડધું બળ વાલીને મળી જતું. દુદુંભીમાં હજાર હાથીઓનું બળ હતું અને એનો આકાર બળદ જેવો હતો. નાગલોક જીતી એણે ધરતી પર આવી વાલીને યુદ્ધ માટે લલકાર્યો. એ બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને દુદુંભી ખરાબ રીતે હાર્યો પછી એણે વાલીને પોતાને છોડી મૂકવા વિનંતિ કરી, પણ વાલીએ એની ડોક મરડી એને મારી નાખ્યો અને એને હવામાં ગોળ ગોળ ફેરવીને બળપૂર્વક ફેંક્યો. એ ઋષિમુખ પર્વતની તળેટીમાં યજ્ઞ કરી રહેલા માતંગ ઋષિ પાસે પડ્યો અને એના ખુલ્લા મુખમાંથી રક્તના છાંટા ઉડ્યા. આથી ગુસ્સે થયેલા માતંગ ઋષિએ આકાશ તરફ જોઈને શ્રાપ આપ્યો કે જેણે એમના યજ્ઞને ભંગ કર્યો છે એ જો એમના પર્વતની આસપાસ પણ આવશે તો એનું મસ્તક એ જ ક્ષણે ફાટી જશે. હનુમાનને ખબર પડી કે માતંગ ઋષિના શ્રાપને કોઈ પણ વરદાન તોડી શકે એમ નથી.

પણ એ સાથે આ વાતના સંદર્ભને વધુ સ્પષ્ટ કરવા વાલી - રાવણનો પ્રસંગ પણ જરૂરી છે. દંડકવન વિંધ્યાચળ પર્વતમાળાથી લઈ દક્ષિણ ભારત સુધી ફેલાયેલ માનવામાં આવે છે અને કિષ્કિંધા એનો એક ભાગ હતો, જે આજના કર્ણાટકના હમ્પી પાસે હોવાનું મનાય છે. વાલી એકવાર સમુદ્રકિનારે પૂજા કરવા ગયો હતો, પૂજા શરૂ કરતા પહેલા એણે નારદજીને આકાશમાર્ગે દક્ષિણ તરફ જતા જોયા અને વાલીએ તેમનું અભિવાદન કર્યું. નારદજી ઉતાવળમાં હતા, એટલે વાલીએ એનું કારણ પૂછ્યું, જેના જવાબમાં નારદજીએ કહ્યું કે તેમને દક્ષિણમાં મહારાજ રાવણે ઈન્દ્ર પર વિજયના ઉત્સવમાં આમંત્રિત કર્યા છે જ્યાં રાવણ ભવ્ય ઉત્સવ મનાવી રહ્યો છે. રાવણે હવે દેવતાઓને પણ જીતી લીધા છે અને એ પણ હવે રાવણના તાબામાં છે.

આ સાંભળી વાલી તેમને કહે છે કે રાવણે પોતાના વરદાન અને માયાવી સેનાથી નબળાઓ પર વિજય મેળવ્યો છે, પણ એ મારી સરખામણીએ કંઈ નથી, મારું બળ એ જાણે છે અને મારાથી ડરે છે. તમે એને મળો ત્યારે મારી આ વાત જરૂર કહેજો.

નારદ રાવણને ઉત્સવ પછી આ વાત કહે છે, જેના ઉત્તરમાં રાવણ કહે છે કે એ વાનરને હું ઈન્દ્રની જેમ જ બાંધીને મારા તાબામાં રાખીશ, મારા રાક્ષસો એને હેરાન પરેશાન કરી મૂકશે અને એ મારા ચરણોમાં પોતાનું શીશ નમાવશે. રાવણ સેના સાથે જવા નીકળે છે કે નારદ એને કહે છે, કે એક વાનર માટે આખી સેનાની શી જરૂર, એ માટે તો તમે એકલા પૂરતા છો. વાલીને હરાવવા તત્પર રાવણ એકલો પુષ્પક વિમાનમાં બેસી કિષ્કિંધા આવે છે અને ત્યાં વાલીને યુદ્ધ માટે પડકાર કરે છે. કિષ્કિંધામાંથી વાલીને બદલે સુગ્રીવ બહાર આવી રાવણને જુએ છે, એ કહે છે કે વાલી સમુદ્રકિનારે પૂજા માટે ગયો છે. રાવણ એની રાહ જુએ અથવા સમુદ્ર કિનારે જઈ શકે છે.

ખૂબ શાંતિથી રાવણ પુષ્પક વિમાન સમુદ્રકિનારે ઉતારી ધ્યાનમગ્ન વાલીને જુએ છે. કંચનવરણી કાયા અને વિશાળ સ્વરૂપ જોઈ એ થોડો ગભરાય છે પણ હવે એ ભાગી શકે એમ નથી. રાવણ વિચારે છે કે એ ધ્યાનમાં છે ત્યાં સુધીમાં એની પાછળ જઈ, પૂંછડેથી એને પકડી, ગોળ ફેરવીને ફેંકી દેવો. એ ચૂપકીદીથી વાલીની પાછળ જઈ પોતાના હાથોથી એની પૂંછડી જોરથી પકડે છે. વાલીની પૂંછડી લાંબી થતી જાય છે, રાવણ આખરે પોતાના વીસેય હાથોથી પૂંછડી પકડી લે છે અને એના બધા હાથ ફરતે અને ધીરે ધીરે એના સમગ્ર શરીર ફરતે પૂંછડી વીંટળાઈ જાય છે. કલાકો પછી વાલી ધ્યાનમાંથી જાગે ત્યારે રાવણને પૂંછડે વીંટળાયેલો જોઈ એ હસે છે, એ રાવણને કહે છે કે કોઈ વ્યક્તિ પૂજામાં હોય, ધ્યાનમાં હોય તો તેના પર પાછળથી હુમલો તો કાયર જ કરી શકે. એ કહે છે કે રોજની શિવ પૂજા રૂપે એને બાકીના ત્રણ સમુદ્ર પણ ઓળંગવાના છે. રાવણના મસ્તકને એ પોતાની બગલમાં દબાવી પર્વતો કૂદતો કૂદતો વિશ્વની પ્રદક્ષિણા કરે છે અને પૂજા પૂર્ણ કરે છે. પછી ઘરે આવી રાવણને એ અંગદના ઘોડીયા પર લટકાવી દે છે. રાવણની અનેક વિનંતિઓ પછી એ એને છોડી મૂકે છે.

વાલી અને માયાવીના પ્રલંબ યુદ્ધ અને સુગ્રીવે રક્તની ધારા જોઈ અને દર્દભર્યો ચિત્કાર સાંભળી બંધ કરી દીધેલું ગુફાનું દ્વાર, પછી એનો રાજ્યાભિષેક, વાલીની ગેરસમજ અને એણે સુગ્રીવની પત્ની પર કબજો કરી એને કાઢી મૂક્યો એ બધી વાત તો બતાવાઈ છે જ. એનું પુનરાવર્તન ટાળું છું.

હવે મૂળ પ્રશ્ન તરફ આવીએ. સુગ્રીવ – વાલી – રામની ત્રિકોણીય વાતમાં મને એકથી વધુ પરિમાણ દેખાય છે.. પરમદિવસની પોસ્ટમાં વાત મૂકી હતી ત્યાંથી જ શરૂ કરું કે રામ અને લક્ષ્મણ સીતાની શોધમાં ઋષિમુખ પર્વત પાસે પહોંચે ત્યારે બળવાન અને રૂપસંપન્ન બંને રાજકુમાર જેવા દેખાતા ઋષિકુમાર છે કે કોણ છે એવું જાણવા સુગ્રીવ હનુમાનજીને મોકલે છે. સુગ્રીવ ઋષિમુખ પર્વત પર છે, ઋષિનું મુખ – એટલે શાસ્ત્રો – એટલે ધર્મ – જીવન પદ્ધતિ. સુગ્રીવ જો માતંગ ઋષિના આશ્રમના વિસ્તારમાં આવતા એ પર્વત વિસ્તારની બહાર નીકળે તો વાલી એને મારી નાખે. વાલી ત્યાં આવી શક્તો નથી. મને અહીં બે વસ્તુઓ સ્પર્શે છે, તાત્વિક રીતે વિચારતાં સુગ્રીવ નબળો છે, એને ઋષિમુખના વિસ્તારમાં જ જીવ બચાવવાની આશા છે, મતલબ એ ભલે નબળો છે પણ ધર્મની નજીક હશે.

બીજુ જુઓ, વાલી જ્યાં આવી શક્તો નથી એ પર્વતનું નામ છે ઋષિમુખ – શાસ્ત્રો; વાલી શાસ્ત્રોની, ધર્મની કે જીવનપદ્ધતિની નજીક ફરકી શક્તો નથી કારણ કે એણે સતત બળના મદમાં અધર્મ આચર્યો છે. અધર્મી માણસ ધર્મની નજીક આવે તો અભિમાન અને અહંને લીધે એનું માથું ફાટે છે, શક્તિ અને સત્તા અમાપ થઈ જાય ત્યારે અણસમજુ અને ગર્વિષ્ઠ માણસ ધર્મથી વિમુખ થઈ જતો હશે, ધર્મ એને લોજિક વગરનો લાગે છે. સારાસારનો વિવેક ભૂલીને કે સમાજવ્યવસ્થાને અવગણીને એ પોતાની મરજીને જ નિયમ માને છે, અને આમ એ અધર્મ આચરે છે. રામ તો ઋષિમુખ પર જ હોય, રામ તો શાસ્ત્રો અને ધર્મ પાસે જ હોય, અને વાલી ત્યાં નથી એટલે રામ એની સાથે ન જ હોઈ શકે, આ થયો મને સૂઝેલો એક અર્થ.

સુગ્રીવની ફક્ત એક જ ક્વોલિફિકેશન છે, કે હનુમાનજી એની સાથે છે, સુગ્રીવને પણ ધર્મની સમજ નથી, એ પોતાના ડરને લીધે ધર્મની સાથે છે, એ ધર્મથી એને કોઈ લાભ નથી, પણ એની સાથે હનુમાનજી છે, એની સાથે જ્ઞાનવાન માણસોની સંગત છે. એટલે જ્યારે એ રામ લક્ષ્મણને ઓળખવા હનુમાનને મોકલે ત્યારે મને એમ સમજાય છે કે ડરને લીધે ધર્મ પાળતો નબળો માણસ પોતાના જ્ઞાની મિત્રને ઈશ્વરની ખાતરી કરવા મોકલે છે. જ્ઞાનીને તો ખબર જ છે કે ઈશ્વર કોણ છે, પણ પેલા નબળા મનના માણસને તર્કથી ઈશ્વર વિશે સમજાવવા એ પણ મૂળભૂત પ્રશ્નો કરે છે. નહિંતર શું હનુમાનજી રામને કે રામ હનુમાનને નહોતા ઓળખી શકવાના? પણ આ આખો વહેવાર પેલા અજ્ઞાની માટે છે, દસમા પગથિયા સુધી એને લાવવા એને પહેલે પગથિયેથી યાત્રા શરૂ કરાવવી પડે છે. ઈશ્વરે પણ પોતાનો લૌકિક પરિચય આપવો પડે છે.

મજેદાર વાત એ છે કે સુગ્રીવને જ્ઞાનીના કહ્યા પછી પણ ભગવાન પર ભરોસો નથી, એટલે એ દુદુંભી રાક્ષસના મહાકાય કંકાલને દૂર ફેંકી બતાવવા રામને કહે છે. અને રામ એને દૂર ફેંકે છે. એ સાત નાળિયેરીના વૃક્ષો વીધવા કહે છે. તર્ક કરનાર માટે ઈશ્વરને ઓળખવાનો એક જ માર્ગ છે, ચમત્કાર બતાવો. એની કાલ્પનિક તકલીફોના કંકાલ દૂર કરવા અને એની દ્રષ્ટિ રોકતી આડશો વીંધી એને દૂરદ્રષ્ટિ આપવા. રામ એ પણ કરી બતાવે છે.

રામ શિવ છે અને સુગ્રીવ જીવ છે, અને બંનેને સાંકળતી કડી હનુમાન સુગ્રીવના ગુરુ છે.

પહેલો પ્રશ્ન તો એ થયો કે તાડકા, ખર દૂષણ જેવા રાક્ષસોને મારવા છતાં રામને સુગ્રીવ અને એની વાનરસેનાની જરૂર શા માટે પડી હશે?

પહાડો, નદીઓ, જંગલો પાર કરી રાવણ ક્યાં છે તે શોધવા જવું, એ સમાચાર લાવી આખી સેના ત્યાં લઈ જવી અને રાવણને હરાવવો એ યુદ્ધનીતી મુજબ માનવો માટે શક્ય નહોતું. યુદ્ધ પહેલા જ એ સેના થાકી હારી જાય. માનવસેના હોત તો પણ આપેલા સમયમાં એ અશક્ય હતું. (જો રામ સમયસર ન પહોંચે તો ભરતજી આત્મદાહ કરવાના હતા.) એની સામે વાનરો ઝડપથી આ બધું ઓળંગી શકે, ઝડપ અને ચપળતાને લીધે એ ક્યાંય વધુ ઉપયોગી હતા. પણ વાનરોનો રાજા શા માટે આ કામમાં રામની મદદ કરે, એ માટે એની પાસે કંઈક કારણ હોવું જોઈએ. અને વાલી અને સુગ્રીવ એ બે માંથી કોની પાસે મજબૂત કારણ છે? – સુગ્રીવ

સુગ્રીવનો ગુસ્સો, જીતની પ્રબળ આકાંક્ષા, ઘવાયેલું આત્મ સમ્માન અને પત્ની વિયોગ એ મુખ્ય કારણો હતા જેના લીધે એ રામનો સાથ આપવા તૈયાર થાય.

ધારો કે રામ વાલી પાસે ગયા હોત, તો વાલીને ફરી રાવણને હરાવવા સેના લઈને જવામાં રસ ન હોય, જેને હરાવ્યો છે એને ફરી શું કામ યુદ્ધ માટે ઉશ્કેરવો, આમ પણ કોઈ દરવાજે આવી પડકાર ન આપે ત્યાં સુધી વાલી લડવા જતો નહોતો, અને આ રીતે સીતાજીને શોધવામાં એ રસ ન દાખવે. પછી જો ત્યાંથી નિરાશ થઈ રામ સુગ્રીવ પાસે જાય તો પણ કામ ન બને. જો વાલી યુદ્ધ કરવા તૈયાર ન થાય તો પછી સુગ્રીવની સાથે વાનરોનો સમૂહ ન જ ઉભો રહે. અને થોડાક વાનરો જોડાય, થોડાક ન જોડાય એ પરિસ્થિતિ રામ માટે પ્રોત્સાહક ન રહે. એટલે હનુમાન પણ રામને લઈ સુગ્રીવ પાસે જાય છે. જ્ઞાની ગુરુ ક્યારેક ઈશ્વરને પણ જીવ સુધી લઈ આવે છે.

વળી રાવણે રામની પત્નીનું અપહરણ કર્યું છે, જે એના માટે એક સૂર્યવંશીની પત્ની છે. એ અધર્મને લીધે રાવણને હરાવવા કે સીતાજીને શોધવાની મદદ માટે રામ વાલી પાસે ન જ જઈ શકે, કારણ કે વાલીએ તો પોતાના ભાઈની પત્ની રૂમાને પડાવી રાવણથીય વધુ મોટો અધર્મ આચર્યો છે. તાત્વિક રીતે એવું કરતા રામ પર પણ અધર્મનો આરોપ લાગી શકે. એટલે એ રીતે પણ રામ વાલી પાસે જઈ શકે એમ નથી.

અહીં મને રામાયણ અને મહાભારતના પ્રસંગોની સરખામણી થઈ આવી. અંબિકા અને અંબાલિકા સાથે નિયોગ કરતા વ્યાસ અને સુગ્રીવની પત્ની રૂમાને પડાવી રાખતો વાલી. જો વાલીનું કર્મ અધર્મ હોય તો વ્યાસનું કર્મ અધર્મ કેમ ન કહેવાય? પણ એનો જવાબ વાલ્મિકી રામાયણમાં રામ જ આપે છે..

अस्य त्वम् धरमाणस्य सुग्रीवस्य महात्मनः |
रुमायाम् वर्तसे कामात् स्नुषायाम् पाप कर्मकृत् || ४-१८-१९||

અર્થાત, મહાત્મા સુગ્રીવ જીવે છે ત્યારે, અધર્મ કરવાની તારી આદતને વશ કામવાસનાથી ગ્રસ્ત થઈ સુગ્રીવની પત્ની સાથે, જે તારી પુત્રવધુ સમાન ગણાય; તેં પાપકર્મ આચર્યું છે. અહીં “મહાત્મા સુગ્રીવ જીવે છે ત્યારે” શબ્દો બોલ્ડ અને અંડરલાઈનમાં વાંચવા, એ વ્યાસના નિયોગનો ધર્મપ્રશ્ન મારે માટે ઉકેલી આપે છે.

રામ અને સુગ્રીવની એ સમયની પરિસ્થિતિ લગભગ સમાન છે. બંનેની પત્ની તેમની સાથે નથી, અને સુગ્રીવ સાથે મોટો અધર્મ થયો છે કારણ કે એની પત્ની તો એના સગા ભાઈએ પડાવી છે. ધર્મના પુન: પ્રસ્થાપન માટે વાલીને હણવું રામ માટે જરૂરી હતું. પોતાના નાના ભાઈની પત્ની તો પુત્રવધુ સમાન કહેવાય. પોતાની પુત્રી, અથવા બહેન, અથવા નાના ભાઈની પત્ની પર કુદ્રષ્ટિ કરવી ઘોર અપરાધ છે, એ કરનાર આતતાયી છે અને આતતાયીને હણવામાં પાપ નથી એટલે રૂમા પર કુદ્રષ્ટિ કરી વાલીએ પોતાનું મૃત્યુ નિશ્ચિત કરી લીધું.

વાલી અધિકારની વાત પણ કરે છે, જેના જવાબમાં રામ કહે છે કે સમગ્ર પૃથ્વી રઘુવંશીઓનું રાજ્ય છે અને મહારાજ ભરતની આજ્ઞાથી અધર્મીઓનો સંહાર એક સેવક તરીકે તેમની ફરજ છે. વાલી પોતાના ભાઈને એનો પક્ષ સમજ્યા વગર કાઢી મૂકે, એની પત્ની પડાવી લે, રાજ્ય પડાવી લે અને જીવ લેવા સતત એની પાછળ પડ્યો રહે એ અધર્મ છે, એથી વાલી વાનર હોવા છતાં શીલવંત ન રહેતા જંગલી જાનવર થઈ જાય છે અને શિકાર દરમ્યાન વનરાજીમાં રહીને જાનવરોને મારવા એ ક્ષત્રિયનો હક છે એમ પણ વાલ્મિકી રામાયણમાં રામ કહે છે. શ્રી રામનું તીર વાલીની છાતીમાં વાગે છે. એટલે રામ એની સામે હતા એ સ્પષ્ટ છે, સુગ્રીવ સાથે યુદ્ધ માટે જતા વાલીને તારા રોકે છે અને એને શ્રી રામનો મહિમા કહે છે, પણ એ તરફ ધ્યાન આપ્યા વગર વાલી યુદ્ધ કરવા નીકળે છે. રામ એની સામે જ છે, પણ વાલીનું સમગ્ર ધ્યાન સુગ્રીવને મારવા પર હોવાથી એ રામને જોઈ શક્તો નથી, એનું ધ્યાન રામ પર છે જ નહીં, એટલે રામ છુપાયા હશે એ કરતાં વાલી એમને જોઈ ન શક્યો હોય એમ હોય. આમ રામ વાલીના બધા સંશયો, બધા પ્રશ્નોના ઉત્તર આપે છે, અને વાલી પોતાની સજા બાબતે સંતુષ્ટ થઈ જીવ છોડે છે.

અને છેલ્લે ફરી ભક્તિ – એક સાચો ભક્ત ક્યારેક ઈશ્વરને પણ માર્ગ દેખાડી શકે, અને ઈશ્વર એ માર્ગને ફક્ત ભક્તની શ્રદ્ધાને લીધે, એના ભરોસે (ખભે બેસીને) પાર કરે એ તો હનુમાન જેવા આદર્શ અને સમર્પિત ભક્ત હોય તો જ શક્ય બને.

જય હનુમાન 🚩
જય શ્રી રામ 🚩

#Ramayan
#Mahabharat

સાભાર
જીજ્ઞેશભાઈ અધ્યારું

0 Comments

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મળે છે. બેક કિલોમીટર થાય. 👉પોખરણ કિલ્લો અને સંત બાલીનાથનો ધૂણો. 👉પાંચ પીપળી ધામ જ્યાં.. મક્કા થી આવેલા પીરો એ રામદેવજી ની પરીક્ષા લીધી હતી..અને પીર કેવાયા. 12 કિમી થાય. 👉ભૈરવ ગુફા .. પોખરણ પાસે આવેલ છે.

Follow Me On Instagram