આઈ શ્રી “મોગલ માઁ” નું મંદિર, ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં, ભગુડા ગામે આવેલું છે. જે “મોગલધામ” તરીકે ઓળખાય છે. આશરે ૪૫૦ વર્ષ જેટલો પ્રાચિન ઇતિહાસ ધરાવતાં આ માતાજીનાં સ્થાનકનું અનેરૂ મહત્વ રહેલુ છે. મહુવા તાલુકામાં પ્રકૃતિના ખોળે ચકલીના માળા જેટલું ભગુડા ગામ આવેલું છે. ખુલ્લા હરિયાળા ખેતરો અને અમી નજરોથી છલકાતા ભગુડા ગામમાં “આઈ મોગલ” બેઠી છે. આ ગામ જ્યાં ‘આઈ મોગલ’ હાજરાહજૂર છે. આ સ્થાન સાથે ઘણી પાવનકારી ઘટનાઓ અને કથાઓ જોડાયેલી છે. દેશ વિદેશથી આવતા હજારો લાખો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું ધામ એટલે ભગુડા ‘માઁ મોગલનું’ ધામ. તો ચાલો જાણીએ આ મોગલધામ ભગુડાનો ઇતિહાસ.બપોર નું ટાણું, સુરજ નારાયણ ઉપર આવેલા. ચૈત્ર-વૈશાખ નો ખુબ જ તાપ, એવે ટાણે અઢાર વરસની ની એક રાજપૂતની કન્યા નામ એનું સુજાનબા.. ગામની સીમમાં પોતાના બાપુને ભાત દેવા માટે રાજપૂતની દીકરી એકલી નીકળી છે…પણ રાજપૂત અને ચારણ ની દીકરી હોય એને પોતાની મર્યાદા ની ભાન હોય એ સ્વાભાવિક જ હોય. પણ રૂપ ,ગુણ, અમીરાત,ખમીરાત, ચારિત્ર ,લાજ સતીત્વ… આ બધું ભેગુમાલી એક રૂપમાં સામે ને હાલ્યું જાતું હોય એવી રાજપૂતાણી લાગતી હતી. ધીરા ધીરા ડગલાં ભરતી જાય, ક્યાંક પોતાના માવતરે આપેલી શિખામણો ને યાદ કરતી જાય, પોતે ક્ષત્રિયાણી છે એ વાતના અભિમાન માં હરખાતી જાય.વળી ક્યાંક ચારણ આઇ ની ચરજુ ગણગણ્યા કરે છે…અઢાર વરસની રાજપૂત ની દીકરી ધીરી ધીરી ડગલાં ભરતી એકલી હાલી જાય છે. એમાં પાછળથી ઘોડલાં આવતા હોય એવો અવાજ સંભળાણો.. અવાજ કાને પડતાં સુજાન ઘોડાઓને જગ્યા આપવા રાજપૂતની દીકરી પડખે હટી ગઈ. પણ ઘોડા આગળ ના નીકળ્યા પણ એ રાજપૂત દીકરી ને ફરતે ગોળ કુંડાળામાં ઉભા રઇ ગયા… ઘોડેઅશ્વર ના લીલા વેશ છે. મોટી દાઢીયું છે…. આવા ઘોડેઅશ્વરો રાજપૂત ની દીકરીને કૂંડાળે લીધી છે અને ઈ દળના મોભીએ (નવાબે) દીકરીને પૂછયું કે તું કોણ છો અને ક્યાં જાઓ છો?,ત્યારે દીકરી બોલી મારું નામ સુજાનબા છે . મારા બાપુનું ભાત લઈને જાઉં છું. નવાબ:- આવા તારા રૂપ અને ઉઘાડે પગે આવા ધોમ તડકામાં તું તારાબાપ માટે ભાત લઈને જાય એ સારું ના લાગે… આવા રૂપ તો કડીની હવેલી માં શોભે રાજા ને બંગલે શોભે. આટલી વાત સાંભળતા સુજાનબા સમજી ગઈ કે નવાબ ની નજર અને કહેણ શું છે અને શુ કહેવા માંગે છે. એણે સમજદારી પૂર્વક જવાબ આપ્યો… આપની વાત સાચી પરંતુ કોઈ દીકરી નું માંગું નાંખવું હોય તો એના બાપ પાસે વાત કરાય. અમારે રાજપૂતોમાં મર્યાદાનું પાલન કરવું પડે..,નવાબ બોલ્યો ક્યાં છે તારો બાપ, એનું નામ શું છે ? સુજાનબા: – મારા બાપુ વગડામાં ગાયું ચરાવે છે. એમનું નામ સુરસિંહ વાઘેલા છે. તમે ત્યાં ચાલો… આગળ સુજાનબા ચાલે છે એની પાછળ નવાબ નું બાર જણાનું ટોળું હાલતું આવે છે… આ બાજુ ઘોડાનો અવાજ સાંભળતાં ઝાડને છાંયે સુતેલા રાજપૂતને કાને પડે છે અને સામે નજર કરતાં આગળ સુજાનબા એની પાછળ મુસલમાનોનું દળ આવતું દેખાતા સૂરસિંહ પોતાની દીકરી ને પૂછે છે.. બેટા સુજાન આ કોણ છે ?,ત્યારે સુજાનબા બોલ્યા બાપુ આતો મેમાન છે! સુરસિંહ: – બેટા આવા મેમાન ? સુજાનબા: -હા બાપુ આપણા રાજપૂત ના ઘરે કોકદી આવા મેમાન પણ હોય ને કોકદી ઓલા મેમાન પણ હોય. સુરસિંહ: – બેટા…. આ મેમાન જોધપુર ના રાજાને પોસાય હું સુરસિંહ વાઘેલા છું મને આ ના પોસાય. જોધા ને અકબર પોસાય બાકી મારી દીકરી જો કડી ના બાદશાહ ને ત્યાં હોય તો હું રાજપૂતાણી ના પેટનો ના કહેવાઉં.. !! સુજાનબા: – બાપુ પણ લગન તો દેવા પડશે!.. સુરસિંહ: – તોય દેવા પડશે બેટા? સુજાનબા: – હા બાપુ… આટલી વાત સાંભળી સુરસિંહ ને થયું કે મારી દીકરી કોઈ દિવસ આવી વાત ના કરે પણ એણે કૈંક રસ્તો શોધ્યો હશે..,દીકરી ની વાત માની સુરસિંહે લગનની તિથિ આપી… કે આ તિથિએ તમે જાન લઈને આવજો.. અહીંથી બાદશાહ નું દળ કડી જવા રવાના થાય છે અને બાપ દીકરી પોતાના ઘરે પહોંચે છે. સાંજે સુરસિંહ પોતાની દીકરી ને પૂછે છે? બેટા શું વિચાર્યું છે તે? ત્યારે સુજાનબા એટલું બોલ્યા બાપુ રાજપૂતને વિચારવાનું ના હોય!.. નિર્ણય લેવાઈ ગયો હોય.. સુરસિંહ: – બેટા મનેતો મરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી લાગતો… હવેતો બાપ દીકરી બેઉને ઝહેરઘોડાવા સિવાય બીજો ઉપાય નથી લાગતો.. સુજાનબા: – ભલે બાપુ ઝહેર ભલે ઘોળી લઈએ.પણ બાપુ દરિયા બાજુ એક – બે અવાજ કરીયે તો? મારી માં કાયમ દરિયા બાજુ ધૂપ ફેરવતી ને નાનકડો કાળા કપડાનો કટકો રાખતી. પણ બાપુ મને એનું પૂરું નામ નથી આવડતું.. સુરસિંહ: – પણ દીકરી દરિયા બાજુ તો દ્વારિકાવાળો રહે છે અને બેટા એ આવે ત્યાં સુધી તો બઉ મોડું થઈ જાય.. દ્રૌપદી નો સાળી નો છેડો દુઃશાસન તાણાતો હતો પણ એ છેક કેડ થી છેડો નીકળવાની તૈયારી હતી ત્યારે ચીર પૂર્યા. બેટા એ ભીષ્મપિતામહ જોઈ શકે હું ના જોઈ શકું… સુજાનબા:- હા બાપુ આપની વાત સાચી પણ હું એનું નથી કેતી. સુરસિંહ: – તો બેટા આપણે મોત ને મીઠું કરી લઈએ… આના સિવાય બીજો રસ્તો નથી…સુજાનબા: – પણ બાપુ મારી માં કાયમ કહેતી હતી કે જેદી રાજપૂતો ને મર્યાદાના સંકટ પડે તેદી ચારણ ની ડોશીયુંને યાદ કરવા જોઈએ …. એ આઇયું ને યાદ કરે એને મરવાનું ના હોય આઇયું આપણી વારે જરૂર આવશે.. હું એની વાત કરું છું બાપુ. સુરસિંહ: – બેટા એ કઈ માંજીની તું વાત કરે છે!! સુજાનબા: – મને એ આઈનું નામ યાદ નથી, પણ એ દરિયા કાંઠે બેઠી છે… મને એનું નામ નથી યાદ આવતું. (વાત કરતાં અચાનક આઇનું નામ યાદ જીભેથી નીકળે છે) બાપુ એ આઈ મોગલ …. મોગલ …. મોગલ … હા બાપુ એનું નામ મોગલ છે.મારી માં કાયમ કેતી હતી કે એ ભગવતી કાયમ સહાય કરશે અને કાયમ આઈ ની ચરજૂં ગાતી… આટલી વાત કરતાં સુજાનબા ની ભુજાઓ ફરકવા મંડી, શરીર આખું ધ્રુજવા મંડ્યું…. કારણકે અંતરથી જેદી સાદ થાય ત્યારે માણસ નું રોમેરોમ કૈંક અલગ જ વર્તન કરતું હોય છે… અહીં વિરમગામ નજીક માં નાનકડા ગામની રાજપૂતાણીની દીકરીના અંતરનો સાદ સુણી.. આઈ મોગલ ઓખાથી રવાના થયાં અને પલ ભર માં કડી ના બાદશાહ ને ત્યાં પહોંચ્યા.. કડીના બાદશાહ ને ઢોલીયેથી હેઠો પછાડ્યો. ત્યારે બાદશાહ ના મોઢેથી હે “માં” શબ્દ નીકળ્યો…માં શબ્દ સાંભળતા આઈ મોગલે કહયું “માં” કહ્યું છે એટલે મારતી નથી, તું ભાગ… તને ખબર પડે કે કોઈઉપર કપરી મીટ(નજર) માંડવાના શું પરિણામ આવે છે… કડીનો બાદશાહ પોતાના મહેલ થી ભાગવા મંડ્યો એની પાછળ મોગલ માં ચાલતા જાય છે….. જંગલો, નદિયોં, ડુંગરાઓ, શહેરો… આ બધું પાર કરતો બાદશાહ ભાગતો જાય છે… ક્યાંક ઉભો રહે એટલે મોગલ માં આવતી દેખાય છે… ત્યારે કાગબાપુ નું એક ગીત યાદ આવે…. “બાઈ તારા છોરું ને સંતાપ્યા ને દેવળ દુભાવ્યા … એ …. આઈ તેદી ભેળિયો ઉતારી ને ભેઠ તેં વાળી રે.. મચ્છરાળી મોગલ…. આઈ ગાંડી થઈ ડણકી તું ડુંગર ગાળીયે….ખુબજ ભાગતા આગળ ગોહિલવાડ ના એક ગામમાં બાદશાહ પહોચેં છે… ગામજનો ને પોતે કડીનો બાદશાહ છે એવી બીક બતાવી અને કહે છે કે પાછળ કોઈ બાઈ આવે છે એને નો કહેતા કે હું અહી સંતાણો છું અને તમે લોકો આખા ગામને તાળા મારો… બાદશાહની વાત માની ગ્રામજનો પોતાના ઘરોને તાળા મારે છે.. પાછળથી માતાજી આવીને બાદશાહ ક્યાં છે એવું પૂછે છે તો ગામલોકો ના પાડે છે કે અહીં કોઈ નથી આવ્યું…પણ માતાજી બધું જણાતા હોવાથી એક પછી એક બધા બંધ દરવાજા ને તોળાતાં જાય છે અને બાદશાહ જે ઘરમાં છે એનું તાળું સૌથી છેલ્લે તોળે છે…. બાદશાહ પગે પડી માતાજીની માફી માંગે છે અને બીજીવાર આવી ભૂલ નઈ કરે આવું વચન આપે છે … “માં” શબ્દ સાંભળીને માતાજી તેને માફ કરી જવા દે છે… બાદશાહ ના ગયા પછી માતાજી ગામમાં ઉભા છે…. આઇનું રૂપ ફરી ગયું છે, ભુજાઓ ફરકે છે.. આખા ગામને ભેગું કરી આઈ કહે છે કે આજ પછી આ ગામ માં કોઈ તાળું નઈ મારે… આઈની આ વાત સાંભળી ને ગામજનો કહે છે કે માં જો તાળા નઈ મારીએ તો અમારા માલ -સામાન ની રક્ષા કોણ કરશે?આઈ કહે છે કે તાળા તો ઠીક પણ દરવાજા પણ બંધ નઈ કરો તોપણ ચાલશે અને જો કોઈ તમારો સામાન ચોરી કરશે તો હું એની આંખોની બોટિયું બારી નો કાઢી નાખું તો હું મોગલ નો કેવાવ…. આ તમને મારું વચન છે અને આજ પછી આ ગામનું નામ “ભગુડા” રાખજો.. કારણ કે બાદશાહ ભાગીને અહી આવ્યો છે. બાદશાહ ભગોડો કેવાયો એટલે આજથી આ ગામનું નામ ભગુડા રહેશે. તમારી રક્ષા કરવા હું કાયમ અહી બેઠી છું… એવું કહેવાય છે કે ત્યારથી આઈ ભગુડા બિરાજે છે… આજ પણ ભાવનગર જિલ્લાના તળાજા પાસે આઈ મોગલ નું ભવ્ય મંદિર છે…. જ્યાં આજેપણ માતાજી હાજરાહજૂર છે.. ફક્ત આપણને શ્રદ્ધા હોવી જોઈએ…..એક હાથમાં ખડગ અને બીજા હાથમાં નાગ વિખરાયેલા કેશપાશ, ત્રિલોકને શાતાહ આપતું તેજસ્વી ભાલ, ચંદ્ર અને સૂર્ય સમાન પ્રકાશવાન, ભક્તો માટે સ્નેહ અને દુષ્ટો માટે અગનજ્વાળા વરસાવતા ‘આઈ’ ના નયનો. ‘આઈ મોગલનું’ આ સ્વરૂપ જોઈને સુર નર મુનિ, સૌ કોઈ દેવીની સ્તુતિ કરે છે. “માઁ મોગલ” પારંપરિક પૂજા- અર્ચના કરવામાં આવે છે. અહીં માઁ ના ધામમાં ભક્તો દૂર દૂર થી આવે છે અને માઁ ને ‘લાપસી’ નો પ્રસાદ ચઢાવે છે. અહીંયાં લાપસી નો પ્રસાદ ધરાવવાનો વિશેષ મહિમા છે. કહેવાય છે કે, ‘માઁ મોગલ’ ને લાપસી અતિપ્રિય છે.ભક્તો લાપસીનો પ્રસાદ ધરાવી ધન્યતા અનુભવે છે. કહેવાય છે કે, લાપસીનો પ્રસાદ લેવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. ભગુડા ધામમાં ‘અન્નક્ષેત્રની’ સેવા પણ ઉપલબ્ધ છે. માઇ દર્શને આવતા શ્રદ્ધાળુઓ અચૂક માનો પ્રસાદ લે છે. ભક્તો અહીં માતાજીને 16 શણગાર અર્પણ કરે છે. જેને “તરવેડાનો “(માતાજીને ચઢાવવામાં આવતી ભેટ) એક ભાગ કહેવાય છે.ભગુડામાં આવતા માઇ ભક્તો પોતાના અધૂરા કામ કે તકલીફો, માતાજી દૂર કરે તે માટે “તરવેડા” માનતા હોય છે. ‘તરવેડો’ એટલે એક પ્રકારની માનતા. જેમાં માતાજીને લાપસી ધરાવવામાં આવે છે અને શણગાર અર્પણ કરવામાં આવે છે. જયારે પોતાની માનતા પૂર્ણ થાય, ત્યારે શ્રદ્ધાળુઓ તરવેડો કરતા હોય છે. ઉપરાંત દર વર્ષ વૈશાખ સુદ બારસના દિવસે ભારે ધામધૂમ પૂર્વક માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે. જેમા લાખો લોકો શ્રધ્ધાભેર સામેલ થાય છે પ્રતિ વર્ષ ચૈત્ર માસમાં રોજની સેંકડોની સંખ્યામાં યાત્રાળુ પરિવારજનો દ્વારા માતાજીને લાપસી ધરવામાં આવે છે. આખો ચૈત્ર માસ આ પરંપરા ચાલુ રહે છે. આ જગ્યા ટ્રસ્ટ તરફથી લાપસી પ્રસાદ માટે જરૂરી પાણી બળતણ તેમજ તમામ વાસણોની સુવિધા વિનામુલ્યે પુરી પાડવામાં આવે છે અહી યાત્રાળુઓ માટે અન્નક્ષેત્ર રોજ ૨૪ કલાક શરૂ રહે છે.આવાસ માટે પણ ૨૦ ઓરડાઓ અને બે મોટા હોલની પણ વ્યવસ્થાઓ છે ઉપરાંત સૌ યાત્રાળુઓ માટે સતત ચા-પાણીની વ્યવસ્થાઓ પણ શ્રી માંગલધામ ચેરીટેબલ ટ્રસ્ટ, ભગુડા દ્વારા પુરી પાડવામાં આવે છે. મંદિર ૨૪ કલાક ખુલ્લુ રહે છે. અહી સંસ્થા દ્વારા કોઈ ફંડ ફાળો ઉઘરાવવામાં આવતો નથી કોઈ ભુવા નથી. કોઈને દોરા-ધાગા આપવામાં આવતા નથી. નોંધનિય છે કે ભગુડા ગામે સને ૧૯૯૭માં માતાજીનું શિખરબંધ નૂતન મંદિરનું નિર્માણ થયુ હતું જેની પ્રતિષ્ઠા વિધિ વૈશાખ સુદ ૧૨નાં દિવસે યોજાઈ હતી જેનો પાટોત્સવ દર વર્ષે ધામધૂમ પૂર્વક છેલ્લા ૨૦ વર્ષથી ધર્મમય માહોલમાં યોજાય છે.(આ પોસ્ટ રાજભા ગઢવી ના લોકડાયરા માથી લખેલ છે) જો તમે મોગલ માઁ ને માનતા હોય તો આ પોસ્ટને કોપી ના કરતા પણ બને એટલી શેર કરજો જેથી વઘુ માં વધુ લોકો સુધી પહોંચી શકે.મિત્રો આ હતો શ્રીમોગલધામ ભગુડાનો ઇતિહાસ માં મોગલ ની પ્રાગટ્ય કથાની માહિતી અધૂરી હોવાથી અહીંયા અમે ખાલી મોગલધામ નોજ ઇતિહાસ રજૂ કર્યો છે જો કોઈ માતાજીના ભક્તો પાસે મોગલ માતાજીના પ્રાગટ્ય સ્થાન ભીમરાળા(ઓખાધરા) થી ગોરવયાળી વિષે ની કોઈ માહિતી હોય તો એ માહિતી અમને મેસેજ દ્વારા મોકલી આપશો જેને અમે પ્રાગટ્ય કથા દ્વારા રજુ કરીશું.(આ ઇતિહાસ માં કઈ ભુલચુક હોય અથવા આ શીવાયની કોઈ પણ વધારાની માહિતી તમારી પાસે હોય તો તમે અમને કોમેન્ટ / મેસેજ માં મોકલી આપશો અમે તેને અહીં રજુ કરી દઈશું )જય મોગલ