મોરબી જિલ્લામાં આવેલ વવાણિયા એક પુરાતન ગામ છે. મોરબીથી માત્ર 35 કિ.મી. દૂર વવાણિયા આવેલું છે. તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રની જન્મભૂમિ છે. વવાણિયામાં સિંધ સાથે સંકળાયેલું કુબેર ભંડારીનું પણ એક અત્યંત પુરાતન મંદિર આવેલું છે. જે લોકવાયકા પ્રમાણે બારસોથી વધુ વર્ષ જૂનું છે. કુબેર ભંડારીની મૂર્તિનો માથાનો ભાગ અહીં પૂજાય છે અને તેનું ધડ કચ્છ સરહદે પાકિસ્તાનને અડીને આવેલા એક ગામમાં પૂજાય છે. તેમજ વવાણિયામાં જ આહિર જ્ઞાતિના એક મહિલા સંત શ્રી રામબાઈમા થઈ ગયા. આ ઉપરાંત જગ પ્રખ્યાત બાબા નીમ કરોલીની આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ પણ વવાણિયાથી જ થયો હતો.
આ ભૂમિએ અધ્યાત્મના આકાશને ત્રણ-ત્રણ તારા આપ્યાં છે.
સૌરાષ્ટ્રની ધરાએ તો અનેક સંતો આપ્યા પણ આ ભૂમિનું આકર્ષણ જ કંઈક એવું છે કે ભારતભરમાંથી અહીં આવીને અનેક મહાન વિભૂતિઓએ આ ભૂમિને પોતાનું ધર્મક્ષેત્ર, કર્મક્ષેત્ર બનાવ્યું છે. આજે આપણે સૌરાષ્ટ્રના એક એવા ગામની વાત કરવી છે જે કદમાં તો નાનું છે પણ તેનું મહત્વ બહુ મોટું છે. વિશ્વસ્તરે ભારતના આધ્યાત્મને અનેરી ઊંચાઈ આપી એવી ત્રણ ત્રણ મહાન હસ્તીઓ આ ભૂમિ સાથે કોઈને કોઈ રીતે જોડાયેલી છે.
ગુજરાતના સ્ટેટ હાઈવે નંબર 24 મોરબી જિલ્લાથી 30 કિલોમીટર દૂર હાઈવે પર વવાણિયા ગામ આવેલું છે. આ એ જ વવાણિયા કે જયાં એક વખત ધમધમતું બંદર હતું અને ઇતિહાસની તવારીખમાં જેનું નામ બહુ મહત્વ સાથે નોંધાયેલું છે. અહીં સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખાતા મોરબીના નવલખી રોડ પર આવતાં આ ગામને તપસ્વીઓની ભૂમિ એટલા માટે કહીશું કે અહીંયા રાષ્ટ્રપિતા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ રાજચંદ્રનું જન્મ સ્થાન છે, બીજું સ્ટીવ જોબ જેવી અનેક મહાન હસ્તીઓના ગુરુ નિમ કરોલી બાબા અને રામબાઈ જેવા વિભૂતિઓની આ સાધનાભૂમિ, કર્મભૂમિ છે તો રાવણના ભાઈ કુબેર ભંડારીનું પણ અહીં એક ઐતિહાસિક મંદિર આવેલું છે.
સંતોનો પરિચય :-
સંત શ્રીરામબાઈ માં
સનાતન ધર્મના પ્રેમ અને કરણાના મૂળભૂત સિદ્ધાંતને પોતાનો જીવનમંત્ર બનાવી અનેરી ઉંચાઈ આપનાર રામબાઈનું ભવ્ય મંદિર તેમજ આશ્રમ અહીં આવેલ છે. ઈતિહાસ પર નજર નાંખીએ તો, માતાશ્રી રાજબાઈમાં અને પીતાશ્રી જશા આપા ચાવડાને ત્યાં ઇ. સ.૧૭૭૮માં, હળવદના વાટાવદર (આજના મયુરનગર)માં રામબાઈનો જન્મ થયો. વાત એવી છે કે આ સમય ૧૭૯૪ આસપાસ, કારમો દુકાળ પડયો હતો. ચારોતરફ ત્રાહિમામ પોકારી ગયેલી પ્રજા વચ્ચે રાજાઓ પોતાના સામ્રાજ્યની હદ વિસ્તારવામાં પ્રવૃત હતાં. ભયંકર રોગચાળી ફાટી નીકળ્યો હતો અને માણસો ટપોટપ મરી રહ્યા હતાં. મા બાપના ગુજરી જવાથી અનાથ થઈ ગયેલા બાળકોના ટોળા ને ટોળા ગામેગામ ભટકતાં હતા, જેને લોકો દુષ્કાળીયાં કહેતાં. જીવવા માટે આશરો અને રોટલો શોધતા બાળકોને અટકાવવા જે તે ગામના યુવાનો પાદરેથી જ ભગાડતાં હતાં.
એ સમયે નાની ઉંમરે લગ્ન નક્કી થતાં હતા. રામબાઈના લગ્ન પણ નાની ઉમરે આહીર રાઠોડ પરિવારમાં થયા હતા. જ્યારે સાસરપક્ષ તેમને આણુ તેડવા આવ્યા હતા. અને રામબાઈ લગ્નની એક વિધી અંગે પાણીની હેલ ભરવા નદી કિનારે ગયાં હતાં ત્યાં તેમણે ભૂખ્યા તરસ્યા, આશરો શોધતા દુષ્કાળીયાં બાળકોને જોયા. તેમની કરણ દયાજનક પરિસ્થિતિ જોઈને રામબાઈનું કરૂણામય હ્રદય દ્રવી ઉઠયું. એમણે ગામના યુવાનોને તે બાળકોને ભગાડતાં રોક્યાં, અને બધા બાળકોને પોતાની સાથે ઘેર લઈ આવ્યાં. ઘરે આવીને પિતૃ પક્ષ અને સાસરા પક્ષને લોકો સામે પોતાનો પક્ષ રાખતા રામબાઈ કહે છે કે હવેથી મારે આ અનાથ ગરીબ બાળકોની સેવા કરવામાં પસાર કરવુ છે. મારે સન્યાસ લેવો છે અને આ અનાથોની મા થઈને રહેવું છે. હું લગ્ન કરવા માગતી નથી. ઘણી સમજાવટ છતાં એ યુગમાં, સમાજની ધારાઓથી વિપરીત, તેઓએ અડગ મન સાથે વૈરાગ્ય અને સેવાનો માર્ગ અપનાવ્યો, દુષ્કાળીયાં બાળકોને ટોળા સાથે લઈને ગામેગામ ભિક્ષા માંગી બાળકોને પોષવા એ તેમનો જીવનધર્મ અને જીવન ક્રમ બની ગયો. સાયલાના લાલજી મહારાજના શિષ્ય કૃષ્ણદાસ પાસે દીક્ષા લેનાર રામબાઈનું કદ સેવા ઉપરાંત અધ્યાત્મના સ્તરે પણ ઘણું જ ઊંચું છે. તેમની સાધના અને સત વિશે અનેક વાતો જાણવા-સાંભળવા મળે છે. સમયાંતરે વવાણિયા ગામે રામબાઈ સ્થાયી થયા. ભક્તોની મદદથી આશ્રમની સ્થાપના કરી, અને ત્યારથી લઈને આજ સુધી આ રામબાઈ આશ્રમમાં સેવાકીય પ્રવૃત્તિ, સદાવ્રત નિરંતર ચાલુ છે. રામબાઈ આશ્રમમાં વિશાળ પરિસરમાં અહીં સાયલાનાં કૃષ્ણદાસને હાથે રામજીની સ્થાપના થઈ છે. વિશાળ મંદિર ઉપરાંત રામબાઈની ધ્યાન કુટિર છે. અહીં ચોવીસેક રૂમ બનાવવામાં આવ્યા છે. સ્વચ્છ અને સુઘડ આ રૂમ, નાતજાત જાતિ ધર્મના ભેદ વગર અહીં સૌને સમદ્રષ્ટિએ સાવ ટોકન ચાર્જ સાથે આપવામાં આવે છે. રામબાઈના મંદિરમાં, જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો એ કહેવત સાર્થક થઈ છે. નાતજાત જાતિ ધર્મના ભેદ વગર અહીં આવતા ભક્તો માટે રહેવાની તથા જમવાની ઉત્તમ સગવડ છે તેમજ સવારથી લઈને સાંજ સુધી ચા સતત મળી રહે છે. જમવાનું નિઃશુલ્ક છે, વિશાળ સુઘડ ભોજનગૃહમાં ઘરના ભોજન કરતા પણ વિશેષ એવું સ્વાદિષ્ટ ભોજન અહીં બન્ને ટાઈમ પીરસવામાં આવે છે. મંદિરના પૂજારી કહે છે કે રોજ સવારે આશરે ચારસોથી પાંચસો અને સાંજે બસ્સોથી ત્રણસો લોકો અહીં જમે છે. વહીવટ કર્તા જયસુખભઈ હરિભાઈ રાઠોડ, મેણંદભાઈ બીજલભાઈ ડાંગર, તેમજ રામબાઈની જગ્યાના વર્તમાન પૂજારી, સંત પ્રભુદાસ બાપુ સાથેની અમારી મુલાકાતમાં તેઓએ અમને ખૂબ જ રસપૂર્વક આ જગ્યાનો ઈતિહાસ અને આશ્રમની પ્રવૃત્તિ વિશે માહિતી આપી (એના માટે અમે આભારી છીએ) એ મુજબ ૧૯૧ વિદ્યા જમીન ધરાવતા આ આશ્રમમાં અને આશ્રમ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે. આ આશ્રમ ભૂકંપ પછી નવનિર્માણ થયેલ છે. બેસતા વર્ષે આ નાના એવા ગામમાં સાતેક હજાર લોકો આ આશ્રમની મુલાકાતે આવે છે.
બિપોરજોય વાવાઝોડા વખતે સમગ્ર મોરબી અને માળિયા પંથકની ભોજન વ્યવસ્થા અહીં કરવાની જવાબદારી આશ્રમે લીધી હતી. આ ઉપરાંત મેડિકલ, શૈક્ષણિક તેમજ વ્યસનમુક્તિ કેમ્પના આયોજનો, સર્જીકલ સાધનોનું નિશુલ્ક વિતરણ, સમાજલક્ષી કોઈપણ સેવાકીય પ્રવૃતિઓ, કુદરતી આપદા વખતે આ આશ્રમના દરવાજા ખુલ્લા મૂકી દેવામાં આવે છે. જાહેર સમારંભો માટે પણ જગ્યા ફાળવવામાં આવે છે.
આશ્રમની વિશાળ ગૌશાળામાં લગભગ સિતેરેક ગાયો છે. આ ગાયના દૂધ, દહીં ઘીને વેચવામાં નથી આવતા પણ વહેંચવામાં આવે છે એટલે કે તેનો ઉપયોગ અહીંના ભોજનગૃહમાં મીઠાઈ, છાશ તેમજ ચા બનાવવામાં જ થાય છે. બહાર વેચાણ કરવામાં નથી આવતું. આ રામબાઈનું સત્ જ છે કે સદીઓથી આ જગ્યા સેવાકીય માનવીય પ્રવૃતીથી ધમધમે છે.
સંત શ્રીમદ રાજચંદ્ર
આ ગામ, ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ એવા શ્રીમદ રાજચંદ્રનું જન્મ સ્થળ છે. શ્રીમદ્ રાજચંદ્રનું અહીં બાળપણ વિતેલું. આજે એ જન્મસ્થળ પર જ શ્રીમદ્ર રાજચંદ્ર જન્મભૂવન નામની વિશાળ મંદિર બન્યું છે. ગુજરાત સરકારે આ સ્થળ પર્યટન સ્થળ તરીકે જાહેર કર્યું છે. ખૂબ જ ભવ્ય અને સ્વચ્છ આ ભુવન, પરમ શાંતિની અનુભૂતિ કરાવતું શ્રીમદ રાજચંદ્રનું છે જ્યાં તેમના જન્મ સ્થળના ઘરની પ્રતિકૃતિ છે અહીં આવતા દિવ્યતાનો અનુભવ થાય છે આ ભવ્ય જન્મ ભુવનના વિશાળ પરિસરમાં મોર તેમજ અન્ય પક્ષીઓની હાજરી આ સ્થળને વધુ રમણીય બનાવે છે. ભવનના ઉપરના ભાગે એક સભા ભવાન આવેલું છે. મહાવીરનું મંદિર છે. ભુવનમાં અંદરના ભાગમાં એટલે કે હોલમા ચિત્રોનું ક્રમવાર પ્રદર્શન છે જેના થકી શ્રીમદ રાજચંદ્ર જીવનચરિત્રનો ખ્યાલ આપે છે. જેમાં તેના જન્મથી લઈને નિર્વાણ સુધીની અનેક ઘટનાઓ તથા તેમના જીવન સાથે જોડાયેલી, આપણને માનવામાં પણ ન આવે તેવી વાતોનો અહીં નિર્દેશ છે.
ઉપર કહ્યું તેમ ચિત્ર દ્વારા તેમને આખી જીવનયાત્રા સમજાવવામાં આવી છે તેમાંથી અમુક મહત્વપૂર્ણ ઘટનાઓની વાત કરીએ તો શાળાના પ્રથમ જ દિવસે હજુ તો શિક્ષકે કકકો પણ ન શીખવ્યો હોય ત્યારે શ્રીમદ રાજચંદ્ર પુસ્તક વાંચન કરે છે. અને શિક્ષકના આશ્ચર્યનો પાર રહેતો નથી.
બીજી વાત એવી છે કે બાળ રાજચંદ્ર ઝાડ પર છુપાઈને, કોઈના અંતિમયાત્રા અગ્નિદાહ આપતા જુએ છે અને ત્યારે તેમની સમક્ષ તેમના પૂર્વના નવસો ભવોનું સ્મરણ થાય છે. જ્ઞાન પ્રાપ્ત થાય છે. એક ચિત્ર મુજબ, શતાવધાનનો તેમનો પ્રયોગ જે મુંબઈમાં અંગ્રેજ અમલદારોની હાજરીમાં તેમણે કર્યો હતો તે છે. શતાવધાન એટલે કે એક જ સમયે જુદી જુદી સો બાબતો પર ધ્યાન આપવું. આપણે એક સમયે એક સાથે બે બાબત પર પણ પૂરતું ધ્યાન નથી આપી શકતા જ્યારે રાજચંદ્રની એ દિવ્ય શક્તિ, ચૈતસિક કે ધ્યાનશક્તિ કે એક જ સમયે એક સાથે બનતી સો બાબતો પર તેઓ ધ્યાન આપી શકતા. તેઓ અનેરી શક્તિ ધરાવતા હતા કે આંખે પાટો બાંધીને એક સાથે ૧૦૦ પુસ્તકોની વચ્ચેથી તમે જે પુસ્તક માંગો તે પુસ્તક તેઓ આપી શકતા. ગાંધીજી સાથેના તેમના પત્ર વ્યવહારો ઉલ્લેખ બતાવે છે કે ગાંધીજી જ્યારે કોઈ બાબતે મૂંઝાતા, આધ્યાત્મિક સ્તરના પ્રશ્નો હોય ત્યારે રાજચંન્દ્ર પાસે જ માર્ગદર્શન લેતા. રાજચંદ્ર વિશે કશું કહેવાની જરૂર નથી એવી મહાન વિભૂતિના જન્મસ્થળને કોટી કોટી વંદન કરીને જ્યારે બહાર નીકળું છું તમારે 'હું આત્મસ્વરૂપમાં લીન થઉં છું તેવા તેમના અંતિમ ઉચ્ચારણ સાથે તેઓએ નિર્વાણ સ્વીકાર્યું હતું તે યાદ આવે છે.
સંતશ્રી નિમકરોલી બાબા ના પરિચય માટે અહી ક્લિક કરો.
- ઘનશ્યામભાઈ ડાંગર (પુસ્તકમિત્ર)ના લેખનું વાંચન
- ખાસ ખબર સાંધ્ય દૈનિકના હિમાદ્રીબેન આચાર્યના અહેવાલનું વાંચન.
- ડૉ. જીત જોબનપુત્રા ના લેખ વવાણિયાથી વૃંદાવનનું વાંચન.