રામાયણ અને મહાભારત સિરિયલની રોચક અજાણી વાતો...

‘કભી કભી જીતને કે લિયે કુછ હારના ભી પડતા હૈ...’

જ્યારે પણ શાહરૂખખાનના યાદગાર સંવાદોની વાત નીકળે ત્યારે ‘બાઝીગર’નો ટાઇટલ ડાયલોગ ‘ટોપ ટેન’માં આવે જ. (જેમ કોઇ ગાયનમાં ફિલ્મનું નામ આવે એટલે તેને ‘શિર્ષક ગીત’ કહેવાનો રિવાજ છે, એ જ લોજિકથી ફિલ્મના નામને સાર્થક કરે એવા સંવાદને ‘ટાઇટલ ડાયલોગ’ કહી જ શકાયને?) ‘બાઝીગર’ જ્યારે ૧૯૯૩માં આવ્યું ત્યારે શાહરૂખ નવોદિત પણ નહીં અને જૂનોદિત(!) પણ નહીં એવા કારકિર્દી ખીલવાના તબક્કે હોઇ પ્રેક્ષકોની અપેક્ષા ‘દીવાના’ની ધમાકેદાર એન્ટ્રીથી ઠીક ઠીક વધી હતી. પરંતુ, સલામ કરવી પડે ગુજરાતી ડાયરેક્ટર બેલડી અબ્બાસ-મસ્તાનને કે તેમણે ‘બાઝીગર’માં નવા-સવા શાહરૂખને એક સ્થાપિત સ્ટારની માફક પ્રસ્તુત કર્યો. તે કરતાં પણ વધારે ક્રેડિટ ‘એસઆરકે’ને કે પોતે એક સક્ષમ અભિનેતા જ નહીં એક ‘સુપરસ્ટાર’ જેવી અદાઓ કરી જાણનાર ‘અદાકાર’ પણ બની શકે છે એ સંભાવના ઉપર એક સોલ્લિડ સ્ટેમ્પ લગાડી દીધો.

શાહરૂખના કિસ્મતને પણ દાદ દેવી પડે કે ‘બાઝીગર’ આવ્યું નવેમ્બર ૧૯૯૩માં અને એક જ મહિના પછી ડિસેમ્બર ’૯૩માં એવા જ જબ્બર પર્ફોર્મન્સવાળું ‘ડર’ આવ્યું! માત્ર ચાર-પાંચ અઠવાડિયામાં બબ્બે સુપરહિટ ફિલ્મો... જાણે કે કોઇ તાજા આવેલા બેટ્સમેને સાવ ટૂંકા ગાળામાં બે ડબલ સેન્ચ્યુરી ફટકારી હોય એવો માહૌલ ત્યારે હતો. એ દિવસોમાં ‘બાઝીગર’નો આ શિર્ષક-સંવાદ બચ્ચા બચ્ચાને મોંઢે થઈ ગયો હતો, ‘કભી કભી જીતને કે લિયે કુછ હારના ભી પડતા હૈ ઔર હાર કર જીતને વાલે કો બાઝીગર કહતે હૈં!’

તેની પ્રસ્તુતિ અબ્બાસ-મસ્તાને શાહરૂખના ટાઇટ ક્લોઝ-અપ સાથે કરી હોઇ દેશભરનાં થિયેટરોના વિશાળ પડદાઓ પર આ નવા ખાનના ગાલમાં પડતા ખંજન (ખાડા) અને વાંકી ચુકી થઈ શકતી ભ્રમરો સાથેના ચહેરાનું પ્રોજેક્શન સીટીઓ અને તાળીઓ ના મેળવી શક્યું હોત તો જ આશ્ચર્ય હોત. પરંતુ, શું એ ચોટદાર સંવાદ ઓરિજિનલ હતો? જો તમે દૂરદર્શન પરથી હમણાં ફરીથી ટેલિકાસ્ટ થયેલી શ્રેણી ‘મહાભારત’ જોઇ હોય તો એ સુપરહિટ ડાયલોગની ક્રેડિટ ડો. રાહી માસુમ રઝાને આપ્યા વિના ના રહો.

‘મહાભારત’નું પ્રસારણ ૧૯૮૮માં એટલે કે ‘બાઝીગર’ કરતાં પાંચ વરસ પહેલાં પૂરું થઈ ગયું હતું. તેમાં પાંડવોએ વસાવેલા ઇન્દ્રપ્રસ્થમાં કૌરવો રાજસૂય યજ્ઞમાં ભાગ લેવા હસ્તિનાપુરથી આવે છે, ત્યારે યુધિષ્ઠિર અને શકુનિ વચ્ચે સોગઠાબાજી (ચૌસર)નો જુગાર ખેલાય છે. તેમાં મામા શકુનિ હારી જાય છે અને તેનાથી નારાજ ભાણીયો દુર્યોધન અકળાય છે. ત્યારે શકુનિ કહે છે, ‘ભાનજે (એટલે કે ‘ભાણાભાઇ’) રાજનીતિ યે કહતી હૈ કિ કભી કભી જીતને કે લિયે હારના જરૂરી હોતા હૈ...’

એ રીતે જાણીજોઇને હારેલા શકુનિની એ ચાલ ત્યારે સફળ થાય છે જ્યારે વળતી દ્યુતક્રિડા (જુગાર) માટે પાંડવોને નિમંત્રણ અપાય છે, ત્યારે શકુનિએ સંભવિત જીતનું લબડાવેલું ગાજર યુધિષ્ઠિર અને પાંડવોને હસ્તિનાપુર જવાનું આકર્ષણ ઉભું કરે છે. તે જુગટું રમતાં રાજપાટ અને દ્રૌપદીને હારી ગયેલા પાંડવોની હાજરીમાં ચીરહરણની શરમજનક ઘટના બને છે, એ કોણ નથી જાણતું? એટલે એક રીતે કહીએ તો ‘મહાભારત’ના એ અગત્યના વળાંકે, ડો. રાહી માસુમ રઝાએ એક કુટિલ ચાલબાજીને રાજનીતિની કુશાગ્રતાનો વેશ પહેરાવ્યો હતો, તે સિનેમાના મોટા પડદે શાહરૂખને તાળીઓ મેળવતા ‘સ્ટાર’ બનાવવા કામ લાગ્યો.

એ ચોટદાર સંવાદ નાના પડદે કદાચ ધ્યાન બહાર ગયો હોય. કેમ કે શકુનિ બનતા ગુફી પેઇન્ટલ મહાભારતના સૌથી અગત્યના વિલન હતા. મઝાની વાત એ હતી કે ગુફી પેન્ટલ પોતે ‘કાસ્ટિંગ ડાયરેક્ટર’ એટલે કે કલાકારોને પસંદ કરવાની કામગીરીના મહત્ત્વના અગ્રણી હતા અને છતાં એ શકુનિની ભૂમિકા માટે જ્યારે કોઇ આર્ટિસ્ટને આગળ ધરતા ત્યારે નિર્માતા-નિર્દેશક બી.આર. ચોપ્રા અને તેમના પુત્ર રવિ નાપસંદ કરતા. શકુનિની એન્ટ્રી થવાના શૂટિંગને દસેક દિવસ બાકી હતા અને ચોપ્રા પિતા-પુત્રની જોડી તથા લેખનકાર્ય સાથે સંકળાયેલા ડો. રાહી માસુમ રઝા અને પંડિત નરેન્દ્ર શર્મા સહિતના સૌએ ગુફીને કહ્યું કે ‘ટીમે પહેલેથી જ શકુનિ તરીકે તમને ફાઇનલ કરી દીધા છે’!

ગુફી પેઇન્ટલને મનોરંજનની દુનિયામાં ત્યાં સુધી તો કોમેડિયન પેઇન્ટલના મોટાભાઇ તરીકે જ સૌ ઓળખતા. એ નાનાભાઇએ તો બડેભૈયાથી પહેલાં પુનાથી એક્ટિંગનો ડિપ્લોમા લીધો હતો. તેણે મુંબઈ આવીને અભિનેતા તરીકે પોતાની અટક ‘પેઇન્ટલ’ને જ નામ તરીકે રાખી હતી... બાકી તેમનું આખું નામ કંવરજીત પેઇન્ટલ છે. જ્યારે મોટાભાઇ ગુફીનું અસલ નામ સરબજીત છે, પણ ‘શકુનિ’ના એ રોલમાં એવું કામ કર્યું કે હવે એ જ કાયમી નામ થઈ ગયું છે. ગુફીને ક્લાકારોના ઓડિશન લેવાની કામગીરી મળી હોઇ કાસ્ટિંગમાં કેવી ફેરબદલી થઈ હતી તેના એ સૌથી સત્તાવાર જાણકાર કહી શકાય.

તેમના કહેવા પ્રમાણે તો જે પાત્રથી મુકેશ ખન્નાને ‘મહાભારત’ના પ્રસારણના દિવસોમાં ‘નાના પડદાના અમિતાભ’ તરીકે પણ નવાજવામાં આવ્યા હતા, તેમને છેલ્લે સુધી ‘દ્રોણાચાર્ય’ની ભૂમિકા આપવામાં આવી હતી. બલ્કે મહુરતના દિવસે પણ એ ‘દ્રોણાચાર્ય’ની વેશભૂષામાં ઉપસ્થિત હતા! મુકેશ ખન્ના પોતે તો કર્ણ અથવા અર્જુન થવા માંગતા હતા. ‘અર્જુન’ના રોલ માટે જેકી શ્રોફ છેલ્લે સુધી રેસમાં હતા. પરંતુ, ‘મહાભારત’ને ૧૦૪ હપ્તાની મંજૂરી મળી હતી. (જુઓ ‘બી.આર.’ની ખાનદાની... ૧૦૪ હપ્તાની મંજૂરી હોવા છતાં ૯૪ એપિસોડમાં કથા સમાપ્ત થઈ શકી તો ૧૦ હપ્તા બિનજરૂરી ખેંચ્યા નહીં... બાકી મહાભારતમાં તો દરેક તબક્કે કેટકેટલા ફણગા ફુટી શકે એવા હોય જ છેને!) તેથી જાણીતા કલાકારો એટલા લાંબા સમય સુધી તારીખો આપી શકશે કે કેમ એ શંકાસ્પદ હતું.

પરિણામે ‘અર્જુન’નો રોલ ફિરોઝખાન નામના સ્ટ્રગ્લર મુસ્લિમ એક્ટરને મળ્યો. પોતાનું નામ ‘કુરબાની’ જેવી ફિલ્મના હીરોના નામ સાથે ગેરસમજ ન કરાવે એટલા માટે તેણે સ્ક્રિન માટેનું નામ પણ ‘અર્જુન’ જ રાખ્યું. એ જ રીતે ‘દ્રૌપદી’ તરીકેની રેસમાં, અન્ય ખૂબસુરત યુવતિઓની સાથે, ૧૯૮૪માં ‘મિસ ઇન્ડિયા’નો ખિતાબ જીતનાર જુહી ચાવલા પણ એક ગંભીર ઉમેદવાર છેલ્લે સુધી હતી. પરંતુ, એ જ અરસામાં આમિરખાનને લૉન્ચ કરતી ફિલ્મ ‘કયામત સે કયામત તક’માં તક મળતાં જુહીએ ‘મહાભારત’ છોડી દીધી. તે પછી ફરી સેમી ફાઇનલ અને ફાઇનલ કરવાની થઈ. છેલ્લે સાઉથની રમ્યા ક્રિશ્ન અને રૂપા ગાંગૂલી વચ્ચે હરિફાઇ રહી.

રૂપા ગાંગૂલીની હિન્દી સાઉથની રમ્યાની સરખામણીએ વધારે સારી હોવાથી ‘દ્રૌપદી’ તરીકે તેની પસંદગી થઈ હતી અને આજે તે સંસદ સભ્ય છે. જ્યારે રમ્યાએ પોતાની જગ્યા દક્ષિણનાં પિક્ચરોમાં જમાવી, જેમને હિન્દી સિનેમાના શોખીનોએ તાજેતરમાં ‘બાહુબલી-ટુ’માં ‘રાજમાતા શિવાગામી’ તરીકે જોયાં છે. ‘મહાભારત’માં તે સમયના જાણીતા કલાકારોમાં એક માત્ર રાજ બબ્બરને લીધા હતા, જેમને ‘બી.આર. ફિલ્મ્સ’ની ‘ઇન્સાફ કા તરાજુ’માં મોટી તક મળી હતી.

તેમને ‘રાજા ભરત’ બનાવ્યા હતા અને એક જ દિવસના શૂટિંગમાં તેમનું કામ પતાવી દેવામાં આવ્યું હતું. જ્યારે તે સમયના અન્ય જાણીતા કલાકારોમાં રેણુકા ઇસરાની કહી શકાય જેમણે આંખે પાટા બાંધીને પોતાના ચક્ષુહીન પતિ ધૃતરાષ્ટ્રનો સાથ નિભાવ્યો હતો. રેણુકાએ ત્યાં સુધીમાં ભારતના સૌ પ્રથમ સોપ ઓપેરા (દૈનિક સિરિયલ) ‘હમલોગ’માં કોમેડી પાત્ર ‘લલ્લુ’ની પત્ની ‘ઉષારાની’ તરીકે નામના કમાઇ હતી. પણ સૌથી વધુ ચાહના એક બહુ જાણીતા નહીં એવા અભિનેતા વીરેન્દ્ર રાઝદાને ‘વિદુર’ તરીકે મેળવી!

‘વિદુર નીતિ’નાં સંનિષ્ઠ વચનો સમય સમય પર મહાભારતની કથામાં કરોડરજ્જુ (રીડ કી હડ્ડી)નું કામ કરે છે. તેને માટે ધીર ગંભીર અવાજ એ પ્રાયોરિટી હતી અને વીરેન્દ્ર રાઝદાન તેમાં બરાબર ફીટ બેસતા હતા. વીરેન્દ્રએ તે અગાઉ રીચાર્ડ એટનબરોની ‘ગાંધી’માં મૌલાના આઝાદના પાત્રમાં પોતાના વોઇસની ક્વોલિટી દેખાડી ચૂક્યા હતા. એ દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના વિદ્યાર્થી રહી ચૂક્યા હોઇ અવાજના આરોહ-અવરોહની તાલીમ હતી જ. કમનસીબે વીરેન્દ્ર રાઝદાન ૨૦૦૩માં માત્ર ૫૩ વરસની ઉંમરે આ દુનિયાથી વિદાય થઈ ગયા.

એ જ રીતે ‘મહાભારત’ના સર્જક પિતા-પુત્ર બી.આર અને રવિ ચોપ્રા હોય કે પછી કલમ-બેલડી ડો. રાહી માસુમ રઝા અને પંડિત નરેન્દ્ર શર્મા હોય અથવા સંગીતકાર રાજ કમલ અને ગાયક મહેન્દ્ર કપૂર એ સૌ ભલે આજે આપણી વચ્ચે નથી રહ્યા, પણ ‘પિતાશ્રી’, ‘ભ્રાતાશ્રી’, ‘માતાશ્રી’ કે પછી ‘પ્રણામ’ અને ‘આયુષ્યમાન ભવ’ સરખા ભારતીય સંસ્કૃતિના શબ્દોને સુરક્ષાકવચ આપીને ગયા છે.

એટલે અત્યારના અણધાર્યા વેકેશનમાં સહકુટુંબ રહેવાના સમયમાં કેવી વિશિષ્ટ પરિસ્થિતિ સર્જાઇ છે...’૮૦ના દાયકામાં ‘મહાભારત’ અને ‘રામાયણ’ પ્રસારિત થવાના સમયે કરફ્યુ જેવો સન્નાટો રોડ પર આપમેળે છવાઇ જતો એક પેઢીએ જોયો અને આજે લૉકડાઉનના સન્નાટામાં એ જ મહાકથાઓ નવી પેઢીઓએ પણ જોઇ. શું એ સમયની ‘એક કહાની’, ‘કથા સાગર’ કે ‘સુરભિ’ કે ઇવન ‘ભારત એક ખોજ’નું પણ પુનઃપ્રસારણ ના થઈ શકે?

તિખારો!
કપિલ શર્માના શો લૉકડાઉનને લીધે આજકાલ બંધ છે. એટલે તેણે પોતાના ચાહકો સાથે વાર્તાલાપ કરવાનું સોશ્યલ મીડિયા પર આયોજન કર્યું હતું. તેમાં થતી મજાક-મસ્તીથી ખુશ એવા સૌ ફૅન વતીથી એક ભાગ લેનાર મહિલાએ સુઝાવ મૂક્યો, ‘તમે આ સેશન આખો દિવસ ચલાવોને?’
કપિલનો જવાબ, “ઐસા? તો બર્તન કૌન ધોએગા?!’

આજ તા. ૩ મે રવિવારના ‘સંદેશ’માં પ્રગટ થયેલો ‘ફિલમની ચિલમ’ કોલમનો લેખ

0 Comments

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મળે છે. બેક કિલોમીટર થાય. 👉પોખરણ કિલ્લો અને સંત બાલીનાથનો ધૂણો. 👉પાંચ પીપળી ધામ જ્યાં.. મક્કા થી આવેલા પીરો એ રામદેવજી ની પરીક્ષા લીધી હતી..અને પીર કેવાયા. 12 કિમી થાય. 👉ભૈરવ ગુફા .. પોખરણ પાસે આવેલ છે.

Follow Me On Instagram